આવકાર સપ્તાહ: ૦૨: “ઘણું બધું છે” – અનિલ ચાવડા
પ્રવર્તમાન ગુજરાતી કવિતાના પરિદૃશ્યમાં અનિલ ચાવડાની કલમ અને તેના વ્યાપથી અપરિચિત એવો કાવ્યરસિક મળવો દુર્લભ છે. સંગ્રહમાંથી પસાર થતાં મને સ-વિશેષ સ્પર્શી ગયેલ કેટલાંક રસસ્થાનો ભાવકો સાથે અત્રે સહિયારું છું. અનિલ ચાવડા મારા મનગમતા ગઝલકારોમાંના એક તો છે જ, ગુજરાતી ગઝલના અગ્રણી સર્જકોમાં પણ તેમનું સ્થાન નિર્વિવાદ છે. એટલે સ્વાભાવિક રીતે જ તેમની પાસેની અપેક્ષાઓનું પરિમાણ પણ વધુ ઊંચું જ રહેવાનું. શિસ્તબદ્ધ ગુજરાતીમાં લખાયેલી અનેક સુંદર ગઝલોની વચ્ચે-વચ્ચે અમદાવાદી બોલીના પ્રભાવને કારણે દેખાતી ભાષાગત છૂટછાટો તેમજ ચોંકાવનારા પ્રતીકો માટેનો અત્યુત્સાહ ગઝલના સ્વભાવને સહેજ ક્ષીણ કરતો જણાય છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ શ્રી ભાવેશ ભટ્ટે પણ આવા બે-ત્રણ સ્થાનોએ સંકેત કર્યો છે. આ નાના અપવાદો છતાં સંગ્રહમાં કવિની આગવી મુદ્રા, કલ્પનાશક્તિ અને ભાષાકર્મનો પ્રભાવ સતત અનુભવાય છે.
સ્નેહ, સન્માન અને શુભેચ્છાઓ સહિત…
જિંદગી સહદેવ જેવી છે, કશું બોલે નહીં,
હુંય એવો છું કે સામેથી કશું પૂછું નહીં.
ફકત વહેંચાય છે બેચાર જણમાં ફૂલના ઢગલા,
પડે છે ભાગ આખા દેશનો એક પાંખડીમાંથી.
હું જો મારામાં ક્યાંયે મળ્યો નહિ તને,
તો મને ક્યાંક તારામાં ગોતાય નહિ?
થાય જો ભૂલ મિત્રોની, તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નહિ.
પ્હાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો, એકનું નામ ‘સૉરી,’ એક ‘પ્લીઝ’.
અંધારાએ જાત ઉતરડી,
અજવાળાએ આળસ મરડી.
છું પ્રતીક્ષાના ચરમ આનંદમાં,
તું મને મળવા સમયસર આવ નહિ.
સાંજના રંગોને જોવામાં હતા તલ્લીન સૌ,
કોઈ જાણી ના શક્યું કે હું હતો ઉદાસ, હાશ!
વર્ષો બાદ મળ્યાં તો એણે પૂછી લીધું, ‘કંઈક નિશાની-
હશે ને મારી તારી પાસે?’ મેં કીધું કે, ‘હા, અફસોસ!’
ઈશ્વર ઓછો મળે ઉછીનો? સૌનો એ પોતાનો હોય,
મેં ફંફોસ્યો મારી રીતે, તારી રીતે તું ફંફોસ.
એક નાના કાંકરે આખી નદી ડહોળાય નહીં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નહીં?
જે રીતથી કર્યાં છે એણે વખાણ મારાં,
એ ગાળ તો નથી, પણ છે ગાળની લગોલગ.
ડાયરીનું એક પાનું અન્ય પાનાંને પૂછે છે,
ફૂલ નહિ મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે!
જિંદગી ઉપકાર છે ઈશ્વરનો એ મેં માન્યું પણ,
ખૂબ કંટાળી ગયો છું એના આ ઉપકારથી.
કોઈ તલસે શ્વાસ ચાલુ રાખવા,
કોઈને ચાલે છે એ મોકાણ છે.
જિંદગીની કૈંક કપરી ભીંસમાંથી નીકળી છે,
મારી ગઝલો નહિ પડેલી ચીસમાંથી નીકળી છે.
એવા કલાથી પામો મારી ગઝલને મિત્રો,
આંખો અવાજ સુણે, દૃશ્યોને કાન જુએ.
મારી પાસે એક જે શ્રદ્ધાનું સાંબેલું હતું,
મેં જીવનનું ધાન એનાથી જ ખાંડેલું હતું.
તમારી સહેજ બારી થઈ જવાની હોય તૈયારી,
તો એ તમને પછી ક્યારેક ને ક્યારેક ઉઘાડે જ.
– અનિલ ચાવડા


