સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે
હરકિશન જોષી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
April 23, 2006 at 6:20 AM by વિવેક · Filed under રવીન્દ્ર પારેખ
કોઈ પણ રીતે ન એની ગડ મળે,
બીજમાંથી કઈ રીતે એક વડ મળે ?
બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.
એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.
કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.
કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,
એ વિના ના ભીતરે ભેખડ મળે.
કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.
મારા જ શહેર સુરતના રવીન્દ્ર પારેખ (21-11-1946) એટલે નખશીખ પ્રયોગશીલ કવિ. એમની કવિતામાંથી જ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાંથી એક અજબ અજંપો તમને સતત ઝરતો અનુભવાય. સુંદર કવિ હોવા ઉપરાંત સારા વાર્તાકાર અને વિવેચક પણ ખરાં. એમનો પુત્ર ધ્વનિલ પણ સારો કવિ છે. કાવ્યસંગ્રહ: ‘ એ તો રવિન્દ્ર છે’.
Permalink
April 22, 2006 at 11:29 AM by ધવલ · Filed under બ્લોગજગત
ગુજરાતી બ્લોગજગત હવે ઝડપથી વિસ્તરતું જાય છે. બીજા બે નવા બ્લોગ એમાં ઉમેરાયા છે.
પહેલો છે, હૈદરાબાદથી સૂરજ નાહરનો બ્લોગ દસ્તક. એ મારી જેમ જ સૂરતના છે પણ હવે સૂરતથી દૂર રહે છે. અને મારી જેમ જ સૂરત શહેરને ખૂબ યાદ કરે છે. એ મૂળ હિન્દીભાષી છે અને કેટલાક સમયથી પોતાનો હિન્દી બ્લોગ ચલાવે છે. એમની ઓળખાણ એમના પોતાના જ શબ્દોમાં જુઓ.
राजस्थान के उदयपुर (अब राजसमन्द) जिले के देवगढ नामक कस्बे में जन्म हुआ, शिक्षा ज्यादा नही हुई, हिन्दी माध्यम से ११वीं (हायर सैकेन्डरी) तक ही कर पाया, परन्तु हमेशा कुछ नया सीखने की आदत ने कम्प्युटर का चस्का लगा दिया, अंग्रेजी बहुत कम जानता हुं लेकिन इस का कोई गम नहीं, हिन्दी में मुन्शी प्रेम चन्द जी से लेकर गुजराती के पन्ना लाल पटेल तक को पढा है.
અને બીજો છે નેહા ત્રિપાઠીનો બ્લોગ સ્નેહ સરવાણી. આ બ્લોગ પર હજુ એક જ પોસ્ટ છે અને એ છે સ્વરચિત કવિતાનો. (આભાર, મૌલિક)
Permalink
April 22, 2006 at 9:34 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !
પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.
Permalink
April 21, 2006 at 3:23 PM by ધવલ · Filed under ગીત, ગીતા પરીખ
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!
હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.
પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
– ગીતા પારેખ
Permalink
April 21, 2006 at 11:26 AM by ધવલ · Filed under મુક્તક, રઈશ મનીયાર
આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ –
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?
– રઈશ મનીયાર
Permalink
April 20, 2006 at 1:06 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !
તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
ડૉ. વિવેક મનહર ટેલર
Permalink
April 19, 2006 at 8:47 PM by ધવલ · Filed under ગઝલ, બ્લોગજગત, મનોજ ખંડેરિયા
લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ
આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ
હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ
– મનોજ ખંડેરિયા
આજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં કીરણે આ ગઝલના છેલ્લા શેરના માત્ર આછાપાતળા શબ્દો મૂક્યા ને પૂછ્યું કે કોઈ પાસે આ ગઝલ છે કે કેમ. મયૂરે તરત જ શેર પૂરો કરી આપ્યો. અને હું ઘરે આવીને પૂરી ગઝલ શોધું એ પહેલા તો ભૈડુસાહેબે એને ગૃપ પર પોસ્ટ કરી પણ દીધી ! ઈંટરનેટ પર ગુજરાતી કવિતામાં વધતા જતા રસની આ નિશાની છે. આમ આંતરરાષ્ટ્રીય સહકારથી સાંભરેલી આ ગઝલ તમે પણ માણો.
આની સાથે જ આગળ રજૂ કરેલી મનોજ ખંડેરિયાની જ બે ગઝલ પણ જોશો – વિકલ્પ નથી અને એમ પણ બને .
Permalink
April 19, 2006 at 12:11 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે !
શેખાદમ મુક્તકના માણસ હતા. એમણે મુક્તકોનો એક અલગ સંગ્રહ કરેલો. એમના મુક્તકોમાં એમનુ વ્યક્તિત્વ છલકી ઊઠે છે. એ વ્યંગ સાથે નાનકડી સરસ ટકોર મૂકે છે. પહેલા રજૂ કરેલા મુકતકો પણ માણો : તાજમહાલ, ગાંધી અને મુહોબ્બતના સવાલોના.
Permalink
April 18, 2006 at 8:11 PM by ધવલ · Filed under આશા પુરોહિત, ગીત
આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.
શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?
નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?
– આશા પુરોહિત
આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.
Permalink
April 17, 2006 at 8:04 PM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
આરસીમાં ડાબું જમણું હોય છે
ભૂમિતિનું એ ઉઠમણું હોય છે
જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે
દિનની ઈચ્છાઓનું ભારણ રાતમાં
કોણ જાણે કેમ બમણું હોય છે
જે ફરે છે દિવસે થૈને અનાથ
રાત્રે જન્મેલું એ સમણું હોય છે
– શેખાદમ આબુવાલા
Permalink
April 16, 2006 at 1:14 AM by વિવેક · Filed under ગરબી, દલપતરામ
જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૪
કવિ દલપતરામ
શાળેય પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી આ સુંદર રચના એ સમયના કવિકર્મની આરસી છે. પ્રત્યેક કડીના આરંભે આકાશ તથા કાળનું એકએક પરસ્પર ભિન્ન એવું લક્ષણ દર્શાવી, ‘કહે સૈયર તે કોણ હશે?’ એવો પ્રશ્ન અને બીજી પંક્તિમાં લક્ષણની પૂર્તિ કરતા સૈયરના જવાબ સાથે ધ્રુવપંક્તિ કે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ એ રીતિ વડે આકાશ તથા કાળની આશ્ચર્યજનક લાક્ષણિકતાઓનું કવિ બયાન કરે છે. અનાદિ અનંત એવું આકાશ તથા એવો કાળ ખરે જ આ વિશ્વનું અકળ ‘અચરજ’ છે અને તેથી જ તે આ કાવ્યનો એક રસમય વિષય પણ છે.
Permalink
April 15, 2006 at 10:00 AM by વિવેક · Filed under ગઝલ, માધવ રામાનુજ
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
માધવ ઓધવદાસ રામાનુજ (22-4-1945, પચ્છમ, અમદાવાદ) એટલે ઋજુ ભાવોને ઋજુતાની ચરમસીમાએ અભિવ્યક્ત કરી શકે એવા સશક્ત કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને ચિત્રકાર પણ ખરા. એમના કાવ્યોમાં ગ્રામ્યજીવનનાં તળપદાં સંવેદનો અને આધુનિક જીવનની સંકુલતા સમાનાકારે ધબકે છે. શીર્ષકમાં શિખરણી છંદના આભાસ સાથે શરૂ થતા આ કાવ્યમાં સમગ્ર ઇબારત ગઝલની રહી છે, અને પંક્તિ-આયોજન સૉનેટના ઢાંચાનું સ્મરણ કરાવે છે. કાવ્યસંગ્રહ: ‘તમે’ અને ‘અક્ષરનું એકાંત’.
Permalink
April 15, 2006 at 3:09 AM by વિવેક · Filed under સાહિત્ય સમાચાર
ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે એક ખુશખબરી એ છે કે આપણી ભાષાના મોભીઓને કોમ્પ્યુટર અને સીડીના માધ્યમના ઊગતા સૂરજનો પ્રકાશ દેખાવા માંડ્યો છે. આપણી ભાષાની અમર કૃતિઓ હવે ધીમે સીડી સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહી છે અને જો શરૂઆત સફળ થશે તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાભાગની જૂની અમર કૃતિઓને સીડી સ્વરૂપે પ્રકાશિત કરવાની યોજના સાકાર કરશે.
1887માં જેનો પ્રથમ ભાગ અને 1901માં જેનો ચોથો ભાગ પ્રગટ થયો હતો એ ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વખણાયેલી, ચર્ચાયેલી અને વંચાયેલી નવલકથા છે. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરી અને પ્રો. હસિત મહેતાના પુરૂષાર્થના પ્રતાપે સમગ્ર નવલકથા ફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ – એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).
જે માસિકમાં કવિતા-લેખ છપાવામાત્રથી ગુજરાતી સાહિત્યજગત કવિ-લેખક તરીકે તમારો સ્વીકાર કરી લે એ ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ગણાતું ‘આવતીકાલના નાગરિકોનું માસિક’ ‘કુમાર’ પણ હવે આપણા સદભાગ્યે સીડી સ્વરૂપે ઉપલબ્ધ છે. છેક ઈ.સ. 1924 ના પ્રથમ અંકથી 2004 સુધીના એંસી વર્ષોના સળંગ 924 અંકો ફ્ક્ત રૂ. 2500માં સોળ સીડીના રૂપમાં મેળવી શકાય છે. વધુ 1000 રૂ. ઉમેરો તો પાંચ વર્ષનું લવાજમ, 924 અંકોની અનુક્રમણિકાની સીડી તથા છ થી સાત સુંદર પુસ્તકો પણ ભેટરૂપે મળે છે. (‘કુમાર ટ્રસ્ટ’, 1454, બાવાની પોળ સામે, રાઈપુર ચકલા, અમદાવાદ-380001. ફોન.: 079-22143745).
Permalink
April 14, 2006 at 1:18 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી
ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.
Permalink
April 13, 2006 at 11:22 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.
અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…
– ઉમાશંકર જોશી
Permalink
April 12, 2006 at 7:46 PM by ધવલ · Filed under અછાંદસ, કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી
-કમલ વોરા
કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.
Permalink
April 12, 2006 at 12:08 PM by ધવલ · Filed under બ્લોગજગત
સુરેશભાઈ જાનીએ ટેક્સાસ, યુએસએથી ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. આ બ્લોગ પણ ગુજરાતી કવિતા અને સાહિત્ય વિષયક છે. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત, સુરેશભાઈ.
Permalink
April 11, 2006 at 1:38 AM by વિવેક · Filed under ગઝલ, પ્રકીર્ણ, વિવેક મનહર ટેલર
પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.
વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.
તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.
જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !
રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!
હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?
સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.
હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!
ડૉ. વિવેક મનહર ટેલર
આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.
Permalink
April 10, 2006 at 10:23 PM by ધવલ · Filed under અછાંદસ, નિરંજન ભગત
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
-નિરંજન ભગત
આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.
Permalink
April 9, 2006 at 12:20 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.
તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.
જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.
’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .
ગની દહીંવાલા
Permalink
April 8, 2006 at 8:57 AM by ધવલ · Filed under ગઝલ, રઈશ મનીયાર
થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.
થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.
મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.
મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.
હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.
રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
રઇશ મનીયાર
Permalink
April 7, 2006 at 9:13 PM by ધવલ · Filed under રમેશ પારેખ, શેર
આમ તો આવડત, ને આમ શ્રદ્ધાનો વિષય,
એક કાગળની બની હોડી તરે વરસાદમાં.
જાત અટકી તોય ના અટકી પીડાની જાતરા,
જો અમે પથ્થર થયા તો ટાંકણા સામા મળ્યાં !
કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ પામ્યા, રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ.
-રમેશ પારેખ
Permalink
April 6, 2006 at 12:51 PM by ધવલ · Filed under સાહિત્ય સમાચાર
બક્ષીબાબુ એમના 185 પુસ્તકો સાથે !

બક્ષીબાબુને બધા ગુજરાતી બ્લોગરોએ પોતપોતાની રીતે અંજલી આપી છે. એ બધી અંજલીઓને સીધી લીંક. (આભાર,વિવેક.)
લયસ્તરો
સિધ્ધાર્થનું મન
હાથતાળી
કડવો કાઠીયાવાડી
મને મારી ભાષા ગમે છે
રીડ ગુજરાતી
આરપાર મેગેઝીને તો નવા અંકમાં બક્ષી પર લેખોની લહાણી કરી છે.
આ ઉપરાંત, ચંદ્રકાંત બક્ષીનો મૃત્યુ વિષય પર લખેલો લેખ મૃત્યુ : જો સ્વપ્નહીન નીદ્રા જ મૃત્યુ હોય તો એ આશીર્વાદ મને પૂર્ણત: સ્વિકાર્ય છે ગુજરાત ટાઈમ્સમાં વાંચ્યો. બક્ષી એટલે બક્ષી જ. એમની પોતાની આગવી શૈલીમા લખાયેલો આ લેખ માણવા જેવો છે. (લેખ વાંચવા માટે ગુજરાત ટાઈમ્સની વેબ સાઈટ પર જઈ, ડાબી બાજુની પેનલમાં છેક નીચે Suppliments પર ક્લીક કરો. એથી ‘સપ્તક’પૂર્તિના પાનાઓનું લીસ્ટ ખૂલશે એમાં ત્રીજે પાને આ લેખ છે.)
Permalink
April 5, 2006 at 4:03 PM by ધવલ · Filed under ગઝલ, સાબિર વટવા
લલાટરેખાઓને ઘસવી પડી છે,
ઘણી વેળાઓને હસવી પડી છે.
ચકાસી છે ઘણી ધીરજ ધરીને,
અનેક આશાઓને કસવી પડી છે.
ઘણી ઘટનાઓ જીરવી છે અચાનક
કો અણગમતી રમત રમવી પડી છે.
હજારો વાર પીધા છે એ ઘૂંટડા,
મુહબ્બત અમને તો કડવી પડી છે.
ગમી છે તો ગણો આભાર, ‘સાબિર’,
કથા સદભાગ્યની રડવી પડી છે.
– ‘સાબિર’ વટવા
Permalink
April 4, 2006 at 12:20 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પરોઢે, પ્હેલા કલરવમાં મને ચુપચાપ મરવા દો,
ઉષાના મંગલોત્સવમાં મને ચુપચાપ મરવા દો.
શિયાળામાં, પડ્યા રહી ઓસભીની લાલ માટી પર
અહીં, તરણાના નીરવમાં મને ચુપચાપ મરવા દો.
જુઓ, ત્યાં પગલીઓ મૂકી પવન પર, ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં મને ચુપચાપ મરવા દો.
પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓષ્ટ પલળ્યા છે,
આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો.
આ રાની ઘાસ વચ્ચે, આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં મને ચુપચાપ મરવા દો.
– ઉદયન ઠક્કર
આ ગઝલ વાંચીને ‘આનંદ’ ફીલ્મ માટે ગુલઝારે લખેલી કવિતા ‘મોત તુ એક કવિતા હૈ’ યાદ આવે છે. એમાં પણ આવા જ એક સહજ-મૃત્યુની વાત હતી.
આપણે એક હદ સુધી મૃત્યુને ટાળી શકીએ, એ હદ પછી તો મોતને વધાવી જ લેવું રહ્યું. એમા વળી કવિને તો કલરવ અને ઝાકળથી શોભિત સવારમાં કુદરતના ખોળે મળે એવું જ મોત ખપે છે. ‘વગડાઉ વૈભવમાં’ જીવવાનું જ નસીબ બહુ ઓછા લોકોને મળે છે, અને ‘વગડાઉ વૈભવ’માં મરવાનું તો એનાથીય ઓછા લોકોને !
મોતને ખુલ્લમખુલ્લા વધાવવાની વાત કરતી કવિતાઓ ઓછી જ મળશે. એમાંય આ ગઝલ તો કવિએ એવાં નમણાં કલ્પનોથી સજાવી છે, જે મૃત્યુના સંદર્ભમાં કદી જોવા જ ન મળે.
Permalink
April 4, 2006 at 12:16 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, મુક્તક
સુધારી શકાતી નથી
સમારી શકાતી નથી
ઈમારત અમુક વર્ષ બાદ
ઉગારી શકાતી નથી.
– ઉદયન ઠક્કર
Permalink
April 3, 2006 at 11:59 AM by ધવલ · Filed under ગીત, વિનોદ જોશી
આપી આપીને તમે પીંછું આપો, સજન !
પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યાં
આપી આપીને તમે ટેકો આપો, સજન !
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસુ આપો, સજન !
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી
વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.
Permalink
April 2, 2006 at 12:41 AM by વિવેક · Filed under ભક્તિપદ, મીરાંબાઈ
મેરે તો ગિરિધર ગોપાલ , દૂસરો ન કોઇ.
જાકે સિર મોર મુકુટ , મેરો પતિ સોઇ;
તાત માત ભ્રાત બંધુ , આપનો ન કોઇ… …મેરે
છોડ દઇ કુળકી કાન , કહા કરિ હૈ કોઇ;
સંતન ઢિંગ બૈઠિ બૈઠિ , લોક લાજ ખોઇ… …મેરે
ચુનરી કે કિયે ટૂક , ઓઢ લીન્હીં લોઇ;
મોતી મૂંગે ઉતાર , બનમાલા પોઇ… …મેરે
અંસુવન જલ સીંચિ સીંચિ , પ્રેમબેલિ બોઇ;
અબ તો બેલ ફૈલ ગઇ , હોની હો સો હોઇ… …મેરે
દૂધકી મથનિયાં , બડે પ્રેમસે બિલોઇ;
માખન જબ કાઢિ લિયો, છાછ પિયે કોઇ… …મેરે
ભગત દેખી રાજી હુઇ, જગત દેખી રોઇ;
દાસી મીરાં લાલ ગિરિધર , તારો અબ મોહી… …મેરે
Permalink
April 2, 2006 at 12:35 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
નારાયણનું નામ જ લેતાં
વારે તેને તજીયે રે,
મનસા વાચા કર્મણા કરીને,
લક્ષ્મીવરને ભજીયે રે…
કુળને તજીએ, કુટુંબને તજીયે,
તજીયે મા ને બાપ રે
ભગિની-સુત-દારાને તજીયે,
જેમ તજે કંચુકી સાપ રે…
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો,
નવ તજીયું હરિનું નામ રે,
ભરત-શત્રુઘ્ને તજી જનેતા,
નવ તજીયા શ્રીરામ રે…
ઋષિ-પત્નિએ શ્રીહરિ કાજે
તજીયા નિજ ભરથાર રે,
તેમાં તેનું કાંઈએ ન ગયું,
પામી પદારથ ચાર રે…
વૃજવનિતા વિઠ્ઠલને કાજે,
સર્વ તજી વન ચાલી રે,
ભણે નરસૈંયો વૃન્દાવનમાં,
મોહનવરશું મ્હાલી રે…
તળાજામાં જન્મેલા અને જૂનાગઢના વતની ‘આદિકવિ’ નરસિંહ મહેતા (1414-1480) ગુજરાતની પ્રેમલક્ષણા ભક્તિપરંપરાની તેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાની પદ-કવિતાના પહેલા ઉત્તમ કવિ છે. એમના 1200 જેટલાં પદો અને ઝૂલણા છંદમાં લખેલાં પ્રભાતિયાંઓએ એમને અમરત્વ આપ્યું છે અને આપણી ભાષાને રળિયાત કરી છે. કૃષ્ણ ભક્તિ, જ્ઞાન-ભક્તિ, વૈરાગ્ય અને ખાસ તો પોતાના જ જીવનના પ્રસંગો પર આધારિત એમના કાવ્યો ગુજરાતી પ્રજાના કંઠે વસી ગયાં છે.
Permalink
April 1, 2006 at 8:20 AM by વિવેક · Filed under ગણપતલાલ ભાવસાર, ગીત
જ્યારે મમ અંતરમાં કોઈના
કરતો મૃદુ વિચાર
હૈયાના ખેતરની સીમ
વધતી વેંતો ચાર !
ચાર વેંત એ વારિ ઝીલશે,
ઊગશે અમૃતધાન,
જેનાથી મમ જીવન જીવશે,
તૃપ્ત થશે મમ-પ્રાણ.
ચાર ચાર વેંતો કરતાં
કરતાં આ પૃથવિ આખી
મમ અંતરની સીમામાં
લેવાની ઇચ્છા રાખી.
-ગણપતલાલ ભાવસાર
Permalink
March 31, 2006 at 11:14 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
દિલમાં હું દર્દનાં શું વિસામો કરૂં છું રોજ?
આંસું ને આહ પર હું ગુજારો કરૂં છું રોજ
તસ્વીર, પત્ર, યાદ-મિટાવી દીધું બધું,
લોહીમાં તો વહન શું દિ’ આખો કરૂં છું રોજ?
અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.
મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ,
દુનિયામાં છું હું, દુનિયાની વાતો કરૂં છું રોજ.
સચ્ચાઈ દોસ્તોની નથી જાણવી કશી,
એથી તો હું બધાથી કિનારો કરું છું રોજ.
શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.
– ડૉ. વિવેક મનહર ટેલર
વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.
Permalink
March 30, 2006 at 10:45 PM by ધવલ · Filed under બેફામ, શેર
આજે પેશ છે બેફામસાહેબના ચંદ ચુનંદા શેર.
જિંદગીને મોતનો જો ભેદ ના રાખો તમે,
જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે !
ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
અનુભવથી ના જીવન ઘડ, અનુભવમાં તો લાંછન છે,
તમાચાની નિશાની કાંઈ લાલી થઈ નથી શકતી !
પથ્થરોને જે ઘડે એ હો કલાકારો ભલે,
બાકી માણસને તો ઠોકરોથી ઘડે છે પથ્થરો !
– બેફામ
Permalink
March 29, 2006 at 11:17 AM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
થાય અહીં એ દુર્ઘટના – કે માણસને
બીજો માણસ ગળી જતો અજગરની જેમ
રમેશજીના ઊડી ગયા ફુરચા – ફુરચા
જ્ઞાન ખાબક્યું જાત વિશે લશ્કરની જેમ
એકલતાનો થાક બિછાવી સૂઈ જાતા
લોકો, ટોળું ઓઢીને ચાદરની જેમ
રમેશ હું પયગંબર થઈને વરસું છું
કાગળિયાં છલકાવું છું સરવરની જેમ
– રમેશ પારેખ
નખશિખ રમેશ પારેખ એવી આ ગઝલને અંતે કવિનું નામ ન લખ્યું હોય તોય ચાલે. જ્ઞાન ખાબક્યું એવો શબ્દપ્રયોગ રમેશ પારેખ જ કરી શકે અને એને ગઝલમાં નિભાવી ય શકે. આ નાની શી ગઝલમાં એમણે મોટા ગજાની વાતો વણી લીધી છે.
Permalink
March 28, 2006 at 7:28 PM by ધવલ · Filed under બ્લોગજગત
છેલ્લા બે દિવસમાં બે નવા ગુજરાતી બ્લોગ જોયા. બેયનું ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત.
પહેલો છે મુંબઈમાં રહેતા કાર્તિકનો બ્લોગ મારા વિચારો, મારી ભાષામાં… અને બીજો છે મૌલિક સોનીનો બ્લોગ પ્રતિદિપ્તિ.
ગુજરાતી બ્લોગજગતની મહેફિલ ઝડપથી જામતી જાય છે !
Permalink
March 28, 2006 at 6:31 PM by ધવલ · Filed under ગીત, જગદીશ જોષી
અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.
મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !
– જગદીશ જોષી
Permalink
March 27, 2006 at 7:42 PM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું
ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું
અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું
જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું
પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું
જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું
જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું
– શેખાદમ આબુવાલા
Permalink
March 26, 2006 at 2:12 AM by ધવલ · Filed under ચંદ્રકાન્ત બક્ષી, સાહિત્ય સમાચાર
મુંબઇ –
રાતે ખોવાઇ જતા તારાઓ અને ઑફિસ-ટાઇમે આવતી દરિયાની ભરતી
દિવસભર આશાની જીવલેણ વાસનાઓ, ઉપર અને ઉપર જવાની –
અપરિચયની ચામડી પહેરીને આવ્યો હતો તારા શહેરમાં
હવે લોહી નીકળતું નથી , લેસ્બીઅનોના વિશ્વમાં
આમલેટ ટ્રાય કરતા ઘાસાહારીઓના પરાક્રમી દેશમાં
રાતો વપરાતી નથી અને વેનિલાની ખુશ્બૂથી પેટ ભરાઈ જાય છે.
કૉંક્રીટ ચાવતાં મશીનો અને
અટરલી બટરલી સંસ્કારી થઈ ગયેલા લક્ષ્મીબાજો
કેસેટની ધાર પર ઝૂલતાં અવસાદ ગીતો
જઠરમાં સીરોસીસ પાળતાં નવાં બાળકો
ઉપર જવાની રેસમાં નામો ભૂલી ગયાં છે –
હાડકાંઓનાં અક્ષાંશ-રેખાંશ માપતાં સફળ માણસો
તમારા એરકંડિશન્ડ મુલ્કમાં શૈશવ આવ્યું હતું કોઈ દિવસ ?
નાગી સ્ત્રીઓ, ભીની સ્ત્રીઓ, બહાર આવી ગયેલાં મૂળિયાંવાળી ખુશ્ક ઔલાદો,
ઇમ્પૉર્ટેડ ભાષા, કાયદેસર ગુસ્સો, ક્રોમિયમ પ્લેટેડ પ્રેમ,
ચુમ્બનોનો પુનર્જન્મ, શેરબજારમાં ખરીદાતી શાંતિના ભાવ.
સુખની નવી પરિભાષા શીખી ગયો છું તારા શહેરમાં
રેડિયો કંપનીના નિયૉની વિજ્ઞાપનનો પરાગ ઝરે છે
ખુલ્લા સ્મશાન પર અને ઝોંપડપટ્ટીના દેશ પર
જે ફિયેટના દરવાજાની બહાર શરૂ થાય છે
આજે આ શહેર મારું છે
કાગડાના માળામાં હું પણ ઈંડા મૂકતાં શીખી ગયો છું
હવે મારા દાંત સુંવાળા થઈ ગયા છે
મને ઠગાવાનો અપમાનબોધ રહ્યો નથી,
કારણ કે ટી.વી ના સ્ક્રીન ઉપર મેં મારો ચહેરો જોઈ લીધો છે.
સેકંડના લાલ કાંટાને હું સલામ કરું છું.
ઉપરની રેસમાં
હું છેલ્લો છું અને મારી આગળ કોઈ નથી…
ચંદ્રકાંત બક્ષી (20/8/1932-25/3/2006)- “અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને… ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફ્યુરિક મિજાજ તરતો હશે…” ગુજરાતી સાહિત્યની બાલ્કનીમાં અચાનક જ એક આગવો મિજાજ તરતો મૂકીને શ્રી બક્ષી ગઈકાલે જ બ્રઈન હેમરેજના કારણે ગુજરી ગયાં. કલમના બદલે હાથમાં એ.ક.47 રાઈફલ રાખીને અને સર પર સતત કફન બાંધીને લખનાર ફરંદા, વિદ્રોહી, વિવાદી, આખાબોલા, સત્યવક્તા લેખક-પત્રકાર બક્ષી એમની વાર્તાઓ, નવલકથાઓ, લોહીમાં આગ લગાડે તેવી કટારો, કાવ્યો અને કટાક્ષો વડે હવે ફક્ત હૃદયસ્થ જ રહેશે.
Permalink
March 25, 2006 at 10:21 AM by ધવલ · Filed under બ્લોગજગત
પંકજે એના ગુજરાતી બ્લોગ હાથતાળીમાં એક મુદ્દો ઉઠાવ્યો છે –
ગુજરાતી બ્લોગજગતમાં કવિતાઓ જ કેમ જોવા મળે છે? આજ સુધીમાં હું ૮-૯ ગુજરાતી બ્લોગ વાંચી ચુક્યો છું, અને મૈ જોયુ કે લગભગ દરેક લેખક પોતાનાં બ્લોગ પર ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કવિતાઓ જ મુકે છે. હું સ્વિકાર કરું છું કે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે આ એક ઉપયુક્ત માધ્યમ તો છે જ. આ બ્લોગો દ્વારા મને ઘણી સારી અને કદીએ ના વાંચવા મળી હોય એવી કવિતાઓ વાંચવા મળી. આ એક ઘણો જ સારો પ્રયાસ છે અને હું એને આવકારું છું. પણ મારો પ્રશ્ન એ છે કે કેમ આપણે આપણા સમાજ, રાષ્ટ્ર અને મુલ્યો વિશે પણ આપણા તારણો વ્યક્ત નથી કરતાં?
ગુજરાતના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર ( અને કદાચ છેલ્લી વાર પણ ! ) ગુજરાતીઓ પર વધારે પડતા સાહિત્યલક્ષી હોવાનો આક્ષેપ આવ્યો છે. એ મારા મતે તો ઘણા આનંદની વાત છે. હિસાબના ચોપડા સિવાય બીજા કોઈ પુસ્તકમાં રસ ન ધરાવવાનું મહેણું ગુજરાતી બ્લોગ-જગતથી પહેલી વાર ટળ્યું લાગે છે. 🙂 🙂
અત્યારે રમૂજની વાત જવા દઈએ. મેં એનો જવાબ આમ આપ્યો છે –
વાત સાચી છે, પંકજ. હું પોતે લયસ્તરો નામનો ગજરાતી કવિતાનો બ્લોગ ચલાવું છું. કવિતા સિવાય બીજું લખવાનું નથી એમ નહીં પણ, કવિતાઓ મારા આનંદનો વિષય છે એટલે એના વિષે લખું છું. બીજા લોકો એમના રસના વિષય પર પણ ધીમે ધીમે લખતા થશે. ગુજરાતી વેબ પર લખી શકાય, અને એ પણ સહેલાયથી, એ વિચાર જ હજુ નવો છે. ગુજરાતી બ્લોગજગતમાં નવા નવા વિચારો અને અભિપ્રાયો ધરાવતા લોકો આવતા જ જવાના છે. દરેક પોતાને ગમતો અવાજ લાવશે અને પોતાને મહેફિલ જમાવશે. આજ નો આ નવો વિચાર કાલે એક વટવૃક્ષ બની જશે !
ગુજરાતી ભાષાએ ગુજરાતી સાહિત્ય કરતા બહુ મોટી વાત છે. ગુજરાતી ભાષા આપણી સંસ્કૃતિ અને સમાજથી બની છે. ગુજરાતી એ જીવંત ઘટના છે. સાહિત્ય તો માત્ર એનું એક પ્રતિબિંબ છે. હવે જ્યારે ગુજરાતી ભાષા નેટ ઉપર સ્થાપિત થઈ ચૂકી છે, સમય આવ્યો છે કે વધુ ને વધુ લોકો ગુજરાતીમાં લખતા થાય. તમે પણ તમારો બ્લોગ બનાવો. રોજ ન લખાય તો અઠવાડિયે એકાદ વાર લખો. નવી વાત લખો, દીલની વાત લખો. ગુજરાતી ભાષા માટે તમારું ગૌરવ બતાવો. ગુજરાતીના નેટ પર પ્રસારમાં તમારો પણ અવાજ ઉમેરો.
Permalink
March 25, 2006 at 8:00 AM by વિવેક · Filed under ગીત, તુષાર શુક્લ
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
તુષાર શુકલ (29-9-1955) કવિ ઉપરાંત સારા સંચાલક પણ છે. તેઓ આકાશવાણી, અમદાવાદ સાથે સંકળાયેલા છે. એમની આ રચના શ્યામલ મુન્શીના કંઠે ‘હસ્તાક્ષર’ આલ્બમમાં સ્વરાંકિત થઈ છે.
Permalink
March 23, 2006 at 9:03 AM by વિવેક · Filed under ઝવેરચંદ મેઘાણી
વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
રોપાણાં ત્રણ રૂખડાં હો…જી 1
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
મુગતિના ઝરે ફૂલડાં હો…જી
વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો…જી
વીરા મારા ! સતલજ નદીને તીર
પિંજર પૂરાં નો બળ્યાં હો…જી
વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો…જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
ઠારેલી ભલે ટાઢિયું હો…જી
વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
ઓરાણો તું તો આગમાં હો…જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
લાડકડા ! ખમા ખમા હો…જી
વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
ધાવેલાં હજી ફોરતાં હો…જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો…જી
વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
દુનિયાથી દૂરે દોડવા હો…જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
જનમીને ફરી આવવા હો…જી
વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
તરસ્યોયે નો’તો રક્તનો હો…જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
માભૂમિ કેરા ભક્તનો હો…જી
વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
પે’રીને પળ્યો પોંખણે હો…જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
સ્વાધીનતાના તોરણે હો…જી
ઝવેરચંદ મેઘાણી
પંચોતેર વર્ષ પૂર્વે આજે, ત્રેવીસમી માર્ચે, અંગ્રેજોએ છળપૂર્વક નિર્ધારિત દિવસથી પહેલાં જ પ્રજાના રોષથી બચવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને એમના મૃતદેહોને કાયરતાપૂર્વક સતલજના કાંઠે અધકચરો અગ્નિસંસ્કાર આપ્યો હતો. એ ત્રણ લબરમૂછિયા નવજવાનોને સમર્પિત ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય આજે પણ આપણા રૂંવાડા થથરાવી જાય છે. અગમ્ય કારણોસર શહીદદિન તરીકે આજનો દિવસ ભલે ઓળખવામાં આવ્યો ન હોય, લયસ્તરો તરફથી એ ત્રણે તથા માભોમ પર ફના થનાર તમામ શહીદોને આજના દિવસે અમારી આ નાનકડી શબ્દાંજલિ છે.
(1 ત્રણ રૂખડાં= ત્રણ વૃક્ષો (ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ), 2 દોખી= દુશ્મન,
3 દાવ= વિરોધી, 4 પળ્યો= જવું, 5 પોંખણે=નવદંપતીને લગ્ન પછી પોંખીને અપાતો આવકાર.)
Permalink
March 22, 2006 at 12:33 PM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી
ઉત્તમ ગુજરાતી સાહિત્યની એક યાદી શ્રી અશોક મેઘાણીની વેબસાઈટ પર જોઈ. એમા એમણે ગુજરાતીમાં ‘ક્લાસિક’ ગણાય એવા બધી જાતના પુસ્તકો – નવલકથાઓ, કવિતા, નિબંધો, વાર્તાઓ, હાસ્યરસ, આત્મકથાનકો અને નાટકોનો -સમાવેશ કર્યો છે. ગુજરાતી સાહિત્યના રસિકો માટે આ યાદી રસપ્રદ છે. આમાંથી તમે કેટલા પુસ્તકો વાંચ્યા છે? આવી જ એક યાદી આરપાર મેગેઝીને ગયા વર્ષે પ્રગટ કરેલી એ અહીં સરખાવવા જેવી છે.
Permalink
March 22, 2006 at 11:33 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.
આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.
એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.
આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.
ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.
– રાજેન્દ્ર શુકલ
આભાર : પંચમ શુક્લ
Permalink
March 21, 2006 at 1:06 PM by ધવલ · Filed under ગઝલ, પથિક પરમાર
ઝાંઝવાને બાથ ભરો તો ખરા;
પેટમાં અજગર પાળો તો ખરા.
દીવડાને દૂર રાખી જ્યોતથી
અંધકારને ઉલેચો, તો ખરા.
પાનખરને આમ હડસેલો નહીં;
શક્યાતાને આવકારો, તો ખરા.
સામસામે જોઈ લેવું ઠીક છે;
ભીંત સોંસારવા નિહાળો તો ખરા.
ચાર પળનો ચટકો કયાંથી પાલવે?
શ્વાસના સંબધ રાખો, તો ખરા.
દ્વાર સામે ઝૂરતી પીળાશ છે;
સ્હેજ દરવાજો ઉઘાડો, તો ખરા.
– ‘પથિક’ પરમાર
Permalink
March 20, 2006 at 11:52 PM by ધવલ · Filed under ગઝલ, મરીઝ
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
– ‘મરીઝ’
Permalink
March 19, 2006 at 1:08 AM by વિવેક · Filed under કૃષ્ણ દવે, ગીત
ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું ?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું? આ તે કેવું?
હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું? આ તે કેવું?
મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?
– કૃષ્ણ દવે
Permalink
March 18, 2006 at 8:54 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના
આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છોળ’.
Permalink
March 16, 2006 at 1:42 PM by ધવલ · Filed under ગઝલ, બેફામ
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.
નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.
ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.
રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.
શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.
‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.
– બરકત વીરાણી ‘બેફામ’
Permalink
March 15, 2006 at 9:53 AM by ધવલ · Filed under ગઝલ, સુર્યભાનુ ગુપ્ત
ઐસે ખિલતે હૈ ફૂલ ફાગુન મેં
લોગ કરતે હૈ ભૂલ ફાગુન મેં
ધૂપ પાનીમેં યૂં ઊતરતી હૈ
ટૂટતે હૈ ઉસૂલ ફાગુન મેં
કોઈ મિલતા હૈ ઔર હોતે હૈ
સારે સપને વસૂલ ફાગુન મેં
એક ચહેરે બાદ લગતે હૈ
સારે ચહેરે ફુઝુલ ફાગુન મેં
ભૂલે બિસરે હુએ ઝમાનોંકી
સાફ હોતી હૈ ધૂલ ફાગુન મેં
– સુર્યભાનુ ગુપ્ત
ફાગણ મહિનામાં આ મારી અતિપ્રિય ગઝલ રજુ કરવાની લાલચ છોડી શકતો નથી. તદ્દન સરળ – લગભગ સામાન્ય વાતચીત જેવી જ – ભાષાનો પ્રયોગ આ ગઝલના અવાજમાં સચ્ચાઈ ઉમેરે છે. એવું લાગે છે જાણે કે કવિ ખૂણામાં બોલાવીને પોતાની કોઈ અંગત વાત ન કહેતા હોય. ફાગણ તો વારી જવાનો મહિનો છે – કુદરત પર, રંગો પર કે પછી પ્રિયજન પર. આ ગઝલ એવા જ કોઈ ‘કારસ્તાન’ માટે મનને ઉશ્કેરે છે !
Permalink
March 13, 2006 at 11:40 PM by ધવલ · Filed under ગીત, ચંદ્રવદન મહેતા
ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.
ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.
ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.
– ચંદ્રવદન મહેતા
Permalink
March 13, 2006 at 1:39 AM by વિવેક · Filed under ભક્તિપદ, મીરાંબાઈ
ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે…
મીરાંબાઈ
મીરાંબાઈ (આશરે 1500-1550) નો જન્મ મેડતા (રાજસ્થાન) અને લગ્ન મેવાડના રાજકુટુંબમાં. કૃષ્ણભક્તિ અને સાધુસંગના પરિગ્રહણના કારણે રાજરાણી મીરાંને મબલખ દુઃખો મળ્યાં જે એણે પ્રહલાદની નિસ્પૃહતા અને ધ્રુવની અવિચળતાથી સહી લીધાં. શંકરની પેઠે વિષનો પ્યાલો ગટગટાવીને, બાળવિધવા મીરાંએ કૃષ્ણને જ પતિ સ્વીકારીને આત્મલક્ષી રીતિમાં ઉત્તમ એવાં ભક્તિશૃંગારનું અમૃત આપ્યું. મીરાં એટલે મધ્યકાલીન ભક્તિયુગનાં ઉત્તમ કવયિત્રી. હોળીના અવસર પર પ્રસ્તુત છે મીરાંબાઈનું એક સુંદર હોળીગીત.
Permalink
Page 113 of 118« First«...112113114...»Last »