દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.
– રાહુલ શ્રીમાળી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભરત વિંઝુડા

ભરત વિંઝુડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તરસ લાગે – ભરત વિંઝુડા

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.

તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે?

એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમને સામને તરસ લાગે.

ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.

જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નવ્યસંગ્રહ ‘ચિત્તની લીલાઓ’નું સહૃદય સ્વાગત…

સપાટી પર સરળ ભાસતી ભરત વિંઝુડાની ગઝલોમાં મોટાભાગે આસ્તેથી પડળ ઉખાડો તો વધુ ગહન લાગે છે. પ્રસ્તુત રચનાને પણ હળવે હળવે ખોલવામાં વધુ મજા છે.

Comments (5)

મૂકી દઉં – ભરત વિંઝુડા

તમે કહો તો બધાએ તનાવ મૂકી દઉં,
તમારા ભાવમાં મારો સ્વભાવ મૂકી દઉં.

ઘણુંય પ્રિય, પરમ પ્રિય પણ મને લાગે,
શરાબ જેમ બધું કેમ સાવ મૂકી દઉં.

હશે નસીબમાં એ ત્યાં લઈ જશે આખર,
કિનારા પરથી સમંદરમાં નાવ મૂકી દઉં.

અને પછી હું કરું શું એ પહેલાં વાત કરો,
તમે કહો છો, તમારો લગાવ મૂકી દઉં.

રમતમાં આમ તો જીતી જવાય એવું છે,
પરંતુ થાય છે કે મારો દાવ મૂકી દઉં.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિમિત્ર શ્રી ભરત વિંઝુડાના વધુ એક ગઝલસંગ્રહ ‘નજીક જાવ તો’નું સહૃદય સ્વાગત છે…

કવિની સિગ્નેચર-સ્ટાઇલમાં જ લખાયેલ એક સરળ-સહજ પણ સ-રસ રચના આપ સહુ માટે…

Comments (6)

ચાડિયો – ભરત વિંઝુડા

૦૧.

ચાડિયાના
હાથમાં
બંદૂક રાખી નથી
કારણ કે
એને પંખી ઓળખતાં નથી.
પંખી માટે
ખેતરમાં
ચાડિયો જ કાફી છે.
કારણ કે
પંખી
માણસને ઓળખે છે
અને ચાડિયો
માણસ જેવો લાગે છે.

*

૦૨.

જે મૂર્તિ ન બની શક્યાં
તે બન્યાં
બાવલાં.
અને
જે બાવલાં ન બની શક્યાં
તે બની ગયા
ચાડિયા.

– ભરત વિંઝુડા

લયસ્તરો પર કવિના નૂતન કાવ્યસંગ્રહ ‘સ્ટ્રીટ લાઇટ’નું સહૃદય સ્વાગત…

સંગ્રહમાંથી ‘ચાડિયા’ કાવ્યગુચ્છમાંથી બે નાનકડા કાવ્ય આપ સહુને માટે…

Comments (4)

ગણવાના હતા – ભરત વિંઝુડા

બે અને બે ચાર કરવાના હતા,
દાખલા સાદા જ ગણવાના હતા.

નાવમાં જો મૂકી દીધા હોત તો,
પથ્થરો પાણીમાં તરવાના હતા.

પાણી છાંટી ઓલવી નાખ્યા તમે,
એ તિખારાઓય ઠરવાના હતા.

ઝાડ નીચે જઈ ઊભા નહીં તો અમે,
ઝાડની જેમ જ પલળવાના હતા.

બંધ પેટીમાં ન રાખ્યાં હોત તો,
આ હીરા મોતી ચમકવાનાં હતાં.

કાશ એવું પણ લખાયેલું મળે,
ભાગ્ય પોતાનું બદલવાના હતા.

– ભરત વિંઝુડા

કવિના નૂતન સંગ્રહ ‘મૌનમાં સમજાય એવું’નું લયસ્તરો પર સહૃદય સ્વાગત…

જિંદગીનો દાખલો તો સાદો જ હોય છે, આપણે જ ગણિતમાં ગરબડ કરી બેસીએ છીએ, ખરું ને?

Comments (3)

વિસ્તરી ન શકું – ભરત વિંઝુડા

યુગો સુધી હું તને ચાહતો રહી ન શકું
સૂરજની જેમ ઊગી આથમી ઊગી ન શકું

મરણરૂપે જ મુકાઈ ગઈ છે મર્યાદા
જીવનથી સહેજ વધારે હું વિસ્તરી ન શકું

તને મળું તે સમય પર્વ જેમ વીતે છે
પછી હું કોઈ તહેવા૨ ઊજવી ન શકું

પરિચિતોય બધાં પંખીઓ સમાં લાગે
હું નામજોગ કોઈનેય ઓળખી ન શકું

અલગ દિશામાં વળી જાય માર્ગ વચ્ચેથી
અને અહીંથી હું પાછો હવે ફરી ન શકું

– ભરત વિંઝુડા

સીધી ને સટ્ટ વાત ! મને જચી ગઈ !

Comments (3)

(વાત કરતા નથી) – ભરત વિંઝુડા

આપણે આપણી વાત કરતાં નથી,
એમ નહીં, ખાનગી વાત કરતાં નથી.

કેમ લાગી રહી છે અધૂરી મને?
કાં તમે પણ પૂરી વાત કરતા નથી!

એક સંવાદ ચાલ્યા કરે છે સતત,
કોઈ પણ આખરી વાત કરતા નથી.

હાથમાં હાથ મૂકીને બેઠાં રહે,
ને કલાકો સુધી વાત કરતા નથી.

એક આદિ અનાદિથી ચાલ્યા કરે,
એ જ છે, કંઈ નવી વાત કરતા નથી.

આપણે પણ હતા એમ શરૂઆતમાં,
જેમ બે અજનબી વાત કરતા નથી.

એકલી સાવ પોતાની હોતી નથી,
એટલે ખાનગી વાત કરતા નથી.

– ભરત વિંઝુડા

ભરતભાઈ સાવ સરળ શબ્દોમાં મર્માળી વાત કરવામાં માહેર છે. વાત નથી કરતા કહી કહીને કવિએ જે રીતે વાત મલાવી મલાવીને કહી છે એનો જવાબ જડે એમ નથી… એકવાર વાંચી લીધા પછી ધરવ નહીં જ થાય એટલે તુર્ત જ ફરી વાંચવાનું મન થાય એવી ગઝલ…

Comments (6)

ત્યાં આવું – ભરત વિંઝુડા

સાદ પાડી તને હું બોલાવું,
એટલી ક્યાંથી દૂરતા લાવું?

બેઉનું એક હોય સરનામું,
તું અહીં આવ કે હું ત્યાં આવું!

આ હથેળી ઉપરથી વાંચી દે,
કઈ દિશામાં હું હાથ લંબાવું?

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ,
માર્ગમાં એને કેમ અટકાવું?

તારી સમજણની હદમાં ઊભો છું,
હું તને શું નવીન સમજાવું?

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા ગઝલકારોની સહજ ભીડથી અલગ રહીને ગઝલ લખતા અને ગઝલપાઠ કરતા કવિ છે. એમની રચનાઓ બહુધા સરળ છેતરામણી હોય છે. એમની ગઝલો સ્કુબા ડાઇવિંગ કરતાં વધુ સ્નોરકેલિંગનો અનુભવ કરાવતી અનુભવાય પણ આ એવું સ્નોરકેલિંગ છે જેમાં મોતી હાથ લાગવાની સંભાવના સ્કુબા કરતાં વધુ રહેલી છે. સુરતના કવિમિત્ર ડૉ. હરીશ ઠક્કર કવિ શ્રી ભરત વિંઝુડાની અત્યાર સુધીના ગઝલોમાંથી વીણી વીણીને પસંદગીની ગઝલોનો રસથાળ –એક સુખ નીકળ્યું કવિતાનું– માં લઈને આવ્યા છે…. લયસ્તરોના આંગણે આ સંપાદનનું સહજ સ્વાગત છે.

 

Comments (3)

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

આ શાયરને સાંભળવા એ એક લ્હાવો છે…..એકદમ expressionless સપાટ ધીમા અવાજે વાંચન કરે અને આપણે કાન એકદમ સરવા રાખીને સાંભળીએ તો જ સંભળાય….સરળ ભાષા એમની લાક્ષણિકતા છે. ઘણીવાર એમની સરળતા છેતરામણી પણ હોય છે….ઉદાહરણ રૂપે બીજો શેર જુઓ !

Comments (7)

(જુદો છે) – ભરત વિંઝુડા

કાલ કરતાં વિચાર જુદો છે
આજ થોડોક પ્યાર જુદો છે

એ જ છે કે સિતાર જુદો છે
અથવા એમાં જ તાર જુદો છે

સામસામે ફૂલો જ ફેંકેલાં
પણ પછીનો પ્રહાર જુદો છે

હું જે સમજું છું તે અલગ છે ને
તું કહે એનો સાર જુદો છે

ચાહવું તે ન ચાહવા જેવું
પ્રેમનો આ પ્રકાર જુદો છે

લોહી નીકળે તો સૌને દેખાડું
પણ અહીં મૂઢમાર જુદો છે

મારે અડવું નથી જરાય તને
મારા મનમાં વિકાર જુદો છે

– ભરત વિંઝુડા

સાવ સહજ સરળ ભાષા પણ એક-એક શેર પાણીદાર… ધીમેધીમે ખોલવા જેવા… વાહ કવિ!

Comments (10)

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

Comments (5)

થયો જ નહીં – ભરત વિંઝુડા

image

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !

બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !

એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !

કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !

માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !

ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !

સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !

– ભરત વિંઝુડા

લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…

Comments (17)

ગઝલ – ભરત વિંઝુડા

ખાલીપામાં ખાલીપો પૂરાય છે
આપણે મળીએ તો એવું થાય છે !

આ ક્ષણે થોડું ઘણું સમજાય છે
જાય તે શું કામ અહીંથી જાય છે ?

ચીજ વસ્તુઓ ઘણી ખોવાય છે
ને ફકત તારા સ્મરણ સચવાય છે !

જાઉં તો એ ત્યાં જ પોતાના સ્થળે
છે અને અહીંયાથી ન નીકળાય છે !

તારી પાસે આવી ઊભો રહું અને
ઘર ગઝલનું ત્યાથી બસ દેખાય છે !

– ભરત વિંઝુડા

બધા જ શેર સરસ પણ રહી પડવાનું મન થઈ આવે એવું ગઝલનું ઘર જરા વધુ ગમી ગયું.

Comments (6)

વધારે છે – ભરત વિંઝુડા

આગ નહીં, આગથી વધારે છે,
તું રતિરાગથી વધારે છે !

એટલે કે તું એક વન આખું,
યાને કે બાગથી વધારે છે !

તેં ઉપર ચિત્ર એવું દોર્યું જે,
ભીતરી દાગથી વધારે છે !

તું મને છોડી દે છે એ ઘટના,
કોઈ પણ ત્યાગથી વધારે છે !

પૂછ સંસાર છોડનારાને
શું અનુરાગથી વધારે છે !

– ભરત વિંઝુડા

રદીફ “વધારે” પર જેટલું વધારે ધ્યાન આપીએ એટલી વધારે મજા આવે એવી ગઝલ…

ભરત વિંઝુડા એમના છઠ્ઠા ગઝલસંગ્રહ “લાલ લીલી જાંબલી” સાથે ગુજરાતી ગઝલરસિકો સામે ઉપસ્થિત થયા છે એ પ્રસંગે એમનું સહૃદય સ્વાગત…

Comments (5)

મર્યાં – ભરત વિંઝુડા

આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં

બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં

એના બાહુપાશમાંથી ના છૂટ્યા
પ્રેમમાં કેવા ફસાઈને મર્યાં

ક્યાંક વાદળમાંથી વરસે છે ફરી
જળ જે અહીંયાથી સુકાઈને મર્યાં

કોઈ ખાલી પેટે જીવતું હોય છે
ને અમે તો બહુ ધરાઈને મર્યાં

ઝાંઝવા પાછળ તમે દોડ્યા કર્યા
ને અમે એમાં તણાઈને મર્યાં

– ભરત વિંઝુડા

આમ તો આ ગઝલ વાત કરે છે મરવાની પણ છે વાંચતા જ જીવી જવાનું મન થાય એવી…

સૂર્યના તાપથી બાષ્પીભૂત થઈ વાદળમાં ઘનીભૂત થઈ ક્યાંક બીજી જ જગ્યા પર જઈ વરસી પડતા જળનું કલ્પન એવું તો ગમી ગયું કે હું આગળ જ વધી શકતો નથી….

Comments (14)

ગઝલ – ભરત વિંઝુડા

લાજ રાખજે હે પરમેશ્વર
મારું ઘર પણ છે તારું ઘર !

લાગે જે સૌનાથી સુંદર
એ સુંદરતા પણ હો ભીતર !

મારી સામે બેસ ઘડીભર
બાજુમાં મૂકીને જીવતર !

ચારે બાજુ હોય ફકત તું
ધરતી ફરતે જેમ સમંદર !

હું જ નથી રહેવાનો ત્યારે
હોય કહેવાનું શું આખર !

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડા સરળ બાનીમાં ચોટદાર વાત કહી શકનાર જૂજ ગઝલકારોમાંના એક છે.. ટૂંકી બહેરની ગઝલના બધા જ શેર સરળ, સહજ અને ચોટદાર !

Comments (7)

…સાધના જ રહી – ભરત વિંઝુડા

તમે ગયાં તે પછી શબ્દ સાધના જ રહી
વિયોગ-યોગની કેવળ વિભાવના જ રહી

હતી ખુશીઓ, હવે એની કામના જ રહી
રહી રહીને વધારામાં વેદના જ રહી

છબી દીવાલ ઉપર મૂકવા સિવાય નથી
કશુંય ઘરમાં ને એથી ઉપાસના જ રહી

નથી ઉતારી શક્યો ચાંદને હું ધરતી પર
મેં કલ્પના જ કરેલી તે કલ્પના જ રહી

રૂંવે રૂંવે જે પીડા થઈ રહી છે તેનું શું
રહ્યું શરીર અને એમાં ચેતના જ રહી.

– ભરત વિંઝુડા

આખી ગઝલના ઉઠાવની ખરી ચાવી રદીફમાં આવતો “જ” જ છે…નહીં ?

એક પંક્તિ બીજી પંક્તિમાં દડે એ પ્રક્રિયા સોનેટમાં સામાન્યતઃ જોવા મળે છે. અંગ્રેજીમાં એને enjambment કહે છે… પ્રસ્તુત ગઝલના ત્રીજા શેરમાં જરા વિપરિત પ્રક્રિયા જોવા મળે છે.  બીજી પંક્તિનો ‘નથી’ પહેલી પંક્તિના અંતે આવ્યો છે. આને reverse-enjambment ગણી શકાય?

Comments (5)

અંગો કવિતાનાં – ભરત વિંઝુડા

કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.

એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.

સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.

એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.

હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !

– ભરત વિંઝુડા

આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે  – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.

હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.

ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.

Comments (10)

લઈ લઉં છું – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું

– ભરત વિંઝુડા

Comments (10)

ઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

Comments (7)

આપો – ભરત વિંઝુડા

લાગણીઓનું પ્રગટવું આપો,
માત્ર દિલનું જ ધડકવું આપો.

ભીંત માફક જે ઊભા છે એને
દ્વારની જેમ ઊધડવું આપો.

હસ્તરેખાની નદી વહી આવે
હાથનું એમ અડકવું આપો

દ્રષ્ય આપ્યું જો ગમે નહીં તેવું,
તો કણાનુંય ખટકવું આપો.

આંસુનો અર્થ અહીં પાણી છે,
આંખને લોહી નીકળવું આપો.

– ભરત વિંઝુડા

એક હાથાના અડકવાથી હસ્તરેખાઓ બદલાઈ જાય અને ભીંતોમાં દ્વાર થઈ જાય. આપણે બધાએ એ અનુભવેલુ છે… કવિને એની જ શોધ છે.

Comments (8)

ગઝલ – ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

પાંચેપાંચ શેર આસ્વાદ્ય… સરવાળે ‘ખરી’ ગઝલ !

 

Comments (8)

ગઝલ – ભરત વિંઝુડા

તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું

તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું

સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું

વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું

કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !

– ભરત વિંઝુડા

વેપારમાં પ્રેમ ભળે ત્યારે એ વહેવાર થઈ જાય છે અને એ પણ કેવો? સામો પક્ષ ગણતરી કરી કરીને એવું માનતો હોય કે હું પામું છું પણ હકીકતે તો આપનાર જ પામતો હોય છે અને એ પણ બેહિસાબ !

Comments (6)

ગઝલ – ભરત વિંઝુડા

પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !

એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !

ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !

એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !

એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

– ભરત વિંઝુડા

પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…

Comments (19)

મળ્યાં – ભરત વિંઝુડા

જુદી જુદી કંઈક બાબતમાં મળ્યાં
લોક એની એ જ હાલતમાં મળ્યાં

માણસોનાં ટોળાં ને ટોળાં અહીં
એક માણસની જરૂરતમાં મળ્યાં

જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં

એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં

મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં

– ભરત વિંઝુડા

નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને. ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે. લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે ધવલે એમની પ્રસ્તુત ગઝલનું જૂનું -મૂળભૂત વર્ઝન મૂક્યું હતું. કવિના ધ્યાનમાં એ આવી ગયું એટલે એમણે મત્લાના શેર તરફ મારું ધ્યાન દોર્યું. એ ગઝલ ધવલે અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી લીધી હતી જેમાં મત્લામાં ‘અળગી અળગી’ જેવો શબ્દ વપરાયો હતો. એ જમાનામાં અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કવિએ ભરત વિંઝુડાએ પ્રયોજેલા ‘જુદા જુદા’ની જગ્યાએ શબ્દની ફેરબદલ કરી હતી અને કવિએ મૌન સેવ્યું હતું. કવિએ મને અળગી અળગીના સ્થાને જુદી જુદી કરવાનું કહ્યું ત્યાં તો મારું ધ્યાન ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’  સંગ્રહના 49મા પાને બિરાજમાન આખી ગઝલ પર પડ્યું. અહો ! અહીં તો મત્લા ઉપરાંતના એક શેરને બાદ કરતાં આખી ગઝલ જ અલગ છે… કવિએ કહ્યું, “વાત સાચી છે. ગઝલ આખી જ બદલાઈ ગઈ પણ આજે મને લાગે છે કે જૂની ગઝલના શેર વધુ સશક્ત હતા… એને કેમ કરીને મેં પડતાં મૂક્યા એ મનેય સમજાતું નથી પણ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિમાં આ જૂના શેર જરૂરથી સમાવી લઈશ…”

આ ગઝલની લગોલગ જૂની ગઝલ માણવાનું ન ચૂકાય..

Comments (8)

…ચાલ્યા જશે -ભરત વિંઝુડા

આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે

એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે

તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે

ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે

ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે

-ભરત વિંઝુડા

ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ.  એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…

Comments (16)

એની સોબતમાં – ભરત વિંઝુડા

લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.

ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.

રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.

માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.

અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.

– ભરત વિંઝુડા

આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.

Comments (19)

…સમેટી લઉં – ભરત વિંઝુડા

થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?

ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !

તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં

વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?

હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?

– ભરત વિંઝુડા

સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…

Comments (22)

એમ પણ નથી – ભરત વિઝુંડા

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.

તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

– ભરત વિઝુંડા

દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.

Comments (18)

(થૂકદાની નથી) – ભરત વિંઝુડા

ના ગમે તો વાત સાંભળવી નથી
કાન એ કોઈની થૂકદાની નથી

અણગમો આવે તો તોડી નાખીએ
શબ્દ કંઈ જાત ઈન્સાની નથી

બસ નથી ગમતું અને પીતો નથી
આ કોઈ મારી મુસલમાની નથી

પેટ ફૂટે તોય ના ભાગી છૂટે
એટલો આ જીવ અજ્ઞાની નથી

સ્પર્શની એકેય નિશાની નથી
આ ત્વચામાં એવી નાદાની નથી

– ભરત વિંઝુડા

થોડા દિવસ પહેલા જયશ્રીએ પહેલો શેર યાદ કરાવ્યો અને આ ગઝલ આખી યાદ આવીને ઊભી રહી. લોકો કારણ વિના જે બોલ્યા કરે એ આપણે કારણ વિના સાંભળ્યા કરવાની કોઈ જરૂર નથી.  બાકીના શેર પણ એકથી એક વધારે અલગારી થયા છે.  છેલ્લા શેરમાં કવિ જતા જતા એક વ્યંગનો ચાબખો મારતા જાય છે. પણ એનો કોઈ સોળ આપણી ચામડી પર દેખાવાની શક્યતા નથી… આપણી ચામડીમાં પણ એવી નાદાની ક્યાં છે ?

Comments (14)

પંખીઓ જેવી તરજ – ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની કલમ આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી રહી. નવી પેઢીના શાયરોમાં નોખો ચીલો ચાતરવામાં એ સફળ રહ્યા છે. સાવ સરળ ભાસતા એમના ઘણા બધા શેર જો સ્હેજ અટકીને ફરીથી વાંચીએ તો આશ્ચર્યનો ગોદો વાગે એ રીતે આપણને વિચારતા કરી દે છે. કળી જે મસૃણતાથી ધીમે-ધીમે ખૂલે છે એ જ કળા જાણે કે એમના શબ્દોને હસ્તગત છે. થોડી ધીરજ રાખીએ તો ભરત વિંઝુડાની ગઝલોનું આકાશ આપણને રસતરબોળ કરી દે એ રીતે ધોધમાર વરસે છે. “પંખીઓ જેવી તરજ” ગઝલ સંગ્રહ વાંચતા મનને ગમી ગયેલી પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. (જન્મ: 22-07-1956, અન્ય ગઝલ સંગ્રહ: “સહેજ અજવાળું થયું”)

ભેદ બ્રહ્માંડના તે જાણે છે
સૌ ઉપર આસમાન હાજર છે.

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

તું જગાડીને કરે છે પાપ કાં
ઊંઘ પૂરી થઈ જશે ને જાગશે.

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા

માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે

મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

હું માણી રહ્યો હોઉં મિલનની જ મજા ત્યાં
તે હાથ લઈ હાથમાં તકદીર બતાવે

જે અન્યને કહું તે કહી ના શકું તને
તારી ને મારી વચ્ચે હજી કોઈ છળ નથી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !

પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
વધુ આગળ વાંચો…

Comments (3)

ગઝલ -ભરત વિંઝુડા

હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ

જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

-ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !

Comments (6)

છે, હતાં ને રહેવાનાં – ભરત વિંઝુડા

એકલાં છે, હતાં ને રહેવાનાં,
સૌ જુદાં છે, હતાં ને રહેવાનાં.

આપણા વર્તમાન ઉપર કંઈ
પાંદડાં છે, હતાં ને રહેવાનાં.

એકસરખાં જ મન અને તનથી
આગવાં છે, હતાં ને રહેવાનાં.

જળ નહોતાં, નથી, ન હોવાનાં
બુદબુદા છે, હતાં ને રહેવાનાં.

જે અહીંયા મને ગમે છે તે
ત્યાં ઊભાં છે, હતાં ને રહેવાનાં.

હું નહીં હોઉં એ જ નક્કી છે,
આ બધાં છે, હતાં ને રહેવાનાં.

ભરત વિંઝુડા

મનભરીને માણવા જેવી ગઝલ…. વધુ તો શું કહું?   હું નહીં હોઉં એ જ નક્કી છે, આ બધાં છે, હતાં ને રહેવાનાં. આજ કવિની એક બીજી ગઝલ અહીં વાંચી શકશો.

Comments (3)

તે ગૌણ બાબત છે -ભરત વિંઝુડા

સતત   ઘડિયાળના  કાંટા  ફર્યા તે  ગૌણ  બાબત છે
પળોના    મુડદાં  ટપટપ  ખર્યા તે  ગૌણ  બાબત છે

છે   બાબત  બંધ   મુઠ્ઠીથી   ટપકતાં    ઝાંઝવાઓની
હથેળીમાં   કંઈ   રણ   વિસ્તર્યા   તે  ગૌણ બાબત છે

ઝીલી લે છે કે નહીં વાતાવરણ પડઘા અવાજોના
ખીણો   કંપી,   પહાડો   થરથર્યા તે   ગૌણ  બાબત છે

તમે  ક્યા  કારણોસર  સાંભર્યા  તે   મુખ્ય  બાબત છે
અચાનક-અણઅચાનક   સાંભર્યા તે ગૌણ બાબત છે

ખરેખર   મોરમાં   આશ્ચર્ય   જેવું   હોય  તો    -ટહુકો,
ને    એના   કેટલાં   પીછાં   ખર્યાં  તે ગૌણ બાબત છે.

-ભરત વિંઝુડા

Comments (8)