એકધારો સો વરસ ગાતો રહ્યો, જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી, લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

કોને કહું? – નિરંજન ભગત

કોને કહું? છું એકલો!
રૂપની રંગત બધી જોઈ રહું છું એકલો!

લાલી ઉષાના ઉરથી
.           ઊઘડે અને લાજી રહે,
સંધ્યા તણા સિંદૂરથી
.           હું આંખડી આંજી રહું;
સ્નેહની આ સ્વપ્નલીલા હું લહું છું એકલો!

રુદ્રનું લેાચન દહે
.           કયારેક તો મધ્યાહ્નમાં,
મુગ્ધ મારુ મન રહે
.           ત્યારે રતિના ગાનમાં;
આભ જેવા આભનો રે ભાર વહું છું એકલો!
કોને કહું છું એકલો?

– નિરંજન ભગત
(૧૯૫૦)

સરસ મજાનું ગીત

Comments

ખમ્મા! વીરાને – ન્હાનાલાલ

ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ :
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ :
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ :
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો આનન્દ મારા ઉરને રે લોલ :
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ.

– ન્હાનાલાલ કવિ

દુનિયાની દરેક ભાષામાં એક તરફ સરળતમ કવિતાઓ છે, જે સદીઓથી લોકમુખે જીવતી આવી છે અને બીજી તરફ અત્યંત કઠીન રચનાઓ છે, જે સામાન્ય જનમાનસની સમજણની પરે હોય છે… બાકીની કવિતાઓ આ બે અંતિમો વચ્ચે ક્યાંક ને ક્યાંક સ્થાન મેળવે છે. ન્હાનાલાલની આ રચના પણ બાળગીત જેવી સરળતા અને સાહજિકતાના કારણે દાયકાઓથી લોકજીભે રમતી આવી છે. અંગ્રેજી ભાષાનું ધાવણ પીને મોટી થયેલી આજની પેઢીએ કદાચ આ ગીત એમની મમ્મી કે મોટી બહેનના મોઢે સાંભળ્યું પણ નહીં હોય અને/અથવા શાળેય અભ્યાસક્રમમાં ભણવાનું પણ નહીં આવ્યું હોય… પણ આ ગીત આપણી અમર વિરાસતનું એક બહુમૂલ્ય મોતી છે, જેને રજૂ કરવા માટે આજના દિવસથી વધુ ઉપયુક્ત દિવસ અવર કયો હોઈ શકે, કહો તો?

Comments (8)

હવે – હરિકૃષ્ણ પાઠક

હવે અમારે શું ગમતું-અણગમતું?
ભાવ-શૂન્ય આ ભવસાગરમાં નાવ ભલે ને રમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

સઢના દોર કહીં નહિ બાંધ્યા,
.               નહીં હલેસાં હાથે;
કાળ-પ્રવાહે વહ્યે જવું-બસ
.               અંધ સમયની સાથે.
ક્ષિતિજ વિષે ધ્રુવ તારક હો કે આભ શૂન્યતા ઝમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

રટણા નહિ મઝધાર તણી
.               નહિ પાર જવાની લગની
જેવી શીત સપાટી-
.               એવો વડવાનલનો અગની.
અમે પંડથી અળગા : આ બ્રહ્માંડ ભલે ને ભમતું!
હવે અમારે શું ગમતું-અણગમતું?

– હરિકૃષ્ણ પાઠક

કેવું સુંદર ગીત! જીવનમાં બધી ધમાલ જ ભાવની છે… ભાવશૂન્યતા… અભાવ નહીં,હં! બેમાં બહુ મોટો ફરક છે… એકવાર ભાવશૂન્યતાની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, પછી શું ગમતું ને શું અણગમતું? આખી રચના એટલી મજબૂત અને મજાની થઈ છે કે એના વિશે કંઈ પણ બોલવું એટલે કવિરચિત સંઘેડાઉતાર ભાવવિશ્વમાં ખલેલ પહોંચાડવી…

Comments (13)

ઊડી જાઓ, પંખી – દુલા ભાયા કાગ

ઊડી જાઓ પંખી! પાંખુંવાળા…જી,
વડલો કહે છે, વનરાયું સળગી, મૂકી દિયો જૂના માળા.

આભે અડિયાં સેન અગનનાં, ધખિયાં આ દશ ઢાળાં જી,
આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા.
બોલ તમારા હૈયામાં બેઠા, રૂડાને રસવાળા જી;
કોક દી આવી ટૌકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા…

આશરે તારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળાં જી,
મરવા વખતે સાથ છોડી દે, એ મોઢાં મશવાળા.
ભેળાં મરશું, ભેળાં જન્મશું, તારે માથે કરશું માળા જી;
‘કાગ’ કે આપણે ભેળાં બળશું, ભેળાં ભરશું ઉચાળા…

– દુલા ભાયા કાગ

[વનમાં આગ લાગી છે. એક વડલા પર પોપટ—પોપટીનું જોડલું ઘણાં વર્ષોથી વસતું. તેને વડલો કહે છે: “હે પક્ષીઓ! તમે ઊડી જાઓ, કારણ કે જંગલમાં લાગેલો દાવાનળ મને હમણાં બાળી મૂકશે. મારે તો પાંખો નથી, માટે બળી જઈશ. પણ તમે તમારા પ્રાણ બચાવો. હે પક્ષીઓ, ઘણાં વર્ષો સુધી તમારાં સુંદર ગાયનો સાંભળ્યાં, તે હૈયામાં વસી ગયેલ છે, જેથી અહીં મારી રાખ પર આવી કદીક એકાદ ટૌકો કરી જજો.” ત્યારે બંને પક્ષી બોલે છેઃ “હે વડરાજ! તારા આશરે અમે ઘણાં વર્ષો આનંદથી રહ્યાં, તારાં મીઠાં ફળો ખાધાં અને આજે મરણ વખતે અમે તારો સાથ છોડી દઈએ તો તો અમારાં મોઢાં કાળાં થાય. હવે તો આપણે સાથે જ મરશું, સાથે જ ફરી જન્મશું અને તારે માથે, તું મોટો થઈશ ત્યારે, અમે માળો બાંધશું.” આ તો લોકકલ્પનાની જૂની વાત છે. એનો એક દુહો છે કેઃ

‘પત્ર બિગાડે ફળ ડસે, બેઠે શીતળ છાંય;
તુમ જલો અમે ઊડીએ, જીવન કા ફલ નાંય.”] (સાભાર: ‘કાગવાણી’માંથી)

કાગની રચના વિશે શ્રી સુરેન ઠાકર ‘મેહુલ’ શું કહે છે તે પણ સાથે જ જોઈએ:
‘કવિ કાગના કાવ્યો છપાયાં પહેલાં જ પાંખો આવી જાય છે. પુસ્તકાકારે પ્રસિદ્ધ થતાં પહેલાં તો એ કાવ્યો પ્રજાની જીભે ચડી જાય છે અને દૂર-સુદૂરનાં ગામડાંમાં ગુંજવા લાગે છે.’

Comments (8)

(ગીતાજ્ઞાન છું) – હિમાદ્રિ આચાર્ય દવે

સંશયાત્મા ચિત્તના સંશયનું ઉદ્ગમસ્થાન છું,
સ્થિતપ્રજ્ઞોની સ્થિતિનું હું મહાપ્રસ્થાન છું.

વ્યોમ, ગ્રહ, નક્ષત્ર, તારક દિવ્ય અંશુમાન છું,
હું જ બ્રહ્માંડીય ઉર્જાનું ભીનું અવધાન છું.

હું અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ પણ,
દિવ્યસત્તા શ્લોકની, ઋષિઓનું શ્રુતિગાન છું.

હું સમષ્ટિનાં સકળ તત્વો તણો આધાર, હા!
વ્યાપ્ત છું કણ-કણ મહીં ને તોય અંતર્ધ્યાન છું.

પ્રાણમાં ને પ્રકૃતિમાં, પાપમાં ને પુણ્યમાં,
રજ, તમસ ને સત્વનું રસમય મહાનુષ્ઠાન છું.

પ્રેયનો હું છું પથિક ને શંખ છું હું શ્રેયનો,
સવ્યસાચી, હે! સમરવેળાનું હું વીરગ઼ાન છું.

હું જ હર ને હું હરિ, બ્રહ્મા વળી અપરાપરા,
વૈખરી હું, વાગીશા, પ્રથમા ને હું શ્રીમાન છું.

જ્ઞાનનિષ્ઠા, ધર્મનિષ્ઠા પ્રેમનિષ્ઠા, પાર્થ હે!
કર્મનિષ્ઠા હું જ છું, હું યોગનું વિજ્ઞાન છું.

વિશ્વપટલે હું રચું છું મોહ -માયાજાળ ને,
અંતિમે હું તો અનાસક્તિનું જયજયગાન છું.

કાળ છું હું, જન્મ-મૃત્યુની વિજન ઘટમાળમાં,
હું જ યાત્રા, હું જ યાત્રી, હું જ યાત્રાસ્થાન છું.

બ્રહ્મ છું! સાંભળ, બધા સંશય મૂકી, લઈ લે શરણ,
ને વળી કહું છું, યથેચ્છા કરજે – ગીતાજ્ઞાન છું.

– હિમાદ્રિ આચાર્ય દવે

કવયિત્રીના શબ્દવિશ્વ સાથે આ મારો પ્રથમ પરિચય પણ ગઝલના વિષયે પહેલી નજરે કુતૂહલ જન્માવ્યું. ગઝલમાં ગીતાજ્ઞાન? અગિયાર શેરની ગઝલ પણ વાંચતાવેંત દિલને સ્પર્શી ગઈ. ગીતાના અલગ-અલગ અધ્યાયોના અલગ-અલગ સાર સર્જકે બહુ સરસ રીતે ગઝલમાં વણી લીધા છે. કાફિયાની પસંદગી તો કાબિલ-એ-દાદ છે જ, અરવની શૂન્યતા, આહત-અનાહત નાદ, સમરવેળા, અપરાપરા, વાગીશા જેવા શબ્દોની પસંદગી પણ સર્જકની સપૂરતી સજ્જતાના દ્યોતક છે. લગભગબધા જ શેર ધ્યાનાર્હ થયા છે…

લયસ્તરો પર આ નવ્યસર્જકનું સ્વાગત છે..

Comments (22)

(ઘમ્મરવલોણાનું ઘમ્મ) – નયન હ દેસાઈ

એકાંત કેટલું સરસ છલકાતું છમ્મ જો!
ટોળે મળીને ગાય છે તમરાંઓ તમ્મ જો!

બાળકને પાટીપેનની સાથે જો જોઉં છું,
વાગે છે મારી પીઠ પર સોટીઓ ચમ્મ જો.

આવીને કોણ સ્વપ્નમાં બીવડાવી જાય છે?
ઊંડા કૂવામાં સાંભળું મધરાતે ભમ્મ જો!

માની લીધું કે પ્રેમની ભાષા છે મોન –પણ
આવું તે હોય ટૂંકમાં કહી દો છો હમ્મ જો?

શોધે નયન કાં હૉર્નની ચીસોમાં બાળપણ,
સૂરતમાં ક્યાંથી ઘમ્મરવલોણાનું ઘમ્મ જો!

– નયન હ દેસાઈ

વધુ એક ‘નયન’ બ્રાન્ડ ગઝલ. આવા કાફિયા અને આવી બાની કેવળ નયન દેસાઈની કલમથી જ અવતરી સકે. કવિએ જે જમાનામાં ઇન્ટરનેટ નહોતું અને વૉટ્સએપ-ઇન્સ્ટા તો સ્વપ્નમાંય આવતા નહોતા એ જમાનામાં આજના જમાનાની પ્રેમની ભાષાવાળો શેર લખ્યો છે. કવિને આર્ષદૃષ્ટા કહેવામાં આવે છે. આ કવિને ખ્યાલ આવી ગયો હશે કે આવતી કાલની પેઢી એમનું અડધોઅડધ કામ હમ્મ– hmm -થી ચલાવવાની છે?

(કેટલાક છંદ-દોષ અવગણી શકાયા હોત, પણ નયનભાઈ કોઈક અલગ જ દુનિયામાંથી આવ્યા હતા…)

Comments (15)

વીણેલાં મોતી – વિનોદ ઓઝા

કેવો બન્યો બનાવ, કશું જાણતો નથી,
કોણે કર્યો છે ઘાવ, કશું જાણતો નથી.

આકાર શોધીએ કે નિરાકાર શોધીએ,
શબ્દો મહીંથી કોઈ મદદગાર શોધીએ.

શાંત જળમાં કેમ આ ઊઠ્યાં વમળ?
કોણ ફેંકે છે નજર આ જળ તરફ?

એક, કેવળ એક પળની શોધમાં,
મીટ માંડી છે સતત હર પળ તરફ.

ડાળ પરથી પાંદડું નીચે ખર્યું હશે,
એ ક્ષણે એ ડાળને શું શું થયું હશે?

હાથમાં લીધાં કલમ કાગળ હવે,
જોઈએ શું થાય છે આગળ હવે.

આ હવામાં જેટલાં રજકણ હતાં,
શબ્દને પણ એટલાં કારણ હતાં.

આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી.

જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?

જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.

એમ નહીં ભૂલી શકો સહેલાઈથી,
આ ગઝલ છે, આજનું છાપું નથી.

તું હવે વરસી પડે તો માનશું,
ખૂબ સાંભળ્યું છે તારું ગાજવું.

જિંદગીની એ જ છે સાચી મજા,
સ્મિતનું આંસુની સાથે આવવું.

– વિનોદ ઓઝા

લયસ્તરો પર આજે એક ‘તાઝા કલમ’ અને ‘તાઝા કલામ’ને સસ્નેહ આવકારીએ… કવિ વિનોદ ઓઝાના ગઝલ સંગ્રહ ‘કશું જાણતો નથી’માંથી પસંદગીના કેટલાક શેર મમળાવીએ….

Comments (15)

બાજત શબદ મૃદંગા – રાહુલ તુરી

બાજત શબદ મૃદંગા,
સુર તાલ લય વિલય થતાં જ્યાં સત્ત ખડા સરભંગા.

હાલ ચાલ સબ ખાલ ભાલ પર અજબ તેજ અંબાર,
અલખ ખલક સબ ફલક ઉપર આ નિરખત નૈન અપાર.
અટલ અવિચળ નાદ અનાહદ અનહદ હે આનંદા…

રવ અરવ સબ હોત ગરક જ્યાં થતા નહીં થડકારા,
રોમ વ્યોમ અરુ ભોમ હોમ ત્યાં સકળ શુન્ન સંસારા.
અકળ અગોચર એક અડિખમ અચરજ ભરા અભંગા…

– રાહુલ તુરી

મિશ્ર બોલીમાં રચાયેલ આ ગીત એના શ્રુતિસૌંદર્યને કારણે વાંચતા, સોરી, ગણગણતાવેંત આકર્ષી લે છે. પ્રવાહી લયોપરાંત પંક્તિએ-પંક્તિએ આંતર્પ્રાસાવલિ અને વર્ણસગાઈના રણકારના કારણે એક વાચ્યચિત્ર આંખો સમક્ષ ખડું થાય છે.

હું આધ્યાત્મમાર્ગનો અભ્યાસી નથી એટલે કાવ્યમાં રજૂ થયેલ આધ્યાત્મ-ફિલસફીની ગુણવત્તા વિશે કશું કહી શકવાને સમર્થ નથી, પણ જે વાચ્યાર્થ મને સમજાયો છે તે આ મુજબ છે: શબ્દને આપણે ત્યાં બ્રહ્મ ગણવામાં આવ્યો છે. એથી જ શબ્દનું મૃદંગ વાગતાવેંત સુરતાલ અને લય બધાનો વિલય થઈ જાય છે. માણસનાં હાલચાલ અને કાયા ઉપર અજબ તેજનો અંબાર છવાઈ જાય છે. ત્રિલોકને તાગી શકે એવી અપાર દિવ્ય દૃષ્ટિ સાંપડે છે. અટલ, અવિચળ અનાહતનાદ ગૂંજતા અનહદ આનંદાનુભૂતિમાં માનવમન સરી પડે છે. અવાજ અને મૌન –બંને નાશ પામે, હૃદયના થડકારા પણ સ્થિર થઈ જાય એવી સમાધિની અવસ્થામાં અસ્તિત્વના રૂંવેરૂંવા આકાશ બની રહે અને ધરતી યજ્ઞ બની રહે છે. સંસાર શૂન્ય બની રહે છે. જે પરાપૂર્વથી અકળ અને અગોચર રહ્યો છે એવા અડીખમ અચરજ સમા ઈશ્વરના સાક્ષાત્કારની આ ક્ષણે શબ્દના મૃદંગ અને અનહદ આનંદ સિવાય કશું જ બચતું નથી.

(સરભંગા=સર્વાંગી; બધામાં મળી જાય તેવું; ખલક=દુનિયા; ફલક=આકાશ, સ્વર્ગ; અરુ=અને)

Comments (14)

(માનપાન છોડીને) – ગૌરાંગ ઠાકર

આવું હું માનપાન છોડીને,
ક્યાંથી આવું સ્વમાન છોડીને?

ખંડખંડે જુદા જીવન જોઈ;
ઘર ગયું છે મકાન છોડીને.

ફૂલ બેબસ હતાં તો બેસી રહ્યાં,
ખુશબૂ ગઈ ફૂલદાન છોડીને.

રાધા વરદાન માંગવા કહે છે,
એમ પણ કહે છે, ક્હાન છોડીને.

તું કરે એ જ ઠીક થાય છે તો
ચાલ, બેસું સુકાન છોડીને.

મેરુ છું, મણકામાં મળું તને, પણ
એકસો આઠ સ્થાન છોડીને.

– ગૌરાંગ ઠાકર

લયસ્તરો પર આજે સત્કારીએ કવિશ્રીના નૂતન ગઝલસંગ્રહ ‘તમને ગઝલ તો કહેવી છે’ને!

મત્લામાં માનપાન અને સ્વમાન વચ્ચેનો બારીક તફાવત જોયો? આમા તો માનપાનમાં પણ માન આવી જજાય છે, પણ કવિ જ્યારે બેને અલગ તારવી બતાવે છે, ત્યારે આપણી સમજણના ઓરડામાં સૂક્ષ્મ ચમકારો થાય છે. માનપાન એ કેવળ દેખાડાના દાંત છે. ઘર મકાન છોડીને ચાલ્યું ગયું હોવાની વ્યંગોક્તિ અને રાધાની વરદાન આપવાની અનૂઠી પદ્ધતિ ઉપર તો સમરકંદો બુખારા ઓવારી દેવાનું મન થાય. ઈશ્વરને પડકાર ફેંકતો સુકાન છોડી બેસી જવાની વાત કરતો શેર પણ હૃદયસ્પર્શી થયો છે.

Comments (18)

પત્રમાં – જિતેન્દ્ર પ્રજાપતિ

ચોખવટ ક્યાં કઈ કરી’તી પત્રમાં,
એમણે બસ ‘ના’ લખી’તી પત્રમાં.

ભૂતકાળ આખોય ભીનો થઈ ગયો,
આહ થોડીક નીતરી’તી પત્રમાં.

એક અક્ષરમાં સમાવીને જગત,
ભીંત જાણે કે ચણી’તી પત્રમાં,

પત્ર ખોલ્યા બાદ આંખો કેદ થઈ,
બેડીઓ જાણે જડી’તી પત્રમાં.

હોશમાં આવ્યો નથી વાંચ્યા પછી,
ગમખ્વાર ઘટના ઘટી’તી પત્રમાં.

– જિતેન્દ્ર પ્રજાપતિ

લયસ્તરો પર આજે કવિશ્રીના ગઝલસંગ્રહ ‘સાદના દીવા’નું અજવાળું આવકારીએ…

મજાની મુસલસલ રચના… પત્રોનો એક જમાનો હતો, એક દબદબો હતો… સદીઓના એકહથ્થુ શાસન બાદ એનું સ્થાન ઇમેલે લઈ લીધું. પણ ત્રણેક દાયકામાં તો ઇમેલનું સ્થાન પણ હતું ન હતું થઈ ગયું. પણ મારા સહિતના અનેક ભાવકોની ઘણી બધી જિંદગી પત્રોના સધિયારે વીતી છે. એવા મિત્રો માટેની આ ગઝલ. છેલ્લા શેરની છેલ્લી પંક્તિના છંદદોષને બાદ કરતાં આખી ગઝલ કેવી સ-રસ થઈ છે!

Comments (14)

સૂરજમુખી – ચંદ્રકાન્ત શાહ

ત્રણ ને દસની સ્ટૅમ્પ લગાડી પોસ્ટ કરું છું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

ત્રણ ને દસમાં આવે આખો ગ્રંથ
ઘણા ફોટાઓ બ્લૅક ઍન્ડ વ્હાઇટ
શું બૉક્સમાં તાજી-માજી કુકીઝ
આવે પાર્સલ પિન્ક રિબન બાંધેલું ટાઇટમ્ ટાઇટ

બીજી થોડી વધુ સ્ટૅમ્પ ચોંટાડી, આ લે, હું આવું છું—

સૂરજમુખી થઈ કાગળમાં આવે ક્યારેક
સહિયારો સોનેરી કૂણો સમય સાવ અકબંધ
કોકો શનેલ જેવી આવે
તું આવ્યાની કાચી પાકી સુગંધ

કાગળ લખવા જેટલું અંતર કાપી, ત્રણ ને દસની કોફી પીશું
સ્ટૅમ્પ જોઈને ધાર, હશે આ કાગળમાં શું?

– ચંદ્રકાન્ત શાહ

એક જમાનો હતો જ્યારે આપણે પત્ર લખતા હતા કોઈનો પત્ર આવશે એ આશામાં રોજ ટપાલીની કાગડોળે રાહ પણ જોતા હતા. પણ આજે આપણી વચ્ચે એક એવી પેઢી શ્વાસ લઈ રહી છે, જેણે જીવનમાં એકેય ટપાલ લખી જ ન હોય. ચંદુના હુલામણા નામથી જાણીતા ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ રુઢ કાવ્યધારાથી સદૈવ ઉફરા ચાલ્યા છે. પ્રસ્તુત ગીત એનો એક દાખલો છે. ત્રણ ને દસની ટિકિટ ચોડીને કવિએ પત્ર તો મોકલ્યો છે, પણ સામા પાત્રને આહ્વાન પણ આપ્યું છે કે ટિકિટ જોઈને અંદર શું હશે એ ધારી બતાવ. એક જાણીતો શેર યાદ આવે: ‘आदमी पहचाना जाता है क़याफ़ा देख कर, ख़त का मज़मूँ भाँप लेते हैं लिफ़ाफ़ा देख कर।‘ ત્રણ ડોલર ને દસ સેન્ટમાં બીજું શું શું થઈ શકે એની યાદીની સમાંતરે કવિએ મજાના ગીતની ગૂંફણી કરી છે… ગીતની અડખેપડખે બેસીને ભાવની કોફી પીતાં પીતાં કવિતાની કાચી પાકી સુગંધથી તર થઈએ…

Comments (10)

(માણવા જેવો હતો) – ભાવિન ગોપાણી

મને પાગલ બનાવી મારવા જેવો હતો,
હજી થોડો વધારે ચાહવા જેવો હતો.

બધી વાતે ખુલાસો ટાળવા જેવો હતો,
સમજદારીને મોકો આપવા જેવો હતો.

તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા,
એ કાગળ ખાનગીમાં વાંચવા જેવો હતો.

હું માનું છું, બહુ ખોટું થયું, છુટ્ટા પડ્યા,
એ માને છે કે છેડો ફાડવા જેવો હતો.

હતો પાતાળને લાયક, મળ્યું આકાશ છે,
ઉછાળ્યો છે, જે કિસ્સો દાટવા જેવો હતો.

તમે ભગવાનની તસવીર ટાંગી ભીંત પર?
તમારે તો અરીસો ટાંગવા જેવો હતો.

ન ફરક્યું સ્મિત ને ફરક્યું તો લાંબું ના ટક્યું,
ઉદાસી પર ભરોસો રાખવા જેવો હતો.

અમુકને તેડવા મજધારમાં પહોંચી ગયો!
કિનારાને કિનારે બાંધવા જેવો હતો.

ઊઠ્યો પડદો અને નાટક થયું એવું શરૂ,
હવે લાગે છે પડદો માણવા જેવો હતો.

– ભાવિન ગોપાણી

કવિના વધુ એક ગઝલ સંગ્રહ ‘ઓસરી’નું લયસ્તરોના આંગણે પ્રેમપૂર્વક સ્વાગત કરીએ…

સરળ ભાષામાં સરસ ગઝલ કઈ રીતે કહી શકાય એ જાણવું હોય તો આ કવિ પાસે આવવું રહ્યું. આજે મોટાભાગના ગઝલકાર જ્યાં પાંચ શેર પર અટકી જાય છે, ત્યાં પરંપરાના શાયરો સાથે કોઈ પરાપૂર્વનો નાતો ન હોય એમ લાંબી ગઝલ આપવામાં, શક્ય કાફિયાઓનો કસ કાઢવામાં આ ગઝલકાર અચકાતા નથી. નવ શેરની નવસેરા હાર જેવી મજાની ગઝલ સાથે શાયરને સત્કારીએ…

Comments (9)

અદલાબદલી – હરદ્વાર ગોસ્વામી



અમે
એકબીજાની જાતની અદલાબદલી કરી.
હું એનું જીવન જીવવા લાગ્યો
અને એ મારું.
બહુ સારું લાગ્યું.
એની જાતમાં હું રમમાણ હતો.
મારા સિવાય એની હયાતીમાં કોઈ બીજું નામ ન હતું.
મારા ઘરના બધા લોકો માટે પણ
એને સદ્ભાવ અને સમભાવ હતો.
‘ઈગો’ને બદલે ‘લેટ ગો’ને પ્રાધાન્ય આપ્યું.
હું એનો આશિક હતો
પણ આ અદલાબદલી પછી તો
સાત જનમનો દીવાનો થઈ ગયો.

આજે અમારે જાત બદલવાની હતી
હું એને ચોખ્ખું કહેવાનો છું કે
તારી જાત પાછી નહીં આપું.
એ મળી
હું કંઈ કહું એ પહેલાં તો
એણે ફટાફટ જાત બદલાવી
અને
જતાં જતાં કહેતી ગઈ
સાત જનમ સુધી ન મળતા…

– હરદ્વાર ગોસ્વામી

લયસ્તરો પર કવિના નવ્ય કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું સહૃદય સ્વાગત છે…

સ્ત્રી-પુરુષના સ્વભાવ અને વ્યક્તિત્વની વિસંગતતા વિશે ઘણું લખાયું છે, પણ અહીં જે કુમાશથી આખી વાત રજૂ થઈ છે એ અલગ જ છે. સરળતમ ભાષામાં કવિએ જે કવિકર્મ કરી બતાવ્યું છે એ કાબિલ-એ-દાદ છે. પતિ અને પત્ની બંને મનમરજીથી જાતની અદલાબદલી કરે છે. પુરુસઃ સ્ત્રીનું જીવન જીવવું શરૂ કરે છે અને સ્ત્રી પુરુષનું. પુરુષને એ તો ખ્યાલ આવે છે કે સ્ત્રી એકીસાથે કેટકેટલા મોરચા સાચવતી હતી અને કેટકેટલા સંબંધોમાં પ્રાણ સીંચતી હતી. પુરુષ પહેલાં પણ એનો દીવાનો હતો જ. સ્ત્રીના આંતરમનના પ્રવાસ બાદ આ દીવાનગી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ, પણ પુરુષ આ તબક્કે પણ પોતાની મર્યાદાઓ, પોતાની ખામીઓ, પોતાની ખરાબીઓને ઓળખી શકતો નથી એ વિડંબના શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં સફળતાપૂર્વક છૂપાવી દઈને કવિએ મુખર લાગતી કવિતાના કાવ્યતત્ત્વને સુપેરે ઉજાગર કરી બતાવ્યું છે. કવિતાનો અંત કોઈપણ સંવેદનશીલ પુરુષને (જો એ સંવેદનશીલ હોય તો!) હચમચાવી દેવા માટે સક્ષમ છે.

Comments (13)

મિજાજ બદલું છું – રાજેન્દ્ર શુક્લ

મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.

રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.

પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
કદીક શબ્દ, તો ક્યારેક સાજ બદલું છું.

સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.

– રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો પર આજે ફરી એકવાર જૂનું એ સોનું! રા.શુ.ની આ બહુખ્યાત અને સુવાંગ સુંદર ગઝલ આજ સુધી લયસ્તરોના નિધિમાં હતી જ નહીં એ લયસ્તરોનું જ દુર્ભાગ્ય ગણાય.

Comments (12)

ચિત્રમાનાં પંખીઓને – નયન હ. દેસાઈ

(મનહર ગીત)

કેમ સાવ મૂંગામૂંગા બેસી રહ્યાં, બોલો કાંઈ
લાગી ગયો મૌન તણો જાણે હડદોલો કાંઈ
રિસાયા છો કઈ વાતે
વાત કરો મારી સાથે

તમારી તો મીઠી મીઠી વાણીની મીઠાશ માણું
શબદોના સ્વરને ને વ્યંજનાને હું પ્રમાણું
ટહુકા વેરો પ્રભાતે
વાત કરો મારી સાથે

કોઈ નહીં બોલાવે તો આમ મૂંગા થૈ જવાનું?
રેખાઓમાં કેદ ક્યાંથી પાંખ ફફડાવવાનું
બે ઘડી તો વ્હાલાં વ્હાલાં પંખીડાઓ ડોલો કાંઈ
કેમ સાવ મૂંગા મૂંગા બેસી રહ્યાં બોલો કાંઈ
કોઈ પરિચયને નાતે
વાત કરો મારી સાથે…

– નયન હ. દેસાઈ

કવિ ઉદયન ઠક્કરે કેવળ ગીત અને ગઝલમાં રાચતા આજના કવિઓ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, “ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?” આવું જ ગીતના લય બાબતે પણ કહી શકાય. મોટાભાગના ગીતકારો ષટક્લ અને અષ્ટકલ -એમ બે જ લયમાં ગીતવિહાર કરતા દેખાય છે. આજે આ મહેણું ભાંગતી એક રચના માણીએ…

નયન દેસાઈ એટલે સતત કંઈ નવું કરવા મથ્યા કરતો કવિ. દલપતરામે લોકપ્રિય બનાવેલ મનહર છંદમાં આપને ત્યાં પ્રમાણમાં ઓછું કામ થયું હોવાથી એ ખોટની ભરપાઈ કરવા કવિએ મનહર છંદમાં આખેઆખો કાવ્યસંગ્રહ આપ્યો. આ સંગ્રહમાં ગઝલ, ગીતો ઉપરાંત બાળગીતો પણ છે – બધું જ મનહર છંદમાં. પ્રસ્તુત રચનાનો લય રુઢ લય ષટકલની નજીક નજીકનો છે, પણ એને ચુસ્ત ષટકલકરાર આપી શકાય એમ નથી. વળી, મનહર છંદની રવાનીમાં પઠન કરવાની જે મજા છે એ કદાચ ષટકલના રુઢ લયથી બે આંગળી ઊંચે છે.

ચિત્રમાંના પંખી તો મૂંગા જ હોવાનાં ને! પણ કવિ કોને કહે? એ તો એમની સાથે પણ વાર્તાલાપ સાધે છે, અને એમને કોઈને કોઈ બહાને જીવંત થઈ વાત કરવા ઈજન આપે છે… સરળ બાનીમાં કેવું સહજ ગીત!

Comments (6)

એમ થાતું કે- – માધવ રામાનુજ

વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી,
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી.

ચારને ભારે લચક લચક થાઉં ને મૂઆં ઝાડવાં નફટ આંખ ફાડીને જોઈ રહે, મારી ઝાંઝરીયુંનું રણકી જોબન વાયરે ઊડ્યું જાય;
હાય રે, મારા પગને ભૂંડી ધૂળની લાગે નજર,મારાં પગલાં સૂંઘી પાછળ પાછળ આવતા ચીલા દોડતા આગળ થાય.
ગામને ઝાંપે આઘું ઓઢી ઘરની ભૂલું કેડી.
એમ થાતું કે સ્હેજ ઝૂકીને ખીણ આખી લઉં તેડી

બારીએ બેઠી હોઉં ને ખોળો ખૂંદતી કોમળ પગલીયુંના ખિલખિલાટે ઊછળે છાતી : છલછલોછલ બે કાંઠે ઊભરાય નદીનાં વ્હેણ;
ઉંબરે ઊભી હોઉં ને વાટે ગાડેગાડાં સીમની કૂણી સાંજ ભરીને સાહ્યબો આવે, દનના ડુંગર ઊતરી આવે રાતનાં અબોલ કહેણ.
ઊંઘની આંબાડાળ : ટપોટપ સોણલિયાં લઉં વેડી.
વન વચોવચ ખેતર ઊભાં ગામ વચોવચ મેડી.

– માધવ રામાનુજ

દામ્પત્ય જીવનમાં પ્રસન્નતાનો પ્રસવ થાય ત્યારે આવું ગીત લખાય. ગીત ઉઘડતાં જ ચોકોર પર્વતોની વચ્ચેના ખીણપ્રદેશમાં વન, ગામ અને ખેતરો એકમેકને અઢેલીને શ્વસતાં હતાં એવો કોઈ સમય તાદૃશ થઈ આવે. મજા તો ત્યાં છે જ્યાં નાયિકાને આ આખેઆખા સૌંદર્યપ્રદેશને સહેજ ઝૂકીને તેડી લેવાના ઓરતા જાગે છે… આ પ્રકારની લાગણી એક સ્ત્રીના મનમાં જ જન્મે કારણ કે સ્ત્રી માત્રમાં એક માતા જીવતી હોય છે, અને પ્રસ્તુત રચનાનો તો છેડો જ માતૃત્વ સુધી લંબાયેલો છે. આઠ-આઠ માત્રાના આવર્તનોમાં લયબદ્ધ વિહાર કરતું આ ગીત એના બંને બંધના લાંબા કદ-કાઠીના લીધે વધુ મનનીય બન્યું છે. માથે ચારાનો ભાર હોવાના કારણે નાયિકાની ચાલમાં જે લચક આવે છે એવી જ લચક લાંબીલચ્ચ પંક્તિના પઠનના કારણે જન્મે છે. દિવસના ડુંગર પરથી રાતનાં અબોલ કહેણ ઊતરી આવે એ કલ્પન જ કેવું રોચક છે! અને ઊંઘની આંબાડાળ પરથી સપનાંઓ વેડી લેવાનેઇજન આપતો ગીતનો અંત પણ એવો જ હૃદ્ય થયો છે.

Comments (7)

આગળ જતાં – બાબુલાલ ચાવડા ‘આતુર

પર્વતો-ખીણો-અરણ્યો આવશે આગળ જતાં,
કૈંક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતાં.

કોઈ દૃષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ અને,
ધૂંધળાં બે-ચાર દૃશ્યો આવશે આગળ જતાં.

એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે,
આપણા એવાય દિવસો આવશે આગળ જતાં.

જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક,
ધૂળિયો એકાદ રસ્તો આવશે આગળ જતાં.

શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં પણ,
શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતાં.

– બાબુલાલ ચાવડા ‘આતુર

‘આગળ જતાં’ ગઝલ સ-રસ થઈ છે. બધા જ શેર વારંવાર મમળાવ્યા કરવા ગમે એવા મજાના થયા છે. ગઝલ તો સહજ-સાધ્ય છે, એટલે દરેક ભાવકહૃદય સુધી આપબળે પહોંચી જ જશે, પણ મારું ધ્યાન સતત આખરી શેરમાં ‘શક્ય છે’ના બીજીવારના પ્રયોગ તરફ જયા કરે છે. શક્ય છે કે મારો આ ખટકો ખોટો પણ હોઈ શકે. નાના મોઢે મોટી વાત પણ છેલ્લા શેરના સાની મિસરામાં કાવ્યાનુભૂતિ સઘન બનવામાં ‘શક્ય છે’ પ્રયોગ અડચણરૂપ બનતો હોય એમ લાગ્યું. કાલે આપણે હોઈએ પણ અને ન પણ હોઈએ એ વાત જે રીતે સંભાવનાઓથી ભરી પડી છે, એથી વિપરિત ‘મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ’*ના ન્યાયે વિકલ્પોવાળી શક્યતા કરતાં નક્કર હકીકતદર્શક ન ગણાય? વિકલ્પો તો મળે જ મળે ને!

(* = ઓજસ પાલનપુરી)

Comments (6)

કહીં ગયા? કહીં આવ્યા? – પ્રિયકાન્ત મણિયાર

મઘમઘ ડોલે મોગરો એને જૂઈની આવે મ્હેંક,
વન આ વ્હાલું લાગતું પણ મન આ લેતું ઠેક.

આંજી જેવી આંખડી નભમાં ઊગ્યો ચંદ,
જલમાં રૂવે પોયણી એનો છલછલ છલક્યો છંદ.

સમીરણ સાંભળ આટલું પૂછીશ નહીં એ પાન,
કળપે કાળજ કેટલું ઓલી કોયલડીનું ગાન.

ઊડતાં ઊડતાં આભલે થઈ પયોધર-પ્રીત,
વરસી ક્યાં ગઈ વાદળી? એનું ગાવું મારે ગીત.

વસંત માંડી ચાલવા વળવાની મા ભૂલ!
ખરી ગયેલી ડાળ પર તુજ ફૂંકથી ફૂટે ફૂલ!

કહીં ગયા? કહીં આવિયા? નેણ વિનાની રાત,
‘ઠક’ ‘ઠક’ છેડો જાણતો ધૂળની કેવી ભાત!

– પ્રિયકાન્ત મણિયાર

ગીતલેખનમાં રસ હોય એવા સર્જકમિત્રો માટે ખાસ. કાવ્યસ્વરૂપ પ્રમાણે તો ગીત જ પણ પ્રચલિત છંદોલયના સ્થાને કવિએ અહીં દોહાઓની ગૂંથણી કરી છે. દોહામાં હોય એ મુજબ બંને પંક્તિ બબ્બે ચરણમાં વિભાજિત કરાઈ છે અને બંને પંક્તિમાં પહેલા ચરણના અંતે ‘લગા’ અને બીજા ચરણના અંતે ‘ગાલ’ પ્રમાણે માત્રા પણ કવિએ જાળવી છે. હા, બંને ચરણમાં અનુક્રમે હોવી જોઈતી ૧૩-૧૧ માત્રાઓ બધે જળવાઈ નથી એ અલગ વાત છે, પણ કવિને મન પ્રચલિત દોહા લખવા કરતાં ગીત લખવાનું પ્રાધાન્ય વિશેષ હોવાથી આ નિર્વાહ્ય ગણી શકાય.

Comments (2)

(વ્હાલીનાં વધામણાં લો કે!) – હેમાક્ષી શાહ ‘હેમી’

વીજળીના ચમકારા, ફૂંકાતો વાયરો બારી ને બારણાંઓ ઠોકે,
સાંકળથી જકડેલાં ખડકી-કમાડ તમે ખોલવાનો સંદેશો દો કે!

પીડા છે પાંગરી અંગોમાં, ઉપરથી ટહુકાઓ શૂળ મહી ભોંકે,
વર્ષાની હેલી એ ભીંજાતા હૈયાને ઉંબરની ઠેસ કંઈ રોકે!

દોડીને જાતું એ વાદળની હેઠે કે કોઈ ભલે રોકે કે ટોકે,
નાચી એ ઉઠ્યું છે ઊભી બજારમાં મરજાદા મેલીને ચોકે !

આંસુની બુંદો પર આશાનાં કિરણોથી રંગાતું મેઘધનુષ ઝોંકે,
બાંધીને બેઠો છે માનવ તો માયામાં માળા પણ ધોરીડા ડોકે,

સાદ મને દીધો છે રંગો તરંગોમાં ઉમટીને અણદીઠા કો’કે,
લાગે છે મુજને કે વાદળની ઓથે રહી જોતા છૂપાઈ, તમે છો કે?

પહોંચુ એ દુનિયામાં દૃષ્ટિની પાર, મુજ ઘેલીનું કામ નહિ જો કે,
ખાંગી કરીને પલાળો તો પૂરી ને વરસી વ્હાલીનાં વધામણાં લો કે!

– હેમાક્ષી શાહ ‘હેમી’

કવયિત્રીનું નામ મારા માટે સાવ નવું, પણ દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં આ ગીત વાંચતાવેંત દિલને સ્પર્શી ગયું. બબ્બે પંક્તિના છ યુગ્મક અને બારેબાર પંક્તિમાં સળંગ એક જ ચુસ્ત પ્રાસનિયોજના હોવાના કારણે ગીત વધુ હૃદ્ય બન્યું છે. કેટલીક પંક્તિમાં પ્રાસ આયાસપૂર્વક લવાયો છે એ જો ટાળી શકાયું હોત તો રચના વધુ ઓપી હોત… પણ નવી કલમો પાસેથી આ પ્રકારની જરા હટ કે રચનાઓ સાંપડે છે એ જોઈને ગુજરાતી કવિતાના ભવિષ્ય બાબતે સહેજસાજ નચિંત થઈ શકાય છે એનો આનંદ…

(ધોરીડો=બળદ)

Comments (24)

ઍબ્સર્ડ નાટ્યગઝલ – નયન દેસાઈ

એક આવી સ્ટેજ વચ્ચે મીણબત્તી ગોઠવે છે,
એક (ધીમેથી): ‘અહીં એકાંત જાણે ઘૂઘવે છે!’

ને હવા કણસ્યા કરે છે ફેફસાંમાં (આંખ મીંચી),
લ્યો કહે છેઃ ‘આ બધું તો યુગે-યુગે સંભવે છે!’

બે (અચાનક આવતાં): ‘લોહી જેવું શું બળે છે?
બંધ કમરાને (હસે છે) ધુમાડો ભોગવે છે!

એક (મુઠ્ઠી વાળતાં): ‘રાહ જોવાની છે કોની?
(સ્હેજ ચાલી) છાપ પગલાંની સમય ક્યાં સાચવે છે?

બે (અચાનક ભીંત પાસે જઈ): ‘મને તું છોડી દે,
કાલના કરમાયલા સ્પર્શો હજી તો ટેરવે છે!

‘હું નથી તો કેમ પડછાયો લઈ કેડે ફરે છે?’
‘સાંભળે છે? (એક પાસે જઈ) વિહંગો કલરવે છે!’

એક (બોલે છે સ્વગત): ‘આકાશમાંના હે પિતા!’
—બે ત૨ફ ધારીને જુએ, મીણબત્તી હોલવે છે!

– નયન દેસાઈ

જીવનના સુનિશ્ચિત અર્થની શોધ અને અસ્તિત્ત્વની દેખીતી નિરર્થકતા અને અનિશ્ચિતતા – આ બે અંતિમોમાંથી કોઈ એક તારતમ્ય સુધી પહોંચવાની મનુષ્યજાતની ખેવનામાંથી જે સાહિત્ય સર્જાયું એને આપણે એબ્સર્ડ સાહિત્ય કહીએ છીએ. સમજણના પ્રદેશની બહારનું વિષયવસ્તુ, અસંગત અર્થહીન સંવાદો, વાસ્તવથી વિમુખતા, જીવનની અર્થહીનતા બાબતનો વ્યંગ વગેરે એના પ્રાણ છે. એબ્સર્ડ સાહિત્યનો હેતુ નિરર્થકમાંથી અર્થ શોધી બતાવવાનો નથી, પણ આપણને આ બાબતમાં વિચારતા કરવાનો છે… આપણી ચેતનાને ઝંકોરીને એ આપણને અસ્તિત્ત્વ બાબતે વિચારવા મજબૂર કરે છે.

નયન દેસાઈએ સાહિત્યના શક્ય કોઈ આયામને સ્પર્શવાનું કદાચ બાકી નથી રાખ્યું. પ્રસ્તુત એબ્સર્ડ નાટ્યગઝલ એનું એક ઉમદા ઉદાહરણ છે. અહીં બે પાત્રો છે –એક અને બે. એક આવીને સ્ટેજ વચ્ચે સળગતી મીણબત્તી ગોઠવે છે. (મીણબત્તી સળગતી છે એ બીજી વ્યક્તિના સંવાદ ઉપરથી આપણને ખબર પડે છે.) સ્ટેજ ઉપર બીજું કોઈ નથી, એટલે એને એકાંત ઘુઘવતું હોવનું અનુભવાય છે. હવા ફેફસામાં કણસતી લાગે છે, પણ આમાંનું કશું નવીન નથી. યુગો-યુગોથી આ જ હાલત હોવાની વાત ગીતાનો સંદર્હ લઈ કવિએ કેવી પ્રભાવક રીતે કરી છે એ પણ જોવા જેવું છે. બીજું પાત્ર સ્ટેજ પર આવતાં જ સળગતી મીણબત્તીની ગંધમાં એને લોહી જેવું કશુંક બળતું હોવાનું અનુભવાય છે. બંધ કમરામાં એકત્ર થયેલ ધુમાડાના રાજને એ જે રીતે રજૂ કરે છે એ પણ અદભુત છે. આખી ગઝલ સમજી શકાય એવી પણ છે, અને આખી ગઝલમાંથી શબ્દે શબ્દે અનિશ્ચિતતા અને નિરર્થકતા ટપકતી પણ અનુભવાય છે. સરવાળે, લાંબા સમય સુધી મનોમસ્તિષ્ક પર ભરડો જમાવી રાખે એવી ગઝલ આપણને સાંપડી છે.

*******
કવિ-તબીબ શ્રી ભાસ્ક્ર વખારિયા તરફથી મજાની પૂરક માહિતી-

સુરતમાં waiting for godot અને happy days નું મંચન દિવંગત ગાંધીસ્મૃતિભવનમાં થયેલું તે પછી ની તરતની આ ગઝલ છે. નાટકો તો સહુએ પોતાની ક્ષમતા મુજબ માણ્યા પણ એ અનુભવમાંથી જે રસાઈને ગઝલરુપે નયનભાઈએ આપ્યું તે લાજવાબ છે….

Comments (11)

आषाढस्य प्रथम दिवसे – લાલજી કાનપરિયા

વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?

મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.

લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?

– લાલજી કાનપરિયા

આમ તો આ રચના ગઈકાલે પોસ્ટ કરવી જોઈતી હતી… ગઈ કાલે જ અષાઢનો પહેલો દિવસ ગયો.. કવિ કાલિદાસના મેઘદૂતમાંથી ‘आषाढस्य प्रथम दिवसे’ પસંદ કરીને કવિએ કેવું સ-રસ ગીત આપ્યું છે! કાલિદાસનો યક્ષ એની પ્રિયાના સ્મરણોના વરસાદથી ભીંજાતો હતો, પણ આપના કવિ પોતે કોનાં સ્મરણોના વરસાદથી લથબથ થઈ રહ્યા છે એનો ફોડ પાડવા ઇચ્છતા નથી… આખા ગીતમાં આ ‘કોણ’ને ભાવકોની કલ્પના પર છોદી દઈ કવિએ મજાના વળ ચડાવ્યા છે…

Comments (4)

તેજી – મનોહર ત્રિવેદી

પગમાં છડા – વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં

પરસેવે રેબઝેબ કાળીડિબાંગ છે અંગેઅંગ
આખો દિ’ ફોરતાં એનાં લૂગડાં મેલાંદાટ ને ભીનાં-

નાનું એવું છાપરું
એકાદ વેંત હશે બસ, આભથી નીચે
પંખી એના દેહને છાંયે ચણતાં
અને પવન કાળાભમ્મર કોરા કેશમાં હીંચે

વાડોલિયાનાં શાકભાજી તરબૂચ-ટેટીને
પેટનાં જણ્યાં જેમ ઉઝેરે
છોકરાંછૈયાં
ઠાવકો ધણી હોય જ્યાં ભેરે

ધોરિયા—વાટે ઉપરથી ઠલવાય છે ધાવણ જેમ
ત્યાં શીળાં નીર ઠેબી*નાં-

રાતનું વાળું તાપણું રેતીપટ ને
ઊલટભેર માંડે નિત ભૂતની વાતો
ઊડતી પવનપાવડી: રૂડી કુંવરી બેઠી…
નીંદરાંનો એમ જોડતી નાતો

સાંધણ-સૂંધણ વાસણ-કૂસણ
નામ હરિનું હોઠમાં રાખી
આવડ્યાં એવાં ભજન કે ચોપાઈ
અધૂરી સેરવે સાખી.

કોઈને જોબનપૂરઃ કોઈને મન એ કામાતુર
કહેતું કોઈ કે એના કંઠથી વહેતા સ્વર ગેબીના –

ચીભડાં વેચી જાણતી
કિન્તુ જાત ના વેચે
હોઠ-શી મીઠી ચીર ચખાડે
નેહથી ઘરાક પારખી આછા સ્મિતને વ્હેંચે-

વગડો વેઠી જાણતી
કદી કોઈનાં વાંકાં વેણ ના વેઠે
એક બલોયાભેર દોંગાના
લોહી-ધધૂડા વાળતી હેઠે

હાટને ઓટે નવરા ડોસા મૂછમાં હસે
નકટા નાગા નિલજા થાતા દોટ મૂકીને ઘરભેગીના –

પગમાં છડા- વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં…

– મનોહર ત્રિવેદી

અંગ્રેજી કાવ્યપરંપરામાં બેલડ યાને કથાકાવ્યોની બહુ મોટી અને સમૃદ્ધ પરંપરા છે. આપણે ત્યાં આ પરંપરામાં કામ તો થયું છે પણ મોટા પાયે નહીં. આ રચના વિશુદ્ધ કથાકાવ્ય નથી, પણ ગીત અને કથાકાવ્યની સરહદ પર ટટ્ટાર ઊભી છે. ચીભડાં વેચતી પણ જાત કદી ન વેચતી ગરીબ તેજીના ખુમારીભર્યા જીવનને કવિએ લયબદ્ધ ચિતાર કવિએ આપ્યો છે. ગરીબમાં ગરીબ માણસની મોટામાં મોટી મૂડી છે એનું સ્વાભિમાન અને ઈજ્જત… વગડો વેઠીને અને ચીભડાં વેચીને માંડ માંડ બે છેડા ભેગી કરતી તેજી પર ગામ આખાની નજર છે… કોઈને એ જોબનથી ભરીભરી લાગે છે તો કોઈને કામાતુર… પણ એ એક નજરમાં એના ઘરાકની નિયત પારખીને પોતાનો પાલવ બચાવી રાખે છે…

(* ઠેબી= અમરેલી જિલ્લાની એક નદીનું નામ) .

Comments (8)

જૂનો આંગડિયો – અનિલ જોશી

વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……

ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?

અરે, છાંટા જેટલોય કોણ રાખે આધાર?
જેની વાયુના સુસવાટે બદલાતી ચાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……

નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.

મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…

– અનિલ જોશી

સામાન્યજન માટે તો વરસાદ એટલે આભેથી વરસે એ પાણી જ માત્ર પણ કવિનો તો વરસાદ પણ અલગ અને વરસાદ સાથેની મગજમારી પણ અલગ. કાલિદાસના મેઘદૂતનો સંદર્ભ કવિના મનમાં રમતો હશે કે કેમ એ તો કવિ જ કહી શકે, પણ વરસાદને જૂના આંગડિયો કહીને કવિ જ્યારે અંગત ટપાલની વાત કરે ત્યારે આપણને તો એ યાદ આવે જ. વાદળ ઘેરાયાં હોય તો ધોધમાર વરસી પડે, પણ છાલક-છાંટા જેવડો નગણ્ય વરસાદ જ પડે તો એનો શો અર્થ! થાકેલા અને વજનથી લદાઈ ગયેલ ઊંટની પીઠ પર છેલ્લે એક તણખલાં જેટલો ભાર પણ વધારાનો મૂકવામાં આવે તો એ ફસકી પડશે. વાયુના સૂસવાટે-સૂસવાટે જેની ચાલ બદલાઈ જાય એવા વરસાદ પર કવિ ઊંટની પીઠે છેલ્લા તણખલાંના ભાર જેટલોય ભરોસો કરવા નથી ઇચ્છતા. આભેથી વરસાદ પડતો ન હોવાના કારણે અને ફોતરી ઊંચકાઈ જાય એટલી હવા પણ ચાલતી ન હોવાથી નર્યો બાફ નીતરી રહ્યો છે. અને વરસાદ હવે પડે તોય એની સાથે મેઘદૂતવાળો સંદેશો મોકલવાનો સમય કવિ પાસે નથી, કેમ કે ખરું ચોમાસું તો કવિની આંખે બેઠું છે…

Comments (3)

લે, આ વરસ્યું જળ – લતા હિરાણી

લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…

બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..

દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…

– લતા હિરાણી

કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.

Comments (17)

(ચોમાસું બેઠું) – જતીન બારોટ

ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.

હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.

કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.

– જતીન બારોટ

સહેજ પણ તરસ ન હોય ત્યારે પાણીની કિંમત શૂન્ય થઈ જાય. નિસર્ગે પણ ઋતુઓની કમાલ ગોઠવણ કરી છે. ચોમાસાને ઉનાળા પછી ગોઠવ્યું છે. ઉનાળાના તાપ-બફારા-ત્રાસ અને પાણીનો અભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ચોમાસું શરૂ થતું હોવાથી આપણને એની ખરી કિંમત સમજાય છે. એમાંય જેનું જીવન જ ચોમાસા પર નિર્ભર હોય એને ચોમાસું બેસતાં જે આનંદ અનુભવાય એ તો વળી એથીય અદકેરો હોવાનો. એટલે જ કવિ ઢોલ વગડાવી, લાપસીના આંધણ મૂકાવી, ગોળધાણાથી સૌનું મોઢું મીઠું કરાવવાની નેમ ધરાવે છે. ગીતના ઉપાડમાં લય સહેજ ખોરંભાયો હોવાનું પ્રતીત થાય છે, પણ એ સિવાય આખું ગીત સડેડાટ વરસાદના પાણીના રેલાની જેમ દડતું જાય છે. કલ્પન પણ રોજબરોજની જિંદગીમાંથી જ લેવાયા છે, પણ લયબદ્ધ માવજતના કારણે જે પોત બંધાયું છે એ અદભુત છે.

Comments (9)

સવા શેર : ૧૩ : બહુત ગઈ ને થોડી રઈ! લલિત ત્રિવેદી

ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી

શેર વાંચતાવેંત ક્લિક થાય કે રહો! આ તો કંઈ અલગ જ ચીજ હાથ ચડી છે. પ્રવર્તમાન ગઝલપ્રવાહથી અને કાવ્યબાનીથી સાવ એટલે સાવ જ નોખી તરી આવતી બાનીમાં લખાયેલ આ શેર ભાવકને ભૂરકી નાંખીને બાંધી દે એવો અદભુત થયો છે. આંગળીના વેઢા પણ વધુ પડતા સાબિત થાય એવા રાજેન્દ્ર શુક્લ, કે હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની અનૂઠી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે. આ શેર જેમાંથી જડી આવ્યો છે, એ સંગ્રહનું શીર્ષક ‘અવળી ગંગા તરી જવી છે’ જ Res Ipsa Loquitar (સ્વયંસ્પષ્ટ) છે.

રદીફની દૃષ્ટિએ પણ આ શેર વિશિષ્ટ સિદ્ધ થાય છે. ‘બહુત ગઈ ને થોડી રઈ’ જેવી ઉફરી રદીફ પ્રયોજવી અને એ ચપટી ન પડી જાય એ રીતે નિભાવવી એ બંને સપૂરતા કવિકર્મ વિના સંભવ બને એમ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંના એક -દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે-નો જવાબ આપતી વેળાએ યુધિષ્ઠિર કહે છે કે દરેકેદરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત જ હોવા છતાં બધા જ મનુષ્યો એ જ રીતે જીવે છે કે જાણે તે અમર ન હોય, એ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. આ સનાતન સત્ય હોવા છતાં જીવનમાં નાનાવિધ તબક્કે આપણને એવું બ્રહ્મજ્ઞાન અવશ્ય થાય છે કે હવે ઝાઝો સમય નથી, સમય ઢૂંકડો આવી ગયો છે. વયના કોઈ એક મુકામ ઉપર આવીને માણસને એમ સમજાય કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી, એવી કોઈક પળે થતી સ્વાનુભૂતિમાંથી આ રદીફ જન્મી છે. એક ગીતની બે કડી આ પળે સ્મૃતિપટલ પર ઝબકે છે:

મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?

જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે સમીપ આવી ઊભો છે એ યાદ કરીને કવિએ જે હાંસિલે-ગઝલ શેર આપ્યો છે એ હવે જોઈએ. સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે માણસ કદી રાત વિશે વિચારતો નથી. જીવનસંધ્યા આકાશને રક્તરંગે ભરી દે અને એ રાતાશ પણ કાલિમામાં પલોટાવું આદરે છે…ક ત્યારે જઈને મનુષ્યને જીવન, જીવનના હેતુ, ઈશ્વર, ભવાટવિના ફેરા અને મોક્ષની કામના વગેરેનું સ્મરણ થાય છે. અન્યથા માનવી જિંદગીભર જાનીવાલીપીનારા બની જ રહેતો હોય છે. જીવનનૈયાની મતિ ને ગતિ સરસ્વતીના બદલે આજીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલ રહી હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવી જોઈએ એ આપણે કરતાં નથી. પરિણામે જીવતરનું રૂ કદી જ્યોત બનવા નથી પામતું. જે રીતે પથ્થરનો ઉદ્ધાર પગથિયું બનવામાં છે એ જ રીતે રૂનો ઉદ્ધાર પણ જ્યોત બનવામાં છે. રુદિયાનું રૂ જ્યોત બને તો જ્ઞાનનો દીવો થઈ ઝળહળી શકે. સ્વયં માટે અને અન્યો માટે પણ પથપ્રદર્શક બની શકાય. પણ આ ન કરી શકાયાનો અહેસાસ જ્યારે આપણને થાય છે ત્યારે તો જિંદગીનું નાકું આવી ગયું હોવાથી વિશેષ કશું હાંસિલ કરવા માટેનો સમય જ બચ્યો નથી હોતો.

ગોત-બહોત-જ્યોત, ગઈ-રૂઈ-ભઈ-ગઈ-રઈ જેવી આંતર્પ્રાસાવલિ શેરને upper edge (શીર્ષ-સ્થાન) આપે છે. આ પ્રકારની આંતર્પ્રાસ-સાંકળી કવિનો વિશેષ પણ છે. કવિએ સરસ્વતીના સ્થાને તરસ્વતી શબ્દ કોઈન કરીને ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પણ પૂરી છે. સરસ્વતી કુંવારી નદી છે, એના નસીબમાં સાગર સાથેનો સંયોગ લખાયો નથી. એ રણમાં જ લુપ્ત થઈ જાય છે. સરસ્વતીની જેમ જ તરસ્વતી પણ અંતહીન છે. જીવનનાવ આજીવન હજારો પ્રકારની તરસમાં જ ડૂબેલી રહેતી હોવાથી જ્ઞાન કે પ્રકાશના કિનારાઓ આપણને નસીબ થતા નથી એ વાત તરસ્વતી જેવા નવ્યશબ્દની મદદથી જેટલી અસરદાર થઈ શકી છે, એટલી સરસ્વતીથી ન જ થઈ શકી હોત. બીજો એક સંદર્ભ સર્જકોની આરાધ્યદેવી વિદ્યાદેવી સરસ્વતીનો પણ અહીં ખૂલે છે. આ સંદર્ભ ગોત અને જ્યોતની વાત સાથે પણ સુસંગત છે.

ગિરનારી છાંયે બેસી અલગારી છાંટણાં ઝીલીને લખાયો હોય એવો આ શેર છે.

– વિવેક મનહર ટેલર

Comments (11)

સવા શેર : ૧૨ : રઈશ મનીઆર અલખની સફર

આમ લખવું કરાવે અલખની સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
– રઈશ મનીઆર

કોઈ સારા સર્જકે સર્જનક્રિયા વિશે સર્જન ન કર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આમ તો દરેક કળાકાર સર્જનહાર જ હોય છે, પણ કવિને તો સવિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અગ્નિપુરાણમાં તો કવિને પ્રજાપતિ બ્રહ્મા જ ગણવામાં આવ્યો છે. ‘अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः।’ જાણીતા ગઝલકાર અને ગઝલપ્રશિક્ષક રઈશ મનીઆરે પણ સર્જનપ્રક્રિયાને સર્જનહાર સાથે સાંકળી મજાનો શેર સર્જ્યો છે. કવિ કહે છે કે લખવાની ક્રિયા શબ્દનો બંદો શબ્દની મદદથી શબ્દમાં પરત ફરે એવી અલખની મુસાફરી કરાવે છે.

મૂળ સંસ્કૃત ‘અલક્ષ્ય’ પરથી ‘અલક્ષ’, ‘અલક’ અને એ રીતે અપભ્રંશ થતાં ‘અલખ’ શબ્દ સર્જાયો છે. ‘લક્ષ્’ એટલે જોવું પણ અને ધ્યાનમાં આવે એવું પણ. ‘ય’ એટલે લાયક. ‘અ+લક્ષ્ય’ એટલે જોઈ ન શકાય એવું (અદૃશ્ય) પણ અને સમજી ન શકાય એવું (અગોચર) પણ. જેને જોઈ કે સમજી ન શકાય એ નિરાકાર પરમાત્માને આપણે અલખ યાને બ્રહ્મ કહીએ છીએ. ઈશ્વર ઈશ્વરની મુલાકાત લે એવી આ વાત થઈ, પણ રહો. આ બે પંક્તિના દેવાલયમાં ત્રીજો ઈશ્વર પણ સામિલ છે. કવિ શબ્દને સાધે છે અને શબ્દ જ એનું આ માટેનું સાધન પણ છે. વૈદિક વાઙ્મયથી લઈને આજ સુધી આપણે ત્યાં શબ્દને બ્રહ્મ ગણવામાં આવ્યો છે. ભર્તૃહરિએ તો ‘વાક્યપદીય’માં શબ્દની બ્રહ્મ તરીકે વિગતવાર પ્રતિષ્ઠા કરી છે:

अनादिनिधनं ब्रह्म शब्दतवायदक्षरम् ।
विवर्तते अर्थभावेन प्रक्रिया जगतोयतः॥

શબ્દરૂપી બ્રહ્મ અનાદિ, અવિનાશી અને અ-ક્ષર છે, તથા એની વિવર્ત પ્રક્રિયાથી જ આ વિશ્વનો અનુભવ થાય છે. શબ્દબ્રહ્મ સૌનું મૂળ કારણ પણ છે અને અંતિમ વાસ્તવિક્તા પણ એ જ છે. શબ્દનો બંદો કવિ કાવ્યસર્જનની ક્ષણે બ્રહ્મની સમકક્ષ ગણાય છે. મતલબ શબ્દનો બંદો શબ્દમાં પરત ફરે છે. બ્રહ્મમાંથી જ સર્જાયેલ બ્રહ્મના અંશ જેવા આપણે શબ્દબ્રહ્મની સાધના કરીએ છીએ એ વેળાએ સાક્ષાત્ બ્રહ્મત્વ પામતા હોવાથી એમ કહી શકાય કે ઈશ્વરનો અંશ શબ્દયાનમાં બેસી ઇહલોકથી પરલોકની મુસાફરી કરી પુનઃ ઈશ્વરમાં એકાકાર થઈ ગયો. શબ્દ આ રીતે શબ્દના બંદાને અલખની સફર કરાવે છે.

જે રીતે ‘અક્ષર’ને અ-ક્ષર (અવિનાશી) તરીકે પણ જોઈ શકાય એ જ રીતે ‘અલખ’ શબ્દમાં પણ ‘ન લખ’ વાંચીએ તો એ વિરોધાભાસ શેરને વધુ રોચક બનાવે છે. કબીરના દોહાઓમાં પણ બે’ક જગ્યાએ આવો શબ્દપ્રપંચ જોવા મળે છે: ‘अलख निरंजन लखै न कोई’ તથા ‘अलख न जाई लखिया.’ વળી ‘લખ’વું અને અ’લખ’માં જોવા મળતી અનુસારી વ્યંજનક્રીડા પણ આસ્વાદ્ય છે. આ પ્રયુક્તિ અનાયાસ યોજાઈ ગયેલ પણ જણાતી નથી, કેમકે આ જ ગઝલમાં કવિએ આ તરકીબ એકાધિકવાર અજમાવી છે- “આ અનુ’નય’ વિ’નય’ શું સતત શબ્દમાં,” “આવે એક લખ’લખું’, થાય એને ‘લખું’,” “ઓગળ્યો ‘વખ’ સરીખો ‘વખ’ત શબ્દમાં.”

છંદ ગઝલ લખવા માટેનું અનિવાર્ય ઉપાદાન ખરું, પણ છંદ ગઝલનો ભાવ પ્રકટાવવામાં સહાયક પણ બને ત્યારે સોને પે સુહાગા અનુભવાય. કાન્તના ‘સાગર અને શશી’ ગીતમાં દરિયાના મોજાંની આવજાવને ચાક્ષુષ કરવામાં ઝૂલણા છંદ જે રીતે ખપમાં લેવાયો છે, એ જ રીતે અહીં મુત્દારિક છંદના ગાલગા ગાલગાના આવર્તન પણ સર્જકની લખથી અલખ અને અલખથી લખ વચ્ચેની આવનજાવનને તાદૃશ કરવામાં બખૂબી મદદગાર સિદ્ધ થયા છે.

– વિવેક મનહર ટેલર

Comments (10)

એક પીંછું – નીતિન પારેખ

એક પીંછું પાંખથી સરકી પડ્યું,
ને ફરી છાના સ્વરે પંખી રડ્યું.

યાદ આવ્યાં વેણ ને વચનો બધાં,
ત્યાં જ સૂની આંખથી આંસુ દડ્યું.

સાંભર્યું જ્યાં વૃદ્ધને શૈશવ જરા,
જળ પછી નેવાંનું મોભારે ચડ્યું.

ક્યાંક આંખોની શરમ નડતી રહી,
ક્યાંક થોડું સ્વાર્થનું સગપણ નડ્યું.

માંહ્યલા નામે નિરંતર એક જણ,
રોજ મારી જાતની સામે લડ્યું.

– નીતિન પારેખ

સરળ-સહજ-આસ્વાદ્ય…

Comments (3)

મા – વિપિન પરીખ

જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.

– વિપિન પરીખ

માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…

Comments (10)

ખેતરને શેઢેથી – મનહર જાની

ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
.                અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
.                કલરવતા દન ગયા હાલી.

થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
.                નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
.                નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
.                અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…

અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
.                તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
.                લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
.                સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…

– મનહર જાની

આમ તો ચોમાસાના ડાકલાં વાગવાં શરૂ થઈ ગયાં છે, પણ ગરમી તો હજીયે ત્રાહિમામ પોકારાવે એવીને એવી જ પડી રહી છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પણ સરસ કવિતા વાંચવા મળે તો રુદિયે ટાઢક થઈ જાય… જુઓ, આ ગીત… આખું ગીત જ અદભુત થયું છે. અધખેડ્યાં ખેતરમાં તડકાના નાગુડિયાં છોકરાંઓ આળોટતાં હોય એ કલ્પન કેવું જીવંત થયું છે! ભરબપોરે પડછાયા ન દેખાય એ વાતને કવિએ થોરિયાની વાડ ખુદનો પડછાયો ખુદમાં સંતાડીને બેઠી હોવાના રૂપકથી તાદૃશ કરી દેખાડે છે. બપોરે પડછાયો નહિવત થઈ જાય એ મુજબનું કલ્પન મનોહર ત્રિવેદીના બે ગીત – ‘પંખી બેઠું ડૂંડે’ તથા ‘તડકા! તારાં તીર’ –ની યાદ અપાવે છે.

Comments (18)

રાત પડે ને…. – ચંદ્રકાન્ત શેઠ

રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,
સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.

સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!

વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત!
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.

નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ;
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.

ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક!
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!

અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.

અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.

– ચંદ્રકાન્ત શેઠ

રાતના નાનાવિધ આયામોને અજવાળતું કેવું મજાનું ગીત! અંધકારના વડલે સવાર થાય એ કલ્પનથી જ કવિ ભાવકહૃદય જીતી લે છે. મનગમતી ચોકલેટને આપણે જે રીતે જલ્દી ખૂટી ન જાય એ રીતે ધીમે ધીમે ચૂસીએ એ રીતે હળવે હળવે માણવા જેવી આ રચના છે.

(બિડાલ = બિલાડો)

Comments (8)

ખાસ કેટલાં? – શૈલેશ ગઢવી

કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!

બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!

એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!

એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!

વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!

– શૈલેશ ગઢવી

ગઝલ એક જમાનામાં ઉમદા કાવ્યકળા અને દીર્ઘ સાધનાનું ફરજંદ હતી. આજે સૉશ્યલ મિડિયાના અતિક્રમણના યુગમાં સંઘેડાઉતાર ગઝલોની સરખામણીમાં કારખાનેબંધ તુકબંધીનું ઉત્પાદન ઘાસના ખડમાં પળભરમાં ફેલાઈ વળતા દાવાનળ જેવું છે. સારા ગઝલકારો પાસેથી હજીય મળતી રહેતી સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે એ ભાષાનું સદનસીબ. પ્રસ્તુત રચના આજની સારી ગણાતી ગઝલોમાંય અલગ અને આગવી તરી આવે છે. દરેક શેર આસ્તેથી અને આરામથી મમળાવવા જેવા.

Comments (16)

વરસાદનો વાંધો – નીતિન વડગામા

વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!

કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.

બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.

ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.

લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!

મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.

સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.

– નીતિન વડગામા

વરસાદનો ભરોસો રહ્યો નથી. અચાનક માવઠું બનીને ત્રાટકે છે તો અચાનક આશા જન્માવી નાસી છૂટે છે… ભગવાન જાણે એને શો વાંધો પડ્યો હશે! પણ એમ કેડો મેલી દે એ વળી કવિ કેવા! કવિ એને પ્રેમના તાંતણે હળવેથી બાંધી રિઝવવાની નેમ ધરાવે છે. બળબળતી ધરતીના અંગે ફરફોલા પડી ગયા હોવાનું કલ્પન જેટલું પ્રભાવક થયું છે, એથી વધુ અસરદાર આખું આભ ભર્યું પડ્યું હોય તો એમાંથી બધા નહીં તો થોડા દરવાજા ખોલવાની વિનવણીનું રૂપક થયું છે. વરસાદ વિશે આપણી ભાષામાં હજારો ગીતો રચાયાં છે, પણ આ ગીત સાદગીના સૌંદર્યને લઈને અલગ જ ચોકો ચાતરે છે…

Comments (11)

તડકે – અનિલ જોશી

તડકે સૂરજ વાયો
ધોમ ધખે ને અંતરિયાળે ઘૂમું એકલવાયો,
તડકે સૂરજ વાયો.

ધૂસર એકલ વાટ, ક્યાંય ના ખર્યાં પાંદની ઝાંય,
તડકાનો વંટોળ ચડે ને સળગે મારી કાય!
પાન પાનથી ખરી ગયેલાં જંગલમાં પડઘાયો.
તડકે સૂરજ વાયો.

મૂંગા ઝરણે પથ્થર કોરી ખળખળ વહેતી પળ,
આસપાસનાં તરણાંઓને ચડી ગયા કૈં વળ,
લેવો ક્યાંક વિરામ મળે જો સૂરજનો પડછાયો.
તડકે સૂરજ વાયો.

– અનિલ જોશી

લૌકિકમાં અલૌકિક સર્જી શકે એ કવિ. વાવાનું કામ તો વાયુનું, પણ ઉનાળામાં સૂરજના તડકાનો વંટોળ કાયાને એવી તો સળગાવે છે કે તડકે સૂરજ ખુદ વાતો હોવાનું કવિને પ્રતીત થાય છે. આવા ધોમ ધખતા તાપમાં કવિ જેવો કોઈ અલગારી આત્મા જ એકલવાયી રખડપટ્ટી કરવા નીકળે. વૃક્ષોનો છાંયડો તો બહુ દૂરની વાત છે, ડૂબતાને તરણાના સહારા સમ ખરેલ પાંદડાની ઝાંય પણ ક્યાંય નસીબ નથી. સૂકાઈ ગયેલા ઝરણામાં પથ્થરો સિવાય કશું નજરે ચડતું ન હોય એ ખાલીપામાં કવિને સમય ખળખળ વહેતો દેખાય છે… છે ને અદભુત કલ્પન! પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે તાપથી ત્રાહિમામ પોકારી ગયેલ આત્માને વિરામ માટે સૂરજનો પડછાયો મળે તોય ચાલશે એવો વિચાર આવે છે… સાવ સરળ પણ મજબૂત રૂપકોના વિનિયોગના કારણે આપણને આગઝરતી ગરમીમાં પણ ઠંડક અનુભવાય છે! સલામ કવિ!

Comments (5)

ઓળખો હવે – પ્રદ્યુમ્ન તન્ના

પરભવે કે આ ભવે? ઓળખો તમે,
શેં મળ્યાં ફરી હવે? ઓળખો તમે.

જીવલેણ વેરી કે પ્રાણ સું પિયારું,
કોણ ઊભું વેશ નવે? ઓળખો તમે.

દેખીને રોમરોમ કાંપે કે આંખ,
વણખાળ્યાં અમી દ્રવે? ઓળખો તમે.

લેનાં-દેણાંનો રહ્યો અરધો હિસાબ,
માગે કે ચૂકવે?! ઓળખો તમે.

કંકુ છાંટીને લ્યો, માંડો ગણેશ,
ના લહ્યુંય સંભવે! ઓળખો તમે.

– પ્રદ્યુમ્ન તન્ના

(હસ્તાક્ષર ફોટો સૌજન્ય: શ્રી જયેન્દ્ર શેખડીવાલા)

ચોટીના ગીતકારોની યાદી તૈયાર કરવા બેસીએ તો પ્રદ્યુમ્ન તન્નાને માન સહિત યાદ કરવા પડે. ઇટાલિયન છોકરીને પરણીને ઇટલીમાં જ સ્થાયી થયા હોવા છતાં તળપદા ગુજરાતી પરનું એમનું પ્રભુત્વ ભલભલા ચમરબંધોને ભૂ પીવડાવે એવું અદભુત હતું. મૂળે એ ગીતકાર એટલે એમની પાસેથી ગઝલ મળે એ ઘટના જ મૂળે અલભ્ય અને એમાંય એમના હસ્તાક્ષરમાં મળે એ તો દુર્લભ જ. ગઝલનો છંદ પ્રમુખતઃ ગાલગાલા ગાલગા ગાલગાલ ગા હોય એમ પ્રતીત તો થાય છે પણ ઘણી જગ્યાએ એ જળવાયો જણાતો નથી. ગીતકવિઓ ગઝલના ચીલે ચાલવા જાય ત્યારે આવું ઘણીવાર થતું જોવામળે છે, કારણા કે એમના લોહીમાં ગઝલનો રુઢ છંદના સથાને ગીતનો લય જ વહેતો હોવાનો… ‘પ્રાણ સું પિયારું’ કે ‘લહ્યું’ જેવા શબ્દપ્રયોગોમાં પણ ગીતસંસ્કાર સાફ સાફ વર્તાય છે.

Comments (5)

કાગળની હોડી – મણિલાલ હ. પટેલ

કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.

– મણિલાલ હ. પટેલ

‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.

બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.

જેમને વિશદ આસ્વાદમાં રસ હોય એ ભાવકમિત્રો અહીં ક્લિક કરી એ માણી શકે છે

Comments (2)

(નામ મટી સરનેમ થયો છે) – હર્ષવી પટેલ

પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.

બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!

સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!

મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.

જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?

છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.

– હર્ષવી પટેલ

આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-

નીકળી તું બલ્લીમારાંથી, દુનિયા ઘૂમી, ગઝલ!
તું આવે બિલ્લીમોરા, હજુ શક્યતા ખરી…

Comments (34)

Daddys Bed Girl – એલિઝા ટોરિસ (અનુ.: વિવેક મનહર ટેલર)

‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)

ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!

કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન  કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!

Daddys Bed Girl

“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop

– Alyssa Torres

Comments (11)

આટલો સંદેશ – બાબુ નાયક

આટલો સંદેશ કોઈ સૂરજને કહેજો કે
આજ પછી આકરો ન થાજે,
આખ્ખુંય આયખું જ્યાં ધગધગતું હોય
ત્યારે દાઝ્યા પર ડામ કેમ છાજે ?
આટલો સંદેશ…

ધસમસતાં હોય જ્યાં નદીઓનાં નીર
લાગે નકશામાં ચીતરેલા લીટા,
પહાડો પણ હિમ જેમ ઓગળતા જાય
જાણે ધરતીમાં ધરબાયા ખીંટા
આભલાએ આભવટો લીધો કે કેમ નથી એનો અણસાર કાંઈ આજે.
આટલો સંદેશ..

લબકારા લેતી આ લૂખીલચ જીભડીઓ
જડબામાં સાવ થઈ જૂઠી,
તરફડતાં તરસ્યાનાં ટોળાઓ એકદમ
શ્વાસોથી હાય રહ્યાં છૂટી.
તારી આ બળબળતી કાયાને ઠાર,
જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
આટલો સંદેશ…..

– બાબુ નાયક

ઉનાળો આવે ને સૂરજ આકરો થવા માંડે… આભમાંથી લૂ વરસાવતા સૂરજ અને ઉનાળાની અનેક રચનાઓથી આપણી ભાષા સમૃદ્ધ થઈ છે. પ્રસ્તુત રચના આ રચનાઓની અડોઅડ બેસી શકે એવી બળૂકી થઈ છે. ધગધગતા આયખાના તાપ ઉપર સૂરજનો તાપ કવિને દાઝ્યા પર ડામ જેવો અસહ્ય લાગે છે. આમ તો કવિ ઇચ્છે એની સાથે સીધો સંવાદ સાધી શકે, પણ અહીં એ કોઈક સાથે સંદેશો પાઠવે છે. કારણ? આયખાની દાઝતી-દઝાડતી પળોજણોમાંથી ઘડીભરનોય અવકાશ સાંપડતો ન હોય તો સીધો સંવાદ કઈ રીતે કરી શકાય? એટલે જ સૂરજને કહેવા માટેની વાત સીધી સૂરજને કહેવાના બદલે જેની પાસે સમય અને પહોંચ બંને હોય એવી કોઈ વ્યક્તિ સૂરજ સુધી પોતાનો સંદેશો પહોંચાડી દે એવી અબળખા કવિ વ્યક્ત કરે છે. ગીતનો બીજો બંધ સામાન્ય થયો છે, પણ પહેલો બંધ તો એકદમ અદભુત થયો છે. સૂકાઈ ગયેલી નદીઓ નક્શાના લીટાઓ જેવી થઈ જાય અને બરફ પીગળતા ઊંચાઈ ગુમાવી બેસતા હિમશિખરો ધરતીમાં ધરબાતા જતા ખીંટાઓ જેવા લાગે એ કલ્પન કવિએ બહુ સ-રસ રીતે રજૂ કર્યું છે. આભે આભવટો લીધો હોવાની શંકા પણ એવી જ બળકટ છે.

Comments (13)

જાવું છે દશ અજાણી – લલિત ત્રિવેદી

એ વાવડો પલાણી જાવું છે દશ અજાણી
હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી!

ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!

કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી
લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી!

દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા
રહી જાય ના નિશાણી, જાવું છે દશ અજાણી!

કહી દો કે ભોગવી છે, કહી દો કે ચેતવી છે
દિલચશ્પ એક કહાણી, જાવું છે દશ અજાણી!

ચૂકવી દીધાં છે ખાણાં… નાણી લીધાં છે નાણાં
મા રોક દાના દાણી, જાવું છે દશ અજાણી!

વખડાંને ધોઈ લઈએ, મુખડાને રોઈ લઈએ
હે જુગજુગોની રાણી, જાવું છે દશ અજાણી!

– લલિત ત્રિવેદી

વસુંધરા હજારો જાતનાં પ્રાણીઓથી ભરી પડી છે, પણ એકેય પ્રાણીને આપણે જીવન ટકાવવા સિવાયની પ્રવૃત્તિઓ કરતાં જોતાં નથી. મનુષ્ય પણ પ્રાણી જ છે, પણ સામાજિક. કદાચ એટલે જ મોટાભાગના મનુષ્યો જન્મથી મૃત્યુ પર્યંત સમાજમાં રહીને જીવન નિર્વાહ કરવા આવશ્યક ક્રિયાઓ સિવાય ભાગ્યે જ કશું કરતા જોવા મળશે. પણ કેટલાક મનુષ્યો અવળે વહેણે તરનાર પણ જોવા મળે છે. પૂર્વનિર્ધારિત દિશાઓમાં જવાના બદલે તેઓ અજાણી દિશામાં જવાનું પસંદ કરે છે. આવા રોબર્ટ ફ્રોસ્ટના ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ કક્ષાના માનવીઓની આ ગઝલ છે.

વાવડો એટલે પવન યાને શ્વાસ અને પાંચ પાણી એટલે પંચેન્દ્રિય. શ્વાસને પલાણીને,શ્વાસ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ જ હોકાયંત્રમાં પણ જોવા ન મળે એવી બિલકુલ અજાણી દિશામાં પ્રયાણ કરવાનું છે એટલી સમજ સાથે આ ગઝલના શેર એક પછી એક ખોલવાના છે… પહેલા વાંચને કદાચ બધૂં ન પણ સમજાય… પણ અજાણી દિશા તરફની ગતિ તો એવી જ હોય ને!

Comments (9)

(અન હાય,તમારી…….) – રાહુલ તુરી ‘ઝીલ’

અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..

અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?

અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..

અન હાય,તમારી…….

– રાહુલ તુરી ‘ઝીલ’

સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…

Comments (14)

(આ નયન) – નયન હ. દેસાઈ

ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.

કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.

રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.

ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.

ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.

– નયન હ. દેસાઈ

એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…

Comments (9)

ખુલ્લી પાંખે પિંજરમાં -વિનોદ જોશી

ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!

હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!

અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!

જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!

– વિનોદ જોશી

આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..

Comments (10)

પ્રેમનગરીનું પતન – શબનમ ખોજા

કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
આવ તું જાતે કરી જો ઉત્ખનન.

જો મળે તારી અને મારી નજર,
આંખથી અત્તર ઝરે, મહેકે બદન

હસ્તરેખા ભૂંસી નાંખી મેં પ્રથમ,
એ પછી ચીતરી શકાયું છે મિલન.

સાવ ખાલી થઈ જવું થઈને શબદ,
ને પછી ભૂલી જવું સઘળું કવન.

જેટલી અઘરી જુદાઈ આપણી,
એટલું જબરું થવાનું છે મિલન.

દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન

– શબનમ ખોજા

લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ “તસ્બીહના બે પારા વચ્ચે”નું સાદર સ્વાગત…

સરળ બાનીમાં લખી હોવા છતાં પહેલા પઠને જ સીધા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાના શેરમઢી ગઝલ આજે આસ્વાદીએ…

Comments (23)

દુકાળ – નીતિન વડગામા

તડકાનાં કૈં તીર વછૂટે.
કૂવા, નદીયું ને સરવરનાં તળિયાં તૂટે!

મૂળિયામાંથી ઉખડી ટાઢક.
પાનવછોયાં ઝાડ ઊભાં છે સાવ અવાચક!

સળગે છે સૂનાં આંગણિયાં.
વાંભવાંભ ઊછળતા રહેતા લૂના દરિયા!

સૂરજનો અસવાર નીકળે.
પરસેવાથી રેબઝેબ પડછાયા પીગળે!

રોજ હવે તો ઢળતી સાંજે,
ફળિયું, ખીલા, ગમાણ રોમેરોમ કરાંજે!

– નીતિન વડગામા

ગીતની ખરી મજા એ છે કે ગઝલ-સૉનેટની માફક પૂર્વનિશ્ચિત બંધારણમાં જકડાઈ રહેવાના બદલે હૃદયોર્મિ જે રીતે વહેતી હોય, અદ્દલોદ્દલ એ જ રીતે વહેવાને એ આઝાદ છે… લયસ્તરો પર આજે એક મજાનું ગીત જોઈએ. અહીં કોઈ મુખડું નથી ને નથી કોઈ પૂરકપંક્તિ. ચુસ્ત પ્રાસવાળી બબ્બે પંક્તિના પાંચ બંધ. ગીત કાવ્યસ્વરૂપ માટે આ વિધા નવી નથી, પણ અહીં જે નવું છે એ છે દરેક યુગ્મકના વિષમાવર્તન… બંને પંક્તિમાં આવર્તનસંખ્યા અલગ હોવાના કારણે લયની જે ભાત અહીં સર્જાય છે, એ મનમોહક થઈ છે…

તાપ વધુને વધુ આકરો થઈ રહ્યો છે. બપોરે ક્યાંક જવાની ફરજ પડે તો એમ જ લાગે જાણે તડકાનાં તીર આપણને રોમેરોમે વીંધી ન નાંખતાં હોય. જળાશયો સૂકાઈ જતાં તળિયે તિરાડો પડવા અને વિસ્તરવા લાગે છે. પર્ણવિહોણાં વૃક્ષોને પવનની અનુપસ્થિતિમાં સ્થિર – અવાચક જોઈને એમ લાગે કે જાણે કોઈએ મૂળિયામાંથી ટાઢક જ ન ઉખાડી લીધી હોય! આંગણાં સૂનાં છે પણ એમાં લૂના દરિયા ઉછાળા મારી રહ્યા છે. આંગણાઓનો ખાલીપો અને દરિયાની અસીમતા – આ બે અંત્યબિંદુઓ પરના વિરોધાભાસી રૂપકોને પરસ્પરમાં ઓગાળી દઈ કવિએ કેવો કમાલ કર્યો છે, નહીં! સાંજ સુધીમાં તો અસ્તિત્વના કણેકણ કરાંજતા થઈ જાય એવા તડકાનાં તીરોનું આ લયાન્વિત ગીત નાની-મોટી કડીઓના વિષમાવર્તનોમાં રાચતી ચુસ્ત પ્રાસાવલિના કારણે વધુ હૃદ્ય બન્યું હોય એવું નથી લાગતું?

Comments (16)

ગાંધીની ગુજરાત – હરિકૃષ્ણ પાઠક

આમ જુઓ તો ગરવી ગુણિયલ
આમ જુઓ તો ઘેલી,
ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.

અણહકનું ના ખપે કોઈ દી
હકનુંયે ના માગે;
અવર કાજ એ ઓળઘોળ
ને સ્વારથ નિજના ત્યાગે.
કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી.
.                                  – ગાંધીની.

વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં
ઝાંખા જળના દીવા;
મરુભોમના મૃગજળમાં
મોતી શોધે મરજીવા.
જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.
.                                       – ગાંધીની.

દેશ અને દેશાવર ખેડે
વહે વણજ-વેપાર,
ઝીણું કાંતે પંડજોગ
ને વેરે અપરંપાર.
ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.
.                                          – ગાંધીની.

રંગ-રાગમાં રમતી
તોયે રૂડો સંયમ દાખે,
મીઠું બોલે મરમભર્યું
ને ભેદ કાળના ભાખે.
જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.
.                                      – ગાંધીની.

રાસ રચ્યા જે કૃષ્ણે
એની ઘેર હજીયે ગુંજે,
અલખધણીની અહાલેક
કંઈ હાડ મૂળમાં ઊંજે.
કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?
.                                    – ગાંધીની.

– હરિકૃષ્ણ પાઠક

આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિવસ.

તાજેતરમાં જ અનંતની યાત્રાએ નીકળી ગયેલ કવિશ્રીની એક ગીતરચના આજે માણીએ… પ્રવાહી લય અને સહજસાધ્ય બાનીના કારણે ગીત વિશે વિશેષ ટિપ્પણી કરવાની આવશ્યક્તા નથી. પણ આજની ગુજરાતી પેઢી માટે આ ગીતમાં પ્રયોજાયેલ અનેક શબ્દ આગંતુક હશે એમ મને લાગે છે, એટલે થોડા શબ્દાર્થ મૂકવા આવશ્યક જણાય છે.

(અવર=બીજું, અન્ય; ગાલાવેલું= દાધારંગું, મૂર્ખ, ગાંડાઘેલું; મરુભોમ= રણભૂમિ; તબકવું= અંધારામાં આછો પ્રકાશ કરવું, ઝગારા મારવું; કેલિ=ક્રીડા, રમત; પંડજોગ= પોતાની જાત પૂરતું; આપદ= આપત્તિ;ઝેલી= ઝેલવું, સહન કરવું; ઘેર= ઘેરાવો, ઘેરૈયાનું ટોળું; ઊંજવું=તેલ પૂરવું)

Comments (4)

(કોઈ બપોરે) – મનોજ ખંડેરિયા

કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
.                     ઘરથી નવરી થઈ

પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
.                     ઊંડી ઊતરી ગઈ

ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
.                     નિજને નીરખી રહી

– મનોજ ખંડેરિયા

અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!

અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.

Comments (9)

હરણી હાલી – પ્રિયકાન્ત મણિયાર

.                                  હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!

સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
.                    કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.

બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!

– પ્રિયકાન્ત મણિયાર

વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…

(ઊપનવું= ઊપજવું)

Comments (7)

સામે કાંઠે- – ચંદ્રકાન્ત શાહ

આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?

આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!

શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?

કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?

કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?

સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?

મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?

આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?

– ચંદ્રકાન્ત શાહ

કેટલાક માણસ જનમથી જ બહારવટિયા હોય છે. સમાજની પ્રસ્થાપિત ગલીઓમાં એ શ્વાસ જ લઈ ન શકે. ઘરેડમાં ચાલતી વસ્તુઓને તહસનહસ કરી પોતાની રીતે કંઈક નવું ન નીપજાવે ત્યાં સુધી એમને ધરવ જ ન થાય. ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ આવા જ એક સર્જક હતા. એમની આ રચનાને જરા ધીરજપૂર્વક ચકાસીએ તો કવિએ ગીત જેવું કંઈક લખ્યું હોય એમ પ્રતીત થાય. બે પંક્તિનું મુખડું, બે બંધ અને મુખડા સાથે પ્રાસ મેળવવાની મથામણ કરતી બે પૂરકપંક્તિઓ; લય પણ ગીતનો-પણ શું આને આપણે ગીત કે અનુઆધુનિક ગીત કહી શકીએ ખરા? ગીતના બંધની બે કડી વચ્ચે પ્રાસ મેળવવામાં આવે એ જ રીતે કવિએ ‘અહીં’-‘નહિ’ તથા ‘સાંભળવાનું’-‘મળવાનું’ વચ્ચે પ્રાસના અંકોડા તો મેળવ્યા છે,પણ આવર્તનોની સંખ્યા વચ્ચે તાલમેળ જાળવ્યો નથી. એ સિવાય લયમાં પણ ક્યાંક ક્યાંક ખાંચા રહી ગયા છે. આને ગીત કહીએ કે ગીતેવ- એ નક્કી કરવાનું કામ વિવેચકો પર છોડી દઈ આપણે કવિતા ઉપર ધ્યાન આપીએ… એકવાર-બેવાર-ત્રણવાર – જેમ જેમ આ કવિતા મમળાવતા જઈશું તેમ તેમ એ વધુને વધુ ગમતી જશે એની ગેરંટી…

Comments (4)

આબરૂ જળવાઈ ગઈ – દિલહર સંઘવી

સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ,
કયાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ!

દિલની છાની વાત દિલમાં રાખતાં ના આવડી,
આપણી પ્રીતિ જગતમાં એટલે પંકાઈ ગઈ.

કોઈને ચૂંટવા ન દીધી માળીની રખવાળીએ,
તે છતાંયે સાંજ રે ફૂલની કળી કરમાઈ ગઈ.

દિલની કૂંણી ઊર્મિઓને પીસવાનું બંધ કર,
રંગ આવી ગ્યો હવે – મેંદી હવે ઘૂંટાઈ ગઈ.

દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી, દોસ્તદારી પણ મને સમજાઈ ગઈ.

કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ.

કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં,
છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ.

આપની રહેમત ખુદા, જ્યાં ઊતરી મારા ઉપર,
સાવ મુફલિસી મહીં પણ આબરૂ જળવાઈ ગઈ.

મેં સગા હાથે જ લૂંટાવી હતી ‘દિલહર’ પછી,
શું કરું ફરિયાદ કે દિલની મતા લૂંટાઈ ગઈ!

– ‘દિલહર’ સંઘવી

લયસ્તરો પર સ્વાગત-સપ્તાહના અંતે આજે સાતમા પુસ્તકને મીઠો આવકારો દઈએ…. કવિશ્રી ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોના સંપાદન ‘ધન્ય છે તમને’માંથી એક સ-રસ મજાની ગઝલ મમળાવીએ… (સંપાદક: ભરત વિંઝુડા)

Comments (1)