આપણે પોતાને સમજાયા નથી,
જોઈએ એવા વલોવાયા નથી.
ફૂલ જેવું ખીલવા માટે હજી,
મૂળિયાં માટીમાં ધરબાયાં નથી.
અંકિત ત્રિવેદી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
June 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લાલજી કાનપરિયા
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
હસ્તરેખાઓ બધીય જળના રેલા થઈને વહી જાય અચાનક આજે
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.
લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे?
– લાલજી કાનપરિયા
આમ તો આ રચના ગઈકાલે પોસ્ટ કરવી જોઈતી હતી… ગઈ કાલે જ અષાઢનો પહેલો દિવસ ગયો.. કવિ કાલિદાસના મેઘદૂતમાંથી ‘आषाढस्य प्रथम दिवसे’ પસંદ કરીને કવિએ કેવું સ-રસ ગીત આપ્યું છે! કાલિદાસનો યક્ષ એની પ્રિયાના સ્મરણોના વરસાદથી ભીંજાતો હતો, પણ આપના કવિ પોતે કોનાં સ્મરણોના વરસાદથી લથબથ થઈ રહ્યા છે એનો ફોડ પાડવા ઇચ્છતા નથી… આખા ગીતમાં આ ‘કોણ’ને ભાવકોની કલ્પના પર છોદી દઈ કવિએ મજાના વળ ચડાવ્યા છે…
Permalink
June 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગાથાગીત (બેલડ), મનોહર ત્રિવેદી
પગમાં છડા – વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં
પરસેવે રેબઝેબ કાળીડિબાંગ છે અંગેઅંગ
આખો દિ’ ફોરતાં એનાં લૂગડાં મેલાંદાટ ને ભીનાં-
નાનું એવું છાપરું
એકાદ વેંત હશે બસ, આભથી નીચે
પંખી એના દેહને છાંયે ચણતાં
અને પવન કાળાભમ્મર કોરા કેશમાં હીંચે
વાડોલિયાનાં શાકભાજી તરબૂચ-ટેટીને
પેટનાં જણ્યાં જેમ ઉઝેરે
છોકરાંછૈયાં
ઠાવકો ધણી હોય જ્યાં ભેરે
ધોરિયા—વાટે ઉપરથી ઠલવાય છે ધાવણ જેમ
ત્યાં શીળાં નીર ઠેબી*નાં-
રાતનું વાળું તાપણું રેતીપટ ને
ઊલટભેર માંડે નિત ભૂતની વાતો
ઊડતી પવનપાવડી: રૂડી કુંવરી બેઠી…
નીંદરાંનો એમ જોડતી નાતો
સાંધણ-સૂંધણ વાસણ-કૂસણ
નામ હરિનું હોઠમાં રાખી
આવડ્યાં એવાં ભજન કે ચોપાઈ
અધૂરી સેરવે સાખી.
કોઈને જોબનપૂરઃ કોઈને મન એ કામાતુર
કહેતું કોઈ કે એના કંઠથી વહેતા સ્વર ગેબીના –
ચીભડાં વેચી જાણતી
કિન્તુ જાત ના વેચે
હોઠ-શી મીઠી ચીર ચખાડે
નેહથી ઘરાક પારખી આછા સ્મિતને વ્હેંચે-
વગડો વેઠી જાણતી
કદી કોઈનાં વાંકાં વેણ ના વેઠે
એક બલોયાભેર દોંગાના
લોહી-ધધૂડા વાળતી હેઠે
હાટને ઓટે નવરા ડોસા મૂછમાં હસે
નકટા નાગા નિલજા થાતા દોટ મૂકીને ઘરભેગીના –
પગમાં છડા- વીંછિયાં
હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં જુવાનજોધ તેજીનાં…
– મનોહર ત્રિવેદી
અંગ્રેજી કાવ્યપરંપરામાં બેલડ યાને કથાકાવ્યોની બહુ મોટી અને સમૃદ્ધ પરંપરા છે. આપણે ત્યાં આ પરંપરામાં કામ તો થયું છે પણ મોટા પાયે નહીં. આ રચના વિશુદ્ધ કથાકાવ્ય નથી, પણ ગીત અને કથાકાવ્યની સરહદ પર ટટ્ટાર ઊભી છે. ચીભડાં વેચતી પણ જાત કદી ન વેચતી ગરીબ તેજીના ખુમારીભર્યા જીવનને કવિએ લયબદ્ધ ચિતાર કવિએ આપ્યો છે. ગરીબમાં ગરીબ માણસની મોટામાં મોટી મૂડી છે એનું સ્વાભિમાન અને ઈજ્જત… વગડો વેઠીને અને ચીભડાં વેચીને માંડ માંડ બે છેડા ભેગી કરતી તેજી પર ગામ આખાની નજર છે… કોઈને એ જોબનથી ભરીભરી લાગે છે તો કોઈને કામાતુર… પણ એ એક નજરમાં એના ઘરાકની નિયત પારખીને પોતાનો પાલવ બચાવી રાખે છે…
(* ઠેબી= અમરેલી જિલ્લાની એક નદીનું નામ) .
Permalink
June 21, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
ભારેવગાં વાદળાં તો વરસી પડે છાલક છાંટાનો કેટલો આધાર?
ઊંટ ઉપર છેલ્લા તણખલાની જેમ મારે શા માટે મૂકવો કોઈ ભાર?
અરે, છાંટા જેટલોય કોણ રાખે આધાર?
જેની વાયુના સુસવાટે બદલાતી ચાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ……
નહીં ઘરમાં કે બ્હાર ફોતરી ઊંચકે એટલી હવા,
નહીં તડકો નહીં છાંયો વરસે બાફ નીતરે ભવાં.
મુને સંદેશો કહેવાનો ટેમ નથી એટલું
આંખ્યમાંથી વરસે છે વ્હાલ!
વરસાદ ભલે જૂનો આંગડિયો કહેવાય
હું નહીં આપું રે મારી કોઈ અંગત ટપાલ…
– અનિલ જોશી
સામાન્યજન માટે તો વરસાદ એટલે આભેથી વરસે એ પાણી જ માત્ર પણ કવિનો તો વરસાદ પણ અલગ અને વરસાદ સાથેની મગજમારી પણ અલગ. કાલિદાસના મેઘદૂતનો સંદર્ભ કવિના મનમાં રમતો હશે કે કેમ એ તો કવિ જ કહી શકે, પણ વરસાદને જૂના આંગડિયો કહીને કવિ જ્યારે અંગત ટપાલની વાત કરે ત્યારે આપણને તો એ યાદ આવે જ. વાદળ ઘેરાયાં હોય તો ધોધમાર વરસી પડે, પણ છાલક-છાંટા જેવડો નગણ્ય વરસાદ જ પડે તો એનો શો અર્થ! થાકેલા અને વજનથી લદાઈ ગયેલ ઊંટની પીઠ પર છેલ્લે એક તણખલાં જેટલો ભાર પણ વધારાનો મૂકવામાં આવે તો એ ફસકી પડશે. વાયુના સૂસવાટે-સૂસવાટે જેની ચાલ બદલાઈ જાય એવા વરસાદ પર કવિ ઊંટની પીઠે છેલ્લા તણખલાંના ભાર જેટલોય ભરોસો કરવા નથી ઇચ્છતા. આભેથી વરસાદ પડતો ન હોવાના કારણે અને ફોતરી ઊંચકાઈ જાય એટલી હવા પણ ચાલતી ન હોવાથી નર્યો બાફ નીતરી રહ્યો છે. અને વરસાદ હવે પડે તોય એની સાથે મેઘદૂતવાળો સંદેશો મોકલવાનો સમય કવિ પાસે નથી, કેમ કે ખરું ચોમાસું તો કવિની આંખે બેઠું છે…
Permalink
June 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લતા હિરાણી
લે, આ વરસ્યું જળ
વેળ વેળના કાંઠા તોડી ધોધમાર ખળખળ
લે, આ વરસ્યું જળ…
બુંદ—બુંદ, ના ફોરાં-વાછટ, આવ્યું અનરાધાર
વહેળા, નદીયું બે કાંઠે ને ભમ્મરિયા મોઝાર
દોડે, કૂદે, વહે છલકતું કહેતું આવી ભળ
લે, આ વરસ્યું જળ..
દદડે ભાલ પરે ને નેવાં ખોબે ખોબે ખળકે
લથબથ નીતરતા તન પરથી ચળક ચાંદની ચળકે
રહી રહી આકાશ તાગવા ઊંચું થાતું જળ
લે, આ વરસ્યું જળ…
– લતા હિરાણી
કેટલીક રચના પહેલી જ નજરમાં ભાવકને વશીભૂત કરી લે એવી હોય છે. આ ગીત જુઓ… વરસાદ વિશે આપણે ત્યાં સેંકડો કવિતાઓ થઈ હશે, પણ આ ગીત એ તમામની પંગતમાં છાતી કાઢીને મોખરે બેસી શકે એવું બળુકું થયું છે. સાવ જ સરળ અને સાહજિક બાની, નિરવરુદ્ધ પ્રવાહી લય, કદલાઘવ અને સુઘટ્ટ ભાવનિર્વહનના કારણે ગીત ચિરસ્મરણીય બન્યું છે. બે દિવસ પહેલાં ભાવનગરમાં ચોવીસ કલાકમાં દસ ઈંચ પાણી ખાબક્યું હતું ત્યારે જે પરિસ્થિતિ થઈ હશે, એવી જ પરિસ્થિતિ અહીં ચિત્રાંકિત થઈ છે. કાવ્યાંતે પાણીની સપાટી ઊંચી આવતી જાય એ ઘટનાને જળ જાણે આકાશ તાગવા ઊંચું ન થતું હોય એ રૂપક સાથે જોડવામાં આવ્યું હોવાથી ગીતત્વ એની ચરમસીમાએ પહોંચે છે.
Permalink
June 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જતીન બારોટ
ઢોલ વગડાવી લાપશીના મૂકો આંધણ, ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.
હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.
કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મધ જેવું મેઠું.
– જતીન બારોટ
સહેજ પણ તરસ ન હોય ત્યારે પાણીની કિંમત શૂન્ય થઈ જાય. નિસર્ગે પણ ઋતુઓની કમાલ ગોઠવણ કરી છે. ચોમાસાને ઉનાળા પછી ગોઠવ્યું છે. ઉનાળાના તાપ-બફારા-ત્રાસ અને પાણીનો અભાવ પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ચોમાસું શરૂ થતું હોવાથી આપણને એની ખરી કિંમત સમજાય છે. એમાંય જેનું જીવન જ ચોમાસા પર નિર્ભર હોય એને ચોમાસું બેસતાં જે આનંદ અનુભવાય એ તો વળી એથીય અદકેરો હોવાનો. એટલે જ કવિ ઢોલ વગડાવી, લાપસીના આંધણ મૂકાવી, ગોળધાણાથી સૌનું મોઢું મીઠું કરાવવાની નેમ ધરાવે છે. ગીતના ઉપાડમાં લય સહેજ ખોરંભાયો હોવાનું પ્રતીત થાય છે, પણ એ સિવાય આખું ગીત સડેડાટ વરસાદના પાણીના રેલાની જેમ દડતું જાય છે. કલ્પન પણ રોજબરોજની જિંદગીમાંથી જ લેવાયા છે, પણ લયબદ્ધ માવજતના કારણે જે પોત બંધાયું છે એ અદભુત છે.
Permalink
June 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under લલિત ત્રિવેદી, શેર
ગોત વિનાની બહોત ગઈ… રૂઈ કબી ના જ્યોત ભઈ,
તરસ્વતીમાં ડૂબી નાવ, બહુત ગઈ ને થોડી રઈ!
– લલિત ત્રિવેદી
શેર વાંચતાવેંત ક્લિક થાય કે રહો! આ તો કંઈ અલગ જ ચીજ હાથ ચડી છે. પ્રવર્તમાન ગઝલપ્રવાહથી અને કાવ્યબાનીથી સાવ એટલે સાવ જ નોખી તરી આવતી બાનીમાં લખાયેલ આ શેર ભાવકને ભૂરકી નાંખીને બાંધી દે એવો અદભુત થયો છે. આંગળીના વેઢા પણ વધુ પડતા સાબિત થાય એવા રાજેન્દ્ર શુક્લ, કે હરીશ મીનાશ્રુ જેવા જૂજ કવિઓ જ ગઝલમાં આ પ્રકારની અનૂઠી બાનીનું સંવર્ધન કરીને મનનીય ગઝલો આપી શક્યા છે. આ શેર જેમાંથી જડી આવ્યો છે, એ સંગ્રહનું શીર્ષક ‘અવળી ગંગા તરી જવી છે’ જ Res Ipsa Loquitar (સ્વયંસ્પષ્ટ) છે.
રદીફની દૃષ્ટિએ પણ આ શેર વિશિષ્ટ સિદ્ધ થાય છે. ‘બહુત ગઈ ને થોડી રઈ’ જેવી ઉફરી રદીફ પ્રયોજવી અને એ ચપટી ન પડી જાય એ રીતે નિભાવવી એ બંને સપૂરતા કવિકર્મ વિના સંભવ બને એમ નથી. મહાભારતના યક્ષપ્રશ્નોમાંના એક -દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે-નો જવાબ આપતી વેળાએ યુધિષ્ઠિર કહે છે કે દરેકેદરેક મનુષ્યનું મૃત્યુ નિશ્ચિત જ હોવા છતાં બધા જ મનુષ્યો એ જ રીતે જીવે છે કે જાણે તે અમર ન હોય, એ સંસારનું સૌથી મોટું આશ્ચર્ય છે. આ સનાતન સત્ય હોવા છતાં જીવનમાં નાનાવિધ તબક્કે આપણને એવું બ્રહ્મજ્ઞાન અવશ્ય થાય છે કે હવે ઝાઝો સમય નથી, સમય ઢૂંકડો આવી ગયો છે. વયના કોઈ એક મુકામ ઉપર આવીને માણસને એમ સમજાય કે જેટલાં ગયાં, એટલાં હવે બાકી રહ્યાં નથી, એવી કોઈક પળે થતી સ્વાનુભૂતિમાંથી આ રદીફ જન્મી છે. એક ગીતની બે કડી આ પળે સ્મૃતિપટલ પર ઝબકે છે:
મારું મારું મારું ક્યાં લગ? બોલ, ત્યાગીશ ને?
ગયાં એટલાં નથી જવાનાં, સંભાળીશ ને?
જેટલી ગઈ એટલી જિંદગી હવે બચી ન હોવાથી આટલા વરસ જેમાં રહ્યા, એ ચામડીની છાંવ છોડીને ઈશ્વરના ધામમાં પાછા ફરવાની તૈયારી કરવાનો સમય હવે સમીપ આવી ઊભો છે એ યાદ કરીને કવિએ જે હાંસિલે-ગઝલ શેર આપ્યો છે એ હવે જોઈએ. સૂર્ય મધ્યાહ્ને હોય ત્યારે માણસ કદી રાત વિશે વિચારતો નથી. જીવનસંધ્યા આકાશને રક્તરંગે ભરી દે અને એ રાતાશ પણ કાલિમામાં પલોટાવું આદરે છે…ક ત્યારે જઈને મનુષ્યને જીવન, જીવનના હેતુ, ઈશ્વર, ભવાટવિના ફેરા અને મોક્ષની કામના વગેરેનું સ્મરણ થાય છે. અન્યથા માનવી જિંદગીભર જાનીવાલીપીનારા બની જ રહેતો હોય છે. જીવનનૈયાની મતિ ને ગતિ સરસ્વતીના બદલે આજીવન તરસ્વતીમાં, તરસમાં જ ડૂબેલ રહી હોવાથી જે પરમતત્ત્વની ગોત કરવી જોઈએ એ આપણે કરતાં નથી. પરિણામે જીવતરનું રૂ કદી જ્યોત બનવા નથી પામતું. જે રીતે પથ્થરનો ઉદ્ધાર પગથિયું બનવામાં છે એ જ રીતે રૂનો ઉદ્ધાર પણ જ્યોત બનવામાં છે. રુદિયાનું રૂ જ્યોત બને તો જ્ઞાનનો દીવો થઈ ઝળહળી શકે. સ્વયં માટે અને અન્યો માટે પણ પથપ્રદર્શક બની શકાય. પણ આ ન કરી શકાયાનો અહેસાસ જ્યારે આપણને થાય છે ત્યારે તો જિંદગીનું નાકું આવી ગયું હોવાથી વિશેષ કશું હાંસિલ કરવા માટેનો સમય જ બચ્યો નથી હોતો.
ગોત-બહોત-જ્યોત, ગઈ-રૂઈ-ભઈ-ગઈ-રઈ જેવી આંતર્પ્રાસાવલિ શેરને upper edge (શીર્ષ-સ્થાન) આપે છે. આ પ્રકારની આંતર્પ્રાસ-સાંકળી કવિનો વિશેષ પણ છે. કવિએ સરસ્વતીના સ્થાને તરસ્વતી શબ્દ કોઈન કરીને ઉમદા કવિકર્મસામર્થ્યની સાહેદી પણ પૂરી છે. સરસ્વતી કુંવારી નદી છે, એના નસીબમાં સાગર સાથેનો સંયોગ લખાયો નથી. એ રણમાં જ લુપ્ત થઈ જાય છે. સરસ્વતીની જેમ જ તરસ્વતી પણ અંતહીન છે. જીવનનાવ આજીવન હજારો પ્રકારની તરસમાં જ ડૂબેલી રહેતી હોવાથી જ્ઞાન કે પ્રકાશના કિનારાઓ આપણને નસીબ થતા નથી એ વાત તરસ્વતી જેવા નવ્યશબ્દની મદદથી જેટલી અસરદાર થઈ શકી છે, એટલી સરસ્વતીથી ન જ થઈ શકી હોત. બીજો એક સંદર્ભ સર્જકોની આરાધ્યદેવી વિદ્યાદેવી સરસ્વતીનો પણ અહીં ખૂલે છે. આ સંદર્ભ ગોત અને જ્યોતની વાત સાથે પણ સુસંગત છે.
ગિરનારી છાંયે બેસી અલગારી છાંટણાં ઝીલીને લખાયો હોય એવો આ શેર છે.
– વિવેક મનહર ટેલર
Permalink
June 13, 2025 at 12:30 AM by વિવેક · Filed under રઈશ મનીયાર, શેર
આમ લખવું કરાવે અલખની સફર,
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં.
– રઈશ મનીઆર
કોઈ સારા સર્જકે સર્જનક્રિયા વિશે સર્જન ન કર્યું હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. આમ તો દરેક કળાકાર સર્જનહાર જ હોય છે, પણ કવિને તો સવિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. અગ્નિપુરાણમાં તો કવિને પ્રજાપતિ બ્રહ્મા જ ગણવામાં આવ્યો છે. ‘अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः।’ જાણીતા ગઝલકાર અને ગઝલપ્રશિક્ષક રઈશ મનીઆરે પણ સર્જનપ્રક્રિયાને સર્જનહાર સાથે સાંકળી મજાનો શેર સર્જ્યો છે. કવિ કહે છે કે લખવાની ક્રિયા શબ્દનો બંદો શબ્દની મદદથી શબ્દમાં પરત ફરે એવી અલખની મુસાફરી કરાવે છે.
મૂળ સંસ્કૃત ‘અલક્ષ્ય’ પરથી ‘અલક્ષ’, ‘અલક’ અને એ રીતે અપભ્રંશ થતાં ‘અલખ’ શબ્દ સર્જાયો છે. ‘લક્ષ્’ એટલે જોવું પણ અને ધ્યાનમાં આવે એવું પણ. ‘ય’ એટલે લાયક. ‘અ+લક્ષ્ય’ એટલે જોઈ ન શકાય એવું (અદૃશ્ય) પણ અને સમજી ન શકાય એવું (અગોચર) પણ. જેને જોઈ કે સમજી ન શકાય એ નિરાકાર પરમાત્માને આપણે અલખ યાને બ્રહ્મ કહીએ છીએ. ઈશ્વર ઈશ્વરની મુલાકાત લે એવી આ વાત થઈ, પણ રહો. આ બે પંક્તિના દેવાલયમાં ત્રીજો ઈશ્વર પણ સામિલ છે. કવિ શબ્દને સાધે છે અને શબ્દ જ એનું આ માટેનું સાધન પણ છે. વૈદિક વાઙ્મયથી લઈને આજ સુધી આપણે ત્યાં શબ્દને બ્રહ્મ ગણવામાં આવ્યો છે. ભર્તૃહરિએ તો ‘વાક્યપદીય’માં શબ્દની બ્રહ્મ તરીકે વિગતવાર પ્રતિષ્ઠા કરી છે:
अनादिनिधनं ब्रह्म शब्दतवायदक्षरम् ।
विवर्तते अर्थभावेन प्रक्रिया जगतोयतः॥
શબ્દરૂપી બ્રહ્મ અનાદિ, અવિનાશી અને અ-ક્ષર છે, તથા એની વિવર્ત પ્રક્રિયાથી જ આ વિશ્વનો અનુભવ થાય છે. શબ્દબ્રહ્મ સૌનું મૂળ કારણ પણ છે અને અંતિમ વાસ્તવિક્તા પણ એ જ છે. શબ્દનો બંદો કવિ કાવ્યસર્જનની ક્ષણે બ્રહ્મની સમકક્ષ ગણાય છે. મતલબ શબ્દનો બંદો શબ્દમાં પરત ફરે છે. બ્રહ્મમાંથી જ સર્જાયેલ બ્રહ્મના અંશ જેવા આપણે શબ્દબ્રહ્મની સાધના કરીએ છીએ એ વેળાએ સાક્ષાત્ બ્રહ્મત્વ પામતા હોવાથી એમ કહી શકાય કે ઈશ્વરનો અંશ શબ્દયાનમાં બેસી ઇહલોકથી પરલોકની મુસાફરી કરી પુનઃ ઈશ્વરમાં એકાકાર થઈ ગયો. શબ્દ આ રીતે શબ્દના બંદાને અલખની સફર કરાવે છે.
જે રીતે ‘અક્ષર’ને અ-ક્ષર (અવિનાશી) તરીકે પણ જોઈ શકાય એ જ રીતે ‘અલખ’ શબ્દમાં પણ ‘ન લખ’ વાંચીએ તો એ વિરોધાભાસ શેરને વધુ રોચક બનાવે છે. કબીરના દોહાઓમાં પણ બે’ક જગ્યાએ આવો શબ્દપ્રપંચ જોવા મળે છે: ‘अलख निरंजन लखै न कोई’ તથા ‘अलख न जाई लखिया.’ વળી ‘લખ’વું અને અ’લખ’માં જોવા મળતી અનુસારી વ્યંજનક્રીડા પણ આસ્વાદ્ય છે. આ પ્રયુક્તિ અનાયાસ યોજાઈ ગયેલ પણ જણાતી નથી, કેમકે આ જ ગઝલમાં કવિએ આ તરકીબ એકાધિકવાર અજમાવી છે- “આ અનુ’નય’ વિ’નય’ શું સતત શબ્દમાં,” “આવે એક લખ’લખું’, થાય એને ‘લખું’,” “ઓગળ્યો ‘વખ’ સરીખો ‘વખ’ત શબ્દમાં.”
છંદ ગઝલ લખવા માટેનું અનિવાર્ય ઉપાદાન ખરું, પણ છંદ ગઝલનો ભાવ પ્રકટાવવામાં સહાયક પણ બને ત્યારે સોને પે સુહાગા અનુભવાય. કાન્તના ‘સાગર અને શશી’ ગીતમાં દરિયાના મોજાંની આવજાવને ચાક્ષુષ કરવામાં ઝૂલણા છંદ જે રીતે ખપમાં લેવાયો છે, એ જ રીતે અહીં મુત્દારિક છંદના ગાલગા ગાલગાના આવર્તન પણ સર્જકની લખથી અલખ અને અલખથી લખ વચ્ચેની આવનજાવનને તાદૃશ કરવામાં બખૂબી મદદગાર સિદ્ધ થયા છે.
– વિવેક મનહર ટેલર
Permalink
June 12, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન પારેખ
એક પીંછું પાંખથી સરકી પડ્યું,
ને ફરી છાના સ્વરે પંખી રડ્યું.
યાદ આવ્યાં વેણ ને વચનો બધાં,
ત્યાં જ સૂની આંખથી આંસુ દડ્યું.
સાંભર્યું જ્યાં વૃદ્ધને શૈશવ જરા,
જળ પછી નેવાંનું મોભારે ચડ્યું.
ક્યાંક આંખોની શરમ નડતી રહી,
ક્યાંક થોડું સ્વાર્થનું સગપણ નડ્યું.
માંહ્યલા નામે નિરંતર એક જણ,
રોજ મારી જાતની સામે લડ્યું.
– નીતિન પારેખ
સરળ-સહજ-આસ્વાદ્ય…
Permalink
June 7, 2025 at 12:30 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિપિન પરીખ
જેના હાથમાં આપણે
દિવસે અને રાતે, કૂદકે ને ભૂસકે,
મોટા થયા
તે
આપણા જ હાથમાં
ક્ષણે ક્ષણે, સંકોડાતી સંકોડાતી
નાની થતી જાય
અને એક દિવસ
ડૂસકાં ભીના ખાલી હાથ
પાછળ મૂકી
અલોપ થઈ જાય.
– વિપિન પરીખ
માખણના લોંદામાં છરી ઉતરી જાય એમ વાંચતાવેંત આપણી સોંસરવી ઉતરી જતી નાનકડી રચના…
Permalink
June 6, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનહર જાની
ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
. અને ખીજડાનું મન થયું ખાલી
સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
. કલરવતા દન ગયા હાલી.
થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
. નથી પાંદડુંય હલતું કે ચલતું
ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
. નથી ધોરિયાનું નામે ઊકલતું
ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
. અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…
અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
. તડકાનાં નાગોડિયાં છોરાં
રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
. લઈ બપોરી વેળાનાં પોરાં
થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
. સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…
– મનહર જાની
આમ તો ચોમાસાના ડાકલાં વાગવાં શરૂ થઈ ગયાં છે, પણ ગરમી તો હજીયે ત્રાહિમામ પોકારાવે એવીને એવી જ પડી રહી છે. પણ આવી કાળઝાળ ગરમીમાં પણ સરસ કવિતા વાંચવા મળે તો રુદિયે ટાઢક થઈ જાય… જુઓ, આ ગીત… આખું ગીત જ અદભુત થયું છે. અધખેડ્યાં ખેતરમાં તડકાના નાગુડિયાં છોકરાંઓ આળોટતાં હોય એ કલ્પન કેવું જીવંત થયું છે! ભરબપોરે પડછાયા ન દેખાય એ વાતને કવિએ થોરિયાની વાડ ખુદનો પડછાયો ખુદમાં સંતાડીને બેઠી હોવાના રૂપકથી તાદૃશ કરી દેખાડે છે. બપોરે પડછાયો નહિવત થઈ જાય એ મુજબનું કલ્પન મનોહર ત્રિવેદીના બે ગીત – ‘પંખી બેઠું ડૂંડે’ તથા ‘તડકા! તારાં તીર’ –ની યાદ અપાવે છે.
Permalink
June 5, 2025 at 10:55 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,
સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર.
સાત સમુંદર સૂતા, એના હોઠે આછાં હાસ,
ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ!
વનનાં કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત!
રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યા કરે સચેત.
નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપનના દીપ;
અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ.
ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે ઘૂક!
ઘરનો દીવો ઓળાઓને માર્યા કરતો ફૂંક!
અવાજની લૈ સોય વીંધતાં દિશા દિશાના કાન,
તમરાં આખી રાત મૌનનું વીંધ્યા કરે નિશાન.
અસ્તાચળથી ગબડયો સૂરજ, એની તીણી ચીસ,
આખી રાત દિયે પડઘાથી અંતરાલને ભીંસ.
– ચંદ્રકાન્ત શેઠ
રાતના નાનાવિધ આયામોને અજવાળતું કેવું મજાનું ગીત! અંધકારના વડલે સવાર થાય એ કલ્પનથી જ કવિ ભાવકહૃદય જીતી લે છે. મનગમતી ચોકલેટને આપણે જે રીતે જલ્દી ખૂટી ન જાય એ રીતે ધીમે ધીમે ચૂસીએ એ રીતે હળવે હળવે માણવા જેવી આ રચના છે.
(બિડાલ = બિલાડો)
Permalink
May 31, 2025 at 11:41 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેશ ગઢવી
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!
બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!
– શૈલેશ ગઢવી
ગઝલ એક જમાનામાં ઉમદા કાવ્યકળા અને દીર્ઘ સાધનાનું ફરજંદ હતી. આજે સૉશ્યલ મિડિયાના અતિક્રમણના યુગમાં સંઘેડાઉતાર ગઝલોની સરખામણીમાં કારખાનેબંધ તુકબંધીનું ઉત્પાદન ઘાસના ખડમાં પળભરમાં ફેલાઈ વળતા દાવાનળ જેવું છે. સારા ગઝલકારો પાસેથી હજીય મળતી રહેતી સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે એ ભાષાનું સદનસીબ. પ્રસ્તુત રચના આજની સારી ગણાતી ગઝલોમાંય અલગ અને આગવી તરી આવે છે. દરેક શેર આસ્તેથી અને આરામથી મમળાવવા જેવા.
Permalink
May 30, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા, વર્ષાકાવ્ય
વરસાદે લીધો વાંધો.
પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!
કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.
બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.
ફાટેલા આ જીવતરને પાણીના ટીપે સાંધો!
વરસાદે લીધો વાંધો.
લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!
મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.
સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
વરસાદે લીધો વાંધો.
– નીતિન વડગામા
વરસાદનો ભરોસો રહ્યો નથી. અચાનક માવઠું બનીને ત્રાટકે છે તો અચાનક આશા જન્માવી નાસી છૂટે છે… ભગવાન જાણે એને શો વાંધો પડ્યો હશે! પણ એમ કેડો મેલી દે એ વળી કવિ કેવા! કવિ એને પ્રેમના તાંતણે હળવેથી બાંધી રિઝવવાની નેમ ધરાવે છે. બળબળતી ધરતીના અંગે ફરફોલા પડી ગયા હોવાનું કલ્પન જેટલું પ્રભાવક થયું છે, એથી વધુ અસરદાર આખું આભ ભર્યું પડ્યું હોય તો એમાંથી બધા નહીં તો થોડા દરવાજા ખોલવાની વિનવણીનું રૂપક થયું છે. વરસાદ વિશે આપણી ભાષામાં હજારો ગીતો રચાયાં છે, પણ આ ગીત સાદગીના સૌંદર્યને લઈને અલગ જ ચોકો ચાતરે છે…
Permalink
May 29, 2025 at 10:53 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
તડકે સૂરજ વાયો
ધોમ ધખે ને અંતરિયાળે ઘૂમું એકલવાયો,
તડકે સૂરજ વાયો.
ધૂસર એકલ વાટ, ક્યાંય ના ખર્યાં પાંદની ઝાંય,
તડકાનો વંટોળ ચડે ને સળગે મારી કાય!
પાન પાનથી ખરી ગયેલાં જંગલમાં પડઘાયો.
તડકે સૂરજ વાયો.
મૂંગા ઝરણે પથ્થર કોરી ખળખળ વહેતી પળ,
આસપાસનાં તરણાંઓને ચડી ગયા કૈં વળ,
લેવો ક્યાંક વિરામ મળે જો સૂરજનો પડછાયો.
તડકે સૂરજ વાયો.
– અનિલ જોશી
લૌકિકમાં અલૌકિક સર્જી શકે એ કવિ. વાવાનું કામ તો વાયુનું, પણ ઉનાળામાં સૂરજના તડકાનો વંટોળ કાયાને એવી તો સળગાવે છે કે તડકે સૂરજ ખુદ વાતો હોવાનું કવિને પ્રતીત થાય છે. આવા ધોમ ધખતા તાપમાં કવિ જેવો કોઈ અલગારી આત્મા જ એકલવાયી રખડપટ્ટી કરવા નીકળે. વૃક્ષોનો છાંયડો તો બહુ દૂરની વાત છે, ડૂબતાને તરણાના સહારા સમ ખરેલ પાંદડાની ઝાંય પણ ક્યાંય નસીબ નથી. સૂકાઈ ગયેલા ઝરણામાં પથ્થરો સિવાય કશું નજરે ચડતું ન હોય એ ખાલીપામાં કવિને સમય ખળખળ વહેતો દેખાય છે… છે ને અદભુત કલ્પન! પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે તાપથી ત્રાહિમામ પોકારી ગયેલ આત્માને વિરામ માટે સૂરજનો પડછાયો મળે તોય ચાલશે એવો વિચાર આવે છે… સાવ સરળ પણ મજબૂત રૂપકોના વિનિયોગના કારણે આપણને આગઝરતી ગરમીમાં પણ ઠંડક અનુભવાય છે! સલામ કવિ!
Permalink
May 24, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રદ્યુમ્ન તન્ના

પરભવે કે આ ભવે? ઓળખો તમે,
શેં મળ્યાં ફરી હવે? ઓળખો તમે.
જીવલેણ વેરી કે પ્રાણ સું પિયારું,
કોણ ઊભું વેશ નવે? ઓળખો તમે.
દેખીને રોમરોમ કાંપે કે આંખ,
વણખાળ્યાં અમી દ્રવે? ઓળખો તમે.
લેનાં-દેણાંનો રહ્યો અરધો હિસાબ,
માગે કે ચૂકવે?! ઓળખો તમે.
કંકુ છાંટીને લ્યો, માંડો ગણેશ,
ના લહ્યુંય સંભવે! ઓળખો તમે.
– પ્રદ્યુમ્ન તન્ના
(હસ્તાક્ષર ફોટો સૌજન્ય: શ્રી જયેન્દ્ર શેખડીવાલા)
ચોટીના ગીતકારોની યાદી તૈયાર કરવા બેસીએ તો પ્રદ્યુમ્ન તન્નાને માન સહિત યાદ કરવા પડે. ઇટાલિયન છોકરીને પરણીને ઇટલીમાં જ સ્થાયી થયા હોવા છતાં તળપદા ગુજરાતી પરનું એમનું પ્રભુત્વ ભલભલા ચમરબંધોને ભૂ પીવડાવે એવું અદભુત હતું. મૂળે એ ગીતકાર એટલે એમની પાસેથી ગઝલ મળે એ ઘટના જ મૂળે અલભ્ય અને એમાંય એમના હસ્તાક્ષરમાં મળે એ તો દુર્લભ જ. ગઝલનો છંદ પ્રમુખતઃ ગાલગાલા ગાલગા ગાલગાલ ગા હોય એમ પ્રતીત તો થાય છે પણ ઘણી જગ્યાએ એ જળવાયો જણાતો નથી. ગીતકવિઓ ગઝલના ચીલે ચાલવા જાય ત્યારે આવું ઘણીવાર થતું જોવામળે છે, કારણા કે એમના લોહીમાં ગઝલનો રુઢ છંદના સથાને ગીતનો લય જ વહેતો હોવાનો… ‘પ્રાણ સું પિયારું’ કે ‘લહ્યું’ જેવા શબ્દપ્રયોગોમાં પણ ગીતસંસ્કાર સાફ સાફ વર્તાય છે.
Permalink
May 23, 2025 at 11:46 AM by વિવેક · Filed under અછાંદસ, મણિલાલ હ. પટેલ
કાગળની હોડી લઈને
તને મળવા નીકળ્યો છું.
અફવાઓ તો એવી છે કે,
આપણી વચ્ચેના દરિયા તો રેતીના છે.
પ્રકૃતિએ જ મને પ્રેમ શીખવ્યો હતો
મૃગજળમાં જ મારા શબ્દોની હોડીઓ
હરણ બની બનીને મરણ-શરણ થઈ
તેં મને વસંત આપવાનું વચન આપેલું –
એ ક્યાં છે?
મને પાનખર તો આપ
જેથી હું ખરી શકું…
હું તરી શકું એટલાં આંસુઓ તો
મારે માટે કોણ વહાવે હવે?
હું જાણું છું કે – પ્રવાહ બદલતી નદીને રોકી શકાતી નથી
ને તોષી શકાતી નથી તરસ લોહીની!
છતાં
કાગળની હોડી લઈને નીકળ્યો છું તને મળવા –
એ અફવા નથી
તું ડુબાડી આપ મારી હોડીઓ
મારે તરતાં શીખવું છે.
– મણિલાલ હ. પટેલ
‘કાગળની હોડી’ આટલું વાંચતાવેંત નજર સમક્ષ બાળપણ, વરસાદ અને કાગળની હોડીઓની રમત તાદૃશ થઈ ઊઠે, પણ ભાવક બાળપણની ગલીઓમાં ઝડપથી પાછા ન ફરી શકાય એટલે ઊંડે ઊતરી જાય એ પહેલાં જ કવિ એને આંચકા સાથે યૌવનની કગારે પરત લઈ આણે છે. કાગળની નાવ લઈને નાયિકાને મળવા નીકળ્યા હોવાની વાત પળાર્ધમાં જ આખી વાતની અર્થચ્છાયા અને પૃષ્ઠભૂ બંને બદલી દે છે. સમજાય છે કે બાળકોના સપનાં ઝીલે એવી આ કાગળની નાવ નથી. આ નાવમાં બેસીને નાયક નાયિકા સુધીનું અંતર કાપવા ઇચ્છે છે. કાગળની હોડી એટલે કવિતા, એમ પણ સમજી શકાય. પણ અફવાઓ (અફવા નહીં, હં) એવી છે કે બે જણ વચ્ચે જે દરિયા (દરિયો નહીં, હં) પથરાઈ પડ્યા છે એ રેતીના છે. હોડી કાગળની, અને સમુદ્રો રેતીના – સાધન તકલાદી અને ચઢાણ એવરેસ્ટ જેવું! પણ કવિ મુશ્તાક છે, કેમ કે પ્રેમના પદાર્થપાઠ એમને પ્રકૃતિએ શીખવ્યા છે. પ્રેમરસ પીધો હોય એને તો તત્ત્વનું ટૂંપણું પણ તુચ્છ લાગે, તો રેતસંમદરો વળી શી મોટી ચીજ છે! ભર્યાભાદર્યા જીવનનું વચન આપીને ફરી ગયેલી નાયિકા પાસે નાયક પાનખર માંગે છે, જેથી ખીલી ન શકાય તો ભલે, પણ ખરી તો શકાય.
બેવફાઈની આંધીઓની વચ્ચે ટકી રહેલ આશાના દીવડાના અજવાળામાં આ અછાંદસનું પોત બંધાયું હોવાથી પ્રવર્તમાન અછાંદસોની સાપેક્ષે એ મુઠી ઉંચેરું અનુભવાય છે.
જેમને વિશદ આસ્વાદમાં રસ હોય એ ભાવકમિત્રો અહીં ક્લિક કરી એ માણી શકે છે…
Permalink
May 22, 2025 at 11:04 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.
બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!
સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!
મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.
જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?
છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.
– હર્ષવી પટેલ
આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-
નીકળી તું બલ્લીમારાંથી, દુનિયા ઘૂમી, ગઝલ!
તું આવે બિલ્લીમોરા, હજુ શક્યતા ખરી…
Permalink
May 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એલિઝા ટોરિસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.
– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)
ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!
કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!
Daddys Bed Girl
“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop
– Alyssa Torres
Permalink
May 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બાબુ નાયક
આટલો સંદેશ કોઈ સૂરજને કહેજો કે
આજ પછી આકરો ન થાજે,
આખ્ખુંય આયખું જ્યાં ધગધગતું હોય
ત્યારે દાઝ્યા પર ડામ કેમ છાજે ?
આટલો સંદેશ…
ધસમસતાં હોય જ્યાં નદીઓનાં નીર
લાગે નકશામાં ચીતરેલા લીટા,
પહાડો પણ હિમ જેમ ઓગળતા જાય
જાણે ધરતીમાં ધરબાયા ખીંટા
આભલાએ આભવટો લીધો કે કેમ નથી એનો અણસાર કાંઈ આજે.
આટલો સંદેશ..
લબકારા લેતી આ લૂખીલચ જીભડીઓ
જડબામાં સાવ થઈ જૂઠી,
તરફડતાં તરસ્યાનાં ટોળાઓ એકદમ
શ્વાસોથી હાય રહ્યાં છૂટી.
તારી આ બળબળતી કાયાને ઠાર,
જઈ દરિયામાં ડૂબકીઓ ખાજે,
આટલો સંદેશ…..
– બાબુ નાયક
ઉનાળો આવે ને સૂરજ આકરો થવા માંડે… આભમાંથી લૂ વરસાવતા સૂરજ અને ઉનાળાની અનેક રચનાઓથી આપણી ભાષા સમૃદ્ધ થઈ છે. પ્રસ્તુત રચના આ રચનાઓની અડોઅડ બેસી શકે એવી બળૂકી થઈ છે. ધગધગતા આયખાના તાપ ઉપર સૂરજનો તાપ કવિને દાઝ્યા પર ડામ જેવો અસહ્ય લાગે છે. આમ તો કવિ ઇચ્છે એની સાથે સીધો સંવાદ સાધી શકે, પણ અહીં એ કોઈક સાથે સંદેશો પાઠવે છે. કારણ? આયખાની દાઝતી-દઝાડતી પળોજણોમાંથી ઘડીભરનોય અવકાશ સાંપડતો ન હોય તો સીધો સંવાદ કઈ રીતે કરી શકાય? એટલે જ સૂરજને કહેવા માટેની વાત સીધી સૂરજને કહેવાના બદલે જેની પાસે સમય અને પહોંચ બંને હોય એવી કોઈ વ્યક્તિ સૂરજ સુધી પોતાનો સંદેશો પહોંચાડી દે એવી અબળખા કવિ વ્યક્ત કરે છે. ગીતનો બીજો બંધ સામાન્ય થયો છે, પણ પહેલો બંધ તો એકદમ અદભુત થયો છે. સૂકાઈ ગયેલી નદીઓ નક્શાના લીટાઓ જેવી થઈ જાય અને બરફ પીગળતા ઊંચાઈ ગુમાવી બેસતા હિમશિખરો ધરતીમાં ધરબાતા જતા ખીંટાઓ જેવા લાગે એ કલ્પન કવિએ બહુ સ-રસ રીતે રજૂ કર્યું છે. આભે આભવટો લીધો હોવાની શંકા પણ એવી જ બળકટ છે.
Permalink
May 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
એ વાવડો પલાણી જાવું છે દશ અજાણી
હે પાંચે પાંચ પાણી, જાવું છે દશ અજાણી!
ના નેજું કે નિશાણી જાવું છે દશ અજાણી!
પ્રિછવી છે વણપિછાણી જાવું છે દશ અજાણી!
કહે છે નમકની ગુણી… જ્યોતિ વિનાની પૂણી
લલદેની પીવા વાણી, જાવું છે દશ અજાણી!
દવ છાંટ ઠાર ખૂણા, ભવ છાંટ ઠાર લૂણા
રહી જાય ના નિશાણી, જાવું છે દશ અજાણી!
કહી દો કે ભોગવી છે, કહી દો કે ચેતવી છે
દિલચશ્પ એક કહાણી, જાવું છે દશ અજાણી!
ચૂકવી દીધાં છે ખાણાં… નાણી લીધાં છે નાણાં
મા રોક દાના દાણી, જાવું છે દશ અજાણી!
વખડાંને ધોઈ લઈએ, મુખડાને રોઈ લઈએ
હે જુગજુગોની રાણી, જાવું છે દશ અજાણી!
– લલિત ત્રિવેદી
વસુંધરા હજારો જાતનાં પ્રાણીઓથી ભરી પડી છે, પણ એકેય પ્રાણીને આપણે જીવન ટકાવવા સિવાયની પ્રવૃત્તિઓ કરતાં જોતાં નથી. મનુષ્ય પણ પ્રાણી જ છે, પણ સામાજિક. કદાચ એટલે જ મોટાભાગના મનુષ્યો જન્મથી મૃત્યુ પર્યંત સમાજમાં રહીને જીવન નિર્વાહ કરવા આવશ્યક ક્રિયાઓ સિવાય ભાગ્યે જ કશું કરતા જોવા મળશે. પણ કેટલાક મનુષ્યો અવળે વહેણે તરનાર પણ જોવા મળે છે. પૂર્વનિર્ધારિત દિશાઓમાં જવાના બદલે તેઓ અજાણી દિશામાં જવાનું પસંદ કરે છે. આવા રોબર્ટ ફ્રોસ્ટના ‘રોડ લેસ ટ્રાવેલ્ડ’ કક્ષાના માનવીઓની આ ગઝલ છે.
વાવડો એટલે પવન યાને શ્વાસ અને પાંચ પાણી એટલે પંચેન્દ્રિય. શ્વાસને પલાણીને,શ્વાસ અને ઇન્દ્રિયોને નિયંત્રિત કર્યા બાદ જ હોકાયંત્રમાં પણ જોવા ન મળે એવી બિલકુલ અજાણી દિશામાં પ્રયાણ કરવાનું છે એટલી સમજ સાથે આ ગઝલના શેર એક પછી એક ખોલવાના છે… પહેલા વાંચને કદાચ બધૂં ન પણ સમજાય… પણ અજાણી દિશા તરફની ગતિ તો એવી જ હોય ને!
Permalink
May 10, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાહુલ તુરી
અન હાય, તમારી જણનારીની ગાંઠે બાંધ્યા ગરથ, અમોને આમ અચાનક અધવચ મૂકી, સઘળું લૂંટી, નેહ અમારો તરછોડીને ચાલ્યા ક્યાં પરબારા?
અન હાય, અમારા અંગ ઉપરના સોળ હતા શણગાર તમે તો, આજ અમારા દેહ ઉપરના ખાલીપાને ક્યાં જઈને હું ખાળું? આપો અર્થહીણ હુંકારા..
અન હાય, અમારા અડવા હાથોની રેખામાં ‘તમે હતાં’ની કેટકેટલી જણસ ભૂંસાણી, અભાગણી હું! કેમ કરીને મનખો મારો એકલપંડે કાઢું?
અન હાય, અમારી છાતી છૂંદ્યા કોડ અમારા, કૈંક અભરખા, કૈંક અબળખા, બધું તમારી સાથ ગયું ને વધી અમારી આવરદાને કેમ કરી હું વાઢું?
અન હાય, તમારા પડછાયાનો પગરવ મારા અંતરના ઉંબરને ઠેકી ગયો અચાનક દોટ લગાવી, નજર અમારી ફળિયું ફેંદી રહી ક્યાંક ખોડાઈ…..
અન હાય, અમારી અઢળક આખી જાત ઉપર આ ‘તમે હતા’નું સુખ હતું ને ‘તમે હતા’ની હતી દીવાલો, મબલખ મારું રજવાડું આ આજ ગયું રોળાઈ…..
અન હાય,તમારી…….
– રાહુલ તુરી ‘ઝીલ’
સારો કવિ એ જે કવિતાને ઉપકારક નીવડે એ રીતે કાવ્યસ્વરૂપને ખપમાં લઈ જાણે. અન્ય કાવ્યોથી વિપરિત કાવ્યસ્વરૂપ તરીકે ગીત કવિને અસીમ આઝાદી આપે છે. પ્રસ્તુત ગીતમાં કવિએ ગીતસ્વરૂપ તરફથી સાંપડતી સ્વતંત્રતા અને શક્યતાઓને કેવી સ-રસ રીતે નાણી છે એ જોવા જેવું છે. ઘરનો, જીવનનો મોભી ભરયુવાનીમાં સ્ત્રીને ભવાટવિમાં એકલી છોડીને મોટા ગામતરે જવા નીકળી જાય એ પછી અંતરમાંથી ઊઠતી ચીસનું આ ગીત છે. અકાળે વૈધવ્ય જેના માથે આવી પડ્યું છે, એનો આર્તનાદ, એનો વિલાપ કંઈ નાનોસૂનો હોય! ગીતકાવ્યમાં સામાન્યરીતે જોવા મળતી પંક્તિલંબાઈથી દોઢ-પોણા બે ગણી વધુ લંબાઈની પંક્તિ નાયિકાની પીડાને વાચા આપવામાંવધુ સહાયક થઈ હોય એવું નથી અનુભવાતું? ગીતના શબ્દોની સાથોસાથ પંક્તિલંબાઈ પણ નાયિકાના મનોભાવનેઉજાગરા કરવામાં મદદરૂપ થઈ છે…
Permalink
May 9, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન,
દૃશ્યની ઉઘાડ-મીંચનો આ નયન.
કૈંક કહેવું છે ને કૈં કહેતો નથી,
કે ગળાની ખીચખીંચનો આ નયન.
રિક્ત ખોબામાં લઈ તડકા ફરે
પનઘટે પાણીની સીંચનો આ નયન.
ઠોકરોમાં માપતો રસ્તા હવે
બાળપણ ઝૂલાની હીંચનો આ નયન.
ગૂમ ટ્રાફિકની ચીસોમાં થઈ ગયો,
મૂળમાં ચકલીની ચીંચનો આ નયન.
– નયન હ. દેસાઈ
એક અદભુત કવિ નામે નયન દેસાઈ… ગુજરાતી કવિતાને તો એણે હૈયું ફાડીને લાડ કર્યાં જ છે, પોતાના નામનેય ઓછું નથી રમાડ્યું… ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ વગેરે રચનાઓ અને એક અહીં પેશ કરી છે એય… નામની રદીફ તો ખરી જ, પણ સાથોસાથ પોતાની ઓછી ઊંચાઈને પણ શેરનો વિષય બનાવી કવિ નવી ઊંચાઈઓ સર કરે છે. પાંચેય શેર ખૂબ જ મજાના થયા છે…
Permalink
May 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિનોદ જોશી
ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર,
અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!
હિલ્લોળાતી હવા હોય કે હવડ શ્વાસની ઢગલી
નિરખીને આકાશ માંડતાં, માંડ માંડ બે પગલી
વાદળ સાથે નથી અમારે વાતોનો વહેવાર!
અડખેપડખે જોઈ જોઈ અદ્દલ સોનાના સળિયા
ચણતાં રહીએ અમે અમારાં વેરાતાં ઝળઝળિયાં
પડછાયાનો એક જ અમને અધકચરો આધાર!
જીવતર લાગે ઊડવાની ઇચ્છાનો પડતર માળો
પાંખો ને પગનો સમજણમાં નથી થતો સરવાળો
રોજ વેઠતાં અવાવરુ ઉજ્જડ ટહુકાના ભાર!
– વિનોદ જોશી
આજના મનુષ્યોના જીવનની વિડંબનાનું ગાન. કેદમાં હોય ત્યારે ખુલ્લી હોય અને પિંજરની બહાર હોય ત્યારે બંધાયેલી હોય એવી પાંખોનો કોઈ અર્થ ખરો? પંખી તો પ્રતિક છે, પણ આપણામાંથી કેટલા બધા લોકો આ પ્રકારની દોગલી આઝાદી કે ચાતુર્યપૂર્ણ કેદના શિકાર હશે એ આપણે જાણીએ જ છીએ. ખાસ કરીને સ્ત્રીઓ… આજે પણ આપણા સમાજમાં મોટાભાગના પતિ’દેવ’ પત્નીને નામની આઝાદી આપીને પોતે નિયત કરેલ લક્ષ્મણરેખાની અંદર બાંધી રાખે છે… પાંખને પાંખપણું જ હાંસિલ ન હોય એવી કહેવાપૂરતી સ્વતંત્રતાનોનો શો અર્થ! પિંજરબહાર સરસ મજાની હવા હિલ્લોળે ચડી હોય અને પિંજરમાં બહાર નીકળી ન શકતા શ્વાસોની હવડ ઢગલી મોટી થયે રાખતી હોય –બારીમાંથી દેખાતા આકાશને કામવાની ઇચ્છા તો હોય પણ પિંજરામાં બે ડગલા ભરવા જેટલો અવકાશ પણ માંડ નસીબ થયો હોય એ બંદી પંખી વાદળ સાથે કઈ રીતે ગોઠડી માંડી શકે? સોનાની કેમ ન હોય, જેલ તો જેલ જ ને! પોતાનાં જ આંસુ પી-પીને જીવતા પંખીને એકમાત્ર આધાર એના પડછાયાનો છે પણ એય અધકચરો છે. અધકચરો કેમ? તો કે બે રીતે. એક, જીવતરના જેલખાનામાં પંખીનો એકમેવ સાથીદાર કેવળ પડછાયો છે, જે પોતે પ્રકાશનો મહોતાજ છે. અને બીજું, પંખીના અસ્તિત્ત્વનો આ એકમાત્ર હિસ્સો છે, જે પિંજરાની બહાર રેલાવા-ફેલાવા માટે સ્વતંત્ર છે… સળિયાવાળી પંક્તિને સાદું વિધાન ગણી લઈએ તો ઝળઝળિયાં એના પર ચડાવેલ વળ બરાબર છે, અને પડછાયાવાળી પંક્તિ આખી વાતનું કાવ્યશૃંગ છે. સરવાળે, આખું ગીત આસ્વાદ્ય છે..
Permalink
May 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શબનમ ખોજા

કેમ થ્યું’તું પ્રેમનગરીનું પતન?
આવ તું જાતે કરી જો ઉત્ખનન.
જો મળે તારી અને મારી નજર,
આંખથી અત્તર ઝરે, મહેકે બદન
હસ્તરેખા ભૂંસી નાંખી મેં પ્રથમ,
એ પછી ચીતરી શકાયું છે મિલન.
સાવ ખાલી થઈ જવું થઈને શબદ,
ને પછી ભૂલી જવું સઘળું કવન.
જેટલી અઘરી જુદાઈ આપણી,
એટલું જબરું થવાનું છે મિલન.
દીવડાની આત્મશ્રદ્ધા જોઈને
સૂર્ય છે ચિંતિત ને મૂંઝાયો પવન
– શબનમ ખોજા
લયસ્તરો પર કવયિત્રીના ગઝલસંગ્રહ “તસ્બીહના બે પારા વચ્ચે”નું સાદર સ્વાગત…
સરળ બાનીમાં લખી હોવા છતાં પહેલા પઠને જ સીધા હૃદયને સ્પર્શી જાય એવા સરસ મજાના શેરમઢી ગઝલ આજે આસ્વાદીએ…
Permalink
May 2, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીતિન વડગામા
તડકાનાં કૈં તીર વછૂટે.
કૂવા, નદીયું ને સરવરનાં તળિયાં તૂટે!
મૂળિયામાંથી ઉખડી ટાઢક.
પાનવછોયાં ઝાડ ઊભાં છે સાવ અવાચક!
સળગે છે સૂનાં આંગણિયાં.
વાંભવાંભ ઊછળતા રહેતા લૂના દરિયા!
સૂરજનો અસવાર નીકળે.
પરસેવાથી રેબઝેબ પડછાયા પીગળે!
રોજ હવે તો ઢળતી સાંજે,
ફળિયું, ખીલા, ગમાણ રોમેરોમ કરાંજે!
– નીતિન વડગામા
ગીતની ખરી મજા એ છે કે ગઝલ-સૉનેટની માફક પૂર્વનિશ્ચિત બંધારણમાં જકડાઈ રહેવાના બદલે હૃદયોર્મિ જે રીતે વહેતી હોય, અદ્દલોદ્દલ એ જ રીતે વહેવાને એ આઝાદ છે… લયસ્તરો પર આજે એક મજાનું ગીત જોઈએ. અહીં કોઈ મુખડું નથી ને નથી કોઈ પૂરકપંક્તિ. ચુસ્ત પ્રાસવાળી બબ્બે પંક્તિના પાંચ બંધ. ગીત કાવ્યસ્વરૂપ માટે આ વિધા નવી નથી, પણ અહીં જે નવું છે એ છે દરેક યુગ્મકના વિષમાવર્તન… બંને પંક્તિમાં આવર્તનસંખ્યા અલગ હોવાના કારણે લયની જે ભાત અહીં સર્જાય છે, એ મનમોહક થઈ છે…
તાપ વધુને વધુ આકરો થઈ રહ્યો છે. બપોરે ક્યાંક જવાની ફરજ પડે તો એમ જ લાગે જાણે તડકાનાં તીર આપણને રોમેરોમે વીંધી ન નાંખતાં હોય. જળાશયો સૂકાઈ જતાં તળિયે તિરાડો પડવા અને વિસ્તરવા લાગે છે. પર્ણવિહોણાં વૃક્ષોને પવનની અનુપસ્થિતિમાં સ્થિર – અવાચક જોઈને એમ લાગે કે જાણે કોઈએ મૂળિયામાંથી ટાઢક જ ન ઉખાડી લીધી હોય! આંગણાં સૂનાં છે પણ એમાં લૂના દરિયા ઉછાળા મારી રહ્યા છે. આંગણાઓનો ખાલીપો અને દરિયાની અસીમતા – આ બે અંત્યબિંદુઓ પરના વિરોધાભાસી રૂપકોને પરસ્પરમાં ઓગાળી દઈ કવિએ કેવો કમાલ કર્યો છે, નહીં! સાંજ સુધીમાં તો અસ્તિત્વના કણેકણ કરાંજતા થઈ જાય એવા તડકાનાં તીરોનું આ લયાન્વિત ગીત નાની-મોટી કડીઓના વિષમાવર્તનોમાં રાચતી ચુસ્ત પ્રાસાવલિના કારણે વધુ હૃદ્ય બન્યું હોય એવું નથી લાગતું?
Permalink
May 1, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
આમ જુઓ તો ગરવી ગુણિયલ
આમ જુઓ તો ઘેલી,
ગાંધીની ગુજરાત મૂળમાં મીઠી અમરતવેલી.
અણહકનું ના ખપે કોઈ દી
હકનુંયે ના માગે;
અવર કાજ એ ઓળઘોળ
ને સ્વારથ નિજના ત્યાગે.
કોઈ કહે સાગરપેટી, કો કહેતું ગાલાવેલી.
. – ગાંધીની.
વનનાં વન પાંખાં થઈ ચાલ્યાં
ઝાંખા જળના દીવા;
મરુભોમના મૃગજળમાં
મોતી શોધે મરજીવા.
જળની રેખ સપનમાં તબકે તોયે કરતી કેલિ.
. – ગાંધીની.
દેશ અને દેશાવર ખેડે
વહે વણજ-વેપાર,
ઝીણું કાંતે પંડજોગ
ને વેરે અપરંપાર.
ભીડ પડ્યે ભડ થઈને રહેતી, લેતી આપદ ઝેલી.
. – ગાંધીની.
રંગ-રાગમાં રમતી
તોયે રૂડો સંયમ દાખે,
મીઠું બોલે મરમભર્યું
ને ભેદ કાળના ભાખે.
જૂનું થોડું જાળવતી, ને થોડી નવી-નવેલી.
. – ગાંધીની.
રાસ રચ્યા જે કૃષ્ણે
એની ઘેર હજીયે ગુંજે,
અલખધણીની અહાલેક
કંઈ હાડ મૂળમાં ઊંજે.
કોણે ચાંપી હૈયા સરસી, કોણે દૂર ધકેલી?
. – ગાંધીની.
– હરિકૃષ્ણ પાઠક
આજે પહેલી મે. ગુજરાત સ્થાપના દિવસ.
તાજેતરમાં જ અનંતની યાત્રાએ નીકળી ગયેલ કવિશ્રીની એક ગીતરચના આજે માણીએ… પ્રવાહી લય અને સહજસાધ્ય બાનીના કારણે ગીત વિશે વિશેષ ટિપ્પણી કરવાની આવશ્યક્તા નથી. પણ આજની ગુજરાતી પેઢી માટે આ ગીતમાં પ્રયોજાયેલ અનેક શબ્દ આગંતુક હશે એમ મને લાગે છે, એટલે થોડા શબ્દાર્થ મૂકવા આવશ્યક જણાય છે.
(અવર=બીજું, અન્ય; ગાલાવેલું= દાધારંગું, મૂર્ખ, ગાંડાઘેલું; મરુભોમ= રણભૂમિ; તબકવું= અંધારામાં આછો પ્રકાશ કરવું, ઝગારા મારવું; કેલિ=ક્રીડા, રમત; પંડજોગ= પોતાની જાત પૂરતું; આપદ= આપત્તિ;ઝેલી= ઝેલવું, સહન કરવું; ઘેર= ઘેરાવો, ઘેરૈયાનું ટોળું; ઊંજવું=તેલ પૂરવું)
Permalink
April 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under અંજની ગીત, મનોજ ખંડેરિયા
કોઈ બપોરે ભરવા બેઠી
રેશમ-દોરે ભરવા બેઠી
મોર લીલો રે ભરવા બેઠી
. ઘરથી નવરી થઈ
પીછું ભરતાં પાંખ થરકતી
કંઠ ભર્યો ત્યાં ગ્હેક છટકતી
જોતી રહી ને આંખ ફરકતી
. ઊંડી ઊતરી ગઈ
ઊંડા કંઈ ઘારણમાં ઊંડે
વીતી નમણી ક્ષણમાં ઊંડે
જીવતરના દર્પણમાં ઊંડે
. નિજને નીરખી રહી
– મનોજ ખંડેરિયા
અંજનીગીત એટલે અપ્રતિમ નજાકતનું ગરવું લાવણ્ય! અંજનીનું પોત એટલું ઝીણું છે કે કવિતા કઈ ક્ષણે સર્જાય છે એ સમજાય એ પહેલાં તો ગીત પૂરું થઈ જાય… પ્રસ્તુત રચના એનું સબળ ઉદાહરણ છે. કાવ્યનાયિકા કોઈ એક બપોરે નિરાંતના સમયમાં ઘરકામથી નવરી થઈ રેશમદોરે લીલો મોર ભરવા બેઠી છે. સ્ત્રીને નવરાશના સમયે ભરતકામ કરતી નિહાળવી એ એક લહાવો છે. મનગમતી પ્રવૃત્તિ કરતી વખતે સ્ત્રી સમાધિ ન લાગી ગઈ હોય એટલી એમાં ઓતપ્રોત થઈ જતી હોય છે. અહીં પણ એમ જ બન્યું છે. કપડામાં મોરનું પીછું ભરી રહેલ નાયિકાને મોરની પાંખ થરકતી હોવાનું પ્રતીત થાય છે. ગળાનો આકાર ઘડાયો એવામાં ટહુકો છટકી જતો સંભળાયો. ભરવાનું કામ અટકી ગયું અને નાયિકા પોતાના ભરેલા મોરને સજીવ થયેલો જોઈને સમાધિ અવસ્થામાં ઊંડે ને ઊંડે ઊતરતી ગઈ. નાયિકા સંત નથી એટલે પોતાની આ ઝેન કે સમાધિની સ્થિતિને ઊંડી ઊંઘમાં પોતે ઊતરી ગઈ હોવાનું કહીને વર્ણવે છે. જીવતરના દર્પણમાં ઊંડે ઊંડે એ સ્વને નીરખે છે. સજીવન થયેલ અનુભવાતું પંખી નાયિકાના ખુદને માટે સંજીવની બની રહે એ કેવી મોટી વાત!
અંજનીગીત કાવ્યપ્રકાર વિશે વધુ જાણવા માંગતા મિત્રો અહીં ક્લિક કરે.
Permalink
April 25, 2025 at 10:55 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
. હું તો મટુકી લઈને ચાલી,
સવાર પડે ને સપનાનાં મુજ ભર્યાં સરોવર ખાલી!
સરાણ ચડયા પાનાને હો પાણીની જે પ્યાસ,
અંતરમધ્યે ઊપની એવી આગ બનીને આશ,
. કોઈ મુજને પાઓ છલછલ પ્યાલી.
બપોર બળતી રોમે રોમે હવા વીંઝણો ઢોળે,
લથડ્યા ચરણો કેમ પ્હોંચવું મૃગજલની એ પાળે!
વનને મૂકી ત્હોય વેગળા, વેગ ભરીને હરણી હાલી!
– પ્રિયકાન્ત મણિયાર
વાત તો તરસની છે, પણ કઈ તરસ? રાત આખી તો ઊંઘમાં સપનાંના સરોવરો ભર્યાભાદર્યાં અનુભવાય છે, પણ આંખ ખૂલતાવેંત વિયોગની વાસ્તવિક્તા ઘેરી વળે છે. આ તરસને સરાણે ચડેલ પાનાંની પ્યાસ સાથે સરખાવીને કવિએ વાતને કેવો વળ ચડાવ્યો છે! પાનું સરાણ પર ઘસાવા ચડ્યું હોય એ સમયે પાણી ઉમેરતા જવામાં ન આવે તો પાનું ઘસાઈને તીણું થવાના બદલે ખરાબ થઈ જાય. પાનું ઘસાય ત્યારે જે ગરમી ઉત્પન્ન થાય એવી જ પિયુમિલનની આશાની આગ નાયિકાના અંતરમધ્યે જન્મે છે. તરસના માર્યા ચરણો કહ્યામાં નથી, અને આવા લથડાતા પગે વાસ્તવિક્તા તો ઠીક, આભાસ સુધી પહોંચવાનું કામ પણ કેવું દુષ્કર! પણ તોય વિરહિણી હરણી જીવનજળની તલાશમાં વેગ ભરીને દોડતા રહેવાનું ત્યજતી નથી…
(ઊપનવું= ઊપજવું)
Permalink
April 24, 2025 at 10:55 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીતેવ, ચંદ્રકાન્ત શાહ
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
આ જો, આ કાંઠેથી પેન ધરેલો હાથ કરું છું, દેખાય છે કે? હું જ છું ને?
આ કાગળને બે કાંઠે જે
અધીરાઈનો ઝીણો—ધીમો તલપાપડ વરસાદ પડે છે
એનાથી તું પલળે છે ત્યાં જેવું
હું પણ એવું પલળું છું અહીં!
શબ્દોનું આ પૂર ઊતરે કાગળ પરથી,
અરે પછી તો તું પણ થોડી હિંમત રાખી
આવ ઊતર કાગળમાં-
હું પણ મારું ધુબકો
ભીંજાવાના ભાવથી ભીનાં, મળવાની પણ મજા આવશે નહિ?
કાં પછી આ કાગળિયાનાં મૂળ સુધી ચાલીને જઈએ ઊંડે ઘૂને, જવું જ છે ને?
કાગળની ચોફેર અવાજો સૂનકારના
ધોધમાર ને લથબથ લથબથ
ઉછાળા મારે છે મારા શ્વાસ, ગમે છે સાંભળવાનું?
સીનસીનેરી ઝાંખીપાંખી
લીલોતરી નીતરતી તારી આંખ
વૃક્ષોની, ટીપાંઓની આ સુગંધ વચ્ચે, આમ અચાનક ફાવે છે મળવાનું?
મારામાંથી નીકળી, ઘોડાપૂર ઊછળતો, ધસમસ કરતો કાગળ
તારામાં ભળવા આવે છે, આવે જ છે ને?
આ કાગળને સામે કાંઠે ઊભી છે તે, તું જ છે ને?
– ચંદ્રકાન્ત શાહ
કેટલાક માણસ જનમથી જ બહારવટિયા હોય છે. સમાજની પ્રસ્થાપિત ગલીઓમાં એ શ્વાસ જ લઈ ન શકે. ઘરેડમાં ચાલતી વસ્તુઓને તહસનહસ કરી પોતાની રીતે કંઈક નવું ન નીપજાવે ત્યાં સુધી એમને ધરવ જ ન થાય. ડાયાસ્પોરા કવિ ચંદ્રકાન્ત શાહ આવા જ એક સર્જક હતા. એમની આ રચનાને જરા ધીરજપૂર્વક ચકાસીએ તો કવિએ ગીત જેવું કંઈક લખ્યું હોય એમ પ્રતીત થાય. બે પંક્તિનું મુખડું, બે બંધ અને મુખડા સાથે પ્રાસ મેળવવાની મથામણ કરતી બે પૂરકપંક્તિઓ; લય પણ ગીતનો-પણ શું આને આપણે ગીત કે અનુઆધુનિક ગીત કહી શકીએ ખરા? ગીતના બંધની બે કડી વચ્ચે પ્રાસ મેળવવામાં આવે એ જ રીતે કવિએ ‘અહીં’-‘નહિ’ તથા ‘સાંભળવાનું’-‘મળવાનું’ વચ્ચે પ્રાસના અંકોડા તો મેળવ્યા છે,પણ આવર્તનોની સંખ્યા વચ્ચે તાલમેળ જાળવ્યો નથી. એ સિવાય લયમાં પણ ક્યાંક ક્યાંક ખાંચા રહી ગયા છે. આને ગીત કહીએ કે ગીતેવ- એ નક્કી કરવાનું કામ વિવેચકો પર છોડી દઈ આપણે કવિતા ઉપર ધ્યાન આપીએ… એકવાર-બેવાર-ત્રણવાર – જેમ જેમ આ કવિતા મમળાવતા જઈશું તેમ તેમ એ વધુને વધુ ગમતી જશે એની ગેરંટી…
Permalink
April 24, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલહર સંઘવી

સૂર્યથી અંજાઈ દૃષ્ટિ ભોંય પર પથરાઈ ગઈ,
કયાં નજર ફેંકી હતી ને ક્યાં નજર ફેંકાઈ ગઈ!
દિલની છાની વાત દિલમાં રાખતાં ના આવડી,
આપણી પ્રીતિ જગતમાં એટલે પંકાઈ ગઈ.
કોઈને ચૂંટવા ન દીધી માળીની રખવાળીએ,
તે છતાંયે સાંજ રે ફૂલની કળી કરમાઈ ગઈ.
દિલની કૂંણી ઊર્મિઓને પીસવાનું બંધ કર,
રંગ આવી ગ્યો હવે – મેંદી હવે ઘૂંટાઈ ગઈ.
દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી, દોસ્તદારી પણ મને સમજાઈ ગઈ.
કેમ ના લાગે જગત આખું પછી દોજખ સમું?
માનવીના દિલ મહીંથી પ્રીત ગઈ, સચ્ચાઈ ગઈ.
કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યાં,
છે જવાનું આંહીથી એ વાત પણ વિસરાઈ ગઈ.
આપની રહેમત ખુદા, જ્યાં ઊતરી મારા ઉપર,
સાવ મુફલિસી મહીં પણ આબરૂ જળવાઈ ગઈ.
મેં સગા હાથે જ લૂંટાવી હતી ‘દિલહર’ પછી,
શું કરું ફરિયાદ કે દિલની મતા લૂંટાઈ ગઈ!
– ‘દિલહર’ સંઘવી
લયસ્તરો પર સ્વાગત-સપ્તાહના અંતે આજે સાતમા પુસ્તકને મીઠો આવકારો દઈએ…. કવિશ્રી ‘દિલહર’ સંઘવીની ચૂંટેલી ગઝલોના સંપાદન ‘ધન્ય છે તમને’માંથી એક સ-રસ મજાની ગઝલ મમળાવીએ… (સંપાદક: ભરત વિંઝુડા)
Permalink
April 20, 2025 at 10:30 AM by વિવેક · Filed under ગઝલ, હરિહર શુક્લ ‘હરિ’

અંતરાયો દૂર કરવાના તમામ,
પહાડની ટોચે જઈ લેવો વિરામ.
કોઈનું લેણું, ન દેણું કોઈનું,
કોઈ શાહુકાર, ના કોઈ ગુલામ.
એટલે કાબૂ મહીં આવ્યો નહીં,
એષણાના અશ્વને ક્યાં છે લગામ?
હુંય રગદોળાઈ સોનું થઈ ગયો,
વિસનગરની ધૂળને સો સો સલામ.
મહેલ હો તો હું કરી દઉં, પણ ‘હરિ’-
ઝૂંપડીને કેમ કરવાની લિલામ?
એક-બે ડગલાં ભરી આગળ, “હરિ’;
જોઉં પાછળ, છોડ્યો મેં છેલ્લો મુકામ?
– હરિહર શુક્લ
લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…
સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યોપ છે!
Permalink
April 19, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ રાવલ

સ્વપ્ન જેવો ફૂલગજરો કોણ આપી જાય છે?
પૂછ મા તું પ્રશ્ન અઘરો, કોણ આપી જાય છે?
જાત જેવો બંધ કમરો કોણ આપી જાય છે?
જીવ એમાં એક અથરો કોણ આપી જાય છે?
કેસૂડાનાં ફૂલ, ટહુકા, એમાં તારું આવવું,
એકધારી મીઠી અસરો કોણ આપી જાય છે?
પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?
કોઈની સુંદર સ્મૃતિ ભુંસાઈ જાવાની ક્ષણે,
મસ્ત ફોટો સાફસૂથરો કોણ આપી જાય છે?
– વિનોદ રાવલ
લયસ્તરો પર આજે અમરેલીના તબીબ-કવિના પ્રથમ સંગ્રહ ‘હરિ આવ્યા તળેટીમાં’ને મીઠો આવકાર આપીએ…
‘કોણ આપી જાય છે’ જેવી પ્રશ્નવાચક રદીફ કવિએ બખૂબી નિભાવી તો છે જ, મત્લામાં ‘પૂછ મા તું પ્રશ્ન અઘરો’ કહીને જવાબ પણ આપી દીધો છે. છેલ્લો શેર સહેજ સામાન્ય થયો છે, પણ એ સિવાયના ચારેય શેર કેવા બળકટ થયા છે! મત્લામાં કેવળ ફૂલગજરાની જ વાત કરી હોત તો શેર કદાચ સાધારણ બનીને રહી ગયો હોત, પણ આ ફૂલગજરો સ્વપ્નનો છે એમ કહી જ્યારે કોણ આપી જાય છેનો સવાલ કવિ ઊઠાવે છે ત્યારે લાંબો સમય મનોમસ્તિષ્કના ગુંબજમાં પડઘાયે રાખે એવો સ-રસ શેર જન્મેછે!
Permalink
April 18, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ

આખેઆખું આભ નહીં તો આંગણ આપો,
મેળો ના આપો તો મનગમતું જણ આપો.
પ્રેમ નામનો રસ્તો શાને અંત વિનાનો,
સમજ નથી કંઈ પડતી, થોડી સમજણ આપો.
કાન દઈને સાંભળીએ બસ વાત તમારી?
અમને પણ કંઈ કહેવા જેવી તો ક્ષણ આપો!
ધીરે ધીરે આંસુ સાથે સરકી જઈશું,
નેહ નહીં તો નયનોનું આ આંજણ આપો.
વિરહ નામના વિષના ઘૂંટડા ક્યાં લગ પીશું!
ઝેર ભલે આપ્યું પણ એનું મારણ આપો.
– નીતિન પારેખ
લયસ્તરો પર કવિના તાજા સંગ્રહ ‘અજવાળાની ક્ષણ’ની આગતાસ્વાગતા કરીએ…
માંગણીનો પનો જેટલો ટૂંકાવી શકાય, જીવન એટલું જ સુખસભર બને. આ વાત કહેતી કવિતાઓ તો ઘણી જડી આવશે. પણ અહીં વાત જરા નોખી છે. અહીં તો આખેઆખું આભ મળે તો એય ગુંજે ભરવાની તૈયારી છે. પણ હા, સકળના સ્વીકારની તત્પરતાની હારોહાર જ સકળ ન મળે તો કેવળ એક આંગણથી ચલાવી લેવાની સજ્જતા પણ છે. ઝંખના તો મેળાભર માનવમહેરામણને ચાહવાની છે, પણ એના વિકલ્પે કેવળ એક મનગમતી વ્યક્તિથી ચલાવી લેવાની તૈયારી પણ છે. બીજો શેર પણ એવો જ જાનદાર થયો છે. સરવાળેઆખી ગઝલ જ આસ્વાદ્ય.
Permalink
April 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિકી ત્રિવેદી

કંઈ પણ લખ્યા વગર મળ્યો કાગળ જવાબમાં,
યાને મૂક્યું છે એમણે મૃગજળ જવાબમાં.
એણે પૂછ્યો’તો પ્રશ્ન પ્રમાણિકતા બાબતે,
મેં વસ્ત્રમાં બતાવી દીધા સળ જવાબમાં.
તું આવા પ્રેમથી મને તબિયત ન પૂછ, દોસ્ત!
આંખો નહિ તો થઈ જશે ખળખળ જવાબમાં.
“ભગવાન ન્યાય કરશે” કહીને રડી પડ્યો,
બીજું તો શું કહી શકે નિર્બળ જવાબમાં?
એણે કહી છે ‘હા’ છતાં પણ મન મરી ગયું,
એણે સમય લીધો હતો પુષ્કળ જવાબમાં.
ત્યાં માણસો જીવંત છે એવું કહી શકાય,
અન્યાય સામે થાય જ્યાં ચળવળ જવાબમાં.
તારા જવાબ કરતા વધુ દુઃખ એ દઈ ગઈ,
મનમાં કરી હતી જે મેં અટકળ જવાબમાં.
એવા સવાલ લઈને હું જીવી રહ્યો છું આજ,
ફાંફા પડે પ્રભુનેય બે પળ જવાબમાં.
કોઈ જ એવી વ્યક્તિએ પૂછ્યું નહીં મને,
ચીંધાય જેને હૈયા સમું સ્થળ જવાબમાં.
– વિકી ત્રિવેદી
લયસ્તરોના દ્વારે સર્જકના વધુ એક સંગ્રહ ‘જાતે પ્રગટ થશે’ને સસ્નેહ આવકાર…
નવ શેરની નવલખી ગઝલ… લગભગ બધા જ શેર જાનદાર થયા છે.
Permalink
April 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગીત, લતા હિરાણી

હે સન્નાટાજી
ગામ, સીમ, કેડા છોડીને
અમ ફરતા કાં આંટા જી?
હે સન્નાટાજી!
તમે જનમિયા સૂની સાંજને કાળે પેટે કાં?
કિયા જનમના વેર કહોને કિયા જનમના ઘા?
બેસે, હાંફે, શ્વાસ સાંભળે, તવ ખિખિયાટા જી
હે સન્નાટાજી!
પાંપણ પરથી રાત ઉતરડી ધક્કા માર્યા, જો
ઝાંખી પાંખી નીંદરને ખૂણે દઈ દીધો ખો
છાતી અંદર તૂટે, ફૂટે, થાય ન વાટા જી
હે સન્નાટાજી!
હાથ વછૂટી જાય ઘડી ને વેળ વેળ ના રે’
અડવાણા ને અવળા પગલે, દાવ જીવડો દે
કચ્ચરઘાણ અમારા, તમને સેરસપાટા જી
હે સન્નાટાજી !
અપરાધી છો અમે રહ્યા પણ દયા માંગીએ જી
ફાટી આંખોના ઉપવાસો, કહો ભાંગીએ જી
જરી જુઓ સામું, ના વાળો આવા સાટા જી
હે સન્નાટાજી !
– લતા હિરાણી
લયસ્તરો પર સર્જકના ગીતસંગ્રહ ‘ઊગ્યું રે અજવાળું’ને સસ્નેહ વધાવીએ…
સારું ગીત ઉપાડ લેતાવેંત ભાવકને ચસોચસ બાંધી લેતું હોય છે. સુરેશ દલાલે કહ્યું હતું કે ગીત એના મુખડામાં જ શરૂ થઈ પૂરું પણ થઈ જતું હોય છે. સાચી વાત છે. કવિએ જે હૃદયોર્મિ વ્યક્ત કરવી છે, એ તો મુખબંધમાં જ રજૂ થઈ જાય. એ પછી બાકીના ગીતમાં તો એનો ચિતોવિસ્તાર જ કરવાનો રહે. આ ગીત ઉભય કસોટીઓ પર ખરું ઉતરે છે. એક તો સન્નાટાને સંબોધીને વાત કરાઈ હોવાથી ભાવક કાવ્યારંભે જ સાનંદાશ્ચર્ય અનુભવે અને બીજું, આ સંબોધનમાં સર્જકે માનવાચક ‘જી’ ઉમેરી ચેરી ઓન કેક જેવી ફ્લેવર ઉમેરી છે. સામાન્ય રીતે સન્નાટો તો સીમ અને કેડામાં રાજ કરે, અને ધગધગતો ઉનાળો હોય ત્યારે ગામમાં પણ. પણ અહીં એ કથક ફરતે આંટા મારી રહ્યો છે. એટલે કથક સન્નાટાને માનપૂર્વક પૂછે છે કે નિયત સ્થાનો પર પસંદગીનો કળશ ન ઢોળતાં આપશ્રી અમારી આજુબાજુ શીદ આંટા મારી રહ્યા છો? આવું મજાનું મુખડું કોને વશીભૂત ન કરે! મુખડાથી આગળના ગીતનો આનંદ ભાવકની ભાવનક્ષમતા ઉપર છોડી દઈ વિરમું…
Permalink
April 15, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, લતા હિરાણી

ચટ્ટાનો ખુશ છે
ખુશ છે પાણા પથ્થર
વધી રહી છે એની વસ્તી
ગામ, શહેર, નગર…
પેલી પર્વતશિલા હતી કેવી
જંગલ આડે સંતાયેલી
હવે આખે આખ્ખો પર્વત
નાગોપૂગો બિચ્ચારો
ફાટી આંખે જોઈ રહ્યો ને રોઈ રહ્યો
કોઈ નથી એનું તારણ
હારી ગયા ને હરી ગયા
ઝાડ, પાન ને જંગલ
ખુશ છે પાણા પથ્થર
વિશ્વાસ છે એમનો જબ્બર
કરશું અમે તો રાજ અહીં
વાર હવે ક્યાં?
આમ જુઓ
આ માણસનાયે પેટે હવે
પાકી રહ્યા છે પથ્થરો.
– લતા હિરાણી
લયસ્તરો પર કવયિત્રીના નવ્ય અછાંદસ સંગ્રહ ‘સાવ કોરો કાગળ’નું સહૃદય સ્વાગત…
વધતા જતા શહેરીકરણ અને જંગલોના વિનાશની વ્યથાની સમતુલિત રજૂઆત કરતી રચના. રચના સ્વયંસ્પષ્ટ હોવાથી વિશેષ ટિપ્પણીની આવશ્યક્તા જણાતી નથી. પણ કવયિત્રીના સંગ્રહમાંથી પસાર થતાં એક બાબતે મારું સવિશેષ ધ્યાન ખેંચ્યું. કવયિત્રીએ સમગ્ર સંગ્રહમાં અલ્પવિરામ, ઉદગારચિહ્ન, અવતરણચિહ્ન તથા પ્રશ્નચિહ્ન બાબતે જેટલી સજગતા દાખવી છે, એટલી જ ઉદાસીનતા પૂર્ણવિરામ બાબત સેવી છે. આ ટિપ્પણી અત્રે કરવા પાછળનો પ્રમુખ હેતુ કેવળ એ જ છે કે આજકાલ ગુજરાતી કવિઓમાં વિરામચિહ્નો અને જોડણી સહિત ભાષાશુદ્ધિ બાબતે ખાસ્સી નીરસતા પ્રવર્તે છે. હમણાં એક જાણીતા કવિએ ‘પહેરણ’ માટે ‘તૂટવું’ ક્રિયાપદ પ્રયોજ્યું હતું. એમનું ધ્યાન એ તરફ દોર્યું તો એમની પાસે વ્યાકરણના નિયમોના આધારના બદલે કેવળ એક જ દલીલ હતી કે બીજાઓએ પણ આ ક્રિયાપદ પહેરણ માટે વાપર્યું છે. પણ પોતાની વાતના સમર્થન માટે તેઓ કથિત ઉદાહરણો રજૂ ન કરી શક્યા. સામાન્ય ગદ્યમાં નિયમાનુસાર પ્રયોજાતા વિરામચિહ્નો જ્યારે કવિતામાં પ્રયોજાય, ત્યારે ઘણીવાર કવિ નિયમોને ચાતરીને ચાલતો નજરે ચડે છે. પણ આવું કવિ ત્યારે જ કરે જ્યારે એ કવિતાને ઉપકારક નીવડવાનું હોય. ફ્રેન્ક ઓ’ હારાની એક અંગ્રેજી કવિતાનું દૃષ્ટાંત લઈએ-
Lana Turner has collapsed!
I was trotting along and suddenly
it started raining and snowing
and you said it was hailing
but hailing hits you on the head
hard so it was really snowing and
raining and I was in such a hurry
to meet you but the traffic
was acting exactly like the sky
and suddenly I see a headline
LANA TURNER HAS COLLAPSED!
there is no snow in Hollywood
there is no rain in California
I have been to lots of parties
and acted perfectly disgraceful
but I never actually collapsed
oh Lana Turner we love you get up
સત્તર પંક્તિની આ કવિતામાં કવિતાનું શીર્ષક કાવ્યારંભે અને કાવ્યમધ્યે પુનરોક્તિ પામે છે, ત્યાં ઉદગારચિહ્નવાપરવા સિવાય કવિએ આખી રચનામાં એકેય વિરામચિહ્ન વાપર્યા નથી. આના કારણે કવિ સ્વયં જે ગડમથલ અને નિરવરુદ્ધ વિચાર-વાવંટોળના શિકાર બન્યા છે, એનો ભાવકને યથાતથ સાક્ષાત્કાર કરાવવામાં સફળ થાય છે.
Permalink
April 14, 2025 at 10:43 AM by વિવેક · Filed under ગઝલ, મયંક ઓઝા

સહેજ લખવા જાઉં સન્નાટા ઉપર,
ત્યાં ટકોરા થાય દરવાજા ઉપર.
આગગાડી જેમ છે મારી ગતિ,
દોડવાનું પણ ફકત પાટા ઉપર.
માત્ર હું ખળખળ ધ્વનિને પી શકું,
આમ રહેવાનું સતત કાંઠા ઉપર.
કેટલી અફવાઓ લટકે છે હજી,
બંધ ઘરનાં બારણે તાળા ઉપર.
પ્રેમ, પીડા ને વિરહ મહેકી ઊઠે,
જો રચાતી હો ગઝલ રાધા ઉપર.
સુખ હથેળીમાં જ શોધે છે ‘મયંક’,
ના કરી દૃષ્ટિ કદી કાંડા ઉપર.
– મયંક ઓઝા
લયસ્તરો પર કવિના નવલા સંગ્રહ ‘ક્ષણોના પ્રતિબિંબ’ને આવકારીએ…
સામાન્યરીતે એક કે બે શેર ઉપર આખી ગઝલ તરી જતી જોવા મળતી હોય છે, પણ અહીં કાંઠાવાળા એક શેરને બાદ કરતાં બાકીના પાંચેય શેર ખૂબ જ બળકટ થયા છે એની મજા છે… પાટા અને તાળાવાળા શેર પર તો કુરબાન થઈ જવાનું મન થાય…
Permalink
April 12, 2025 at 11:01 AM by વિવેક · Filed under ગઝલ, મુસાફિર પાલનપુરી, વિવેક મનહર ટેલર
દુ:ખ કી હૈ વણઝાર, કલંદર! પોંચ વલીંગે,
મત રખ મન પર ભાર, કલંદર! પોંચ વલીંગે.
સુખ નેં દુ:ખ હૈં દોઈ બરફ કે ટુકળોં જેવે,
ઘુલનેં મેં કા વાર, કલંદર! પોંચ વલીંગે.
આગ કી મંઈ અલ્લા કે બંદે કૂદ પળે હૈં,
અપણેં તો હૈં બાર, કલંદર! પોંચ વલીંગે.
હિંમત સી જે હારા એ ભવ હારા સમજો
હિંમત ક્રૂ મત હાર, કલંદર! પોંચ વલીંગે.
રબ અપણા હો જાય પિછે કા ચઈએ અપણે?
સઊ પાસે પોબાર, કલંદર! પોંચ વલીંગે.
દોંનત હૈ જો સાફ તો દુનિયોં ઝખ મારે હે,
કોઈ કૂં મત ગિણકાર, કલંદર! પોંચ વલીંગે.
કોઈ સુંણે કે ના જ સુંણે આ અપણી વાતો,
ઠાઠ સી તુ ઠેકાર, કલંદર! પોંચ વલીંગે.
જૂઠ કૂં સચ નેં સચ કૂં જૂઠ જે કરનાખે
બિલ્ટા દે દો-ચાર, કલંદર! પોંચ વલીંગે.
– મુસાફિર પાલનપુરી
દુઃખની છે વણઝાર, કલંદર! પહોંચી વળશું,
રાખ ન મન પર ભાર, કલંદર! પહોંચી વળશું
સુખ-દુઃખ બંને છે બરફના ટુકડા જેવા,
પીગળતા શું વાર, કલંદર! પહોંચી વળશું.
આગ મહીં અલ્લાના બંદા કૂદી પડ્યા છે,
આપણે તો છીએ બહાર, કલંદર! પહોંચી વળશું.
હિંમત જે હાર્યા એ ભવ હાર્યા એમ સમજો,
હિંમત ના તું હાર, કલંદર! પહોંચી વળશું.
ઈશ આપણો થઈ જાય પછી બીજું શું જોઈએ?
સૌ પાસાં પોબાર, કલંદર! પહોંચી વળશું.
દાનત હો જો સાફ તો દુનિયા જખ મારે છે,
કોઈનેય ન ગણકાર, કલંદર! પહોંચી વળશું.
કોઈ સાંભળે કે ન સાંભળે આપણી વાતો,
ઠાઠથી તું લલકાર, કલંદર! પહોંચી વળશું.
જૂઠને સાચ ને સાચને જૂઠ કોઈ કરતું હો તો
ઠોકી દે બે-ચાર, કલંદર! પહોંચી વળશું.
– મુસાફિર પાલનપુરી
(સાછંદ પદ્યાનુવાદ : વિવેક મનહર ટેલર)
બાર ગાઉએ બદલાતી બોલી જે-તે પ્રદેશના સમાજનું વિશિષ્ટ અંગ છે. મોટાભાગનું સાહિત્ય શિષ્ટ ભાષામાં રચાતું હોવા છતાં દુનિયામાં ભાગ્યે જ કોઈ ભાષા એવી હશે જેણે લોકબોલીનો પડઘો ન ઝીલ્યો હોય. આ ગઝલ જુઓ. જે રીતે છંદ-કાફિયા-રદીફ-શેરિયત ગઝલના અનિવાર્ય અંગ ગણાય એ જ રીતે પ્રસ્તુત રચનામાં ઉત્તર ગુજરાતમાં વસતા મુસલમાનોની બોલી પણ અવિભાજ્ય અંગ બની અહીં ઊભરી આવી છે. એમ પણ કહી શકાય કે આ બોલી જ આ ગઝલનો પ્રમુખ વિશેષ છે. પાલનપુરી મુસ્લિમોની આ બોલીને પંચામૃત બોલી (ગુજરાતી-હિંદી-ઉર્દૂ-ફારસી-મારવાડી) તરીકે પણ ઓળખવામાં આવે છે. રચના ગઝલિયતની કસોટીએ ખરી ઉતરે છે કે કેમ એ સવાલ વિવેચકો પર છોડી દઈ આપણે તો બસ, બોલીનો આસ્વાદ લઈએ…
Permalink
April 11, 2025 at 8:00 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.
ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.
કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.
ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!
એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.
Permalink
April 10, 2025 at 11:47 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
આ હવામાં આજ કેવળ ભેજ છે
આંસુઓનો એક દસ્તાવેજ છે
દૃશ્ય ઉપર કાટ જેવો સ્હેજ છે
કૈં સ્મૃતિનો આંખમાં જે ભેજ છે
સૂર્ય જેવો સૂર્ય પણ નિસ્તેજ છે
ત્યાં સુધી પહોંચી ગયેલો ભેજ છે?
હાથ પાસે પેન, કાગળ, મેજ છે
નહિ લખાતો પત્ર ઉર્ફે ભેજ છે
જેમ પાણીમાં વમળ આમેજ છે
આ હવામાં એમ છૂપો ભેજ છે
– હર્ષદ ચંદારાણા
આમ જુઓ તો મત્લાગઝલ અને આમ જુઓ તો પ્રયોગાત્મક રચના… આખી ગઝલમાં ઉલા મિસરા-પ્રથમ પંક્તિમાં કવિએ અલગ-અલગ ચુસ્ત કાફિયાઓ વાપર્યા છે, પણ સાની મિસરા- બીજી પંક્તિમાં એક જ કાફિયો ‘ભેજ’ પ્રયોજ્યો છે. મત્લામાં પણ આ જ પ્રમાણે ‘ભેજ’ કાફિયો સાની મિસરામાં વાપરી શકાયો હોત, પણ કોઈક કારણોસર કવિ એમ કરવાથી દૂર રહ્યા છે. પણ સરવાળે પાંચેપાંચ શેરમાં ‘ભેજ’ કાફિયો વાપરીને કવિએ કાફિયાનો સારો એવો કસ કાઢ્યો છે અને આપણને વારંવાર મમળાવવી ગમે એવી સુંદર મજાની ગઝલ આપી છે.
Permalink
April 5, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
ભલે કાયા અને કપડાં ઉપરથી ધૂળ ખંખેરો,
કળા જો હોય, પડછાયા ઉપરથી ધૂળ ખંખેરો.
અધૂરા રહી ગયેલા કોઈના સપનાની મળશે છાપ,
મળ્યો રસ્તેથી એ સિક્કા ઉપરથી ધૂળ ખંખેરો.
ફરીથી ચિત્ત ને ચહેરા ઉપર આવી જશે રોનક,
પ્રણયના એક-બે કિસ્સા ઉપરથી ધૂળ ખંખેરો.
અમે બારી વગરના ઘરમાં પણ વર્ષો જીવી જઈશું,
ફકત આકાશના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
હજી ઊભા થઈ મહેમાન પહોંચ્યા ક્યાં છે ઘરની બ્હાર?
તરત ના આ રીતે સોફા ઉપરથી ધૂળ ખંખેરો!
થશે ચલચિત્ર ચાલુ ને અમે બેસી રહીશું બહાર,
અમારું કામ છે પડદા ઉપરથી ધૂળ ખંખેરો.
વીતાવ્યું રણ છતાં રણ સાથે લઈને ક્યાં સુધી ફરશો?
હવે પાંપણ અને ચશ્માં ઉપરથી ધૂળ ખંખેરો.
મળી છે કોઈના રૂમાલમાં ખુશબૂ નવી આજે,
ફરીથી આપણે શંકા ઉપરથી ધૂળ ખંખેરો.
બને એવું કે એ જોઈ શકે ઘરની ખરી હાલત,
ચલો, ભગવાનના ફોટા ઉપરથી ધૂળ ખંખેરો.
કળા કરવી તો ન્હોતી પણ કળા કરવી પડી અંતે,
કહ્યું છે કોઈએ, પીંછા ઉપરથી ધૂળ ખંખેરો.
જરૂરી છે જ નહિ કે એમના પગલાં ઉપર ચાલો,
બને તો એમના પગલાં ઉપરથી ધૂળ ખંખેરો.
કશું ન્હોતું અને અંતે કશું રહેશે નહીં બાકી,
જીવન છે ધૂળનાં ઢેફાં ઉપરથી ધૂળ ખંખેરો.
પધારો જળ રૂપે ઈશ્વર, પધારો અન્ન રૂપે દેવ,
વલખતાં જીવના જડબાં ઉપરથી ધૂળ ખંખેરો
ગયું છો ધૂળમાં જીવન, મરણ તો સ્વચ્છ જોઈએ,
દુપટ્ટો ઝાટકો, પંખા ઉપરથી ધૂળ ખંખેરો.
– ભાવિન ગોપાણી
ટ્વેન્ટી- ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટ મેચ ગઝલ… ચૌદ-ચૌદ શેર પણ લગભગ બધા જ મનનીય… આખી ગઝલમાં આધુનિક ગઝલ અને પરંપરાની કૃતિ વચ્ચેની આવનજાવન મનભાવન રીતે સતત વર્તાયે રાખે છે. કવિ પડછાયા ઉપરથી ધૂળ ખંખેરવા કહે છે ત્યારે નવી ગઝલનો રણકો સંભળાય છે, એ જ રીતે પ્રણયના કિસ્સા પરથી ધૂળ ખંખેરવા આહ્વાન આપે છે ત્યારે પરંપરાની ગઝલરીતિ પ્રતીત થાય છે. બંનેની મજા છે અને બંને અહીં હારોહાર માણી શકાય છે. ‘ધૂળ ખંખેરવી’ રુઢિપ્રયોગનો કવિએ વાચ્યાર્થ મુજબનો કસ તો કાઢ્યો છે, પણ એનો જે ખરો અર્થ છે – સખત ધમકાવવું, ખૂબ ઠપકો આપવો-એ ઉજાગર કરતો એકાદ શેર પણ અહીં ઉમેર્યો હોત તો ગઝલ છે એથી વધુ સરાહનીય થઈ શકી હોત.
Permalink
April 4, 2025 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
કવિ! તમારી ટહુકા કરતી આંગળીઓ
ફાગણિયે મ્હોરેલી લહલહ ડાંખળીઓ!
કાગળ પર રૂમઝૂમતી આવી પૂતળીઓ
જેવું ફળિયામાં રમતી હો ઓકળીઓ!
તપ તૂટ્યાં તતકાળ કે બ્હેકી પાંસળીઓ
પરાગરસથી છલછલતી અડકી કળીઓ!
હોય નહિ સળિયો એવું એક ઘર ગોતું
મગચોખાથી રસબસતી ગોતું સળીઓ!
કળીઓ છે કે અલકમલકતી સખીઓ છે…
કાગળિયો છે કે ઝિલમિલતો ઝાકળિયો!
ઊગશે એઠાં બોરાં કે ફળશે દાતણ?
કોણે મારે આંગણ વાવ્યો છે ઠળિયો?
કવિ! તમારી સંગે સોહે એમ કલમ
જેમ કાનજી સંગે સોહે વાંસળીઓ!
– લલિત ત્રિવેદી
શીરાની જેમ ગળેથી ઉતરી જતી આજની ગઝલોથી સાવ ઉફરી ચાલતી એક રચના આજે માણીએ. આસાનીથી અથવા થોડા પ્રયત્ને સમજી શકાય એવા શેરોની વચ્ચે એબ્સ્ટ્રેક્ટ શેર પણ અહીં જોવા મળે છે. ક્યાંક થોડી કૃતકતા પણ અનુભવાય, પણ સરવાળે આ ગઝલ સ-રસ અનુભૂતિ કરાવે છે. મારું મન તો મત્લાએ જ મોહી લીધું. ફાગણિયો આવતાં જ વૃક્ષોની ડાળખીઓ લહલહ મહોરી ઊઠે છે એ કલ્પન કવિની કવિતા કરતી આંગળીઓ સાથે સાંકળી લઈને કવિએ અલગ જ કમાલ કરી છે. ડાળખીઓ માટે કવિએ ડાંખળીઓ શબ્દ પ્રયોજ્યો છે. ડાંખળીનો શબ્દકોશીય અર્થ ભલે ડાળખી જ કેમ ન થતો હોય, એનો લોકકોશીય અર્થ તો સૂકાઈ ગયેલી ડાળખી જ. એટલે કાફિયાની જરૂરિયાત ઉપરાંતનું કવિકર્મ પણ અહીં આપણને નજરે ચડે છે. પાનખરમાં સૂકાઈ ગયેલ ડાળીઓ ફાગણમાં લીલીછમ્મ થઈ જાય છે અને કોકિલના ટહુકાઓ છલકાવવાનું નિમિત્ત બને છે. બાકીની ગઝલ સહુ પોતપોતાની સમજ પ્રમાણે પ્રમાણે…
Permalink
April 3, 2025 at 12:30 AM by વિવેક · Filed under અરુણ દેશાણી, ગઝલ
મખમલ જેવી રાત ગમે છે,
તું સપનામાં આવ, ગમે છે.
ઢળતી સાંજે હળવે હળવે-
હાથોમાં લે હાથ, ગમે છે.
આવ ન આવે, તારી મરજી,
તારી જોવી વાટ ગમે છે.
કેટકેટલા ગમતા ચહેરા,
પણ સૌમાં તું ખાસ ગમે છે.
હું પણ ક્યાં એ જાણું છું કે-
તું જ મને શું કામ ગમે છે!
એકબીજાને વળગી જઈને
વરસે એ વરસાદ ગમે છે.
– અરુણ દેશાણી
સરળ ભાષામાં સુંદર ગઝલ… ભાષાના કોઈપણ પ્રકારના બાહ્યાડંબર વિના પણ સારી કવિતા કઈ રીતે થઈ શકે એ સમજવું હોય તો આ ગઝલ પણ ખપમાં આવે એવી છે. નાની બહર, સરળ આકારાંત કાફિયા, ગમ્યા વિના ન રહે એવી ‘ગમે છે’ રદીફ અને સર્વપ્રિય પ્રણયરસનો વિષય ધરાવતી આ ગઝલ વાંચતાવેંત દિલને સ્પર્શી જાય એવી છે.
Permalink
March 29, 2025 at 12:30 AM by વિવેક · Filed under પુષ્કરરાય જોષી, શેર, સંકલન

કાગળની હોડીમાં બેસી-
સાત સમંદર તરવા બેઠો.
જિંદગીની સેજ કાંટાળી હતી,
ફૂલ માફક તોય સંભાળી હતી.
ચાંદ દેખાયો નહીં તો શું થયું!
તારકોએ રાત અજવાળી હતી.
જિંદગી જામથી છલોછલ છે,
પ્યાસ તોયે રહી અધૂરી છે.
રાહમાં તો પથ્થરો આવ્યા કરે,
કિંતુ ઝરણું ક્યાં કદી રોકાય છે!
વાદળાં ટોળે વળે છે સાંજના,
શૂન્યતા ઘેરી વળે છે સાંજના.
વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે?
જે થવાનું તે જ અંતે થાય છે.
કાળ લાગે શબ્દ સામે વામણો,
શોક જ્યારે શ્લોકમાં બદલાય છે.
દોસ્ત! ભરતી-ઓટ શો સંબંધ છે,
રેત પર પગલાં છતાં અકબંધ છે;
આ સમંદર એ નથી બીજું કશું,
આંસુનો તૂટી પડેલો બંધ છે.
– પુષ્કરરાય રેવાશંકર જોષી
લયસ્તરો પર કવિના કાવ્યસંગ્રહ ‘દિવ્યઘોષ’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી કેટલાક શેર અને એક મુક્તક અત્રે પ્રસ્તુત કરીએ છીએ…
Permalink
March 28, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત, વિવેક મનહર ટેલર

પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી
*
નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?
પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.
દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…
– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)
કવિશ્રી અનિલ જોશીને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે આ આખરી પુષ્પ મારા તરફથી… ઉપર પોસ્ટ કરેલ કવિના એક ગીતમાંથી પ્રેરણા લઈ લખેલ ગીત વડે કવિને શ્રદ્ધાંજલિ આપી અનિલ વિશેષ અહીં અટકાવીએ છીએ, કવિની એક એકથી ચડિયાતી રચનાઓ સાથે ભવિષ્યમાં પણ મળતા રહેવાના વચન સાથે…
Permalink
March 27, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત, રમેશ પારેખ

ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાન રે ભૂલી ગઈ,
કે ફળિયે બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ.
ચાંચમાં જેટલું જળ સમાયું એટલું લઈ ચકલી ઊડી ઝાડવે બેઠી જેમ,
રાસમાં જેટલી તાળિયું મળી એટલી લઈ હુંય રે છાની ઉંબરે બેઠી એમ.
તાળિયું કેવળ ખડનો પૂળો હોત તો છૂટી જાત હું એને છાપરે ફેંકી દઈ…
ગીત ગળામાં, પગમાં ઝાંઝર, રાતનો ગજર, ચોકમાં હજી રાસડે ઘૂમે ગામ,
પાંખ વિનાની ચકલી ઉપર કેટલા ઓરા, કેટલાં ઝાઝાં આભ તોળાતાં આમ!
ઢોલને ઝીણે ચામડે ચાંદો સાંભળી મારી કેટલી પૂનમ તોછડી તૂટી ગઈ.
– અનિલ જોશી / રમેશ પારેખ
પૂર્વભૂમિકા (રમેશ પારેખના શબ્દોમાં)
અનિલ (૬-૧૦-૮૫ના દિવસે) અમરેલી આવ્યો, લગભગ વીસ વરસ પછી, અમે એક દિવસમાં વીસ વરસ પહેલાંના સમયને જીવવા બાથોડિયાં માર્યાં. ભાવવિભોર અનિલે કહ્યું–આપણે એક સંયુક્ત ગીત લખ્યાને વીસ વરસ થવા આવ્યાં. એના ઉપલક્ષ્યમાં આ અધૂરું ગીત. લે, પૂરું કર.’
આજે આ ગીત પૂરું કર્યું. અગાઉ લખેલા સંયુક્ત ગીત ‘ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં’ ‘સમર્પણ’માં છપાયું હતું.
વીતેલાં વરસોએ મને થોડા રૂપેરી વાળની ભેટ આપી છે, લો, અમે આવી ગયા. મહાયાત્રાની તૈયારી કરો!” એ આદેશ કહેતા, કાનમાં ઝૂકેલા, કાનપટ્ટી પાસે સફેદ વાળ ઉગાડ્યા છે, ચશ્માંના ગ્લાસ જાડા બનાવ્યા છે, ઝીણીઝીણી અસંખ્ય મુગ્ધતાઓ છીનવી લીધી છે, જે કંઈ છીનવાઈ ગયું છે વીસ વરસોમાં તે માટે સમયને માફ કરી દેવાની વૃત્તિય જન્માવી છે. અનિલ ને રમેશની આંખો વચ્ચે મુંબઈ-અમરેલીનો પાંચસો માઈલનો પટ્ટો પાથરી દીધો છે.
અધૂરા ગીતને ટેકે વીસ વરસ પાછા પગે ચાલવાના મારા પ્રયત્નો દુ:ખદ છતાં અનુભવ સુખદ રહ્યા…
શરૂઆતની ચાર લીટીઓ અનિલની, ત્યાર બાદ આગળ વધતી કડીઓ મને સૂઝી.
– રમેશ પારેખ (તા. ૨૮-૧૧-૮૫)
Permalink
March 26, 2025 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગઝલ

શાંતિ પછી તોફાનની વણજાર થઈ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઈ શકે.
એવું નથી કે હાથમાં કરતાલ જોઈએ,
આ નેજવું પણ હાથનો શણગાર થઈ શકે.
દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઈ શકે.
કોયલની લાશ સાચવી છે એવી આશથી,
આંબાના વૃક્ષમાં ફરી ટહુકાર થઈ શકે.
એવા ઘણાય હોય છે જે વાતવાતમાં,
પૂરી ગઝલ લખીને ઓમકાર થઈ શકે.
– અનિલ જોશી
પ્રમુખતઃ ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીની ગઝલો શોધવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ કદાચ વધારે થઈ પડે. પણ જેટલી ગઝલ મળે છે, એ બધી જાનદાર છે. કવિએ શિકાગો લાઇફલાઇન ઉપર ત્રણ ગઝલોનો નાનકડો સંપુટ આપ્યો છે. એમાંની આ પહેલી છે. પાંચ શેરની આ ગઝલ સમજૂતિની મહોતાજ નથી. એને એમ જ આસ્વાદીએ…
ગઝલ પોસ્ટ કરી દીધા બાદ છંદ તરફ ધ્યાન ગયું. ગઝલનો મુખ્ય સૂર ગાગાલગા લગા લલ ગાગાલગા લગા છંદ તરફનો છે, પણ કવિએ ઘણી બધી પંક્તિઓમાં ભૂલ કરી છે. રમેશ પારેખની જેમ અનિલ જોશી પણ વસ્તુતઃ ગીતકાર વધારે હોવાના કારણે ગઝલ પણ લયપ્રવાહમાં દોરાઈને લખતા હોવા જોઈએ, જેના કારણે આવી ક્ષતિઓ જન્મ લે. અન્ય ગઝલકારો પોતાના છંદદોષને છાવરવા માટે આવી રચનાઓનો ઉપયોગ ન કરે એ જ ગુજરાતી ગઝલના હિતમાં છે…
Permalink
March 25, 2025 at 11:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ઊર્મિકાવ્ય

(વસંતતિલકા)
ઊંચે ચડ્યું ગગનમાં સરતું વિમાન
નીચે હતો ઘૂઘવતો દરિયો અપાર
ઝાંખી હતી ધુમસમાં સઘળી દિશાઓ
ધીમેકથી શિશુ સમો તડકો, અડી ગ્યો.
ઉજાગરા નયનમાં ચમકંત જાણે—
નાઇટલૅમ્પ સળગે હળવા પ્રકાશે!
કૅસેટમાં વગડતી શરણાઈ ધીમે વ્હેલી
સવાર ફરતી પરિચારિકાશી! પંખી નથી,
ઝરણ નૈ, નથી હાડ, કેડી કેવું સવાર પડતું
ઊડતા વિમાને? ભૂમિ વિના ગગનને અહીં
ધોઈ પીવું? બારી ખોલું? કદીય જે ઊઘડી
શકે ના? ચાંપું દબાવી જગનો વ્યવહાર
ચાલે રિમોટ અંકુશ હરિ, તુજ હાથ જોઉં.
– અનિલ જોશી
જે જમાનામાં સૉનેટનું ચક્રવર્તી શાસન હજી અસ્તાચળે નહોતું ગયું એ જમાનામાં અનિલ જોશીએ એકેય સૉનેટ ન લખ્યું એ વાત નવાઈ જન્માવે એવી છે. પ્રસ્તુત છંદોબદ્ધ ઊર્મિકાવ્યમાં એક જ પંક્તિ ઉમેરીને કવિ સૉનેટ રચી શક્યા હોત,પણ પોતે જે કહેવું છે એ તેર પંક્તિઓમાં કહેવાઈ જતાં ચૌદમી પંક્તિના ઉમેરણનો લોભ કરવાથી કવિ દૂર રહી શક્યા છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. નદી-ઝરણાં, ભૂમિ-રસ્તા, પશુ-પંખી કશુંય નજરે ન ચડતું હોય એવા ખાલીખમ આકાશમાં ઊડતા વિમાનમાંથી કવિ સવાર પડતી જોઈ રહ્યા છે. વિમાનની અંદર-બહારના વાતાવરણનું સજીવ વર્ણન કર્યા બાદ કવિ સવાર પડતી જોઈને બારી ખોલું કે કેમ એ વિચારે વિમાસે છે. વિમાનના સોફેસ્ટિકેટડ વાતાવરણમાં પણ ધરતી વિનાના ગગનને શું ધોઈ પીવું જેવો તળપદી રુઢિપ્રયોગ કવિઉરે જન્મ્યા વિના રહી શક્યો નથી. જે બારી કદી ખૂલી જ નથી એને ખોલવાનો વિચાર કવિની પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવવાની ઉત્કંઠાનું પ્રતીક છે. વિમાનની અંદરનો બધો વ્યવહાર ચાંપ દબાવીને થતો જોઈ કવિને ઈશ્વર યાદ આવે છે. દુનિયાનું રિમોટ કંટ્રોલ ઈશ્વરના હાથમાં રહેલું છે એ સ્મરણ સાથે કવિ સૉનેટા જેવી ચોટ સાથે કાવ્ય પૂર્ણ કરે છે.
Permalink
March 24, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી, ગદ્ય કાવ્ય

બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….
– અનિલ જોશી
બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…
Permalink
March 23, 2025 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અનિલ જોશી

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા દીવાનખાનામાં
પિયાનોની કાળી અને ધોળી ચાલનાં પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ એકાએક અટકી પડી.
કાનમાં સન્નાટો ભરાઈ ગયો
અમે બે મિનિટની દાબડીમાં
મૌન ગોઠવીને ઊભા રહ્યાં.
પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.
આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.
– અનિલ જોશી
માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.
Permalink
Page 4 of 118« First«...345...»Last »