કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

વેદનાના સંબંધો, સંબંધોની વેદના -હેમેન શાહ

ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.

ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.

મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.

-હેમેન શાહ

હેમેન શાહની આ ગઝલ કોલેજમાં ખુબ લોકપ્રિય હતી. ( કદાચ એ વખતે ‘મિત્રતાના અર્થ’ ને સમજવાની ઘણી ગડમથલ હશે!) સંબંધોના દ્રોહની તપાસ એ સાહિત્યમાં (કે જીદંગીમાં) નવી વાત નથી. શોધવો હોય અર્થ મિત્રતાનો, કવિ કહે છે, તો શરૂઆત ઈતિહાસની એ ક્ષણોથી કર કે જ્યારે મિત્રતા માંથી બધો વિશ્વાસ ઊઠી ગયો હતો. સંબંધો અનિવાર્યપણે વેદનામાં પરિણામે છે એ હકીકતની એક અલગ બાજુ પણ છે. વેદના સંબધ જોડવાની કડી પણ બની શકે છે. કોઈને અંદરથી જાણવા માટે એની વેદનાને સમજવાથી વધારે સારો રસ્તો કયો હોય શકે?

Comments

વૈષ્ણવજન -નરસિંહ મહેતા

વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.

સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.

મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.

વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.

-નરસિંહ મહેતા

Comments (2)

ભોમિયા વિના -ઉમાશંકર જોશી

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

-ઉમાશંકર જોશી

Comments (1)

કોઈ જોડે, કોઈ તોડે – ઉમાશંકર જોશી

કોઈ જોડે, કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે, કોઈ તોડે.

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે.
કોઈ આંખને અધઅણસારે ઊલટથી સામું દોડે.
કોઈ…

કોઈક ગભરુ પ્રણયભીરુ ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે.
કોઈ…

કોઈ અભાગી અધરે લાગી હ્રદયકટોરી ફોડે,
કો રસિયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે.
કોઈ…

-ઉમાશંકર જોશી

Comments

કોણ માનશે ? – શૂન્ય ‘પાલનપુરી’

દુ:ખમાં જીવનની લાણ હતી, કોણ માનશે ?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે ?

શૈયા મળે છે શૂળની ફૂલોના પ્યારમાં !
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે ?

કારણ ન પૂછ પ્રેમી હ્રદય જન્મ-ટીપનું,
નિર્દોષ ખેંચ-તાણ હતી, કોણ માનશે ?

ઈશ્વર સ્વરૂપે જેને જગત ઓળખી રહ્યું,
એ ‘શૂન્ય’ની પીછાણ હતી, કોણ માનશે ?

-શૂન્ય ‘પાલનપુરી’

Comments (5)

ચાલને, ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ – ઉમાશંકર જોશી

ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !

-ઉમાશંકર જોશી

Comments (2)

તને…મને -ઉમાશંકર જોશી

મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.

-ઉમાશંકર જોશી

Comments (1)

એળે ગયૉ – મુકુલ ચૉકસી

જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.

– મુકુલ ચૉકસી

Comments (2)

મુજ ઉર એવું ઉદાસ! -નીરંજન ભગત

નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!

નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!

-નીરંજન ભગત

Comments (1)

અનહદનો સૂર -હરીન્દ્ર દવે

Comments

તમે યાદ આવ્યા -હરીન્દ્ર દવે

Comments

વરસાદની મોસમ છે – હરીન્દ્ર દવે

Comments (3)

જાણીબૂજીને -હરીન્દ્ર દવે

Comments (1)

તમે કાલે નૈં તો – હરીન્દ્ર દવે

Comments (3)