નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જાતુષ જોશી

જાતુષ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શાલીન લાગે છે – જાતુષ જોશી

સપાટી ચાર ભીંતોની ભલે રંગીન લાગે છે,
સકળ અવકાશ વચ્ચેનો ઘણો ગમગીન લાગે છે.

સમયની ભોંયનું તળ ખોદવાથીયે નથી મળતું,
સમય કરતાંય ઊંડું મન ઘણું પ્રાચીન લાગે છે.

ઘણું સૂતાં પછી જાગી ગયો છે આખરે એ જણ,
હવે એને જગત આખુંય નિદ્રાધીન લાગે છે.

ઘડીભર ઢીલ દે, ખેંચે ઘડીમાં શ્વાસની દોરી,
કે જીવ ઉડાવવાનો એ અજબ શોખીન લાગે છે.

બધાંની હાજરીના ખ્યાલથી એ બ્હાર ના આવ્યું,
મને એ આંખનું આંસુંય તે શાલીન લાગે છે.

– જાતુષ જોશી

આજે ચારે તરફ જેનું ત્સુનામી ફરી વળ્યું છે એ ગઝલોના ટોળામાંથી સાવ અલગ અને અડીખમ ઊભી રહી શકે એવી કાવ્યબાની અહીં સાંભળવા મળે છે. રંગીન દીવાલોની વચ્ચેના ખાલી કમરાની ગમગીની જોઈ શકનાર કવિ આમેય અન્યોથી અલગ જ હોવાનો. સંસારમાં એવું કશું નથી જે સમયના ગર્ભમાં દટાયું પડ્યું ન હોય. પણ સાચો કવિ જ એ જે એ જોઈ શકે, જે અન્યોની નજરથી ઓઝલ હોય. સમયને ગમે એટલો ખોડો, ગમે એટલા ઊંડે જાવ પણ મન સમયથી પણ વધુ ઊંડું છે, મનનો તાગ મેળવવો સંભવ જ નથી. અને બીજાની હાજરીનો ખ્યાલ કરી જે આંસુ આંખનો ઉંબરો ઓળંગીને બહાર આવવું ટાળે છે એ આંસુને શાલીનકરાર આપતો શેર તો ભાઈ વાહ ! સરવાળે અદભુત ગઝલ…

Comments (17)

કયાં છે – જાતુષ જોશી

ક્ષણોનો સવાર ક્યાં છે? ક્ષણ મારમાર ક્યાં છે?
ક્ષણક્ષણને વીંધતું એ શર ધારદાર ક્યાં છે?

એ આંખથી જ બોલે ને આંખ ભેદ ખોલે;
ધેઘૂર રિક્ત આંખે એકે વિચાર ક્યાં છે?

અસ્તિત્વ ઝળહળળ છે, અસ્તિત્વ રણઝણણ છે;
અસ્તિત્વ ઝરમરરનો એ સૂત્રધાર ક્યાં છે?

આરોહ પણ નથી ને અવરોહ પણ નથી ત્યાં;
એના મિજાજના જો કોઈ પ્રકાર ક્યાં છે?

ક્યારેક ‘હા’ કહે ને ક્યારેક ‘ના’ કહે પણ,
‘હા’માં ‘હકાર’ ક્યાં છે? ‘ના’માં ‘નકાર’ ક્યાં છે?

– જાતુષ જોશી

માણસની ખરી લડાઈ સમય સાથે છે. બીજા શેરમાં ‘ધેઘૂર રિક્ત આંખ’ પ્રયોગ તીણો ખાલીપો છોડી જાય એટલો સશક્ત છે. ત્રીજો શેર જીંદગીને ઉજવે છે. પણ એમાં ય સૂત્રધાર (પોતાની જાત?)ની શોધ તો બાકી જ છે. છેલ્લો શેર વાંચતા જ મરીઝના બે અમર શેર ‘મન દઈને મરીઝ એ હવે…’ અને ‘ક્યાં કહું આપની હા હોવી જોઈએ…’ તરત જ યાદ આવી જાય છે.

Comments (9)

ગઝલ – જાતુષ જોશી

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

– જાતુષ જોશી

મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.

કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !

Comments (10)

ગઝલ – જાતુષ જોશી

રજેરજમાં પ્રવેશ્યા બાદ એ એમાં રહે છે કે ?
પરોઢે આવતાં કિરણો, કહો, પાછાં ફરે છે કે ?

તમે ક્યારેક ખરતાં ફૂલને થોડું જીવી જોજો,
અને જોજો કે છેલ્લા શ્વાસ ખુદના મઘમઘે છે કે ?

બધાયે ચક્રવાતો આખરે તો શાંત થઈ જાતા,
પરંતુ આપણી એકાદ પણ ઇચ્છા શમે છે કે ?

ગહન અંધારને આરાધતાં પહેલાં ચકાસી લ્યો
તમારું મન કદી તારક બનીને ટમટમે છે કે ?

નદી વ્હેતી જ રે’શે તો કશુંયે હાથ નહીં લાગે,
નદી અટકે અને બેઉ કિનારાઓ વહે છે કે ?

– જાતુષ જોશી

– વાંચતા જ ગમી જાય પણ ફરીવાર વાંચતા જ પ્રેમમાં પાડી દે એવી ગઝલ. સૂર્યથી મોટો અયાચક બીજો કોણ હોઈ શકે ? એના કિરણો રજેરજમાં વ્યાપ્ત થઈ ગયા પછી પણ ક્યાંય ઘર કરીને રહેતાં નથી અને દરેક પરોઢે અચૂક પાછાં પણ આવે જ છે. દરેકમાં પ્રવેશવું પણ કશામાં પ્રવેશી ન જવું – કેવી મોટી વાત ! બીજો શેર ખાસ ધ્યાન માંગી લે છે. આમ તો ખરતાં ફૂલ જેવું જીવી જવાની અને એ રીતે લાંબા અંતરાલ સુધી મહેંક્યા કરવાની નાનકડી જ વાત છે પણ જે મજા છે એ કવિએ પ્રયોજેલા ‘જીવી’ શબ્દમાં છે. આ એક શબ્દ આ શેરને અમર કાવ્યત્વ બક્ષે છે…

Comments (18)

ઊભા છીએ – જાતુષ જોશી

અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત  લઇ ઊભા છીએ. 

ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ? 

કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ. 

એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ. 

શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.

-જાતુષ જોશી


જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.

Comments (5)

ગઝલ – જાતુષ જોશી

આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.

કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.

આપણો સંતત્વનો દાવો નથી,
આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે.

વ્હેંચવાથી જે સતત વધતું રહે,
આ હૃદયમાં એક એવું દ્રવ્ય છે.

સ્વપ્નનો છે અર્થ કેવળ શક્યતા;
સ્વપ્ન પણ આવે નહીં એ શક્ય છે.

જાતુષ જોશી

-આપણી ભૂલો બધીયે ક્ષમ્ય છે કહીને  કેટલી સરળતાથી મનુષ્યજીવનની નબળાઈનો કવિએ સ્વીકાર કરી લીધો ! અને સ્વપ્નની વ્યાખ્યા અને વાસ્તવિક્તાને મત્લાની બે કડીમાં સાંકળીને બોટાદના જાતુષ જોશીએ કમાલ નથી કરી લીધી ! (જન્મ : 02-01-1979)

Comments (4)

ગઝલ- જાતુષ જોશી

આંખ સમજે છે બધું પણ એ કશું કે’તી નથી,
આંખની સામે રહેલું રણ ફકત રેતી નથી.

કોઈ ત્યાં એવી રીતે આ વ્હેણને જોયા કરે,
કે નદી જેવી નદી આગળ પછી વ્હેતી નથી.

આંસુઓ થીજે પછી એનું વલણ બદલી જશે,
આંખ વ્હેતાં આંસુઓની નોંધ પણ લેતી નથી.

આ ક્ષણો તો મસ્ત થઈને મોજથી ચાલ્યા કરે,
કાંઈ એ લેતી નથી ને કાંઈ પણ દેતી નથી.

હા, ગઝલ કાગળ ઉપર લખવી પડે છે ઠીક છે,
પણ ગઝલ ક્યારેય તે કાગળ ઉપર રે’તી નથી.

જાતુષ જોશી

Comments (3)