ક્યાંક ખૂટે, ક્યાંક ટૂટે, તે છતાં લખતાં રહો
શક્ય છે આ માર્ગ પર, આગળ જતાં ઇશ્વર મળે
– હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

તમે કિનારે ચૂપ – ફિલિપ ક્લાર્ક

ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

તમે ગયાં ને ફૂલદાનીમાં
ફૂલો નહીં પણ શૂલ,
કારણ નહીં ને ભમે અબોલા
કેવી થઈ ગઈ ભૂલ!

સાવ સુંવાળી હથેળીઓમાં ખોદી બેઠા કૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

કાજળમાં ઓગળતી રાતો
અને નીતરતાં ગીત,
આવો કહીને અળગાં રહેતાં
મળતાં એવાં સ્મિત.

ઝાકળ વચ્ચે તડકો કે આ ૨મે તમારું રૂપ.
ભીતર દરિયા ખળભળતા ને તમે કિનારે ચૂપ.

-ફિલિપ ક્લાર્ક

પ્રેમીજનો વચ્ચે અકારણ અબોલા અને તણાવ કઈં નવી વાત નથી. ભીતર સંવેદનના દરિયા ખળભળતા હોય અને સામી વ્યક્તિ કિનારે મૂંગીમંતર ઊભી હોય એવી અકળામણમાંથી આ રચના જન્મી છે. પ્રિયજનની અનુપસ્થિતિમાં ફૂલદાનીના ફૂલ કાંટા સમા ભાસે છે. હથેળીઓમાં સ્પર્શના અને સહવાસના બગીચા ઉગાડવાના હોય એના સ્થાને બેય જણ કૂવા ખોદી બેઠા છે. ભૂલ સમજાય છે પણ પહેલ કોણ કરે? પરિણામે રાતો ઉજાગરામાં પસાર થાય છે અને આંસુઓમાં કાજળ ધોવાય છે. સામનો થાય તો આવોની ઔપચારિકતાવાળું સ્મિત અલગાવ બનાવી રાખે છે. ઝાકળ પર પડતો તડકો રંગોની રમત કરી જે સૌન્દર્ય જન્માવે એમાં પણ પ્રિયજનનું રૂપ જ નજરે ચડે છે, પણ….

Comments (6)

અમે મેળે ગ્યાં’તાં – ઉમાશંકર જોશી

Umashankar4

અલકમલક ભેળો થાય,
અમે મેળે ગ્યાં’તાં.
ગામ ગામ આવી ઠલવાય,
અમે મેળે ગ્યાં’તાં.

હૈયું ન હાથ રહ્યું ઊભી બજારમાં;
શોધું હવે ક્યાં હું માનવી હજારમાં?

એ આગળ, હું પાછળ,
અમે મેળે ગ્યાં’તાં,
એ પાછળ, હું આગળ,
અમે મેળે ગ્યાં’તાં.

એ રહ્યો મૂંગો ને હું રહી માનમાં;
સમજ્યાં બંનેમાંથી એકે ના સાનમાં.

એ ગયો પૂરવ, હું પચ્છમ,
અમે મેળે ગ્યાં’તાં;
હું ગઈ ઉત્તર, એ દખ્ખણ,
અમે મેળે ગ્યાં’તાં.

સત્તરે ચૂક્યાં તે સિત્તેરે શોચતાં,
એની એ ભૂલ તોય હજારો કર્યે જતાં.

કરવાને છેલ્લા જુહાર,
અમે મેળે ગ્યાં’તાં.
ફરી હવે ક્યાંથી એ દીદાર?
અમે મેળે ગ્યાં’તાં.

– ઉમાશંકર જોશી

આજે એકવીસમી જુલાઈના રોજ કવિશ્રીના જન્મદિવસે એક ગીત માણીએ.

મેળો શબ્દ કાને પડતાવેંત ઇન્દ્રિયો સતેજ થઈ જાય. મેળો, મેળામાંનો માનવમહેરામણ અને જાતભાતની ચકડોળો તથા ખાણીપીણી-ખરીદીની દુકાનોનું ચિત્ર અલગ જ સંવેદન જન્માવે છે. કાવ્યનાયિકા અને નાયક પણ મેળામાં ગામેગામથી આવીને ઊભરાતી માનવમેદનીનો એક હિસ્સો છે. મેળામાં તે કોનું હૈયું હાથ રહે તે નાયિકાનું રહે? પણ નાયક હોઠ ખોલવાની હિંમત કરી ન શક્યો અને નાયિકા સ્ત્રીસહજ માનના તોરમાં રહી ગઈ. હૈયાંની વાત સમય પર સમજવામાં અને સહિયારવામાં ઉભય નિષ્ફળ નીવડ્યાં. બંનેની દિશા કે ગતિ સદૈવ પરસ્પરથી વિરુદ્ધ જ રહી, પરિણામે જીવનની ઢળતી સાંજે એકમેકને આખરી જુહાર બંને ફરી મેળે જાય છે, પણ હવે એ જૂનાં દર્શન તો ક્યાંથી થાય? મેળો તો ભર્યોભાદયો છે, પણ હૈયાં ખાલીખમ રહી ગયાં. મેળો તો રંગરંગીન છે, પણ હૈયે સ્નેહરંગ પૂરાયો જ નહીં. લોકગીતની ઢબમાં લખાયેલ આ ગીત લયપલટાને લઈને મેળાની ચકડોળનો આનંદ પણ આપે છે.

Umashankar5

Comments (4)

ન શોધો ક્યાંય પણ એને – મધુસૂદન પટેલ ‘મધુ’

ન શોધો ક્યાંય પણ એને કે એ તો આંખ આગળ છે,
હવાના ગર્ભમાં જળ છે, ને સાબિતી એ ઝાકળ છે.

ગદાઓ ભીમની હું એકસો ને એક લાવું, પણ,
થયો છું સહેજ નાસીપાસ કે અગણિત સાથળ છે.

કદી પહોંચે તો આપોઆપ હોડી થઈને તારે છે,
કવિતા મૂળ તો એણે લખેલો એક કાગળ છે.

કદી માટી મહીં ભળતું, કદી સંતાતું આકાશે,
એ પાણી એ જ પાણી છે, બસ એનું નામ વાદળ છે.

‘મધુ’ એ રૂપ છે, ને એય તે તારા જ મનનું છે,
તને લાગે છે, તારા મનની ફરતે કોઈ સાંકળ છે.

– મધુસૂદન પટેલ ‘મધુ’

લયસ્તરો પર કવિના નૂતન સંગ્રહ ‘રજવાડું’નું સહૃદય સ્વાગત…

રોજબરોજની નાનીનાની ઘટનાઓ, જેના તરફ આપણે જોવાનુંય છોડી દીધું હોય, એ જ નાનીનાની ઘટનાને નવતર કલેવર બક્ષીને રજૂ કરી શકે એ જાદુનું જ બીજું નામ કવિતા… પ્રાતઃકાળે ભેજવાળી હવા ઠરે અને શૂન્યમાંથી ઝાકળબુંદ પ્રકટ થાય એ વૈજ્ઞાનિક તથ્ય પણ કવિતાનું રૂપ ધારણ કરે તો કેવું મનહર બની શકે છે, નહીં! ગમે એટલી કોશિશ કરો તોય હવાના ગર્ભમાં છૂપાયેલું આ જળ જોઈ શકાતું નથી. ઝાકળના મિષે કવિ કદાચ ઈશ્વરના અસ્તિત્ત્વનો રહસ્યસ્ફોટ પણ કરવા ચહે છે. હૃદયમાં શ્રદ્ધા ઘનીભૂત થઈ ઠરે તો જ ઈશ્વર નજરે ચડે, ખરું ને? કવિતા બીજું કશું નહીં, ઈશ્વરે લખેલો કાગળ છે. મોટાભાગની કવિતાઓમાં આજે કળાકારી ઓછી અને કારીગરી વધારે જોવા મળે છે. કવિહૃદય સુધી પહોંચતી કવિતા જો સાચી હશે તો ઈશ્વરનો આ કાગળ હોડી બનીને ભવસાગર તારશે એ નક્કી.

Comments (12)

કાગળ છું – ભગવતીકુમાર શર્મા

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું;

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું;

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું;

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું;

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું

– ભગવતીકુમાર શર્મા

દરેક શેર એક કહાની છે જાણે…..

Comments (2)

ત્યારે બોલશું – પારુલ ખખ્ખર

આંખ છલકાશે ઉઘાડેછોગ ત્યારે બોલશું,
માંગશે આ વાવ જ્યારે ભોગ ત્યારે બોલશું.

બોલવું તો છે ઘણું પણ મૌન રોકે છે હજુ,
દર્દનો હો શબ્દ સાથે યોગ ત્યારે બોલશું.

હા, દવાઓ છે, દુવાઓ છે, પરેજી સાથમાં,
તે છતાં વકરી જશે આ રોગ ત્યારે બોલશું.

આમ તો કંઈ મોં ન ખૂલે, ઘૂંટ પીવાતા રહે,
નાક જ્યારે દાબશે સંજોગ ત્યારે બોલશું.

એકલે હાથે લડીશું મોરચા, મેરે ખુદા!
જો હશે કંઈ કામ તારે જોગ ત્યારે બોલશું.

– પારુલ ખખ્ખર

યાદ આવે – કાઝિમ લખનવીસાહેબ –

मुद्दतें हो गई हैं चुप रहते

कोई सुनता तो हम भी कुछ कहते

Comments (1)

એવો છે વરસાદ – ધ્રુવ ભટ્ટ

જરાક જેવી આંગળીઓને એક-બીજામાં સરકાવીને ક્યાંક છાપરી નીચે બેસી જોયા કરીએ એવો છે વરસાદ,
સાત ખોટના શબ્દોને પણ વાદળ પાછળ મૂકી દઈને આ અવતારે પામ્યા તેને મોહ્યા કરીએ એવો છે વરસાદ.

ઘર કહેવાતી છાપરીઓ કે ડુંગ૨ ઘેર્યાં ઝાડ બધાંયે આજ વરસતા જળ પછવાડે વરસે છે જો ઝાંખાંપાંખાં,
નભની ટોચે દેશવટાના કાળા ઘોડે કુંવરજીની તેગ ફરે ને ઝબકારામાં એકદંડિયા મહેલ જગે છે આખેઆખા;
છબછબિયાંથી આજ સુધીના ગારાથી લઈ બટ્ટ-મોગરા ફૂલ ભરેલા ચોમાસામાં હાથ હજીયે બોળ્યા કરીએ એવો છે વરસાદ.

સૂરજ જ્યારે સંતાતો જઈ બીક ભરેલા અડાબીડ અંધારે, ત્યારે કેવા એનું નામ કહીને મનમાં થપ્પો પાડી દેતા,
પણ એ ત્યાંથી નહીં નીકળે તો -ની શંકાએ મૌન રહીને કિરણ જડે તો કહીશું માની ઊગી ટીસને દાબી દેતા;
તને ખબર છે, મને ખબર છે એક સમયમાં કહેવી’તી ને નથી કહી તે વાતો મનમાં બોલ્યા કરીએ એવો છે વરસાદ.

– ધ્રુવ ભટ્ટ

વરસાદ પડતો રહે, પડતો રહે, પડતો જ રહે એવા પ્રલંબ લયના તારથી ગૂંથાયેલું આ ગીત ગણગણાવીએ ત્યારે ભીતર પણ અનવરત ટપ ટપનું સંગીત રેલાતું હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. સમર્થ કવિ કાવ્યસ્વરૂપનો કાવ્યવિષયને ઉપસાવવામાં કેવો ઉત્તમ વિનિયોગ સાધી શકે છે એનું એક ઉદાહરણ આ ગીત આપણને આપે છે. અટકવાનું નામ ન લેતા વરસાદમાં ભીંજાવાથી બચવા આંગળીઓના અંકોડા ભેરવીને છાપરી નીચે બેઠા રહીને પ્રતીક્ષા કરવા સિવાય બીજો કોઈ આરો રહેતો નથી. શબ્દોને ભૂલી જઈને મળ્યું એને મનભર માણી લેવાની આ મોસમ છે. વરસાદની ચાદરમાં સૃષ્ટિ એવી તો ઢંકાઈ ગઈ છે કે સૃષ્ટિ પોતે વરસતા જળની પાછળ વરસતી હોવાનો ભાસ થાય છે. અંધારા આભમાં કાળા વાદળની કોરેથી ચમકતી વીજળીની તલવારના ઝબકારામાં પરીકથાના એકદંડિયા મહેલ ઝગમગતા જણાય છે. અડાબીડ અંધારું સ્વાભાવિક ભય જન્માવે છે. સૂરજ આવા અંધારામાં ક્યાંક સંતાઈ ગયો છે એ જોઈને નાયકને બાળપણની સંતાકૂકડીની રમત અને ડોકિયું કરતાં ઝડપાઈ જાય એનો થપ્પો પાડી દેવાની વાત યાદ આવે છે. પણ આ વરસાદ કદાચ અટકશે જ નહીં અને સૂરજ કદાચ નીકળશે જ નહીં એવી આશંકા પણ મનમાં ઘર કરી ગઈ છે. અને આ બધા વરસાદની વચ્ચે બંને જણને જાણ હોવા છતાં કહેવી હતી પણ કહી ન શકાયેલી વાતનો વરસાદ પણ મનમાં વરસ્યે રાખે છે.

Comments (4)

(રવાડે ચડી ગયા) – અશરફ ડબાવાલા

મનગમતા એક થડાના રવાડે ચડી ગયા,
ને એ પછી નફાના રવાડે ચડી ગયા.

પહેલા જ શ્વાસે પહેલું રુદન થઈ ગયું શરૂ,
બસ ત્યારથી હવાના રવાડે ચડી ગયા.

જે બોલતા’તા ટૂંકું અને ટચ એ છેવટે,
તેમ જ અને તથાના રવાડે ચડી ગયા.

કાં તું ને કાં ગઝલ કે પછી બંને સાથે હો,
ત્રણ જાતના નશાના રવાડે ચડી ગયા.

અશરફ જે જીવતા’તા દરદના ગુમાન પર,
એ પણ હવે દવાના રવાડે ચડી ગયા.

– અશરફ ડબાવાલા

થડો એટલે દુકાનદાર જ્યાં બેસીને ધંધો કરે એ સ્થાન. વેપારી હોય એ ધંધો કરે એ તો સાહજિક છે, પણ અહીં કવિએ થડાને ‘મનગમતા’ વિશેષણ આપીને અદકેરું સ્થાન બક્ષ્યું છે. મનગમતો વ્યવસાય કરવા મળે એ બધાના ભાગ્યમાં નથી હોતું. પણ માનવપ્રકૃતિ એવી છે કે મનગમતી વસ્તુ કરવા મળે તો એમાંથીય નિર્ભેળ આનંદ અને સંતોષ મેળવવાના બદલે એ નફાખોરી શોધવા માંડે છે. કવિએ જે થડાની વાત કરી છે, એ થડો જીવનના કોઈપણ ક્ષેત્રનો હોઈ શકે. સાહિત્ય માટેના પ્રેમથી પ્રેરાઈને કલમના ખોળે માથું મૂકતા સાહિત્યકારો પછી મંચ અને દાદ ઉઘરાવવાના રવાડે ચડી જાય છે ત્યારે સાચું સાહિત્ય તો કોરાણે મૂકાઈ જતું હોય છે.

Comments (10)

(આગ અબ્બીહાલની) – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની,
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની.

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની!

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

ગઝલસ્વરૂપની ખરી કરામત એ છે કે એ મોટામાં મોટી ફિલસૂફીને પણ સહજ-સાધ્ય શબ્દોમાં રજૂ કરી શકે છે. Carpe Diem – ‘આ ક્ષણમાં જીવો’ જેવી વાત કવિ મત્લામાં આબાદ ઝીલી શક્યા છે એ તો ખરું જ, પણ સહેજ પણ ભાષાડંબરનું મોણ નાખ્યા વિના એ ખાસ નોંધવા જેવું. અબ્બીહાલ જેવા લોકબોલીના શબ્દને કામમાં લઈને કવિએ કમાલ કરી છે. મંચ પર છટાદાર રજૂઆત વડે વન્સમોરના પુરસ્કાર પામતા રહેતા કવિની ગઝલના શેરની બે પંક્તિ વચ્ચેના ઊંડાણની પણ નોંધ લેવાવી જોઈએ.

Comments (15)

એક કહાની ઐસી ભી… – દક્ષા બી. સંઘવી

લટકચમેલી જેવી છોરી રૂમઝૂમ રૂમઝૂમ ચાલે ત્યારે છોરીની આ લટકમટકતી ચાલે આખું ફળિયું કોળે
ગરમાળા જેવો એક છોરો ડોક નમાવી ફળિયા વચ્ચે સમી સાંજનો સોનલવરણો ઝરમર ઝીણો તડકો ઢોળે

તને ખબર છે! એમ કહીને આંખ નચાવી લટ લહેરાવી છોરી છુટ્ટી મૂકે આખી પતંગિયાની ઝલમલ ટોળી
આંખે અચરજ આંજી છોરો ‘એમ!’ ‘અરે!’ હોંકારા ભણતો વાતું એની ચગળે જાણે હોય રસીલી મીઠી ગોળી
કોક દિવસ છોરાને થાતું કેવું છે ઈ આજે અબ્બીહાલ કહું, પણ ‘કેમ કહું’ની કૂંચી છોરો મનમાં ખોળે

એક દિવસ! હા એક દિવસ તેજી ઘોડી ને લાલ પલાણે આવ્યો કુંવર લાવ્યો રે કાંઈ લાલ ફૂલની લીલી ડાળી
એક દિવસ! હા એક દિવસ તો સોળ સજી શણગાર ચમેલી ઘરચોળાના છેડે તડકો મોતી જેમ પરોવી હાલી
મોં મલકાવી સામે ઊભો છોરો એના પગલે પગલે ફૂલ વેરતો છાને ખૂણે જઈ જઈ રાતી આંખ્યું ચોળે

જાતાં જાતાં લટકચમેલી આંખો ઢાળી દઈ ગઈ’તી જે ફૂલો એની મનભર મસ્ત સુગંધ હજી છોરાના ગજવે
છોરાએ તો ઘસીઘસી ને ધોઈ હથેળી, ધોયું પહેરણ, ધોયું ગજવું તોય હજી એ ગંધ જુઓ છોરાને પજવે
પછી થયું શું?
થયું એમ કે લટકચમેલી નથી-નથીના જાપે સૂનમૂન બેઠો છોરો હાય વીતેલી પળ વાગોળે
વહી ગયેલાં જળ વાગોળે… હાય વીતેલી પળ વાગોળે…

– દક્ષા બી. સંઘવી

એક તો આઉટ ઓફ ધ બોક્સ લાગે એવી લાંબીલચ પંક્તિનું ગીત અને ‘લટકચમેલી’ જેવા સંબોધનથી ઉપાડ- એટલે ગીત સાથે મુલાકાત થતાવેંત એટલો તો ખ્યાલ આવી જ જાય કે રચના જરા હટ કે જ હશે. ગામમાં છોકરી યુવાન થાય એટલે ફળિયું સજીવન થઈ જાય. આપણો કાવ્યનાયક કંઈ કોઈ અપવાદ નથી. ગરમાળો તાપ ઝીલીને ફૂલ ખેરવીને રસ્તાને પીળી ચાદરથી ઢાંકી દે એ વાતને છોકરા સાથે વણી લઈને સર્જક ખૂબ જ મનહર ચિત્ર ખડું કરે છે. રૂપના તાપ સામે ડોક ઝૂકાવી ઊભેલા ગરમાળા જેવો છોકરો સમી સાંજના કુમાશભર્યા તડકા જેવી લાગણીઓ વહેતી કરે છે.

બંને મિત્રો પણ છે, એટલે વાતચીતનો વહેવાર તો છે, છોકરી તરફથી મિત્રતા છે, પણ છોકરો રસીલા મીઠા પ્રેમમાં ઓગળી ચૂક્યો છે. દિલની વાત હમણાં કહું હમણાં કહુંની તાલાવેલી વચ્ચે પણ છોકરાના એકતરફી પ્રેમને વ્યક્ત થવા માટેની ચાવી મનના ભંડકિયામાંથી કેમે કરીને જડતી નથી. નિષ્ફળ પ્રણયકથામાં જે બને એ જ અહીં પણ બને છે. તેજીલી ઘોડી પલાણીને એક કુંવર આવીને સોળ શણગાર સજી છોકરીને પરણીને લઈ જાય છે. છોકરો છોકરીના પગલે પગલે તો સ્મિત અને પુષ્પો વેરતો જઈને પ્રસંગના આનંદમાં અન્હિવૃદ્ધિ કરે છે, પણ ખૂણામાં જઈને બધાથી છાનોમાનો રડીને રાતી થયેલી આંખ ચોળે છે. જતાં જતાં છોકરીએ મિત્રની હથેળીમાં ફૂલ મૂકી ગઈ, જેની સુગંધ અને યાદ હવે કેમે કરીને છોકરાનો કેડો મૂકતાં નથી. સમયજળ અને પ્રેમકહાણી ભલે વહી ગયાં પણ પૂરી ન થયેલી વાર્તાનું અધૂરું પાનું વાગોળતા છોકરાની જિંદગીએ આગળ વહેવાનું છોડી દીધું છે.

Comments (23)

અમે વૃક્ષની જાત… – ઉષા ઉપાધ્યાય

અમે વૃક્ષની જાત-
.              અમે ના ખળખળ વહીએ સંગે.

ડાળ-પાનમાં રહે ઝીલાતો
.                          જળનો નાતો સ્હેજ!
ફૂલ-કળીમાં છલકે સઘળે
.                          જળનું ઝલમલ તેજ,
પામિયા અચળપણાના શાપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

થાય અધિકું કદી, ઝૂકીને
.                          નિરખી લઈએ જળમાં,
વળી સમેટી જાત, ઊતરીએ
.                          સદીઓ જૂનાં તળમાં,
પામિયાં મૂળ-માટીનું રૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

હશે અધિકાં મારાં કરતાં
.                          પરપોટાનાં ભા’ગ,
ભલે પલકભર વહે ઝીલતાં
.                          મેઘધનુષી રાગ,
અમારે ઝીલવી નરદમ ધૂપ
.              અમે ના ખળખળ વહીએ સંગે.

– ઉષા ઉપાધ્યાય

 

અચળપણાના શાપ ન મળ્યા હોય એમ પાણી સાથે ખળખળ કરીને વહેવાનું પોતાના નસીબે ન હોવાના વસવસા સાથે વૃક્ષો જમીનમાં મૂળિયાં નાંખીને આજીવન સ્થિર ઊભાં રહે છે. એક તરફ ડાળી-પાંદડાં પાણીને પ્રત્યક્ષ ઝીલે છે તો બીજી તરફ એ જ પાણી ફૂલ-કળીના બંધારણનો અદૃશ્ય ભાગ થઈને પ્રકાશે છે. ઝાકળબુંદનું ઝલમલ તેજ પણ સોનામાં સુગંધ ઉમેરે છે. વધારે મન થાય તો વહેતાં જળમાં સહેજ ઝૂકી લઈને જાતને જોઈને પોતે પણ વહેતાં જળનું જ એક અંગ હોવાનું આશ્વાસન વૃક્ષ મેળવે છે. તો વળી, જાત સમેટીને તળનાં જળનો સંસ્પર્શ પણ એ મેળવતાં રહે છે. મનુષ્યની જેમ વૃક્ષોમાં પણ ઈર્ષ્યાભાવનું આલેખન કરીને સર્જકે સજીવારોપણ અલંકારને સર્વથા સાર્થક કર્યો છે. ભલે પળભરનું આયુષ્ય કેમ ન હોય, પણ પાણીમાં વહીને મેઘધનુષના રંગોને ઝીલવાનું સૌભાગ્ય પામનાર પરપોટાની વૃક્ષોને અદેખાઈ આવે છે, કેમ કે એમના નસીબે તો કાયમ તડકો વેઠવાનું જ લખાયું છે. ‘જાત’ સાથે ‘શાપ’નો પ્રાસ મેળવ્યા બાદ આગળ જતાં સર્જકે ‘રૂપ’ અને ‘ધૂપ’ ઉપર પ્રાસપસંદગીનો કળશ ઢોળ્યો છે, એટલા પૂરતો ખટકો ન અનુભવાતો હોત તો ગીત ઓર આસ્વાદ્ય બન્યું હોત.

Comments (10)

(દાદ જેવી દાદ નહિ) – નિનાદ અધ્યારૂ

યાદ એની યાદ જેવી યાદ નહિ,
દોસ્તોની દાદ જેવી દાદ નહિ.

એ કરે આબાદ તો આબાદ, પણ-
એ કરે નહિ તો અમે બરબાદ નહિ.

તું કહે તો વાદળો પાછાં ફરે,
તું કહે તો આજથી વરસાદ નહિ !

જ્યાં સુધી પંખી પૂરાયેલું હશે,
ત્યાં સુધી આ પિંજરું આઝાદ નહિ !

આ ગઝલને દાદ તારી ના મળે,
નામ મારું તો પછી ‘નિનાદ’ નહિ.

– નિનાદ અધ્યારૂ

સાવ સહજ બાનીમાં લખાયેલી આ ગઝલની સરળતામાં કંઈક અકથ્ય તત્ત્વ છે જે ભાવકને બાંધી રાખે છે. ખાસ કરીને બીજો અને ચોથો શેર તો અદભુત થયા છે.

 

Comments (7)

થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા

હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.

લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.

મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !

તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !

પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !

– ભગવતીકુમાર શર્મા

પ્રત્યેક શેર પાણીદાર મોતી….

Comments (2)

તાડનાં વૃક્ષ – ચાર્લી સ્મિથ (અનુ.: વિવેક મનહર ટેલર)

એ દિવસે એલ.એ.માં સૂર્ય અસ્તાચળે જતો હતો, ત્યારે હું ભાડાની કાર હંકારી રહ્યો હતો
સનસેટ બુલેવર્ડ ખાતે પૂર્વ દિશામાં,
અંતહીન આંતરિક મારપીટથી થાકીને ઠૂસ થઈને,
અને મેં પાછળ જોયું પ્રખર વ્યાપક બળબળતા સમુદ્રી પ્રકાશ,
તથા ચિત્રિત શહેર ઉપર ઝળુંબી રહેલ હવામાંની ધૂળને જોવા માટે
જે પ્રકાશને સ્પષ્ટ અને સુંદર બનાવતી હતી,
અને મેં જોઈ લોખંડી વેલબુટ્ટાથી ગંઠાયેલી ભાંગીતૂટી નાની-નાની દુકાનો,
અને જોઈ સાંકડી ગલીઓ જે દૂર ભાગતા પાગલોની પેઠે
તળેટી તરફ ફૂટતી હતી, અને એક ટીલો હતો જેણે સૂર્યને અવરોધ્યો હતો,
પીળી માટીની એક ગોબરી તૂટી-ફૂટી દીવાલ જેના મથાળે એકમેકથી દૂર, વિસંગત દેખાતાં,
કેટલાક નાનાં-નાનાં ઘર હતાં, જો કે એમની નીચેની તરફ
નજીકમાં જ જૂથબંધ ઝૂંપડીઓ હતી
અને એક શેરી જે વિલો અને બોગનવેલના ગુચ્છાઓ વચ્ચે થઈને પસાર થતી હતી;
અને ટીલો, જે સડેલ અસહનીય પ્રકાશ વડે
સ્પષ્ટ રૂપથી પરિભાષિત થતો હતો, એના પર કેટલાક તાડનાં વૃક્ષ હતાં,
જે તે પળે પવનની લહેરોથી અછૂતા હતા જેને લઈને એમનાં તાલાં
લબડી પડ્યાં હતાં; એને એ બધા લોસ એન્જેલિસના વિશાળ આકાશ સામે
કાળાં દેખાતા હતા, જાણે નાનાનાના કાળા વિચારોને કારણોના જાડા દોરડાઓના છેડે
સામટા બાંધી ન દીધા હોય, અને લટકી રહ્યા હોય ત્યાં નિષ્પ્રયોજન એકાંતમાં,
રેસ્ટોરન્ટના અસ્તવ્યસ્ત કાઉન્ટર પછીતે ઊભેલ માણસના વિચારોની માફક,
જે અંગ્રેજી બોલી શકતો નથી, જેણે માંસ લપેટવાના કાગળની બનેલી ટોપી પહેરી છે,
જે પોતાની નાનકડી દીકરીને તમાચા પર તમાચા મારે છે, જ્યાં સુધી બંને જણ સહમી ન જાય,
નાસમજ અને નિઃસહાય, પોતાના જીવનથી વિહ્વળ.

– ચાર્લી સ્મિથ
(અનુ.: વિવેક મનહર ટેલર)

આપણી આસપાસના વાતાવરણ અને વ્યક્તિ સાથે આપણે કઈ રીતે જોડાઈએ છીએ એનો મુખ્ય આધાર આપણા અંતરના અરીસા પર જે-તે સમયે એમની છબી કેવી પડે છે એના પર છે. આસપાસનું વાતાવરણ આપણને જે પરિસ્થિતિમાં મૂકે છે, એવો જ આકાર આપણે આસપાસના વાતાવરણનો પણ ઘડી કાઢીએ છીએ… પ્રસ્તુત કવિતાનો પ્રધાન સૂર આ જ છે. રચનાના વિશદ અભ્યાસ તથા રસાસ્વાદ માટે આ પંક્તિ ઉપર ક્લિક કરવા વિનંતી.

The Palms

When the sun went down in L.A. that day I was driving
a rental car east on Sunset Boulevard,
worn down by the endless internal battering,
and looked back to see the vivid capacious burned oceanic light,
the dust in the air that made the light palpable and beautiful
hanging over the pastel city, and saw the crunched little stores
with their brocades of steel locking them up
and the narrow streets springing downhill like madmen
running away; and there was a ridge that blocked the sun,
a scruffy torn wall of yellow earth with a few small houses on top,
widely spaced, disconnected-looking, though down from them
there was a neighborhood of bunched-up shacks
and a street that wound through patches of willow and bouganvillea;
and on the ridge that was sharply defined by the
rotted unmanageable light, there were a few palm trees,
untouched at that moment by breeze so that their tops
hung limply; and they seemed, black against the huge sky
of Los Angeles, like small dark thoughts tethered
at the end of reason’s thick ropes, hanging there in gratuitous solitude,
like the thoughts of a man behind a cluttered restaurant counter,
who speaks no English, wearing a hat made of butcher paper,
who slaps and slaps his small daughter, until they both are stunned,
stupid and helpless, overwhelmed by their lives.

– Charlie Smith

Comments (4)

(મેઘમુબારક) – ઉર્વીશ વસાવડા

છે આકાશે ઘેરાં વાદળ, મેઘમુબારક
જાણે આભે આંજ્યું કાજળ, મેઘમુબારક

શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘમુબારક

બે પથ્થરની વચ્ચે કાલે કાલે નહોતું કઈ પણ
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘમુબારક

મારી જેમ જ ખુશ થાતાં વૃક્ષો-પંખીઓ
હરખ કરું હું એની આગળ, મેઘમુબારક

આભમહેલમાં કેદ થયોતો દરિયો આખો
આજ ખૂલી ગઈ એની સાંકળ, મેઘમુબારક

– ઉર્વીશ વસાવડા

(સ્મરણ: નિતીન વડગામા)

ગઈ કાલે આપને કવિની કલમે “પ્રથમ વરસાદની વેળા” માણી… આજે એમની જ કલમે બીજી એક ગઝલ માણીએ.

વાંચતાવેંત સંવાદ સાધવા માંડે એવી મજાની ભીનીછમ ગઝલ સાથે લયસ્તરોના તમામ કવિમિત્રો તેમજ ભાવકમિત્રોને મેઘમુબારક…

Comments (1)

(પ્રથમ વરસાદની વેળા) – ઉર્વીશ વસાવડા

ભૂંસાઈ ગ્રીષ્મની પાટી, પ્રથમ વરસાદની વેળા
પછી મહેકી ઉઠી માટી, પ્રથમ વરસાદની વેળા

ફૂટી નીકળી અચાનક કૂંપળો શૈશવની યાદોની
ભીતર જેને હતી દાટી, પ્રથમ વરસાદની વેળા

મળ્યાં છે મોતીઓ મબલખ હથેળી જેમણે ખોલી
ખરેખર એ ગયા ખાટી, પ્રથમ વરસાદની વેળા

નર્યા ઉન્માદથી ડોલે બધાયે વૃક્ષ મસ્તીમાં
કોઈ ભૂરકી ગયું છાંટી, પ્રથમ વરસાદની વેળા

ક્ષણિક ઝબકારમાં પણ વીજનું નર્તન પ્રથમ દીઠું
પછી માણી ઘરેરાટી, પ્રથમ વરસાદની વેળા

– ઉર્વીશ વસાવડા

ભલે ચોમાસુ ચાર માસ ચાલે અને મનભર ખાબકતું રહે પણ પ્રથમ વરસાદની તો વાત જ અલગ. ચાર મહિના સુધી ધરતીની પાટી ઉપર ઉકળાટની કલમથી ઉનાળાએ જે કંઈ લખ્યું હોય એ બધું એક જ વરસાદના ડસ્ટરથી સાવ સાફ થઈ જાય… કેવી મજાની વાત! પ્રથમ વરસાદની ભીની હૂંફ જીવનની આપાધાપીમાં હૈયામાં ક્યાંક ઊંડે દાટી દીધેલ બાળપણની યાદોને પુનર્જિવિત કરી દે છે. પહેલા વરસાદને શરીર પર ઝીલી શકે એ જ સાચો અમીર. પહેલા વરસાદના પ્રભાવથી કોઈ બચી શકતું નથી. સૃષ્ટિ સમગ્ર કોઈ ભૂરકી ન છાંટી ગયું હોય એમ નર્યા ઉન્માદમાં નર્તન કરે છે. વિજ્ઞાનશાખાના વિદ્યાર્થી હોવાથી તબીબકવિ પ્રકાશની ગતિ અવાજની ગતિ કરતાં વધુ હોવાની વૈજ્ઞાનિક ઘટનાને પણ ગઝલના આખરી શેરમાં બખૂબી સાંકળી લે છે.

Comments (5)

સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠા લો…. – પુષ્યમિત્ર ઉપાધ્યાય

સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

છોડો મહેંદી, ખડ્ગ સંભાલો,
ખુદ હી અપના ચીર બચા લો,
દ્યૂત બિછાએ બૈઠે શકુનિ,
મસ્તક સબ બિક જાએંગે
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કબ તક આસ લગાઓગી તુમ, બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુઃશાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ
વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ,
હોંઠ સિલ દિએ હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ;
તુમ હી કહો યે અશ્રુ તુમ્હારે,
કિસકો ક્યા સમજાએંગે?
સુનો દ્રૌપદી! શસ્ત્ર ઉઠા લો, અબ ના ગોવિંદ આયેંગે…

– પુષ્યમિત્ર ઉપાધ્યાય (સૌજન્ય–અનિલ ચાવડા)

ફરી એકવાર – હિન્દી કાવ્યજગતે એક પ્રખર રચના પ્રકટાવી !

તમામ મા-બહેન-દીકરીઓએ આત્મસાત કરવા લાયક રચના ! આતતાયીનો વધ કરવા અવતારની રાહ ન જોવાય – ભલે સંઘર્ષમાં મ્રુત્યુ મળે – વિવશતા ઓઢીને બેસી તો ન જ રહેવાય !

Comments (2)

એવા સંબંધો હવે પાંગર્યા – રામુ પટેલ ‘ડરણકર’

ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા,
હરખની હેલી તો એવી ચઢી કે
.                પંડ્યનાં પાથરણાં પાથર્યાં!

ઉંબર ઓળંગી હું આંગણામાં જાઉં
.                ત્યાં આસોપાલવ પાન ખેરવે,
સુક્કાં આ પાંદડાંમાં હળવે રહીને કો’ક
.                લીલીછમ્મ પીંછિયું ફેરવે.

ડૂબેલાં એક દિન સાતે વહાણ
.                આજ અણધાર્યાં આવીને નાંગર્યાં,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ,
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

કોઈના અણસારા ઘેરેલાં વાદળ થઈ
.                સુખ જેમ મારામાં ફૂટશે,
સપનામાં આવેલાં આષાઢી મેઘધનુ
.                મ્હેંદીના રંગ મારા લૂંટશે.

ગુમસૂમ બનીને આજ ઊભેલા ગઢમાં
.                હોંકારા દઉં બની કાંગરા,
ખખડાવ્યાં દ્વાર અને ખૂલી દીવાલ
.                સૈયર! એવા સંબંધો હવે પાંગર્યા.

– રામુ પટેલ ‘ડરણકર’

કવિનું નામ પ્રથમવાર સાંભળ્યું પણ રચના તો વાંચતાવેંત મનોમસ્તિષ્ક પર કાબૂ લઈ બેઠી. પહેલા વરસાદે ધરતી જેમ મઘમઘ થઈ ઊઠે એમ જ આ રચના વાંચતાવેંત અંતરતમ મહેંકી ઊઠ્યું… સંબંધમાં પોઝિટિવિટીનું આ ગીત કેવું મજાનું છે! વરસોથી ગુમસૂમ ગઢનું નસીબ આજે પલટાયું છે. ડૂબી ગયાંની પ્રતીતિ થવાના આરે જિંદગી આવીને ઊભી હોય એવી પળે અચાનક જ મનોરથોનાં સાતેય વહાણ કાંઠે આવીને લાંગરે ત્યારે જ અનુભૂતિ થાય એ કવિએ બખૂબી આલેખી છે. દરવાજો એટલે શક્યતા. ખૂલવાની સંભાવનાથી સભર. આવી કોઈપણ પ્રકારની શક્યતા જ્યાં આવીને શૂન્ય થઈ જાય એનું નામ દીવાલ. દરવાજે ટકોરા દો અને દરવાજા ખૂલે એ તો દુન્યવી સંબંધ. અહીં તો દરવાજાના સ્થાને દીવાલ આખેઆખી ખૂલે છે. ‘ખોબો માંગું ને દઈ દે દરિયો’ પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. સરવાળે ગીત નખશિખ આસ્વાદ્ય!

Comments (19)

કહેવાય એમ ક્યાં છે? – યોગેશ પંડ્યા

તમને સ્મર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?
પાછું ફર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે ?

પાછો ફર્યો છું તેનું કારણ ધર્યું’તું મેં, પણ
કારણ ધર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

મારા જ હાથે ખુદની હસ્તી મિટાવી દીધી,
બાકી મર્યાનું કા૨ણ કહેવાય એમ ક્યાં છે?

કાય૨ નથી જ કિન્તુ રહેવું પડ્યું છે મૂંગું,
ભૂલો કર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

તેની કથાને વાંચી રોઈ પડ્યો’તો કિન્તુ
આંસુ ઝર્યાનું કારણ કહેવાય એમ ક્યાં છે?

અંગત છો, નહીં તો જાણું: ઉપવન ઉજાડ્યો કોણે?
ફૂલો ખર્યાંનું કારણ કહેવાય એમ ક્યાં છે?

– યોગેશ પંડ્યા

અલગ-અલગ પ્રકારની દુવિધાઓ જીવનનો ન નિવારી શકાય એવો હિસ્સો છે. ડગલે ને પગલે ડાબે જવું કે જમણેની દ્વિધા આપણને અસમંજસમાં મૂકતી રહે છે. ઘણીવાર કશું કર્યા કે ન કર્યા બાબતે જવાબ હોવા છતાં જવાબ આપી ન શકાય એવી પરિસ્થિતિમાં આપણે સહુ મૂકાતા હોઈએ છીએ. કારણ ખબર હોવા છતાં કારણ ન આપી શકાવાની લાગણીના અલગ-અલગ રંગોને કવિએ પ્રસ્તુત રચનામાં બખૂબી ઉજાગર કરી બતાવ્યા છે. પ્રસ્તુત રચના ઘાયલના ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’થી આપણને એક કદમ આગળ લઈ જતી હોવાનું અનુભવાયા વિના નહીં રહે.

Comments (9)

વાતો ખાલી વાતો છે – સુરેશ પરમાર ‘સૂર’

વાતો ખાલી વાતો છે, જાત અનુભવ બાકી છે;
આ મત્લાને જો સમજો તો દાસ કબીરની સાખી છે.

પેલો સાચો, પેલો ખોટો, પેલાને કંઈ ભાન નથી;
સાલું મારું મન પણ કેવું ગામ આખાનું કાજી છે!

નિઃશબ્દે પહોંચો તો પામો વ્યાધિમાંથી છૂટકારો;
શબ્દોમાં બસ દુઃખ ભૂલવાની પીડા-શામક ફાકી છે.

માનો નહિ પણ કેવળ બે જણ બેઠા છે મયખાનામાં;
વાંસેથી દેખાતો હું, ને સામે ચહેરે સાકી છે.

તું તારા પોતીકા કંઠે શ્વાસને ઢાળી ગાજે ‘સૂર’,
રાગની ચિંતા નહિ કરવાની ‘કેદારો’ યા ‘કાફી’ છે?

– સુરેશ પરમાર ‘સૂર’

‘સાખી’ શબ્દ ‘સાક્ષી’નું તદ્ભવ રૂપ છે અને ‘સાક્ષી’ શબ્દ ઉતરી આવ્યો છે ‘સાક્ષ્ય’ પરથી, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ જ્ઞાન. અર્થાત્ એ જ્ઞાન જે સહુ જોઈ શકે છે અથવા પામી શકે છે. પણ સાખી કબીરના દોહામાં જ હોય એ જરૂરી નથી. વાત કરતાં આવડે તો ગઝલનો શેર પણ સાખી બરાબર હોઈ શકે. જાત અનુભવ વિના બધું નકામું એ જૂની અને જાણીતી વાતને કબીરની સાખી સાથે સાંકળતો મત્લા મને સ્પર્શી ગયો. સરવાળે આખી ગઝલ માણવા જેવી થઈ છે.

Comments (9)

વધતો જાય છે…. – પારુલ ખખ્ખર

આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે,જીવવું છે’- જાપ વધતો જાય છે.

જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો!
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.

હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.

ઘાસ,પીંછા,ફોતરા જેવો બધો સામાન છે,
તે છતાંયે પોટલાનો ભાર વધતો જાય છે.

કામળી તું ઓઢ ‘પારુલ’,કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી, એ ડાઘ વધતો જાય છે.

– પારુલ ખખ્ખર

દરેક શેર એક ઊંડા અર્થથી સભર છે. જેમ કે ચોથો શેર – આમ જૂઓ તો કોઈપણ સરસામાનનો કોઈ મતલબ નથી-એક દિવસ બધું અહીં જ રહી જવાનું છે, પણ “પોટલાનો ભાર” એટલે કે મમત્વ વધતું જ જાય છે…. બીજા અર્થમાં – સમજણ એક પાઈની નથી આવી મારામાં, જે સમજણ છે એવું ભાસે છે તેનું કોઈ વજૂદ નથી. પણ મારા અહંકારના પોટલાનો ભાર વધતો જ જાય છે….

Comments (1)

આપણામાં… – યૉસેફ મૅકવાન

આપણામાં સમજણનો દરિયો જો હોત –
તો છીછરા પાણીમાં આમ અધવચ્ચે ડૂબ્યાં ના હોત!

તડકાની મહેક તારી આંખોમાં છલકતી’તી
ચાંદની શા મહેક્યા’તા શ્વાસ.
હળવી હવાને એક હિલ્લોળે પાન ખરે
આપણો એમ છૂટ્યો સહવાસ!
પછી અમથુંયે જોયું નહિ, અમથુંયે બોલ્યાં નહિ
આમ અમથુંયે રૂઠ્યાં ના હોત….! આપણામાં…

ઝરમરતી ઝીણેરી વાતમાંથી આપણે તો
આભલાનો ઓઢી લીધો ભાર,
હસ્યાં-મળ્યાંનાં બધાં સ્મરણોને મૂકી દીધાં
જીવતરના હાંસિયાની બહાર…!
કાશ! અહમના એકડાઓ વારંવાર આપણે
આમ, આંખોમાં ઘૂંટ્યા ના હોત…! આપણામાં

– યૉસેફ મૅકવાન

કહે છે કે ખરું ગીત તો મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય. આ વાત પ્રમાણવી હોય તો પ્રત્યક્ષ ગીત એનું ઉત્તમ ઉદાહરણ છે. કવિ કહે છે કે આપણી અંદર જો સમજણનો દરિયો હોત તો આપણે છીછરા પાણીમાં આ રીતે અધવચ્ચે ડૂબી ગયાં ન હોત. ‘દરિયો,’ છીછરા’ અને ‘અધવચ્ચે’ –આ ત્રણ શબ્દો અહીં કી-વર્ડનું કામ કરે છે. પરસ્પર માટે દિલમાં સાચો પ્રેમ હોવા છતાં લાંબો સમય ટક્યા બાદ સમ્-બંધ તૂટે એ અવઢવના તાંતણે કવિએ શબ્દોના મોતી પરોવી મજાની માળા રચી છે.

સમજણ વિના કોઈ સગપણ ટકતું નથી પણ સગપણ ટકાવવું હોય તો આછીપાતળી સમજણ ન ચાલે, સમજણનો દરિયો ભર્યો હોવો જોઈએ બંનેમાં. દરિયો વિશાળતા અને ગહનતા-ઉભયનું પ્રતીક છે. દરિયા જેવી સમજણ ભીતરમાં ભંડારી ન હોય એ સંબંધ ટકી રહ્યા હોય તોય પ્રાણવંતા તો નહીં જ હોય. ગીતની શરૂઆત ‘આપણામાં’ શબ્દથી થાય છે, એનો અર્થ એ કે આ સમજણ કોઈ એક વ્યક્તિમાં હોત તોય ચાલવાનું નહોતું. સંબંધ તૂટ્યાનો બોજ કોઈ એકજણ ઉપર નાંખી દેવાને બદલે કવિ જ્યારે ‘આપણામાં’ કહીને દાખલો માંડે છે ત્યારે એ વાત સાફ છે કે બંનેમાં સમજણ હોવી અનિવાર્ય હતું. અસીમ-ઊંડી સમજણ કેળવવામાં બે જણ નિષ્ફળ જાય ત્યારે છીછરા પાણીમાં અધવચ્ચે ડૂબવાની નોબત આવે.

Comments (6)

એ મારી આંખનું પાણી — રિન્કુ રાઠોડ’શર્વરી’

યુગોના તપ પછી હૈયામાં જે ફૂટી’તી સરવાણી‌— એ મારી આંખનું પાણી,
ભગીરથ દ્વારા સ્વર્ગેથી ધરા પર જે નદી આવી— એ મારી આંખનું પાણી.

તમે તો પાપ પોકારી, ધરમનો માર્ગ પકડીને થયા છો પીર જેસલજી,
સતી તોળાંદે લઈ ગ્યાં જેમાં ભવની નાવ હંકારી— એ મારી આંખનું પાણી.

થયું મંથન સમુંદરનું, મળ્યા’તા કિંમતી રત્નો, હતું સાથે હળાહળ પણ;
બધા વચ્ચે ઘડામાં લઈને જે ઊભી હતી નારી— એ મારી આંખનું પાણી.

જતન, સચ્ચાઈ, હિંમત, પ્રેમને ભેગાં કર્યાં જ્યારે, બન્યું છે સ્ત્રીહૃદય ત્યારે;
વિધાતા લેખ લખવા એટલે જે વાપરે શાહી— એ મારી આંખનું પાણી.

ભર્યા દરબારમાં વસ્ત્રાહરણ વેળા વહ્યું’તું દ્રોપદીની ચીખમાંથી જે,
પછીથી કાળ થઈને કૌરવોને લઈ ગયું તાણી— એ મારી આંખનું પાણી.

હતું ધિંગાણે ચડવાનું અને માભોમ કાજે પ્રાણ દેવાનો હતો વારો,
વીરોએ પીધી’તી ત્યારે કહુંબાની ભરી પ્યાલી— એ મારી આંખનું પાણી.

— રિન્કુ રાઠોડ’શર્વરી’

કેટલીક રચનાઓ કવિની ઓળખ બની જતી હોય છે. કવિનું નામ બોલીએ અને એમની સિગ્નેચર પોએમ તાદૃશ થઈ ઊઠે. રિન્કુ માટે આ રચના એવી જ કૃતિ છે. છમાંથી ચાર શેરમાં આપણી પુરાકથાઓના સંદર્ભ સાથે સ્ત્રીના આંસુઓને કવયિત્રીએ બખૂબી સાંકળી લીધા છે. આ સંદર્ભો કાળાનુક્રમિક ગોઠવાયા હોત તો ગઝલનું સૌંદર્ય કદાચ ઓર નિખર્યું હોત. સામાન્ય લાગતા છ વિધાન અંતે ‘એ મારી આંખનું પાણી’ રદીફ ઉમેરાતાં જ અસામાન્ય અને આસ્વાદ્ય બની રહે છે. સામાન્યરીતે ગઝલોમાં પ્રયોજાતી અનૂઠી રદીફ લટકણિયું બનીને રહી જતી જોવા મળે છે, જ્યારે અહીં રદીફ ગઝલમાં એવી તો ચપોચપ બેસી જાય છે, કે એને બાદ કરો તો કદાચ ગઝલ સામાન્ય બનીને રહી જાય. બધા જ શેર ફરીફરીને મમલાવવા ગમે એવા.

 

Comments (9)

(એ સહેજ દૂર ગયાં) — ભાવેશ શાહ ‘શહેરી’

વિવશતા માપવા માટે એ સહેજ દૂર ગયાં,
કે પાસ આવવા માટે એ સહેજ દૂર ગયાં.

જુલમ કરેલો ખરેખર તો ખુદની જાત પરે,
મને સતાવવા માટે એ સહેજ દૂર ગયાં.

ગણતરી ખોટી પડી, ધારણાથી ઊંધુ થયું,
મમત ઘટાડવા માટે એ સહેજ દૂર ગયાં.

નજીક આવતાંવેંત જ નજર ઝૂકે તો શું થાય,
ધરાર તાકવા માટે એ સહેજ દૂર ગયાં.

પછી તો જાણ થઈ, એની ઓળખાણ થઈ,
પ્રણય પિછાણવા માટે એ સહેજ દૂર ગયાં.

— ભાવેશ શાહ ‘શહેરી’

સરળ લાગતા શેરોમાં કવિએ સંબંધનું સરવૈયું આબાદ કાઢી આપ્યું છે. દૂર જવાને પ્રિયા પાસે આમ કોઈ કારણ નહોતું, કારણ કે બે જણ વચ્ચે પાંગરેલ સંબંધથી કદાચ બંને પક્ષ સંતુષ્ટ જ છે. પ્રણય અને પ્રાપ્તિની ચરમસીમાએ પણ માનવસ્વભાવ શંકાથી પૂર્ણપણે પર નથી રહી શકતો એય જો કે હકીકત છે. અને પુરુષનો સ્વભાવ જ મૂળે ભ્રમરવૃત્તિવાળો. એટલે સ્ત્રી સાશંક તો રહેવાની જ. પોતે બહુ નજીક હોવાથી પ્રેમીની ખરી મનોસ્થિતિનો ખરો તાગ મળતો નથી એ વિચારે પ્રિયતમા સહેજ દૂર જાય છે. ‘સહેજ’ શબ્દ પરથી નજર હટી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. મરીઝે કહ્યું હતું ને, ‘જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.’ દૂર તો જવું છે પણ એટલા નહીં કે પુરુષ પરથી નજર જ હટી જાય અથવા એને બીજે ક્યાંય નજર કરવાની તક મળી જાય. આખી ગઝલ આ સહેજ દૂર જવા પાછળના કારણોનું મજાનું પૃથક્કરણ છે. આસાન જણાતી ભાષામાં કવિએ સંબંધની સંકુલતાની નાડ પકડી બતાવી છે.

મિસરાના અંતે ‘ગયા’ના માથે અનુસ્વાર મૂકાયું છે એ અનુસ્વાર એ વાત પર મતું મારે છે કે ‘એ’ સર્વનામ એક સ્ત્રી માટેનું આદરવાચક સંબોધન છે. સ્ત્રી મોટી વયની હોય અથવા તુંકારે સંબોધન ન કરવું હોય ત્યારે ‘ગઈ’ના સ્થાને ‘ગયા’ વપરાય. પણ માથે અનુસ્વાર મૂકીને ‘ગયાં’ કહો એટલે એ માનાર્થે પ્રયોગ કર્યો ગણાય.

Comments (12)

(ઘર-ઘર રમી શકે) – હરીશ ઠક્કર

અંગતના મૃત્યુ ટાણે જે કોરી રહી શકે,
ફિલ્મોનાં દશ્ય જોઈ એ આંખો રડી શકે.

રહેવા ભલેને ઘર નથી, પણ ઘરનું સ્વપ્ન છે,
ફૂટપાથ પરનાં બાળકો ઘર-ઘર રમી શકે.

સંબંધમાંથી પાછા હટી જઈને બે કદમ,
જીવનમાં એ રીતે ઘણા આગળ વધી શકે.

માણસને જાણવો ઘણો મુશ્કેલ છે, પ્રભુ!
ચહેરો હૃદય પ્રમાણે બનાવી નહીં શકે?

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

– હરીશ ઠક્કર

ગઝલનો મત્લા પહેલી નજરે કોઈ સાવ ઉપલક વાત કહેતું હોય એવો લાગે, પણ આ જ કવિની ખાસિયત છે. સરળ દેખાતા શેરની અંદર એ જાળવીને સત્ત્વ છૂપાવી દે છે. હળવેથી શેર ઊંચકો નહીં તો એ સત્ત્વ ચૂકી જવાની પૂરી ગેરંટી. પથ્થરની ભીતર છૂપાયેલા ઝરણાંની આ વાત છે. પ્રસંગોપાત જે માણસ સંવેદનહીન લાગતો હોય એ માણસની અંદર પણ ક્યાંક તો લાગણીની લીલપ છૂપાયેલી જ હોવાની. ત્રીજો શેર હાંસિલ-એ-ગઝલ શેર છે. આપણામાંથી મોટાભાગના લોકો સંબંધમાં પડતી ગાંઠમાં જ બંધાઈને અટકી જતાં હોઈએ છીએ, પરિણામે સંબંધ તો ટકી રહે છે, પણ એમાં પ્રાણ નથી હોતા અને જીવન આગળ વધવાનું બંધ કરી દે છે. મૃતપ્રાય સંબંધોની લાશ ખભે ઊંચકીને ફર્યે રાખતો માણસ વિક્રમાદિત્યની જેમ વડ અને સ્મશાન વચ્ચેના ફેરાઓમાં જ અટવાઈ રહે છે. એને ખભેથી ઊતારી જે મુક્ત થઈ શકે છે, એ જ સાચેસાચ જીવનમાં આગળ વધી શકે છે. બે જ પંક્તિમાં કેવી અદભુત અને ગહન વાત! વળી, પીછેહઠ સાથે આગેકૂચને સાંકળીને કવિએ ભાષાની પાસે પણ આબાદ કામ કઢાવ્યું છે. છેલ્લો શેર પણ કાબિલે-દાદ થયો છે.

Comments (12)

(હવે વરસાદ આવ્યો છે) – ઉર્વીશ વસાવડા

*

ઘણી લાંબી પ્રતીક્ષા, કાકલૂદી બાદ આવ્યો છે,
ધરાને તૃપ્ત કરવા લે, હવે વરસાદ આવ્યો છે.

ન કોઈ મોર ટહુકા, ના કોઈ પંખી-પતંગિયાઓ,
છતાં પણ બાગમાં કેવો ગજબ ઉન્માદ આવ્યો છે!

ભરોસો છે મને માનવ હજી તારા ઉપર પૂરો
એ સંદેશો ખુદાનો આભથી આબાદ આવ્યો છે.

ખુલા આકાશ નીચે તરબતર થાવું ને ભીંજાવું,
પ્રથમ એ સ્પર્શનો કિસ્સો ફરીથી યાદ આવ્યો છે.

ન ચાલે કંઈ જ પણ તપતા સૂરજનું વાદળો વચ્ચે,
નઝારો આભમાં દિવસો પછી એકાદ આવ્યો છે.

– ઉર્વીશ વસાવડા

લયસ્તરો પર કવિશ્રીના પાંચમા ગઝલસંગ્રહ ‘સમયનો દીવો’નું સહૃદય સ્વાગત…

ઉનાળો લાંબા સમયથી અકળાવી રહ્યો છે અને આગના જંગલમાં એકાદ-બે ટીપાં પાણી જેમ કંઈ કામનાં સિદ્ધ ન થાય એવા છૂટાછવાયાં માવઠાંની નિરર્થકતાને લઈને એક-એક માણસ વાદળ ક્યારે વરસવું શરૂ કરે એની રાહ જોઈ રહ્યો છે. એમાંય આ વખતે તો ચોમાસું પણ લંબાયું છે. વરસાદ જ્યારે પણ આવવો શરૂ થશે ત્યારે દરેક દિલમાંથી જે વાણી નીકળશે એને કવિએ ગઝલની સરવાણીમાં આબાદ ઝડપી છે. ગઝલ સહજ-સાધ્ય હોવાથી ગઝલના વરસાદ અને ભાવકની વચ્ચે અમસ્તું રેઇનકોટ બનીને આડા આવવું નથી… આજે તો બસ, એમ જ ભીંજાઈએ….

Comments (8)

॥ ૐ હરિ ૐ ॥ – હરીશ મીનાશ્રુ

હરડે ફાકે છે તોય કરવા પડે છે બ્રાહ્મમહુરતમાં લોમ અનુલોમ
એ ઘડીએ તોંદ ઉપર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

દાઢ દુખે મંમદની, ઉપ૨ સે બીબડી ભી
કરતી હે રોજ પરેશાન
વિઠ્ઠલ તો વાંઢાવિલાસી, આ મામલામાં
એને છે ઊંડું ગનાન

મુદ્દા છે નાયગરા-વાયગરા, મૂસળી, આ ઢળતી જવાની ને જોમ
બહુચરાનો સેવક આ ચંદુડિયો અમથો કાં કૂદી પડે કરતો યા હોમ

દાક્તર તો ગુમ, હેલ્થ સેન્ટરમાં પશલો
તે ફુલ્લ ટાઈમ એમ્બીબીએસ
ડાબા ઢગરાને સ્હેજ ઊંચો કરીને મુખી
છોડે પેટાળ થકી ગેસ

માગશરમાં માવઠું કે મેંઢક ના હોય તોય ચોરામાં ગડગડતું વ્યોમ
ચૌદશિયા જીવોને પ્રિય અતિ ચા ભેગી ચોવટ, દેવોને જેમ સોમ

ભગલો ભગાવે ફૂલસ્પીડે એનો ઉસ્તરો
ને ઓચિંતો આવે જો બમ્પ
દુનિયાનું દાઢું છોલાય, ઊડે છોતું
ફટકડીને ફેરવી લે ટ્રમ્પ

વતું ને વાત પૂગે રામના અયોધ્યાથી પોપજીના વેટિકન રોમ
નીચી મૂંડીએ લોક ઘઉંના જવારા જેમ મૂંડાવે કેશ દોમ દોમ

ગામ આખું જાણે: ફલાણીની ખડકીમાં
ખાતું ખોલ્યું છે કોણે ભૂતિયું
લબદાયું સબિસડીવાળી એ ભગરીના
પોદળે તલાટીનું જૂતિયું

નવરી બજા૨, એમાં સંપીને વાળે નખ્ખોદ આમ પચરંગી કોમ
એ ઘડીએ તોંદ પર ફેરવીને હાથ બોલે પંડ્યાજી ‘ૐ હરિ ૐ’

– હરીશ મીનાશ્રુ

ગુજરાતી કવિતામાં બહુ ઓછા કવિ ભાષાને પોતાની મૌલિક અને આગવી શૈલી વિકસાવીને અછોઅછો વાના કરી શક્યા છે. રાજેન્દ્ર શુક્લની રચના નીચે કવિનું નામ ન લખ્યું હોય તોય ફતાક કરતુંકને કહી શકાય કે આ રચના એમની છે. આવું જ શ્રી હરીશ મીનાશ્રુની કવિતા વિશે પણ કહી શકાય. માણસનો મૂળ સ્વભાવ પંચાતિયો. પોતાના દુઃખ ભૂલવાનો સૌથી સહેલો ઉપાય કોઈ હોય તો એ પારકી પંચાત. ગામેગામમાં વ્યાપ્ત નવરી બજારનું એક ખૂબ જ મજાનું અને હળવુંફૂલકું ચિત્ર કવિએ એમની અનોખી શૈલીમાં રજૂ કર્યું છે.

કબજિયાતથી શરૂ કરી હજામત સુધીની રોજબરોજની ક્રિયાઓને કવિએ મંદમંદ સ્મિત આપણા હોઠ પર રેલાવ્યે રાખે એવી રીતે રજૂ કરી છે. રાત્રે હરડે ફાકવાથી લઈને બ્રાહ્મમુહુર્તમાં પ્રાણાયમ કરવા સુધીના ઉપાય કર્યા બાદ પણ પેટ સાફ ન થાય ત્યારે છેવટે માણસ ભગવાનને પણ કષ્ટ આપવાનું ચૂકતો નથી. આમ, માનવસ્વભાવ અને ભગવાન સાથેના એના નિતાંત સ્વાર્થી સ્વભાવ ઉપર માર્મિક કટાક્ષ સાથે કવિ ગીતનો ઉપાડ કરે છે. મહંમદની દાઢ દુઃખે છે એ ઓછું હોય તેમ એની બીબી પણ રોજેરોજ એનો જીવ લેવામાં કસર છોડતી નથી અને મૂળભૂત ભારતીય સંસ્કાર પ્રમાણે વાંઢો વિઠ્ઠલ લગ્નજીવન વિશે ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી મહંમદને ઈલાજ પણ સૂચવે છે. ઢળતી જવાનીમાં પૌરુષી જોમ બરકરાર રાખવા માટે વાયગ્રા અને મૂસળીપ્રયોગ સૂચવાય છે, એ જ્ઞાનપિરસણીમાં બહુચરાજીનો ભક્ત ચંદુ પણ વણનોતર્યો યા હોમ કરતોક કૂદી પડે છે.

હેલ્થ સેન્ટરમાં તબીબની ગેરહાજરી અને કમ્પાઉન્ડરની મનમાનીનું ચિત્ર રજૂ કરી કવિએ ગામોમાં મૂળભૂત જરૂરિયાતોના અભાવની નસ બરાબર પકડી છે. દેવોને જેમ સોમરસ વહાલો છે એમ ગામના ચૌદશિયાઓને ચોવટ-પંચાત પ્રાણપ્યારી છે. હજામની દુકાન એટલે ગામનું અખબાર. વતુ અને વાતુંના તાણાવાણાથી વાળંદ દેશ-દુનિયાનું પોત વણે છે. ઝાડનું એક પાંદડુંય હલે તો ગામ આખાને એની જાણકારી મળી જાય એવું જબરદસ્ત નેટવર્ક ગામોમાં જોવા મળે છે. ગમની પચરંગી કોમ નવરી બજારમાં કઈ કઈ રીતે અનેર કેવું કેવું નખ્ખોદ વાળે છે એનું પચરંગી ચિત્ર કવિએ તાદૃશ રજૂ કર્યું છે…

Comments (6)

ઝૂરણ મરશિયું – જયેન્દ્ર શેખડીવાળા

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

જીવત૨ સુક્કાતું ભૂંસાતું ઝરણું જાણીએ રે
અમને આંસુ રે કીધાં આંખના પાણીએ રે
ક્હીને પાણીએ પ્હેરાવી વાણીસે૨ રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

વાયસ ઊડ્યા રે કંઠેથી લઈને વાયકા રે
અમને સાંભરે કૂ…હુ….ક – કાળી ગાયકા રે
ગાયક! અમાસો જમાડું અંધાર ઘેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

મનના જ૨જ૨ દુ૨ગ ખરખર કાંકરી રે
અમને ખભે લઈ ઊઠી છે ટચલી આંગરી રે
તમને કાંગરે ઉગાડું પીપળ પેર રે

તમને ટહુકા પ્હેરાવું હાથણીભેર રે

– જયેન્દ્ર શેખડીવાળા

પ્રસ્તુત ગીતમાં પ્રવેશ કરવાની કૂંચી એનું શીર્ષક ‘ઝૂરણ મરશિયો’ છે. મરસિયો એટલે મૃત્યુ પછી ગવાતું શોકગીત. મૃતકને હાર પહેરાવવાનો રિવાજ છે. પણ કવિ ટહુકા પહેરાવવાનું ઇજન આપે છે અને તેય હાથણીભેર… ટબુકડા પંખીના કંઠેથી નીકળતા સાદને હાથણીના વિરાટકાય સ્વરૂપ સાથે સાંકળી લઈને વિરહ અને પ્રણયની પરાકાષ્ઠા એક જ પંક્તિમાં કવિએ કેવી આબાદ રજૂ કરી છે!

જીવનનું ઝરણું ન માત્ર સૂકાઈ રહ્યું છે, અસ્તિત્ત્વના નકશા પરથી ભૂંસાઈ પણ રહ્યું છે. નાયક વિરહજળમાં એ હદે ડૂબ્યો છે કે આંખમાંથી વહેતાં પાણીની સેર એને જ આંસુ ગણે છે અને નાયક આંસુ હોય તો આંખમાંથી વહેતાં આંસુ કંઠહાર બની રહે છે. આંસુ જ વિરહની વાણી છે એટલે કવિ એને વાણીસેર જેવી અનૂઠી પણ સચોટ ઉપમા આપે છે.

જનાર તો પાછળ વાયકાઓ મૂકીને ચાલી ગઈ. કાગડાનું પ્રતીક આપણે ત્યાં મૃતકના આત્મા સાથે જોડાયેલ છે. કવિ બેને જોડીને પત્નીના કોકિલકંઠને યાદ કરે છે. મૃત્યુના કાળા અંધારા માટે કવિ કાજળઘેરી અમાસનું રૂપક પ્રયોજે છે. અમાસનું બહુવચન કરી તમસને વળી ઓર ગાઢું કરે છે. કવિ મૃત્યુને વહાલું કરી જનારને અંધારું પીરસવા પણ તૈયાર છે, જો જનાર પાછું ફરવા તૈયાર હોય તો.

મનનો કિલ્લો જર્જરિત થઈ ગયો છે અને રાંગેથી કાંકરી ખરવા માંડી છે. જીવતરનો ભાર જાણે ટચલી આંગળીના માથે આવી ગયો હોય એમ જીરવી શકાય એવો રહ્યો નથી. ગોવર્ધન અને કૃષ્ણની તર્જની પણ આ તબક્કે યાદ આવ્યા વિના નહીં રહે. દીવાલ ચીરીને ઊગવું પીપળાની પ્રકૃતિ છે. કવિ નાયિકાને પીપળની જેમ પોતાના જીવતરના જર્જરિત દુર્ગના કાંગરે ઉગાડવા તૈયાર છે. ટૂંકમાં, આ વિયોગ મૃત્યુએ કેમ ન સર્જ્યો હોય, કવિ મૃતક કોઈપણ પ્રકારે પરત ફરે એવી તીવ્ર આરતમાં વિલાપે છે.

Comments (3)

એવા અજર પિયાલા – સરવણ કાપડી

પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!
એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે!

અલખ સંતો ભાઈ,
આ રે કાયામાં એક આંબલિયો રે જી
કોયલ કરે છે કલોલ મારા વીરા રે!
સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ.

આ રે કાયામાં એક ધોબી વસે રે જી
સતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા રે!
વણ રે સાબુ ને વણ પાણીએ રે જી… અલખ સંતો ભાઈ.

આ રે કાયામાં એક હાટડી રે જી
વસ્તુ ભરેલ અણમોલ મારા વીરા રે!
સુગરા હોશે તે વસ્તુ વો’૨શે રે જી… અલખ સંતો ભાઈ.

શીશને સાટે મારો સાયબો રે જી
ને સાયબો મોંઘે મોંઘે મૂલ મારા વીરા રે!
‘સરવણ કાપડી’ એમ બોલિયા રે જી… અલખ સંતો ભાઈ.

– સરવણ કાપડી

આપણી સમૃદ્ધ ભજનિક કવિઓની પરંપરામાં એક ઓછું જાણીતું પણ નોંધપાત્ર નામ સરવણ કાપડીનું પણ છે. સંતગુરુનો મહિમા કરતું આ ભજન સરળ શબ્દોમાં સીધું નિશાન તાકે છે. સત્ગુરુના હાથે જ્ઞાનનો પહેલો પ્યાલો મળતા માત્રમાં તમામ ભ્રમણાઓ પડી ભાંગે છે. ભીતરના આંબામાં વસતી કોયલનો રળિયામણો સૂર ગુરુની મદદ વિના કોણ સાંભળી શકે? સતગુરુ જ સાબુ-પાણી વિના રુદિયાનો મેલ ધોઈ આપશે. ભીતરની હાટડીમાં અણમોલ વસ્તુઓ ભરી પડી છે, પણ એના મોલ માથે ગુરુના આશિષ હોય એવા સુગરા વિના બીજું કોઈ કરી શકનાર નથી. સાહિબને પામવા માટે શિશ ધરી દેવાની તૈયારી હોવી ઘટે, એથી ઓછી કિંમતે સાયબો મળનાર નથી.

Comments (7)

(અટવાય છે) – હિમલ પંડ્યા

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.

તું કહે છે એટલે માની લઉં,
તું કહે છે એ હંમેશાં થાય છે.

કોણ જાણે શું હવે દઈને જશે?
આ દશા સુખ-ચેન તો લઈ જાય છે.

આંસુઓએ બેધડક પૂછી લીધું-
એ જ રસ્તે કાં ફરીથી જાય છે?

આવવા જેવું જ ન્હોતું અહીં સુધી,
એ અહીં આવ્યા પછી સમજાય છે.

હું બીજું તો શું કહું એના વિશે?
ખોટ છે, ને ખોટ તો વરતાય છે.

– હિમલ પંડ્યા

આમ તો આખી ગઝલ આસ્વાદ્ય છે, પણ મારે મત્લા વિશે જ વાત કરવી છે:

કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે.

Comments (4)

આકાશમાં કવિતા – પ્રદીપ ખાંડવાલા

સાંજે
બાલ્કનીમાં બેઠો બેઠો
સૂર્યાસ્તને જોતો હતો
આકાશમાં કશુંક ધૂંધળું જોયું.
વધુ ધ્યાનથી જોયું
અક્ષરના મરોડ જોયા
ચિહ્નવિરામો જોયાં
શબ્દો અને પંક્તિઓ?

એમને ઝાલવા
હાથ લંબાવ્યા
પણ આકાશ સુધી
તે કેમ કરીને પહોંચે ?

બારીકાઈથી જોવા
ચશ્માં પહેર્યાં
દૂરબીન પણ અજમાવ્યું,
મેં જોયું કે ત્યાં શબ્દો હતા
પણ અર્થ ન સમજાયો
શબ્દો વચ્ચે વચ્ચે
શૂન્યો હતા
જે પ્રભાવક લાગ્યા
ઉમદા લાગ્યા
આ તો કાવ્ય જ હોઈ શકે
કોઈ પવિત્ર ભાષામાં.

પછી કાવ્ય બોલ્યું:
મને માણવું હોય તો
ઉપર આવ
આકાશનું પહેલું પગથિયું ચઢ
પછી નિસરણી મળી જશે
શબ્દો તો પ્રાચીન છે
નહીં ઊકલે
પણ અર્થ માણી શકીશ!

– પ્રદીપ ખાંડવાલા

મોનાલિસાનું ચિત્ર જોતી વખતે આપણને ચિત્રકારે વૉટર કલર વાપર્યા હશે કે ઓઇલ કલર, સાદો કેનવાસ પેપર વાપર્યો હશે કે કોઈ બીજો વગેરે વિચાર આવતા નથી. આપણે ચિત્રનો આસ્વાદ કરીએ છીએ ત્યારે ચિત્ર બનાવવામાં કામ લેવાયેલ સાધનો વિશે વિચારતાં નથી. વાદ્યસંગીત કે શાસ્ત્રીય ગાયકી પણ શબ્દોની અનુપસ્થિતિમાં આપણને અકલ્પનીય આનંદનો અનુભવ કરાવી શકે છે. એ જ રીતે કવિતાનું ઉપાદાન સાધન છે પણ સાચી કવિતા એ જ, જે વાંચતી વખતે ભાવકનું ધ્યાન કવિએ પ્રયોજેલા શબ્દો પર ન જતાં ભાવક કવિના ભાવપ્રદેશમાં વિહરણ કરવા માંડે.

પ્રસ્તુત રચનામાં કાવ્યનાયક બાલ્કનીમાં સૂર્યાસ્ત હોવા બેઠા છે. આજના નગરજીવનમાં એક તો મોટાભાગની બાલ્કનીમાંથી સૂર્યાસ્ત કે સૂર્યોદયના દર્શન નહીં થાય અને થતાં હોય તો આપણી પાસે સમય નથી પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાનો. પ્રકૃતિ સાથેના ‘કનેક્શન’થી કાવ્યારંભ થાય છે એ વાત સૂચક છે. સૂર્યાસ્ત ટાંકણે આકાશમાં કશુંક અસ્પષ્ટ નજરે ચડે છે. ધ્યાનથી જોતાં કવિને એમાં કોઈક જાતનું લખાણ નજરે ચડે છે. લખાણ ઉકેલવા માટે કવિ શક્ય ઉપાય અજમાવે છે, પણ શબ્દોનો અર્થ સમજાતો નથી. ઊલટું શબ્દો વચ્ચે જે અવકાશ પ્રકૃતિએ છોડ્યો છે એ કવિને વધુ રોચક અને ઉમદા લાગે છે. ખરી વાત છે, ખરી કવિતા હંમેશા બે શબ્દો વચ્ચેની જગ્યા- between the lines- જ રહેલી હોય છે. કવિતા ખુદ કવિતાને પામવાનો રસ્તો પણ સૂચવે છે. એક ડગલું કવિતાની દિશામાં ભરવામાં આવે તો કવિતાને પામવાનો રસ્તો આપોઆપ જડી આવશે. શરત બસ એ જ કે કવિતાને પામવાના નિર્ધાર સાથે પહેલું ડગલું ભરવું પડે. સાચી કવિતા આપોઆપ સમજાઈ જતી હોય છે.

Comments (1)

રામલલ્લા – લલિત ત્રિવેદી

અજવાળ, રામલલ્લા
માણસ લગીના પલ્લા!

શરણાઈ-શા મહોલ્લા
ક્યારે બની ગ્યા હલ્લા!

અભરે ભર્યું છે, વલ્લા
વેરાન, માસાઅલ્લા!

છલકાય સોળવલ્લા
સુખદુ:ખ વલ્લાવલ્લા!

સુલઝી ગયા રે મસલા
ખુદ થૈ ગયા મુસલ્લા!

તો આભડે છે એરુ
અડકું જરા જો દલ્લા!

સામે હઈશ તું ગાયબ
કરશું ગઝલથી હલ્લા!

છે દામાકુંડી અમરત
શબ્દો લગીના પલ્લા!

એવું, ભગત, શુ માંગ્યું?
ભગવાન ગલ્લાંતલ્લાં!

– લલિત ત્રિવેદી

નવા નવા શબ્દો કોઇન કરીને ખપજોગા કાફિયા નિપજાવી લેવાની અને મહત્તમ કાફિયાઓનો કસ કાઢીને કરાતી ગઝલરચના અને મિશ્ર ભાષાઓવાળી બાનીને લઈને કવિ અન્ય ગઝલકારોથી બિલકુલ જુદા પડે છે.

Comments (13)

તમારી આંખમાંથી – બરકત વિરાણી ‘બેફામ’

તમારી આંખમાંથી છો ને છલકાઈ રહ્યો છું હું,
પરંતુ મારા જીવનમાં તો સૂકાઈ રહ્યો છું હું.

હું મસ્તીમાં ઝૂમું છું એમ આઘેથી ન માની લો,
નજીક આવી જુઓ કે ઠોકરો ખાઈ રહ્યો છું હું.

કોઈ ગોતે મને તો પગલે પગલે હું જડી આવું,
કંઈક એ રીતે પગલે પગલે ખોવાઈ રહ્યો છું હું.

બને તેા ઘા નવા મારા ઉપર કરશો નહીં કોઈ,
હજી જૂના પ્રહારોથી જ પીડાઈ રહ્યો છું હું.

છે એ પણ દુ:ખ કે નીકળવું પડયું મારે ફૂલોમાંથી,
છે એ પણ સુખ કે ખુશ્બૂ જેમ ફેલાઈ રહ્યો છું હું.

ભલે બાંધું છું માળા બાગમાં, પણ છે દશા એવી,
તણખલાં એકઠાં કરવામાં પીખાઈ રહ્યો છું હું.

કર્યાં છીદ્રો સિતારાનાં, ગગનમાં તમને જોવાને,
જરા એ તો જુઓ – કયાં કયાંથી ડોકાઈ રહ્યો છું હું.

ખુદા! મારી પ્રગટતાનું છે કારણ ગુપ્તતા તારી,
તું દેખાતો નથી એથી જ દેખાઈ રહ્યો છું હું.

જીવન કર્તવ્ય માટે છે, હૃદય છે ભાવના માટે,
જગતની ને તમારી વચ્ચે વહેંચાઈ રહ્યો છું હું.

અરે આ મારી નિર્જીવતાય ઘરની શોભા જેવી છે,
જુઓ ભીતે છબી રૂપે ટીંગાડાઈ રહ્યો છું હું.

કફનનું આ નવું નક્કોર કપડુ તો જુઓ બેફામ,
જવાને સ્વર્ગમાં કેવો સજાવાઈ રહ્યો છું હું.

– બરકત વિરાણી ‘બેફામ’

અગિયાર શેરની ગઝલ, પણ લગભગ બધા જ શેર દમદાર. કોઈ પોતાને શોધવા નીકળે તો પગલે પગલે પોતાને પામી શકે એ નેમથી પગલે પગલે પોતાની જાતને ખોતા જવાની વાત કરતો શેર તો ઉત્તમ અને ખાસ્સો અર્થગહન છે. આકાશમાં દેખાતા અસંખ્ય તારાઓને પ્રિયજનને જોવા માટે કરેલ છીદ્રોની ઉપમા આપતો શેર તો આધુનિક ગઝલનેય જૂની કહેવડાવે એવો મજાનો થયો છે.

Comments (15)

મોટો પ્રશ્ન – મુકુન્દરાય વિ. પારાશર્ય

એક દિન મહેતાજીએ છોકરાંને પ્રશ્ન કર્યો
‘ઈતિહાસ વિશે પ્રશ્ન ક્યો મોટો છે?’

વાદ કરી છોકરાઓ પ્રશ્નનો વિચાર કરે
મહેતાજીની આંગળીની ચીંધ સહુ માથ ફરે

કુરુક્ષેત્ર? ટ્રોય? તણો ઇતિહાસ ખોટો છે!
ફ્રેંન્ચ રાજ્યક્રાંતિ? એવી ક્રાંતિનોય જોટો છે!

રાજ્યમાં સુધારા? ધારાફેરનો ક્યાં તોટો છે?
વીજળી કે સંચાશોધ? એ તો પ્રશ્ન છોટો છે!

નોખાનોખા ધર્મ પંથ? અરે એમાં ગોટો છે!
‘સિપાઈના બળવા’ના વાંસા ઉપર સોટો છે!

સત્યાગ્રહ? એમાંય તે કૈંકે મેલી દોટો છે!
આવડે ન તો તો ગાલે મહેતાજીની થોંટો છે.

છેલ્લે બાંક, છેલ્લો રાંક છોકરો જવાબ દે,
’સાબ! સાબ! પ્રશ્ન એક રોટલાનો મોટો છે.’

– મુકુન્દરાય વિ. પારાશર્ય

મનહર છંદની મસ્તીમાં ગાવાની મજા પડે એવી આ રચના છે. આપણે ત્યાં હળવા વ્યંગની રચનાઓ આમેય ઓછી જ જોવા મળે છે. ઇતિહાસમાં કયો સવાલ સહુથી મોટો છે એ બાબતે આખો વર્ગ વાદે ચડે છે. કુરુક્ષેત્રથી શરૂ થઈ સત્યાગ્રહ સુધીના પ્રસંગોની ચર્ચા અને સાથોસાથ દરેકને રદિયો દેવાની કથનરીતિ કાવ્યને વધુ મજેદાર બનાવે છે. છેલ્લી બાંક પર બેસેલ એક ગરીબ છોકરો જે જવાબ આપે છે એ જવાબ હળવા હાસ્ય સાથે કાવ્યમાં ગતિ કરતાં આપણા સહુના અવાજને અચાનક ગળગળો બનાવી દે એવો છે.

કોઈ એક સામયિકમાં પ્રકાશિત થયેલું આ કાવ્ય મુંબઈ યુનિવર્સિટીમાં એમ.એ.ના ગુજરાતીના અનસીનના પે૫૨માં પ્રશ્નરૂપે પૂછાયું હતું ત્યારે કવિનું વય માત્ર સોળ વર્ષનું હતું.

Comments (3)

વાત કરવી છે – બાબુલાલ ચાવડા ‘આતુર’

સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે,
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે.

મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે.

કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે,
જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે.

મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો,
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે.

પ્રતીક્ષામાં છું ‘આતુર’ એટલે હુ અંતવેળાની,
ઘડીભર તેજની સાથે તમસની વાત કરવી છે.

– બાબુલાલ ચાવડા ‘આતુર’

રણમાં રઝળતાં-રઝળતાં તરસની વાત કરવી સહેલી છે. મુસીબતમાં તો ભગવાનને બધા જ યાદ કરવાના. અમીર માણસ માટે ગરીબોની વ્યથા સમજવું દોહ્યલું છે. તૃપ્તિ હાથવગી હોય ત્યારે અતૃપ્તિની વાત કરવી, એ બાબતે સમજ કેળવવી વધુ અઘરી છે. મજાના મત્લા સાથે કવિએ ગઝલનો ઉઘાડ કર્યો છે. સરઓવરના કાંઠે બેસીને કવિ તરસની અને તરસપ્લાવિત એ તમામ દિવસો, જે એક-એક દિવસ વરસ સમાન વીત્યા હતા એની પણ વાત કરવા ઇચ્છે છે. મતલબ લાંબો ચાલેલ વિયોગ હવે પૂરો થયો છે અને પ્રિયજન સાથે મુલાકાત થઈ છે. આ મુલાકાતના કાંઠે બેસીને કવિ વિરહના દિવસો પોતે કેવી કપરી રીતે વિતાવ્યા છે એની વાત પ્રિયજનને કરવા ચહે છે. આખી ગઝલ સ-રસ છે પણ મત્લાની જેમ જ મક્તા પણ અદભુત થયો છે.

Comments (5)

અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

એક આંસુ કેમ સચવાતું નથી?
ને ખરું દુ:ખ કેમ પકડાતું નથી?

વાદળો ખુદમાં ભરી દરિયો, ઊભાં,
છે જે અંદર કેમ ઉભરાતું નથી?

આટલો વરસાદ આવ્યો તે છતાં,
હૈયું મારું કેમ ભીંજાતુ નથી?

હોય જ્યારે ઘરમાં કંઈ મોટો પ્રસંગ,
એક અંગત કેમ સચવાતું નથી?

હોય જો ખુદમાં જ ઈશ્વર તો પછી,
સત્ય એનું કેમ સમજાતું નથી?

– અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’

ગઝલના પાંચેય શેર ‘કેમ’ પ્રશ્નની ધરી ઉપર ચકરાવો લે છે. સમસ્યાઓ બધી જ ચિરપરિચિત હોવા છતાં રજૂઆતની સહજતામાં અને સરળતામાં કંઈક એવી વિશેષતા છે, જે આપણને દરેક શેર પાસે ઘડીભર અટકી જવા પ્રેરે છે.

Comments (6)

સવા શેર : ૧૧ : ભ્રમ હયાતીનો – વિવેક મનહર ટેલર

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
– વિવેક મનહર ટેલર

સીદીભાઈને સીદકાં વહાલાંના ન્યાયે સર્જકને તો પોતાનું સમગ્ર સર્જન જ ગમવાનું. પણ મારે જો મારા જ કોઈ શેર વિશે બે’ક શબ્દ લખવાનું હોય તો હું પસંદગીનો કળશ આ શેર પર પહેલાં ઉતારું. પહેલી નજરે તો વાત સાવ સરળ–સહજ જ છે. ब्रह्म सत्य, जगत मिथ्या એમ આપણે સહુ કહીએ તો છીએ, પણ જીવીએ છીએ એ રીતે કે જગત અને જીવન સત્ય હોય અને બ્રહ્મ મિથ્યા હોય. અસ્તિત્ત્વના તકલાદીપણાં કે ક્ષણભંગુરતા વિશે સેંકડો સર્જકો અસંખ્ય વાત કરી ગયા છે. આ શેર એમાં જ એક ઉમેરણ છે. પરપોટાથી વધુ તકલાદી તો શું હોઈ શકે? પાણીના પાતળા પડની કાયાની ભીતર હવા ભરાતાં સર્જાતો પરપોટાનું આયુષ્ય ક્ષણ-બે ક્ષણથી વધુ હોતું નથી. પણ આટલા ટૂંકા આયુષ્યમાં પણ એ પ્રકાશ ઝીલીને એવી તો મજાની મેઘધનુષી છટા સર્જી બતાવે છે કે જોતાંવેંત જોનારનું મન મોહી લે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગમે એટલો આકર્ષક કેમ ન હોય, પરપોટો થોડી જ વારમાં ફૂટી જાય છે. હવા હવામાં ભળી જાય છે, ને પાણીનું અતિપાતળું પડ પાણીનું ટીપું બની જમીનમાં ભળી જશે. પરપોટો પાણીની ભીતર સર્જાયો હોય, તોય હવા અને પાણીનું ગંતવ્ય તો આ એક જ અને અફર જ રહેવાનું. પરપોટાની હયાતીની મિષે વાત આપણી હયાતીની માંડી છે એ બાબત સ્વયંસ્પષ્ટ છે. મૃત્યુ આવશે એ ઘડીએ હયાતી વિશેનો આપણા ભ્રમનો પરપોટો પરપોટાની જેમ જ ભાંગી જનાર છે, અને પંચભૂતમાંથી બનેલો દેહ પંચભૂતમાં જ પુનઃ ભળી જનાર છે એ જ વાત અહીં કરવામાં આવી છે. પણ પસંદગીનો કળશ આ શેર ઉપર ઢોળ્યો હોવાનું કારણ બીજી પંક્તિમાં પ્રયોજાયેલ બેવડો શ્લેષ અલંકાર છે. જ્યારે બુદબુદાનો પોતાની હયાતી વિશેનો ભ્રમ ભાંગી જશે ત્યારે હવા હવા થઈ જશે અને પાણી પાણી થઈ જશે એ વાતમાં છૂપાયેલ શ્લેષ ઉઘાડીશું તો એક નવો જ સંદર્ભ હાથ આવશે. પ્રથમદર્શી અર્થોપરાંત અહીં બે જાણીતા રૂઢિપ્રયોગો પણ વપરાયા છે. હવા હવા થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. પરપોટો હોય કે આપણી હયાતી, બંને નાશ પામે છે ત્યારે કશું હાથ આવતું નથી. પાણી પાણી થઈ જવું યાને શરમના માર્યા ભીના થઈ જવું. જીવનભર હોવાપણાંનો ખોંખારો ખાતા, પોતાને સૃષ્ટિની ધરી ગણીને જીવનાર માનવીને અંતિમ ઘડીએ સમજાય છે કે પોતાનું અસ્તિત્ત્વ સૃષ્ટિમાં ટપકાં બરાબર પણ નહોતું. જીવનભર જીવનનો પાળ્યે રાખેલ ભ્રમ જે ઘડીએ ભાંગે છે, એ ઘડીએ પાણી પાણી થઈ ન જવાય તો જ નવાઈ.

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય?

Comments (1)

સવા શેર : ૧૦ : વાણીનું સમ્યક ઋણ – સંજુ વાળા

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
– સંજુ વાળા

કવિતાનું અગત્યનું લક્ષણ છે Paradox. કવિ નિશાન કંઈક સાધતા હોવાનું દેખાય અને નિશાન કંઈ બીજું જ સધાતું હોય એ વિરોધાભાસ કવિતાને ખૂબ માફક આવે છે. વળી, આ કવિની તો આ ખાસિયત છે. સંજુ વાળાની કલમેથી કંઈક સીધુંસટ કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું પ્રાપ્ત ભાગ્યે જ થશે. આ કવિ કવિતાના મર્મને પામી જઈ, કંઈક અલગ અને સાવ મૌલિક કામ કરવાના પથના પ્રવાસી છે. એમની કવિતા પૂરતી ભાવકસજ્જતા માંગી લેતી કવિતા છે. ક્યારેક એમની કવિતા ભાષા અને અર્થની સીમાપાર વિહરતી પણ લાગે, પણ સરવાળે પુરુષાર્થ કર્યા પછી કશું પ્રાપ્ત ન થાય એવો અનુભવ પણ ભાગ્યે જ કરાવે છે.

સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું ઋણ પૂરેપૂરું ન ફેડી શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું માગણું ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના કરે છે. હવે પ્રશ્ન થશે કે બંને પંક્તિ સીધી હરોળમાં ચાલે છે, તો ઉપર ઇંગિત કર્યો એ વિરોધાભાસ ક્યાં છે? ખમો થોડી વાર, ભઈલા!

એક તરફ કવિ કહે છે કે ભાષાનું સંપૂર્ણ કરજ ચૂકવવામાં નિષ્ફળ થવાની સજા જન્મોજનમ કવિ થવું એ છે, પણ વાસ્તવિક્તા એ છે કે સૂંઠના ગાંગડે કવિ થવાતું નથી. જે માણસ સમાજ પાસેથી શીખેલ ભાષાનો નિચોડ સમગ્રતયા કાઢી શકવાને સમર્થ હોય એ જ તો કવિ બની શકે છે. કવિનો શબ્દ અને લોકવ્યવહારના શબ્દ વચ્ચે આમ જુઓ તો કોઈ તફાવત જ નથી. કવિની ભાષા લોકભાષામાંથી જ જન્મી છે અને અલગ પણ નથી. પણ કવિનો શબ્દ જવાબદારીનો શબ્દ છે. કવિ ભાષાનો પ્રથમ અને સર્વોત્તમ પ્રહરી છે. કવિ કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એમાં એની જિંદગીભરની સમજ અને વિચારને પૂરી સૂઝબૂઝ સાથે વાપરે છે. પરિણામે કવિનો શબ્દ વ્યવહારમાંથી જ આવ્યો હોવા છતાં વ્યવહારથી ઉફરો અને ઊંચો તરી આવે છે. ભાષાનો સો ટકા અર્ક કાઢી શકનાર જ કવિ બને છે એની સામે એ અર્ક અપૂરતો કાઢી શકનારને જ કવિ બનવાની સજા મળતી હોવાની વાત કેવો માર્મિક અને છૂપો વિરોધાભાસ જન્માવે છે.

બીજી પંક્તિમાં કવિતાને સંબોધીને કવિ જનમજનમના કવિફેરામાંથી બચવા માંગતા હોય એમ આ જ જનમમાં સઘળું લેણું અદા કરી દેવાની વાત કરે છે ત્યારે પ્રથમદર્શી ખ્યાલ એ આવે કે કવિ કવિ બનવામાંથી છૂટકારો ઇચ્છે છે. પણ હકીકત એ છે કે કવિ હોવું એ પરમ સૌભાગ્યની વાત છે એનાથી કવિ સુપેરે વાકિફ છે. અને અપ્રગટ વિરોધાભાસ જન્માવીને કવિ એ જ વાતને અધોરેખિત કરે છે કે કવિ બનવાની એકમાત્ર શરત છે ભાષાના ચરણે અને શરણે સંપૂર્ણ સમર્પણ. કશું અડધું-અધૂરું કવિતામાં ચાલી શકે જ નહીં. સમાજ તરફથી આપણને જે ભાષા અને વાણી મળ્યાં છે, એનું દેવું પૂરેપૂરું ચૂકવવું એ દરેકેદરેક કવિની પરમ ફરજ છે.

સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.

Comments (1)

સવા શેર : ૦૯ : પરદો – બરકત વિરાણી ‘બેફામ’

તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,
ને પરદા પર હું ચહેરો ચીતરું છું.
– બરકત વિરાણી ‘બેફામ’

સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક છે. પ્રિયજન, પ્રકૃતિ અને પરમેશ્વરના સૌંદર્યનું ગાન વિશ્વભરની કવિતાને શરૂથી જ ખૂબ માફક આવ્યું છે. જો કે સૌંદર્યની કવિતામાં પણ કવિતાનું સૌંદર્ય તો હોવું જ ઘટે. એ વિના તો રચના સૌંદર્યવર્ણન કરતો નિબંધ બનીને જ રહી જાય. બેફામ આમ તો પરંપરાના શાયર પણ કવિતાને પરંપરા કે આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નહીં. આ વાડા તો ઈશ્વર-અલ્લાહ-ગોડની જેમ આપણે આપણી અનુકૂળતા માટે સર્જ્યા છે. બેફામનો આ શેર આધુનિકને પણ જૂનો કહેવડાવે એટલો આધુનિક છે.

બેફામના સમયગાળામાં પરદાપ્રથા હિંદુ સ્ત્રીઓમાંથી હજી ગઈ નહોતી, અને મુસ્લિમ સ્ત્રીઓમાં તો સવાલ જ ઊઠતો નહોતો. અજાણ્યા શખ્સ સામે બુરખો લગભગ ફરજીયાત હતો. નાયકની ઉપસ્થિતિમાં નાયિકાએ પોતાના ચહેરા ઉપર પરદો ધરી દીધો છે. શિસ્ત ગુજરાતીમાં આમ તો ‘પરદો કરવો’ પ્રયોગ ‘પરદો ધરવો’ કરતાં વધુ યોગ્ય ગણાય પણ મુસલમાન કોમનું ગુજરાતી આજે પણ પ્રશિસ્ત ગુજરાતી ધારા સાથે દૂધમાં સાકરની જેમ ભળી શક્યું નથી એટલે કવિએ પ્રયોજેલ ક્રિયાપદને નિર્વાહ્ય ગણીએ. આમેય, કવિતા નિજાનંદ માટેની કળા છે, ગણિતનો પ્રમેય નથી, જેને તબક્કાવાર અને તર્કબદ્ધ રીતે જ ઉકેલવો પડે.

સનમે ચહેરા ઉપર પરદો ધરી દઈને પોતાનું સૌંદર્ય છૂપાવી દીધું છે. પણ નાયકને તો એ સૌંદર્યની જ આરત છે ને! પ્રીતિને આવરણો સાથે સંબંધ કાંઈએ નથી. આવરણ ન હોય તો તો સૌંદર્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે. સાચો પ્રેમી તો એ જ જેને દુનિયાભરના આવરણ નડી ન શકે. નાયિકાએ પરદો કરીને ચહેરો ઢાંકી દીધો તો નાયક પરદા ઉપર જ એનો ચહેરો ચીતરી રહ્યો છે. મતલબ, ચર્મચક્ષુ માટે જે સૌંદર્ય પરદાપાછળ ગોપિત છે, એને નાયક મનઃચક્ષુ વડે નિરખી રહ્યો છે, ચાક્ષુષ કરી રહ્યો છે. વાત સામાન્ય છે, પણ કલ્પનાની શક્તિ અને નજાકત –બંનેનું સૌંદર્ય શેરને સવાશેર બનાવે છે. નાયકે પ્રેમ કર્યો છે, પણ પરદો હટાવી લેવાની કે હટાવવાની વિનંતી કે આગ્રહ કરવા જેટલીય ગુસ્તાખી એ કરવા નથી ઇચ્છતો. એ નાયિકની પરદાદારીનું સંપૂર્ણ માન જાળવે છે. અને સાથોસાથ નાયિકાના મુખદર્શનની પોતાની તલબને અંજામ પણ આપે છે.

સૌંદર્યાનુરાગિતાની વાતને કવિએ જે સૌંદર્યથી રજૂ કરી છે એની જ ખરી મજા છે. કેટલાક શેર એવા હોય છે જેની પાસે બે ઘડી થોભવા જેટલી ધીરજ ધરો તો એ પરદો ઊઘાડીને મુખદર્શન અને સુખદર્શન બને આપશે. આ શેર એવો જ એક શેર છે. આવો. થોભો. અને શેર આપોઆપ ઉઘડે એટલી રાહ જુઓ.

Comments (1)

મળવું’તું…. – અનિલ ચાવડા

તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું;
નસમાં વહેતા શાંત લોહીને ઝરણા જેમ ઉછળવું’તું.

ના ના એવું ખાસ નથી,
પણ છાતી અંદર શ્વાસ નથી;
હમણા હમણાથી આંખોમાં
ટકતું બહુ આકાશ નથી.
આંખો અંદર આભ ભરીને મારે તો વાદળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

રુવાંટીઓ ક્યે,”એ ફૂંકે ને
તો જ અમે ફરફરીએ;
એમનેમ મળવાની વાતો
અમે ય થોડા કરીએ?
પાણી અંદર ઢેફું પીગળે એ રીતે પીગળવું’તું.
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

ઘણી વાર આવ્યો છું મળવા
છેક તમારા ઘર લગ,
મને પૂછ્યા વિણ મને લઈને
ચાલી નીકળે છે પગ,
તમારી જ શેરીમાં પગને પણ જાણે કે વળવું ‘તું,
તમને ખાલી મળવું’તું, ભીતરથી ઝળહળવું’તું.

– અનિલ ચાવડા

આ રચના અનિલભાઇની જ હોઈ શકે…😀 લાક્ષણિક શૈલી…..રમતિયાળ ભાષામાં ગહેરી વાત – ” હમણા હમણાથી આંખોમાં…..ટકતું બહુ આકાશ નથી…..” – વાહ….

Comments (1)

છોકરી – ગ્રેસ – અનુ.- જગદીશ જોષી

આયુષ્ય નકારવાનો અને સ્વીકારવાનો
આ પ્રશ્ન નથી.
રેતીમાંના પાણી માટે તો નાનકડાં ઘર હોય છે.
તે બંધાવાં જોઈએ; પૂરી સમજદારીથી ફરી વાર
તેની રેતી એકઠી કરીને
રાખવી.
હું કેરળમાં હતો ત્યારે એક છોકરી મળી ગઈ.
એ વેળા જૂના ચર્ચનું દુરસ્તીનું કામ
ચાલુ હતું. ઇટાલિયન સંગેમરમ૨ના એક
ટુકડા પાસે તે ઊભી હતી.
ફૂલ તોડો; ઋતુના આવિર્ભાવોમાં ઘણા
સૂક્ષ્મ પલટાની નોંધ લો.
બસ, એટલું જ.
એક દિવસ કોઈ પણ પૂર્વ-એંધાણી આપ્યા વગર
તે મરી ગઈ.
સીધુંસાદું છે આટલું જ!

– ગ્રેસ – અનુ.-જગદીશ જોષી

એક પ્રચલિત ફિલોસોફિકલ થિયરી છે – LIFE IS RANDOM. અર્થાત્ – ન તો જીવનનો કોઈ અર્થ છે ન તો કોઇ હેતુ. જે થાય છે તેનું કોઈ કારણ નથી. આ થિયરી એટલી નિષ્ઠુર છે કે લોકો એને માનવાથી ડરે છે….અને ધર્મ તો તેને લગીરે સ્વીકારવા રાજી ન જ હોય – સ્વાભાવિક છે. બસ, આ કાવ્યને આ થિયરી સંદર્ભે માણો…

Comments (1)

પગલાંની માળા – કવિ દાદ

વીણી વીણીને ભેગાં કરિયાં, સપનાં બધાં સુવાળાં;
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બે ચાંચડિયે એક જ તરણું, લઈ ઊડતાં લટકાળાં;
મનડાં અમે એમ ગૂંથ્યાં’તાં જેમ સુઘરીના માળા-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

ઈ વાટડીએ વન ઊગ્યાં, જ્યાં હાલ્યાં’તાં પગપાળાં;
વિ’ખાંઈ ગયા છે આજ વિસામા, ગોંદરા નદિયું, ગાળા–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

બાંધ્યાં અંગ દિશા ના સૂઝે, કયાં કરવા ઊતારા;
આસારો દઈ ઊડાડી મૂકયાં, વલખે પાંખુવાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

આવનજાવન રહી ન કોઈ, ઊંઘી ગયાં અજવાળાં;
બંધ કરી ઘર બેસી ગયાં છે, સૂનાં ઘરને તાળાં–
.                                નજર ગૂંથે પગલાંની માળા.

મરી ગયાં ‘દાદલ’ મધલાળે, ઊગરવા નહીં આરા;
તાણે તાણે તૂણાઈ ગયાં, જેમ કરોળિયે જાળાં-
.                                નજર ગૂંથે પગલાંની માળા.

– કવિ દાદ

મધુરા સહજીવનની આશાએ એકબંધને બંધાતા યુગલોમાં ઘણાંયને અધવચ્ચે અલગ થવાનો જોગ આવતો હોય છે. કવિ દાદ પાસેથી એક અદભુત રચના આ સંદર્ભે આપણને મળે છે. બે જણ જીવતરના સુંવાળાં સપનાંનાં તણખલાં વીણી-વીણીને સપ્તપદીના પગલાંની માળા ગૂંથે છે એ વાતથી ગીતારંભ થાય છે. શરૂમાં તો સહવાસ એટલો પ્યારો લાગતો હોય છે જાણે બે પંખી સાથે મળીને એક જ તરણું ઊપાડી ઊડે છે. સુઘરી જે કુશળતાથી માળો ગૂંથે છે એ જ કૌશલ્યથી બંને જણ એકમેકના મન એકમેક સાથે ગૂંથે છે. માળા તો બધા પંખીના હોય પણ કળાકૌશલ્યની એરણ પર સુઘરી કદાચ અવ્વલ ક્રમે આવે. કવિતામાં યોજાતાં પ્રતીક કવિતાને ઉપકારક હોય તો જ કવિતા સારીમાંથી ઉત્તમ તરફ ગતિ કરી શકે.

પણ આજે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જે રસ્તે બે જણ સંગાથે પગપાળાં ચાલ્યાં હતાં ત્યાં આજે જંગલ-ઝાડી-ઝાંખરાં ઊગી આવ્યાં છે. મતલબ એ માર્ગ હવે અવાવરૂ બની ગયો છે. રસ્તામાં જ્યાં સાથે બેસી બે જણ વિસામો કરતાં હતાં એ નદી-ભાગોળ બધું આજે વીંખાઈ ગયું છે.

પિંજરમાં લાંબો સમય કેદ પંખીને અચાનક આકાશમાં છૂટાં મૂકી દેવામાં આવે તો વરસોથી જકડાઈ ગયેલ પાંખોને લઈને શું કરવું-શું ન કરવુંની સમજ ન પડે એ જ રીતે પ્રેમપિંજરની કેદમાં પોતપોતાના અસ્તિત્ત્વને સંકોરીને જીવવા ટેવાયેલ પ્રેમીજન અચાનક અલગ અને સ્વતંત્ર થઈ જવાની પરિસ્થિતિને અનુકૂળ થવામાં તકલીફ અનુભવે છે. જીવતર સૂનાં પડ્યાં છે. ફરી અજવાળાં થાય એવી આશા ક્યાંય દેખાતી નથી. બંધ ઘરને તાળાં લાગી ગયાં હોય એમ અંધારું જીવન બંધિયાર થઈ ગયું છે. કરોળિયાની જાળમાં જંતુ જે રીતે ફસાઈને મરી જાય એ રીતે બંને જણ પોતે જ ગૂંથેલા જાળાંની લાળમાં સપડાઈને જીવતેજીવ મૃત્યુનો અનુભવ કરી રહ્યાં છે.

કેવું અદભુત ગીત!

Comments (3)

અવસર મૂકું – ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

લાવ, તારો હાથ, એમાં આપણો અવસર મૂકું,
માછલી જળમાંથી કાઢું ને પછી તટ પર મૂકું.

સાપની સામે નિસરણી, તે પછીની ચડઊતર;
ઓસ ફાડીને સૂરજ મૂકું –અને ક્ષણભર મૂકું.

સાવ મારું છે, છતાં સાવ પરબારૂં જ છે,
આંસુ તાજું છે, છતાં હું હોડમાં સરવર મૂકું.

આંખ ભીની થાય ત્યાં તું વ્હાલ રેતીમાં મૂકે,
હું વરસતા મેઘ વચ્ચે ભેાંયને પડતર મૂકું.

સ્હેજ પોરો ખાઈ લઈને હાથના વેઢા ગણું,
હાથમાં ચપટીક ચોખા છે અને ઘરઘર મૂકું.

– ચિનુ મેાદી, સરૂપ ધ્રુવ

સાવ અલગ મિજાજના અને સાવ અલગ ઓળખ ધરાવતા બે બંડખોર સર્જક ભેગા થઈને એક સહિયારી કાવ્યકૃતિ આપે ત્યારે ક્યારેક એવું બને કે સર્જન તો થાય પણ કવિતા મરી પરવારે… પણ દાળ અને ભાત ભેગાં થઈને અનુપમ સંતુષ્ટિ આપે એ રીતે ક્યારેક અનનુભૂત આહ્લાદનું નિમિત્ત બની શકે એવી મજાની કવિતા પણ ભાષાને ભેટ મળી શકે… ખરું ને?

ચિનુ મોદી અને સરૂપ ધ્રુવ. બંને બળવાખોર કવિ તો ખરા જ, સાથે તદ્દન અલગ છેડાના કવિ પણ ખરા. ચિનુ મોદીનો બળવો પરંપરા સામે તો સરૂપ ધ્રુવનો બળવો સમાજ અને રાજકારણ સામે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ જેવા આ બે કવિઓનું આ એક સહિયારું સર્જન છે. પ્રસ્તુત ગઝલના દરેક શેરમાં એક પંક્તિ ચિનુ મોદીની છે અને એક સરૂપ ધ્રુવની. કઈ પંક્તિ કોણે લખી એની પળોજણમાં ન પડતાં રચનાને જ માણીએ.

Comments (6)

(પુષ્પ સુધીની સફર) – દર્શક આચાર્ય

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !

– દર્શક આચાર્ય

મહેંકવું પુષ્પનું કામ છે. મહેંક પછી કોના અસ્તિત્ત્વને તરબતર કરે છે અને કોના નહીં, એની પંચાતમાં એ પડતું નથી. આપણે ખીલીએ કે ખૂલીએ તો છીએ પણ આપણો પ્રભાવ ક્યાં સુધી અનેકોના-કોન ઉપર પડે છે એ તરફ આપણું ધ્યાન પ્રતિપળ ચોંટેલું રહે છે. આપણા પુષ્પિત થવાથી કોને કેવો અને કેટલો લાભાલાભ થયો એની પંચાતમાં પડ્યા વિના નિસ્પૃહતાથી ખીલતાં શીખીશું ત્યારે મનુષ્ય હોવું સાર્થક થશે.

Comments (10)

તુંયે જવાબદાર છે! – રતિલાલ ‘અનિલ’

આ પાપ, પુણ્યના વિશે કેવા અજબ વિચાર છે!
મૃત્યુ એ સ્વર્ગ-નર્કનું જાણે પ્રવેશદ્વાર છે !

મૃત્યુ પછીના સુખ તણો શો કલ્પનાવિહાર છે!
જન્નત ને હૂર છે ખરાં, પણ તે જગત-બહાર છે !

શ્રદ્ધા ભલે અપાર છે, શંકાય બેસુમાર છે;
ઇશ્વર! હજી તો વિશ્વમાં તર્કો અને વિચાર છે.

થાકી ગયેલ બુદ્ધિએ ઈશ્વરની કલ્પના કરી,
એને ગમ્યું તે સાર છે, બાકી બધું અસાર છે.

મારામાં તું વસી રહ્યો એ વાત સત્ય હોય તો,
મારા પતનને કાજ હા, તુંયે જવાબદાર છે!

– રતિલાલ ‘અનિલ’

ઈશ્વરને કેન્દ્રમાં રાખીને મૃત્યુ-પાપ-પુણ્ય-સ્વર્ગ-નર્કની હકીકતની ખરાખરી કરતી ઉમદા ગઝલ. ઈશ્વર બીજું કશું નથી પણ દુનિયાના અને પોતાના અસ્તિત્વ વિશે વિચારી-વિચારીને થાકી ગયેલ મગજે સમાજવ્યવસ્થા ઊભી કરવા અને જાળવવા માટે સર્જેલી એક વિભાવના માત્ર છે. ઈશ્વરમાં આપણને એક તરફ અપાર શ્રદ્ધા પણ છે અને બીજી તરફ એના હોવા-ન હોવા બાબતે બેસુમાર શંકા પણ છે. તર્કો અને વિચારની વચ્ચે ક્યાંક ઈશ્વર છે અથવા નથી. અને જો ઈશ્વરને પસંદ હોય એ સારપ હોય અને બાકીનું અસાર હોય અને જો ઈશ્વર આપણા સહુમાં વસી રહ્યો હોય તો આપણા પતનને માટે શું એ પણ જવાબદાર નહીં? આસ્તિકતાના મૂળિયાંમાં વજ્રાઘાત કરતી આ ગઝલ વાસ્તવિક્તાની કેટલી નજીક ઊભી છે!

Comments (4)

મૃત્યુ – ફેહમીદા પાચા

ઢાંકી દો એનાં ખૂબસૂરત ચહેરાને ઢાંકી દો
કેટલો શાંત અને સુંદર ચહેરો છે
શુભ્ર સફેદ ચાદર ઓઢાડી દો
નહિ તો એને આપણી નજર લાગશે

જિંદગીમાં એણે ભરપૂર પ્રેમ કર્યો હતો
લખલૂંટ પ્રેમ લોકોએ આપ્યો હતો
એટલે જ મૃત્યુમાં આટલી સુંદર લાગે છે
વેદનાની એકે રેખા ચહેરા પર નથી

લાગે છે મૃત્યુનો દેવ એના પ્રેમમાં હતો
ચૂપચાપ આવી એનું અપહરણ કરી ગયો
અને એ પણ કશું બોલ્યા વિના ચાલી ગઈ
કોઈને ખબર ન પડી અને એ વિદાય થઈ

કે પછી ઈશ્વર એના વિના રહી ના શક્યો
સર્જનહારે એના સર્જનને કંકોતરી મોકલી
દેવોના ભર્યા દરબારમાં અપ્સરાની કમી હતી
કુમકુમ પત્રિકા આવી અને ચાલી નીકળી

– ફેહમીદા પાચા (મે ૧૯૯૩)

(જીવનકાળ : ૦૫/૦૫/૧૯૩૩ – ૦૧/૦૯/૨૦૦૬) કપડવંજમાં જન્મેલા સર્જકનું જીવન મુંબઈમાં વીત્યું. સાંઠ વર્ષની વયે એમણે પહેલીવાર કલમ ઉપાડી અને કાવ્યો રચ્યાં, જે એમનાં મૃત્યુપર્યંત ‘સો કવિતાનું સરવૈયું’ સંગ્રહ તરીકે પ્રગટ થયાં. કવિતાની એરણ પર મૂલવવા બેસીએ તો કદાચ એમનાં કાવ્યો ઉમદાની કક્ષામાં નહીં આવે, પણ એમની કવિતાઓમાં પાસા પાડ્યા વિનાના કાચા પણ સાચા હીરાની ચમક ઠેરઠેર વિખરાયેલ નજરે પડે છે.

પ્રસ્તુત રચના જુઓ. કેવી સબળ અભિવ્યક્તિ! સાવ સાદી વાત છે, પણ રજૂઆત કેવી મજાની! પ્રેમ એકમાત્ર પરિબળ છે જે સૃષ્ટિ સમગ્રને સુંદર બનાવે છે. મૃતકે જિંદગીમાં ભરપૂર પ્રેમ કર્યો હતો, પરિણામે લોકોએ પણ એને લખલૂંટ પ્રેમ આપ્યો હતો. પ્રેમ સંતુષ્ટિ બક્ષે છે. પરિણામે મૃતકના ચહેરા પર વેદનાની રેખા સુદ્ધાં દેખાતી નથી અને એ મૃત્યુ બાદ પણ આટલી સુંદર લાગે છે. મૃત્યુનો દેવ શું કે શું સાક્ષાત્ ઈશ્વર – બધા જ એના પ્રેમમાં હતા. જિંદગીને ચાહનારી મૃત્યુને પણ ચાહ્યા વિના ન રહી શકી. મરણ આપ્યું તો પ્રતિકારનો એક શબ્દ સુદ્ધાં ઉચ્ચાર્યા વિના એ કોઈનેય ખબર પડવા દીધા વિના ચાલી નીકળી. આખરી ચાર પંક્તિ કવિતાને વધુ પડતી મુખર બનાવે છે, એ ન હોત તો કવિતા કદાચ વધુ આસ્વાદ્ય બની હોત.

એમની અન્ય એક રચનાની ચાર પંક્તિઓ પણ જુઓ:

મનના કોઈ અગોચર અને અવાવરુ ખૂણામાં
જઈ એક દીવડો પેટાવ
અને પછી જો સૂર્યના અહંકારને ઓગાળી નાંખે
એવો ઉજ્જવળ ઉજાસ પથરાઈ જશે.

Comments (8)

(શ્વાસની માળા) – જૈમિન ઠક્કર ‘પથિક’

શ્વાસની માળામાં અવસર પ્રોઈએ;
જાતને થોડીક માણી જોઈએ.

આંખ સામે તક ઊભી હો ને બને-
આપણે હાથે કરીને ખોઈએ.

પાંખ હો તો પાંખ ફફડાવી શકો;
આભ મેળવવા અનુભવ જોઈએ.

ડાઘ લાગ્યો છે નગરના ચોક પર;
માત્ર સમજણનાં નયનથી ધોઈએ.

કોઈ અણગમતા સમયની યાદમાં;
આપણે શું કામ કાયમ રોઈએ?

હું, ‘પથિક’ સાચી દિશા પામ્યો છું પણ,
માર્ગ ચીંધ્યો’તો મને પણ કોઈએ.

– જૈમિન ઠક્કર ‘પથિક’

લયસ્તરો પર કવિના ગઝલસંગ્રહ ‘હવાનો પર્યાય’નું સહૃદય સ્વાગત.

सुब्ह होती है शाम होती है, उम्र यूँही तमाम होती है। (मुंशी अमीरुल्लाह तस्लीम) આપણામાંથી મોટાભાગના લોકો ઘાણીના બળદ જેવી જિંદગી જ જીવતાં હોય છે. શ્વાસની આ એકવિધ માળામાં અવસરના મોતી પરોવીને જાતને માણતા શીખવા કવિ આહ્વાન આપે છે. બધા જ શેર મનનીય થયા છે. સીધી સરળ ભાષામાં કવિએ જીવનના તારતમ્યો આબાદ રજૂ કર્યા છે.

Comments (15)

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને – પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને હું મારી ઉદાસ જાળને
તારાં સાગરનેત્રોની દિશામાં પાથરું છું.

ત્યાં સર્વોચ્ચ ઉજાસમાં મારું એકાંત લંબાઈને પ્રજ્વળી ઊઠે છે,
ડૂબતા માણસની જેમ તેના હાથ તરફડે છે.

સાગર કે દીવાદાંડી પાસેના કિનારા જેવી ગંધવાળી
તારી અવિદ્યમાન આંખોની આરપાર હું
પાઠવું છું રક્તિમ સંકેતો.

તું રાખે છે માત્ર ગહન અંધકાર, ઓ મારી અતીતની સંગિની,
તારા આદરમાંથી કવિચત્ છલકે છે ત્રસ્ત કિનારો.

ઢળતા મધ્યાહ્નોમાં ઝૂકીને, હું તારાં સાગરનેત્રોમાંથી છલકતા દરિયામાં ફેંકું છું મારી ઉદાસ જાળોને.

હું તને પ્રેમ કરતો હોઉં એ ક્ષણના અમારા અંતરાત્મા
માફક ચમકતા પ્રથમ તારાઓને
રાત્રિનાં પંખીઓ ચાંચથી ટોચે છે.

રાત્રિ તેની છાયાઘોડલી ૫૨ સવા૨ થઈ
રેવાલ ગતિએ ચાલે છે.
ભૂરી પર્ણ-ઝૂલોને ખેરતી.

– પાબ્લો નેરુદા ( અનુ – હરીન્દ્ર દવે )

પાબ્લો નેરુદના પ્રણયકાવ્યો સમગ્ર વિશ્વમાં સુખ્યાત ! અંગત રીતે મને ગમતો કવિ, પણ તેઓની રાજકીય વિચારધારા જરાપણ ન સમજાય… હશે…આપણી નિસ્બત કવિતા સાથે છે…

વિદેશી ભાષાની કવિતાઓનો સમજાવી થોડી મુશ્કેલ હોય છે-તેનું ક્લેવર આપણી કવિતા કરતાં ખાસું નોખું હોય છે. સામાન્ય રીતે તેઓ કોઈ સ્પષ્ટ સંદેશ આપવા અથવા તો કોઈ કેન્દ્રીય વિચાર ને વ્યક્ત કરવા માંગતા હોય તેવું નથી હોતું, પણ તેઓ એક ભાવવિશ્વ સર્જે છે અને તેમાં ભાવક પોતાની રીતે તરબોળ થઈ શકે. અહીં ઢળતી સાંજે સાગરતટે બેઠેલો એક કલાન્ત નિરાશ પ્રેમી બહાર જે જુએ છે અને અનુભવે છે તેને પોતાના આંતરિક જગતના પરિપ્રેક્ષ્યમાં કવિતામાં કહે છે….તર્કસંગતતા ન પણ હોય, અમુક ઉદ્ગાર મને નથી સમજાતાં, પણ કવિ સાથે એક ભાવનાત્મક ઐક્ય હું અનુભવી શકું છું……

Comments (3)

અને હું….. – મનોજ ખંડેરિયા

નગર મીણનું : ધોમ તડકા અને હું
પીગળતા રહ્યા મારી છાયા અને હું

આ ચોપાટનાં ખાલી ખાનાં અને હું
સ્મરણના જૂના પંગુ પાસા અને હું

હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનુંઃ
ક્ષિતિજો સુધી જાતા પાટા અને હું

સમયના બધા બંધ દરવાજા જોઉં
લટકતાં નજર સામે તાળાં અને હું

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું

એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ
અલગ થઈ જતી મારી કાયા અને હું

– મનોજ ખંડેરિયા

“હતું ચિત્ર આ ટ્રેન ગઈ એ પછીનું……..” – જબરદસ્ત !!!

તમામ શેર બળકટ 👍🏻

Comments (2)

(ઓચિંતો ત્રાટક્યો અષાઢ) – દાન વાઘેલા

મને  ચડી ગઈ રોમ-રોમ ટાઢ!
ગાજ નહીં, વીજ નહીં, પૂનમ કે બીજ નહિ-
.                                                ઓચિંતો ત્રાટક્યો આષાઢ!         મને ચડી ગઈ…

ઘરમાંથી ઉંબરાની મર્માળી ઠેસ,
છતાં ચાલી હું મીણ જેમ પીગળી!
માજમની રાતે આ મન એવું મૂંઝાણું:
જાણે કે વીંટળાતી વીજળી!

કોને ખબર છે કે ગામ આખું કોરું –
.                                                પણ ડૂબ્યાં આ મેડી ને માઢ!         મને ચડી ગઈ…

દરિયાનાં મોજાં તો માપી શકાય,
અરે! ફળિયાની ફાળ કેમ માપવી?
સોળ-સોળ ચોમાસાં સંઘરેલી છતરીને
શેરીમાં કોને જઈ આપવી?

રુદિયામાં ફુવારા ફૂટે છે જાણે કે –
.                                                પીલાતો શેરડીનો વાઢ!         મને ચડી ગઈ…

– દાન વાઘેલા

આજે તો વરસાદ મનફાવે ત્યારે અને મનફાવે એટલો ખાબકી પડે છે, પણ એક જમાનો હતો જ્યારે ચોમાસું અષાઢ-શ્રાવણ સુધી સીમીત રહેતું, પ્રેમ પણ વરસાદ જેવો છે. એ કંઈ પૂનમ-બીજ એમ તિથિવાર જોઈને નથી થતો. પ્રેમના વરસવા માટે ગાજવીજનીય જરૂર નથી. ચાર આંખ વચ્ચે તારામિત્રક રચાય અને કોઈપણ જાતની પૂર્વજાણકારી વિના અષાઢ ત્રાટકી પડે એમ પ્રેમ રોમરોમને ભીંજવી ટાઢો અહેસાસ કરાવી શકે છે.

પરિવારે મર્યાદાના ઉંબરા ન વળોટવાનું શીખવ્યું હોવા છતાં પ્રેમની ઉષ્મા જ એવી છે કે ભલભલા મનસૂબા અને મર્યાદાઓ મીણની જેમ પીગળી જાય છે. ચાલીનો શ્લેષ પણ મર્માળો છે. બીજી તરફ કાજળકાળી રાતે દેમાર વીજળીઓ ડરાવતી હોય એમ રહીરહીને યાદ આવતી સામાજિક મર્યાદાઓની વાત મનને મૂંઝવણમાં પણ મૂકે છે. આ અષાઢી વરસાદ ભીતરી વરસાદ છે એટલે ગામ-શેરી તો ક્યાંથી ભીંજાવાના? પણ અહીં તો માઢ-મેડી ગરકાવ થઈ જાય એ હદે હૈયું જળબંબાકાર થઈ ગયું છે.

દરિયાંનાં મોજાંઓને તો માપી-ઓળંગી શકાય પણ ફળિયું કેમ કરીને ઓળંગવું? અહીં પણ માપી-માપવીમાં રહેલ હળવો શ્લેષ આસ્વાદ્ય બન્યો છે. શેરડીનો વાઢ પીલાય ત્યારે જેમ રસના ફુવારાઓ વછૂટે એમ અંતરમાં પ્રેમરસના ફુવારાઓ ફૂટે છે. સોળ વરસથી અકબંધ સાચવેલું કૌમાર્ય શેરામાં વસતા સાજનને આપી તો દેવું છે પણ ષોડશી પૂર્ણતયા વિડંબનામુક્ત થઈ શકતી નથી. પહેલા પ્રેમની અવઢવની આ જ તો મજા છે અને કવિએ એને તંતોતંત વાચા પણ આપી છે.

Comments (13)

કોની કરૂં હું રાવ – બરકત વિરાણી ‘બેફામ’

કોની કરૂં હું રાવ, એ કંઈ પારકા નથી;
જેણે કર્યા છે ઘાવ, એ કંઈ પારકા નથી.

દરિયો તો ખેર કોઈનો થાતો નથી મગર,
જેણે ડુબાવી નાવ, એ કંઈ પારકા નથી.

હારી ગયાનું એટલે તો દુઃખ નથી મને,
જીતી ગયા જે દાવ, એ કંઈ પારકા નથી.

મારી કતલનો દોષ, અને એમના ઉપર?
કરવા દે દિલ! બચાવ, એ કંઈ પારકા નથી.

એ શકય છે કે થોડાં ઘણાં પારકાં હશે,
બેફ઼ામ કિન્તુ સાવ એ કઈ પારકાં નથી.

– બરકત વિરાણી ‘બેફામ’

બરકતની બળકટ ગઝલ.

Comments (4)