તાપણું તો છે બહાનું નામનું,
આમ બાકી ત્યાં ઘણું રંધાય છે.

ભરત ભટ્ટ ‘પવન’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

લયસ્તરો – એક ફ્લેશબેક – છેલ્લી વીસ વર્ષગાંઠોની ઉજવણી…

ગુજરાતી કવિતા તેમજ કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો ડોટ કોમની વર્ષગાંઠ ઉપર દર વરસે અમે વાચકમિત્રોને કંઈક નવું આપવાની કોશિશ કરતા આવ્યા છીએ… આ વરસે “પથપ્રવર્તક કાવ્યો” માણીશું- એવી કવિતાઓ જેણે દુનિયાનો ચહેરો બદલવામાં નાનો-મોટો ભાગ ભજવ્યો હોય… પણ આ પથપ્રવર્તક કાવ્યોની શૃંખલા સોમવારથી શરૂ થાય ત્યાં સુધીમાં આપણે વીત્યાં વીસ વર્ષોની ઉજવણીની ગલીઓમાં ફરીથી એક લટાર મારીએ… ચાલો… વારાફરતી ક્લિક કરીએ…

Comments (1)

‘લયસ્તરો’ને આજે એકવીસ વર્ષ પૂરાં!

જીવનમાં કોઈક વાર કવિતા તોફાનની જેમ આવે છે. અને એના રુદ્ર સ્વરૂપમાં બધું જ ધોવાઈ જાય છે.

ને વળી કવિતા-રાણી કોઈ વાત પાયલના રણકાર સાથે આવે છે. એના એક એક પગલે સામટા હજારો દીવાઓની કતાર ખડી થઇ જાય છે.

ક્યારે એવી ઘડી આવે છે જયારે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જેમ વિરાટ સ્વરૂપ બતાવેલું એવી જ રીતે કવિતા તમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે. એ ઘડીએ કવિતાની પાછળ આખી જિંદગીભર જોયેલી વાટ સફળ થઈ જાય છે.

કોઈ નાજુક ક્ષણે કવિતા એક અધકચરા સ્મિતના રૂપમાં આવે છે. તમને રમાડે છે અને ટટળાવે છે.

પછી કોઈ વાર કવિતા વટવૃક્ષ થઇને આવે છે. જિંદગીના તડકાને છાંયડો કરતી જાય છે.

અને આ તો કવિતાના થોડા જ સ્વરૂપોની વાત થઈ.

આવા તો કાંઈ અગણિત લાડ કવિતા ભાવકને લડાવે છે.

કમનસીબે કવિતા કોઈ પણ રૂપમાં તમારી સાથે લાંબો સમય રહેતી નથી. કવિતા સાથે એક ઘડી કે એક ક્ષણ તો બહુ થઈ ગઈ. એનાથી વધારે કવિતા કાંઈ આપી શકે નહીં અને એનાથીય વધારે આપણે એની પાસે કાંઈ માંગી પણ શકીએ નહીં.

જે જાદુ એક ઘડીથી વધારે ટકતો નથી એને કેમ કરી સંઘરવો અને કેમ કરી વહેંચવો?

કવિતાના આ જાદુને વહેંચવાનો ઉદ્યમ એટલે ‘લયસ્તરો’.

આમ તો આ ઉદ્યમ મૂળથી જ અશક્ય. તો ય કેમે કરીને ચાલ્યો. ભાવકોના પ્રેમથી અશક્ય પણ અર્ધ-શક્ય બન્યું. કવિઓનો પણ ખુબ પ્રેમ મળ્યો. પોતાના દિલના ટુકડા જેવા શબ્દો અમારી સાથે વહેંચવા માટે કવિઓએ કદી પણ સામે કશું માગ્યું નથી. એક અશક્ય સફર એક મજલિસ બની ગઈ. કોઈ દિવસ જે વિચાર્યું નહોતું એ બધું કવિતા-રાણીના પાલવના છાંયડામાં શક્ય બન્યું.

આજે એ ઉદ્યમને એકવીસ પુરા થયા.

આ સફરનો આખી જિંદગી સફળ થઇ ગઈ હોય એટલો આનંદ છે. અને એ આનંદ બધા સાથે વહેંચીને ખાધો એનો સવિશેષ આનંદ છે.

આટલા બધા લોકોનું આટલું બધું ઋણ મારો નાનકડો જીવ કદી ચૂકવી શકશે નહીં એ તો ખબર જ છે. પણ સાથે એ પણ ખબર છે કે પાછલી રાત્રે અકારણ યાદ આવી ગયેલી ભુલાયેલી કવિતાની એ જાજરમાન પંક્તિઓ જે જીવતરને જીવવા જેવું કરતી જાય છે એના ખાતર તો આવા હજારો ઋણ કબૂલ છે 🙏

તા.ક.: દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ પર કંઈક વિશેષ કરવાની પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખીશું. પણ એ ‘વિશેષ’ માટે આપે આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે !

Comments (18)

ગઝલ હાર્મની – નયન હ. દેસાઈ

હિંડોળો હેઈ હો! તૈયાર પાનસોપારી
રઝળતી યાદ હેઈ! આવી તો સાવ નોંધારી

ન ડંખે હેઈ હો… કવિતા તો હું બચી જાઉં
ઊભો છું સાંઢણી છંદોની હેઈ… ઝોકારી

નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
તને હું યાદ કરૂં કોય પળ એ અલગારી*

નિહાળ્યું (હેઈ હો) લીમડાનું ઝાડ લીલુંછમ
ને હેઈ! પાંદડાઓ નામ ઊઠયાં પોકારી

રડે છે દોઢ–બે વાગ્યે સૂની સડક હેઈ હો…!
દરોગા રાતનો પૂછે છે હેઈ! ખોંખારી.

અવાજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી

– નયન હ. દેસાઈ

કવિતાનું શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ઉઘાડી આપે છે. ‘ગઝલ હાર્મની’ શીર્ષક પરથી ખ્યાલ આવે કે ગઝલના પરંપરાગત અંગોમાં હાર્મની- સંવાદિતા, સૂરસામંજસ્ય, સ્વરૈક્ય ઉમેરવાની વાત ગઝલના કેન્દ્રમાં હોવી ઘટે. ગઝલની શરૂઆત હિંડોળાથી થાય છે અને ગઝલમાં હિંડોળાને ધક્કો દેતી વેળાના ‘હેઈ હો! હેઈ’ ‘હેઈ હો! હેઈ’ ઉદગારની હાર્મની પણ સિદ્ધ થઈ છે. કવિએ દરેક શેરમાં ઉલા મિસરામાં ‘હેઈ હો’ અને સાનીમાં ‘હેઈ’ ઉમેરી સાચા અર્થમાં હાર્મની સર્જી પણ બતાવી છે. ઉલાના ‘હેઈ હો!’ના પોકારને સાનીનો ‘હેઈ’ આબાદ ઝીલી લે છે.

કવિના બચવાની એકમેવ શરત છે કે કવિતા ડંખ ન મારે! પણ એ તો બનવાનું નથી. સર્જક બચી જવાની વાત તો કરે છે, પણ સર્જકની તો વાતો સુદ્ધાં કવિતા જેવી હોય. ઉપરથી કંઈ કહે પણ અંદરથી અર્થ કંઈ અલગ જ હોવાનો. એમ ન હોય તો છંદોની સાંઢણીને ઉપર તુર્ત જ સવાર થઈ શકાય એમ નમાવીને નહીંતર શીદ તૈયાર રાખી હોય? છંદોની સાંઢણીને ઝોકારવાની વાત કવિતાની રીતે તો ઉત્તમ છે જ, પણ વ્યવહારમાં ઘસાતા શબ્દોને કવિતાની કલાઈ કરીને ઊજળા-ચળકતા રાખવાની કવિની મથામણની પણ એ દ્યોતક છે. ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:

નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.

નયન-ઑમ્નિબસ ‘નયનનાં મોતી’ના પ્રકાશનકાળે કવિએ આ શેર શા માટે બદલી નાંખ્યો એ કોયડો છે. મૂળ શેરમાં ઉલા-સાનીની હેઈ હો-હેઈની સાંકળી પણ જળવાઈ રહેલ છે અને કાફિયો પણ દુરસ્ત છે, જ્યારે નવ્ય સંસ્કરણમાં સાંકળી તો તૂટે જ છે, નજીવો કાફિયાદોષ પણ થયો છે. સ્વતંત્ર શેર તરીકે જો કે બંને જ સંતર્પક છે, મૂળ શેર કદાચ થોડો વધારે.

Comments (11)

પિતાને નિહાળતાં… – વેન્ડી શૂ (અનુ.: વિવેક મનહર ટેલર)

એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.

– વેન્ડી શૂ (અંગ્રેજી)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.

Looking at My Father

It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.

– Wendy Xu

Comments (6)

(જીવ્યા કરવાનું) – આર. બી. રાઠોડ

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,

ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.

રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.

જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,

આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.

– આર. બી. રાઠોડ

એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.

Comments (20)

(આજ મારાં નેણાં રે) – નરસિંહ મહેતા

આજ મારાં નેણાં રે સફળ થયાં, નાથ જોયા મેં નીરખી. (ટેક)
સુંદર વન નિહાળતાં, મારા હૃદયામાં હરખી. આજ૦

જે મારા મનમાં હતું, તે મારે વા’લેજીએ કીધું;
પ્રેમેથી પિયુજી પધાર્યા, આલિંગન દીધું. આજ૦

જોગી રે જંગમ રે સેવડા, તેના સ્વપ્નામાં ના આવે;
ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે. આજ૦

ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. આજ૦

અંતરિક્ષથી દેવતા, સહુ ત્યાં જોવાને આવે;
થાળ ભર્યો સગ મોતીએ, નાગર નરસિંહ વધાવે. આજ૦

– નરસિંહ મહેતા

ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-

જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ

જોગી જંગમ સેવડા ઔર સંન્યાસી દરવેશ,
બીના પ્રેમ પહુચે નહી દુર્લભ સતગુરૂ કા દેશ..
– સંત કબીર

(જંગમ= એક જાતનો ફકીર, શૈવ પંથી; સેવડા= જૈન સાધુ)

* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Comments (11)

(કેમ થતી નથી!) – હર્ષવી પટેલ

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!

કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?

બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?

ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?

મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?

કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?

– હર્ષવી પટેલ

હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!

Comments (28)

પથ – પ્રિયકાન્ત મણિયાર

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

– પ્રિયકાન્ત મણિયાર

માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.

હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.

Comments (6)

દ્યુતિ પલકતાં – સુન્દરમ્

સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એની: તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.

પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગ તણા
ઝગી કોઠા ઊઠયા અવનવલ આનંદ-રસણે,
નવેલા સૌન્દર્યે સકલ અહીંયા મંડિત બન્યું.

ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!

બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ.

– સુન્દરમ્
(૨૫ ઓકટો. ૧૯૩૭)

ટી-ટ્વેન્ટી જેવા તાત્ક્ષણિક રોમાંચના પ્રતાપે ગઝલ આજે લોકપ્રિયતાના શિખરે આરુઢ થઈ છે એ સાચું,પણ ખરો અને દીર્ઘાયુષી કાવ્યાનંદ તો આજેય વિગત સમયના કબાટમાં સચવાઈ રહેલ આવા ઉમદા કાવ્યો જ આપી શકે. શિખરિણી છંદમાં લખાયેલ આ ચૌદ પંક્તિઓમાં સુન્દરમે પ્રેમી સ્વયંના અભ્યુદયના સ્વીકાર થકી પ્રેમિકાનું અને પ્રેમનું જે મહિમાગાન કરે છે એની મજા જ અલગ છે. અંધારાનો બુરખો ઓઢેલ વિરાટ ભુવનમાં ચાંદનીનું સહેજ તેજ રેલાતાં જ તમામ તાર-ગ્રહોનું સૌંદર્ય દીપી ઊઠે, એ જ રીતે પ્રિયાની પ્રીતિની દ્યુતિના સ્મરણમાત્રથી અવનવલ આનંદના કિરણોથી કથકની દુનિયા આખી ઝગમગ ઝગમગા થઈ ઊઠે છે. પ્રકૃતિ તો મનહર જ હોય, પણ પ્રિયજનની યાદના પ્રકાશ રેલાવાના લીધે છે એથીય અધિકતર મનોરમ્ય ને મનોગમ્ય અનુભવાય છે.

પણ ઠીક છે આ તો… બને એ તો કહીને કવિ આખાય નવોન્મેષનું પહાડી કદ તલભરનું કરી દઈ નવી જ વાતને ઉચ્ચાકાશે સ્થાપે છે. સુંદર સુંદરતમ બને એમાં કોઈ મોટી વાત નથી… મોટી વાત શેમાં છે? તો કે આજ સુધી જડ કહી શકાય એ હદે જે માણસ નીરસ હતો, એ પણ પ્રિયાની ઉપસ્થિતિના કારણે સ્વયંનેય ગમવા લાગે એમાં… ખરું ને? પોતાનું આ અનન્ય અને અભૂતપૂર્વ પરિવર્તન કેવળ પોતાની પ્રિયાને આભારી છે એમ કહીને કવિ આખી સૃષ્ટિના કાયાકલ્પને ગૌણ ગણાવી પ્રેમની મહત્તા સ્થાપિત કરે છે.

(આગાર=મકાન; દ્યુતિ= કિરણ ચમક, તેજ; સુષમા= સૌંદર્ય; તલકતલક=તેજથી ઝબૂક ઝબૂક થવું; લસવું=ચળકવું. ઝળાંઝળાં થવું; રસણ=કિરણ; જ્યોત્સ્ના=ચાંદની, ચંદ્રની સોળ કળામાંની એક)

Comments (18)

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અનુ.: વિવેક મનહર ટેલર)

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

કેટલાક લોકોને દરેક વાતમાં અને વાતે વાતે વાંકું પડતું હોય છે. દુર્ભાવ જ એમનો ખરો સ્વ-ભાવ! આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે. પ્રસ્તુત રચનામાં હળવા વ્યંગ અને બાળસહજ સરળતાથી આવા ફરિયાદશંકરોની ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ આલેખવામાં આવી છે. કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં ક્લિક કરીને મારા ફેસબુક પેજ પર માણી શકો છો.

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

Comments (4)

ઠંડી – કૃષ્ણ દવે

*

કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી, ઝટ પ્હેરાવો બંડી.

આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકોદડકો,
મીઠ્ઠો મીઠ્ઠો મને લાગતો એ સવારનો તડકો.

અહીંયા તો બસ ઠંડી, ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું? જેમાં નથી હૂંફનું નામ.

ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળાભાઈએ ટામેટાને ટપાક્ ટપલી મારી.

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર!

ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો!

– કૃષ્ણ દવે

બાળકાવ્યો કવિપ્રતિભાના એક પાસાંની આકરી કસોટી છે. ભલભલા મોટા નામ પણ એમાં ગોથાં ખાઈ જાય. એક તો આપણે ત્યાં બાળસાહિત્યનું સર્જન આમેય ગણતરીનું ને નફામાં બહુ ઓછા સર્જકો સારાં બાળકાવ્યો આપી શક્યાં છે. બાળકોની રોજમરોજની જિંદગીની વાતો અને કલ્પનોને બાળકોને સરળતાથી સમજાઈ જાય એવી ભાષા અને વાંચવા જતાં આપોઆપ ગવાઈ જાય એવા પ્રવાહી લય અને પ્રાસાવલિથી મઢવામાં ન આવ્યું હોય એવું બાળગીત કાવ્યતત્ત્વની એરણ પર કદાચ ઉત્તીર્ણ થઈ જાય, પણ બાળકોના હૃદય સુધી પહોંચી શકતું નથી. પ્રસ્તુત બાળગીત ઉત્તમ બાળકાવ્યોની તમામ કસોટીએ ખરું ઉતર્યું છે. આપણે તો એ ગણગણીએ જ, પણ ઓછામાં ઓછા એક બાળકને પણ સંભળાવીએ… બાળદિનની ખરી ઉજવણી એ વિના તો કેમ થશે?

Comments (12)

વ્હાલમ, આવોને પળવાર! – પ્રહલાદ જાની ‘તન્હા’

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
.                                         વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…

કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.

Comments (14)

થતી નિત ગોઠડી – શશિશિવમ્

(હરિણી છંદ)

શિશુસ્વપનની સૂકી કાઠી તણી ખડકી ચિતા,
સકળ મુજ શક્તિની કાયા અચેત સુવાડીને;
સળગતું અડાયું હૈયાનું લઈ, સુપ્રદક્ષિણા
પગ લથડતે કીધી, હાથે પ્રકંપિત અગ્નિથી
પરશ કીધું છેલ્લા સંસ્કારે; જરી, મુજ અંગુલિ
લઘુ અડકી ચિન્ગારી, દાઝયો, અને સહુ અંગમાં
પ્રસરી ગઈ અગ્નિજ્વાલાઓ, રહી વધતી
જતી વધત વયની સાથે, ભાર્યો ભૂંજે ઉર ખાલીપો.
જીવતરભર્યા ખાલીપાને ખભે લઈ આથડ્યો,
દહન મહીં શેકાયું આયુ વિછિન્ન થયું, છતાં
અકળ વહતા ચૈતન્યે જે અખૂટ ભર્યું તમે
પલપલ જીવ્યો, શ્વાસે શ્વાસે તમે ધબકી રહ્યા.
નવ અવ કશો ખાલીપો ને ઉરે સભરે ભર્યા;
સતત નીરખું જોડાજોડે, થતી નિત ગોઠડી.

– શશિશિવમ્

સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.

Comments (7)

કેડીનું ગીત – મણિલાલ હ. પટેલ

સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !

– મણિલાલ હ. પટેલ

વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…

Comments (6)

(તમારી યાદ પણ) – ગિરીશ રઢુકિયા

રોજ કનડે છે તમારી યાદ પણ.
બારમાસી છે અહીં વરસાદ પણ.

લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.

આપ આવો- ના જ આવો સાંજ પર,
મેં કરી છે ક્યાં કશી ફરિયાદ પણ?

ચોતરફ છે આપનું હોવાપણું,
આપના ચાલ્યાં ગયાંની બાદ પણ.

મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ.

– ગિરીશ રઢુકિયા

ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.

વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.

Comments (9)

અલ્ઝાઈમરનું કાવ્ય – કિરણસિંહ ચૌહાણ

ધીમેધીમે
અજાણ્યાં લોકો વધી રહ્યાં છે.

– કિરણસિંહ ચૌહાણ

લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…

Comments (16)

વનરાજી – પ્રતિષ્ઠા પંડ્યા

તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.

તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?

– પ્રતિષ્ઠા પંડ્યા

પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!

(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)

જેકરંદા

જેકરંદા

સાલ

Comments (6)

ગબડું અને પકડું — મનહર મોદી

ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!

તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!

તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ         ગ.

ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ!         ગ.

ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું?         ગ.

ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું?         ગ.

ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું.         ગ.

ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું.         ગ.

મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?         ગ.

અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’         ગ.

– મનહર મોદી

કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…

Comments (8)

સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા

સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
.                                     ૦ સાહેબ તેરા સાઈ…!

જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
.                                 ૦ સાહેબ તેરા સાઈ…!

પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
.                                ૦ સાહેબ તેરા સાઈ…!

– દાન વાઘેલા

ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.

Comments (16)

કડવાં કારેલાં – સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.           કડવાં૦

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે.             કડવાં૦

દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે.       કડવાં૦

– સુન્દરમ્

આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.

Comments (4)

અભિશપ્ત – ચંદ્રકાન્ત ટોપીવાળા

(પૃથ્વી સૉનેટ)

ઊડ્યા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા
ઊડ્યા જ કરવાનું આ ચરણ યુગ્મ સંકોરીને
ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ ને—

ઊડ્યા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડ્યા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડ્યા
ઊડ્યા જ કરવાનું આ ધુમસમાં, નરર્યા ધૂમમાં
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ, ને—

ઊડ્યા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં
ઊડ્યા જ કરવાનું ભૂમિ પર ચક્કરો મારતાં
ઊડ્યા જ કરવાનું રે અડકવાનું ના ભૂમિને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ, ઊડ્યા જ, ને

ઊડ્યા જ કરવાનું! ક્યાંક ઊતર્યો હું જો ભૂલમાં
ઊડ્યા જ કરવાનું બંધ, ગતિ બંધ, હું ધૂળમાં!

– ચંદ્રકાન્ત ટોપીવાળા

ભાવાભિવ્યક્તિ માટે જે રીતે ચિત્રકાર રંગોનો ઉપયોગ કરે, એ જ રીતે કવિ શબ્દોનો. કોઈ વાત વજનપૂર્વક કહેવી હોય તો કવિ પુનરુક્તિ કરે. ક્યારેક ત્રિરુક્તિ પણ કરે. પણ અહીં? અહીં તો સૉનેટની ચૌદે ચૌદ પંક્તિની શરૂઆત ઊડ્યા જ કરવાનું‘થી થાય છે… એ સિવાય પણ રચનામાં અન્ય સાત જગ્યાએ ‘ઊડ્યા’ ‘ઊડ્યા’નો ફફડાટ સંભળાય છે. સહેજ પણ અટક્યા વિના કે વિરામ લીધા વિના આમ જ ઊડતા જ રહેવાના શાપને કોઈ આથી વધુ તો કેટલો અધોરેખિત કરી શકે?! (બાય ધ વે, અભિશપ્ત એટલે જેને શાપ આપવામાં આવ્યો છે એ) ભૂલેચૂકેય જો ઊડવાનું બંધ કરીને જમીન પર પગ મૂક્યો કે જીવતર ધૂળમાં…. કવિતાની આ બાહ્યાભિવ્યક્તિના પડળ નીચે પણ કવિ કંઈક કહી રહ્યા છે…. સંભળાય છે?

Comments (5)

હે દીવા! તને પ્રણામ… – રમેશ પારેખ

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

લયસ્તરો તરફથી તમામ સર્જકમિત્રો તેમજ ભાવકમિત્રોને દીપોત્સવી પર્વ નિમિત્તે અઢળક મબલખ વધામણાં….

Comments (1)

તને ચ્હાતાં ચ્હાતાં – નિરંજન ભગત

તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!

હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ, ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!

– નિરંજન ભગત
(૧૯૪૮)

લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે હેરક્લાઇટસે કહેલી બે વાત યાદ આવે છે: એક, “The Only Constant in Life Is Change.” અને બે, “No man ever steps in the same river twice, for it’s not the same river and he’s not the same man. ” પરિવર્તન સંસારનો સાર્વત્રિક નિયમ છે. હૃદયમાં પ્રણયના અંકુર ફૂટે ત્યારે દુનિયા હોય એથી વધુ સુંદર લાગે. કહેવાય છે કે લૈલા સહેજ પણ રૂપાળી નહોતી,પણ મજનૂને મન એ સંસારની સૌથી સુંદર સ્ત્રી હતી. અહીં પણ કથકના હૃદયમાં ગોપિત રહેલ કવિ પ્રિયતમા છે એથી અલગ જ માનસછબી સર્જે છે. પણ એમ કરવા જતાં ખરો પરિચય વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયો. હવે એ અસલ રૂપને તો ચાહી શકાય એમ નથી… કવિમનની અકળ લીલાઓ અને છળ પણ કળી શકાય એમ નથી. પણ એ જ કવિ શતદલા પ્રેયસીને સુગંધ સ્વરૂપે ફરી નિહાળી શકે છે…

Comments (4)

રસ્તો ક્યાં છે? – ચંદ્રકાન્ત શેઠ

બ્હાર નીકળવું મારે,
.                રસ્તો ક્યાં છે?
પાંખ નથી રે, પીંછાં પીંછાં,
ડાળો વચ્ચે પિંજર દીઠાં,
એક વિહગને બ્હાર જવું છે,
.                નભમાં બારી ક્યાં છે ?

છીપની દીવાલ બંધ,
.                કણ રેતીનો,
.                સહરા જેવો.

સ્વાતિનો આ સમય
.                આખુંયે આભ ઊજડ્યા જેવો.

આંખોમાં તરફડતાં મીન,
જનારના પડછાયા વાગે, ભીતર ઊતરે ખીણ:
ઊભા રહો તો જાવ ચણાતા,
ચાલો તો વીખરાતા!
દરિયાનાં મોજાંય મગર થૈ મરજીવાને ખાતાં!

કાંઠો હોડી ગળી રહ્યો છે.
ભીંત ભીતરને ગળી રહી છે…

પથ્થર! મોઢું ખોલી બોલો, રસ્તો ક્યાં છે?
તમે અહીં જ્યાંથી આવ્યા તે રસ્તો ક્યાં છે?

– ચંદ્રકાન્ત શેઠ

અસ્તિત્ત્વને પામવા માટેનો તરફડાટ મનુષ્ય શરૂથી અનુભવતો રહ્યો છે. પિંજરું કાયાનું હોય કે માયાનું, આઝાદીની ઝંખના સૌને રહે છે. બહાર નીકળવાના રસ્તાને શોધવાની મથામણની આ છંદોબદ્ધ રચના કટાવ છંદની રવાનીમાં મોટેથી વાંચશો તો વધારે મજા આવશે.

Comments (2)

કાયમી જુદાઈ – અનિલ જોશી

કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

ચૈતરના આકરા તડકા પડ્યાં ને તૂટ્યા નદિયું ને આભના સંબંધ
આસોપાલવના સળવળતા છાંયડે ડૂબી ગૈ ઝાડની સુગંધ
સહરાની રેતીમાં વાયરાએ ચીતરેલાં મોજાંની જેમ હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

વાટ જોઈ થાકેલા ગતિહીન પોપચાનું અંધારું રોજ મને તોડે
ઓસરીમાં આવીને દીવો પેટાવતાંક અંજવાળું સસલું થઈ દોડે.
તમરું બોલે ને મારી ફાટી બે આંખમાંથી ખરતું એકાંત હું તો જીવું.
કાયમી જુદાઈના ચડતાં વંટોળિયામાં રજકણની જેમ હું તો જીવું.

– અનિલ જોશી

ગુજરાતી ગીતકાવ્યસૃષ્ટિમાં અનિલ જોશીનું નામ ધ્રુવતારક સમું છે, જે દિશા ભૂલેલ મુસાફરને મંઝિલે પહોંચડવામાં સહાયભૂત થાય. ગઝલમાં દર બે પંક્તિએ ભાવવિશ્વ બદલાઈ જાય અને દર બે પંક્તિમાં એ સંપૂર્ણ પણ થઈ જાય. સૉનેટમાં પહેલાં પશ્ચાદભૂ સર્જાય અને પછી ભાવપલટો અને અંતે ચોટ. અછાંદસનું પોત વળી સાવ જ નોખું. એ સઘન ભાવવિશ્વ પણ રચી શકે, એક ચિત્ર પણ દોરી શકે અને ચોટ પણ જન્માવી શકે. ગીત મોટાભાગના કાવ્યપ્રકારો કરતાં અલગ તરી આવતું ઊર્મિકાવ્ય છે. ગીતકાવ્યનો કેન્દ્રસ્થ ભાવ એના મુખડામાં જ વ્યક્ત થઈ જાય છે. કવિને જે કહેવું હોય એ મુખડામાં જ કહી દે છે. બાકીનું ગીત તો સામાન્યતઃ એનું ઘનીકરણ અથવા વિસ્તૃતિકરણ જ હોય. સુરેશ દલાલ કહેતા કે ખરું ગીત મુખડામાં શરૂ થઈ મુખડામાં જ પૂરું થઈ જાય છે. આ વાત શીખવી-સમજવી હોય એવા નવોદિત અને અભ્યાસુ કવિઓ માટે અનિલ જોશીનું આ કાવ્ય માર્ગદર્શક બની શકે એમ છે. ચૈતરના આકરા તડકા પડતાં જે રીતે સૂકાયેલ નદી અને ખાલીખમ આભ વચ્ચેનો પાણીદાર સંબંધ તૂટી જાય છે, એ રીતે બે જણ અલગ થાય ત્યારે હૈયામાં કંઈ નહીં તોય અષાઢના આવવાની આશા અને પ્રતીક્ષા તો હોવાનાં… પણ અહીં બે જણ અલગ તો થયાં છે, પણ કાયમ માટે. બે જણ વચ્ચેનો વિયોગ કાયમી હોવાની પ્રતીતિના સ્વીકાર સાથે ગીત શરૂ થાય છે. પણ ખરી કવિતા ચડતા વંટોળિયામાં છે. વિયોગનો વંટોળ હજી ઊઠી થઈ રહ્યો છે, મતલબ હજી તો જોર-એ-કલમ ઔર જિયાદા! અને આ વિશાળ વાવંટોળમાં કથકનું સ્થાન શું? છે ને અદભુત મુખડું! આખું ગીત જ જાનદાર છે…

Comments (8)

કલમવૃક્ષ – હરદ્વાર ગોસ્વામી

વર્ષોની શબ્દસાધનાથી
ખુશ થઈ
વહેલી સવારે મા શારદા પ્રગટ થયાં.
એમણે કહ્યું, “માગ માગ, માગે તે આપું’
મેં કહ્યું, ‘કલ્પવૃક્ષ’.
માએ કહ્યું, “તથાસ્તુ”.
બીજી ક્ષણે તો હું કલ્પવૃક્ષ પાસે.

એવું કહેવાય છે કે,
‘કલ્પવૃક્ષની નીચે બેસીએ તો બધી ઇચ્છા પૂર્ણ થઈ જાય છે’
હું એની નીચે બેસવા જાઉં ત્યાં જ
કલ્પવૃક્ષ બોલી ઊઠ્યું…
‘આવો કવિરાજ,
તમે અહીં
અમારું સદભાગ્ય.
આજે ચોથા પહોરમાં મને સપનામાં
મા શારદા આવ્યાં અને કહ્યું કે,
“જા તને કલમવૃક્ષ નીચે બેસવા મળશે”
હજુ તો આંખ ખોલું ત્યાં સામે તમે…
બાય ધ વે…
તમે કેમ આ બાજુ પધાર્યા?
કોઈ ઇચ્છા હોય તો બોલો
તુરંત પૂર્ણ થશે.’
મેં સંકોચાતાં કહ્યું,
‘કોઈ ઇચ્છા નહીં,
અમસ્તો આ બાજુ આંટો મારવા નીકળ્યો.’

– હરદ્વાર ગોસ્વામી

દેવો અને દાનવોએ મળીને સમુદ્રમંથન કર્યું ત્યારે અમૃત હાથ લાગતા પહેલાં જે ચૌદ રત્નો નીકળ્યાં એમાંનું એક તે કલ્પવૃક્ષ. એવું માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને જે કોઈ ઇચ્છા કરવામાં આવે એની પૂર્તિ થાય છે. કલ્પવૃક્ષને કેન્દ્રમાં રાખીને કવિએ કલમવૃક્ષ નામે સરસ મજાની સહજસાધ્ય રચના કરી છે…

Comments (5)

કોઈ ન જાણે! – રમેશ પારેખ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!

ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે,
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!

જળની હેબત વાઘરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!

-રમેશ પારેખ

ઓણસાલ વરસાદ કંઈ અલગ જ અડીંગો જમાવીને બેઠો છો… જાઉં જાઉં કરે છે ને અચાનક હાઉકલી કરતોક વળી છત્રી વગરના આત્માઓને રંગે હાથ ઝડપી તરબતર કરી ભાગી જાય છે… આવામાં ર.પા.નું આ ગીત ક્યાંકથી હાઉકલી કરતુંકને આવી ચડ્યું અને મને ટીપાં, છાંટા, ચૂવા, વાછંટ,ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા વડે ગળાબૂડ પાણીમાં ડૂબાડી ગયું… તમારે પણ ડૂબવું છે? તો ચાલો… પણ રહો! એક શરત છે… આ ગીત વાંચીને નહીં, મોટેથી લલકારીને વાંચવું…

Comments (8)

બંધ હોય ખડકી ને બંધ હોય બારી… – વિનોદ જોશી

બંધ હોય ખડકી ને બંધ હોય બારી,
પણ ધારી લે, છાપરેથી કૂદીને કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, ઝાડ હજી ખિસકોલી જેવડું જ હોય ત્યારે અઘરું છે હીંચકાને બાંધવો,
જો કે, અઘરું છે ધોધમાર વાદળના ભારથી જ બટકેલા ટહુકાને સાંધવો;

પણ ધારી લે, ધારદાર શમણાં વાઢીને કોઈ ફળિયામાં ઠાલવી દે ભારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

જો કે, અંધારું એકલું જ પૂરતું છે આમતેમ આથડતો પડછાયો ઢાંકવા,
જો કે, ઢોલિયામાં સૂતેલાં અજવાળાં કોઈવાર અણધાર્યાં માંડે છે પાકવા;

પણ ધારી લે, કોઈ પછી ફાનસમાં ઓલવાતી વાત જરા વાંચી લે તારી, તો?
કોઈ તને કહી દે કે, આજથી તું મારી, તો?

– વિનોદ જોશી

કોઈ જ પહોંચી ન શકે એ રીતે ભીતરને સજ્જડ તાળું મારીને આપણે બેઠા હોઈએ, એવામાં કોઈક હાઉકલી કરતુંકને સામે આવી ચડે તો? સ્વયંને પુરુષ કે પ્રેમને તાબે ન થવા દેવાની ગાંઠ મનમાં મારીને બેઠેલ નવયૌવનાને ડારો દેતી સહેલીનું રમતિયાળ ગીત આજે માણીએ. જો કે સવાલ કરનાર કથક સહેલી પણ હોઈ શકે અને સ્વયં કાવ્યનાયિકા જાતની ઉલટતપાસ કરતી હોય એય બનવાજોગ છે. સવાલ એ છે કે ભલે ખડકી બંધ કરી, બારીય વાખી દીધી, પણ ધાર કે કોઈ છાપરું ઠેકીને આવી ચડે અને તું આજથી મારી એમ દાવો કરે તો તું શું કરવું?

કવિ નિજની ઊર્મિઓ ભાવક સુધી પહોંચાડવા એકમાત્ર ઉપલબ્ધ ઉપાદાન શબ્દોનો સહારો લે એ બરાબર પણ અન્ય કાવ્યપ્રકારોથી વિપરીત ગીતનું પ્રમુખ ધ્યેય ભાવકને કે શબ્દાર્થ નહીં, ભાવાર્થ સુધી લઈ જવાનું છે. કવિએ જે પ્રતીકો અને પદ પ્રયોજ્યા છે, એનો સ્થૂળાર્થ કરવા કરતાં ભાવ પકડવા મથીશું તો રચના દિલની વધુ નજીક અનુભવાશે. ઝાડનું કદ ખિસકોલી જેવડું જ હોય ત્યારે આપણે એને છોડ તરીકે ઓળખીએ છીએ, પણ કવિ ઝાડ કહે છે. કારણ, જે પ્રેમી છાપરું કૂદીને નાયિકા ઉપર માલિકીભાવ જમાવી શકવાની આશંકા છે, એના માટે નાયિકાના મનમાં તો પ્રણયનો છોડ વૃક્ષની જેમ ફૂલીફાલી ચૂક્યો છે. પણ વાત હજી સાવ પ્રારંભિક તબક્કે હોય ત્યારે સંબંધનો હીંચકો તો બાંધી ન બેસાય ને? અને એવા ટાણે ધોધમાર વરસવા આતુર હૈયાના ભારથી પ્રેમગાનનું સંધાન સાધવાની ઉતાવળ પણ ન થાય. નાયિકા તો આ સમજે છે, પણ નાયક ધારદાર શમણાંની ભારી ફળિયામાં ઠાલવી સામો આવી જાય તો? ગીતમાં આખી મજા જ ડગલે ને પગલે ધારવાની અને તોના ધારદાર સવાલની છે…

Comments (9)

અહીં બારી ખોલું – નયન હ દેસાઈ

થયું, ચાલો, છોડી નીરવ ઘરનાં સંસ્મરણો સૌ
નથી રે’વું આહીં, સજળ નયનો સાદ કરતાં.
વીતેલાં વર્ષોનાં ખળખળ વહ્યાં નીર હૃદયે,
વળાવા આવો લ્યો, સ્વજન સરખાં ઊમ્બર ભીંતો,
નહીં આવો કોઈ? વિનતિ મુજ આ વ્યર્થ જ જશે?
અહીં સંબંધોના શબદ સઘળા મૂક જ હશે?
સવારો થીજેલી, તરફડ થતી સાંજ ઢળતી,
છતાં તારા ખોળે અનુપમ અહો હૂંફ મળતી.
અહીં બારી ખોલું, ટહુક ટહુક્યું આભ ઊઘડે,
અહીં બારી ખોલું, નજર મહીં બ્રહ્માંડ છલકે!

– નયન હ દેસાઈ

નયનભાઈ પાસેથી આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ છંદોબદ્ધ કાવ્ય આપણને મળ્યાં છે. સૉનેટ તો બેએકે જ. આ રચનામાં જ ચાર કડી ઉમેરી સૉનેટકરાર આપી શકાયો હોત, પણ એવું કરવાથી કવિ દૂર જ રહ્યા છે. જે ઘરમાં હવે કોઈની ઉપસ્થિતિનો રવ રહ્યો નથી એ ઘરને છોડી જવા કવિ વિચારી રહ્યા છે. સ્વજનોની ગેરહાજરીમાં સ્વજન જેવાં બની રહેલ ઘરનાં ઊમ્બર અને દીવાલોને વળાવવા આવવા માટે કવિ વિફળ વિનંતી કરે છે. પણ આ નિર્જીવ ભીંતોની વચ્ચે સજળ નયનોનો સાદ હજી સંભળાઈ રહ્યો છે… ઘાયલ સમય થીજી ગયેલ ભલે અનુભવાય, બારી ખોલતાવેંત ન કેવળ ટહુકંતુ આભ નજર સમક્ષ ઊઘડે છે, આખેઆખું બ્રહ્માંડ છલકાતું દેખાય છે… હવે આ ઘર કઈ રીતે ત્યજવું?

Comments (4)

ગાંધીજી – શેખાદમ આબુવાલા

અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી,
તમે ચાહ્યું’તું તેવું તો નથી કંઈ આજ, ગાંધીજી.

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરસીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?

અમે અંગ્રેજથી કંઈ કમ નથી સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ, ગાંધીજી.

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયા છે ક્યાં હજી નારાજ ગાંધીજી.

કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે:
તમે એક જ હતા ને છો વતનની લાજ. ગાંધીજી.

– શેખાદમ આબુવાલા

લયસ્તરોના તમામ સર્જકમિત્રો અને વાચકમિત્રોને વિજયાદશમી, ગાંધી જયંતિ તેમજ શાસ્ત્રી જયંતિની ત્રિવિધ વધાઈ…

ગાંધીજયંતિ નિમિત્તે આજે એક ગઝલ… એકે-ક શેર અખાના ચાબખા જેવા થયા છે… પણ આપણી નફ્ફટ ચામડીને કંઈ અસર થશે ખરી?

Comments (3)

ઘેરિયા ગઝલ – નયન હ. દેસાઈ

છાતી સોંસરવું સરકે કીડીનું નઘરું હાં રે હાં ભાઈ!
પંડે પથ્થર જેવા ને પડછાયો ગભરુ હાં રે હાં ભાઈ!

કોઈ તો મૂર્છિત દિવસોને પીંછી ઢાળો કે સામળેક મોરચા…
છે વળગેલું આંખોને સૂરજનું લફરું હાં રે હાં ભાઈ!

આ સદીઓનો થાક હવે બીજે વાળો કે સામળેક મોરચા!
અથવા પકડી જાય સમયનું સિપાઈસપરું હાં રે હાં ભાઈ!

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા!
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ!

કે ઈચ્છાની ઘેર ડૂબી ગૈ મોં વાળો કે સામળેક મોરચા!
આમ તો લાગે છે જીવતરનું પાણી છીછરું હાં રે હાં ભાઈ!

ધ્રૂજતા શહેરમાં પગલે પગલે સંભાળો કે સામળેક મોરચા!
ગલીએ ગલીએ વાગે છે અહીં શિવનું ડમરું હાં રે હાં ભાઈ!

કાળી બિલ્લી ઘંટાચોરનો ગોટાળો કે સામળેક મોરચા !
ભીડમાં પોતાનો ચહેરો ઓળખવું અઘરું હાં રે હાં ભાઈ!

– નયન હ. દેસાઈ

કોઈપણ દેશકાળમાં સાહિત્ય જે તે સમયના સમાજનો સાચો અરીસો કહેવાય છે. નયનભાઈની રચનાઓ આ બાબતમાં પ્રતીતિકર કહી શકાય. આસપાસના સમાજની બોલી અને રિવાજોને એમણે પોતાની કવિતાઓમાં અમરત્વ બક્ષ્યું છે. ‘ઘેરિયા ગઝલ’ એનો એક દાખલો છે.

અત્યારે નવરાત્રિ ચાલે છે એ નિમિત્તે આ રચના પ્રસ્તુત પણ ગણાશે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. તાપીથી વાપી – દક્ષિણ ગુજરાતના હળપતિઓ નવરાત્રિથી દેવદિવાળી સુધી માતાની આરાધના માટે ૨૦થી ૨૫ના સમૂહમાં, અર્ધનારીનો વેશ ધારી ગામેગામ અને ઘરેઘરે ફરીને ઘેર, ઘેરિયા કે ઘેરૈયા નૃત્ય કરે છે. ઘેરિયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ. ગળામાં મણકા-મોતી કે ગલગોટાનો હાર, કમરે ઘૂઘરા, કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણિયાં, એક હાથમાં મોરપીંછનો ઝૂડો ને બીજામાં દાંડીયું -આ એમનો શણગાર અને ત્રણ સાડીનો પોશાક. એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી કબજાની ઉપર ખભે બાંધીને અને ત્રીજી ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરવામાં આવે. સમૂહનો વડો એટલે કવિયો. એ ગીત ગાય-ગવડાવે તથા નાચે-નચાવે. એક ઘેરિયો આખા શરીરે કાળો રંગ અને પાછળ ઘંટ બાંધેલી પૂંછડી લગાવી કાળી બિલાડી બને. બાળકો ‘કાળી બિલાડી ઘંટા ચોર, મંદિરમાંના પૈસા ચોર’ એમ બૂમો પાડીને એને ચીડવતા ચાલે. ઘેરૈયાનૃત્યમાં જન્મથી મરણ સુધીનું જીવન ગવાય છે, પણ મુખ્યત્વે વિવિધ દેવીદેવતાઓનું સ્તવન કરાય. ગાતા-નાચતા ઘેરિયાઓ ગામના દરેક ઘર પાસે થોભે. ઘરની સ્ત્રીઓ એમની પૂજા કરી, મોરપીંછની આરતીના ઓવારણા લઈ કૃતાર્થ થાય. કાળી બિલાડી ઘરની અંદર જઈ ભૂત-પ્રેત ભગાડે. એકહાથે મોરપીંછનો ઝૂડો હલાવતા અને બીજા હાથના દાંડિયાથી અન્ય ઘેરિયા સાથે રાસ રમી ગરબા ગાતા ઘેરિયાઓ કવિયો જે ગાય એને ‘હાં રે હાં ભાઈ’ કહી સમૂહમાં ઝીલી લે છે. મોટાભાગનાં ગીતોમાં આ સિવાય ‘સામળેક’ અર્થાત્ ‘સાંભળે છે ને?’ અને ‘મોરચા’ યાને ‘બચ્ચા’ પણ કડીએ કડીએ આવે. આટલી પૃષ્ઠભૂ જાણ્યા વિના ઘેરિયા ગઝલ વાંચીશું તો કવિની સમાજ-ચેતનાને ઘોર અન્યાય થશે.

Video courtesy: Mona Naik ‘Urmi’, NJ, USA

***


.

Comments (3)

એક જણ – નીતિન વડગામા

એક જણ આવે અને સાતેય રંગો અવતરે.
એક જણ જાતાં જ માથે આભ કાં તૂટી પડે?

એક જણ આવે અને અવસર રચાતો ઉંબરે.
એક જણ જાતાં જ આખું આંગણું હીબકે ચડે!

એક જણ આવે અને મનનું સરોવર આછરે.
એક જણ જાતાં જ જળની સાથ કાંઠા ખળભળે!

એક જણ આવે અને અજવાસ ઊગે કાંગરે.
એક જણ જાતાં જ અંધારું બધે ઘેરી વળે!

એક જણ આવે અને ઠૂંઠુંય પાછું પાંગરે.
એક જણ જાતાં જ કૈં કાતિલ કુહાડી ઊછળે!

એક જણ આવે અને રણને ઝરણમાં ફેરવે.
એક જણ જાતાં જ આ વહેતી નદી ભડકે બળે!

એક જણ આવે અને આયાત આખી ઊતરે.
એક જણ જાતાં જ કાગળ સાવ કોરો તરફડે!*

– નીતિન વડગામા

(*સ્મરણ : થાઈલેન્ડની રામકથામાંથી મોરારિબાપુની વિદાય)
.
કવિએ ભલે મોરારિબાપુને સ્મરણમાં રાખીને રચના કેમ ન કરી હોય, પણ કવિતા કાગળ પર અવતરે પછી કંઈ કવિના કાબૂમાં રહે? કવિતામાં જે ‘એક જણ’ની વાત છે, એ કવિ માટે ભલે ગમે તે હોય, પણ મારા-તમારા સૌ માટે એ અલગ અલગ છે. કવિતા વાંચતા જ આપણા સહુના મનમાં એ ‘એક જણ’ તરવરી આવે છે, જેના આવવાથી જીવન સપ્તરંગી મેઘધનુષ્ય જેવું સોહામણું બની જાય અને જતાવેંત માથે આભ તૂટી પડે. રચનાને ગઝલ કહો, ગીત કહો કે વિશુદ્ધ ઊર્મિકાવ્ય- અંતે તો હેમનું હેમ હોયે, ખરું ને!

Comments (6)

અમે અલ્ટ્રા-ફૅશનેબલ લોકો – નીરવ પટેલ

અમે ખૂબ વરણાગિયા જાતિના લોકો છીએ –
અમારા વડવા તો
ત્રણ બાંયનું ખમીસ પહેરતા હતા.

એમના વડવાના વડવા તો
કફનને જ કામળીની જેમ અંગે વીંટાળતા હતા.

એમના વડવાના વડવાના વડવા તો
નરી ચામડીને જ ઓઢીને ફરતા હતા.

હુંય કાંઈ ઓછો વરણાગિયો નથી –
સી. જી. રોડના શૉ રૂમ સામેની ફૂટપાથ વાળતો હતો
ને શેઠે આપ્યું
કાંઠલા વગરનું, બટન વગરનું, બાંય વગરનું એક બાંડિયું.
તે સલમાન ખાનની જેમ છાતી કાઢીને ફરું છું
ને સંજય દત્તની જેમ બાવડાં બતાવું છું સવર્ણાઓને.
જાતવાન જુવાનિયા તો
મારા લિબાસનું લેબલ જોવા અધીરા થઈ ઊઠે છે.
બિચ્ચારા…
મારી અસ્પૃશ્ય બોચીને અડક્યા વિના કેમ કરી ઓળખે
કે આ તો ઑડ-સાઈઝનું પીટર ઈંગ્લૅન્ડ છે!

અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ.

– નીરવ પટેલ

કવિતા વાંચી ત્યારે ત્રણ બાંયના ખમીસે ખૂબ ગૂંચવાડો સર્જ્યો. ત્રણબાંયવાળું ખમીસ કોઈ પ્રકારનું રૂપક હશે કે સાચે જ એવા ખમીસ કોઈક જમાનામાં અસ્તિત્વમાં હશે કે પછી આ કોઈ પ્રકારનો રુઢિપ્રયોગ હશે? મુરબ્બી કાનજી પટેલે દલપત ચૌહાણ જેવા કવિઓ સુધી પહોંચ લંબાવી બે-ત્રણ સંપર્કોના આધારે તારણ આપ્યું કે, દલિત બંડી સીવે ત્યારે બે હાથ માટે બે બાય, અને વધારામાં પીઠ પર ત્રીજી લટકતી બાય રાખવી પડતી. જેથી પાછળથી પણ દલિત ઓળખાઈ જાય. દલિતો માટે શહેરમાં તો પરિસ્થિતિ થોડી સુધરી છે, પણ અંતરિયાળ ગમાડાઓમાં કદાચ આજેય અસ્પૃશ્યતાનો અજગર જનમાનસને ભરડો લઈ ગૂંગળાવી રહ્યો છે. એક જમાનામા દલિતોએ જાહેરમાં જવાનું થાય ત્યારે પાંચ વાનાં ધારણ કરવાં પડતાં- ૧) માથે કાચા સૂતરની આંટી પાઘડી તરીકે બાંધવાની રહેતી, ૨) પીઠે ત્રીજી બાંય હોય એવી બંડી કે ખમીસ પહેરવાનાં રહેતાં, ૩) થૂંકવા માટે ગળામા કુલડી લટકાવી રાખવાની રહેતી, ૪) જમીન પર પોતાનાં જે પગલાં પડે એને સતત ભૂંસતા રહેવા માટે કમરે ઝાંખરાં લટકાવવાના રહેતા, અને ૫) સવર્ણ વ્યક્તિ ભૂલથી પણ પોતાને અડી ન લે એ માટે મોટેથી પોશ પોશ બોલતા રહેવું. નેટવિહાર કરવાનું ચાલુ રાખતાં અંતે કવિએ પોતે લખેલ પાદટીપ પણ જડી આવી: In medieval Gujarat, untouchables, now known as dalits, were forced to wear 3-sleeved shirt so that caste-Hindus could identify them easily and keep away from them. The local dalit folklore has a hero called Mayo Dhed who sacrificed his life for doing away with such humiliating practice.

The Song Of Our Shirt – Neerav Patel

We are a fashionable caste
Or tribe you may call :
Our forefather Mayo Dhed
Had a shirt of 3 sleeves,
His father had a shroud as his shirt
And his father wore a shirt of his own skin.
I am no less fashionable –
Just got a pocketless, sleeveless, buttonless
Peter England, the second
From the pavements I sweep.

Every passerby is tempted to pay his respects
To the label of the lords
But without touching my collar-bone.
Our shirt has a song to sing.
Of bizarre fashions.

– Neerav Patel
(Eng. Translation from Gujarati by poet himself)

Comments (12)

નવા આંક – નિરંજન ભગત

એકડે એકો
પરમેશ્વરને નામે પહેલો મેલો મોટો છેકો!

બગડે બેય
પ્રેય જે જે લાગે તેને માની લેવું શ્રેય.

ત્રગડે ત્રણ
કીડીને તો મણ આપો, હાથીને દો કણ!

ચોગડે ચાર
ફૂલનું શું મૂલ? હવે પથ્થરને તાર!

પાંચડે પાંચ
સાચનેયે આંચ, એથી ભલી મારી લાંચ.

છગડે છય
ગાડી ગીર્વાણની ને જોડી દેવો ‘હય’.

સાતડે સાત
બોબડા ને તોતડાની નવી કરો નાત!

આઠડે આઠ
ત્રણ છોડો ત્યારે નવી તેર બાંધો ગાંઠ!

નવડે નવ
આટઆટલું કરીને અહીં ગુજારો જો ભવ—

એકડે મીંડે દશ
દાનવ ન માનવથી થશે તોયે વશ?

– નિરંજન ભગત

આજથી લગભગ પંચોતેર વર્ષ પહેલાં ૧૯૫૧ની સાલમાં કવિએ આ રચના કરી, ત્યારે શીર્ષક આપ્યું હતું – નવા આંક! વચ્ચે સાડા સાત દાયકાના વહાણાં વીતી ગયાં હોવા છતાં આ આંક હજી પણ એવા ને એવા નવા જ નથી લાગતા? આજની પેઢીને તો કદાચ આ રીતે આંક પણ હવે શીખવા નહીં મળતા હોય. દરેક આંકની સાથે કવિએ મનહર છંદમાં વક્રોક્તિના સહારે જે કાવ્યગૂંફન કર્યું છે એ કેવું મજાનું છે! આખું કાવ્ય સમજાઈ જાય એવું છે પણ ‘છગડે છય’વાળી એક કડી વિશે બે શબ્દ કહેવાનું મન થાય છે: ગીર્વાણ એટલે દેવભાષા-સંસ્કૃત અને હય એટલે ઘોડો. દેવોએ આપેલી વાણી પર લગામ રાખવાના બદલે આપણે ઘોડો જોડી દઈ મનફાવે એમ દોડતી રાખીએ છીએ. આખી રચનામાં કવિએ કેવળ ‘હય’ શબ્દને અવતરણચિહ્નમાં ગોઠવ્યો છે. વક્રોક્તિ ભાવકના ધ્યાન બહાર ન રહી જાય તેથી?

Comments (3)

(બે વૃદ્ધ) – કમલ વોરા

એક વૃદ્ધ અને
સરખામણીએ થોડો ઓછો વૃદ્ધ
ક્યારના
પાસપાસે મૂંગેમૂંગા બેઠા છે
હવે
કહેવા-સાંભળવાનું કંઈ બચ્યું નથી
અમથી અમથી આડીઅવળી વાતો
હોઠોને ફફડાવે તે અગાઉ તો
ઓસરી જાય છે
વૃદ્ધો ખાલી નજરથી
એકમેકને સતત જોયા કરે છે
એમને એ
વસ્તી ઉચાળા ભરી ગઈ હોય તે પછીના
વેરાન જેવી લાગે છે
ક્યારેક કંપ—વાથી ધ્રૂજતો એક હાથ આગળ વધી
બીજો હાથ હાથમાં લેવા જાય છે
એટલું જ
પાસપાસે બે ખડક પડ્યા હોય એમ
બન્ને બેસી રહે છે
થોડી વારે
એક વૃદ્ધ બીજાને પથારી સુધી
દોરી જાય છે
માથે હાથ પસવારતો કોઈ ગીત ગણગણે છે
ઘેરા અંધારામાં
નિસ્તેજ આંખો
બિડાવા માટે મથ્યા કરે છે

– કમલ વોરા

ગુજરાતી સાહિત્યજગતમાં કેટલીક ઘટનાઓ એમની અભૂતપૂર્વતાના કારણે નોંધનીય બની છે, એમાંની એક તે કવિનો ‘વૃદ્ધશતક’ નામે અછાંદસસંગ્રહ. સંગ્રહમાં વૃદ્ધ અને વૃદ્ધત્વને કેંદ્રમાં રાખીને લખાયેલ એક-બે નહીં, સો-સો રચનાઓ છે. સમજી શકાય એવી વાત છે કે કવિએ વૃદ્ધાવસ્થાના તમામ પાસાંઓને બે પૂઠા વચ્ચે આવરી લેવાની કોશિશ કરી હશે. સંગ્રહમાંથી એક રચના અહીં રજૂ કરીએ છીએ. રચના વિશે એકેય શબ્દ મારે કહેવો નથી. રચના આપના ભાવવિશ્વને જે રીતે સ્પર્શે એ જ કવિની અને આપની –ઉભયની ઉપલબ્ધિ!

Comments (10)

વૃદ્ધ મજૂરનું ગીત – અશોક ચાવડા ‘બેદિલ’

બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

સાંજ પડે ને ઝાલરટાણે તારે મંદિરીયેથી છોને નીકળવાનું થાતું!
મારી સામું તું જુએ ના, તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું.
આંખ જરા જો બારી લગ પહોંચે તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

મારા પગ પર ઊભા રે’વું મારાથી ના બનતું, કેવો થાક લઈને જીવું!
મારી ઉપર રોજે આખું આભ તૂટે છે, જન્મારાનો વાંક લઈને જીવું;
જાત ગળાતાં વાર હવે શી, હોવાનો અણસાર લઈને અરમાનો ઓગળિયા…
બીડીના એક ઠૂંઠે તમને સંભારું શામળિયા.

– અશોક ચાવડા ‘બેદિલ’

સમાજના લલાટે અસ્પૃશ્યતાનું કલંક પહેલાં જેટલું ઘાટું હતું, એટલું આજે નથી રહ્યું, પણ હજીય નાનાં-નાનાં ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં આ દૂષણ લગભગ એમનું એમ પ્રવર્તમાન છે. સમાજના આ તિરસ્કૃત વર્ગ માટે આજેય ઘણી જગ્યાએ મંદિરપ્રવેશ વર્જ્ય છે. મંદિર પાસેથી પસાર થતી વેળા એમણે ફરજિયાતપણે મસ્તક નમાવીને ચાલવું પડે, જેથી એમની નજર મંદિર કે મંદિરમાં બિરાજમાન મૂર્તિ પર ન પડે. કાવ્યોચિત વક્રોક્તિ એ છે કે બીડીના ઠૂંઠે શામળિયાને યાદ કરતા ભક્તને ખબર છે કે એ તો સામાજિક કુરિવાજના પ્રતાપે ઈશ્વર સામે નથી જ જોઈ શકતો, પણ ઈશ્વર સુદ્ધાં એમની સામે જોતો નથી. ભગવાન જો જોતો હોત, તો આ હાલત હોત? બીડીનું એક ઠૂંઠૂં –મને તો આ વાત પણ સ્પર્શી ગઈ… ગરીબ માણસ પાસે આખી બીડી તો ક્યાંથી હોય? અમીર માણસોએ ફેંકી દીધેલ ઠૂંઠા પર જ એમણે તો ગુજારો કરવાનો હોય ને!

Comments (9)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૦૪

લયસ્તરો પર ઘણા સમય પહેલાં મૈત્રી-વિષયક શેરો અને સુભાષિતોની સરવાણીમાં આપણે ભીંજાયા હતા… જેમને નાનકડી ટાઇમ-ટ્રાવેલમાં રસ હોય એ મિત્રો આ ત્રણ લિન્ક ઉપર ક્લિક કરી શકે છે – કડી-૦૧, કડી-૦૨, કડી-૦૩. આજે માણીએ ચોથી કડી.

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.

શ્રી ચિત્રભાનુ મહારાજના હૃદયમાંથી ફૂટેલી આ સરવાણી સમગ્ર વિશ્વના મનુષ્યોના દિલની એકમાત્ર આરત છે, સંબંધ કોઈ પણ હોય, એમાં મૈત્રીભાવ હોય અને વળી એ ઝરણાંની જેમ અસ્ખલિત વહ્યા જ કરતો હોય તો જીવનમાં કેવળ શુભમંગળ જ થાય. માતા અને સંતાનનો સંબંધ તમામ સંબંધોમાં સર્વોપરી લેખાયો છે. પતિ-પત્નીનો સંબંધ જનમજનમનો નાતો ગણાવાયો છે… પણ આ તમામ સંબંધમાં પારાવાર સમસ્યાઓ સર્જાતી આપણે જોઈ-અનુભવી છે. પણ બે સાચા મિત્રો વચ્ચે કદી સમસ્યા જન્મ લેતી નથી. અહીં સાચા શબ્દ ઉપરથી ધ્યાન હટે નહીં, એનું આપણે ધ્યાન રાખવાનું છે. કહેવાતા મિત્રો તો હજારો હોય, એની વાત આપણે ઉપરોક્ત કવિતાના સંદર્ભમાં નથી કરી રહ્યા. પણ સાચા મિત્રો વચ્ચે લાખ મતભેદ થવા છતાં કદીય ખટરાગ જન્મતો નથી, કારણ કે સાચી મૈત્રીના કમળને હક, અપેક્ષા, શંકા અને અહંકારનો કાદવ અડકી શકતો નથી-

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી જે,
પદ્મ સમ નિર્મળ અગળ ખીલી શકે એ પ્રેમ છે!

મૈત્રી દિવસના સંદર્ભે આપણે પૌરાણિક ગુજરાતી સુભાશિત-દોહાઓથી લઈને આપણા પૂર્વસૂરિઓની કેફિયત છેલ્લી ત્રણ કડીઓમાં જોઈ… પણ આજની તારીખે ગુજરાતી કવિતાના આકાશમાં જે પેઢીઓ રંગો રેલાવી રહી છે, એ પેઢીઓને પણ આ બાબતમાં કંઈક ને કંઈક તો કહેવાનું હશે જ ને! ચાલો, આપણે આજની સક્રિય પેઢીઓની કલમે મૈત્રીના નાનાવિધ આયામ ચકાસીએ…

તબીબ-કવિ હરીશ ઠક્કર સોંસરો સવાલ લઈને આવ્યા છે-

દુશ્મનના દુશ્મનોને બનાવે છે મિત્ર તો,
દુશ્મનને કેમ મિત્ર બનાવી નહીં શકે?

ગુરુઓના ગુરુ તબીબ-કવિ રઈશ મનીઆરના ખજાનામાં તો દોસ્તીના પ્લસ-માઇનસ વિશેના સેંકડો મોતી હશે, પણ એમાંથી એકાદ-બે મોતીના અજવાળે આપણે આપણો દિવસ અજવાળીએ. સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય’ વાળા સુપ્રસિદ્ધ દોહાનું પ્રતિવાક્ય પણ એમણે કેવું સ-રસ અને વેધક બનાવ્યું છે!: ‘સુખમાં પાછળ રહે એટલે કે તમારી પાછળ પડી જાય અને દુઃખમાં આગળ એટલે કે માર પડે ત્યારે ભાગવામાં આગળ હોય એ મિત્ર.’ કવિ તવંગર દોસ્તોની અમીરાઈની ખાલ પણ આબાદ ઉતરડે છે:

અમીર દોસ્ત! આ પૈસાના ઢગની નીચેથી,
ખમીર તારું જો નીકળ્યું, ગરીબડું નીકળ્યું.

દોસ્ત, આઘાત છે, ઉઝરડા નથી
શું બતાવું નિશાન ખોલીને?

પણ એમની કલમે અવતરેલ કાળાતીત શેર આ ટાણે ન ટાંકીએ તો આખી વાત અધૂરી રહી જાય. મિર્ઝા ગાલિબના તીર-એ-નીમકશની યાદ અપાવતો એ અમર શેર આ રહ્યો:

રઈશ! આ દોસ્તો તારા, અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું હરણને જીવતું રાખે.

અને એવો જ ઉત્તમ આ બીજો શેર… આપણા અદિકાવ્યની શરૂઆત જ જે પ્રસંગથી થઈ હતી, એ પ્રસંગનો રણકો આ શેરમાંથી ઊઠતો સંભળાશે. તારા પાપમાં અમે ભાગીદાર નથી એ સત્યની સમજૂતિએ વાલિયા લૂંટારાને વાલ્મિકી બનાવ્યો હતો. એ જ વાતનો પણ સાવ નોખી રીતે અહીં પડઘો પડે છે. મિત્ર હોય કે ગમે એ વ્યક્તિ હોય, કોઈએ કોઈના પર આધાર રાખવો ન જોઈએ:

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે !?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઈએ!

અનિલ ચાવડા દોસ્તીના સમસામયિક રંગોને ગઝલોમાં ઢાળવું વધારે પસંદ કરે છે-

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મિત્ર છે.

સગાવહાલાં ગમે એવાં હશે, એ કડવું સત્ય ઉચ્ચારવાનું આવશે અવશ્ય ખંચકાટ અનુભવશે. દોસ્તી જ એક માત્ર એવો સંબંધ છે, જ્યાં મનમાં હોય એ એમનું એમ કહી દેવાની મોકળાશ હોય છે. અંકિત ત્રિવેદી ખૂબ ઓછા શબ્દોમાં ખૂબ જ માર્મિક ટકોર કરે છે:

જિંદગીમાં દોસ્ત હોવા જોઈએ,
જેની આંખે ખુદને જોવા જોઈએ.

ચાની લારી આજના જીવનમાં જે મહત્ત્વ પામી છે, એ કવિતામાં ન આવે તો શી મજા? કિરણસિંહ ચૌહાણ શું કહે છે એ સાંભળીએ-

ખૂબ વાતો કરીએ પણ પહેલાં કહે,
આટલામાં ચાની લારી ક્યાં છે દોસ્ત ?

સ્મિત દઈને માગી લીધી તેં વિદાય,
દોસ્ત! તારી આ કળા માટેય વાહ.

તો ગૌરાંગ ઠાકરની ફરિયાદમાં સદીઓના અનુભવનો સાદ છે:

આ બીજા છેતરે છે કેમ મને?
મારા મિત્રો મરી ગયાં કે શું?

ગ્લોબલાઇઝેશન જેમ જેમ વધતું ગયું એમ એમ માનવીનું હૈયું સાંકડું બનતું ગયું. દિલની તિજોરીમાં સંબંધોની દોલત ઓછી થતી ગઈ. જુઓ, આ સંદર્ભે વારિજ લુહારનો એક શેર-

ગાડું ભરાય એટલા મિત્રો હતા કદી,
થોડાક મિત્રોથી હવે ગાડું ચાલવું છું.

પરંપરાના શાયર કુતુબ આઝાદ આ બાબતમાં સાચા ધની છે-

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

નેહા પુરોહિત સ્ત્રીસહજ સ્વભાવગત દોસ્તીને પ્લસ નંબરના ચશ્માથી જુએ છે:

દોસ્ત, તારા પ્રહાર ખાળી શકું,
એટલો તો ખુમાર રાખું છું!

કોની ગણના, અવગણના પણ કોની કરવી?
કોઈ મિત્ર છે અત્તર જેવા કોઈ મઘમઘ ફુલ!

દરિયા જેવું દીધું, પાછું ઝરમર ઝરમર લીધું;
દોસ્તી નામે નોખું અમરત ઘટ્ટકઘટ્ટક પીધું!

કિરીટ ગોસ્વામીનું વલણ પણ વિધેયાત્મક છે:

રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે!

હરદ્વાર ગોસ્વામી ઈશ્વરની જેમ ગાયબ રહેતા દોસ્તના નામ પર મસમોટી ચોકડી મારે છે:

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

દર્શક આચાર્ય મિત્રાચારીના આભાસી અરીસાને તોડી દોસ્તીના સાચા મૂલ્યોની પરખ સમજણપૂર્વક કરવા આહ્વાન આપે છે:

દોસ્ત, દર્પણનાં સત્યને જાણી,
કાચને ફોડ, પણ સમજ સાથે.

ભાવિન ગોપાણીનો ખજાનો મૈત્રીના અણમોલ મોતીઓથી ભર્યો પડ્યો છે. એમાંય ઉદાસીના કૂવામાંથી ઉપસ્થિતિના દોરડા વડે બહાર કાઢવાની વાત કરતો શેર તો કાળાતીત થવાને સર્જાયો છે:

હું ઉદાસીના કુવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.

પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે
આંખોની સામે હોય અને ઓળખાય નહીં

ભલેને યુધ્ધના બહાને, જરા નજદીક તો આવે,
અમારા શત્રુઓને મિત્ર બનતા વાર નહીં લાગે.

હોય છો ને વાત ખોટી કે ખરી,
દોસ્તની પડખે ઉભા રહેવું પડે.

ઈશ્વર બોલ્યો કે રાખો થોડી ચીજો જન્નત માટે,
થોડા મિત્રો, થોડી વાતો, ચાની લારી રાખી છે.

કહ્યાં પહેલાં જ મારી વાતને પામી રહ્યો છે એ,
નવો આ મિત્ર જાણે કે મને શૈશવથી જાણે છે

જાણી ગયો ભલે તું કોઈ ભેદ મિત્રનો
સિક્કાની જેમ કેમ ઉછાળે બજારમાં?

સરળ કરતો રહે છે મિત્ર મારું કામ આગળનું
જરા માંદો પડું ત્યાં તો એ ખાડો ખોદવા લગે

બંનેમાં પછી પીઢતા એવી તો વધી ગઈ
જીવે છે હવે મિત્રતા વહેવાર બનીને

હિમલ પંડ્યાની ગઝલો પણ દોસ્તીના ધનમૂલક આયામોથી ધની બની છે:

એક અડધી ચામાં આખી વાત થઈ શકતી હતી
એમ ખુલ્લી દોસ્ત સામે જાત થઈ શકતી હતી

લગાડો ના કદી એની કશીયે વાતનું માઠું
હશે એ મિત્ર સાચો સાવ તો મોંફાટ હોવાનો.

દોસ્તોના ખભા મળ્યા એથી
મન મૂકીને રડી શકાયું છે.

વૈભવી વસવાટ જે ના દઈ શક્યો!
એ મજાઓ નીકળી તાંદૂલમાં

ઋણાનુબંધ છે નોખો, નહીં એ તૂટવા પામે
વીતેલા જન્મનું સંધાન છે, તું મિત્ર છે મારો

યુવા કવિ વિકી ત્રિવેદી જમાનાના માર ખાધેલ કવિ છે. એટલે એમના શેરોમાં એમના આત્માનુભવો પ્રતિબિંબિત થાય તો એમાં નવાઈ નથી:

મારો વિકાસ જોઈને મિત્રો ઉદાસ છે,
તલવારથી વધુ હવે ખતરો છે ઢાલથી.

માનું છું દોસ્ત હું તને ખુદા બરાબર જ,
પણ અવગણી મને તું ખુદાની નકલ ન કર.

દોસ્ત આવા પ્રેમથી પસવા૨ મા,
પીઠને કેવળ છરાની ટેવ છે.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

જેતપુરના ફિઝિશ્યન જગદીપ નાણાવટીનો અંદાજ-એ-બયાં નોખો છે. ગુજરાતીઓમાં ગુજરાતીપણું ઓછું અને હિંદીપણું-અંગ્રેજીપણું વધારે જોવા મળે છે. આજના દોરની ગુજરાતી બોલીમાં તેઓ મજાનો શેર રજૂ કરે છે:

કિસ તરહા યારી નિભાઈ જાતી હૈ?
પીઠમાં ખંજર હુલાવી બોલ્યો,”યૂં”!

સંદીપ પૂજારાને સદનસીબે દર્દોની દવા બની શકે એવા સરસ યાર સાંપડ્યા છે:

જુના દોસ્તો છે, નવા દોસ્તો છે!
દરદ કોઈપણ હો દવા દોસ્તો છે!

તો સામા પક્ષે મેગી આસનાનીનો અભિગમ એકદમ વ્યવહારુ છે-

તારી હવે ફરજ બને નજદીક આવ દોસ્ત;
આવી શકાય એટલું આવી ગયા અમે.

સુનીલ શાહ આમ તો સકારાત્મકતાના કવિ છે, પણ દુન્યવી અનુભવોની કડવાહટથી એમની કલમ પણ બચી શકી નથી:

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

જિગર ફરાદીવાલા દોસ્તીમાં ઘા પામ્યા હોવા છતાં ખુમારી ખુવાર ન થવા બદલ ખુશ છે:

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ, દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.

જય કાંટવાલા મિત્રતાના બંને પલડાંને યોગ્ય ન્યાય આપે છે. એક તરફ શંકા નામની ઉધઈ મૈત્રીને કઈ રીતે કોરી ખાય છે એની વાત કરે છે અને બીજી તરફ જીવનમાં મિત્રોની ઉપસ્થિતિને સદનસીબ કહી સત્કારે છે:

કે વરસો પછી માંડ બેઠો હતો દોસ્ત,
જરા શંકા પડતા જ ઉઠ્યો ભરોસો.

કોણે કહ્યું કે દોસ્તની સંગત ખરાબ છે
જો દોસ્તી ન હોય તો કિસ્મત ખરાબ છે

મોટાભાગના સંબંધોને બહારખાનેથી એ યથાવત હોવાનો ડોળ કરીને આપણે સાચવી લેતાં હોઈએ છીએ, પણ અંદરખાનેથી આપણે સમજતાં હોઈએ છીએ કે આ સંબંધ હકીકતમાં તો ક્યારનો મરી પરવાર્યો છે. આવી ઝીણવટભરી બાબતને મયૂર કોલડિયા કેવી સરળતાથી અવલોકી શક્યા છે એ જુઓ:

મનમાં બધા સંબંધ થયા છિન્નભિન્ન પણ,
મિત્રોને માટે તો હજુ નોખો વિભાગ છે.

જેનું તખલ્લુસ જ મિત્ર છે એવા મિત્ર રાઠોડ પણ સ-રસ વાત કહે છે:

મિત્રોની એવી ભેટ મને ઈશ્વરે દીધી,
એના જ કારણે મને મારી ફિકર નથી.

પ્રશાંત સોમાણી પણ વાસ્તવિક્તા સાથે સીધું સંધાન ધરાવે છે-

કેટલો આભાર માનું હું પ્રશાંત,
આયનો સાચો બતાવે દોસ્ત તું

દોસ્તની હાજરીના મઘમઘાટ વિશે કુણાલ શાહે કેવો મજાનો શેર કહ્યો છે:

દોસ્ત તારી હાજરીથી એવું તો શું થાય છે?
હું અને મારી દશા બંને સુધરતાં જાય છે.

અંજના ભાવસાર ‘અંજુ’ના બે શેર પણ આ સમે આસ્વાદવા જેવા છે-

ઉદાસી, વેદના ને ભય! તમે સરનામું બદલો ભઈ,
મેં મિત્રોની દુઆઓથી મઢ્યું તાવીજ પહેર્યું છે.

હવે વાત હૈયાની રહેશે ન છાની,
કે બેઠા છે મિત્રો લઈ પ્યાલી ચાની.

‘મિત્રો, મેહફીલ, ચાની ચૂસકી, એ જ ખરું છે मम ऐश्वर्यम्।‘ કહેતા યુવાકવિ રાજેશ હિંગુની ‘દોસ્ત’ ગઝલના બે શેર પણ આસ્વાદીએ:

મહિનાનો થાક ચપટીમાં ઉતારનાર દોસ્ત,
જાણે કે પહેલીએ જમા થાતો પગાર દોસ્ત.

તારાથી મેં તો જોડી દીધો દિલનો તાર દોસ્ત!
ચાહે મને તું તાર કે કર તારતાર દોસ્ત!

અંતે દોસ્તી વિશે થોડા બીજા શેર માણીએ:

જરૂર જો પડે તો એ તલવાર પણ બને,
મિત્રોનું કામ, ફક્ત નથી ઢાલ પૂરતું.
(રાજેશ હિંગુ)

આ ઉદાસીને જરા સમજાવ તું..
દોસ્ત! જો આવી શકે તો આવ તું..
(હર્ષવી પટેલ)

બધાને ખૂબીઓ દેખાય છે ભરપૂર મારામાં,
તને જો ખામીઓ દેખાય તો તું દોસ્ત સાચો.
(કિશોર જિકાદરા)

ધીમી ચાલ છે, તેથી ચાલું છું પાછળ,
તને દોસ્ત, મારાથી ભય તો નથીને!
(ઉમેશ ઉપાધ્યાય)

અને અંતે દર વખતની જેમ દોસ્તી વિશેની મારી થોડી અંતરંગ લાગણીઓના લસરકા સાથે છૂટા પડીએ…

બોલો ન બોલો – બેઉમાં અંતર જરા નથી,
ભીતર જે છે એ ખોલવાની છૂટ ક્યાં છે દોસ્ત ?

સ્મિત તારું, આંખની તારી ચમક,
નવજીવન દે છે હજી મરતાંને, દોસ્ત.

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

કાલે હતો એથી વધારે આજે છે
દિલમાં એ રીતે દોસ્ત! તું બિરાજે છે;
ગંતવ્ય એક-એક શ્વાસનું એક જ છે કે-
જે પણ હતા, જે છે એ તારે કાજે છે.

એવી રીતે તો મને ના કાઢ જીવનમાંથી, દોસ્ત !
છાપું હો ગઈકાલનું કે દૂધમાં પોરા ન હોય !

હવે સંબંધમાં ઊઁડાણ ને લંબાણ ક્યાં છે, દોસ્ત?
કહો, શું જોડવા કે તોડવામાં વાર લાગે છે?

આપણી વચ્ચે જે છે એ યુદ્ધ છે કે શું છે, દોસ્ત ?
આપણી વચ્ચે છે આજે ચાંપતો અંધારપટ.

દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

એ યાર ક્યાં છે કે જે ઢાંકે સમસ્ત જીવતર,
નાનકડા ચીંથરાના જૂના ઉધાર સાટે?!

– વિવેક મનહર ટેલર

Comments (7)

(મનવા) – નયન હ. દેસાઈ

બે ઘડીની નિરાંત હો મનવા,
એટલા શબ્દ શાંત હો મનવા.

જ્યાં ખરીદી શકાય ટહુકાઓ,
એક એવોય પ્રાંત હો મનવા.

અશ્રુઓ કેમ સ્હેજ અટકે છે?
જે મળે તે નિતાંત હો મનવા.

સાંજ ડૂબે તો થોડાં સ્મરણોની
સ્વપ્નજોગી પુરાંત હો મનવા.

મૂળ સૂરજનાં શોધવા નીકળે,
કો’ નગર એમ ભ્રાંત હો મનવા.

મોન જેવી જ મારી વાણી હો,
શબ્દ સઘળા પ્રશાંત હો મનવા.

– નયન હ. દેસાઈ

નયન દેસાઈએ ૧૯૯૯ની સાલમાં ‘અનુષ્ઠાન’ નામે એક ગઝલસંગ્રહ આપ્યો હતો. આ સંગ્રહ ગુજરાતી ગઝલના ઇતિહાસમાં આગવું અને અલગ સ્થાન ધરાવે છે, કારણ કે સંગ્રહની કુલ એકતાળીસે એકતાળીસ ગઝલમાં એક જ રદીફ છે- ‘મનવા’. સંગ્રહ મોરારી બાપુને અર્પણ કરતી વખતે કવિએ કૌંસમાં ગઝલ તેંતાલીસા લખ્યું છે, પણ પહેલાં બે પાનાં અર્પણ અને આમુખ માટે ફળવાયા હોવાથી કુલ ગઝલ ૪૩ નહીં, પણ ૪૧ જ છે. સંગ્રહ વિશે જણાવતાં કવિ લખે છે કે, ‘જીવનમાં એવી ઘટના પણ બનતી હોય છે કે વિચાર પણ ન હોય તે કાર્ય અચાનક થઈ જાય છે. આમ જ એક દિવસ વિચાર આવ્યો કે ‘મનવા’ રદીફ પર થોડી ગઝલો લખવી છે. રોજ એક ગઝલ લખવી અને એવી ૪૦ પૂરી કરવી એવો મનમાં સ&કલ્પ કર્યો. મોટે ભાગે રોજ સવારે લખાયેલી આ ગઝલો છે.’

આ ગઝલોમાંથી કોઈ એક પર આંગળી મૂકવાનું કામ બહુ કપરું છે. પોતાના સ્વ-ભાવથી સહેજ ઉફરા ચાલીને નયનભાઈ આખા સંગ્રહમાં પ્રયોગ કરવાથી દૂર રહ્યા છે, પણ એકેએક શેરમાંથી નયન દેસાઈ ટપકે છે એય હકીકત છે. ટૂંકી બહરની આ ગઝલના દરેક શેર પાસાદાર થયા છે. પુરાંત કાફિયાને કવિએ જે રીતે અજમાવ્યો છે એના પર તો કઈ રીતે ફિદા ન થઈ જવાય?

કવિએ મોરારીબાપુને સમર્પિત કરતાં

Comments (10)

(શિખર પર કશું નથી) – સુનીલ શાહ

આકાશથી વિશેષ શિખર પર કશું નથી*,
તો પણ, શું કોઈ એવું છે જેને જવું નથી?

એ વાતથી તને શું કશુંયે થતું નથી?
તું જે કરે છે એમાં કોઈનું ભલું નથી.

હું જોઉં શું મળ્યું, તમે જોયા કરો અભાવ,
સૃષ્ટિમાં જે કશું છે, બધાનું બધું નથી.

માણસ વિશે હશે તો સમાચાર થઈ જશે,
પંખીનું ઘર વગરનું થવું એ નવું નથી!

એ બોલ્યો કે કવિતા તો શબ્દોની છે રમત,
સૌ જાણે છે કે સર્જવું એનું ગજું નથી!

વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે,
મીઠાશ હોય શબ્દમાં એ પૂરતું નથી.

– સુનીલ શાહ

(*પંક્તિ સૌજન્ય: પંકજ વખારિયા)

સાદ્યંત સુંદર ગઝલ…

Comments (25)

ગોઠવણ – વિકી ત્રિવેદી

મા, સાવ નાનકડા ઘરમાં
-અરે ઘર શાનું? ઝૂંપડું જ-
એમાં કોઈ કબાટ, તિજોરી, પેટી વગર
વ્યવસ્થાના અભાવને અવગણીને
માત્ર ઘર ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને
તું શું કરી શકે છે એના ઉપર ધ્યાન આપીને
ઘરના બધા જ સભ્યોનો સામાન
વ્યવસ્થિત ગોઠવવાની તારી જે સૂઝ હતી
એ મને કામ આવી
હું પણ હવે પીડાને અવગણીને
અભાવોને નજરઅંદાજ કરીને
માત્ર હું શું કરી શકું છું એના ઉપર ધ્યાન આપીને
જેના ફકરાના ફકરા ભરાઈ શકે
એવા વિચારોને માત્ર બે લીટીમાં ગોઠવી શકું છું!

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર આજે કવિના અછાંદસ સંગ્રહ ‘સંવેદનાનો વેદ’ને પોંખીએ…

નાનું અમથું પણ સ્વયંસ્પષ્ટ કાવ્ય. ગઝલના શેરની બે લીટીના ઘરમાં જે કવિને માફક આવી ગયું છે, એ પોતાની આવડતના મૂળ સાથે આપણો પરિચય કરાવવા માટે નાનકડા પણ મજાના અછાંદસનું માધ્યમ પ્રયોજે છે…

Comments (16)

સપનાં – પ્રતિષ્ઠા પંડ્યા

હું હજી આંખ ખોલતી નથી
એક સપનું ચાલ્યા કરે છે મનમાં
આંખના કમાડ પર હલ્લો બોલતી
કાળીડિબાંગ રાતોને સાવ અવગણીને
એ ભર્યે રાખે છે
ઝીણીઝીણી ટીલડીઓ
ફાટેલા આકાશમાં
રાતને અંદર ધસી આવતી રોકવા
ધણધણતા કમાડ પર પીઠ ટેકવીને ઊભી છું
ઊંડા શ્વાસ ભરતી રાહ જોઉં છું
પણ રાત મૂકતી નથી છેડો
ચાંપે છે અંધારાભરી મશાલ
મારા ઘરના છાપરા પર
એની કાળી જ્વાલાઓની લપેટમાં
ઇચ્છે છે મને ભસ્મ કરવા
નરસિંહના હાથની જેમ બળું છું
આખેઆખી મશાલ ભેગી
ને તોય જોયે રાખું છું સપનાં
કોઈ ઝાંખા અજવાળાનાં
જેમાં જોવાં મારે પરવાળાં ખીલતાં
મારા બાળની આંખોમાં.

– પ્રતિષ્ઠા પંડ્યા

લયસ્તરો પર આજે કવયિત્રીના નવ્ય સંગ્રહ ‘નરસંહારના સમયમાં પ્રેમ’ને સ્નેહપૂર્વક આવકારીએ…

સ્ત્રી અને પુરુષ સર્જકોને અલગ વિભાગમાં ન વહેંચીએ, તોય સુશ્રી પ્રતિષ્ઠા પંડ્યાનું કવિકર્મ નોખી નિજી તરેહ પાડતું અને હાંસિયામાં ધકેલી ન શકાય એવું બળકટ છે. જે સંગ્રહમાંથી આજની રચના ઉદ્ઘૃત કરી છે, એ સંગ્રહમાંથી પસાર થતાં મારે નવ નેજાં પાણી ઉતર્યાં છે. માનવસ્વભાવની કાળી બાજુ અને શોષણખોરીને હળવા પણ મક્કમ હાથે મીઠામાં બોળેલ ચાબખા મારતાં આ કાવ્યો એકી બેઠકે વાંચવા શક્ય જ ન બને. વારંવાર છાતીમાં ભરાઈ આવતો ડચૂરો પુસ્તકને બાજુમાં મૂકાવીને જ જંપે. આ કવિતા જ જુઓ ને…

Comments (12)

(શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે) – નયન હ. દેસાઈ

છાતીને વીંધી જે સોંસરવો નીકળ્યો એ શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો છે;
અગ્નિ ને વાયુ બે ભેગા થયા પછી સૃષ્ટિનો મોટામાં મોટો નિહાકો છે.

ટાવરનો દરવાજો ખોલીને કોઈ માણસ ભાગ્યો તો આખા શહેર સાથે પકડાયો
પૂછ્યું તો ‘હેં હેં’ એ બોલ્યો કે ખિસ્સામાં થોડી મિનિટો ને થોડા કલાકો છે.

એક ઘરમાંથી નીકળી બીજા ઘરમાં જઈએ તો માણસને બદલે દીવાલો મળે છે,
આખી ને આખી આ શેરીઓ જાણે કે ફાંસીના કેદીની તોતિંગ બરાકો છે.

બારીમાં આવીને હડુડુડુ બેઠા ને સળિયામાં ભચ્ચક ભચ્ચક ભીંસાયા,
ખિસ્સામાં નાંખેલા આ દિવસો પણ જાણે કે, ઊઠતી એકલતાના બાંધ્યા ઘરાકો છે.

મારા ગ્રીટિંગ કાર્ડ પર સાંજનું પીળુંપચ્ચ ચિત્ર, આખું વરસ સૂર્ય થઈને ડૂબ્યું,
તું માને છે જેને ‘નયન’ નામનો શખ્સ, આંસુમાં ડૂબેલો એ તો ઈલાકો છે.

– નયન હ. દેસાઈ

ગણતરી માંડવા બેસીએ તો નયન દેસાઈએ જેટલી ગઝલો લખી છે, એનાથી ત્રીજા ભાગનાં જ ગીતો લખ્યાં હશે, પણ નયનસમગ્રમાંથી પસાર થઈએ તો ખ્યાલ આવે કે ભલે કવિએ નિજી અભિવ્યક્તિની નૌકા બહુધા ગઝલસાગરમાં કેમ ન તરાવી હોય, મૂળે તો એ જીવ ગીતોનો જ હતો. નયન દેસાઈની જેમ જ છ અક્ષરનું નામ ધરાવતા રમેશ પારેખ વિશે પણ આવું જ કહી શકાય. ર.પા. પણ મૂળે ગીત અને લયનામાણસ હોવાથી ગઝલના રુઢ છંદોને એમણે લયથી જ તોળ્યા હતા અને એ જ કારણોસર ર.પા.ની ગઝલોમાં અનેકાનેક છંદદોષ જડી આવે છે.

નયન દેસાઈની આ ગઝલની વિશેષતા એ છે કે એમણે ગઝલમાં પ્રયોજાતા આઠ માત્રાના છંદના સ્થાને ગીતમાં વપરાતો ષટકલનો લય ખપમાં લીધો છે. એટલે ગઝલની છંદપટ્ટી લઈને માપવા બેસીશું તો મેળ જ નહીં ખાય.

ખેર, આ તો થઈ ગઝલકાર-ગીતકારો માટેની માહિતી. આપણને તો ગઝલ આસ્વાદવા સાથે મતલબ છે ને! કવિતાને સૃષ્ટિનો મોટામાં મોટો નિઃસાસો ગણાવતો મત્લા કેવો અફલાતૂન થયો છે. હૈયાની આગ અને શ્વાસોની હવા જ્યારે કાગળ પર શબ્દોનો ખુલ્લો ને ખુલ્લો ભડાકો બનીને ઉતરે છે ત્યારે જ ખરી કવિતા થાય. સુરતના ભાગળ ચાર રસ્તા પાસેનો એક વિસ્તાર હજી આજેય ટાવરના નામે ઓળખાય છે. ટાવર તો આજેય છે, પણ ઘડિયાળ દાયકાઓથી બંધ પડી છે. જાણે શહેરનું ઋણ ઉતારવા ન માંગતા હોય, એ રીતે કવિએ સુરતને એમની કૃતિઓમાં ક્યાંક ને ક્યાંક ધબકતું રાખ્યું છે. જે ટાવર એક સમયે આખા શહેરની ઓળખ હતો, એ ટાવરનો દરવાજો ખોલીને ભાગી નીકળેલ માણસના ખિસ્સામાં તો થોડી મિનિટો અને કલાકો છે, પણ એ પકડાયો છે આખા શહેર સાથે… કેવી સૂક્ષ્મ વાત!

* નિહાકો – નિઃસાસો

Comments (16)

पति की प्रेमिका के नाम – रश्मि भारद्वाज

सोचती हूँ कि तुम्हें एक घर तोड़ने का इल्ज़ाम दूँ
या कि उस पुरुष के कहीं रिक्त रह गए हृदय को भरने का श्रेय
जो घर गृहस्थी के झमेलों में
शायद मेरे प्रेम को ठीक से ग्रहण नहीं कर पाया था,
तुम्हारे और मेरे मध्य
एक दूसरे से बँधने के कई कारण थे
हम उसी पुरुष से जुड़े थे
जो मुझे रिक्त कर
तुममें ख़ुद को ख़ाली कर रहा था

तुम्हारे पास जो आया था
वह मेरे प्रेम का शेष था
हमारे संबंध की बची रह गई
इच्छाओं का प्रेत,
यह कितना कठिन रहा होगा
कि तमाम समय मुझ-सा नहीं होने की चेष्टा में
मैं मौजूद रहती होऊँगी तुम्हारे अंदर
और उसकी सुनाई कहानियों के साये
आ जाते होंगे तुम्हारे बिस्तर तक

तुम मुझसे अधिक आकर्षक
अधिक स्नेहिल
अधिक गुणवती होने की अघोषित चेष्टा में
ख़ुद को खोती गईं
और मुझसे मेरा जब सब छिन गया
मैं ख़ुद को खोजने निकली
हमने जी भर कर एक दूसरे को कोसा
एक दूसरे के मरने की दुआएँ माँगीं,
हमारे मध्य एक पुरुष के प्रेम का ही नहीं
घृणा का भी अटूट रिश्ता था

मेरे पास था
एक प्रेम का अतीत
एक बीत गई उम्र
और एक बीतती जा रही देह के साथ
उसके प्रणय का प्रतीक
एक और जीवन

तुम्हारे पास था
एक प्रेम का वर्तमान
यौवन का उन्माद
देह का समर्पण
अपने रूप का अभिमान
और मेरे लिए एक चुनौती

लेकिन अपना भविष्य तो हम दोनों ने
किसी और को सौंप रखा था

यह होता कि तुमने मेरा अतीत
और मैंने तुम्हारे वर्तमान का
साझा दुःख पढ़ा होता
काश कि हमें दुखों ने भी बाँधा होता

– रश्मि भारद्वाज

વિવિધ ભાષાની મજાની કવિતાઓનો અનુવાદ કરી ગુજરાતી વાચકવર્ગ સમક્ષ રજૂ કરવું મને ગમે છે, પણ હિંદી કવિતાએ મને કાયમ મૂંઝવ્યો છે. હિંદી ભાષા આપણા વ્યવહારમાં એ રીતે અને એ હદે રચી-બસી છે કે હિંદીમાં સમજ ન પડતી હોય એવો ગુજરાતી કદાચ સપનામાં જ મળે. એમાંય આ કવિતામાં ભાષા તો કેવળ હૃદયની લાગણીઓના વહન કરવા પૂરતી જ ખપમાં લેવાઈ છે. એટલે આટલી સરળ કવિતાનો અનુવાદ કરવાના બદલે રચનાને યથાતથ આસ્વાદીએ એમાં જ ખરી મજા છે.

જે દિવસે લગ્નસંસ્થાની રચના થઈ હશે, કદાચ એ જ દિવસથી લગ્નેતર સંબંધની શરૂઆત પણ થઈ હશે. એક પત્ની પોતાના પતિની પ્રેમિકાને સંબોધવાને મિષે પોતાનું હૃદય ખાલી કરે છે એની આ રચના છે. લાખ અનિચ્છા છતાં પત્ની સ્વીકારે છે કે પોતે અને આ પરકીયા – બંને કોઈક રીતે એકમેક સાથે બંધાયેલા છે. પ્રથમ દૃષ્ટિએ બંને સ્ત્રીને બાંધનાર લઘુત્તમ સામાન્ય અવયવ એ પુરુષ છે જે કથકનો પતિ છે અને અવર સ્ત્રીનો પ્રેમી છે. પ્રેમિકા માટે પણ આ સંબંધ આસાન નથી, કારણ પ્રતિપળ સ્વયંને પુરુષની પત્નીથી ચડિયાતી સિદ્ધ કરવાની કોશિશ એને પ્રેમીની પત્ની સાથે બાંધી જ રાખે છે. પ્રેમીપત્નીથી શ્રેષ્ઠ હોવાના પ્રયત્નોમાં એ ખુદને ગુમાવે છે. બંને સ્ત્રી એકમેક સાથે ઘૃણાના બંધને પણ જોડાયેલ છે. બંને સ્ત્રી પોતાના ભવિષ્યની દોર એક જ પુરુષના હાથમાં દોંપી હોવાના તાંતણે પણ પરસ્પર સાથે સંપૃક્ત છે. બંને સ્ત્રીઓ કોઈકને કોઈક રીતે દુઃખી જ છે, પણ એકમેક સાથે નફરતથી જોડાવાના બદલે દુઃખોની ભાગીદારીથી જોડાઈ હોત તો જિંદગી કદાચ બંને માટે સહ્ય બની હોત એ સ્વીકાર આખી વાતને કવિતાની ઊંચાઈએ લઈ જાય છે.

જાણીતા લેખિક અને અનુવાદક શરીફાબેન વીજળીવાળાના કંઠે આ રચનાનું પઠન-

Comments (13)

જતાં પહેલાં – જયા મહેતા

જતાં પહેલાં બધું આવું કેમ થતું હશે?
શ્વાસ ઊંડા ઊતરવા માંડે
આંખે નિસ્તેજ થતી જાય
જીભ થોથવાવા માંડે
શરીર આખું શિથિલ થઈ જાય..
આવું બધું થાય એ પહેલાં..
અહીંથી વિદાય ન લઈ શકાય?
ગુલાબની પાંદડીઓ પરથી
ઝાકળ હળવેથી અદૃશ્ય થાય…એમ
દૂધમલ બાળક ખિલખિલ હસતું જાગે
ને નિદ્રા સરી જાય…એમ
નવીનવી પાંખો ફફડાવતું
પંખીબાળ માળામાંથી ઊડી જાય…એમ
કોશેટાના તાંતણા વીંધી
રંગસભર પતંગિયું
બહાર નીકળી જાય એમ…
નૂરજહાનના કંઠમાંથી સરતા સૂર
ધીરેધીરે હવામાં વિલીન થાય…એમ
બધું વિવર્ણ થાય એ પહેલાં…

– જયા મહેતા
(૧૬-૦૮-૧૯૩૨ ‍ ૨૭-૦૮-૨૦૨૫)

૯૩ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી ખ્યાતનામ સર્જક – કવિ, અનુવાદક અને વિવેચક જયા મહેતાનો ક્ષર દેહ પોતાની પાછળ અ-ક્ષરદેહ મૂકીને પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો. એમના ગદ્ય કૃતિઓના અને ખાસ તો વિશ્વકવિતાઓના અનુવાદોએ મને કાયમ આકર્ષ્યો છે. ઘરે રિનોવેશનના કામ સબબ તમામ પુસ્તકો ૨૦-૨૫ ખોખાઓમાં કેદ હોવાથી કમનસીબે કવિ ઉદયન ઠક્કરની ફેસબુક વૉલ પરથી મળેલ આ એક જ કવિતા એમને સ્મરણાંજલિ આપવા માટે રજૂ કરી શકાઈ છે. મૃત્યુની – સોરી, ભારતીય સંસ્કાર મુજબ આત્મા એક શરીર છોડી બીજું શરીર ધારણ કરે એ ટ્રાન્સમાઇગ્રેશનની પ્રક્રિયા કવિએ કેવી સરળતમ ભાષામાં આલેખી છે!

वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृह्णाति नरोऽपराणि।
तथा शरीराणि विहाय जीर्णानि
अन्यानि संयाति नवानि देही॥

(ભગવદ્ ગીતા: અધ્યાય-૦૨, શ્લોક-૨૨)

Comments (23)

નથી – પારુલ ખખ્ખર

અર્થ વગરની આવન-જાવન પારુલને મંજૂર નથી,
તમને લાગે છો મનભાવન, પારુલને મંજૂર નથી.

હોય ન જેમાં આંસુ-પીડા, હોય ન જેમાં વિરહ સજનનો,
એવા ફિક્કા ફિક્કા સાવન પારુલને મંજૂર નથી.

રાસે રમતાં ગોપ-ગોપીકા, હોય ભલેને બંસીના સૂર,
કૃષ્ણ નથી જ્યાં એ વનરાવન પારુલને મંજૂર નથી.

સાથે ડૂબી, તરતાં શીખવે, પાર ઉતારે – એ છે સાચા,
તીર ઉભેલા પતિત-પાવન પારુલને મંજૂર નથી.

એવું કંઈક લખાવો, સ્વામી! જેની કિંમત કોટિ કોટિ,
ક.ખ.ગ.ના ફદિયા બાવન પારુલને મંજૂર નથી.

– પારુલ ખખ્ખર

ગીતનું ધ્રુવપદ હોય કે ગઝલની રદીફ, સર્જકને હરહંમેશ કંઈક નવીન, કંઈક અનૂઠાની તલાશ રહે છે. ઘણીવાર સર્જક પોતાના નામને જ અવનવી રીતે કવિતાના તારમાં વણી લઈને ભાવકને સાનંદાશ્ચર્યાની ભાવાનુભૂતિ પણ કરાવતો હોય છે. સુરતના નયન દેસાઈએ પોતાના નામને ખૂબ લાડ લડાવ્યા છે: ‘નયન દેસાઈ એસ.એસ.સી.’, ‘ચાલ નયન. એક ચા મંગાવ.’ ‘C/o નયન દેસાઈ’ ચાર ફૂટ ને પાંચ ઈંચનો આ નયન, લોહી વચ્ચેથી નીકળીને નાઠો ‘નયન’ નાગડો પૂગડો, સાંભળીને લોક વદે બોલો, હે ‘નયનરામ’. અમરેલીના પારુલ ખખ્ખરની રચનાઓમાં પણ ક્યારેક આ પ્રકારની વિધા નજરે ચડે છે- ‘પારુલને મંજૂર નથી,’ ‘પારુલ ખખ્ખર! જવાબ આપો,’  ‘પારુલદે મરશિયાં ગાય…,’ ‘પારુલદેનાં ચશ્મા તડાક્ દઈ તૂટયા’

પારુલને મંજૂર નથી કહીને સર્જક પોતાની અપેક્ષાઓની યાદી આપણને આપે છે, ત્યારે એ વૈયક્તિક નથી રહેતી. સ્વાનુભૂતિ સર્વાનુભૂતિ બની જાય છે, પરિણામે રચના વાંચતાવેંત ગમી જાય છે. બધા જ શેર ઉમદા થયા છે, પણ મને કખગના બાવન ફદિયા કોટિ કોટિ કિંમતનો શેર લાગ્યો.

મત્લા સિવાય ગઝલના તમામ ઉલા મિસરામાં એક ગુરુ વધારાનો છે એ મને અંગત ધોરણે બહુ ન રુચ્યું એ અલગ વાત છે.

(ફદિયું = ચાર પાઈ, જૂનો પૈસો; કોટિ = કરોડ)

Comments (11)

જળ માનીને ડૂબકી દીધી… – ચંદ્રકાન્ત શેઠ

જળ માનીને ડૂબકી દીધી, જળમાં લાગી ઝાળ;
ડુંગર માની ઊપડ્યા, આવી આડે ખીણ કરાળ! —

ક્યાં ચઢવાનું? ક્યાં ઊડવાનું?
.                    એક જાળમાં બંધ;
લાખ પેટવો દીવા, અહીં તો
.                    દરેક જ્યોતિ અંધ!
પગલી દેખી પગલું માંડ્યું, લપસ્યા અવળે ઢાળ!
ડાળે બેઠા માળો કરવા, અધવચ ફસડી ડાળ! —

ટીપે ટીપે કાંઠો તૂટે,
.                    મોજે મોજે નાવ;
શઢના લીરે લીરે કેવા
.                    ઝંઝાનિલના ઘાવ!
મોતીની જ્યાં માયા રૂઠી, રેત બની ગૈ રાળ;
જેમ વરસવા ઊંચે ઊઠ્યા, અંદર થયા વરાળ! —

– ચંદ્રકાન્ત શેઠ

જીવનમાં કશું જ ધાર્યું ન થતું હોય એવી પળોનું ગીત. ગીતની દરેકેદરેક પંક્તિમાં એક નવીન રુપકને ખપમાં લઈને કવિએ બદનસીબી અને નિષ્ફળતાની હૈયાવરાળને બરાબર ઘૂંટી છે. અને આ કવિતા છે. કવિતા ક્યારેક સમસ્યા સૂચવે, ક્યારેક વળી ઉદાર થઈને સમસ્યાનો ઇલાજ પણ બતાવી દે; પણ સંસારની સમસ્યાઓનો ઈલાજ આપવાની જવાબદારીનો કાયમી બોજો ખભે લઈને તો એ કદી ચાલે નહીં. એરિસ્ટોટલે ‘પોએટિક્સ’માં ‘catharsis’નો જે સિદ્ધાંત વર્ણવ્યો છે એનું આ ઉત્તમ દૃષ્ટાંત છે. કદાચ એટલે જ કેવળ અને કેવળ જીવનમાં ડગલે ને પગલે નડતી અડચણોની જ વાત હોવા છતાં આ ગીત વાંચી લેવાયા બાદ પણ ક્યાંય સુધી મનમાં રણઝણતું રહે છે…

(કરાળ = વિશાળ, વિકરાળ; ઝંઝાનિલ = વંટોળિયો)

Comments (6)

ગજું – નીતિન વડગામા

જેવું જેનું ગજું.
ગજા પ્રમાણે સૌ પોતાની જાત કરે છે રજૂ.

કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે.
કોઈ ભણેલો હાથ જુઓને કક્કો ઘૂંટી નાચે!

કોઈ આશરો છતનો પામે કોઈ પામતાં છજું.
જેવું જેનું ગજું.

ક્યાંક નદીનાં નીર સામટાં આવી ચરણ પખાળે.
ક્યાંક ઝરણને કાજ અભાગી જીવ વીરડા ગાળે!

એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું.

– નીતિન વડગામા

કેવું સુંદર ગીત!

Comments (15)

આવો અગર ન આવો – નિરંજન ભગત

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!

આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!

ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!

– નિરંજન ભગત
(મે ૧૯૫૭)

ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”

સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.

Comments (14)

બંસીવાલા, આજો મોરા દેશ! – મીરાંબાઈ

બંસીવાલા, આજો મોરા દેશ! તારી શામળી સૂરત હદવેશ.

આવન-આવન કહ ગયે, કર ગયે કોલ અનેક;
ગણતાં-ગણતાં ઘસ ગઈ જીભાં, હારી આંગળીઓની રેખ.

એક બન ઢૂંઢી સકલ બન ઢૂંઢી, ઢૂંઢયો સારો દેશ;
તોરે કારણ જોગન હોઊંગી, કરુંગી ભગવો વેશ.

કાગદ નહિ મારે સાહી નાહિ, કલમ નાહિ લવલેશ;
પંખીનો પરવેશ નાહિ, કિન સંગ લખું સંદેશ ?

મોરમુગટ શિર છત્રા બિરાજે, ઘુંઘરવાળા કેશ;
મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ, આવોની એણે વેશ.

– મીરાંબાઈ

આજે જન્માષ્ટમીના પાવન પર્વ પર એક મજાનું ભક્તિપદ.

Comments (2)

તારે ભરોસે છે બધું – જગદીપ નાણાવટી

ટેરવાં, તારે ભરોસે છે બધું,
શ્રી સવા, તારે ભરોસે છે બધું.

પાંખમાં એકાદ પણ પીંછું નથી,
એ હવા, તારે ભરોસે છે બધું.

દીપચંદી, દાદરા, જપતાલ ક્યાં?
કહેરવા, તારે ભરોસે છે બધું.

રણ બન્યો દરિયો, હલેસા ઝાંઝવા;
ખારવા, તારે ભરોસે છે બધું.

બદદુઆનો દૌર ચાલે છે હજી
બસ દવા, તારે ભરોસે છે બધું.

– જગદીપ નાણાવટી

નાની બહેરની ગઝલમાં લાંબી રદીફ રાખીને કામ કરવું એ દોરી પર ચાલવા જેવું કપરું કામ છે. અહીં ‘તારે ભરોસે છે બધું’ રદીફ મિસરાની મોટાભાગની જગ્યા રોકી લેતી હોવાના કારણે કાફિયા માટે કવિને કેવળ પાંચ માત્રા –ગાલગા- જેટલો જ અવકાશ બચે છે, ને એમાંય કવિ મુક્ત કાફિયાની મોકળાશ ત્યજીને ચુસ્ત કાફિયા ઉપર પોતાની પસંદગી ઉતારે એટલે કામ વધુ કઠીન બને. આટલું ઓછું હોય એમ તારે ભરોસે છે બધું જેવી રદીફને તંતોતંત નિભાવી બતાવવાનો પડકાર… અને એ પછી આપણને આટલી સરસ ગઝલ સાંપડે એટલે આપણે તો એક જ વાત કહેવી પડે- ભઈ વાહ!

Comments (24)