ફક્ત જીતવી નથી મારે તો રચવી છે નવી દુનિયા,
કવિ મુફલિસ છું પણ છું એક કદમ આગળ સિકંદરથી !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

તેજીની કવિતા – કવિ દલપતરામ

સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

(શેરબજારની તેજી જ્યારે પૂરબહારમાં હતી ત્યારે વિવેકીને ભાન ભૂલાવે એવા સમયે કવિ દલપતરામ પણ કવિતાને બદલે શેર-સટ્ટાના કુ-છંદે ચડ્યા હતા. કવિએ તો નાણાં ગુમાવ્યા પણ ગુજરાતી ભાષાને આજદિન લગી વણખેડ્યા રહેલા શેરબજારની તેજી તથા સટ્ટાના પરિણામો જેવા વિષયો પર કેટલીક યાદગાર રચનાઓ મળી. અત્યારે જ્યારે ભારતના શેરબજારના ઇતિહાસે સર્વપ્રથમવાર દસ હજારનો સેન્સેક્ષ નિહાળ્યો છે ત્યારે આ કૃતિ સહજ જ પ્રાસંગિક બની રહે છે.)

Comments (1)

ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ

ડીપાર્ટમેન્ટ ઓફ સાઉથ એશિયા સ્ટડીઝ, યુનિવર્સીટી ઓફ પેન્સીલવેનિયાના શ્રી બાબુ સુથાર રચિત ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશ PDF ફોરમેટમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. આ શબ્દકોશની પ્રસ્તાવનામાં શ્રી સુથાર લખે છે:

It is perhaps the first dictionary of the language created for the beginning student who is learning Gujarati language as a second language. It is also the first dictionary in Gujarati which gives phonetic transcription of the head words in International Phonetic Alphabet. Besides, it is also the first one that gives graphemic transcription of each head word.

આ જ સાઈટ ઉપર ગુજરાતી શીખવા માટે પાયાની માહિતી પણ છે. ભારત બહાર રહેતા કોઈને ગુજરાતી ભાષા શીખવા માટે આ સરળ રસ્તો છે.

Comments (5)

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.

Comments (11)

ઈન્ટરનેટ પર ગુજરાતી

ઈન્ટરનેટ પર ગુજરાતી ભાષાના વિકાસ અંગે હિમાંશુંભાઈ કીકાણીએ એક માહિતીપ્રદ પોસ્ટ એમના બ્લોગ અનુસંધાન પર મૂકયો છે. ગુજરાતી ભાષાની કુલ વેબસાઈટ માંડ 70-80 જેટલી છે. ગુજરાતીનો ઈન્ટરનેટ પર પ્રસાર હજુ પહેલી પગલી સમાન છે. ગુજરાતીને ઈન્ટરનેટ પર સ્થાપિત કરવા માટે આપણે હજુ ઘણુ કામ કરવાનું બાકી છે.

ગુજરાતીને ઈન્ટરનેટમાં આગળ લાવવા માટે આટલા પગલાં ખાસ જરૂરી છે:

  • ગુજરાતી ભાષાને બધી સાઈટ Unicodeમાં જ હોવી જોઈએ. જેથી એ સાઈટ સહેલાઈથી જોઈ શકાય અને એમાંની માહિતી સર્ચ-એંજીનથી (દા.ત. ગૂગલ) સરળતાથી શોધી શકાય. ગુજરાતી છાપાઓએ આ બાબતમાંપહેલ કરવી પડે. આજે એક પણ છાપું Unicode વાપરતું નથી.
  • સસ્તા ભાવે કે મફત ગુજરાતી ફોંટ, વર્ડ પ્રોસેસર, ઓપ્ટીકલ કેરેક્ટર રેકોગ્નીશન સોફટવેર વિગેરે ઉપલબ્ધ કરાવવા જોઈએ.
  • ગુજરાતીમાં અઢળક સાહિત્ય છે કે જે કોપીરાઈટથી બહાર છે. દા.ત. નરસિંહ મહેતા, મીરાંબાઈની રચનાઓ. આ બધુ સાહિત્ય નેટ પર મૂકાવું જોઈએ. આ કામ સાહિત્ય પરિષદે કે પછી સુરેશ દલાલ જેવા કોઈ વ્યક્તિએ ઉપાડવું પડે.

Comments (9)

…એટલે – વિપિન પરીખ

આકાશ એટલે
નિયત સમયે રોજ હાજર થવાની
ચાંદા અને સૂરજની ઓફીસ.

આકાશ એટલે
જોડણીકોશમાં આપેલા પર્યાય
(ન) ખાલી, શૂન્ય સ્થાન, આભ, ગગન, નભ, વ્યોમ.

-વિપિન પારેખ

શબ્દોના સાચા ( કે સાચા લગાડવા ગમે એવા !) અર્થ શોધવાનું અગત્યનું કામ આ દોડતી ભાગતી જીંદગીમાં આપણે ભૂલી જઈએ છીએ. અને, એટલે જ કાદાચ જીંદગીથી અકારણ થાકી જઈએ છીએ. આપણે આપણી અંદરના બાળકને જીવતો રાખીએ તો એ આપણને (ખરા અર્થમા) જીવતા રાખશે. કલ્પનાની નિ:શુલ્ક પાંખો કેમ આપણે કોરે મૂકી રાખીએ છીએ ?

Comments (2)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Comments

ગોવિંદો પ્રાણ અમારો – મીરાંબાઈ

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
સાધુની સંગત છોડીદ્યો તમે, વસોને અમારે સાથ.

મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

મીરાંબાઈ

(મીરાંબાઈ અટલે શ્રીકૃષ્ણપ્રેમ નો અનન્ય પર્યાય. એણે ટેબલ-ખુરશી પર બેસીને ગીતો નથી લખ્યાં. એણે રાણીપદનો ત્યાગ કર્યો હતો એટલે કૃષ્ણના પદ એમને પ્રાપ્ત થયાં. પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ એટલે મીરાંબાઈ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ અને મીરાં પછી કશું ન લખાયું હોત તો ય એ અધુરૂં ન લેખાત.)

Comments (1)

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

Comments (9)

નહીં કરું – પ્રમોદ આહિરે

મારા હ્રદયમાં છે જ તું, ભટક્યા નહીં કરું;
હું મંદિરોમાં જઈને તપસ્યા નહીં કરું.

તકદીરમાં હશે તો તું મળશે જ એક’દિ,
તું જોઈએ જ એવી હું ઈચ્છા નહીં કરું.

હું આદમી છું આદમી રૂપે જ મસ્ત છું,
સૂરજ થવાને માટે સળગ્યા નહીં કરું.

-પ્રમોદ આહિરે

Comments (5)

ગઝલ ગુર્જરીનો નવો અંક

શ્રી આદિલ મંસૂરી સંપાદિત ગઝલ-ગુર્જરીનો નવો અંક વેબસાઈટ પર પ્રગટ થઈ ગયો છે. PDF ફોરમેટમાં આ અંક આપ ગઝલ-ગુર્જરી વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ અંક શ્રી રાજેન્દ્ર શુક્લને અર્પણ કરેલો છે. રાજેન્દ્ર શુક્લ ઉપરાંત આ અંકમાં હરીન્દ્ર દવે, અદમ ટંકારવી, ચિનુ મોદી, અશરફ ડબાવાલા, પંચમ શુક્લ વગેરે ગઝલકરોની સુંદર રચનાઓ છે. સાથે રઈશભાઈની ગઝલનુ છંદશાસ્ત્ર લેખમાળાનો પાંચમો ભાગ પણ છે. આપે ન વાંચ્યા હોય તો પહેલાના પાંચ અંકો પણ ઉપલબ્ધ છે.

Comments

વાતોની કુંજગલી – જગદીશ જોષી

વાતે વાતે તને વાંકું પડ્યું :
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
          મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
          પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
          હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
          કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
          કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

Comments (3)

હું ચાહું છું – સુન્દરમ

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

– સુન્દરમ

એક આંગળીના વેઢે ગણી શકાય એનાથીયે ઓછી પંક્તિઓમાં પ્રેમ અને સુંદરતાના મર્મને અડકી લેવો એ કવિની સિધ્ધી છે. સરખાવો એમની જ અમર રચના – તને મેં ઝંખી છે.

Comments (1)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણ ને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ –
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણ ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણ ને જીવતું રાખે.

ડૉ. રઈશ મનીઆર

(રઈશભાઈના પુસ્તકો – ગઝલ સંગ્રહો : કાફિયા નગર, શબ્દ મારાં સ્વભાવમાં જ નથી, સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી., નિહાળતો જા..(આગામી), પરણીને પહતાય તો કે’તો ની.(હાસ્ય ગઝલસંગ્રહ)
અન્ય : માહોલ મુશાયરાનો(ઉર્દૂ શે’રોનો આસ્વાદ), મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ, કૈફી આઝમીના કાવ્યો(અનુવાદ), તરકશ-જાવેદ અખ્તરના કાવ્યો (અનુવાદ), બાળઊછેરની બારાખડી, આપણે બાળકોને શા માટે ભણાવીએ છીએ?, તમે અને તમારું નિરોગી બાળક )

Comments (2)

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા’નજી
                              ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
                              ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
                              ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)

Comments (4)

લોચન–મનનો ઝઘડો – દયારામ

લોચન – મનનો રે, કે ઝઘડો લોચન – મનનો !
રસિયા તે જનનો રે, કે ઝઘડો લોચન – મનનો ! ટેક0

પ્રીત પ્રથમ કોણે કરી, નંદકુંવરની સાથ ?
મન કહે : “લોચન તેં કરી,” લોચન કહે : “તુજ હાથ.” 0ઝઘડો

“નટવર નિરખ્યા, નેન તેં, ‘સુખ આવ્યું તુજ ભાગ;
પછી બંધાવ્યું મજને, લગન લગાડી આગ ! 0ઝઘડો

“સુણ ચક્ષુ ! હું પાંગળું, તું મારું વાહન ;
નિગમઅગમ કહ્યું સાંભળ્યું, દીઠા વિના ગયું મન.” 0ઝઘડો

“ભલું કરાવ્યું મેં તને – સુંદરવરસંજોગ;
હુંને તજી નિત તું મળે, હું રહું દુઃખવિજોગ.” 0ઝઘડો

“વનમાં વ્હાલાજી કને, હું વસું છું સુણ નેન !
પણ તુજને નવ મેળવ્યે, હું નવ ભોગવું ચેન.” 0ઝઘડો

“ચેન નથી મન ! કેમ તુંને ? ભેટ્યે શ્યામ શરીર ?
દુઃખ મારું જાણે જગત, રાતદિવસ વહે નીર.” 0ઝઘડો

મન કહે : “ધીખું હું હ્યદે ધૂમ પ્રગટ ત્યાં હોય,
તે તુંને લાગે રે નેન, તેહ થકી તું રોય.” 0ઝઘડો

એ બેઉ આવ્યાં બુદ્ધિ કને, તેણે ચૂકવ્યો ન્યાય,
“મન ! લોચનનો પ્રાણ તું, લોચન તું મન-કાય. 0ઝઘડો

સુખથી સુખ, દુઃખ દુઃખથી, મનલોચન ! એ રીત,
દયાપ્રીતમ શ્રીકૃષ્ણ-શું બેઉં વડેથી પ્રીત.” 0ઝઘડો

(ચાંદોદના વતની અને મોસાળ ડભોઈના નિવાસી કવિ દયારામ ( જ્ન્મ : ૧૭૭૭, મૃત્યુ : ૧૮૫૩) કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. એમણે વ્રજ, હિન્દી અને ગુજરાતી ત્રણેમાં લખ્યું. ‘દયારામ રસસુધા’, ‘રસિક વલ્લભ’, ‘પ્રબોધબાવની’, અજામિલાખ્યાન’ વિ. એમના પુસ્તક. ક.મા.મુનશીએ કહ્યું હતું કે દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.)

Comments (5)

ઝાકળનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments

અનહદનો સૂર – હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
                મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
                વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
                મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
                ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
                લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
                અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
                યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
                હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

Comments (1)

યાદ – મરીઝ

રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.

પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધાં યાદ,
દુઃખદર્દ છે એવાં કે તમે પણ ન રહ્યાં યાદ.

એ તો ન રહી શકતે મહોબ્બતના વિના યાદ,
હો વિશ્વના વિસ્તારમાં એક નાની જગા યાદ.

મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.

મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની,
નહિતર મને રહેશે ન મિલનની ય મજા યાદ.

માગી મેં બીજી ચીજ, હતી એ જુદી વસ્તુ,
બાકી હો કબૂલ એવી હતી કંઈક દુઆ યાદ.

આ દર્દ મહોબ્બતનું જે હરગિઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.

એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો,
છે એમ તો કંઈ કેટલી પ્રેમાળ સભા યાદ.

કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું,
ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

હો મૌન જરૂરી તો પછી બન્ને બરાબર,
થોડોક પ્રસંગ યાદ હો, યા આખી કથા યાદ.

ચાલો કે ગતિની જ મજા લઈએ કે અમને,
મંઝિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.

મન દઈને ‘મરીઝ’ એ હવે કંઈ પણ નથી કહેતાં,
સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ.

– મરીઝ

સંપૂર્ણ ગઝલ, વિવેકે મોકલ્યા મુજબ. ( જુઓ કોમેન્ટ્સ)

Comments (13)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

(ડૉ. રઈશ એ. મનીઆર (૧૯-૮-૧૯૬૬) વ્યવસાયે બાળરોગ નિષ્ણાંત અને કર્મે કવિ. મારા જ શહેરના અને મારા કાવ્યગુરૂ રઈશ ગુજરાતી ભાષાની ઝળહળતી આજ અને આવતીકાલ છે. ધર્મ અને સમાજના ઢાંચાને એ વર્ષો પહેલાં જ વળોટી ગયેલાં અને એના પુરાવા કોલેજના નોટીસબૉર્ડ પર એમની કવિતાની નીચે લખેલા નામના પ્રથમ મૂળાક્ષરો R.A.M. થી માંડીને હિંદુ છોકરીને જીવનસાથી બનાવવા સુધી વિસ્તરેલા છે. ધોમધીખતી તબીબી પ્રેક્ટીસને નિયંત્રિત કરીને શબ્દની આરાધના કરવાનું તપ ફક્ત સરસ્વતીનો આ અલગારી ઉપાસક જ કરી શકે. ગઝલના છંદોને સંગીતના સૂર સાથે સાંકળીને સાવ સરળ બનાવતું પુસ્તક, ગુલઝારની કવિતાઓનો સમાન છંદસહિત અનુવાદ તથા ઊર્દૂ અને ગુજરાતી ગઝલનો ઇતિહાસ – આ ત્રણ આગામી પુસ્તકો નિઃશંક આપણી ભાષાના સીમાચિહ્ન બની રહેશે.)

Comments (5)

હું ગુર્જર ભારતવાસી – ઉમાશંકર જોશી

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી . હું…..

અર્બુદ- અરબસમુદ્ર વચાળે
ધરતીના આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી . હું…..

ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં.
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી . હું….

અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી . હું….

ગિરિચટ્ટાન સમાણી છાતી
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.

(ઉમાશંકર જેઠાલાલ જોશી ગાંધીયુગની ગુજરાતી કવિતાના મૂર્ધન્ય કવિ હતાં. ઉમાશંકર માત્ર કવિ ન્હોતાં, એ તો ગુજરાતી ભાષાનો ગરવો શબ્દ હતાં. એમના વિશે લખવું એટલે સૂર્યને દિવો ધરવો. ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા’થી લઈને ‘છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે’ ની શાતા સુધી તો એ જ લઈ જઈ શકે જેના ઉરમાં ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ નું બીજ અંકુરિત થયું હોય.)

Comments

એક સૂર્ય : ત્રણ રણ (તાન્કા) – કિશોરસિંહ સોલંકી

સવાર  

વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.

બપોર

હરણાં ઊભાં
પીએ મૃગજળને
ખજૂરી દોડે
વાયરાની વચાળે
જુએ હાંફતું રણ.

સાંજ

ચોળતો આંખો
ક્ષિતિજના માળામાં
લપાતો સૂર્ય
ધીમે કંકુ પગલે
આથમે ભીનું રણ.

– કિશોરસિંહ સોલંકી

રણ અને સૂર્યની દૈનિક રમતને કવિએ આ તાન્કા-ત્રયીમાં વણી લીધી છે. તાન્કા (હાઈકુની જેમ જ) જાપાની કાવ્યપ્રકાર છે. 31 શ્રુતિઓની કુલ 5 પંક્તિઓથી તાન્કા બને છે. પહેલી ત્રણ પંક્તિઓમાં હાઈકુની જેમ જ 5-7-5 શ્રુતિઓ હોય છે અને છેલ્લી બેમાં સાત-સાત શ્રુતિઓ હોય છે.

Comments (1)

દુર્દશાનો એટલો આભાર હોય છે – મરીઝ

બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું !
તારો જે દૂરદૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે.

કાયમ રહી જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

– મરીઝ

Comments (9)

આવો ! – મકરંદ દવે

અમે રે સૂકું રૂનું પૂમડું,
     તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
     વીંધો અમને વ્હાલા, આરંપાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે, સૂના ઘરનું જાળિયું,
     તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
     ભરો લખ લખ અદીઠા અંબાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

અમે રે ઊધઈખાધું ઈધણું,
     તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
     આપો અમને અગનના શણગાર:
     આવો, રે આવો હો જીવણ, આમના.

– મકરંદ દવે

આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.

Comments (4)

ગઝલ – શ્યામ સાધુ

તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
મંજિલ વગરનો જાણે મુસાફર બની ગયો!

ફૂલોનું સ્વપ્ન આંખ માં આંજ્યાના કારણે,
હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો?

ક્યાં જઈ હવે એ સ્મિતની હળવાશ માણશું?
હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો!

મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોનાં સ્પર્શથી,
રસ્તે હું એ જ કારણે પત્થર બની ગયો!

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!

‘ગઝલનો ગિરનારી મિજાજ’ ધરાવનાર શ્યામ સાધુ (૧૫-૬-૧૯૪૧ થી ૧૬-૧૨-૨૦૦૧) નું મૂળ નામ શામળદાસ સોલંકી. એમની ગઝલોનો અલગારી મિજાજ તો એમના ગઝલ સંગ્રહ ના નામ પરથી જ તાદ્દશ થાય છે – ‘યાયાવરી’, ‘અને થોડાં બીજાં ઇન્દ્રધનુષ્ય’.

Comments (7)

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

(કવિતા પંક્તિ મટીને કહેવત બની જાય ત્યારે જાણવું કે કવિ અમર થઈ ગયો. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત- આ પંક્તિ વારે-તહેવારે ન વાપરી હોય છતાં જેને ગુજરાતી હોવાનો ગર્વ હોય એવો એકેય ગુજરાતી મળવો શું શક્ય છે? પારસી વેપારી અરદેશરે આ એક કાવ્ય પછી કશુંય ન લખ્યું હોત તોયે ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા- ત્રણેય એમનાં સદાકાળ ઋણી રહેવાનાં હતાં. ‘ઇકા-ઇકા’ ના અંત્યાનુપ્રાસવાળા કાવ્યરસિકા, વિલાસિકા, પ્રકાશિકા, સંદેશિકા, કલ્યાણિકા, નંદનિકા, કલિકા તથા ભજનિકા વગેરે કાવ્યસંગ્રહો એમણે આપ્યાં.
જન્મ : ૬-૧૧-૧૮૮૧, મરણ : ૩૦-૭-૧૯૫૩)

Comments (8)

દિલ – મનહર મોદી

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

– મનહર મોદી

Comments (3)

ચૂમી છે તને – મુકુલ ચોકસી

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું થયું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

Comments (11)

જીવનનો માર્ગ – ‘બેફામ’

સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.

મારા હ્રદયને પગ તળે કચડો નહીં તમે,
કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી.

શ્રદ્ધાની હો સુવાસ, પ્રતિક્ષાનો રંગ હો,
એવાં ફૂલો ખીલે છે ફક્ત પાનખર સુધી.

આંખોમાં આવતાં જ એ વરસાદ થઈ ગયાં,
આશાનાં ઝાંઝવાં જે રહ્યા’તાં નજર સુધી.

મૈત્રીનાં વર્તુળોમાં જનારાની ખેર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.

ઉપકાર મુજ ઉપર છે જુદાઈની આગનો,
એક તેજ સાંપડ્યું છે તિમિરમાં સહર સુધી.

મંજિલ અમારી ખાકમાં મળતી ગઈ સદા,
ઊઠતા રહ્યા ગુબાર અવિરત સફર સુધી.

‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

-‘બેફામ’

બેફામસાહેબની આ ગઝલનો છેલ્લો શેર ગુજરાતીના સૌથી યાદગાર શેરમાં સ્થાન પામે છે. આ સામાન્ય લાગતા શેરમાં એમણે જીવનની સરળ અને સચોટ ફિલસૂફી ભરી દીધી છે.

Comments (11)

પ્રાર્થના – ન્હાનાલાલ દ. કવિ

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરસનાં દાન દઈ જા.

પિતા ! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ ! મહાસાગર ભણી.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, – તુજ ચરણમાં નાથજી ! ધરું.

(આ પ્રાર્થનાની પ્રથમ ચાર પંક્તિથી તો સહુ સુમેળે પરીચિત હશે જ. પણ આખી પ્રાર્થના બહુ થોડા એ જ વાંચી હશે. ન્હાનાલાલ કવિ (16-3-1877 થી 9-1-1946) એ કવિ દલપતરામના સુપુત્ર. ડોલનશૈલી નો પ્રાદુર્ભાવ એમણે કર્યો. લાલિત્ય અને લાવણ્યસભર ગીતો, ખંડકાવ્યો, કરુણ પ્રશસ્તિકાવ્ય, નાટકો અને મહાકાવ્ય થકી એમણે ગુર્જરીને સતત શણગારી.)

તા.ક. – આ બ્લોગ પર દર શનિ-રવિ માં બે કાવ્યો મૂકવાની મારી મંષા છે – એક કાવ્ય અર્વાચીન કવિનું અને એક પ્રાચીન કવિનું! વધુમાં જરૂર લાગે ત્યાં નાની ટિપ્પણી થકી કવિનો અથવા કવિતાના ભાવજગતનો યથાકિંચિત પરિચય કરાવવાની ખેવના છે.

Comments (13)

કવિતા અને કમ્પ્યુટરનો કલાકાર

થોડા દીવસ પર જ વિશાલ મોણપરાની ઓળખાણ એની વેબસાઈટ દ્વારા થઈ. વિશાલની વેબ સાઈટ જોતા જ ગમી જાય એવી છે. એના પર સ્વરચિત કવિતાઓને સરસ રીતે ગોઠવેલી છે. કવિકર્મમાં એ ખૂબ આગળ વધે એવી શુભકામના. વિશાલની મને ગમી ગયેલી કેટલીક પંક્તિઓ આ સાથે માણો.

તને જોઈને વળે ફૂલોને પસીનો
તેને ઝાકળનું નામ આપું તો કેવું?

હવે તારાથી દૂર થવાની ભિતી નથી હ્રદયમાં
આ જો હથેળીમાં સમયનું પતંગિયું પકડ્યું.

અરે કપડા ખંખેરવા રહેવા દે મારા
ગઝલો વાળવાનો મારી પાસે સમય નથી
ગઝલોના ટુકડા વાગે જશે તને
બાકી ના પાડવાનો મારો કોઈ આશય નથી

આંખ મીચુ તો કોઈ એક સ્વજન
આંખો ઉઘાડું તો વ્યક્તિ અજાણી

કવિ હોવાની સાથે સાથે જ વિશાલ કોમ્પ્યુટર એન્જીનીયર પણ છે. એણે ગુજરાતી લખવા માટે ગુજરાતી ટાઈપ પેડ બનાવ્યું છે. આ માટે કોઈ નવા સોફ્ટવેરની જરૂર નથી. વેબ બ્રાઉઝરમાંથી જ આપ સીધુ ગુજરાતી લખી શકો છો. આનો બીજો ફાયદો એ છે કે ઓપરેટીંગ સીસ્ટમ કોઈ પણ હોય આ ટાઈપ પેડનો ઉપયોગ કરી શકાય છે. જેમની પાસે વિન્ડોઝ એક્સપી નથી એ બધા માટે ગુજરાતી લખવાનો આ સૌથી સરળ રસ્તો છે. અહી ગુજરાતીમાં લખી આપ એને ‘કટ એન્ડ પેસ્ટ’ કરી બીજા કોઈ પણ પ્રોગ્રામમાં વાપરી શકો છો.

Comments (4)

સ્વાગત વિવેક !

લયસ્તરો અત્યાર સુધી હું એકલો જ ચલાવતો. સલાહ અને શુબેચ્છાઓ ખરા પણ પોસ્ટ હું એકલો જ કરતો. હવેથી આમાં એક વધારે સાથીદારનો ઉમેરો થાય છે. આ પહેલાનો પોસ્ટ જોયો હોય તો તમને આ ખબર પડી જ ગઈ છે. સૂરતનો મારો કવિમિત્ર વિવેક એની ગમતી કવિતાઓ આપણા બધા માણી શકીએ એ રીતે લયસ્તરો પર મૂકશે. આથી બધાને વધારે એક જાણકારના વાંચનનો લાભ મળશે. ઉપરાંત, વિવેક તો પોતે પણ સમર્થ કવિ છે. એની કાવ્યદ્રષ્ટિનો પણ લાભ મળશે. આભાર અને સ્વાગત, દોસ્ત !

Comments (1)

કંઈક તો થાતું હશે… – રમેશ પારેખ

સ્પર્શ દઈ

પાણી વહી જાતું હશે

ત્યારે કંઈક

આ પત્થરોને કંઈક તો થાતું હશે…

રમેશ પારેખ

( ધવલનાં સહજ આમંત્રણને સ્વીકારી લયસ્તરોની યાત્રામાં આજથી પદાર્પણ કરી રહ્યો છું. ધવલ અમેરિકામાં અને હું ભારતમાં. એના શબ્દોમાં આ બ્લોગ હવે અંતર્રાષ્ટ્રીય જ નહીં, અંતરખંડીય (Not only international, but transcontinental) બની રહ્યો છે. રમેશ પારેખનાં એક સાવ જ નાનાં ઊર્મિકાવ્ય સાથે શરૂઆત કરૂં છું. મારા વાંચનનું આપ સૌ સાથે તાદાત્મ્ય સાધવાની મારી અને ધવલની આ સહિયારી કોશિશ પણ આપના સ્નેહને પાત્ર ઠરે એવી અંતરેચ્છા.

– વિવેક ટેલર ( શબ્દો છે શ્વાસ મારાં )

Comments (8)

ભૃણ હત્યા -એષા દાદાવાળા

                             મા બોલ
         હવે તને આ ખાલી પેટનો ભાર લાગે છે ને ?
                    પેટ પર વાગતીને મીઠ્ઠી લાગતી એ લાતો,
         આંખોની પેલે પાર બહુ વાગે છે ને ?

         તારામાં ઊગી’તી એ નાનીશી વેલને,
                    પહેલાં તો આપ્યો’તો આધાર,
         તારામાં શ્વસતો એ જીવ હું છું,
                    એ જાણ્યા પછી પેટનો યે લાગ્યો’તો ભાર ?
અરીસા સામે જોઈ મલકાતી તું હવે એનાથી પણ દૂર ભાગે છે ને ?

         તમારું પણ કેવુ પહેલાં તો
                    પ્રાર્થી-પ્રાર્થીને તમે જ બાળકને માંગો,
          પેટમાં દિકરો નથી એવી ખબર પડે
                    પછી ભગવાનને કહી દો, તમે જ રાખો !
અનાયાસે દેખાતું લોહી હવે ભારોભાર પસ્તાવો અપાવે છે ને ?

          છૂટાં પડતા રડવું આવે,
                    એવો આપણો ક્યાં હતો સંબંધ?
         તારાં ય જીવતરની પડી ગઈ સાંજ
                     આકાશનો લાલ લાલ થઈ ગયો રંગ !
પરી જેવી ઢીંગલી ચુમી ભરે એવું શમણું હજીયે આવે છે ને?

-એષા દાદાવાળા

Comments (4)

એટલે – યોગેશ જોષી

તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.

એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી –
આંખ આખી જિંદગી મીંચી નથી.

– યોગેશ જોષી

Comments (2)

સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!

– રાજેન્દ્ર શાહ

Comments (5)

શ્યામસુંવાળું અંધારું – જયંત પાઠક

શ્યામસુંવાળું
સીસમ જેવું અંધારું
કિરણની કરવતથી વ્હેરાય

રજ રજ અજવાળું થૈ ખરે
પવનમાં ઊડે
પાંદડે બેસી ફરફરે !
પતંગિયાની પાંખો ઉપર તરે,
પાણીમાં બૂડે
રેતકણોમાં તળિયે ચળકે
મીન થઈને સળકે
આભ થઈને પથરાય
કીકીના કાજળમાં કલવાય
ટપકું થૈને ઝળકે!

– જયંત પાઠક

જયંત પાઠકના બીજા કાવ્યો પણ માણો – માણસ અને ના રસ્તા કે ના ઝરણાં.

Comments

શબ્દો છે શ્વાસ મારાં

ગુજરાતી બ્લોગજગતમા એક વધારે બ્લોગનો ઉમેરો થયો છે. એ બ્લોગ છે – શબ્દો છે શ્વાસ મારાં. આ બ્લોગ મારા પ્રિય મિત્ર વિવેકે શરુ કર્યો છે. સૌથી વધારે આનંદની વાત એ છે કે આ બ્લોગ વિવેકની સ્વરચિત કવિતાનો બ્લોગ છે. લયસ્તરો સહિત ગુજરાતી કવિતાના અત્યાર સુધીના બધા બ્લોગ બીજાની કવિતાઓ પ્રગટ કરતા રહ્યા છે. જ્યારે શબ્દો છે શ્વાસ મારાં વિવેકની પોતાની સર્જનશક્તિનું પ્રતિબિંબ છે. વિવેક એક સશક્ત રચનાકાર છે. એની જીવનસફરની સાથે સાથે એની ગઝલોનું અર્થવિશ્વ વિસ્તરતું રહ્યું છે. આપ અચૂક શબ્દો છે શ્વાસ મારાંની મુલાકાત લેશો.

Comments (2)

છું હું – મનોજ ખંડેરિયા

ભીડ ભરેલો ભરચક છું હું
કોલાહલની છાલક છું હું
ઘડિયાળોની ટકટક છું હું
આ નગરની વાચાળે.

એકાંતે અટવાતો ચાલું
મારાથી અકડાતો ચાલું
હું જ મને અથડાતો ચાલું
આ સફરની વાચાળે.

-મનોજ ખંડેરિયા

Comments

કોને ખબર ? – રમેશ પારેખ

પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?

શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ?

શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ?

સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,
ને સવારે આંખમાંથી શું વહ્યું ? કોને ખબર ?

માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર ?

મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર ?

– રમેશ પારેખ

Comments (7)

આવશે – આદિલ મન્સૂરી

હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે

ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે

હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે

રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે

તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે

સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે

– આદિલ મન્સૂરી

Comments (4)

બરફના પંખી – અનિલ જોશી

અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં. 

લૂમાં તરતો ઘોર ઊનાળો
અમે ઉઘાડે ડિલે,
ઓગળતી કાયાના ટીપાં
કમળપાંદડી ઝીલે,

ખરતા પીંછે પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યા !
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

લીલા-સૂકા જંગલ વચ્ચે
કાબરચીતરા રહીએ,
નભમાં ઊડતાં સાંજ પડે તો
સોનલવરણાં થઈએ,

રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં.

– અનિલ જોશી

અ.જો. નુ આ ગીત ગુજરાતી ગીતોમાં એક સિમાચહ્ન છે. આ સાથે જ માણો અ.જો.ના બીજા બે ગીત કન્યા-વિદાય અને મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી.

Comments (2)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો   હોઈ  શકે,  સત્યનો   વિકલ્પ   નથી
ગ્રહોની   વાત  નથી,   સૂર્યનો  વિકલ્પ  નથી

હજારો   મળશે    મયૂરાસનો    કે    સિંહાસન
નયનનાં  આંસુજડિત તખ્તનો  વિકલ્પ નથી

લડી   જ   લેવું   રહ્યું   મારી   સાથે  ખુદ મારે
હવે  તો  દોસ્ત,   આ   સંઘર્ષનો  વિકલ્પ નથી

કપાય   કે  ન બળે,  ના  ભીનો  યા થાય જૂનો
કવિનો   શબ્દ   છે,  એ  શબ્દનો વિકલ્પ નથી

પ્રવાહી  અન્ય  ન  ચાલે ગઝલની રગેરગમાં
જરૂરી   રક્ત  છે  ને   રક્તનો   વિકલ્પ   નથી

-મનોજ ખંડેરિયા

Comments (4)

જઈએ – શોભિત દેસાઈ

પાણીના ટીપે ઘાસમાં જઈએ
ચાલ, કોઈ પ્રવાસમાં જઈએ
પહેલી વર્ષામાં એક થઈને પછી
માટીના ભીના શ્વાસમાં જઈએ.

-શોભિત દેસાઈ

Comments (1)

મહેફીલ-એ-સોનલ અને વાર્તા રે વાર્તા

થોડા દીવસ પર મહેફીલ-એ-સોનલ માણવાનો મોકો મળ્યો. ના આ કોઈ કવિ સંમેલન કે મુશાયરાની વાત નથી. આ વાત કેલિફોર્નિયાથી સોનલે શરુ કરેલા પોડકાસ્ટની છે. (પોડકાસ્ટ એ બ્લોગનો બોલકો ભાઈ છે. એટલે કે બ્લોગમાં લખીને રજુઆત કરાય છે એમ પોડકાસ્ટ બોલીને-અવાજથી રજૂઆત કરાય છે. ઓડિયો ફાઈલ ડાઉનલોડ કરીને અથવા તો સ્ટ્રીમીંગ ઓડિયોથી પોડકાસ્ટ સાંભળી શકાય છે.) સોનલ એના પોડકાસ્ટમાં ગઝલ, કવિતા અને ગીતોનું સંમિશ્રણ કરે છે અને એમા ઉમેરે છે પોતાની પસંદગી અને સંસ્મરણો. અત્યાર સુધીમાં સોનલે ત્રણ એપિસોડ પ્રગટ કર્યા છે. ત્રણે માણવા જેવા છે. સોનલના સુંદર અવાજ અને રસાળ શૈલીથી ગીતો અને ગઝલો જીવંત થઈ જાય છે.

સોનલની પોડકાસ્ટની કામગીરી આટલાથી અટકતી નથી. એણે બાળકો માટે ખાસ પોડકાસ્ટ વાર્તા રે વાર્તા પણ શરુ કરેલો છે. ગુજરાતીમાં આ પહેલો જ પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટમાં એ ‘બાળ-વાર્તાઓ કહેવાની પારં૫રિક કલા નો પોડકાસ્ટિંગ ની આધુનિક પધ્ધતિ સાથે સમન્વય’ કરે છે. આ પોડકાસ્ટ ખાસ માણવાલાયક છે.

Comments (2)

પ્રેમ એટલે – મુકુલ ચોકસી

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !

ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…

કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તેય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !

– મુકુલ ચોકસી

Comments (9)

પગફેરો – એષા દાદાવાળા

દીકરીને અગ્નિદાહ આપ્યો,
તે પહેલા ઈશ્વરને
બે હાથ જોડીને કહ્યું હતું,
સાસરે વળાવતો હોઉં એવી જ રીતે
મારી દીકરીને વિદાય કરું છું,
ધ્યાન રાખીશને એનું?
અને પછી મારામાં અગ્નિદાહ દેવાની તાકત આવી,
લાગ્યું કે ઈશ્વરે વેવાઈપણું સ્વીકારી લીધું…!
એને અગ્નિદાહ આપીને પાછો ફર્યો ત્યારે પત્નીએ
આંગણામાં પાણી મૂક્યું હતું…
નાહી નાખવાનું હવે દીકરીનાં નામનું…!
દીકરી વિનાનું ઘર આજે દસ દિવસનું થયું…
પત્નીની વારેવારે ભરાઈ આવતી આંખો
દીકરીના ડ્રેસિંગટેબલ અને છેલ્લાં દસ દિવસથી
એકદમ વ્યવસ્થિત રહેલાં એનાં વોર્ડરોબ પર ફરી વળે છે…
હું પણ ત્યાં જોઉં છું ને એક
નિસાસો નંખાય જાય છે…
ઈશ્વર, દીકરી સોંપતા પહેલાં તારા વિશે
તપાસ કરાવવાની જરુર હતી,
કન્યાપક્ષના રિવાજોને તારે માન આપવું જોઈએ,
દસ દિવસ થઈ ગયાં…
અને અમારે ત્યાં પગફેરાનો રિવાજ છે…!!!

-એષા દાદાવાળા

એષા દાદાવાળાની રચના ડેથ સર્ટિફિકેટ થોડા વખત પર રજુ કરેલી. એજ સૂરમાં લખાયેલી આ બીજી રચના.

Comments (13)

કેવા રમતારામ હતા – સૈફ પાલનપુરી

ખૂશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં,
શું આંસુનો ભૂતકાળ હતો – શું આંસુનાં પણ નામ હતાં ?

થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી,
ઓ મોત જરા રોકાઈ જતે, બેચાર મને પણ કામ હતાં.

હું ચાંદની રાતે નીકળ્યો’તો ને મારી સફર ચર્ચાઈ ગઈ,
કંઈ મંઝિલ પણ મશહૂર હતી, કંઈ રસ્તા પણ બદનામ હતા.

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

જે પેલા ખૂણે બેઠા છે એ ‘સૈફ’ છે, મિત્રો જાણો છો ?
એ કેવા ચંચલ જીવ હતા, ને કેવા રમતારામ હતા !

– ‘સૈફ’ પાલનપુરી

સૈ.પા.ની આ ગઝલ જખ્મોની યાદીવાળા શેરથી પ્રખ્યાત છે. પણ બાકીના બીજા શેર પણ એકએકથી ચડીયાતા છે. છેલ્લા શેરમાં ‘સૈફ’ પોતાની જાતમાંથી નીકળીને, દૂરથી પોતાના વિષે વાત કરે છે એ અલગ જ પ્રભાવ પાડે છે.

Comments (6)

નિખાલસતા – સૈફ પાલનપુરી

ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે !

– સૈફ પાલનપુરી

Comments (3)

શાનદાર જીવ્યો છું – ‘ધાયલ’

ખૂબ     અંદરબહાર     જીવ્યો     છું
ઘૂંટેઘૂંટે      ચિકાર      જીવ્યો      છું

હું  ય  વરસ્યો    છું   ખૂબ  જીવનમાં
હું  ય   બહુ   ધોધમાર   જીવ્યો   છું

બાગ   તો   બાગ,    સૂર્યની    પેઠે-
આગમાં    પુરબહાર    જીવ્યો    છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ
સર્વથા     શાનદાર     જીવ્યો    છું

-‘ઘાયલ’

Comments (3)

આશા-નિરાશા – ‘ધાયલ’

વલણ એકસરખું રાખું છું આશા નિરાશામાં
બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં
સદા જીતું છું એવું કૈં નથી, હારું છું બહુધા, પણ
નથી હું હારને પલટાવવા દેતો હતાશામાં

– ‘ઘાયલ’

Comments (2)