સુખની કવિતા – પ્રાણજીવન મહેતા
નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;
મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.
આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.
દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.
સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;
મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…
– પ્રાણજીવન મહેતા
કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…
