ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મિર્ઝા ગાલિબ

મિર્ઝા ગાલિબ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગાલિબના જન્મદિને – ઉદયન ઠક્કર

આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:

ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના

(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)

જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.

તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના

(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)

એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!

શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા

(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)

મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.

ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?

ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’

-ઉદયન ઠક્કર

( સૌજન્ય – ઉદયન ઠક્કર )

Comments

શેર – मिर्ज़ा ग़ालिब

बंदगी में भी वो आज़ादा ओ ख़ुद-बीं हैं कि हम
उल्टे फिर आए दर-ए-काबा अगर वा न हुआ

– मिर्ज़ा ग़ालिब

અમે બંદગીમાં પણ એવા આઝાદ અને ખુદ્દાર છીએ, કે ઊંધા ફરી ઉતરી આવ્યા જો સામે કાબાનો દરવાજો ખુલ્યો નહિ.

ઘણો જાણીતો શેર છે. અહીં ગાલિબનો અસલ અંદાઝે-બયાં જોવા મળે છે. સામાન્ય વાંચને આ ગાલિબની ખુદ્દારી-આત્મસન્માનની વાત લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ તો ખ્યાલ આવે કે કાબાનો દરવાજો, જે કદી બંધ હોતો જ નથી, તેના રૂપકને પ્રયોજીને ગાલિબ કંઈ જુદું જ કહેવા માંગે છે.

ઈશ્વર ખુદ હો, ઈશ્વરસમક્ક્ષ કંઈક હો, આત્મીય સંબંધ હો…….કંઈપણ અમૂલ્ય વસ્તુ કેમ ન હો – જો તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આત્મગૌરવનો હ્રાસ હોય તો સમજી જવું કે ક્યાંક આપણી premises માં જ ભૂલ છે. ઊંધા ફરી આવી જવું અને ગંતવ્યને ફરી ફરી ચકાસવું – ક્યાંક આપણે મિથ્યાઈશ્વરને તો પૂજી નથી રહ્યાને ! સાચો ઈશ્વર,સાચો સંબંધ કદી આગંતુક ભક્તના મોઢે દરવાજા અફાળીને વાસી ન દે……

આ શેર સાથે જ ગુલઝારની ફિલ્મ ‘માચિસ’ નું ગીત યાદ આવ્યા કરે છે….. ” છોડ આયે હમ વો ગલિયાં…….. ”

Comments (1)

ગઝલ – મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

લો, ફરી દિલમાં બેકરારી છે;
ચોટ ખાવાની ઈંતજારી છે.

કાળજું કોર્યું લો અમે જ સ્વયમ્,
ઋત વસંતોની આવનારી છે.

એ જ નિ:શ્વાસ, આહ, ફરિયાદો
એ જ આંખેથી રક્ત ઝારી છે.

મરવું પાછું એ બેવફા ઉપર
એ જ શાપિત દશા અમારી છે.

આંખ ઝંખે છે એ જ બદનામી,
લક્ષ્ય દિલનુંય બસ ખુવારી છે.

થઈ ગયું ચારેકોર અંધારું,
જુલ્ફ શું કોઈએ પ્રસારી છે.

વ્યર્થ આ વ્યગ્રતા નથી ‘ગાલિબ’,
કંઈ તો છે જેની પરદાદારી છે.

– મિર્ઝા ગાલિબ ( અનુ. મુસાફિર પાલનપુરી)

Comments (4)