‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શક્તી.
મરીઝ

જ્ઞાનીઓનું ગીત – આદિલ મન્સૂરી

ક ખ ગ ઘ ક ખ ગ ઘ
કક્કો તારો ખોટો
ઝટ ઝાલી લે લ લંપટનો લોટો
કનું માથું કાપો
કપાયલું ધડ છાપો
ખ ખાડામાં બની બકરી બાંધો
ઘના ઘરમાં ગનો ગર્દભ હાંકો
ચની ચાંચે મનું મરચું
દ દેવીને સઘળું અર્ચું
જ જડચરનો ક્યાંય જડે ના જોટો…

કાનો માતર ચાવી જઈએ
અનુસ્વારને ધાવી લઈએ
હ્રસ્વઇ દીર્ઘઈ ચટણી વાટો
ઉપર અલ્પવિરામો છાંટો
પ્રશ્નાર્થોના દૂકને ઊંધા વાળો
લિપિને દોરીથી બાંધી
ત્યાં અવળી ટીંગાડો
રક્ત વહેતો
કાગળ ઉપર લાંબો લાલ લિસોટો

– આદિલ મન્સૂરી

પ્રમુખતઃ ગઝલકાર રહેલા કવિને ગીતની ઇબારત બહુ માફક આવી જણાતી નથી. કવિએ શીર્ષકમાં ‘ગીત’ શબ્દ પ્રયોજ્યો છે, પણ રચનાને ગીત ગણવી કે કેમ એ સવાલ છે. બબ્બે પંક્તિઓ વચ્ચેની પ્રાસસાંકળી અને અંત્યપંક્તિઓ વચ્ચેના પ્રાસના અંકોડા ગીતનુમા રચનાનો આભાસ અવશ્ય કરાવે છે, પરંતુ કટાવ છંદના અનિયમિત આવર્તનવાળા ઊર્મિકાવ્યની કક્ષા છોડીને ગીત સુધી આ રચના પહોંચી શકતી નથી. ‘જ્ઞાનીઓનું ગીત’ શીર્ષક ઉપરથી ખ્યાલ આવે છે કે આ રચના ભાષાના કહેવાતા પંડિતોને નિશાન બનાવીને લખાયેલી વ્યંગરચના છે અને કવિએ ભાષાના નામે થતા ભવાડાઓ સામે આંખ લાલ કરવા ધારી જણાય છે, પરંતુ શ્રી સુરેશ જોશીએ આ રચના વિશે આમ લખ્યું છે: “વિડમ્બના વિદ્રોહનું પ્રબળ શસ્ત્ર છે, પણ એ રીતે એનો સમર્થ પ્રયોગ થયેલો ઝાઝો દેખાતો નથી. આદિલ મન્સૂરીનું “જ્ઞાનીઓનું ગીત” જાણે ભાષા સમસ્ત સામે વિદ્રોહ પોકારતું હોય એવું લાગે છે. રેંબોની “સ્વરો’વાળી કવિતા યાદ આવે ને તે સાથે જ આ કાવ્યની મર્યાદાઓ પણ સ્પષ્ટ થઈ જાય છે. અહીં જે છે તે તરંગ છે, રમત છે. રેંબોમાં કાવ્યને સ્તરે પહોંચવાની શક્તિ છે તે અહીં દેખાતી નથી.”

2 Comments »

  1. જગદીપ said,

    September 12, 2024 @ 12:32 PM

    અછાંદસ ગીત કહેવું વધુ યોગ્ય છે…..
    આ દિલ ની મંજુરી સાથે….

  2. Jigisha Desai said,

    September 12, 2024 @ 2:07 PM

    Vahhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment