દ્વારમાં ક્યાંય આવકાર નથી,
આપણામાંય કંઈ ખુમાર નથી.

જ્યાં સુધી તું પૂરો ખુવાર નથી,
ત્યાં સુધી ક્યાંય પણ સ્વીકાર નથી.
વિવેક મનહર ટેલર

(એ જ પ્રશ્ન છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

પામી ગયાં બધું, પછી શું? એ જ પ્રશ્ન છે,
પામ્યા વિના કશું નથી શું? એ જ પ્રશ્ન છે!

મળવું હતું મળ્યાં, ને વિખૂટાં પડી ગયાં,
ચાહત મિલન પછી શમી શું? એ જ પ્રશ્ન છે.

એ અલવિદા કહી જુએ અવળું ફરી મને,
બાકી હશે પ્રણય હજી શું? એ જ પ્રશ્ન છે.

એક પળ દુઃખી રહ્યાં ને બીજી પળ હસી પડ્યાં,
દુ:ખની ઘડી ખરી હતી શું? એ જ પ્રશ્ન છે.

તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.

– કિરણ જોગીદાસ ‘રોશન’

ગઝલને લોકપ્રિય બનાવવામાં ગઝલની સંરચનાનો બહુ મોટો ફાળો છે. છંદના કારણે જન્મતી રવાની સિવાય યુગ્મક પ્રકારનું બંધારણ અને રદીફ-કાફિયાની મદદથી સધાતું સાંગીતિક અને તાત્ક્ષણિક પ્રત્યાયન આમાં પ્રમુખ ભાગ ભજવે છે. ઉદાહરણરૂપે આજની આ રચના જોઈએ. ગઝલની રદીફ અહીં બે ભાગમાં વહેંચાયેલ છે. પહેલો એકાક્ષરી ભાગ ‘શું?’ પ્રશ્નરૂપે છે અને એ પછી ‘એ જ પ્રશ્ન છે’ કહીને સવાલનું સમાધાન આપતી સાંત્વના –આ પ્રકારની પ્રશ્નોત્તરીના કારણે ગઝલમાં સંવાદાત્મકતા ઉમેરાય છે, જે ગઝલને વધુ હૃદ્ય બનાવે છે. આ પ્રકારની ઉફરી પડતી રદીફ સાથે સૌથી મોટી સમસ્યા એના અવશિષ્ટ અંગ બનીને રહી જવાની છે. સદનસીબે અહીં પાંચેપાંચ શેરમાં શુંનો સવાલ અને એનું સમાધાન બંને તંતોતંત સચવાયા છે અને શેરને યથોચિત ઉંચાઈ આપવામાં સહાયક બન્યા છે.

અધૂરપ જીવનનું ખરું ચાલકબળ છે. બધું જ પામી જાવ તો આગળ શું કરવું એ પ્રાણપ્રશ્ન બની જાય. અને એથી વિપરીત પામવાનું બાકી હોય તો શું એય એવો જ પ્રાણપ્રશ્ન છે. જીવનના આ વૈષમ્યને કવયિત્રીએ કેવી સહજતાથી મત્લામાં રજૂ કર્યું છે! આખી ગઝલ જ આસ્વાદ્ય થઈ છે.

21 Comments »

  1. પ્રભાકર ધોળકિયા.સુરત said,

    July 26, 2024 @ 12:46 PM

    ખૂબસરસ..એમનો ગઝલ લોકાર્પણ પણ મે જોયો હતો
    અભિનંદન

  2. Ramesh Maru said,

    July 26, 2024 @ 1:54 PM

    સુંદર ગઝલ…

  3. Kiran Jogidas said,

    July 26, 2024 @ 2:19 PM

    ખૂબ ખૂબ આભાર વિવેક સર🙏🙏ગઝલ તમારી પારખું કલમથી પોંખાય એ
    અહોભાગ્ય🙏🙏

  4. Neeta Kotecha said,

    July 26, 2024 @ 2:33 PM

    વાહ વાહ

  5. બિનિતા said,

    July 26, 2024 @ 2:38 PM

    કાબિલે દાદ ગઝલ

  6. Yogesh Samani said,

    July 26, 2024 @ 2:50 PM

    જોરદાર ગઝલ . આનંદ 🎉

  7. Mahboob ikharvi said,

    July 26, 2024 @ 3:45 PM

    હયાતીની ભરચક અવસ્થા અને જીવનનું ખાલીપણું આ બે સત્યો વચ્ચેની શક્યતાઓ વર્ણવટી અદભુત ગઝલ અને એટલું જ સુંદર વિવેચન વાહ વાહ

  8. DILIPKUMAR CHAVDA said,

    July 26, 2024 @ 4:04 PM

    તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
    એ બાદ હું મને મળી શું? એ જ પ્રશ્ન છે.
    ક્યા બાત,
    અભિનંદન કિરણબેન

  9. Aasifkhan Pathan said,

    July 26, 2024 @ 5:29 PM

    વાહ સરસ ગઝલ થઈ છે

  10. Himadri Acharya Dave said,

    July 26, 2024 @ 5:55 PM

    વાહ..ખૂબ સરસ ગઝલ અને વિવરણ!

  11. Pinki said,

    July 26, 2024 @ 7:16 PM

    વાહ ખૂબ સરસ

  12. ingit modi said,

    July 26, 2024 @ 7:30 PM

    સરસ ગઝલ

  13. ingit modi said,

    July 26, 2024 @ 7:31 PM

    સરસ ગઝલ મજા પડી

  14. Razia Mirza said,

    July 26, 2024 @ 8:14 PM

    સુંદર ગઝલ, સચોટ વિવરણ

  15. Dhruti Modi said,

    July 27, 2024 @ 2:14 AM

    તારાપણાની ચાહમાં મારાપણું ભૂલી,
    એ બાદ હું મને મળી શું ? એજ પ્રશ્ન છે.

    પ્રશ્ન તો છે છતાં મન સાથે સમાધાન પણ છે કે બસ એજ પ્રશ્ન છે ! વાહ…
    અભિનંદન બહેન 👌👌👍

  16. Ashok Parekh said,

    July 28, 2024 @ 11:39 PM

    અર્થ સભર

  17. Ashok Parekh said,

    July 28, 2024 @ 11:42 PM

    વાહ કિરણબેન વાહ.

  18. जयप्रकाश सी व्यास said,

    August 1, 2024 @ 9:40 PM

    મસ્ત ગઝલ.

    જીવનમાં
    ધમસાણ મચાવતાં વાસ્તવવાદી પ્રશ્નોને
    “શું ? એજ પ્રશ્ન છે !” એવા ગઝલના રદીફ સાથે
    કવયિત્રી કિરણબ્હેન જોગીદાસ ગઝલમાં પોતાની સાથે
    રચાતા સંવાદો, વાચક વર્ગને મૌન વિચારવંત ખીણમાં પડઘાય છે.

  19. Gopal Vyas said,

    August 3, 2024 @ 9:57 PM

    આપની પ્રગતિ જોઈ ખુબજ આનંદ થાય છે. કાવ્ય સાહિત્ય ક્ષેત્રે ગઝલ નો પ્રકાર વધુ સ્વીકૃત છે. તેમાં પણ અમને વાચકો અને ભાવકોને પણ આપ સુશિક્ષિત કરી રહ્યા છો ! નવું નવું જાણવાનું તાજી ગઝલ અને શેર પણ સમજવાનું મળશે. ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે હાર્દિક અભિનંદન… જય શ્રી કૃષ્ણ…

  20. Ramesh prajapati said,

    September 15, 2024 @ 11:31 PM

    Excellent creation in Gazal

  21. Ramesh prajapati said,

    September 15, 2024 @ 11:32 PM

    Bahot khub

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment