એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
May 9, 2006 at 2:24 AM by વિવેક · Filed under બ્લોગજગત

ગુજરાતી બ્લોગજગત ધીમેધીમે એના નિર્ધારિત મુકામે પહોંચી રહ્યું છે. કોઈ એક સમયે કોઈ એક ગુજરાતીએ પોતાની માતૃભાષાને સદૈવ જીવંત અને વિનામૂલ્યે સૌ કોઈ સુધી પહોંચાડવાનું સ્વપ્ન જોયું હતું, એ હવે પૂર્ણ થવાને આરે છે. બ્લોગજગતમાં દરરોજ નવા બ્લોગર્સ ઉમેરાતા જાય છે અને જેમ સ્પર્ધા વધતી જવાની, આપણને વધુ સારા બ્લોગ્સ પણ મળતાં જશે. ‘દિવ્ય ભાસ્કર’ પછી ‘નવનીત સમર્પણ’ અને હવે ગુજરાતી ભાષાના લોકપ્રિય અઠવાડિક ‘અભિયાન’ની ટીમે (૦૬-૦૫-૨૦૦૬) પણ ગુજરાતી બ્લોગ્સના વધતા જતા વ્યાપની નોંધ લેવાની ફરજ પડી છે. આ માહિતી પૂરી પાડવા માટે ઈલાક્ષી અને ડૉ. નીરવનો આભાર માનીએ છીએ અને સાહિત્યનો આ માર્ગ વધુ પ્રદિપ્ત અને ઉજ્જવળ બને એવી સૌ બ્લોગર્સને શુભેચ્છા પાઠવીએ છીએ.
Permalink
May 8, 2006 at 7:28 PM by ધવલ · Filed under ગીત, હરીન્દ્ર દવે
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!
જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,
જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,
ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!
– હરીન્દ્ર દવે
(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)
Permalink
May 8, 2006 at 1:09 PM by ધવલ · Filed under મુક્તક, રમેશ પારેખ
તમે હાથ હેઠા કરે દ્યો હવે,
કે સંબંધ તોડી શકતા નથી.
તમે ફોડી શકશો અરીસા કદી,
ચહેરાઓ ફોડી શકતા નથી.
– રમેશ પારેખ
Permalink
May 7, 2006 at 3:11 AM by વિવેક · Filed under ગઝલ, મણિલાલ દેસાઈ
વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
મણિલાલ ભગવાનજી દેસાઈ (19-7-1939 થી 4-5-1966) વલસાડના ગોરેગામમાં જન્મ્યા અને યુવાનવયે અમદાવાદમાં મૃત્યુ પામ્યા. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.
Permalink
May 6, 2006 at 9:29 AM by વિવેક · Filed under ગીત, ગેમલ
હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને.
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.
વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને.
વહાલે આગે સંતોના કામ. પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને.
ગેમલ
ગેમલ (ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ) એટલે જાણે કે એક જ પદના કવિ. આ પદ એટલું તો વંચાયું, ગવાયું અને સંભળાયું છે કે કવિતા કવિને અતિક્રમી જાય છે એ વાત સાચી લાગે.
Permalink
May 5, 2006 at 11:20 AM by ધવલ · Filed under સાહિત્ય સમાચાર
હિન્દી ફીલ્મોના ખ્યાતનામ સંગીત નિર્દેશક નૌશાદસાહેબ ગઈકાલે 86 વર્ષની વયે અવસાન પામ્યા. હિન્દી ફીલ્મો જોનારી ત્રણ પેઢી એમનું સંગીત સાંભળીને મોટી થઈ છે. શકીલ બદાયુનીના શબ્દો અને નૌશાદસાહેબની ધૂન – એ જોડીએ કેટલાય અવિસ્મસ્ણીય ગીતો આપ્યા છે. સંગીતકાર હોવા ઉપરાંત નૌશાદસાહેબ શાયર પણ હતા. અહીં એમના ચંદ અશઆર પેશ છે.
अब भी साज़-ए-दिल में तराने बहुत हैं
अब भी जीने के बहाने बहुत हैं
गैर घर भीख ना मांगो फ़न की
जब अपने ही घर में खजाने बहुत हैं
है दिन बद-मज़ाकी के “नौशाद” लेकिन
अब भी तेरे फ़न के दीवाने बहुत हैं.
(આભાર, સાગરભાઈ)
तूफ़ाने जुनूँ हमने उतरते देखा,
एक ज़ख़्म पुराना सा उभरते देखा,
ऐ वहशते दिल वो भी अजब मंज़र था,
जब अक्स को आईने से डरते देखा
सब कुछ सरे बाज़ारे जहाँ छोड़ गया है
ये कौन खुली अपनी दुकाँ छोड़ गया है
Permalink
May 5, 2006 at 9:30 AM by ધવલ · Filed under મુક્તક, રમેશ પારેખ
ચરણ મારાં તારા ભણી હોય છે,
હું ચાલું ત્યાં ભીંતો ચણી હોય છે.
મુઠ્ઠીમાં જ રાખીને ફરીએ છતાં,
ક્ષણો કેટલી આપણી હોય છે ?
– રમેશ પારેખ
Permalink
May 4, 2006 at 1:38 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
દૂર દૂર પરહરતાં, સાજન !
વરસો આમ જ સરતાં, સાજન !
કારતકના કોડીલા દિવસો –
ઊગી આથમી ખરતા, સાજન !
માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં, સાજન.
પોષ શિશિરની રજાઈ ઓઢી
અમે એક થરથરતા, સાજન !
માઘ વધાવ્યા પંચમ સ્વર તો
કાન વિષે કરગરતા, સાજન !
છાકભર્યા ફાગણના દહાડા –
હોશ અમારા હરતા, સાજન !
ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે,
તમે જ ચંદન ધરતા, સાજન !
એ વૈશાખી ગોરજવેળા,
ફરી ફરીને સ્મરતા, સાજન !
જેઠ મહિને વટપૂજન વ્રત,
લોક જાગરણ કરતા, સાજન !
આષાઢી અંધારે મનમાં
વીજ સમાં તરવરતાં, સાજન !
શ્રાવણનાં સરવરની પાળે,
હવે એકલા ફરતા, સાજન !
ભાદરવો ભરપૂર વહે છે,
કાગ નિસાસા ભરતા, સાજન !
આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં, સાજન !
– રાજેન્દ્ર શુક્લ
માસે માસ પ્રિયજનને સંભારતા વિતેલા વર્ષની કથારૂપે વણેલી આ ગઝલ તરત જ દિલમાં ઘર કરી જાય એવી છે. કવિએ પસંદ કરેલા શબ્દો એટલાં મીઠાં છે કે વિરહને વેદના ભૂલીને કવિની ભાષાસિદ્ધિને બિરદાવવાનું મન થઈ આવે છે ! દરેક માસનું આગવું ચિત્ર અહીં આબાદ ઉપસી આવે છે. સૌથી છેલ્લી કડીમાં, આસો માસમાં એટલે કે દિવાળી વખતે રંગોળી પૂરવાના મહીનામાં, આંગણ ખુદ સાજનના કુંકુમઝરતાં પગલાને યાદ કરે છે એવી વાત કરીને કવિ અભિવ્યક્તિને એક વધારે ઊંચા મૂકામ પર લઈ ગયા છે.
( પરહરતાં=છોડી જતા, મ્હોલો=મહેલો, છાક=કેફ, ગોરજવેળા=સાંજ )
Permalink
May 4, 2006 at 8:31 AM by વિવેક · Filed under ગઝલ, મનહરલાલ ચોકસી
ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.
સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.
વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.
ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.
હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.
હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.
-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’
આજે મનહરલાલ ચોક્સીની વિદાયને એક વર્ષ થયું (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક).
Permalink
May 4, 2006 at 1:10 AM by વિવેક · Filed under સાહિત્ય સમાચાર
ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યના ફેલાતા જતા વ્યાપથી ગુજરાતી ભાષાની આવતીકાલ નિઃશંકપણે ઉજ્જવળ ભાસે છે. બ્લોગરોની વધતી જતી સંખ્યા અને દરેક બ્લોગરોના પોતાના મિત્રવૃંદ હોવાના કાળ-ક્રમે દરેક બ્લોગને મિત્રતાની સીમા વળોટી આવેલા વાંચકો અને ચાહકો મળતા રહે છે. રીડગુજરાતી.કૉમના સંપાદક મૃગેશ શાહ સર્વપ્રથમ ગુજરાતી ઈ-દૈનિક લઈને આવ્યા છે જેની નોંધ તાજેતરમાં જ ગુજરાતના નંબર એક દૈનિક દિવ્ય ભાસ્કરે પણ લીધી. વળી ગુજરાતી ભાષાના ‘રિડર્સ ડાયજેસ્ટ’ ગણાતા ‘નવનીત સમર્પણ’ ના આ મહિનાના અંકમાં પણ એમનો લેખ છપાયો છે. લયસ્તરો ટીમ તરફથી મૃગેશ શાહને ખૂબ ખૂબ અભિનંદન. લયસ્તરો પર મૃગેશભાઈની નોંધ અગાઉ પણ લેવામાં આવી હતી.
Permalink
May 3, 2006 at 7:23 PM by ધવલ · Filed under બ્લોગજગત
વિસ્તરતા જતા ગુજરાતી બ્લોગજગતમાં સ્વાગત છે આ બઘા બ્લોગનું :
- મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’એ સ્વરચિત ગઝલોનો બ્લોગ બાગે વફા શરુ કર્યો છે. વફાસાહેબની ગઝલ લયસ્તરોમાં રજૂ કરેલી તે આપે માણી જ હશે.
- સુવાસ એ બ્લોગ સ્વરૂપે શરું કરેલું ઈસ્લામી મેગેઝીન છે. એ ઈસ્લામ વિષે સાચી સમજ ફેલાવવાનું ધ્યેય રાખે છે.
- સલીમ વલી દેવલ્વીએ બ્લોગ ઉજાસ શરૂ કર્યો છે. અત્યારે એમા ચાર જ પોસ્ટ છે. એમાંય ઈસ્લામી ઝાંય દેખાય છે. આજની પરિસ્થિતિ પર એમનો છેલ્લો પોસ્ટ મેરા ભારત મહાન જોશો.
- સુવાસ ટીમે જ સમાચાર સાર નામે બ્લોગ શરૂ કર્યો છે. એમના જ શબ્દોમાં, ‘અમારો આશય છે કે શિક્ષણ ક્ષેત્રે પછાત લધુમતિ કોમ એટલે કે મુસલમાનોને શિક્ષણ પ્રતિ આકર્ષવામાં આવે, આધુનિક શિક્ષણ પ્રતિ તેમનું ઓણમાયું વર્તન બદલાય એવા પ્રયત્નો કરવામાં આવે, આ જ આધારે અમુક વિશેષ પ્રકારના સમાચાર અને બોધદાયક વાતો સમાચારસારમાં પ્રગટ કરવાનો વિચાર છે.’
Permalink
May 3, 2006 at 10:23 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
(સોમનાથ મહાદેવ, વેરાવળ: 1992)
રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.
લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.
શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.
બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે –
કોઈ કોઈને હવે ભજશે નહીં.
રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.
આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.
ડૉ.વિવેક મનહર ટેલર
છેલ્લા બે દિવસથી રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સંસ્કારનગરી વડોદરામાં અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી.
Permalink
May 2, 2006 at 9:13 PM by ધવલ · Filed under મુક્તક, હરકિશન જોષી
સડક ચાલનારાની પાછળ રહી છે,
અને સાવ એકલતા એણે સહી છે;
સમર્પણનો રસ્તો પ્રસિદ્ધિથી પર છે,
નદી નામ પાડ્યા વિના પણ વહી છે!
– હરકિશન જોષી
Permalink
May 2, 2006 at 5:28 PM by ધવલ · Filed under અછાંદસ, સુનીલ ગંગોપાધ્યાય
કોઈ વચન પાળતું નથી. તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં
કોઈ વચન પાળતું નથી.
નાનપણમાં એક વૈષ્ણવ બ્રાહ્મણીએ એનું એક સ્વાગતગીત
એકાએક થંભાવીને કહ્યું હતું,
સુદ બારસને દિવસે બાકીનો અંતરો સંભળાવી જઈશ.
ત્યાર બાદ કેટલીયે ચન્દ્રહીન અમાસ ચાલી ગઈ
પણ એ વૈષ્ણવ બ્રાહ્મણી પાછી ન આવી.
પચીસ વરસથી રાહ જોઉં છું.
મામાના ઘરના નાવિક નાદેરઅલીએ કહ્યું હતું,
દાદાઠાકુર, મોટો થા,
તને હું ત્રણ પ્રહરનું જળાશય જોવા લઈ જઈશ.
ત્યાં કમળના માથા પર સાપ અને ભમરો રમે છે.
નાદેરઅલી, હું હવે કેટલો મોટો થઈશ ?
મારું માથું આ ઘરનું છાપરું ફાડી આકાશને
સ્પર્શ કરશે પછી શું તું મને
ત્રણ પ્રહરનું જળાશય બતાવીશ ?
એકાદ મોંઘી ચોકલેટ કદી ખરીદી શક્યો નથી.
લોલીપોપ દેખાડી દેખાડીને ચૂસતાં હતાં
આર્મીના છોકરાઓ.
ભિખારીની જેમ ચૌધરીના ગેટ પાસે ઊભા રહીને જોયો છે અંદરનો રાસોત્સવ.
અવિરત રંગની છોળો વચ્ચે સુવર્ણ-કંકણ પહેરેલી
ગોરી ગોરી યુવતીઓ
કેટકેટલા આનંદથી હસતી હતી.
મારી તરફ તેઓએ વળીને જોયું ય નથી.
બાપુજી મારા ખભાને સ્પર્શતાં બોલ્યા હતા, જોજે,
એક દિવસ આપણે પણ…
બાપુજી હવે અંધ છે, અમે કંઈ કરતાં કંઈ જોઈ શક્યા નથી.
એ મોંઘી ચોકલેટ. એ લોલીપોપ, એ રાસોત્સવ મને કોઈ પાછા લાવી આપવાના નથી.
છાતી પાસે સુગંધી રુમાલ રાખીને વરુણાએ
કહ્યું હતું,
જે દિવસે મને ખરેખર ચાહીશ
તે દિવસે મારી છાતીમાંથી પણ આવી અત્તરની સુવાસ આવશે.
પ્રેમને માટે મેં જીવને મુઠ્ઠીમાં બાંધ્યો
તોફાની-વકરેલા સાંઢની આંખે લાલ કપડું બાંધ્યું.
આખી દુનિયા ખૂંદી વળી લઈ આવ્યો 108 નીલકમળ
તોપણ વચન પાળ્યું નથી વરુણાએ, હવે
એની છાતીમાં ફક્ત માંસની ગંધ
હવે એ કોઈક અજાણી સ્ત્રી !
કોઈ વચન પાળતું નથી, તેત્રીસ વર્ષ વીતી ચૂક્યાં,
કોઈ વચન પાળતું નથી.
– સુનીલ ગંગોપાધ્યાય
(અનુવાદ – નલિની માડગાંવકર)
સુનીલ ગંગોપાધ્યાયની કવિતાઓમાં જાણે વાર્તા ડોકીયું કરતી હોય એવું લાગે. આવા કાવ્યને માટે કથાકાવ્ય ઉચિત નામ છે. જીવનમાં સપનાની પાછળ દોડવાની અને એમાં પછડાટ ખાવાની વાતને એમણે સરસ રીતે રજૂ કરી છે. આ પહેલા રજૂ કરેલું એમનું જ કથાકાવ્ય ચાની દુકાનમાં પણ જોશો.
Permalink
May 2, 2006 at 12:40 PM by ધવલ · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી
શ્રી રતિલાલ ચંદરયાએ બનાવેલ ગુજરાતીલેક્સીકોન.કોમ વેબસાઈટ એ શંકા વિના ગુજરાતી ભાષાનો એક શ્રેષ્ઠ શબ્દકોશ છે. આપમાંથી મોટા ભાગના જણાએ આ વેબસાઈટની મુલાકાત લીધી જ હશે.
હવે એમણે આ શબ્દકોશને ઓફલાઈન ઉપયોગ માટે ડેસ્કટોપ એપ્લીકેશનનું રૂપ આપ્યું છે. આ એપ્લીકેશન આપ ગુજરાતીલેક્સીકોન.કોમના ડાઉનલોડ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકો છો. મેં હમણાં જ આ શબ્દકોશને મારા કોમ્પ્યુટર પર ચલાવી જોયો. ઘણા વખતથી જે સપનું હતું ગુજરાતીમાં ઈલેક્ટ્રોનીક શબ્દકોશનું, એ આનાથી પૂરું થાય છે. આ શબ્દકોશમાં વિરોધી શબ્દો, રુઢિપ્રયોગો અને ગુજરાતી થેસારસ પણ છે !
આ સાથે જ સરસ નામનું એક સ્પેલચેકર પણ ઉપલબ્ધ છે જોકે આ હજુ મેં વાપરી જોયું નથી.આવો અદભૂત શબ્દકોશ અને એ પણ ગુજરાતીઓની ગમતી કીમતે (એટલે કે મફત!) ઉપલબ્ધ કરાવવા માટે શ્રી ચંદરયા અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર.
ચિત્રલેખાના એપ્રીલ 24ના અંકમાં ગુજરાતીલેક્સીકોન ઉપર આખો લેખ આવ્યો છે. એમાં શ્રી ચંદરયા અને એમની ટીમ (જેમાં ‘ઉત્કર્ષ’વાળા કાર્તિકનો પણ સમાવેશ થાય છે) વિષે માહિતી છે. ભારતમાં તો ચિત્રલેખાના આ અંક સાથે શબ્દકોશની સીડી મફત સામેલ કરી છે. આવી દીર્ઘદ્રષ્ટી માટે ચિત્રલેખાને પણ મારા અભિનંદન.
કોઈની પાસે ચિત્રલેખાનો આ અંક હોય તો મને આ લેખની કોપી મોકલી આપશો.
તાજા કલમ: કાર્તિકે લેખની કોપી મને મોકલી છે. એ તમે અહીં વાંચી શકો છો..
Permalink
May 1, 2006 at 11:39 AM by ધવલ · Filed under અછાંદસ, મધુ કોઠારી, મોનો ઇમેજ
(1)
ચાંદની
મારા પર ફેલાઈ
ને હું
બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું
વિચારોની માછલી
આખી રાત
(2)
દમયંતીએ કહ્યું:
‘ઓઢવા માટે વસ્ત્ર
નથી’
નળે તરત જવાબ વાળ્યો:
‘આ ચાંદની ઓઢી લે!’
(3)
ચંદ્ર નામનો
સફેદ કરોળિયો
વણે છે ચળકતી જાળ
તેને કહે છે ચાંદની!
(4)
આ ચાંદની નથી
ફેલાઈ ગયેલી
મારી અસીમ વિરહવેદના છે…
-મધુ કોઠારી
ચાંદની કેન્દ્રીત રુપકડાં શબ્દ-ચિત્રો. જાણે વિચારોની નાની નાની ચૂસકીઓ ભરતા હોઈએ એવી લાગણી જન્માવે છે.
Permalink
May 1, 2006 at 8:01 AM by વિવેક · Filed under ગીત, નર્મદ
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
-કવિ નર્મદ
આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.
Permalink
April 30, 2006 at 7:25 AM by વિવેક · Filed under ગઝલ, બેજાન બહાદરપુરી
મને સાથ એનો મળ્યો છે સદાનો
કહો કેટલો પાડ માનું વ્યથાનો !
કહે છે હૃદય : સાવ નિર્દોષ છે તું
પછી હોય શો ડર ગમે તે સજાનો !
કબૂલીશ એ વાત ક્યારેક તું પણ
નથી માનવી હું ય નાના ગજાનો
પછી શું થયું એ ન પૂછે તો સારું
નથી અંત હોતો સદા હર કથાનો
સતત કોઈ દોરે અને દોરવાવું !
કરો અંત ‘બેજાન’ એવી પ્રથાનો.
‘બેજાન’ બહાદરપુરી
Permalink
April 29, 2006 at 8:41 AM by વિવેક · Filed under સાહિત્ય સમાચાર
મહાત્મા ગાંધીના અંગત સચિવ મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ દેસાઈએ 82 વર્ષની ઊંમરે બાપુને પુનર્જીવિત કરવાનો અશ્વમેધ યજ્ઞ આદર્યો છે. ચારે તરફ જ્યારે રામકથા કે ભાગવતકથાની ધૂમ મચી છે ત્યારે ગુજરાતના ગામડે-ગામડે તથા મુંબઈમાં ફરીને તેઓ ગાંધીકથા કરીને બાપુ વિશે લોકોમાં વ્યાપ્ત ગેરસમજણ દૂર કરી સહસ્ત્રાબ્દિના એ મહામાનવના જીવન પર પ્રકાશ પાડી રહ્યાં છે. સમગ્ર ગાંધીકથા પંદર સીડીના સંપુટ સ્વરૂપે ઉપલબ્ધ છે. (‘મોંઘીબહેન બાળવિહાર’ના નામે 550રૂ.નો ચેક કે ડ્રાફ્ટ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ગંગાજળિયા તળાવ, ભાવનગર, ગુજરાત ના સરનામે મોકલવો).
Permalink
April 29, 2006 at 8:02 AM by વિવેક · Filed under ગીત, રાજે
મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
આશ તમારી રે.
પૂંઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે;વિસાર્યો ઘર-વહેવાર,
આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયાનાથ,
આશ તમારી રે.
રાજે
ઈ. 18મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજે જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણભક્તિના સુંદર પદો વડે ધર્મ અને સમાજની પોકળ રેખાઓને વળોટી ગયેલાં. એમની ભાષા પણ એમના સમયથી ઘણી આગળ એવી આધુનિક લાગે.
Permalink
April 28, 2006 at 5:02 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
તારી પાસે રામ છે
મારી પાસે જામ છે
અર્થ શો વિખવાદનો
બેઉને આરામ છે !
– શેખાદમ આબુવાલા
Permalink
April 27, 2006 at 8:18 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?
વિશ્વાસ સાથે ખત્મ થયાં પ્રાણ તો, હવે
લાશોના ફક્ત થઈ રહ્યાં શ્વાસો તમામ છે.
વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીંતો સૌની શામ છે.
રેવાળ ચાલ સાથીની ઈચ્છો તો ઢીલ દો,
બેકાબૂ બનશે જો જરી ખેંચી લગામ છે.
જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.
ડૉ.વિવેક મનહર ટેલર
વિવેકની આ અને બીજી ગઝલો આપ એના બ્લોગ શબ્દો છે શ્વાસ મારાં પર માણી શકો છો.
Permalink
April 27, 2006 at 2:08 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
જીવનનાં જળ
ખૂબ અનર્ગળ
કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ
આગળ પાછળ
આવળ બાવળ
ડગલે પગલે
દ્રષ્ટિના છળ
માથે લટકે
મણ મણની પળ
મેરુઓ પણ
મનન ચંચળ
એના વચનો
ડોકના આંચળ
એક જ ઈશ્વર
એ પણ અટકળ!
‘ઘાયલ’ જીવન
રણમાં બાવળ
– અમૃત ‘ઘાયલ’
મારા મતે ટૂંકી બહેરની ગઝલ લખવી એ ખૂબ અઘરું કામ છે. બે ચાર શબ્દોમાં જ અર્થસ્ફોટ થવો જોઈએ અને કાફિયો પણ સચવાવો જોઈએ. ચંદ જ શબ્દોમાંથી ઘાયલસાહેબ એક જ ઈશ્વર, એ પણ અટકળ! અને કૂંપળ કૂંપળ, કણસે ઝાકળ જેવા સુંદર શેર કોતરી આપે છે. આગળ શેખાદમની એક ટૂંકી બહેરની એક ગઝલ નીર છું રજુ કરેલી એ અહીં સાથે માણવા જેવી છે.
Permalink
April 26, 2006 at 8:01 PM by ધવલ · Filed under ગીત, વિનોદ જોશી
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોશી
વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )
Permalink
April 26, 2006 at 2:20 PM by ધવલ · Filed under મુક્તક, શેખ સાદી
વાદળામાંથી એ જલબિંદું ખર્યું,
ને સમુદ્ર નિહાળી હૈયે થરથર્યું,
સિંધુ ક્યાં? ને ક્યાં હું બિંદુ? એ કહે
ત્યાં તો છીપે આવરી, અંકે ધર્યું.
– શેખ સાદી
Permalink
April 25, 2006 at 7:17 PM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.
હવામાં તારી હવા છે, છતાં નથી મળવું,
દરદની તું જ દવા છે, છતાં નથી મળવું.
મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.
છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું,
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.
– હરીન્દ્ર દવે
(‘મનન’)
Permalink
April 25, 2006 at 9:35 AM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
વૃક્ષ સમ ઘેઘૂરછમ ઊગ્યો છું હું,
ગત સમયના વક્ષથી ફૂટ્યો છું હું.
પ્રેમ મારો જેમ વિસ્તરતો ગયો,
એમ ધરતીમાં વધુ ખૂંપ્યો છું હું.
ટાઢ-તડકો-વૃષ્ટિ હો કે પાનખર,
હર મિજાજી મોસમે ખીલ્યો છું હું.
જેટલો જ્યાં-જ્યાંથી તેં કાપ્યો મને,
એટલો તારામાં ત્યાં વ્યાપ્યો છું હું.
છો ને કત્લેઆમ થઈ ગ્યો પ્યારમાં,
ઠેકઠેકાણે પછી ઊગ્યો છું હું.
પામવા તુજને અનર્ગલ ધાંખમાં,
ચૌદિશે આડો-ઊભો ફાલ્યો છું હું.
ઘોડિયાથી લઈ ચિતાના કાષ્ઠ લગ,
હરરૂપે ત્વન્મય બની જીવ્યો છું હું.
ડૉ.વિવેક મનહર ટેલર
Permalink
April 24, 2006 at 10:13 PM by ધવલ · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
મૂક
વાતાયન મહીં ઊભી હતી
શ્યામા.
ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી
લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી
સૂર્ય સંકોરી ગયો.
માધુર્ય જન્માવી ગયો.
ઉન્નત સ્તનોને અંગૂલિનો સ્પર્શ જેવો
એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ!
o
ઉદરમાં
આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ
પીંજરામાં ક્લાન્ત ને આકુલ
શ્યામા જો ઉં છું, નતશિર.
‘કોણ છે આ કૃત્યનો કર્તા?’
મૂક શ્યામાના થથરતા હોઠ બે ના ખૂલતા.
આંખમાં માધુર્યનાં શબ ઝૂલતાં.
હું કવિ
તીવ્ર કંઠે ચીસ પાડીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
કંઠની નાડી બધીએ તંગ ખેંચીને કહું છું:
‘સૂર્યને શિક્ષા કરો.’
– લાભશંકર ઠાકર
Permalink
April 24, 2006 at 12:01 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, મુક્તક
અમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;
આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.
– ધાયલ
Permalink
April 23, 2006 at 6:20 AM by વિવેક · Filed under રવીન્દ્ર પારેખ
કોઈ પણ રીતે ન એની ગડ મળે,
બીજમાંથી કઈ રીતે એક વડ મળે ?
બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.
એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.
કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.
કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,
એ વિના ના ભીતરે ભેખડ મળે.
કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.
મારા જ શહેર સુરતના રવીન્દ્ર પારેખ (21-11-1946) એટલે નખશીખ પ્રયોગશીલ કવિ. એમની કવિતામાંથી જ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાંથી એક અજબ અજંપો તમને સતત ઝરતો અનુભવાય. સુંદર કવિ હોવા ઉપરાંત સારા વાર્તાકાર અને વિવેચક પણ ખરાં. એમનો પુત્ર ધ્વનિલ પણ સારો કવિ છે. કાવ્યસંગ્રહ: ‘ એ તો રવિન્દ્ર છે’.
Permalink
April 22, 2006 at 11:29 AM by ધવલ · Filed under બ્લોગજગત
ગુજરાતી બ્લોગજગત હવે ઝડપથી વિસ્તરતું જાય છે. બીજા બે નવા બ્લોગ એમાં ઉમેરાયા છે.
પહેલો છે, હૈદરાબાદથી સૂરજ નાહરનો બ્લોગ દસ્તક. એ મારી જેમ જ સૂરતના છે પણ હવે સૂરતથી દૂર રહે છે. અને મારી જેમ જ સૂરત શહેરને ખૂબ યાદ કરે છે. એ મૂળ હિન્દીભાષી છે અને કેટલાક સમયથી પોતાનો હિન્દી બ્લોગ ચલાવે છે. એમની ઓળખાણ એમના પોતાના જ શબ્દોમાં જુઓ.
राजस्थान के उदयपुर (अब राजसमन्द) जिले के देवगढ नामक कस्बे में जन्म हुआ, शिक्षा ज्यादा नही हुई, हिन्दी माध्यम से ११वीं (हायर सैकेन्डरी) तक ही कर पाया, परन्तु हमेशा कुछ नया सीखने की आदत ने कम्प्युटर का चस्का लगा दिया, अंग्रेजी बहुत कम जानता हुं लेकिन इस का कोई गम नहीं, हिन्दी में मुन्शी प्रेम चन्द जी से लेकर गुजराती के पन्ना लाल पटेल तक को पढा है.
અને બીજો છે નેહા ત્રિપાઠીનો બ્લોગ સ્નેહ સરવાણી. આ બ્લોગ પર હજુ એક જ પોસ્ટ છે અને એ છે સ્વરચિત કવિતાનો. (આભાર, મૌલિક)
Permalink
April 22, 2006 at 9:34 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
નાની હતી ત્યારે
હું ડરતી
કે
મારી સાથે રમતો સમય
થાકીને
સૂઇ તો નહીં જાય ને !
આજે
હું ડરું છું
કે
મારી પડખે સૂતેલો સમય
જાગીને
ભાગી તો નહીં જાય ને !
પન્ના નાયક (28-12-1933) નો જન્મ મુંબઈ, વતન સુરત અને લાંબો વસવાટ અમેરિકામાં. સશક્ત કવયિત્રી. વિષાદથી ટપકતાં કાવ્યો, માભોમનો ઝૂરાપો અને માતૃત્વની સ્ત્રીસહજ ઝંખના એમની ભાવવાહી કવિતાઓના ઘરેણાં. કાવ્યસંગ્રહ: ‘વિદેશિની’, વાર્તાસંગ્રહ: ‘ફ્લેમિન્ગો’.
Permalink
April 21, 2006 at 3:23 PM by ધવલ · Filed under ગીત, ગીતા પરીખ
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
નજરુંની બાંધી દીધી બેડી!
હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
પૂનમની ચાંદની માણી.
પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
ને તેં તો લંબાવી દીધી કેડી !
– ગીતા પારેખ
Permalink
April 21, 2006 at 11:26 AM by ધવલ · Filed under મુક્તક, રઈશ મનીયાર
આ સાંજ રોજ આટલી ખૂંખાર કયાં હતી ?
તારું સ્મરણ હતું પણ તલવાર કયાં હતી ?
લોકો હતા બસ એ જ અને એ જ હાથ પણ –
આ પથ્થરો ને પહેલા વળી ધાર ક્યા હતી ?
– રઈશ મનીયાર
Permalink
April 20, 2006 at 1:06 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર

બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !
તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
ડૉ. વિવેક મનહર ટેલર
Permalink
April 19, 2006 at 8:47 PM by ધવલ · Filed under ગઝલ, બ્લોગજગત, મનોજ ખંડેરિયા
લાલાશ આખા ઘરની હવામા ભરી જઈશ.
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઈશ
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા,
આપી મહેક પતંગિયાને હું ખરી જઈશ
આખુંય વન મહેક્તું રહેશે પછી સદા,
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ
હુંતો પીંછુ કાળના પંખીની પાંખનુ,
સ્પર્શુઁ છું આજે આભને કાલે ખરી જઈશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો ને હું સાંભરી જઈશ
– મનોજ ખંડેરિયા
આજે ગુજરાતી પોએટ્રી કોર્નરમાં કીરણે આ ગઝલના છેલ્લા શેરના માત્ર આછાપાતળા શબ્દો મૂક્યા ને પૂછ્યું કે કોઈ પાસે આ ગઝલ છે કે કેમ. મયૂરે તરત જ શેર પૂરો કરી આપ્યો. અને હું ઘરે આવીને પૂરી ગઝલ શોધું એ પહેલા તો ભૈડુસાહેબે એને ગૃપ પર પોસ્ટ કરી પણ દીધી ! ઈંટરનેટ પર ગુજરાતી કવિતામાં વધતા જતા રસની આ નિશાની છે. આમ આંતરરાષ્ટ્રીય સહકારથી સાંભરેલી આ ગઝલ તમે પણ માણો.
આની સાથે જ આગળ રજૂ કરેલી મનોજ ખંડેરિયાની જ બે ગઝલ પણ જોશો – વિકલ્પ નથી અને એમ પણ બને .
Permalink
April 19, 2006 at 12:11 PM by ધવલ · Filed under મુક્તક, શેખાદમ આબુવાલા
શી રીતે મન ડામશે?
રંગ અદભૂત જામશે.
બ્રાહ્મચારી સ્વર્ગમાં
અપ્સરાઓ પામશે !
શેખાદમ મુક્તકના માણસ હતા. એમણે મુક્તકોનો એક અલગ સંગ્રહ કરેલો. એમના મુક્તકોમાં એમનુ વ્યક્તિત્વ છલકી ઊઠે છે. એ વ્યંગ સાથે નાનકડી સરસ ટકોર મૂકે છે. પહેલા રજૂ કરેલા મુકતકો પણ માણો : તાજમહાલ, ગાંધી અને મુહોબ્બતના સવાલોના.
Permalink
April 18, 2006 at 8:11 PM by ધવલ · Filed under આશા પુરોહિત, ગીત
આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.
શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?
નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?
– આશા પુરોહિત
આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.
Permalink
April 17, 2006 at 8:04 PM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
આરસીમાં ડાબું જમણું હોય છે
ભૂમિતિનું એ ઉઠમણું હોય છે
જિંદગીમાં જે નથી પૂરું થતું
એ જ સમણું ખૂબ નમણું હોય છે
દિનની ઈચ્છાઓનું ભારણ રાતમાં
કોણ જાણે કેમ બમણું હોય છે
જે ફરે છે દિવસે થૈને અનાથ
રાત્રે જન્મેલું એ સમણું હોય છે
– શેખાદમ આબુવાલા
Permalink
April 16, 2006 at 1:14 AM by વિવેક · Filed under ગરબી, દલપતરામ
જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૪
કવિ દલપતરામ
શાળેય પાઠ્યપુસ્તકમાં ભણવામાં આવતી આ સુંદર રચના એ સમયના કવિકર્મની આરસી છે. પ્રત્યેક કડીના આરંભે આકાશ તથા કાળનું એકએક પરસ્પર ભિન્ન એવું લક્ષણ દર્શાવી, ‘કહે સૈયર તે કોણ હશે?’ એવો પ્રશ્ન અને બીજી પંક્તિમાં લક્ષણની પૂર્તિ કરતા સૈયરના જવાબ સાથે ધ્રુવપંક્તિ કે ‘જ્યાં જોઉં ત્યાં વાસ વસે’ એ રીતિ વડે આકાશ તથા કાળની આશ્ચર્યજનક લાક્ષણિકતાઓનું કવિ બયાન કરે છે. અનાદિ અનંત એવું આકાશ તથા એવો કાળ ખરે જ આ વિશ્વનું અકળ ‘અચરજ’ છે અને તેથી જ તે આ કાવ્યનો એક રસમય વિષય પણ છે.
Permalink
April 15, 2006 at 10:00 AM by વિવેક · Filed under ગઝલ, માધવ રામાનુજ
એક એવું ઘર મળે આ વિશ્વમાં, ,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે !
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવુંય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરના આગમનનો રવ મળે !
તો ય તે ના રંજ કૈં મનમાં રહે –
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…
માધવ ઓધવદાસ રામાનુજ (22-4-1945, પચ્છમ, અમદાવાદ) એટલે ઋજુ ભાવોને ઋજુતાની ચરમસીમાએ અભિવ્યક્ત કરી શકે એવા સશક્ત કવિ. નાટ્યકાર, નવલકથાકાર અને ચિત્રકાર પણ ખરા. એમના કાવ્યોમાં ગ્રામ્યજીવનનાં તળપદાં સંવેદનો અને આધુનિક જીવનની સંકુલતા સમાનાકારે ધબકે છે. શીર્ષકમાં શિખરણી છંદના આભાસ સાથે શરૂ થતા આ કાવ્યમાં સમગ્ર ઇબારત ગઝલની રહી છે, અને પંક્તિ-આયોજન સૉનેટના ઢાંચાનું સ્મરણ કરાવે છે. કાવ્યસંગ્રહ: ‘તમે’ અને ‘અક્ષરનું એકાંત’.
Permalink
April 15, 2006 at 3:09 AM by વિવેક · Filed under સાહિત્ય સમાચાર
ગુજરાતી સાહિત્યના રસિયાઓ માટે એક ખુશખબરી એ છે કે આપણી ભાષાના મોભીઓને કોમ્પ્યુટર અને સીડીના માધ્યમના ઊગતા સૂરજનો પ્રકાશ દેખાવા માંડ્યો છે. આપણી ભાષાની અમર કૃતિઓ હવે ધીમે સીડી સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહી છે અને જો શરૂઆત સફળ થશે તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ મોટાભાગની જૂની અમર કૃતિઓને સીડી સ્વરૂપે પ્રકાશિત કરવાની યોજના સાકાર કરશે.
1887માં જેનો પ્રથમ ભાગ અને 1901માં જેનો ચોથો ભાગ પ્રગટ થયો હતો એ ગોવર્ઘનરામ માધવરામ ત્રિપાઠી લિખિત ‘સરસ્વતીચંદ્ર’ ગુજરાતી ભાષાની સૌથી વધુ વખણાયેલી, ચર્ચાયેલી અને વંચાયેલી નવલકથા છે. નડિયાદની ડાહીલક્ષ્મી લાઈબ્રેરી અને પ્રો. હસિત મહેતાના પુરૂષાર્થના પ્રતાપે સમગ્ર નવલકથા ફક્ત પચાસ રૂપિયામાં બે સીડીના સેટમાં ઉપલબ્ધ છે, જેમાં ચાર ભાગની આખી નવલકથા ગો.મા.ત્રિ.ના હસ્તાક્ષરમાં હસ્તપ્રતરૂપે અને છાપેલાં પૃષ્ઠ – એમ બેવડા સ્વરૂપમાં વાંચવા મળશે. (અ.સૌ.ડાહીલક્ષ્મી પુસ્તકાલય, સમડીચકલા, નડિયાદ-387001. ફોન.:091-268-2567271).
જે માસિકમાં કવિતા-લેખ છપાવામાત્રથી ગુજરાતી સાહિત્યજગત કવિ-લેખક તરીકે તમારો સ્વીકાર કરી લે એ ગુજરાતી ભાષાનું સર્વકાલિન શ્રેષ્ઠ ગણાતું ‘આવતીકાલના નાગરિકોનું માસિક’ ‘કુમાર’ પણ હવે આપણા સદભાગ્યે સીડી સ્વરૂપે ઉપલબ્ધ છે. છેક ઈ.સ. 1924 ના પ્રથમ અંકથી 2004 સુધીના એંસી વર્ષોના સળંગ 924 અંકો ફ્ક્ત રૂ. 2500માં સોળ સીડીના રૂપમાં મેળવી શકાય છે. વધુ 1000 રૂ. ઉમેરો તો પાંચ વર્ષનું લવાજમ, 924 અંકોની અનુક્રમણિકાની સીડી તથા છ થી સાત સુંદર પુસ્તકો પણ ભેટરૂપે મળે છે. (‘કુમાર ટ્રસ્ટ’, 1454, બાવાની પોળ સામે, રાઈપુર ચકલા, અમદાવાદ-380001. ફોન.: 079-22143745).
Permalink
April 14, 2006 at 1:18 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.
‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
– આદિલ મન્સૂરી
ગઝલ શબ્દનો મૂળ અર્થ ‘પ્રેમિકા સાથે વાતચીત’ એવો છે. એ અર્થ આ ગઝલથી વધારે સારી રીતે કોઈ જ જગાએ પકડાયો હશે. આદિલ મન્સૂરીની આ ખ્યાતનામ ગઝલને અનેક ગાયકોએ સૂરોથી શણગારી છે.
Permalink
April 13, 2006 at 11:22 PM by ધવલ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
તું રૂપ ઘડે,
તું પ્રભુ.
હું તેના નામ કંઈ કંઈ પાડું,
હું કવિ.
તું રૂપ ઘડે ઘડે ને ભાંગે,
મારાં નામ … રમે રમે ને શમે.
અંતે રહે એક નિરાકાર,
રહે એક અ-શબ્દ નામ:
તું…
હું…
પ્રભુ…કવિ…
પ્ર ક ભુ વિ…
– ઉમાશંકર જોશી
Permalink
April 12, 2006 at 7:46 PM by ધવલ · Filed under અછાંદસ, કમલ વોરા
બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી
-કમલ વોરા
કવિકર્મની મર્યાદાને સચોટ રીતે વર્ણવતું નાનકડું કાવ્ય. ભાવક અને કવિ બંને કોશિશ તો કરે પણ બંન્નેનુ અર્થમિલન હંમેશ શક્ય થતું નથી. જીવનના રંગો એટલા અનોખા છે કે સમર્થ સર્જકની ભાષા પણ ટાંચી જ પડવાની. આ અકળામણને આંબવાની રમત એ જ સર્જનનો આનંદ છે.
Permalink
April 12, 2006 at 12:08 PM by ધવલ · Filed under બ્લોગજગત
સુરેશભાઈ જાનીએ ટેક્સાસ, યુએસએથી ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. આ બ્લોગ પણ ગુજરાતી કવિતા અને સાહિત્ય વિષયક છે. ગુજરાતી બ્લોગ જગતમાં સ્વાગત, સુરેશભાઈ.
Permalink
April 11, 2006 at 1:38 AM by વિવેક · Filed under ગઝલ, પ્રકીર્ણ, વિવેક મનહર ટેલર
પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.
વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.
તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.
જિદ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !
રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!
હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?
સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.
હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!
ડૉ. વિવેક મનહર ટેલર
આજે “વિશ્વ પાર્કિન્સન દિવસ” છે. પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.
Permalink
April 10, 2006 at 10:23 PM by ધવલ · Filed under અછાંદસ, નિરંજન ભગત
ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?
-નિરંજન ભગત
આ કવિતા અમારે ભણવામા આવતી. કવિને મતે ખરું ઘર ક્યું છે? – એવા પ્રશ્ન પરીક્ષામાં આવતા ! આજે ઘણા વર્ષે અચાનક આ કાવ્ય હાથમાં આવ્યું છે ત્યારે -જીવનના વીસ વધુ વર્ષના અજવાળામાં આ કાવ્ય વાચું છું- તો સમજાય છે કે ભગતસાહેબે કેટલી મોટી વાત કરી છે. ઘર હોવું અને ‘ઘર’ હોવું એ વાતમાં ફરક છે. અને જ્યાં મન મળે એ બધી જગાએ ખરે તો ઘર જ છે. બંને વાતને કવિએ બખૂબી અહીં સમાવી લીધી છે.
Permalink
April 9, 2006 at 12:20 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .
સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.
તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.
જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.
ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.
’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .
ગની દહીંવાલા
Permalink
April 8, 2006 at 8:57 AM by ધવલ · Filed under ગઝલ, રઈશ મનીયાર
થોડો ભગવાએ રંગ રાખ્યો છે,
થોડો માયાએ રંગ રાખ્યો છે.
થોડો ફૂલોનો, થોડો પંખીનો,
આ પતંગિયાએ રંગ રાખ્યો છે.
મારા ખડિયામાં બૂંદ રક્તનું છે,
એ જ ટીપાએ રંગ રાખ્યો છે.
મેઘ જ્યારે હતો, ધનુષ ક્યાં હતું ?
થોડા તડકાએ રંગ રાખ્યો છે.
હું ન જાણું, પીંછી જ જાણે છે-
કઇ જગ્યાએ રંગ રાખ્યો છે.
રંગથી પર છે મૌન મારું ‘રઇશ’
મારી ભાષાએ રંગ રાખ્યો છે.
રઇશ મનીયાર
Permalink
Page 113 of 118« First«...112113114...»Last »