સાંજના પડછાયા જેવી જિંદગીનું શું કરું ?
હું વધું આગળ જરા ત્યાં એ ખસે પાછળ જરા.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

કોને મળું ? – મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

ભીડના દરબારમાં કોને મળું ?
રેતની વણઝારમાં કોને મળું ?

લોક કિનારા ઉપર મળતાં ડરે,
હું હવે મઝધારમાં કોને મળું ?

મૌનના હોઠો તણી ઝુંબિશ લઈ,
શબ્દની જંજાળમાં કોને મળું ?

અજનબી થઈને મળે મિત્રો બધા,
ખોખરા સંસારમાં કોને મળું ?

સાથમાં વર્ષો રહ્યાં પણ ના મળ્યાં,
હું હવે પળવારમાં કોને મળું ?

કોઈ મળતું પણ નથી ઘરમાં હવે,
તો પછી પરસાળમાં કોને મળું ?

-મોહમ્મદ અલી ભૈડુ ‘વફા’

Comments (2)

પુસ્તક પ્રસારના કસબી

લોકમિલાપનું નામ કોઈ ગુજરાતી માટે અજાણ્યું નથી. ગુજરાતી લોકોને વાંચવાનું વળગણ લગાડવા માટે લોકમિલાપે જેટલું કામ કર્યું છે એટલું કદાચ બીજા કોઈએ કર્યું નથી. સુંદર પુસ્તકો સસ્તી કીંમતમાં વર્ષોથી લોકમિલાપ પ્રગટ કરે છે. સૂરતમાં લોકમિલાપનો પુસ્તકમેળો દર વર્ષે જાન્યુઆરી મહીનામાં એકાદ અઠવાડિયા માટે આવતો. અમે દોસ્તો લગભગ રોજ એની મુલાકાતે જતા. ગુજરાતીના શ્રેષ્ટ પુસ્તકોની આ મેળામાં ઓળખાણ થતી.

લોકમિલાપના સ્થાપક એ શ્રી મહેન્દ્ર મેધાણી. ઝવેરચંદ મેઘાણીના એ દીકરા થાય. એમના વિષે નાનો મઝાનો લેખ આઉટલૂકમાં વાંચવામા આવ્યો. આ લેખ ખાસ વાંચવાલાયક છે. એમના વિષે વધુ માહિતી અહીં પણ ઉપલબ્ધ છે.

ગુજરાતી પુસ્તકોના પ્રસાર માટે આવું પાયાનું કામ કરનાર મહાનુભવને સલામ !

Comments

લાગણી મારી સતત રણભેર છે

લાગણી મારી સતત રણભેર છે,
ક્યાં કદી ઈચ્છા બધી થઈ જેર છે ?

આપ જેને ગણતાં હો ખુદની ફતેહ,
ઢેર ત્યાં લાશોનાં બસ, ચોમેર છે.

મ્યાન જે હોય અર્થ એનો કંઈ નથી,
હોય હાથે એ જ તો સમશેર છે.

એ ચડે નજરે ને દિલમાં હાશ થાય,
લોક એવા પણ હજીયે, ખેર ! છે.

આમ વરસો આપ કોઈના ઉપર,
જાત સામેનું શું કોઈ વેર છે ?

હો ગઝલ સૌ અટપટી એવું નથી,
સાવ સાદા પણ ઘણાં યે શેર છે.

– ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (1)

નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખુદના બંધનનો,
બહારનો કોઈ ચોકિયાત નથી.

તેથી તો પુનર્જન્મમાં માનું છું
આ વખતની હયાત-હયાત નથી.

કયાંથી દર્શન હો આખા માનવનું,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઈને ડૂબું છું.
આ ફ્કત મારો આપધાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું
હજી હમણાં તો કંઈ જ વાત નથી

ભેદ મારા છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

Comments (1)

પ્રીત કીધી – જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!

પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.
એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!

– જયન્ત પાઠક

Comments

કહો – મનસુખ વાઘેલા

નજર કરું ત્યાં જળ વહેતું ને સેતુ ત્યાંના ત્યાં જ;
શ્વાસોનાં બિંબો ઝલમલતાં, પડછાયામાં સાંજ,
કહો હવે ક્યાં પડતું મેલું?

લોહી હોત તો ઠીક અરે! આ આંસુ કોને આપું?
ફૂલો વચ્ચે ઊભી ઝાકળ-જન્મારાને કાપું,
ઝાંઝવે હવે જવું શું વ્હેલું?

અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

– મનસુખ વાઘેલા

Comments (1)

આંખ સામે રાખીએ – મકરન્દ દવે

અફસોસને આસન કદી જો આપશું,
                      જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
                      ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;

આંખ સામે ઊગતો દિન રાખીએ,
                      જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
                      રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

મકરન્દ દવે

મકરંદ દવે એટલે “ગમતાંનો ગુલાલ” કરનાર ખુદાનો અલગારી બંદો. એમની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. સંતસાહિત્ય સાથે પ્રગાઢરીતે સંકળાયેલા મકરંદ દવેએ ભક્તિરસથી રંગાયેલી મસ્તીભરી કવિતાઓમાં અધ્યાત્મરંગને સહજરીતે સારવી આપ્યો છે. એમના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાવિષ્ટ છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, નિબંધો, નવલકથા, ગીતનાટિકા – આ બધા એમના કાવ્યપિંડની નિપજ છે. જન્મ: ૧૩-૧૧-૧૯૨૨. નંદીગ્રામ સંસ્થાના સર્જક. કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ વિ. ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા).

Comments (1)

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

Comments (14)

બહુ એકલવાયું લાગે છે – હેમેન શાહ

-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,
શું થાશે એ કહેવું ન સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,
સંકોચાતું મરજાદી જલ, બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,
બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

– હેમેન શાહ

Comments (4)

આ શ્હેર… – રમેશ પારેખ

આ શ્હેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહીં
આ ચહેરા પર બીજો ચહેરો ચિપકાવી દે, કહેવાય નહીં

આ સંકેતો, આ અફવાઓ, આ સંદર્ભો, આ ઘટનાઓ
આખેઆખો નકશો ક્યારે બદલાવી દે, કહેવાય નહીં

ઘરને ઘર કહીએ તો આ ઘર એક લૂનો ચોરસ દરિયો છે
ભરતી છે : દરિયો શું શું ડુબાવી દે, કહેવાય નહીં

સપનાંના છટકરસ્તે અહીંથી ભાગી નીકળે છે આંખો, પણ
પાંપણનું ખૂલી પડવું, પાછી સપડાવી દે, કહેવાય નહીં

દ્રશ્યો-દ્રશ્યો જંગલ-જંગલ ચશ્માં-ચશ્માં ધુમ્મસ-ધુમ્મસ
રસ્તા-રસ્તા પગલું-પગલું ભટકાવી દે, કહેવાય નહીં

ટાવર ધબકે, રસ્તા ધબકે, અરધો-પરધો માણસ ધબકે
કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે, કહેવાય નહીં

– રમેશ પારેખ

Comments (12)

બીજું કંઈ નથી અમે – ડૉ. વિવેક મનહર ટેલર

આગળ સદા જવાની સજા ભોગવી અમે,
જોઈ કિનારા વચ્ચે રિબાતી નદી અમે.

દિલગીર છું છતાં હું ન યાચી શકું ક્ષમા,
માફીની હદથી બહારની ભૂલો કરી અમે.

સુધરી ગયાં તો પણ સદા દુનિયાની દ્રષ્ટિમાં,
ચોર જ હતાં ને એજ હશું હર ઘડી અમે.

મતભેદ સારાં આ હતાં મનભેદથી વધુ,
લડતાં તો લાગતું કે હા, છીએ હજી અમે.

જીભેથી શાહી જખ્મોની ઊડી ન એથી તો
હોઠોની વચ્ચે શબ્દોને ફાંસી કરી અમે.

અજવાળું કાળી રાતનું દેખાશે શબ્દમાં,
હાથે ઉજાગરાની કલમને ગ્રહી અમે.

અંતે પડ્યો ન ફેર કશો, એનો અર્થ શો?
વાતો જીવનની સૌ ભલે કાવ્યે વણી અમે.

મારાથી પહેલાં મારું બધે નામ પહોંચી જાય,
શબ્દોની સાથે એવી કરી દોસ્તી અમે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

– ડૉ. વિવેક મનહર ટેલર

વિવેકની આ અને બીજી ઘણી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.

Comments (6)

ચાની દુકાનમાં – સુનીલ ગંગોપાધ્યાય

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

આ કથાકાવ્ય મારું અતિપ્રિય કાવ્ય છે. ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે. આજે માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા એ ઘા આ કાવ્યથી તાજો થઈ જાય છે. આ કાવ્ય વાંચતી વખતે કે દીલ ચાહતા હૈ જોતી વખતે એટલે જ આંખનો એક સૂનો ખૂણો ભીનો થઈ જાય છે. આ કાવ્ય અર્પણ છે નિર્બંધ આનંદમાં પસાર થયેલા એ દિવસોની ચિરયુવા યાદોને.

Comments (3)

કવિતા – અમૃતા પ્રીતમ

એક દર્દ હતું-
જે સિગારેટની જેમ
મેં ચૂપચાપ પીધું છે
ફક્ત કેટલાંક ગીત છે-
જે સિગારેટ પરથી મેં
રાખની જેમ ખંખેર્યાં છે !

અમૃતા પ્રીતમ

Comments (3)

સંયોગવર્ણન – નર્મદ

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;
પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.
બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;
નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.
ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

આખી કવિતા અર્થ સાથે કોમેન્ટ વિભાગમાં જુઓ.

સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. આજે નર્મદની પુણ્યતિથિ છે ત્યારે એક રતિકાવ્ય અહીં રજૂ કર્યું છે. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

Comments (3)

ક્યાં છે ? – સુધીર પટેલ

જાત આખીય હચમચી કયાં છે ?
વેદના પણ જરા બચી ક્યાં છે ?

વાર તો લાગશે હજી નમતા,
ડાળ લૂમે લૂમે લચી ક્યાં છે ?

એટલે શબ્દનાં વળે ડૂચા
વાત ભીતર કશી પચી ક્યાં છે ?

મૌન પથ્થર સમું ધરી બેઠા,
વાત મારી કોઈ જચી કયાં છે ?

સોળ શણગાર કૈં સજે ‘સુધીર’,
એ ગઝલ તો હજી રચી ક્યાં છે ?

– સુધીર પટેલ

સુધીર પટેલ નોર્થ કેરોલિના, યુએસએમાં રહે છે. એમની રચનાઓ ગુજરાતી ગઝલ, ઝાઝી.કોમ, ગઝલ-ગુર્જરી વગેરેમાં પ્રકાશિત થાય છે. એ ઉપરાંત એમના બે કાવ્યસંગ્રહો નામ આવ્યું હોઠ પર એનું અને મૂંગામંતર થઈ જુવો પ્રગટ થયા છે.

Comments (1)

ગઝલ શીખવી છે? – સરળ ભાષામાં પ્રાથમિક ગઝલશાસ્ત્ર

ગઝલ શીખવી છે? નામે સરળ ભાષામાં ગઝલરચનાનું પાયાનુ જ્ઞાન આપતી નાનકડી પુસ્તિકા આશિત હૈદરાબાદીએ તૈયાર કરી છે. આ પુસ્તિકા ભાઈ અમિત ત્રિવેદીની વેબસાઈટ ગુજરાતી ગઝલ પરથી ડાઉનલોડ કરી શકો છો. રસિકો માટે આવી માહિતી હાથવગી કરી આપતી આવી પહેલી પુસ્તિકા વેબ પર જોવામાં આવી છે. ગઝલ રચનાની આજ પ્રકારની માહિતી શ્રી રઈશ મનીયાર એમની લેખમાળા ગઝલનું છંદશાસ્ત્રમાં ગઝલ ગુર્જરીમાં રસપ્રદ શૈલીમાં હપ્તાવાર આપી રહ્યા છે.

Comments (8)

તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
          મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
          તને ભીનું ન લાગે તો હું શું કરું?
                    મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
          તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
                    મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
          તારે કહેવી હો હા ને તોય તું શું કરે
                    તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

Comments (7)

ગઝલ – મરીઝ

લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.

એની બહુ નજીક જવાની સજા છે એ,
મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો.

રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં,
મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો.

સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા,
દોઝખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો ?

એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો,
જેનો સમયની સાથે હ્રદયભાર પણ ગયો ?

એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે,
એવુંય કંઈ નથી કે અધિકાર પણ ગયો.

સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ,
પીનારા સાથે કામથી પાનાર પણ ગયો.

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે !
કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

‘ગુજરાતના ગાલિબ’ લેખાતાં મરીઝની આજે જન્મતિથિ છે. મારાં જ શહેર સુરતના પઠાણવાડામાં જન્મેલાં અને વ્યકિત તરીકે અત્યંત ‘લૉ-પ્રૉફાઈલ’ રહેલાં મરીઝ ગઝલકાર તરીકે સૂર્ય સમાન ઝળહળ્યાં છે. જેમની ગઝલમાં કવિતાનું ગૌરવ અને લોકપ્રિયતા, બંને સંપીને વસ્યાં હોય એવા જૂજ શાયરોમાંના અવ્વલ એટલે મરીઝ. મૂળ નામ અબ્બાસ અબ્દુલઅલી વાસી. શરાબખોરી, દેવાદારી અને ગઝલનો સમાન અને ઉત્કૃષ્ટ અંદાજે-બયાં મરીઝને ગાલિબની કક્ષાએ મૂકે છે. ૧૯૭૧ માં એમના સન્માનમાં એકત્ર થયેલાં પૈસા ખવાઈ ગયાં તો સદા ફાકા-મસ્તીમાં જીવેલાં આ ઓલિયા જીવે એમ કહીને ચલાવ્યું કે ‘ આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા !’ જન્મ: ૨૨-૨-૧૯૧૭ મરણ: ૧૯-૧૦-૧૯૮૩. કાવ્યસંગ્રહ: ‘આગમન’, ‘નક્શા’.

Comments (23)

ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

Comments (4)

મુક્તકો – શેખાદમ આબુવાલા

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઈ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કિનારો આવશે તો ખુદ અમે તોફાન થઈ જાશું.

– શેખાદમ આબુવાલા

Comments (4)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

અજવાળું જેના ઓરડે તારાં જ નામનું,
હું એ જ ઘર છું, એ જ ભલે ને ન આવ તું.

પહેર્યું છે એય તું જ છે, ઓઢ્યું છે એય તું,
મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો કટોરો ભલેને મોકલાવ તું.

‘મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ રેખા હથેળીમાં નથી તો પડાવ તું.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

(રાજેશ વ્યાસ (જન્મ : ૧૬-૧૦-૧૯૫૫) એના કાવ્યસંગ્રહમાં કહે છે: “પહેલી ગઝલ ક્યારે લખી એ યાદ નથી. પરંતુ હા, એટલું સ્પષ્ટ છે, મા શબ્દ પછી કોઈ બીજો શબ્દ મારા હ્રદયમાં રમ્યો હોય, મને પોતાનો લાગ્યો હોય તો તે ગઝલ છે.” એમની ગઝલોમાં ક્યાંક છંદ જળવાતો ન હોય એવું લાગે છે પણ એના વિશે કવિ પોતે બહુ સ્પષ્ટ છે: “ગઝલના છંદોને ઘણાં વરસ ઘૂંટ્યાં, પણ એ ઘૂંટવું ઘૂંટામણ બની જાય એ પહેલા છૂટી ગયું છે.”
સંગ્રહો : ‘તૂટેલો સમય’, ‘મત્લા’, ‘છોડીને આવ તું…’, ‘ગઝલવિમર્શ’, ‘મરીઝ અને તેની ગઝલો’, ‘અમર ગઝલો’[સંપાદન])

Comments (8)

તેજીની કવિતા – કવિ દલપતરામ

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

(શેરબજારની તેજી જ્યારે પૂરબહારમાં હતી ત્યારે વિવેકીને ભાન ભૂલાવે એવા સમયે કવિ દલપતરામ પણ કવિતાને બદલે શેર-સટ્ટાના કુ-છંદે ચડ્યા હતા. કવિએ તો નાણાં ગુમાવ્યા પણ ગુજરાતી ભાષાને આજદિન લગી વણખેડ્યા રહેલા શેરબજારની તેજી તથા સટ્ટાના પરિણામો જેવા વિષયો પર કેટલીક યાદગાર રચનાઓ મળી. અત્યારે જ્યારે ભારતના શેરબજારના ઇતિહાસે સર્વપ્રથમવાર દસ હજારનો સેન્સેક્ષ નિહાળ્યો છે ત્યારે આ કૃતિ સહજ જ પ્રાસંગિક બની રહે છે.)

Comments (1)

ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ

ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ PDF ફોરમેટમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ શબ્દકોશની પ્રસ્તાવનામાં શ્રી સુથાર લખે છે:

It is perhaps the first dictionary of the language created for the beginning student who is learning Gujarati language as a second language. It is also the first dictionary in Gujarati which gives phonetic transcription of the head words in International Phonetic Alphabet. Besides, it is also the first one that gives graphemic transcription of each head word.

આ જ સાઈટ ઉપર ગુજરાતી શીખવા માટે પાયાની માહિતી પણ છે. ભારત બહાર રહેતા કોઈને ગુજરાતી ભાષા શીખવા માટે આ સરળ રસ્તો છે.

Comments (5)

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.

Comments (11)

ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ અંગે હિમાંશુંભાઈ કીકાણીએ એક માહિતીપ્રદ પોસ્ટ એમના બ્લોગ અનુસંધાન પર મૂકયો છે. ગુજરાતી ભાષાની કુલ વેબસાઈટ માંડ 70-80 જેટલી છે. ગુજરાતીનો ઈન્ટરનેટ પર પ્રસાર હજુ પહેલી પગલી સમાન છે. ગુજરાતીને ઈન્ટરનેટ પર સ્થાપિત કરવા માટે આપણે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

ગુજરાતીને ઈન્ટરનેટમાં આગળ લાવવા માટે આટલા પગલાં ખાસ જરૂરી છે:

  • ગુજરાતી ભાષાને બધી સાઈટ Unicodeમાં જ હોવી જોઈએ. જેથી એ સાઈટ સહેલાઈથી જોઈ શકાય અને એમાંની માહિતી સર્ચ-એંજીનથી (દા.ત. ગૂગલ) સરળતાથી શોધી શકાય. ગુજરાતી છાપાઓએ આ બાબતમાંપહેલ કરવી પડે. આજે એક પણ છાપું Unicode વાપરતું નથી.
  • સસ્તા ભાવે કે મફત ગુજરાતી ફોંટ, વર્ડ પ્રોસેસર, ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન સોફટવેર વિગેરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
  • ગુજરાતીમાં અઢળક સાહિત્ય છે કે જે કોપીરાઈટથી બહાર છે. દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈની રચનાઓ. આ બધુ સાહિત્ય નેટ પર મૂકાવું જોઈએ. આ કામ સાહિત્ય પરિષદે કે પછી સુરેશ દલાલ જેવા કોઈ વ્યક્તિએ ઉપાડવું પડે.

Comments (9)

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

Comments (2)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Comments

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

Comments (9)

નહીં કરું – પ્રમોદ આહિરે

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

Comments (5)

ગઝલ ગુર્જરીનો નવો અંક

શ્રી આદિલ મંસૂરી સંપાદિત ગઝલ-ગુર્જરીનો નવો અંક વેબસાઈટ પર પ્રગટ થઈ ગયો છે. PDF ફોરમેટમાં આ અંક આપ ગઝલ-ગુર્જરી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક શ્રી રાજેન્દ્ર શુક્લને અર્પણ કરેલો છે. રાજેન્દ્ર શુક્લ ઉપરાંત આ અંકમાં હરીન્દ્ર દવે, અદમ ટંકારવી, ચિનુ મોદી, અશરફ ડબાવાલા, પંચમ શુક્લ વગેરે ગઝલકરોની સુંદર રચનાઓ છે. સાથે રઈશભાઈની ગઝલનુ છંદશાસ્ત્ર લેખમાળાનો પાંચમો ભાગ પણ છે. આપે ન વાંચ્યા હોય તો પહેલાના પાંચ અંકો પણ ઉપલબ્ધ છે.

Comments

વાતોની કુંજગલી – જગદીશ જોષી

વાતે વાતે તને વાંકું પડ્યું :
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
          મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
          પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
          હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
          કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
          કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

Comments (3)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(રઈશભાઈના પુસ્તકો – ગઝલ સંગ્રહો : કાફિયા નગર, શબ્દ મારાં સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી., નિહાળતો જા..(આગામી), પરણીને પહતાય તો કે’તો ની.(હાસ્ય ગઝલસંગ્રહ)
અન્ય : માહોલ મુશાયરાનો(ઉર્દૂ શે’રોનો આસ્વાદ), મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ, કૈફી આઝમીના કાવ્યો(અનુવાદ), તરકશ-જાવેદ અખ્તરના કાવ્યો (અનુવાદ), બાળઊછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?, તમે અને તમારું નિરોગી બાળક )

Comments (2)

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા’નજી
                              ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
                              ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
                              ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)

Comments (4)

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

Comments (5)

ઝાકળનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
                મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
                વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
                મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
                ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
                લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
                અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
                યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
                હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

Comments (1)

યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સંપૂર્ણ ગઝલ, વિવેકે મોકલ્યા મુજબ. ( જુઓ કોમેન્ટ્સ)

Comments (13)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

(ડૉ. રઈશ એ. મનીઆર (૧૯-૮-૧૯૬૬) વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત અને કર્મે કવિ. મારા જ શહેરના અને મારા કાવ્યગુરૂ રઈશ ગુજરાતી ભાષાની ઝળહળતી આજ અને આવતીકાલ છે. ધર્મ અને સમાજના ઢાંચાને એ વર્ષો પહેલાં જ વળોટી ગયેલાં અને એના પુરાવા કોલેજના નોટીસબૉર્ડ પર એમની કવિતાની નીચે લખેલા નામના પ્રથમ મૂળાક્ષરો R.A.M. થી માંડીને હિંદુ છોકરીને જીવનસાથી બનાવવા સુધી વિસ્તરેલા છે. ધોમધીખતી તબીબી પ્રેક્ટીસને નિયંત્રિત કરીને શબ્દની આરાધના કરવાનું તપ ફક્ત સરસ્વતીનો આ અલગારી ઉપાસક જ કરી શકે. ગઝલના છંદોને સંગીતના સૂર સાથે સાંકળીને સાવ સરળ બનાવતું પુસ્તક, ગુલઝારની કવિતાઓનો સમાન છંદસહિત અનુવાદ તથા ઊર્દૂ અને ગુજરાતી ગઝલનો ઇતિહાસ – આ ત્રણ આગામી પુસ્તકો નિઃશંક આપણી ભાષાના સીમાચિહ્ન બની રહેશે.)

Comments (5)

હું ગુર્જર ભારતવાસી – ઉમાશંકર જોશી

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું….

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું….

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.

(ઉમાશંકર જેઠાલાલ જોશી ગાંધીયુગની ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ હતાં. ઉમાશંકર માત્ર કવિ ન્હોતાં, એ તો ગુજરાતી ભાષાનો ગરવો શબ્દ હતાં. એમના વિશે લખવું એટલે સૂર્યને દિવો ધરવો. ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’થી લઈને ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ ની શાતા સુધી તો એ જ લઈ જઈ શકે જેના ઉરમાં ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ નું બીજ અંકુરિત થયું હોય.)

Comments

એક સૂર્ય : ત્રણ રણ (તાન્કા) – કિશોરસિંહ સોલંકી

સવાર  

વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.

બપોર

હરણાં ઊભાં
પીએ મૃગજળને
ખજૂરી દોડે
વાયરાની વચાળે
જુએ હાંફતું રણ.

સાંજ

ચોળતો આંખો
ક્ષિતિજના માળામાં
લપાતો સૂર્ય
ધીમે કંકુ પગલે
આથમે ભીનું રણ.

– કિશોરસિંહ સોલંકી

રણ અને સૂર્યની દૈનિક રમતને કવિએ આ તાન્કા-ત્રયીમાં વણી લીધી છે. તાન્કા (હાઈકુની જેમ જ) જાપાની કાવ્યપ્રકાર છે. 31 શ્રુતિઓની કુલ 5 પંક્તિઓથી તાન્કા બને છે. પહેલી ત્રણ પંક્તિઓમાં હાઈકુની જેમ જ 5-7-5 શ્રુતિઓ હોય છે અને છેલ્લી બેમાં સાત-સાત શ્રુતિઓ હોય છે.

Comments (1)

દુર્દશાનો એટલો આભાર હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

– મરીઝ

Comments (9)

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

Comments (4)

ગઝલ – શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

‘ગઝલનો ગિરનારી મિજાજ’ ધરાવનાર શ્યામ સાધુ (૧૫-૬-૧૯૪૧ થી ૧૬-૧૨-૨૦૦૧) નું મૂળ નામ શામળદાસ સોલંકી. એમની ગઝલોનો અલગારી મિજાજ તો એમના ગઝલ સંગ્રહ ના નામ પરથી જ તાદ્દશ થાય છે – ‘યાયાવરી’, ‘અને થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય’.

Comments (7)

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

(કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)

Comments (8)

દિલ – મનહર મોદી

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

Comments (3)

ચૂમી છે તને – મુકુલ ચોકસી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

Comments (11)

જીવનનો માર્ગ – ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-‘બેફામ’

બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.

Comments (11)

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

Comments (13)