તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
ડૉ. હરીશ ઠક્કર

આવકાર સપ્તાહ: ૦૧: ‘સ્વપ્નસુખ’ – ભરત વિંઝુડા

રોજેરોજ નિતનવા સંગ્રહ મળતા રહે છે. બધા સંગ્રહમાંથી પસાર થવાનું કપરું છે, પણ થોડો સમય અને થોડો અવકાશ ફાળવીને મારી ક્ષમતા મુજબ દરેક સંગ્રહને યથોચિત ન્યાય આપવાની કોશિશ હું કરતો રહું છું. થોડા દિવસો પહેલાં જ લયસ્તરો પર આપણે આવકાર-સપ્તાહ ઉજવ્યું. આજથી ફરી એકવાર આવકાર-સપ્તાહ નિમિત્તે વારાફરતી સાત અલગ અલગ સર્જકોના નવ્યસંગ્રહોમાંથી પસાર થવાનો લહાવો લઈએ….

બહુખ્યાત કવિ ભરત વિંઝુડા સર્જનબાહુલ્યના કવિ છે. ‘સ્વપ્નસુખ’એમનો ચૌદમો સંગ્રહ છે – તેરમો ગઝલસંગ્રહ. લયસ્તરો પર ‘સ્વપ્નસુખ’ને આવકાર આપતાં અમે હર્ષ અનુભવીએ છીએ… સંગ્રહમાંથી નાની બહેરની એક ગઝલ આપ સહુ માટે…

*

આંખોથી…

આંસુ છલકાઈ જાય આંખોથી,
એવું જોવાઈ જાય આંખોથી.

કાન બીડીને રાખ્યા છે એને,
કંઈક સંભળાય જાય આંખોથી.

બંધ લાગે ને બંધ હોય નહીં,
સ્વપ્ન દેખાઈ જાય આંખોથી.

નીકળે તું ઘડીક સામેથી,
થોડું જીવાઈ જાય આંખોથી.

જોઉં છું એને બદલે વાંચું તો,
એ ઉકેલાઈ જાય આંખોથી.

– ભરત વિંઝુડા

Leave a Comment