પાંપણો ખૂલે સ્વયં ત્યારે હકીકત ઊઘડે,
આપમેળે આંખમાંથી સ્વપ્ન ભૂંસાતું નથી.
હરજીવન દાફડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ક્રોમળ – સ્નેહલ જોષી

આવું તે કોણ હોય કોમળ,
તાજા કપાસમાંથી ફૂટ્યું હો રૂ કે પછી વરસ્યાં વિનાનું કોઈ વાદળ!

અડકો તો લાગે કે હમણાં કરમાઈ જશે
જાણે લજામણીનો છોડ,
દૃષ્ટિ પડતાં જ એના ધબકારા જાણે
એક સામટી મૂકી દે છે દોટ!
ગાલને હથેળી પર એ રીતે ટેકવ્યા, પાંદડી પર બેઠું હો ઝાકળ!

એને તો એની કંઈ પરવાય નંઈ
એ તો એના જ હોય સાત સૂરમાં,
ક્યારેક વિચારોના વંટોળે હોય
અને ક્યારેક હો કલ્પનના પૂરમાં.
હળવેથી કાન પાસે હોઠને લઈ જાવ અને કહેવાનું એટલું કે સાંભળ-
આવું તે કોણ હોય કોમળ!

– સ્નેહલ જોષી

કવિતા કંઈ દર વખતે મોટી મોટી વાત જ કરે એ જરૂરી નથી. કવિતા માનવસંબંધોની આંટીઘૂંટી સમજવા-ઉકેલવામાં મદદ કરે એય આવશ્યક નથી. ક્યારેક એક સાવ નાનકડો વિચારતંતુ લંબાઈને કાવ્યમાળા બની જાય એમ પણ બને. પોતાની ચાહનાથી પાણીમાંના કમળ પેઠે જે સાવ જ અનભિજ્ઞ છે, એવી નાયિકાને નાયક બસ એટલું જ કહેવા માંગે છે કે સમસ્ત સંસારમાં એનાથી કોમળ બીજું કોઈ નથી. બસ, આ એક તાંતણા પર કવિતાના મોતી પરોવીને કવિએ પ્રસ્તુત કર્યાં છે. વાત નવી નથી, પણ રજૂઆતની નજાકત એને મજેદાર બનાવે છે. ગીત નિઃશંકપણે સહેજ કાચું લાગે, પણ ગીતની છેલ્લી કડીને અધૂરી રાખી જે રીતે ધ્રુવ પંક્તિ સાથે બાંધી દઈ વાત પૂરી કરી બતાવી છે એ સવિશેષ ગમી જાય છે.

Comments (18)

માત્ર શું રાજઘાટે? – ઉશનસ્

(ખંડ મંદાક્રાન્તા)

રે હે ગાંધી! જગતહિતચિંતાતણી રુદ્ર આંધી
જે હૈયામાં જીવનભર બંધાઈ કેમે ન બાંધી
તેની હાવાં ચણી દીધી અમે રાજઘાટે સમાધિ!
શોચું: તારું દહન અહીં આ માત્ર શું રાજઘાટે?
ના ચોકે કે પુરજનપદોની પૃથુ રાજવાટે?
હાટેઘાટે ચણી દીધી અમે સ્મારકે શિલ્પમૂર્તિ!
– લાગે આખે વદન કરુણા ને પદે કૂચસ્ફૂર્તિ—
ને એ રીતે હૃદયથકી ઉત્સારીને બ્હાર કાઢી;
હા, ત્યાં આડી
ને હ્યાં ઊભી
તારી યાદી તણી ચણી અમે સ્મારકોમાં સમાધિ.
કેવી સ્હેલી સરલ ભૂલવા કેરી આ રીત, ગાંધી!

– ઉશનસ્
(૨૦-૧૧-૫૮)

આજે ત્રીસ જાન્યુઆરી. ગાંધીનિર્વાણ દિન. આજે આપણા દેશમાં અને જનમાનસમાં ગાંધીજીનું શું સ્થાન છે એ આપણે સહુ જાણીએ છીએ. પણ આ કવિતા તો આજથી સડસઠ વર્ષ પહેલાં ગાંધીજીની હત્યાને હજી તો દસ જ વરસ થયાં હતાં એ અરસામાં લખાઈ છે. સમજી શકાય છે કે ‘ગરજ સરી કે વૈદ વેરી’ના ન્યાયે આપણા સમાજે આઝાદી મળી ગયા બાદ તરત જ આઝાદીના કર્ણધારોને વિસારે પાડી દેવાનું ભગીરથ કાર્ય આદરી દીધું હશે. જેના હૈયામાં બાંધી બંધાઈ ન શકે એવી દુનિયાના હિતની ચિંતાની ઉગ્ર આંધી આજીવન ફૂંકાતી હતી, એને આપણે રાજઘાટ પર સમાધિ ચણી બાંધી લીધી. દેશના તમામ શહેરો અને ગામોની વિશાળ રાજવાટ પર ગાંધીવિચારોની જે આગ સતત સળગતી રહેવી જોઈતી હતી, એને રાજઘાટ પર શરીર બાળીને આપણે ભૂલી ગયા. બાપુના સદગુણો જેમ કે કરુણા અને ઉત્સાહને જીવનમાં ઉતારી જીવંત રાખવાના બદલે ચોરે ને ચૌટે આપણે એને તાદૃશ કરતી ઉમદા મૂર્તિઓ ઊભી કરી, અને એ ગુણોને હૃદયમાંથી વિદારી નાંખ્યા. જે યાદોને હૈયામાં કાયમ માટે તરોતાજા રાખવાની હતી એને આપણે પથ્થરોમાં ચણી દઈ પથ્થર બનાવી દીધી… ભૂલી જવા માટેનો કેવો સરળ કીમિયો!

Comments (3)

અબોલા – ઉષા ઉપાધ્યાય

તમે કહ્યું ‘રે ચૂપ!’ સજન લો
.                         બંધ હોઠથી ઝરશે ના કોઈ ગીત…

હોઠ બંધ આ નૈન બંધ પણ
.                         અરવ કંઠથી હવા મહીં જે સરતું,
તાતા શબ્દતીરને જે ના ગણતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ મારું ગીત!

રોષ રકત તુજ નૈન રિકત પણ
.                         અરવ કંઠથી હૃદય થકી જે ઝરતું,
રોમ-રોમ મુજ ચંદન થૈ જે ઠરતું
.                         રે સાજન! કેમ કરીને રોકીશ તારું ગીત!

– ઉષા ઉપાધ્યાય

લયસ્તરો પર સર્જકના નૂતન સંગ્રહ ‘તેજનો તરાપો લઈને’નું સહૃદય સ્વાગત છે…

બે વાસણ સાથે ને સાથે જ હોય તો ક્યારેક તો ખખડે જ… કોઈક કારણોસર બે જણ વચ્ચે કંઈક રકઝક થઈ હશે ને પરિણામ સ્વરૂપે પુરુષે સ્ત્રીને ચૂપ થઈ જવાનો આદેશ આપ્યો છે. અને સ્ત્રીએ બદલામાં પોતાના હોઠેથી હવે કોઈ ગીત સરશે નહીંની ખાતરી પણ આપી દીધી છે. જો કે આ ‘ચૂપ’ આદેશાત્મક ઓછો અને પ્રતીકાત્મક વધારે છે, કેમ કે આગળ ‘રે’ ઉમેરાયો છે. સારા સર્જક શબ્દો પાસે કેવી કરામતથી ધાર્યું કામ કઢાવી લે છે એનું આ સબળ દૃષ્ટાંત કહી શકાય. ગીતમાંથી પસાર થતાં ટાગોરનું ભાવવિશ્વ સાદૃશ થતું પણ અનુભવાય છે. એકના એક શબ્દો અને શબ્દસમૂહની પુનરુક્તિ સાથે કેવળ કથનકેન્દ્રમાં પરિવર્તન કરી કવિએ સરસ ગીત નિપજાવ્યું છે. ચૂપ થઈ જવાના ફરમાનને વશ થયાની પ્રતીતિ કરાવવા નાયિકાએ હોઠ સાથે આંખો પણ બીડી દીધી છે. પણ નાયકના તાતા શબ્દતીરને જે ગણનામાં જ લેનાર નથી એ મૌન કંઠના ગાનને સાજન કોઈ કાળે રોકી શકનાર નથીનો વિશ્વાસ પ્રથમ બંધમાં પ્રકટ થાય છે. ખોટુકડો ગુસ્સો દેખાડતા નાયકના હૃદયથી સરીને નાયિકાના રોમેરોમને ચંદનલેપની શીતળતા બક્ષતા ગાનને નાયક કેમેય અટકાવી શકનાર નહીં હોવાનો આત્મશ્રદ્ધાનો રણકો રચનાને વધુ રૂડી બનાવે છે.

Comments (9)

આદિ કવિતા – પ્રજારામ રાવળ

અહીં આ પૃથ્વીના પટ ઉપર કે ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં:
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.

ફરું જયાં જયાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા:
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા ર્.હે દંગ પજવતાં ભાવિ સમણાં.

પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.

– પ્રજારામ રાવળ

રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “દરેક નવું જન્મતું બાળક એ વાતની સાબિતી છે કે ઈશ્વર હજી માનવથી નિરાશ થયો નથી.” પ્રસ્તુત સૉનેટનું કથનકેન્દ્ર પણ નવા જન્મેલાં બાળકો જ છે. સામાન્યરીતે પચાવવા અઘરાં પડે એવાં સૉનેટોની સરખામણીમાં આ કૃતિ થોડી મુખર લાગે, પણ રજૂઆતની નમણાશ અને કવિકસબના કારણે એ ખાસ્સી હૃદ્ય થઈ છે. કમળના ફૂલ જેવાં નવોદિત શિશુઓ કવિને જ્યાં જાય ત્યાં નજરે ચડે છે, જેઓ કારણ વિના તો હસે જ છે, પણ તમને હસતાં ભાળે તો તો બમણું હાસ્ય વેરે છે. બાળકોને ન આજનો ભય હોય છે, ન ભાવિના સ્વપ્નોની પજવણી. જૂનો પીપળો જ નિત નવો થઈ પ્રકટતો હોય એવાં તાજી કૂંપળ સમા આનંદિત બાળકોના રૂડાં સ્મિતવાળા ચહેરા જ કવિ ચહે છે. અનાદિ આકાશમાં જે રીતે રોજ સવારે એનો એ જ સૂર્ય સાવ નવો, તરોતાજો થઈને ઊગે છે, એ જ રીતે પૃથ્વી પર બાળક નામની આદિ કવિતા રોજેરોજ લખાતી રહે છે.

(સુભગ=સુંદ૨, ૨મણીય; દૃગ=આંખ; અશ્વત્થ=પીપળો; ટીશી=ફણગો, અંકુર; મોદિત=આનંદ પામેલ; નવોન્મેષ=નવી શોધ, નવ્યવિચાર; સવિતા=સૂર્ય)

Comments (5)

(ફોડી લઈશું)- વિકી ત્રિવેદી

આ વર્ષે પણ આગળ જેમ જ ફોડી લઈશું,
તૂટી ગઈ એ જાત ફરીથી જોડી લઈશું.

પાંખો કાપી ચાલી ગઈ છે દુનિયા તો શું,
પાંખો છોડી પગના દમ પર દોડી લઈશું.

આ વખતે તો દરિયાને છળવાનો છે દોસ્ત,
આ વખતે પહેલેથી કાણી હોડી લઈશું.

સસ્તી ને તકલાદી ખુશી ના જોઈએ,
મોંઘી લઈશું છો ને થોડી મોડી લઈશું.

બાંધી લીધા છે નિરાશાએ બંને પગ,
પગ કાપીને ખુદના ખુદને છોડી લઈશું.

– વિકી ત્રિવેદી

લયસ્તરો પર કવિના નૂતન ગઝલસંગ્રહનું સહૃદય સ્વાગત… કવિમિજાજને તાદૃશ કરતી એક ગઝલ માણીએ…

Comments (14)

મજા – સંજુ વાળા

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા..

ક્યાંથી પગલું પહેલું ભરીએ? ગરવા હે શ્રીગણેશ
એ મારગ દેખાડો જેમાં ક્યાંય ના વાગે ઠેસ
અથવા આપો, અંદર અંદર રણઝણવાની રજા…

અણજોયાને જોયું કરવું અણઘડ ઘડવા ઘાટ
ચાલ ના જાણી તોયે માંડી જગજાહેર ચોપાટ
કપાળ જાણી કરવાં તિલ્લક જેવાં જેનાં ગજાં…

ચડવું ’ને ઊતરવું દીધું અણથક દીધી એષ
બેઉ હાથથી ઉલેચો પણ રહે શેષનું શેષ
એવાં અંતરિયાળપણાં, જ્યાં ના છત્તર ના છજાં…

છેક શિખરની મજા,
હોય માણવી એણે જાતે થઈ જાવાનું ધજા.

– સંજુ વાળા

શિખર એટલે ઊંચાઈ, ટોચ… એવું સ્થાન જેની ઉપર એનાથી ઊંચું બીજું કશું જ ન હોય… એક શબ્દમાં કહેવું હોય તો સર્વોચ્ચ! શિખરની ખરી મજા લેવાની રીત કવિ આપણને સમજાવે છે. જીવનમાં સર્વોચ્ચતા, સર્વોપરિતાની ખરી મજા માણવી હોય તો ધજા બનવું પડે… ધજા એટલે વજનહીનતા… સ્વયંને ઓગાળીને હલકા થયા હોઈએ તો જ આછા પવનમાં પણ લહેરાઈ શકાય. કોઈપણ સારા કામની શરૂઆત આપણે ગણેશને સ્મરીને કરીએ છીએ. પહોંચવાનું તો છેક શિખરે છે, પણ એ માટે પહેલું ડગલું તો ભરવું પડશે ને? માર્ગમાં ક્યાંય ઠેસ ન વાગે એવો માર્ગ તો શ્રી ગણેશ જ દેખાડશે ને? અને એ ન થઈ શકે તો બીજો વિકલ્પ ભીતર રણઝણવાની રજા માંગવાનો છે. ક્યાં શિખરે ફરફરીએ, ક્યાં તો ભીતર રણઝણીએ… વચ્ચેનું કશું અધકચરું કેમ ખપે? જીવનમાં ચડાવ ને ઉતાર છે. પાર પાડો પાડો ને તોય થાકે જ નહીં એટલી અપાર ઇચ્છાઓ છે તો સામા પક્ષે બંને હાથે ઉલેચો તોય ઉલેચવો બાકી જ રહે એવો પરવરદિગારનો ખજાનો પણ છે. પછી બાકી શું રહે?

Comments (8)

થઈ ગયું – ચંદ્રેશ મકવાણા

બાવડાનું બળ બિચારું થઈ ગયું,
નાવમાં નખ જેવું બારું થઈ ગયું.

મેં મને મહુડો કર્યો જાહેર ને
ગામ આખ્ખું દારૂ દારૂ થઈ ગયું

એમણે અમથું જ પૂછ્યું, ‘કેમ છો?’
એટલામાં અમને સારું થઈ ગયું

માએ સાર્યાં બે’ક ટીપાં આંસુ ત્યાં
આખ્ખુંયે ઘર ખારું ખારું થઈ ગયું.

હું ગયો ‘નારાજ’ દાંડી પીટવા તો
આ જગત મૂંગું નગારું થઈ ગયું

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

વિશાળ ટાઇટેનિક જેવા જહાજને ડૂબાડવા માટે એક કાણું જ પૂરતું છે… વાત હોડીની છે કે આપણી હયાતિની એ વિચારવા જેવું… નખ જેવડું બારું થઈ જાય તો નાવને બચાવવા કોઈ કારી કામ લાગતી નથી. બીજો શેર ઠીકઠાક છે, પણ ત્રીજો શેર વાંચો અને મિરઝા ગાલિબ યાદ ન આવે એ કેમ બને?-

उन के देखे से जो आ जाती है मुँह पर रौनक़
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

પોસ્ટ વાંચીને જાણીતા કવયિત્રી શબનમ ખોજાએ ફહમી બદાયુનીનો એક શેર મોકલી આપ્યો.. એ પણ અહીં ઉમેરી દઉં-

पूछ लेते वो बस मिज़ाज मिरा
कितना आसान था इलाज मिरा

છેલ્લા બે શેર પણ ખૂબ મજાના થયા છે. સરવાળે મૌજ-એ-દરિયા ગઝલ…

Comments (8)

એ પળ હજી… – વિનોદ જોશી

એ પળ હજી ન ભાળી,
હોઈ શકે એ મેઘધનુષી, હોઈ શકે છે કાળી!

વરસોથી બેઠું પગ વાળી વાદળમાં ચોમાસું,
ઊભી ધાર ન ફાવે એને હોય વરસવું ત્રાંસું;
ખરબચડી આખી આવરદા ખોટુકલી પંપાળી!

ઘાસ રાતભર ખમે હવાના હણહણતા હડદોલા,
પછી સવારે ગણે ઝીણકા ઝાકળના ફરફોલા;
ટહુકા જેવું રોજ કશું ચુપચાપ વીણતો માળી!

– વિનોદ જોશી

રવીન્દ્રનાથ ટાગોરને કોઈએ પ્રશ્ન કર્યો કે તમારી શ્રેષ્ઠ કવિતા કઈ? કવિવરે જવાબ આપ્યો કે મારી શ્રેષ્ઠ કવિતા હજી લખવાની બાકી છે, તેથી જ હું લખતો રહું છું. જીવનમાં દરેક વ્યક્તિને કોઈકને કોઈક વસ્તુની પ્રતીક્ષા હોય છે. પ્રસ્તુત ગીતરચનામાં પણ કાવ્યનાયક આવી જ કોઈક અનાગત પળની સમતોલ પ્રતીક્ષામાં છે. સમતોલ એ રીતે કે કથક એ વાતથી સુપેરે અવગત છે કે અનાગત પળ મેઘધનુષી પણ હોઈ શકે છે અને કાળી પણ. જીવનના ઉભય અંતિમના સમ્યક સ્વીકાર સાથેની આ પ્રતીક્ષા હોવાથી ગીત ચીલાચાલુ પ્રાસાવલિ ન રહેતાં સુમધુર કવિતામાં પરિણમે છે.

જે પળ હજી આવવી બાકી છે એ જો ચોમાસું હોય તો એ ત્રાંસી ધારે જ વરસવુંની ગાંઠ મારી પગ વાળી વાદળમાં બેસી ગયેલ છે. રાત આખી હવાના હડદોલા ખાઈ ખાઈને ઘાસના ડિલે ઝાકળના ફરફોલા ઉપસી આવે છે… ખરબચડી જિંદગીને ખોટેખોટી પંપાળ્યે રાખવાના રંજરંજિત ભૂતનો બોજ ખભે ઊઠાવી વર્તમાન ભાવિ તરફ આંખ માંડી બેઠો છે. ગત-અનાગત વચ્ચે ભીંસાતી આજનો એક શેર યાદ આવે છે-

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે? (વિમટે)

પેલી પળ તો જ્યારે એને ભાવિ લઈને આવશે ત્યારે આવશે… આજનું કામ છે ઘાસ વચ્ચે વેરાયેલ ટહુકા ચુપચાપ વીણતા રહેવું… ખરબચડા જીવનને ટહુકાના સૂરની સુંવાળપથી જ સંવારી શકાય…

Comments (11)

વ્યથા – ભાનુપ્રસાદ ત્રિવેદી

(હરિણી)

મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.

વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!

સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!

દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!

– ભાનુપ્રસાદ ત્રિવેદી

દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?

Comments (4)

નદીયું તો… – હર્ષદ ચંદારાણા

જોજનના જોજનની ખેપું ખેડું ને
.                તોય નદીયું તો આઘી ને આઘી
.       હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

પાણીનું નામ જેને આપી શકાય
.                એવું કૈં યે નથી મારી સાથમાં
નકશાઓ પાથરું તો ઠેરઠેર નીકળે
.                વાંસવન સુક્કાં આ હાથમાં
એ સળગે કે કેમ એને ઠારું કે
.                સાવ પછી બળતાંને લઉં પાછાં બાંધી
.             હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

વગડાની વાટોમાં, બાવળની કાંટ્યોમાં,
.                સૂસવતા પવનોના રાગે
પડઘાના પહાડોમાં, ખીણોની ત્રાડોમાં,
.                “ખળખળ”ના ભણકારા વાગે
મૃગજળ, જો હોત હું ય ભૂવો ભરાડી
.                     લેત નદીયુંને લાવવાનું સાધી
.           હો ભાઈ મારા, નદીયું તો આઘી ને આઘી

– હર્ષદ ચંદારાણા

ગમે એટલી ખેપ ખેડો, ગમે એટલા હાથપગ હલાવો, પણ ઇચ્છાની નદીઓ કાયમ આઘી ને આઘી જ રહે છે…

Comments (6)

એક સાંજે – અનિલ જોશી

મારી છત્રીનો કાગડો
ક્રાઉક્રાઉક્રાઉ બોલી ઊઠ્યો.
પીપળા જેવો હું
ધ્રૂજી ગયો.
મહેમાન થઈને ચાંદરણું આવ્યું
બેઠું
સરક્યું
ને ચાલ્યું.
હું એકલો પડી ગયો.
હું ખોટો પડું એટલી હદ સુધી
સાચું બોલતો થઈ ગયો.
હવે હું દીવો નથી
પણ દીવો સળગાવતાં ઠરી ગયેલી
દીવાસળીની ટોચ ઉપર પડેલું અંધારું છું.
હવે હું ઈસુ નથી
પણ ક્રૉસ છું
જેના પર માણસજાત
પોતાની તમામ ભૂલો ટિંગાડી શકે છે.

– અનિલ જોશી

શીર્ષક ઘણીવાર કવિતામાં અવિનાભાવી ઘટક બની રહે છે. એઝરા પાઉન્ડની સુખ્યાત કવિતા ‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો’ શીર્ષક વિના અપૂર્ણ જ રહી જાય. એ જ રીતે આ કવિતામાં પણ શીર્ષક કવિતાનું અવિભાજ્ય અંગ છે. આખી રચનામાં ક્યાંય સાંજનો ઉલ્લેખ નથી, પણ શીર્ષક આપણને કહે છે કે ‘એક સાંજે’ જે થયું છે એની જ આ કવિતા છે. સાંજ સંધિકાળનો સમય છે… અજવાળું-આશાના ગમન અને અંધારું-નિરાશાના આગમનના એંધાણ લઈને આવતી સાંજ સરવાળે વિષાદ અને વિયોગનું પ્રતીક છે. ‘એક સાંજ’ના દોરામાં ભાવ અને પ્રતીકોના મોતી પરોવી કવિએ સ-રસ કાવ્યમાળા રચી છે. કાયમ નહીં, પણ કોઈ એક સાંજે જે થયું એની યાદી કવિ આપે છે. છત્રી નહીં, છત્રીનો કાગડો બોલી ઊઠે છે. ઘરના મોભારે કાગડો બોલે તો મહેમાન આવવાના શુકન થાય, પણ આ તો છત્રીનો કાગડો છે. એટલે મહેમાન પણ અલગ પ્રકારના જ હોવાના ને! છત્રી કાગડો થાય ત્યારે એનો મૂળ હેતુ ગુમાવી બેસે છે, એ વરસાદથી બચાવી શકતી નથી. જીવનના સંદર્ભમાં સ્વયંની લાચાર અને આઉટ-ઓફ-કોન્ટેક્સ્ટ પરિસ્થિતિનું આથી સશક્ત વર્ણન બીજી શી રીતે કરી શકાય? દરેક સંદર્ભને આ રીતે વારાફરતી હળવા હાથે ખોલી શકાય, પણ એ કામ ભાવકક્ષમતા પર છોડી દઈ હું અહીં અટકું…

Comments (7)

ગોપી – ગોપી દેસાઈ

યાદ છે કૃષ્ણ
તું ગોકુળની ગાયો પાછળ ભમતો
ને હું તારી પાછળ.
રાસ તો આજે પણ રમું છું
પણ તારા વગર
વાંસળી નહીં, ડીજેની ધૂન પર

યાદ છે કૃષ્ણ
એક દિવસ બપોરે મેં કહ્યું,
“મારે તારી સાથે રહેવું છે”
તેં કહ્યું કર્મ કર કર્મ
બસ…
વહેલી સવારે ઊઠી
ગાયો દોહી, છાશ વલોવી, માખણ કાઢી…
ક્યારેક ઘી પણ…
છાણાં વીણું, વાસીદુ વાળું,
ચૂલો અને ચાકરી…
કોની?
ઘરવાળો અને છોકરા
તારી જેમ ઓછું છે છડેછડા
જે ગમે એની હારે પ્રેમ કરવાનો
કાંઈ તુક્કો સુઝે તો મન મુજબ
મસ્ત બની નીકળી જવાનું

હવે તો ગોકુળ, વૃંદાવન, મથુરા
બધ્ધે મસ્ત પેકિંગમાં નાના-મોટા ડબ્બામાં
દૂધ, છાશ,માખણ, ઘી બધું મળે છે
મંગાવી લઉં છું
કેટલા વલોણા વલોવ્યા કરું?
ખાલી તારી તારી યાદ ના વલોણા…
એકદમ silent …
વલોણું ફરે પણ અવાજ નહીં
ખાલી આંસુ પડે…
આંસુ પણ એકદમ silent…

યાદ છે કૃષ્ણ
એકવાર યમુનાજીમાં તરવા પડેલી હું
તું મારા કપડાં ચોરી સંતાઈ ગયેલો.
હવે તો Blinkit , Swiggy કરું
દસ મિનિટમાં કપડાં હાજર
તું તારે સંતાઈ રહે કદમ્બની ડાળે
તને ડીક્કો

તું મારું સર્વસ્વ
અને હું માત્ર એકલી અટૂલી ગોપી
સમજાયું મને
“Blood is thicker than water”
હા- પછી ખબર પડી કે
પાંડવો તારા કઝિન્સ હતા
ઇંગ્લિશ તને ક્યાંથી આવડે?
Cousins – પિતરાઈ ભાઈઓ
જીતાડી દીધા કઝિન્સને મહાભારતમાં …
વાહ…વાહ…
સમજાયું મને
“Blood is thicker than…
મારા ગોકુળનાં દૂધ, છાશ, અને માખણ કરતાં…

સારું એટલું કહે
“રાધા કે રુક્મણીના touchમાં છું?”
Reels જોઉં છું એ લોકોની ઇન્સ્ટા પર…
આ ગોકુળની ગોપી હવે આવું બધું બોલે
તને નહીં સમજાય
તને કાંઈ ટપ્પી નહીં પડે
નહીં સમજાય તને
ગોકુળમાં હજી મલ્ટિપ્લેક્સ નથી
ગોકુળ Religious Town છે
– ધાર્મિક ધામ છે
એટલે મથુરા ગઈ હતી
Book My Show પર ટિકિટ બુક કરાવીને ‘લાલો’ જોવાસ્તો…
લે તને ખબર નથી
100 કરોડ ઉપર બિઝનેસ કર્યો
હા નહીં…
તને તો કરોડ શું ? રૂપિયા શું?
કેટલા રૂપિયા કશું ક્યાં ખબર હોય…

ક્યાં છો ડાકોરમાં? કે દ્વારિકામાં?
કે હજુ પાંડવો સાથે India ની Tour જ કરી રહ્યો છું?
ખબર છે વેનેઝુએલાના પ્રેસિડન્ટને ટ્રમ્પ રાત્રે એના ઘરમાંથી ઉપાડી ગયો…
ટ્રમ્પ તેલ લેવા જાય…
હું તો બહુ diet conscious છું
તેલ નો ખપે…
ટ્રમ્પ ની જેમ તું મને ઉપાડી જાને
તારી સાથે રહીશ
કોઈ ડિમાન્ડ નહીં

કેટલાં વલોણાં વલોવ્યાં કરું?
તારી યાદનાં વલોણાં…

– ગોપી દેસાઈ

લયસ્તરો પર આજે જય વસાવડાની ચહેરાપોથી પરથી સીધેસીધું કોપી-પેસ્ટ… જાણીતા અભિનેત્રી અને દિગ્દર્શિકા ગોપી દેસાઈ કવિતા, સારી કવિતા પણ કરી શકે છે એ જાણી-જોઈ સાનંદાશ્ચર્ય થયું. કૃષ્ણ અને ગોપીના સંબંધ વિશે અસંખ્ય કવિઓ અસંખ્ય કવિતા કરી ગયા છે, પણ જે રીતે સર્જકે સમયના બે અંતિમોને નહીં સાંધો-નહીં રેણની કાબેલિયતથી જોડી રચના કરી છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે. નિઃશંકપણે રચના થોડી લાંબી થઈ છે, પણ વિશ્વાસ રાખો, સહેજપણ ભારઝલ્લી લાગશે નહીં…

Comments (7)

તને સંબોધી તો… – મનહર મોદી

તને સંબોધી તો પવન સુણીને વાત ગમતી,
રૂમીઝૂમી, થંભી, સહજ ગતિને મંદ કરીને.
વહ્યો, ઓ પાસેના સ્થગિત તરુની ડાળ હલવી,
ભરીને પર્ણોમાં રવ મધુર (તારાં સ્મરણ શો).

પ..ણે પંખી નાનાં ગત-સમયની નીંદ ત્યજીને,
ગજાવે છે માળો અખિલ નભને ઘેરી લઈને.
કળીઓ ખીલીને કુસુમ થઈ, ને ગંધ પ્રસરે,
અને ડાળેડાળે ઉપવન ઝૂલી ફુલ્લ પ્રગટે.

દિશાઓનાં હૈયે ઊછળીઊછળી વ્હાલ ભરતો,
વહાવે છે મોજાં ગરજીગરજી મત્ત ઉદધિ.
નિશા જેવી કાયા રવિકિરણનો સ્પર્શ લહીને,
સૂતેલી ઓચિંતી ઝબકીઝબકી આંખ મસળે.

તને સંબોધી તો ફરીફરી સુણી જાગ્યું જગ આ.
પરંતુ રે તું તો…

– મનહર મોદી

પ્રેમના ચશ્માં આંખે લાગી જાય એટલે સમગ્ર સૃષ્ટિ સુંદર દેખાવા માંડે… જુઓ તો જરા, કવિએ તો કેવળ પોતાની પ્રિયાને સંબોધન જ કર્યું છે, પણ આખી દુનિયામાં લહેરખી ફરી વળી છે. ગમતી વાત સાંભળીને પવન જેવો પવન ક્ષણભર થંભી ગયા પછી સ્થિર થઈ ગયેલ વૃક્ષની ડાળના પાંદડાઓમાં પ્રિયાના સ્મરણ જેવો મધુર રવ ભરી દે છે. પંખી-પુષ્પ-સમુદ્ર-રાત બધુંય જીવંત બની ઊઠે છે. સૂર્યકિરણના પ્રવેશથી દૂર થઈ જતી રાતને રવિકિરણના સ્પર્શે આળસ મરડી આંખ મસળીને ઓચિંતી જાગી જતી રાતની કાયા સાથે સરખાવતું કલ્પન તો અદભુત થયું છે. જે સંબોધનથી આખી દુનિયા ફરી ફરી જાગી જાય છે, એ સંબોધન જેના માટે છે એ પ્રિયા તો… રે રે! રે મૃત્યુ!

Comments (2)

ઝરમર ઝરમર – વર્ષા પ્રજાપતિ

રોજ રહે છે ઝીણું કળતર,
કોણ કરે છે જંતરમંતર?

પર્વત પર્વત વૃક્ષે વૃક્ષે,
વાગે છે તીણું વાજિંતર.

કાંઠેકાંઠા તોડી બેઠી,
હું જ તણાઉં મારી ભીતર.

ફાળ ભરીને ઓળંગું નભ,
ડગલે ડગલાં સાત સમંદર.

દુનિયાદારીની ચાદર પર
હળવેથી મારી છે કાતર.

અંદર બા’રે એક નિરંતર,
‘વર્ષારાણી’ ઝરમર ઝરમર.

– વર્ષા પ્રજાપતિ

ટૂંકી બહરમાં સરસ મજાનું ભરતકામ. એક તો અભિવ્યક્તિ માટેની જગ્યા નાની અને એમાંય મોટાભાગના શેરમાં સર્જકે જંતરમંતર, પર્વત પર્વત, કાંઠેકાંઠા, ડગલેડગલાં જેવા શબ્દયુગ્મો પ્રયોજીને તંગ દોરી પર સમતુલન જાળવવાની વધારાની કસોટી સ્વયં માટે સર્જી છે. મજા એ વાતની છે કે લગભગ બધા જ શેર સાંગોપાંગ સંતર્પક થયા છે. છેલ્લા બે શેરમાં બંને મિસરામાં કાફિયા જળવાયા હોવાથી એ સાની મત્લાની જગ્યા પણ લઈ શક્યા હોત. સર્જકનું તખલ્લુસ ઝરમર હોવાથી મક્તાનો સાની મિસરા તો એમના હસ્તાક્ષર જ જાણે!

Comments (16)

બાધા વાદળની – ડૉ. જગદીપ નાણાવટી

ખાઈ ખાઈને કસમો ખાધી ઝાકળની!
મધદરિયે હોડી હંકારી કાગળની?

મૌન સમી માતા જડશે નહીં ભાષાની,
શબ્દો મીઠી ધારા એના આંચળની.

આંખોના ભીના ફળિયામાં જાવું શું?
દ્વાર ઉપર સાંકળ ભીડી’તી કાજળની.

બંધ અમે બાજી રમતા’તા જીવતરની,
સહેજ હતી ચિંતા ના પત્તાં પાછળની.

ચંદ્ર અમે બબ્બે ક્યાંથી સાંખી લઈએ,
આજ અમે બાધા લીધી’તી વાદળની.

– ડૉ. જગદીપ નાણાવટી

કવિતા પસંદ પડવી-ન પડવી એ ભાવકની જે તે સમયની મનોસ્થિતિ પર અવલંબે છે. એની એ કવિતા ક્યારેક વાંચતાવેંત ખૂબ જ ગમી જાય અને ક્યારેક દીઠી ન ગમે એવું બની શકે. આ ગઝલ પહેલી વાર વાંચી હતી ત્યારે મન મોહી ગયું હતુ. આજેય પહેલા ત્રણ શેર એ જ રીતે મોહે છે, પણ ચોથો શેર થોડો સાધારણ લાગ્યો ને વળી પાંચમો શેર એવો જ સરસ. વાદળની બાધા રાખી આકાશમાંના ચાંદને અદૃશ્ય કરાવી કેવળ ચંદ્રમુખી પ્રિયાને જ નજર સન્મુખ રાખવાની વાત જ કેવી સરસ! અને વાદળની બાધા જેવો અનૂઠો પ્રયોગ તો જગદીપા નાણાવટી જેવા હટ કે ગઝલકાર જ કરી શકે…

Comments (10)

બહુ એકલવાયું લાગે… – વિનોદ જોશી

ઝાડ એકલું અમથું અમથું જાગે,
.                             બહુ એકલવાયું લાગે…

પવન પાંદડું સ્હેજ હલાવી પૂછે ખબર પરોઢે,
બપોર વચ્ચે બખોલનો બંજર ખાલીપો ઓઢે;
બંધ પોપચાં મીઠ્ઠાં શમણાં માગે,
.                             બહુ એકલવાયું લાગે…

દળી દળી અજવાળું સૂરજ દડે ખીણમાં સાંજે,
હડી કાઢતી હવા ડાળ પર બેસી ટહુકા આંજે;
એક લ્હેરખી ઊંડા તળને તાગે,
.                             બહુ એકલવાયું લાગે…

અભણ આગિયા અંધારાને પાડે પછી ઉઝરડા,
અદ્ધર આભે ઝગમગ ઝીણા ફરતા રહે ભમરડા;
રોજ માંહ્યલું જંતર ઝીણું વાગે,
.                             બહુ એકલવાયું લાગે…

– વિનોદ જોશી

૨૦૨૬ની શરૂઆત થઈ ચૂકી છે… લયસ્તરોના તમામ ભાવક અને સર્જકોને નવા વર્ષના અભિનંદન! નવ્યવર્ષનો પ્રારંભ સરસ મજાની ગીતરચનાથી કરીએ…

સમર્થ કવિ કેવળ માનવમનના અતળ ઊંડાણો તાગવા સુધી સીમિત ન રહે, એ તો પ્રકૃતિના તમામ ઘટકતત્ત્વોની અનુભૂતિને આત્મસાત કરે અને પછી સહુ સાથે સહિયારે. પ્રસ્તુત રચનામાં કવિ ઝાડની સંવેદનાના મૂળ સુધી પહોંચે છે. ઝાડની એકલતા અને ચોવીસે કલાક કાર્યરત રહેવાની પ્રકૃતિનો કોઈ જોડ નથી. આ અજોડ વિલક્ષણતાને કેન્દ્રમાં રાખી કવિ એની ફરતે નિસર્ગના નાનાવિધ ઘટકોને કલ્પનસૂત્રોના તાણાવાણાથી બાંધે છે. દિ’ આખો અજવાળું દળીને ખીણમાં દડી જતો સૂરજ, હવા વડે ટહુકાનું આંજન કરવાની ક્રિયા, અભણ આગિયા વડે અંધારાના ડિલે પડતા ઉઝરડા તથા આભમાં ઝબૂક ઝબૂક કરતા તારામાં ભમરડા ફરતા દેખાય વગેરે કલ્પનોની નજાકત અને બારીકી રચનાને વધુ હૃદ્ય બનાવે છે. કવિએ આગિયાને અભણ કહ્યા એ જોયું? ભણેલા હોય એ સીધી લીટીમાં લખે,પણ આગિયા તો સ્વૈરવિહારી… આગિયાના ઉડ્ડયનથી હવામાં અજવાળાના કે લિસોટા પડે એમાં આકાર કે અક્ષર હોતા નથી… કદાચિત આ કારણે કવિએ આગિયાને અભણ કીધા છે… પણ આવા અનૂઠા કલ્પનોને જે રીતે કવિએ વર્ણસગાઈના તાલ સાથે આલેખ્યા છે, એના કારણે સર્જાતું સંગીત ગીતને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (12)

સહજ – નીતિન વડગામા

સહજ મળે તે સાચું.
કરી ઉધામા કૈંક પામીએ એ સઘળુંયે કાચું.

વરસે વ્હાલો ધોધમાર, છલકે જીવતરની ઝોળી.
મહેકી ઊઠે એમ પછી તો રુદિયાની રંગોળી.

આપે અપરંપાર પછી હું નાહક શાને યાચું ?
સહજ મળે તે સાચું.

પંથ ઉપર પાડેલું પગલું ઊડી આભમાં પૂગે.
સમય સાચવી સૂખનો સૂરજ આપોઆપ જ ઊગે.

ભાર બધો ભૂલીને હું તો રામનામમાં રાચું.
સહજ મળે તે સાચું.

– નીતિન વડગામા

ભાવક સુધી એ જ કવિતા પહોંચે જે સહજતાથી આવી હોય… મથી મથીને શબ્દોના પાટિયાં ગમે એટલી કુશળતાથી કેમ ન બેસાડ્યાં હોય, સહૃદયી ભાવક કૃતકતા પકડી જ લે છે. જીવનમાં પણ જે સહજ અને સ્વાભાવિક હોય એ જ સાચું છે… એ સિવાયનું બધું નકામું.

Comments (13)

(ખૂલ્લા દ્વારે) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

બેઠા છીએ ખૂલ્લા દ્વારે,
આવો તમને ફાવે ત્યારે.

મોટું ઘર છે, ખડકી નાની,
નમવું પડશે સ્હેજ તમારે.

કથા સુણી સુધર્યા‘તા થોડા,
પાછા એના એ જ સવારે.

તું થાકે ત્યાં માનો ખોળો,
મા ક્યાં એનો થાક ઉતારે?

કૃષ્ણ લગી પહોંચી ગઈ મીરાં,
તંબૂરાનાં એક જ તારે.

ચાંદ જુઓ તો એવું લાગે,
અજવાળું રોશન અંધારે.

જીવ વગર બે માણસનાં તન,
એક ચિતામાં, એક મઝારે.

સઘળું છોડી આવ્યો માધવ,
બોલાવ્યો મહેતાએ જ્યારે.

આજે અહીંયા અટકી જઈએ,
બાકી પાછા મળશું ત્યારે.

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ગઝલનો એક ફાયદો છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં સમેટી લેવાનું. ગીત કે સૉનેટની જેમ લાંબું મમળાવવું નહીં પડે. પણ આ ફાયદો જ એક પડકાર પણ છે. જે કહેવું હોય એ બે પંક્તિમાં કહી જ દેવું પડે. ત્રીજી પંક્તિનો અવકાશ મળે નહીં. અને એમાંય કવિ ટૂંકી બહર પસંદ કરે એટલે તો આ પડકાર પહાડ જેવો થઈ જાય… પ્રસ્તુત ગઝલમાં પ્રવર્તમાન ચાલ મુજબ પાંચ શેર કહીને અટકી જવાના બદલે કવિએ નવ-નવ શેર કહ્યા છે, પણ આનંદ એ વાતનો છે કે આ નવ શેર નવસેરા હાર જેવા થયા છે…

Comments (32)

સવાલ કર- ભાર્ગવ ઠાકર

વિકટ છે આ સમય હવે, તું બેધડક સવાલ કર!
હવે ન મૌન પાલવે, તું બેધડક સવાલ કર!

કબૂલ, એની હા કે ના જીવન-મરણનો પ્રશ્ન છે
ભલે હો જીવ તાળવે, તું બેધડક સવાલ કર!

શું એ વધુ છે કિંમતી, કે કિંમતી સ્વમાન છે?
મૂકી સંબંધ ત્રાજવે, તું બેધડક સવાલ કર!

કસોટી આગની જુઓ પરાસ્ત થઈ જવાબમાં
કહ્યું રજકને રાઘવે તું બેધડક સવાલ કર!

સશક્ત હો ભૂજા અને સમર્થ સારથિ છતાં
વિશાદભાવ ઉદ્ભવે તું બેધડક સવાલ કર!

– ભાર્ગવ ઠાકર

* * *

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

સંવાદનો અભાવ એ પ્રવર્તમાન સમાજની કદાચ સૌથી વિકટ સમસ્યા છે. માણસ ભીતર જે અનુભવે છે એ સામી વ્યક્તિ સાથે સહિયારતા ડરે છે. અને સવાલ? રામ રામ… સવાલ પૂછવાનો ડર તો એથીય મોટો… એટલે જ કવિ સીધા મૂળમાં જ ઘા કરે છે. કહે છે- ‘તું બેધડક સવાલ કર!’ હવે મૌન પાલવે એમ જ નથી, કેમ કે સમય જ વિકટ છે… સ્વીકાર કે ઇનકાર જીવન-મરણનો પ્રશ્ન કેમ ન બની ગયો હોય, સવાલ જ નહીં કરો તો વાતનો નિવેડો કઈ રીતે આવશે? ત્રીજો શેર સાધારણ થયો છે, પણ સીતાની અગ્નિપરીક્ષા અને અર્જુનના વિષાદયોગના સંદર્ભ સાથે લખાયેલ છેલ્લા બે શેર સરસ થયા છે.

Comments (14)

ગઢની ભીંતે – અરવિંદ ભટ્ટ

હાલ્યને સૈયર ગઢની ભીંતે થાપવા જઈએ છાણાં

ભીંતને ટેકે ભીંતની માફક હુંય તે ઊભી રઈશ
વરસો જૂની થઈશ છતાં આમ એવી ને એવી હઈશ
કેટલાયે રોજ–રોજ ભલેને ખરતાં રહે પાણા

કો’ક તો વટેમારગુ તારા આંગળાઓની છાપને જોશે
કો’ક દી વટેમારગુ લીલી ભાત સુકાવી જોઈને મો’શે
પછી પરગામનો કેડો ભીંતની માફક જોઈને વાશે વા’ણાં.

– અરવિંદ ભટ્ટ

પોતાનાં ઘર તો કાચાં હોય, એટલે છાણાં થાપવા ગામડાની સ્ત્રીઓ ગઢની દીવાલનો ઉપયોગ કરતી… સહિયરને સાથે લઈને નાયિકા ગઈ છે તો છાણાં થાપવા, પણ અરમાન ગઢની ભીંતે કાયા ટેકવીને પ્રતીક્ષાની ભીંત બની જવાનાં છે. કારણ? સમયના મારથી ગઢના કાંગરા ખરે તોય ગઢ તો વરસોવરસ અડીખમ જ રહે… અણનમ અણથક અનવરત ઇંતેજારને ચાક્ષુષ કરવા માટે આથી સારું રૂપક કયું હોઈ શકે? મનનો માણીગર ક્યારેક તો આ રસ્તેથી પસાર થશે, આંગળાઓની છાપ જોઈને મોહિત થશે ને રાહ જોવું લેખે લાગશે… આખું ગીત સ-રસ થયું છે પણ એક વાત ન સમજાઈ… વાત નાયિકાના વાટ જોવાની હોય તો વટેમાર્ગુ ‘તારા આંગળાઓની છાપ જોશે’ એમ આવવું જોઈએ કે ‘મારા આંગળાઓની છાપને જોશે’ એ વધુ ઉચિત પ્રયોગ ગણાય? કે પછી બીજા બંધમાં સૈયર નાયિકાને સંબોધી રહી છે? પહેલા બંધ કરતાં બીજા બંધમાં ચાર માત્રા વધારે છે અને બીજા બંધા કરતાં એની પૂરકપંક્તિમાં વળી ચાર માત્રા વધારે છે… ઇંતેજારી વધી રહી છે એટલે?

Comments (6)

ગઝલિકા – લલિત ત્રિવેદી

તને ગઝલ કઊં કે ગઝલિકા
હે શમણિકા હે નમણિકા!

રૂમઝૂમ રૂમઝૂમ વહે નિશિકા
ને મર્મરતી મધુર પરણિકા!

સબદઅરથ ઔર સબ જવનિકા
સરકાવી દે, અભિસારિકા!

ના સુરભી કે સુરખી વચમાં
ઔર ઔર નજદીક, નજદિકા!

મિટાવ અંતર ને તર થૈ જા…
હે રમણી હરણી તરલિકા!

પ્રિયે! મિલનની ટગલી ડાળે
નહિ લલિત કે નહિ લલિતિકા!

ગઝલ કહી મેં એમ લલિતજી
પૂરપાટ મધ્યે તરણિકા!

– લલિત ત્રિવેદી

ગઝલકારોનો મેળો જામ્યો છે.. કેટલાક ગઝલકાર ગઝલના અંતસ્તત્ત્વની મદદથી આગળ આવે છે, તો કેટલાક દમામદાર રજૂઆતને લઈને ખ્યાતિ પ્રાપ્ત કરે છે… કેટલાક પ્રદેશવાદના કારણે નોખા તરી આવે છે તો કેટલાક જૂથવાદના કારણે તરી જાય છે… પણ વ્યવસાયે તબીબ એવા લલિત ત્રિવેદી કોઈપણ જાતનો ઉહાપોહ કર્યા વિના એક ખૂણામાં બેસીને ગઝલસાધના કરે છે… ગઝલકારોના મેળામાં તેઓ એવી ભાતનાં વસ્ત્રો ધારીને સંમિલિત થયા છે કે દૂરથી જ નોખા તરી આવે… એમની ગઝલ જોતાવેંત ખ્યાલ આવે કે કંઈક અલગ જ ચીજ હાથ ચડી છે… એમની ભાષા અને આવશ્યકતા મુજબ નવતર કાફિયા ઘડી કાઢવાની આવડત એમને બધાથી અલાયદા સિદ્ધ કરે છે… લયસ્તરો પર આપણે અગાઉ પણ એમની રચનાઓ સાથે પરિચય કેળવ્યો જ છે… આજે એ પરિચય વધુ ગાઢ બનાવીએ…

Comments (11)

(અશ્ક તક જાયેં) – નયન દેસાઈ

આઁખ સે હો કે અશ્ક તક જાયેં
ગમ ને સોચા, ચલો, બહક જાયેં

દૌડને કો તો સબ હી દૌડ પડે
ઔર યે ડર ભી થા, ન થક જાયેં

સુબ્હ હોતે હી તૂટ જાતે હેં
કાશ યે ખ્વાબ, રાત તક જાયેં

ઇન હવાઓં મેં યાદ હૈ ઉનકી
ઇન કો છુકર ચલો, મહક જાયે

– નયન દેસાઈ

નયનભાઈના કહેવા મુજબ તેઓ મૂળે તો ઉર્દૂના જ કવિ હતા, પણ પછી ગુજરાતીમાં આવ્યા. ઉર્દૂ ગઝલના પ્રેમવશ એમણે શરૂમાં ‘જફર વાલોડી’ તખલ્લુસ પણ રાખ્યું હતું અને આ પ્રેમને ખાતર જ તેઓ ખાસ ઉર્દૂ શીખ્યા પણ હતા. ૧૯૯૩માં એમનો એકમાત્ર ઉર્દૂ ગઝલસંગ્રહ ‘ધૂપ કા સાયા’ પ્રગટ થયો હતો, જેને ઉર્દૂ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. ભાષા ગુજરાતી હોય કે પછી ઉર્દૂ, નયન દેસાઈ છૂપ્યા છૂપાતા નથી. સંગ્રહમાંથી એક ગઝલ આજે લયસ્તરોના ભાવકો માટે…

Comments (13)

પથપ્રવર્તક કાવ્યો: ૦૮ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ

(સૉનેટ-હરિગીત)

ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,

“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, આ સૌ મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”

– એમા લેઝારસ
(સાછંદ પદ્યાનુવાદ: વિવેક મનહર ટેલર)

કવિતાનો જાદુ આપણી સમજણ બહારનો છે… કાગળના ટુકડા પર લખેલી કવિતા ક્યારેક કોઈ વ્યક્તિનું જીવન બદલી નાંખે, તો ક્યારેક આખેઆખા સમાજની કાયાપલટ કરી નાંખે… ક્યારેક એ કોઈક વસ્તુનો અર્થપલટો કરી દે તો ક્યારેક તો દેશ-દુનિયામાં આગ બનીને ફરી વળે… લયસ્તરોની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ રહેલ આવી પથપ્રવર્તક અને યુગપ્રવર્તક કવિતાઓની શૃંખલામાં આજે એક એવી કવિતા જેણે એક મહાપ્રતિમાની અને એની રૂએ એક દેશની ઓળખ બદલી નાંખી…

૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકાને આઝાદી મળી, એના સો વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવવા, તેમજ અમેરિકા સાથે રાજનૈતિક મૈત્રી વિકસે અને પ્રજાસત્તાકવાદને બહાલી મળે એ હેતુસર ફ્રાન્સે અમેરિકાને વિશાળ પ્રતિમા ભેટ આપવાનું નક્કી કર્યું. મૂર્તિ ફ્રાન્સ આપે અને એને ઊભી કરવા માટેની કુંભી અમેરિકા બનાવે એમ નક્કી થયું. ગંજાવર કુંભીનિર્માણ માટે આવશ્યક પૈસા ઉઘરાવવા અનેક કાર્યક્રમો યોજાયા. અમેરિકન કવયિત્રી એમા લેઝારસે આ ઉપક્રમના જ એક ભાગરૂપે એક સૉનેટ લખી આપ્યું. ૧૮૮૩ના નવેમ્બરથી ૧૮૮૫ના ઓગસ્ટ સુધી ચાલેલ પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર એ લગાવવામાં આવ્યું, ઉદઘાટન પણ આ સૉનેટના વાંચનથી કરાયું અને પૈસા ઉઘરાવવા માટે થયેલ નિલામી દરમિયાન પણ એનું પઠન કરાયું. લગભગ બે વરસ ચાલેલ પ્રદર્શની સાથે સતત સંકળાયેલ હોવા છતાં ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે કોઈએ આ રચનાને યાદ ન કરી અને પછી તો એ સાવ ભૂલાઈ જ ગયું. કવયિત્રીના મૃત્યુના ચૌદ વર્ષ પછી ૧૯૦૧માં એમની એક સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી એક પુસ્તક મળ્યું, જેમાં આ સૉનેટ હતું. જ્યૉર્જિનાના બે વરસના અથાક પ્રયત્નોના પરિણામે ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં એક તકતી પર આ સૉનેટ મૂકવામાં આવ્યું. બસ, ત્યાંથી આ સૉનેટનો જાદુ શરૂ થાય છે…

એ સૉનેટ જેણે એના સર્જકને કોઈ જ નામના અપાવી નહોતી, એ સૉનેટ જે દોઢ દાયકા સુધી ગાયબ થઈ ગયું હતું, એ સૉનેટની બીજી ઇનિંગ અકલ્પનીય રીતે દમદાર સિદ્ધ થઈ. છેલ્લી સવા શતાબ્દીની સૌથી વધુ ખ્યાતનામ અને સૌથી વધુ ટંકાયેલી કવિતાઓની યાદીમાં એ આજે અગ્રમિ સ્થાને બિરાજે છે. સૉનેટ અને લેડી લિબર્ટી હવે પરસ્પર સાથે તાણાવાણા પેઠે વણાઈ ચૂક્યાં છે. લેડી લિબર્ટીનો મૂળભૂત અર્થ હતો આઝાદી.

જે લોકો આ કવિતા વિશે કશું જાણતા નથી એ લોકો પણ અમેરિકાને અને લેડી લિબર્ટીને ‘આવકાર’ ગણીને જોતાં થયાં છે એ આ કવિતાના સાર્વત્રિક જાદુને આભારી ગણાય. પ્રતિમાનું નિર્માણ તો આઝાદીની શતાબ્દીની ઉજવણી, રાજનૈતિક મૈત્રી અને આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદના પ્રતિક તરીકે થયું હતું, પણ આ કવિતાએ લેડી લિબર્ટીને દુનિયાભરના બેસહારા અને બહિષ્કૃત લોકોને માટે આશાનું કિરણ હોય એવી આવકારો દેતી મા તરીકે સ્થાપિત કરી દીધી. મૂળ હેતુ જ બદલી નાંખ્યો. લગભગ સવા શતાબ્દીથી સ્વાતંત્ર્યદેવીની ગંજાવર પ્રતિમા હાથમાં આશાની ઝળહળતી જ્યોત લઈને નિર્વાસિતોનું અનૌપચારિક સ્વાગત કરી રહી છે. આજે પણ અમેરિકામાં દેશાંતર અને રાષ્ટ્રીય ઓળખની ચર્ચાઓમાં એમાનું સૉનેટ અચૂક ટાંકવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને પણ એમાની પંક્તિઓમાં ઉમેરણ કરી વિદેશનીતિ ઘડવાની કોશિશ કરી હતી, જેને પાછળથી કોર્ટે અવમાન્ય ઠરાવી હતી. કોઈ દેશની આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે કોઈ એક જ કવિતા અવારનવાર ટાંકવામાં આવે અને કવિતાને કાયદાની રૂએ માન આપીને કવિતાની પંક્તિઓ દેશના ધારાધોરણ ઘડવામાં નિમિત્ત બને ત્યારે સમજાય કે સફેદ કાગળના ટુકડા પર લખાયેલ ગણતરીના કાળા અક્ષરોની કવિતાનો સાચો જાદુ શું છે!

Comments (12)

પથપ્રવર્તક કાવ્યો: ૦૭ : સારે જહાં સે અચ્છા – અલ્લામા ઇકબાલ

सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हम बुलबुलें हैं इस की ये गुलसिताँ हमारा

ग़ुर्बत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
(गुर्बत = પરદેશ,ઉદાસી)

पर्बत वो सब से ऊँचा हम-साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा

गोदी में खेलती हैं इस की हज़ारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क-ए-जिनाँ हमारा
( रश्क-ए-जिनाँ = સ્વર્ગને પણ ઈર્ષ્યા થાય તેવું)

ऐ आब-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
(आब-रूद-ए-गंगा=ગંગાનો પ્રવાહ)

मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दोस्ताँ हमारा

यूनान ओ मिस्र ओ रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा

कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
(दौर-ए-ज़माँ=કાળનું ચક્ર)

‘इक़बाल’ कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा
(महरम=વર્જિત,  બીજો અર્થ:ભરોસાપાત્ર વ્યક્તિ;. दर्द-ए-निहाँ=છૂપું દર્દ)

-अल्लामा इक़बाल

પ્રસ્તુત શ્રેણીમાં આપણે આઝાદીના જંગ સાથે જોડાયેલી બે યુગપ્રવર્તક રચનાઓ માણી – વંદે માતરમ્ અને સરફરોશી કી તમન્ના – કે જે બંને એક પ્રકારનો યુદ્ધઘોષ બની ગઈ હતી. આજની રચના એ કોઈ યુદ્ધઘોષ નથી,કોઈ ક્રાંતિકારીની ત્રાડ નથી….આ એક કોમળ સુમધુર તરાના છે જેને “તરાના-એ-હિંદ” નામ હેઠળ પાકિસ્તાનના રાષ્ટ્રકવિ ઈકબાલે ગાયું હતું…

પ્રથમ આ હ્રદયસ્પર્શી નાજુક ગઝલ વિશે વાત કરીએ – આ ગઝલને કોઈ અનુવાદ અથવા ટિપ્પણીની જરૂર જ નથી-આ તો દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસેલી છે. “મજહબ નહીં સિખાતા…” શેર તો યાવત્ચંદ્રદિવાકરૌ અમર છે. “ગુર્બત મેં હો અગર હમ….” શેર પણ એ જ કક્ષાનો છે. સમગ્ર ગઝલ જ હ્રદયની વાણી છે.

આ ગઝલ સૌપ્રથમ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ “ઈત્તેહાદ” નામક સાપ્તાહિકમાં પ્રગટ થઈ. અલ્લામાએ મૂળે આ બાળકોને માટે રચેલી. તેઓએ પોતે જ ૧૯૦૫ માં લાહોર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવચનના સ્થાને માત્ર ગઝલ સંભળાવી. સમય બંગભંગ ચળવળનો હતો – સમગ્ર અખંડ ભારતે તેને વધાવી લીધી. બાપુને તો એ એટલી ગમી ગઈ કે તેમણે ૧૯૩૦ યરવાડા જેલમાં ૧૦૦થી વધુ વખત ગાઈ ! ત્યાર બાદ પંડિત રવિશંકરે આશરે ૧૯૪૫ આસપાસ તેને સંગીતબદ્ધ કરી. હાલ પણ આ રચના ભારતીય સૈન્યની ક્વિક માર્ચની ધૂન છે.

Yuval Noah Harari એ લખ્યું છે તેમ તમામ સંસ્કૃતિઓ/સભ્યતાઓ પોતાની સંસ્કૃતિ/સભ્યતાને શ્રેષ્ઠ અને સૌથી પુરાતન માને છે. તે જ સંવેદના આ ગઝલમાં અભિપ્રેત છે. પરંતુ અંગત રીતે મને આ ગઝલ વારંવાર વાંચતા આખી ગઝલમાં એક unmistakable ગર્ભિત વિષાદનો ભાવ અનુભવાય છે-કદાચ હું ખોટો પણ હોઉં. એક શક્યતા એ પણ ખરી કે જે તે સમયની માભોમની બદહાલીને લીધે આ ભાવ હોઈ શકે. જે પણ હોય – સમગ્ર રચના કાવ્યદ્રષ્ટિએ તમામ રીતે ઉત્કૃષ્ટ છે એમાં બેમત નથી. લોકહ્રદયે બિરાજે તે જ ઉત્તમ સાહિત્ય !!

હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.

મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો. ૧૯૩૦ના મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓનું અતિપ્રખ્યાત વ્યાખ્યાન કે જેમાં તેઓ ધર્મ આધારિત અલગ રાષ્ટ્રની રચનાના ખ્યાલનો મજબૂત પાયો નાંખે છે અને મુસ્લિમ લીગ તેને પૂરા ઉત્સાહથી વધાવી લે છે. અલ્લામા પાકિસ્તાનના “વૈચારિક પિતા” કહેવાય છે. મોપિલાહ હિંદુ જિનોસાઈડ અને “રંગીલા રસૂલ” પ્રકરણમાં પણ તેઓની ધાર્મિક કટ્ટરતા સમગ્ર દેશ જૂએ છે. ૧૯૩૮માં તેઓના અવસાન સુધી તેઓ કટ્ટરવાદનું સતત સમર્થન કરતા રહે છે અને અખંડ ભારતના ખ્યાલનો ઉઘાડો ઉપહાસ કરે છે. તેઓ મુસ્લિમ લીગની મિટિંગમાં ગાંધીજીને “અત્યંત ચાલાક અને ખતરનાક ચુસ્ત હિંદુ” તરીકે વર્ણવતા અને ગાંધીજીને સતત ગહેરા સંશયની દ્રષ્ટિએ જોતા પરંતુ જાહેરમાં કદી એ વિશે કંઈ બોલ્યા નથી.

આપણું ખૂબ જ પ્રિય પાત્ર અચાનક જ આપણી ધારણા કરતાં તદ્દન વિરુદ્ધ વર્તન અખત્યાર કરે ત્યારે આપણને જેવો ઊંડો આઘાત લાગે તેવો મને આ બાબતે સતત લાગતો આવ્યો છે. ખૂબ જ દુઃખ થાય કે અલ્લામા આવું કઈ રીતે કરી જ શકે……

આ દુખદ પરિવર્તનને નજરઅંદાજ કરીએ તો અલ્લામાની પ્રતિભા અને અવિસ્મરણીય વારસા માટે તેમને દિલથી સલામ છે….તેઓની અતિપ્રસિદ્ધ બે નઝમો – “ शिकवा “ અને “ जवाब-ए-शिकवा “ ઈસ્લામિક ટ્રેડિશનમાં એક અદભૂત બેન્ચમાર્ક છે – નુસરતસાહેબે આ બંને જબરદસ્ત લાક્ષણિક અંદાજમાં ગાઈ છે….હિંદુસ્તાન જ્યાં સુધી છે ત્યાં સુધી “સારે જહાં સે અચ્છા….” ગઝલ ગુંજતી જ રહેવાની છે….

Comments (3)

પથપ્રવર્તક કાવ્યો: ૦૬ : સરફરોશી કી તમન્ના – -બિસ્મિલ અઝીમાબાદી

सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाज़ू-ए-क़ातिल में है

સરળ અર્થ છે.

ऐ शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तिरे ऊपर निसार
ले तिरी हिम्मत का चर्चा ग़ैर की महफ़िल में है

ઐ દેશ અને ધર્મ ઉપર શહીદી વહોરનાર ! હું તારા પર કુરબાન છું, તારી હિંમતની ચર્ચા દુશ્મનોની મહેફિલમાં પણ છે !

वाए क़िस्मत पाँव की ऐ ज़ोफ़ कुछ चलती नहीं
कारवाँ अपना अभी तक पहली ही मंज़िल में है

હાય આ પગોની કિસ્મત…અશક્તિ જરાય ચાલે તેમ નથી,હજુ તો આપણો કારવાં પહેલા પડાવ પર છે….ઘણો લાંબો રસ્તો બાકી છે….

रहरव-ए-राह-ए-मोहब्बत रह न जाना राह में
लज़्ज़त-ए-सहरा-नवर्दी दूरी-ए-मंज़िल में है

મહોબ્બતના માર્ગના યાત્રી ! તું ક્યાંક રસ્તે અટકી ન જતો – રણમાં રખડવાની મજા તો મંઝિલ દૂરસુદૂર હોય તો જ છે.

शौक़ से राह-ए-मोहब्बत की मुसीबत झेल ले
इक ख़ुशी का राज़ पिन्हाँ जादा-ए-मंज़िल में है

મહોબ્બતની રાહની મુસીબતો પ્રસન્નતાથી સહી લે….આનંદનું એક રહસ્ય મંઝિલ પર પહોંચવાના રસ્તામાં છૂપાયેલું છે.

आज फिर मक़्तल में क़ातिल कह रहा है बार बार
आएँ वो शौक़-ए-शहादत जिन के जिन के दिल में है

આજે વધસ્તંભ ઉપર જલ્લાદ વારે વારે કહી રહ્યો છે – જેના જેના હૈયે સરફરોશીનો ઉન્માદ હોય તે આવો !

मरने वालो आओ अब गर्दन कटाओ शौक़ से
ये ग़नीमत वक़्त है ख़ंजर कफ़-ए-क़ातिल में है

વધ થનારાઓ આવો….ઉત્સાહભેર ગરદન કપાવો – આ જ યોગ્ય સમય છે,કાતિલના હાથે ખંજર છે.

माने-ए-इज़हार तुम को है हया, हम को अदब
कुछ तुम्हारे दिल के अंदर कुछ हमारे दिल में है

લજ્જા તારા બયાનમાં બાધા છે અને મારા માટે બાધક છે મારી તમીઝ….કંઈક તારા દિલમાં છે કંઈક મારા દિલમાં.

मय-कदा सुनसान ख़ुम उल्टे पड़े हैं जाम चूर
सर-निगूँ बैठा है साक़ी जो तिरी महफ़िल में है

મયકદા સુમસામ છે,સુરાહી ઉલટી પડેલી છે અને પ્યાલા ચૂરેચૂરા છે…તારી મહેફિલમાં સાકી સર ઝૂકાવી નિરાશ બેઠો છે ( પીઠામાં તબાહીનો માહોલ છે )

खींच कर लाई है सब को कत्ल होने की उम्मींद,
आशिकों का जमघट आज कूंचे-ऐ-कातिल में है **

સરળ અર્થ છે.

वक्त आने दे बता देंगे तुझे ऐ आसमां,
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है **

અર્થ સરળ છે

अब न अगले वलवले हैं और न वो अरमाँ की भीड़
सिर्फ़ मिट जाने की इक हसरत दिल-ए-‘बिस्मिल’ में है

હવે કોઈ બેસબરી નથી,નથી અરમાનોની ભીડ…હવે “બિસ્મિલ”ના હૈયે માત્ર મરી ફીટવાની તમન્ના છે….

– બિસ્મિલ અઝીમાબાદી
(ભાવાનુવાદ: તીર્થેશ મહેતા)

આ અમર ગઝલ લખાઈ હતી ૧૯૨૧ માં અને અખંડ ભારતની ધડકન બની ગઈ ૧૯૨૫ અને ૧૯૨૭ની આજુબાજુમાં. આ ગઝલના શાયરનું કોઈ પુસ્તક પ્રકાશિત હોવાનું જાણમાં નથી,તેઓની ડાયરીમાં અગિયાર શેરની આ ગઝલ સચવાયેલી હતી. સમય સાથે આ ગઝલમાં અમુક શેર અજ્ઞાત હસ્તોએ ઉમેરાયા છે,કોઈકે આ આખી ગઝલને અમુક ફેરફાર સાથે નઝમના સ્વરૂપમાં આલેખી છે ( જે પણ સુંદર છે ) અને ૫-૬ હિન્દી પિક્ચરમાં પણ આ ગઝલના અમુક ભાગ લેવાયા છે – એટલે ચોક્કસપણે મૂળ ૧૧ શેર ક્યા છે તે બાબતે કોઈ એકમત નથી. મેં અહીં કુલ ૧૨ શેર લીધા છે અને જે પંક્તિઓ જરાપણ બંધબેસતી નથી તેને અવગણી છે. ** નિશાન ધરાવતા શેરની અધિકૃતતા શંકાસ્પદ છે. એ સિવાયના શેર ચોક્કસપણે આ શાયર વડે રચાયા છે.

૧૯૨૫માં થયેલા “કાકોરી ટ્રેન રોબરી” નામના એક દિલધડક ક્રાંતિકારી હુમલા માટે જવાબદાર રામપ્રસાદ બિસ્મિલ અને તેઓના સાથીઓની ગિરફતારી બાદ તેઓએ કોર્ટમાં બચાવ દરમ્યાન કઠેડામાંથી આ ગઝલનો મત્લો બુલંદ સ્વરે લલકાર્યો હતો એવી પણ નોંધ છે અને ૧૯૨૭માં તેઓની ફાંસીની સજાના અમલ ટાણે અંતિમ ક્ષણોમાં ફાંસીના માંચડેથી પણ આ જ મત્લો લલકાર્યો હતો તેવી પણ નોંધ છે – અને આ ઘટના આ ગઝલને અખંડ ભારતના દિલની ધડકન બનાવી દે છે….મા ભારતીના સપૂતોના હૈયે અને હોઠે આ શેર સતત પ્રેરણાસ્ત્રોત બનતો રહે છે… વળી,ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મિલ અને શાયરની અટક એક જ હોવાથી હજુ આજેપણ અમુક લોકો આ ગઝલના શાયર રામપ્રસાદ બિસ્મિલને માને છે 😁😁

કવિતાની આ જ ખરી તાકાત છે – અમુક કવિતામાં ઇતિહાસના પાનાં પલટી નાંખવાની ક્ષમતા હોય છે. સામાન્ય રીતે કવિતા માનવીના જીવનના એક અંગત ખૂણાની સાથી/સાક્ષી હોય છે,પરંતુ આવી અમુક યુગપ્રવર્તક રચનાઓ રાષ્ટ્રીય/સામાજિક ચેતનાને ઝંઝોડી મૂકતી હોય છે. “વંદે માતરમ્” કક્ષાની આવી કવિતાઓ માત્ર કવિતા નથી રહેતી,એ લોહીમાં વણાઈ જાય છે.

અંગત રીતે મને કોઈપણ આઈડિયોલોજી/આદર્શ માટે સાચા અર્થમાં જાનની બાજી લગાવનાર સરફિરાઓ માટે કૂણી લાગણી રહી છે. અમુક સંજોગોમાં કદાચ તેઓની આઈડિયોલોજીનું હું સમર્થન ન પણ કરતો હોઉં,પણ તેઓની જાનફેસાનીની ઈમાનદાર તૈયારી માટે હ્રદય હંમેશા સલામ કરવા ઉભું થઈ જાય. હું જાણું છું કે નક્સલવાદીઓની આઈડિયોલોજી સાચી નથી-પણ તેઓ માટે ઘ્રુણા નથી થતી. એ લોકો પણ ભારતમાતાના જ સંતાનો છે અને એક તક આપવી જોઈએ એવો વિચાર આવે. પોતાના વિચાર માટે જાન કુરબાન કરવા સિંહનું જિગર જોઈએ. રામપ્રસાદ બિસ્મિલ અને તેમના વીર સાથીઓની મન:સ્થિતિ અંગે સદાય કૌતુક થાય કે તેઓ કેવા પ્રચંડ મનોબળના સ્વામી હશે જે લોકો જીવનની અંતિમ ક્ષણે આ મત્લો લલકારે….!!!!

આઝાદ ભારતે ૧૯૪૭ બાદ સતત પોતાના સશસ્ત્ર ક્રાંતિકારીઓને હડહડતો નીચતાપૂર્ણ અન્યાય કર્યો છે. રાજનૈતિક લાભ ખાટવાના મલિન ઈરાદે આઝાદીના આવા અપ્રતિમ વીરતા બતાવનારા સશસ્ત્ર ક્રાંતિકારીઓને કદી ઉચિત સન્માન નથી આપ્યું તેમજ બહુ જ જૂજના કુટુંબીજનોને કોઈ સરકારી સહાય મળી છે. નહેરુંએ પોતે પોતાની જાતને ભારતરત્ન ૧૯૫૬ આસપાસ સત્વરે આપી દીધો પરંતુ એકપણ સશસ્ત્ર ક્રાંતિકારીને ભારતરત્ન કોઈપણ સરકારે આપ્યો નથી-સુભાષચંદ્ર બોઝને પણ નહીં !!! મા ભારતીની સેવામાં કોનું યોગદાન મોટું – સુભાષબાબુનું કે રાજીવ ગાંધીનું ?????   આઝાદ હિંદ ફોજના સૈનિકોને આઝાદ ભારતની ફોજમાં સમાવવામાં ન આવ્યા એટલું જ નહીં – અમુક સૈનિકો ઉપરના ક્રિમિનલ કેસ પણ પરત લેવામાં નહોતા આવ્યા !!! આઝાદ ભારતના બાળકોને એક જ પિપૂડી સંભળાવવામાં આવી કે – “ દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ,સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ “ !!! જાણે કે સશસ્ત્ર ક્રાંતિકારીઓનો કોઈ ફાળો કદીપણ કશે જ હતો જ નહીં !! એક ભગતસિંહના અમર ક્રુત્યએ એવી પ્રચંડ રાષ્ટ્રીય ચેતના જગાવી હતી કે જેની સરખામણીએ સમગ્ર કોંગ્રેસના તમામ કાર્યક્રમો પાણી ભરે છે !!! તો આવા તો કેટલા ભગતસિંહ મા ભારતીની કૂખ ઉજાળી ચૂક્યા છે !! અત્રે અહિંસક ચળવળનો કોઈ વિરોધ નથી પરંતુ ૧૯૪૭ બાદની સરકારોની અંગત લાભ ખાટવા આવા અકલ્પ્ય બલિદાનોને કુટિલતાપૂર્વક નજરઅંદાજ કરવાની દુષ્ટ પેરવીની ભર્ત્સના છે.

આ ગઝલ “વંદે માતરમ્”ની સાથે સાથે તે સમયનો એક યુદ્ધઘોષ બની ગઈ હતી….આજે પણ આ ગઝલનું પિક્ચર “રંગ દે બસંતી” માં કરવામાં આવેલું ભાવવાહી પઠન આપણા રૂંવાડાં ખડા કરી દે છે….

Comments (4)

પથપ્રવર્તક કાવ્યો: ૦૫ : આઝાદી -પોલ એલ્યુર્ડ

મારી નિશાળની નોટબુકો પર,
મારા ટેબલ અને વૃક્ષો પર,
પોચા બરફ પર
હું તારું નામ લખું છું

મેં વાંચેલા પૃષ્ઠો પર
બધા કોરા પાનાઓ પર
પથ્થર, લોહી, કાગળ કે રાખ પર
હું તારું નામ લખું છું

સોનેરી ચિત્રો પર
યોદ્ધાઓના હથિયારો પર
રાજાના મુકુટ પર
હું તારું નામ લખું છું

જંગલ અને રણ પર
પંખીના માળા અને ઝાંખરા પર
મારા બાળપણના પડઘા પર
હું તારું નામ લખું છું

મારા ભૂરા રૂમાલ પર
સૂર્યપ્રકાશિત ખાબોચિયા પર
ચાંદનીના જીવંત સરોવર પર
હું તારું નામ લખું છું

ખેતરો પર, ક્ષિતિજ પર
પક્ષીઓની પાંખો પર
અને પડછાયાઓની હારમાળા પર
હું તારું નામ લખું છું

૫રોઢની દરેક લહેરખી પર
દરિયા પર, હોડીઓ પર
ઉન્માદી પર્વતના શિખર પર
હું તારું નામ લખું છું

વાદળના ગાભા પર
વાવાઝોડાની વાછટ પર
મુસળધાર વરસાદ અને સપાટ જમીન પર
હું તારું નામ લખું છું

ઝબકતા આકારો પર
રંગબેરંગી ઘંટડીઓ પર
કુદરતી સત્ય પર
હું તારું નામ લખું છું

ઊંચી પગદંડીઓ પર
ઉભરાતા માર્ગો પર
ભીડથી ભરેલા ચોક પર
હું તારું નામ લખું છું

પ્રગટાવેલા દીવા પર
ઓલવાયેલા દીવા પર
મારા એકજૂટ વિચારો પર
હું તારું નામ લખું છું

બે ભાગમાં કપાયેલા ફળ પર
મારા અરીસા અને મારા ઓરડા પર
મારી ખાલી પથારી પર
હું તારું નામ લખું છું

મારા દીલદાર અને લોભી કુતરા પર
તેના સરવા કાન પર
તેના ભુલકણા પંજા પર
હું તારું નામ લખું છું

મારા દરવાજાના આગળા પર
તે જાણીતી વસ્તુઓ પર
આગની જ્વાળાઓ પર
હું તારું નામ લખું છું

દેહના તાલ-મેલ પર
મારા મિત્રોના ચહેરા પર
દરેક લંબાયેલા હાથ પર
હું તારું નામ લખું છું

આશ્ચર્યની બારી પર
રાહ જોતા હોઠ પર
મૌનથી પણ ઊંડી અવસ્થા પર
હું તારું નામ લખું છું

મારી જીર્ણ છુપવાની જગ્યાઓ પર
મારી ડૂબેલી દીવાદાંડી પર
મારી દીવાલો અને મારી ઉદાસી પર
હું તારું નામ લખું છું

ઈચ્છા વગરના અમૂર્ત ભાવ પર
નગ્ન એકાંત પર
મૃત્યુના પગલાં પર
હું તારું નામ લખું છું

અને એક શબ્દ ખાતર
હું મારું જીવન ફરી શરૂ કરું છું
કારણ કે હું તને જાણવા જ જન્મ્યો હતો
તારું નામ લેવા માટે :

આઝાદી.

– પોલ એલ્યુર્ડ
(અનુવાદઃ ધવલ શાહ)

Paul Éluard Overview and Analysis | TheArtStory
(Paul Éluard, 1895–1952)

Liberté કવિતા એક સરળ અને લયબદ્ધ માળખા પર રચાયેલી છે જેથી તેને યાદ રાખવી અત્યંત સરળ બને છે—જે યુદ્ધ દરમિયાન કવિતાનાં મૌખિક પ્રસારણ માટે એક નિર્ણાયક પાસું હતું. પ્રાર્થના અને ગીત જેવી શૈલીવાળી (Litany) આ કવિતામાં ૨૧ કડીઓ (quatrains) હોય છે. દરેક કડીની પ્રથમ ત્રણ પંક્તિઓ કોઈ સ્થાન (મૂર્ત અથવા અમૂર્ત)નું વર્ણન કરે છે, અને ચોથી પંક્તિ એ ટેક છે “J’écris ton nom” (હું તારું નામ લખું છું).  કવિતા નિર્દોષ બાળપણની છબીઓ (“મારી સ્કૂલની નોટબુક્સ”, “મારું ડેસ્ક”)થી લઈને કુદરત (“વરસાદ”, “વાદળો”), અને પછી પુખ્ત વય અને યુદ્ધની ઘેરી છબીઓ (“યોદ્ધાના શસ્ત્રો”, “નાશ પામેલા ઘરો”) તરફ આગળ વધે છે, અને અંતે “લિબર્ટી” (સ્વતંત્રતા) નામના વિસ્ફોટક ઘટસ્ફોટ સાથે સમાપ્ત થાય છે. સાવ સરળ લાગતી આ કવિતામાં દર ત્રણ પંક્તિ પછી પુનરાવર્તિત થતી રહેતી પંક્તિનો સ્વર અંત તરફ જતા વધુ ને વધુ ઘેરો બની અંતિમ પંક્તિમાં સ્વતંત્રતાની ઈચ્છાને ચરમસીમાએ લઈ જાય છે, કવિતાને સર્વોચ્ચ કક્ષાએ લઈ જાય છે.

Liberté એ પોલ એલ્યુર્ડની બીજા વિશ્વયુદ્ધ સમયની French Resistance (પ્રતિકાર) ની સૌથી પ્રખ્યાત કવિતા છે. આઝાદીની આ એક એવી ઉત્કૃષ્ટ કૃતિ છે કે જેમાં પ્રેમની કવિતાની અંગત ભાષા અત્યાચાર વિરુદ્ધ વિશ્વવ્યાપક યુદ્ધના નાદમાં પરિવર્તિત થાય છે. આ કવિતાએ બૌદ્ધિક વર્ગ અને સામાન્ય લોકો વચ્ચેનું અંતર ઘટાડ્યું હતું કારણ કે તેની છબી દરેક જણ માટે સુલભ હતી. ૧૯૪૨માં ફ્રાંસના જર્મન કબ્જાના સૌથી અંધકારમય દિવસો દરમિયાન આ કવિતા લખવામાં આવી હતી.  તે સૌપ્રથમ Poésie et Vérité 1942 (કવિતા અને સત્ય ૧૯૪૨) નામના ગુપ્ત પુસ્તકમાં પ્રકાશિત થઈ હતી. સેન્સરશીપ ટાળવા માટે, એ પુસ્તકનું વિતરણ ઘણીવાર ખોટા કવર અથવા ખોટી તારીખો સાથે કરવામાં આવતું હતું. આ કવિતાને કબજા હેઠળના ફ્રાન્સમાંથી લંડન (જનરલ દ ગૌલના ફ્રી ફ્રેન્ચ દળોનું મુખ્ય મથક) અને અલ્જિયર્સમાં છૂપી રીતે મોકલવામાં આવી હતી. આ કવિતા સાથે જોડાયેલી સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટના એ હતી કે ૧૯૪૩માં બ્રિટિશ રોયલ એર ફોર્સ (RAF) એ હજારો પત્રિકાઓ પર આ કવિતા છાપીને વિમાનો દ્વારા કબજા હેઠળના ફ્રાન્સ પર આ પત્રિકાઓ ફેંકી હતી. હવે આ દ્રશ્યની કલ્પના કરો- નાઝી શાસન હેઠળ જીવતા ફ્રેન્ચ નાગરિકો સવારે જાગે છે અને જુએ છે કે આકાશમાંથી હજારો કાગળના ટુકડાઓ વરસી રહ્યા છે, જેમાં કોઈ લશ્કરી આદેશો નથી, પરંતુ સ્વતંત્રતાના પુનરાગમનનું વચન આપતી એક કવિતા છે. જે કવિતા વાંચીને આજે પણ આપણા રૂંવાડા ઊભા થઈ જાય છે તે કવિતાએ ત્યારે નાગરિકોનાં ગુલામ બની ગયેલા માનસને સ્વતંત્રતાની ઈચ્છા જગાડવા માટે કેટલી હદે ઝંઝોળ્યું હશે!

પોલ એલ્યુર્ડ અતિવાસ્તવવાદી (Surrealist) ચળવળના સ્થાપકોમાંના એક હતા. યુદ્ધ પહેલાં, તેઓ સપના, અર્ધજાગ્રત મન અને તીવ્ર રોમેન્ટિક પ્રેમના અન્વેષણ માટે જાણીતા હતા. જો કે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને ફ્રાન્સ નાઝી જર્મનીના હાથમાં ગયું, ત્યારે એલ્યુર્ડ ત્યાંથી ભાગ્યા નહીં. તેઓ પેરિસમાં રહ્યા અને તેમની કવિતાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. તેઓ ફરીથી કોમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયા (જે તેમણે અગાઉ છોડી દીધી હતી) અને ગેસ્ટાપો (નાઝી પોલીસ) ની નજર હેઠળ ગુપ્ત સાહિત્ય પ્રકાશિત કરવામાં મદદ કરીને બૌદ્ધિક પ્રતિકારમાં કેન્દ્રિય વ્યક્તિ બન્યા.

જેમ ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત ગણવામાં આવે છે, તેમ “લિબર્ટી”ને ઘણીવાર રેઝિસ્ટન્સનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત માનવામાં આવે છે.

Comments (8)

પથપ્રવર્તક કાવ્યો: ૦૪ : વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

National identity behind national flag | PPT | Hinduism | Religion ...

વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્ય શ્યામલામ્ માતરમ્ ॥વંદે॥ ૧*

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ॥વંદે॥ ૨*

કોટિકોટિ કંઠ કલકલ નિનાદકરાલે
દ્વિસપ્ત કોટિ ભુજૈર્ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલ ધારિણીમ્  નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ॥વંદે॥ ૩

તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે ॥વંદે॥ ૪

ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ વિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વામ્
નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્
સુજલામ્ સુફલામ્ માતરમ્ ॥વંદે॥ ૫

શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્ ॥વંદે॥ ૬

– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.

કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.

ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.

૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.

૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.

Comments (18)

પથપ્રવર્તક કાવ્યો: ૦૩ : લાલ એકચક્રી ઠેલો – વિલિયમ કાર્લોસ વિલિયમ્સ

*

ઘણું બધું નિર્ભર
છે

સફેદ મરઘીઓની
બાજુમાં

વરસાદના પાણીથી
ચમકતા

લાલ એકચક્રી ઠેલા
પર

– વિલિયમ કાર્લોસ વિલિયમ્સ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કેવું ટબુકડું કાવ્ય! ગણીને ચૌદ જ શબ્દનું બનેલ એક વાક્ય, બસ! પહેલી નજરે, બીજી નજરે ને કદાચ ત્રીજી નજરે પણ માથું જ ખંજવાળતા રહી જવાય એવી કવિતા. સફેદ મરઘીઓની બાજુમાં વરસાદના કારણે ચમકી રહેલ લાલ રંગના એકચક્રી ઠેલા પર ઘણું બધું આધાર રાખે છે – શું છે આ ઘણું બધું? ક્યાં આપણી સુષ્ઠુ સુષ્ઠુ સંવેદનાઓને પંપાળ્યા કરતાં ગુજરાતી અછાંદસ અને ક્યાં આ શરૂ થતાં પહેલાં જ પૂરો થઈ જતો વીજચમકારો? મરઘીઓના સફેદ રંગ અને વરસાદના કારણે ચમકતા ઠેલાના લાલ રંગમાં કાવ્યપ્રકાશ ક્યાં છે એ સમજવું અઘરું છે, પણ આ કવિતાનો પથપ્રવર્તક કવિતાઓની યાદીમાં સમાસ કેમ કર્યો છે એ પહેલાં સમજીએ.

વિલિયમ કાર્લોસ વિલિયમ્સ કોલેજમાં તેઓ આધુનિક કવિતા અને ઇમેજિઝમના પ્રણેતા એઝરા પાઉન્ડના સહપાઠી હતા પણ પછી તબીબ બની ન્યૂ જર્સી, અમેરિકામાં સ્થાયી થયા. ઢગલાબંધ હોમવિઝિટ અને સંખ્યાબંધ પ્રસૂતિઓની વચ્ચે પ્રિસ્ક્રીપ્શન પેડ પર લખાતી રહેતી નાનકી કવિતાઓ એમની આગવી ઓળખ બની. એઝરા પાઉન્ડે ઇમેજિસ્ટ પોએમ (દૃશ્યકાવ્ય)ને જન્મ આપ્યો પણ કવિતાને આધુનિક અને સાચા અર્થમાં અમેરિકન બનાવવાનું શ્રેય વિલિયમને ફાળે જાય છે. ટી. એસ. એલિયટ જ્યારે અમેરિકી કવિતાને અઘરી અને સમયચક્રમાં પાછળ તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એમના પ્રખર વિરોધી વિલિયમે કવિતામાં સમસામયિક અમેરિકી રીતભાત-બોલી અને રોજિંદા વિષયવસ્તુઓને કવિતાના તાણાવાણા બનાવી આધુનિક્તાના સ્વાંગે સજાવી બતાવી. આજથી સો વર્ષ પૂર્વે ૧૯૨૩માં પ્રગટ થયેલ આ કવિતાએ આખા વિશ્વના કવિઓ અને કાવ્યરસિકોને દિગ્મૂઢ કરી દીધા હતા. વીસમી સદીની અમેરિકી કવિતાની કાયાપલટ કરવામાં એનો સિંહફાળો છે. કેવળ અમેરિકા જ નહીં, વીસમી સદીનાં આધુનિક કવિતા, મુક્તપદ્ય તેમજ શાળાઓમાં કાવ્યશિક્ષણપદ્ધતિનો નવોન્મેષ કરવામાં આ રચના અગ્રેસર ગણાય છે. આ સીમાચિહ્નરૂપ કવિતાની અસર હજી આજેય કવિઓ અને કવિતાઓ પર વર્તાય છે.

એક વાક્યના ચાર ભાગ. દરેક ભાગમાં બે પંક્તિ. ચારેય ભાગમાં પહેલી પંક્તિ લાંબી પણ બીજી પંક્તિમાં એક જ શબ્દ –એકચક્રી ઠેલાનું શબ્દચિત્ર જ જાણે! વિદ્વાનોએ આ કવિતાને ‘મિનિમાલિસ્ટિક માસ્ટરપીસ’ કહી છે. બીજી પંક્તિમાં એક શબ્દ જાળવવા માટે કવિએ Wheelbarrow તેમજ Rainwater શબ્દના ટુકડા કરી દઈ કવિતાની ગતિમાં આરોહ-અવરોહ પણ જન્માવ્યા છે. આ કવિતાની શક્તિ શબ્દ-ભાષા કે રૂપકોની જટિલતામાં નહીં, પણ આપણું સમગ્ર ધ્યાન સમયસાગરની કોઈ એક જ પળ ઉપર કેન્દ્રિત થાય છે એમાં છે- વરસાદ પછીના ખેતર કે વાડાનું એક શાંત દૃશ્ય! એકચક્રી ઠેલો પ્રતિક બની જાય છે, રોજિંદા જીવનનિર્વાહ માટે અનિવાર્ય ક્ષુલ્લક કે સામાન્ય ચીજોનું, જે નજર સામે જ હોવા છતાં કદી આપણાં ધ્યાનમાં આવતી નથી. હકીકતે આપણું જીવન આવી નાની નાની રોજમરોજની ચીજો પર જ ટકેલું છે. એટલે જ કવિએ ‘ઘણું બધું નિર્ભર છે’ કહ્યું છે.

આ કવિતા આપણને કવિતા વાંચતા-સમજતા પણ શીખવાડે છે. એ કહે છે કે જોતાં શીખો, અર્થઘટન કે વિવેચના નહીં. કારણ કે કાવ્યસત્યાર્થ ઘણીવાર શબ્દો કે રૂપકમાંથી નહીં, પણ છબીની સટિકતા અને શુદ્ધતામાંથી સ્ફુટ થતો હોય છે.

*

The red wheelbarrow

so much depends
upon

a red wheel
barrow

glazed with rain
water

beside the white
chickens

– William Carlos Williams

Comments (10)

પથપ્રવર્તક કાવ્યો: ૦૨: માચુ પિચ્ચુની ઊંચાઈઓ (સર્ગ ૧૨) – પાબ્લો નેરુદા

ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.

તારા દુઃખોથી ઘવાયેલા અંતરના ઊંડાણથી
મને તારો હાથ આપ.
તું હવે આ પથ્થરની કિલ્લેબંધીમાંથી પાછો નહીં ફરે.
તું હવે આ સમયના ભૂગર્ભમાંથી બહાર નહીં આવે.
તારો તૂટેલો અવાજ પાછો નહીં આવે,
ને તારી ફૂટી ગયેલી આંખો ફરી નહીં ઉઘડે.

ધરતીના તળિયેથી મારી સામે જો,
ખેતરના ખેડનાર, વણકર, નરમ ભરવાડ,
કુળપ્રતીક ગાયોના પાલક,
જોખમી પાલખ પર ઉભેલા કડિયા,
એન્ડીઝના આંસુ ખાળનાર,
રુક્ષ આંગળીઓવાળા ઝવેરી,
રોપાઓ વચ્ચે બેચેન ખેડૂત,
પોતાની માટીમાં ઓગળી ગયેલા કુંભાર—
આ નવજીવનના પ્યાલામાં
તારા પ્રાચીન દફન થયેલા દુઃખો ભરી દે.
મને તારું લોહી અને તારો ચાસ બતાવ;
મને કહે: અહીં મને કોડા મારવામાં આવ્યા હતા
કારણ કે રત્ન જરા ઝાંખું હતું અથવા તો ધરતીએ
ધર્માદો ભરવા જેટલા ય પાક કે પથ્થર ન આપ્યા.
મને એ પથ્થર બતાવ જેના પર ઠોકર ખાઈને તું પડ્યો હતો,
અને એ ક્રોસ બતાવ જેના પર તેમણે તારા શરીરને જડી દીધું હતું.
જૂનાં ચકમક ઘસીને સળગાવ પુરાણા દીવાઓને, સળગાવ સદીઓથી ઘા પર
ચોંટેલા ચાબુકને અને સળગાવ લોહીથી ચમકતી કુહાડીઓને.

હું તમારા મૃત મુખ વતી બોલવા આવ્યો છું.

આખી ધરતી પરના
મૃત હોઠોને એકઠા કરો,
આ લાંબી રાતને મારી બાજુમાં એવી ગોઠવો
જેથી લાગે કે હું તમારી સાથે જ અહીં લંગર નાખીને પડ્યો છું.
અને કહો મને બધી કથા, સાંકળ દર સાંકળ,
કડી દર કડી, અને પગલે દર પગલે;
એ છરીઓની ધાર કાઢો જે તમે છુપાવી રાખી હતી,
તેમને મારી છાતીમાં અને મારા હાથમાં ભોંકી દો,
સૂર્યકિરણોના ધાડાની જેમ,
ધસમસતા મૃત દીપડાઓની જેમ,
અને મને રડવા દો: કલાકો સુધી, દિવસો સુધી, વર્ષો સુધી,
અંધ યુગો સુધી, યુગાંતરો સુધી.

અને આપો મને મૌન, આપો મને પાણી, આપો આશા.

મને સંઘર્ષ આપો, લોઢું આપો, જ્વાળામુખી આપો.

તમારા શરીરોને ચુંબકની જેમ મારા શરીર સાથે ચોંટી જવા દો.

ઝડપભેર મારી નસોમાં અને મારા મુખ સુધી આવો.

બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.

– પાબ્લો નેરુદા

(અનુવાદઃ ધવલ શાહ)

આજે પથપ્રવર્તક રચનાઓમાં બીજી પસંદગી હું ચીલી દેશના મેઘાવી કવિ પાબ્લો નેરુદાની શિરમોર રચના ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ની કરું છું.

આ કવિતા સમજવા માટે પહેલા આપણે નેરુદા અને એમના સમય-સ્થાનને સમજવા રહ્યા.

પાબ્લો નેરુદાએ એમના લેખનની શરૂઆત ઉત્કટ પ્રેમ કવિતાઓથી કરી. એમનો પ્રેમકાવ્યોનો પહેલો જ સંગ્રહ એવો તો અદભુત હતો કે આજે પણ એમની પ્રેમ-કવિતાઓ વંચાય, વખણાય અને જીવાય છે. (એ કવિતાઓનો જાદુ સમજવા માટે રસિકોને Il Postino: The Postman ફિલ્મ જોવા ભલામણ છે.)

પણ સમય જતા અને દુનિયાને જોવાના અનુભવમાંથી પસાર થતા (નેરુદાએ દસ વર્ષથી વધુ સમય એશિયા અને યુરોપના વિવિધ દેશોમાં ચિલીની દૂતાવાસોમાં કાઢેલો) કવિ ધીરે ધીરે રાજકીય વિચારો તરફ ખેંચાતા ગયા અને સામ્યવાદના રંગે રંગાતા ગયા.

1940ના દાયકાની શરૂઆતમાં કવિ માચુ પિચ્ચુની મુલાકાતે ગયા. માચુ પિચ્ચુ એ પંદરમી સદીમાં ઈન્કા સંસ્કુતિના લોકોએ એન્ડિઝના ઊંચા શિખરોની ઉપર બનાવેલું શહેર છે. પથ્થરમાં જાણે કવિતા રચી છે એમ કહી શકો. આ શહેર ચાર સદીઓ સુધી ભુલાઈ ગયેલું અને 1911માં ફરી મળી આવેલું.

માચુ પિચ્ચુની સફર નેરુદા મારે પ્રસવપીડા સમાન નીવડી.

નેરુદા એક તો દુનિયા જોઈને માણસાઈથી હાથ ધોવા પર આવી ગયેલા. શહેરોમાં વસતા માણસોની એકલાતા અને પીડા એમના મનમાં ઘૂમતી હતી. સામે સામ્યવાદી વિચારધારા એમને બીજી બાજુ ખેંચાતી હતી. આ બધાની વચ્ચે માચુ પિચ્ચુની પાષાણ-દુનિયાની યાત્રા એમના પર સિદ્ધાર્થની નગરયાત્રા જેવી અસર કરી ગઈ.

થોડા સમય પછી એમણે ‘માચુ પિચ્ચુની ઊંચાઈઓ’ નામનું દીર્ઘ કાવ્ય પ્રગટ કર્યું. એના બાર સર્ગ છે. શરૂઆતમાં કવિ આધુનિક નાગરોના ખાલીપા, નૈતિક અધઃપતન, માણસને મારી નાખરી એકવિધતા અને એક માત્ર વિકલ્પ મૃત્યુની વાત કરે છે. માચુ પિચ્ચુને જોતા જ એ એના પ્રેમ પડી જાય છે. પહેલા એ નગરનો અને પછી એ નગરના નિવાસીઓનો વિચાર કરવા માંડે છે. એમને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે આ નગર કોઈ રાજાનું નગર નથી. આ તો ત્યાંની સ્થાનિક પ્રજાનું સર્જન છે જેને ઇતિહાસ સંપૂર્ણપણે ભૂલી ગયો છે.

અને કવિતાની ચરમસીમા એના બારમા સર્ગમાં આવે છે જેને અહીં રજુ કર્યો છે.

પેહેલી જ પંક્તિમાં કવિ માચુ પિચ્ચુના ભૂલાયેલા સ્થાનિક લોકોને આવાહન કરે છે: ‘ઊઠ મારી સાથે જન્મ લે, મારા ભાઈ.’ કવિ પોતાનો નવો જન્મ થતો જુવે છે અને સાથે જ ભુલાયેલી પ્રજાને પણ ફરી જન્મ લેવા કહે છે.

ધરતીના ઊંડાણમાંથી, સમયની ગર્તમાંથી, પથ્થરની કેદમાંથી એ ભુલાયેલી પ્રજાને બહાર આવવા માટે સમજાવે છે. એ રાજાને નથી બોલાવતા પણ ખરી પ્રજા – ખેડૂત, વણકર, ભરવાડ, કડિયા, ઝવેરી, કુંભાર – ને બોલાવે છે. એ એમના દુઃખો અને એમના પાર થયેલા સીતમોમાં ભાગીદાર થવા માંગે છે.

કવિ ઈચ્છે છે કે મૃત લોકો એમના મોઢા દ્વારા ફરી બોલે. અને શું બોલે? એમની ભુલાયેલી કથા બોલે. એક એક ઘા ની કથા બોલે. સાંકળોની વચ્ચે જીવાયલી એમની જિંદગીની વ્યથાઓ બોલે. એમની એક એક પીડાઓ બોલે. અને કવિ આ પીડાને યુગો સુધી જીવ્યા કરે.

કવિના માટે આ યુગોની પીડામાંથી ફરી ને ફરી પસાર થવાની સફર છે. એટલે જ એ છેલ્લી પંક્તિમાં લખે છે: “બોલો મારા શબ્દોથી, અને મારા લોહીથી બોલો.”

કવિ પોતે ભુલાઈ ગયેલી સ્થાનિક પ્રજાની પીડાને પ્રગટ કરવાનું સાધન માત્ર બની જાય છે.

કવિતા પ્રગટ થતા જ આ પ્રચંડ અનુભવના વિશાળ પડઘા ચારે તરફ પડ્યા. આ કવિતા -અને એને સમાવતા આખા સંગ્રહ Canto General (‘સાર્વત્રિક ગીત’)- એ લેટિન અમેરિકાના લોકોની સામુહિક ચેતનાને જગાડી દીધી. અત્યાર સુધી લેટિન અમેરિકન પ્રજા પોતાને colonial નજરથી જ જોવા ટેવાયેલી હતી. આ કવિતાએ એમને પોતાની સંસ્કૃતિને માન આપતા શીખવાડ્યું. દેશની સીમાઓ તોડીને લેટિન અમેરિકા એક ખંડ તરીકે સાથે ઉભો રહેતો થયો. એ યુરોપિયન ઘૂસ્ણખોરોએ ભેટ આપેલી લઘુતાગ્રંથીમાંથી બહાર આવીને પોતાની એક ઓળખાણ ઉભી કરી શક્યો.

થોડા લોકો પર અસર કરી શકે તો ય કવિતાનું જીવન સિધ્ધ થયું ગણાય. અને આ કવિતાએ તો એક ઝાટકે એક આખા ખંડની દિશા બદલી નાખી.

જ્યારે નેરુદાને નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે નોબેલ કમીટીએ નોંધેલું: “….a poetry that with the action of an elemental force brings alive a continent’s destiny and dreams.”

Comments (5)

પથપ્રવર્તક કાવ્યો: ૦૧ : જવાબ – બેઈ દાઓ

નીચતાએ નીચ લોકોને મળેલો પરવાનો છે,
ઉમદાપણું એ ઉમદા લોકોનો સમાધિ-લેખ છે.
જુઓ, આ સોનામઢયું આકાશ કેવું ઘેરાયેલું છે,
મૃતકોના તરતા બેડોળ પડછાયાઓથી.

હિમયુગ હવે વીતી ગયો છે,
તો પછી ચારેબાજુ બરફ કેમ છે?
‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે,
તો પછી હજારો વહાણો મૃત સમુદ્રમાં કેમ ઝઝૂમે છે?

હું આ દુનિયામાં આવ્યો છું,
માત્ર કાગળ, દોરડું અને પડછાયો લઈને,
ચુકાદા પહેલાં એ અવાજની ઘોષણા કરવા,
જેને પહેલેથી જ દોષિત ઠેરવવામાં આવ્યો છે:

સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!
જો તારા પગ નીચે હજારો પડકારનારાઓ કચડાયેલા પડ્યા હોય,
તો મને ગણજે એક હજાર ને એકમો.

હું નથી માનતો કે આકાશ ભૂરું છે;
હું નથી માનતો ગાજવીજના પડઘાઓમાં;
હું નથી માનતો કે સપનાઓ જુઠ્ઠા હોય છે;
હું નથી માનતો કે મૃત્યુનો કોઈ બદલો નથી હોતો.

જો સમુદ્ર કિનારાની પાળ તોડવા જ સર્જાયો હોય,
તો ભલે બધું ખારું પાણી મારા હૃદયમાં ભરાઈ જાય;
જો જમીન ઊંચે આવવા જ સર્જાઈ હોય,
તો માનવજાતને અસ્તિત્વ માટે ફરી કોઈ શિખર પસંદ કરી લેવા દે.

એક નવો સંયોગ અને ટમટમતા તારલાઓ
હવે ખુલ્લા આકાશને શણગારે છે;
એ પાંચ હજાર વર્ષની ચિત્રલિપીઓ છે,
એ આવનારી પેઢીઓની ચાંપતી નજર રાખતી આંખો છે.

– બેઈ દાઓ

(અનુવાદઃ ધવલ શાહ)

જગતનો ઇતિહાસ બદલવામાં ચાવીરૂપ કવિતાઓમાં આ પહેલી પસંદગી છે ચીનના વિદ્રોહી કવિ બેઈ દાઓની સૌથી જાણીતી રચના.

ટિઆનનમેન સ્કવેરમાં જ્યારે દેખાવો થાય હતા ત્યારે હજારો લોકો આ કવિતાની ધ્રુવપંક્તિ “”સાંભળી લે, ઓ દુનિયા, હું—માનતો—નથી!”ના પોકારો કરતા નીકળી પડેલા. આખી દુનિયા ક્રાંતિના પડઘમને બહુ આશાભરી નજરથી જોઈ રહી હતી. કમનસીબે એ ક્રાંતિને ચીનની સરકારે દાબી દીધી. હજારો લોકોનું લોહી વહ્યું અને તો ય સ્વતાંત્રતાનું સપનું તો વાંઝણું જ રહ્યું.

એના પરિણામે, બેઈ દાઓએ વર્ષો સુધી દેશ છોડી દેવો પડ્યો. આ બધા છતાં બેવતન કવિએ પોતાનો અવાજ કદી મોળો પાડવા દીધો નથી.

આ તો વાત થઇ પૃષ્ઠભુમીની. હવે વાત કરીએ કવિતાની.

આ કવિતા લખાયેલી છેક 1976માં એપ્રિલ 5ની ચળવળના અનુસંધાનમાં. (એ ચળવળના ઇતિહાસમાં ઊંડો ઉતરવાનું અહીં અસ્થાને છે) આ કવિતાએ ચીનમાં એક નવી જાતના કવિતા પ્રકારને -જેને ‘ધુમ્મસની કવિતા’ કે ‘અમૂર્ત કવિતા’ કહેવાય છે – જન્મ આપ્યો. આ કવિતામાં વિદ્રોહ અને મુક્તિની વાત રૂપકોની મદદથી કહેવાઈ છે.

કવિ શરૂઆત કરે છે કે નીચતાએ નીચ લોકોને નીચ કામ કરવાનો જાણે પરવાનો છે. જ્યારે ઉમદાપણું એ ઉમદા લોકોની કબર પરનો સમાધિ-લેખ છે એટલે કે એમને પોતાને જ દબાવી રાખે છે. સરકારે બતાવેલા સપના માટે કવિ સોનામઢયું આકાશ એવો શબ્દ વાપરે છે પણ એમાં એમને મૃતકોના પડછાયા દેખાય છે.

કવિ કહે છે કે હિમયુગ વીતી ગયો છે અને ‘કેપ ઓફ ગુડ હોપ’ શોધાઈ ગઈ છે – એટલે કે કહેવાતી ‘ક્રાંતિ’ થઇ ગઈ છે તો પછી હજુ પણ કેમ ચારે બાજુ બરફ છે અને લોકો હજુ દિશા વિહોણા છે?

કવિ એવા અવાજને વાચા આપવા માંગે છે જેને ચુકાદા પહેલાં જ દોષી જાહેર કરવામાં આવ્યો છે.

અને પછી આવે છે કવિતાની ધ્રુવપંક્તિ :

“સાંભળી લે, ઓ દુનિયા,
હું—માનતો—નથી!”

એ આકાશના ભૂરા હોવા જેવી વાત પણ માનવાનો ઇન્કાર કરે છે. એ પણ માનવાનો ઇન્કાર કરે છે કે ગાજવીજના પડઘા એટલે કે અત્યાચારનું પુનરાવર્તન થશે. એ સપનાઓની સચ્ચાઈ અને અત્યાચારના બદલામાં પોતાની માન્યતા જાહેર કરે છે.

જો અત્યાચારનો સાગર પાળ તોડીને આવવાનો જ હોય તો કવિ પોતાના હૃદયમાં એ ખારું પાણી ભરી લેવા તૈયાર છે. (અહીં વિષ પી જવા તૈયાર શંકર ભગવાન યાદ આવે છે) અને સાથે માનવજાતને આવાહન કરે છે કે એણે પોતે જ નવું શિખર શોધી કાઢવું પડશે જ્યાં અત્યાચારી સાગર પહોંચી શકે નહીં.

કવિ છેલ્લે આશા ભરી વાત કરે છે. એ આ નવા સંજોગને આવકારે છે. તારાભર્યાં આકાશમાં એમને એકસાથે પાંચ હજાર વર્ષોની ચિત્રલિપી (ચીનની આદિ સંસ્કૃતિ) અને આવનારી પેઢીઓની ચાંપતી નજર બંને એક સાથે દેખાય છે.

હજુ સુધી બેઈ દાઓને નોબેલ પુરસ્કાર મળ્યો નથી. પણ મારું માનવું છે કે નજીકના ભવિષ્યમાં જ એમને એ પુરસ્કાર અવશ્ય મળશે.

Comments (10)

લયસ્તરો – એક ફ્લેશબેક – છેલ્લી વીસ વર્ષગાંઠોની ઉજવણી…

ગુજરાતી કવિતા તેમજ કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો ડોટ કોમની વર્ષગાંઠ ઉપર દર વરસે અમે વાચકમિત્રોને કંઈક નવું આપવાની કોશિશ કરતા આવ્યા છીએ… આ વરસે “પથપ્રવર્તક કાવ્યો” માણીશું- એવી કવિતાઓ જેણે દુનિયાનો ચહેરો બદલવામાં નાનો-મોટો ભાગ ભજવ્યો હોય… પણ આ પથપ્રવર્તક કાવ્યોની શૃંખલા સોમવારથી શરૂ થાય ત્યાં સુધીમાં આપણે વીત્યાં વીસ વર્ષોની ઉજવણીની ગલીઓમાં ફરીથી એક લટાર મારીએ… ચાલો… વારાફરતી ક્લિક કરીએ…

Comments (1)

‘લયસ્તરો’ને આજે એકવીસ વર્ષ પૂરાં!

જીવનમાં કોઈક વાર કવિતા તોફાનની જેમ આવે છે. અને એના રુદ્ર સ્વરૂપમાં બધું જ ધોવાઈ જાય છે.

ને વળી કવિતા-રાણી કોઈ વાત પાયલના રણકાર સાથે આવે છે. એના એક એક પગલે સામટા હજારો દીવાઓની કતાર ખડી થઇ જાય છે.

ક્યારે એવી ઘડી આવે છે જયારે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ જેમ વિરાટ સ્વરૂપ બતાવેલું એવી જ રીતે કવિતા તમને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવે છે. એ ઘડીએ કવિતાની પાછળ આખી જિંદગીભર જોયેલી વાટ સફળ થઈ જાય છે.

કોઈ નાજુક ક્ષણે કવિતા એક અધકચરા સ્મિતના રૂપમાં આવે છે. તમને રમાડે છે અને ટટળાવે છે.

પછી કોઈ વાર કવિતા વટવૃક્ષ થઇને આવે છે. જિંદગીના તડકાને છાંયડો કરતી જાય છે.

અને આ તો કવિતાના થોડા જ સ્વરૂપોની વાત થઈ.

આવા તો કાંઈ અગણિત લાડ કવિતા ભાવકને લડાવે છે.

કમનસીબે કવિતા કોઈ પણ રૂપમાં તમારી સાથે લાંબો સમય રહેતી નથી. કવિતા સાથે એક ઘડી કે એક ક્ષણ તો બહુ થઈ ગઈ. એનાથી વધારે કવિતા કાંઈ આપી શકે નહીં અને એનાથીય વધારે આપણે એની પાસે કાંઈ માંગી પણ શકીએ નહીં.

જે જાદુ એક ઘડીથી વધારે ટકતો નથી એને કેમ કરી સંઘરવો અને કેમ કરી વહેંચવો?

કવિતાના આ જાદુને વહેંચવાનો ઉદ્યમ એટલે ‘લયસ્તરો’.

આમ તો આ ઉદ્યમ મૂળથી જ અશક્ય. તો ય કેમે કરીને ચાલ્યો. ભાવકોના પ્રેમથી અશક્ય પણ અર્ધ-શક્ય બન્યું. કવિઓનો પણ ખુબ પ્રેમ મળ્યો. પોતાના દિલના ટુકડા જેવા શબ્દો અમારી સાથે વહેંચવા માટે કવિઓએ કદી પણ સામે કશું માગ્યું નથી. એક અશક્ય સફર એક મજલિસ બની ગઈ. કોઈ દિવસ જે વિચાર્યું નહોતું એ બધું કવિતા-રાણીના પાલવના છાંયડામાં શક્ય બન્યું.

આજે એ ઉદ્યમને એકવીસ પુરા થયા.

આ સફરનો આખી જિંદગી સફળ થઇ ગઈ હોય એટલો આનંદ છે. અને એ આનંદ બધા સાથે વહેંચીને ખાધો એનો સવિશેષ આનંદ છે.

આટલા બધા લોકોનું આટલું બધું ઋણ મારો નાનકડો જીવ કદી ચૂકવી શકશે નહીં એ તો ખબર જ છે. પણ સાથે એ પણ ખબર છે કે પાછલી રાત્રે અકારણ યાદ આવી ગયેલી ભુલાયેલી કવિતાની એ જાજરમાન પંક્તિઓ જે જીવતરને જીવવા જેવું કરતી જાય છે એના ખાતર તો આવા હજારો ઋણ કબૂલ છે 🙏

તા.ક.: દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ પર કંઈક વિશેષ કરવાની પરંપરા આ વર્ષે પણ ચાલુ રાખીશું. પણ એ ‘વિશેષ’ માટે આપે આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે !

Comments (19)

ગઝલ હાર્મની – નયન હ. દેસાઈ

હિંડોળો હેઈ હો! તૈયાર પાનસોપારી
રઝળતી યાદ હેઈ! આવી તો સાવ નોંધારી

ન ડંખે હેઈ હો… કવિતા તો હું બચી જાઉં
ઊભો છું સાંઢણી છંદોની હેઈ… ઝોકારી

નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
તને હું યાદ કરૂં કોય પળ એ અલગારી*

નિહાળ્યું (હેઈ હો) લીમડાનું ઝાડ લીલુંછમ
ને હેઈ! પાંદડાઓ નામ ઊઠયાં પોકારી

રડે છે દોઢ–બે વાગ્યે સૂની સડક હેઈ હો…!
દરોગા રાતનો પૂછે છે હેઈ! ખોંખારી.

અવાજ પૂલ છે; ભાંગે તો હેઈ હો ભાંગે
નદીમાં નાંખીએ શબ્દોને હેઈ ઓવારી

– નયન હ. દેસાઈ

કવિતાનું શીર્ષક કવિતાના ઘરમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો ઉઘાડી આપે છે. ‘ગઝલ હાર્મની’ શીર્ષક પરથી ખ્યાલ આવે કે ગઝલના પરંપરાગત અંગોમાં હાર્મની- સંવાદિતા, સૂરસામંજસ્ય, સ્વરૈક્ય ઉમેરવાની વાત ગઝલના કેન્દ્રમાં હોવી ઘટે. ગઝલની શરૂઆત હિંડોળાથી થાય છે અને ગઝલમાં હિંડોળાને ધક્કો દેતી વેળાના ‘હેઈ હો! હેઈ’ ‘હેઈ હો! હેઈ’ ઉદગારની હાર્મની પણ સિદ્ધ થઈ છે. કવિએ દરેક શેરમાં ઉલા મિસરામાં ‘હેઈ હો’ અને સાનીમાં ‘હેઈ’ ઉમેરી સાચા અર્થમાં હાર્મની સર્જી પણ બતાવી છે. ઉલાના ‘હેઈ હો!’ના પોકારને સાનીનો ‘હેઈ’ આબાદ ઝીલી લે છે.

કવિના બચવાની એકમેવ શરત છે કે કવિતા ડંખ ન મારે! પણ એ તો બનવાનું નથી. સર્જક બચી જવાની વાત તો કરે છે, પણ સર્જકની તો વાતો સુદ્ધાં કવિતા જેવી હોય. ઉપરથી કંઈ કહે પણ અંદરથી અર્થ કંઈ અલગ જ હોવાનો. એમ ન હોય તો છંદોની સાંઢણીને ઉપર તુર્ત જ સવાર થઈ શકાય એમ નમાવીને નહીંતર શીદ તૈયાર રાખી હોય? છંદોની સાંઢણીને ઝોકારવાની વાત કવિતાની રીતે તો ઉત્તમ છે જ, પણ વ્યવહારમાં ઘસાતા શબ્દોને કવિતાની કલાઈ કરીને ઊજળા-ચળકતા રાખવાની કવિની મથામણની પણ એ દ્યોતક છે. ત્રીજો શેર મૂળ સંગ્રહમાં આ મુજબ છે:

નિયમ છે હેઈ હો, હંમેશ હું ઊઠી જાઉં
સવારે કેમ હેઈ? ઘટના બને એ ગોઝારી.

નયન-ઑમ્નિબસ ‘નયનનાં મોતી’ના પ્રકાશનકાળે કવિએ આ શેર શા માટે બદલી નાંખ્યો એ કોયડો છે. મૂળ શેરમાં ઉલા-સાનીની હેઈ હો-હેઈની સાંકળી પણ જળવાઈ રહેલ છે અને કાફિયો પણ દુરસ્ત છે, જ્યારે નવ્ય સંસ્કરણમાં સાંકળી તો તૂટે જ છે, નજીવો કાફિયાદોષ પણ થયો છે. સ્વતંત્ર શેર તરીકે જો કે બંને જ સંતર્પક છે, મૂળ શેર કદાચ થોડો વધારે.

Comments (11)

પિતાને નિહાળતાં… – વેન્ડી શૂ (અનુ.: વિવેક મનહર ટેલર)

એ ભીતર જ છે, જે બહાર પ્રગટે છે, જ્યારે હું એમને
ત્યાં ભરતડકામાં ખંતપૂર્વક મધ્યપશ્ચિમી લૉન કાપતા
વિચારું છું. મારી પાસે બચી છે કેવળ કેટલીક નોંધ,
એક વસૂકાઈ ગયેલ કલમ, અને બારીમાં આવતી ડુંગળીના
પુષ્પોની સુગંધની સ્મૃતિ. ચિંતન જ મારું જન્મજાત માધ્યમ છે.
હું ક્યારેય પહોંચતી નથી, બસ ક્ષણિક સંવાદ સાધુ છું સ્વયં
અને અન્યો વચ્ચેની વસ્તુગત સ્થિતિઓ પર. મારો દેશ
મને પ્રેમથી, કાળાંતરે પ્રતિરક્ષિત કરી રહ્યો છે. મારો દેશ જકડી રહ્યો છે
મને ઇચ્છાની પેઠે. અગર આપ અનુરોધ કરશો તો હું આપને દેખાડીશ મારાં
પ્રમાણ, યાને કે મારી જીવંત વ્યાખ્યા. આ રહ્યાં અમે, મારા પિતા
અને હું, ન કોઈ વિરોધ, ન ટકરાવ, બસ, એક નાનકડી ભેટ: જીવનમાં જ્યારે
થોડી ઉપલક આવકનો સમાસ થાય છે, ત્યારે નિષ્પ્રયોજન કપાયેલ પુષ્પો
રસોડાના મેજ પર ઊગી આવે છે. હજીય સંભવ છે. શું હું સાચે જ જીવી રહી છું? શું હું
પુનરીક્ષણનો મારા દેવતા અને ઉદ્ધારક તરીકે અંગીકાર કરું છું?
હા, હું કરું છું, અને હું છું, અને મારા ચીની પિતાના નામ પર, જે હવે ઓજારો સમેટીને
ભીતર લાવી રહ્યા છે, માથે પરિશ્રમનું તેજ, પણ હોઠો પર કાયમી સ્મિત,
શ્રદ્ધાહીન પરંતુ સતર્ક– એ સમયના સંરક્ષણાર્થે, જેમાં હજીય હું કંઈક
બની શકું, આમીન.

– વેન્ડી શૂ (અંગ્રેજી)
(ગુજરાતી અનુ.: વિવેક મનહર ટેલર)

ચીનથી અમેરિકા આવીને સ્થાયી થવા છતાં વતન સાથે જોડાઈને જીવતાં પિતા-પુત્રીના સંબંધનું ગણિત દીકરી માંડે છે. ભરતડકે ઘરનું રોજિંદુ કામ કરતાં પિતાને નિહાળતાં નિહાળતાં દીકરીનું અંતસ્તત્વ પ્રગટ થાય છે. એનું વર્તમાન અને ભાવિ બંને અવઢવમાં છે. સિલકમાં કેટલીક નોંધ, રાઇટર્સ બ્લૉકના શરણે જઈ ચડેલ કલમ અને કેટલીક યાદો જ બચ્યાં છે. પણ વતનપ્રેમ અને વતનનાં સંસ્કાર એને નવા દેશ અને સ્વયં- બંને સામે રક્ષણ આપે છે. રહી રહીને પોતાના અસ્તિત્વ અંગે શંકા પણ જન્મે છે, અને પોતાના ભવિષ્ય માટે સતત સતર્ક અને પ્રયત્નશીલ પિતાને જોઈને એનું આપોઆપ નિવારણ પણ થઈ જાય છે.

Looking at My Father

It’s the inside which comes out, as I contemplate
him there half in sunlight, weeding diligently
a Midwestern lawn. On my persons, I have only notes
and a drying pen, the memory of onion blossoms
scenting in a window. Reflection is my native medium.
I am never arriving, only speaking briefly on material
conditions between myself and others. My country
inoculates me lovingly, over time. My country grasps me
like desire. I will show you my credentials, which is to say
my vivid description, if you ask. Here we are, my father
and I, never hostile, a small offering: pointless cut flowers
appear on the kitchen table when one finally arrives
into disposable income. Still possible. Am I living? Do I
accept revision as my godhead and savior?
I do and I am, and in the name of my Chinese father now
dragging the tools back inside, brow shining but always
a grin, faithless except to protect whatever I still have time
to become, Amen.

– Wendy Xu

Comments (6)

(જીવ્યા કરવાનું) – આર. બી. રાઠોડ

એકનું એક લગાતાર જીવ્યા કરવાનું.
બીજું શું હોય નવું યાર, જીવ્યા કરવાનું,

ઝીણું ઝરમર કે મુશળધાર જીવ્યા કરવાનું,
જીવવું એ જ છે પડકાર, જીવ્યા કરવાનું.

રોજ ખીલે છે, ખરે છે એ ફૂલોને જોઈ,
સાવ છોડીને અહંકાર જીવ્યા કરવાનું.

જિંદગી છે તો શરૂઆત ગમે ત્યાંથી થશે,
જિંદગીને જ કરી પ્યાર જીવ્યા કરવાનું,

આખરે કોણ નડ્યું, કેમ નડ્યું, છોડ બધું,
સાચવી સહેજ સદાચાર જીવ્યા કરવાનું.

– આર. બી. રાઠોડ

એક તો આ છંદ પરત્વે ગુજરાતી ગઝલકારોનું વલણ પહેલેથી જ સહેજ ઓરમાયું ને ઉપરથી ‘જીવ્યા કરવાનું’ જેવી અનૂઠી રદીફનો પડકાર ઝીલી ચુસ્ત કાફિયા વડે રચાયેલ દુરસ્ત ગઝલ– એટલે મારે તો પહેલી નજરના પ્રેમમાં પડવા જેવું થયું. ગઝલના પાંચેય શેર સંતર્પક થયા છે.

Comments (20)

(આજ મારાં નેણાં રે) – નરસિંહ મહેતા

આજ મારાં નેણાં રે સફળ થયાં, નાથ જોયા મેં નીરખી. (ટેક)
સુંદર વન નિહાળતાં, મારા હૃદયામાં હરખી. આજ૦

જે મારા મનમાં હતું, તે મારે વા’લેજીએ કીધું;
પ્રેમેથી પિયુજી પધાર્યા, આલિંગન દીધું. આજ૦

જોગી રે જંગમ રે સેવડા, તેના સ્વપ્નામાં ના આવે;
ભલાં વ્રજનારનાં, હરિને લાડ લડાવે. આજ૦

ધન ધન ગોકુળ ગામડું, ધન ધન વ્રજનો વાસ;
ધન ધન આ ભૂમિને જ્યાં વહાલો રમિયા છે રાસ. આજ૦

અંતરિક્ષથી દેવતા, સહુ ત્યાં જોવાને આવે;
થાળ ભર્યો સગ મોતીએ, નાગર નરસિંહ વધાવે. આજ૦

– નરસિંહ મહેતા

ઈશ્વરદર્શનની ઝંખના પૂર્ણ થયાનું ભક્તિપદ. જોગીઓ અને સંતોને જે સ્વપ્નમાં પણ નથી આવતા, એ હરિ વ્રજવાસીઓને લાડ લડાવે છે. ‘જોગી રે જંગમ રે સેવડા’વાળી પંક્તિએ મનમાં કુતૂહલ જગાવ્યું તો ગૂગલદેવતાએ મોજ કરાવી દીધી-

જોગી જંગમ સંન્યાસી સેવડા, તપસી ને બ્રહ્મચારી;
તા તે અવિગત્ય અગમ અગોચર, અપરંપાર અપારી. સંતો.
– સત્ કુબેરદાસ

જોગી જંગમ સેવડા ઔર સંન્યાસી દરવેશ,
બીના પ્રેમ પહુચે નહી દુર્લભ સતગુરૂ કા દેશ..
– સંત કબીર

(જંગમ= એક જાતનો ફકીર, શૈવ પંથી; સેવડા= જૈન સાધુ)

* * *
સંજોગોવશાત્ આજે નરસિંહ મહેતાની ૫૭૦મી હારમાળા જયંતિ પણ છે. કહે છે કે જૂનાગઢના રાજા રા’માંડલિકે દામોદર આવીને હાર પહેરાવશે તો જ મુક્તિ મળશે એમ કહી કારાવાસમાં પૂર્યા હતા. પણ કેદારો તો મહેતાએ ગિરવે મૂક્યો હતો અને એ ગાયા વિના તો ઈશ્વર આવે નહીં. એટલે ભગવાને જાતે જઈ ઉધારી ચૂકવી કેદાર રાગ છોડાવ્યો. નરસૈંયાએ કેદારો ગાયો અને ગળામાં હાર આવી પડ્યો. પરિણામે આજના માગશર સુદ સાતમના દિવસને હારમાળા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.

Comments (11)

(કેમ થતી નથી!) – હર્ષવી પટેલ

છે પ્રયત્નરત સહુ તે છતાં આ સવાર કેમ થતી નથી!
ને યુગો યુગોથી આ રાત છે, એ પસાર કેમ થતી નથી!

કદી તારી ભાવસભર નજર, એ હકાર કેમ થતી નથી?
ને કદી કળાય ઉપેક્ષા જે એ નકાર કેમ થતી નથી?

બધી બારીઓને ઉઘાડી મેં, તે છતાં પ્રવેશી ન ખુશબૂઓ
અને ઘરમાં છે જે હવડ હવા તે ફરાર કેમ થતી નથી?

ખુશી સ્વાંગ બદલીને જે રીતે સદા વેદના બની જાય છે,
કદી રૂપ બદલી, મનોવ્યથા! તું કરાર કેમ થતી નથી?

મને ખ્યાલ છે કે આ જિંદગી એ ગતિનું નામ છે તે છતાં
એ રઝળવું કેમ બની જતી? એ લટાર કેમ થતી નથી?

કૃપા થાય તોય અમુક ઉપર, અને એય થાતી જરાતરા,
એ થતી ન કેમ બધા ઉપર? એ અપાર કેમ થતી નથી?

– હર્ષવી પટેલ

હર્ષવી પટેલ ગુજરાતી ગઝલની તેજસ્વી આજ છે. આપણી ભાષામાં પ્રમાણમાં જૂજ ખેડાયેલ કામિલ છંદમાં એક સરસ મજાની ગઝલ તેઓ લઈ આવ્યાં છે. આખેઆખી રચના જ આસ્વાદ્ય થઈ છે… દરેક શેર હળવેથી હાથમાં લેવા જેવા… મને જો કે ફરાર-કરાર અને લટાર સવિશેષ ગમ્યા.. બધી જ બારીઓ ખોલી નાંખવા છતાં બહારથી ખુશબૂ અંદર ન આવે અને અંદરની હવડ હવા બહાર ન નીકળી જાય એ પરિસ્થિતિ આપણે સહુએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે. ખોલવા ને ખૂલવામાં ક્યાંક કોઈક ઉણપ રહી ન ગઈ હોય તો આ બને નહીં. ખુશી અને વ્યથાને સર્જક જે સવાલ કરે છે, એય મજાનો છે. ખુશીને નાનકડી વાતે દુઃખ બની જતાં વાર નથી લાગતી, પણ વ્યથા શા માટે આ જ નિયમ અપનાવીને ખુશીમાં નથી ફેરવાતી? રઝળવું અને લટાર તો ભઈ વાહ!

Comments (28)

પથ – પ્રિયકાન્ત મણિયાર

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

આટલી ડોલતી ડાળ, એને પણ એક ના વાંક-વળાંક,
જેમ વહું તેમ હરખભર્યો ચડતો વ્હાલો થાક;
નેન ભરીને નીરખું નદી તેમ તે એને પીધો… પથ0

જલમાં તર્યો, આભમાં ઊડયો, લસર્યો રેશમી ઢાળ,
પગલું ધરું હું જ હવે કે પવન ભરતો ફાળ?
કોઈ અજાણ્યા જનને જાવું? સ્હેજ ઈશારો કીધો!

પથ એવો તો જાય છે સીધો,
પગલું મૂકતાં ઘડીક હું તો બીધો.

– પ્રિયકાન્ત મણિયાર

માથે મુસીબતોના પહાડ તૂટી પડે ત્યારે તો એક જ ઝંખના હોય કે જીવનમાં એકેય મુસીબત જ ન હોય તો કેવું સારું! પણ roses roses all the way તો કોના નસીબમાં હોય? અનવરુદ્ધ શાશ્વત સુખની કામના નામના સિક્કાની બીજી બાજુ એ છે કે જીવન સાવ સીધુંસટ જતું હોય ત્યારેય આપણે વિહવળ થઈ જઈએ છીએ. નજર સામેના માર્ગને વળવળાંક વિનાની ડાળની જેમ એકદમ સીધોસટ જતો જોઈ પગલું મૂકતા પહેલાં કાવ્યનાયક ઘડીભર માટે તો ડરી જાય છે. જીવનપથ વધુ પડતો સ્પષ્ટ, સીધો અને સરળ હોય ત્યારે આ સરળતા પાછળનું સત્ય સમજાતું ન હોવાના કારણે ભય લાગવો સ્વાભાવિક છે.

હશે, પણ ભાગ્યનો અને આ સીધા મળેલા માર્ગનો સ્વીકાર કરી કથક આનંદભર્યા થાકનેય આવકારે છે અને કોઈ પ્રકૃતિપ્રેમી ધરાઈને નદીને જોયા કરે,એ જ રીતે આ પરિસ્થિતિનું આકંઠ સેવન કરે છે. માર્ગ એટલો સરળ છે કે તરવું-ઊડવું-લસરવું બધું જ શક્ય છે. જીવન આ ક્ષણે સંપૂર્ણતયા મુક્ત, હળવું અને તમામ બંધનોથી પર છે. કથકના માર્ગમાં તો કોઈ વળાંક નથી, પણ અંતિમ બે પંક્તિમાં કવિતા નિરાળો વળાંક લે છે. કથકને સવાલ થાય છે કે આ પથ પર સ્વયંની ઇચ્છાશક્તિથી ડગલું ભરી રહ્યો છે કે પછી પવન-નિયતિ એને આગળ ધકેલી રહ્યાં છે? કોઈ અજાણ્યા જનને આ માર્ગ પર જવું હોય તો એને નાયક ઈશારો કરે છે એમ કવિ કહે છે ત્યાં અગમનિગમનો માર્ગ સ્પષ્ટ થાય છે. ઈશ્વર સુધી લઈ જતા માર્ગ પર વધુ નહીં, સ્હેજ ઈશારોય પૂરતો છે. પ્રભુમિલનનો ખરો માર્ગ તો સાવ સીધો અને સરળ જ છે. કર્મકાંડીઓ જ એને મુશ્કેલ ચિતરી ચિતરીને આપણને સદીઓથી ભરમાવતા આવ્યા છે.

Comments (6)

દ્યુતિ પલકતાં – સુન્દરમ્

સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એની: તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.

પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગ તણા
ઝગી કોઠા ઊઠયા અવનવલ આનંદ-રસણે,
નવેલા સૌન્દર્યે સકલ અહીંયા મંડિત બન્યું.

ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!

બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ.

– સુન્દરમ્
(૨૫ ઓકટો. ૧૯૩૭)

ટી-ટ્વેન્ટી જેવા તાત્ક્ષણિક રોમાંચના પ્રતાપે ગઝલ આજે લોકપ્રિયતાના શિખરે આરુઢ થઈ છે એ સાચું,પણ ખરો અને દીર્ઘાયુષી કાવ્યાનંદ તો આજેય વિગત સમયના કબાટમાં સચવાઈ રહેલ આવા ઉમદા કાવ્યો જ આપી શકે. શિખરિણી છંદમાં લખાયેલ આ ચૌદ પંક્તિઓમાં સુન્દરમે પ્રેમી સ્વયંના અભ્યુદયના સ્વીકાર થકી પ્રેમિકાનું અને પ્રેમનું જે મહિમાગાન કરે છે એની મજા જ અલગ છે. અંધારાનો બુરખો ઓઢેલ વિરાટ ભુવનમાં ચાંદનીનું સહેજ તેજ રેલાતાં જ તમામ તાર-ગ્રહોનું સૌંદર્ય દીપી ઊઠે, એ જ રીતે પ્રિયાની પ્રીતિની દ્યુતિના સ્મરણમાત્રથી અવનવલ આનંદના કિરણોથી કથકની દુનિયા આખી ઝગમગ ઝગમગા થઈ ઊઠે છે. પ્રકૃતિ તો મનહર જ હોય, પણ પ્રિયજનની યાદના પ્રકાશ રેલાવાના લીધે છે એથીય અધિકતર મનોરમ્ય ને મનોગમ્ય અનુભવાય છે.

પણ ઠીક છે આ તો… બને એ તો કહીને કવિ આખાય નવોન્મેષનું પહાડી કદ તલભરનું કરી દઈ નવી જ વાતને ઉચ્ચાકાશે સ્થાપે છે. સુંદર સુંદરતમ બને એમાં કોઈ મોટી વાત નથી… મોટી વાત શેમાં છે? તો કે આજ સુધી જડ કહી શકાય એ હદે જે માણસ નીરસ હતો, એ પણ પ્રિયાની ઉપસ્થિતિના કારણે સ્વયંનેય ગમવા લાગે એમાં… ખરું ને? પોતાનું આ અનન્ય અને અભૂતપૂર્વ પરિવર્તન કેવળ પોતાની પ્રિયાને આભારી છે એમ કહીને કવિ આખી સૃષ્ટિના કાયાકલ્પને ગૌણ ગણાવી પ્રેમની મહત્તા સ્થાપિત કરે છે.

(આગાર=મકાન; દ્યુતિ= કિરણ ચમક, તેજ; સુષમા= સૌંદર્ય; તલકતલક=તેજથી ઝબૂક ઝબૂક થવું; લસવું=ચળકવું. ઝળાંઝળાં થવું; રસણ=કિરણ; જ્યોત્સ્ના=ચાંદની, ચંદ્રની સોળ કળામાંની એક)

Comments (18)

શ્રીયુત ફરિયાદશંકરનું ગીત – શેલ સિલ્વરસ્ટીન (અનુ.: વિવેક મનહર ટેલર)

સઘળું જ છે ખોટું અહીંયા તો,
દિવસો બેહદ લાંબા લાંબા,
પવન વળી હદપાર જોરુકો
સૂરજની ગરમી છે તોબા.
વાદળ છે વધુ પડતાં પોચાં,
અનહદ લીલું લીલું ઘાસ,
જમીન છે કે ધૂળના લોચા,
ચાદર વધુ પડતી છે સાફ.
બેસુમાર ચમકીલા તારા,
ચાંદો હદ બહાર છે ઊંચે,
વધુ સરકીલી જળની ધારા,
રેતનું સુક્કાપણુંય ખૂંચે.
પથરા વધુ પડતા છે ભારી,
પીંછા અસીમ અપાર છે હલકાં,
બાળક સૌ અતિશય ઘોંઘાટી,
વધુ પડતાં છે તંગ પગરખાં.
હદથી વધારે ખુશ છે લોકો
ગાઈ રહ્યાં છે ખુશીનાં ગીતો,
જોતાં નથી શું, આ છે ધોકો?
સઘળું છે ખોટું જ અહીં તો,

– શેલ સિલ્વરસ્ટીન (અંગ્રેજી)
(અનુ.: વિવેક મનહર ટેલર)

કેટલાક લોકોને દરેક વાતમાં અને વાતે વાતે વાંકું પડતું હોય છે. દુર્ભાવ જ એમનો ખરો સ્વ-ભાવ! આવા વક્રદર્શીઓના શરીરમાં ઈશ્વર વખાણનું હાડકું મૂકવાનું જ ભૂલી ગયો હોય છે. પ્રસ્તુત રચનામાં હળવા વ્યંગ અને બાળસહજ સરળતાથી આવા ફરિયાદશંકરોની ગહન મનોવૈજ્ઞાનિક અંતર્દૃષ્ટિ આલેખવામાં આવી છે. કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં ક્લિક કરીને મારા ફેસબુક પેજ પર માણી શકો છો.

Mr. Grumpledump’s Song

Everything’s wrong,
Days are too long,
Sunshine’s too hot,
Wind is too strong.
Clouds are too fluffy,
Grass is too green,
Ground is too dusty,
Sheets are too clean.
Stars are too twinkly,
Moon is too high,
Water’s too drippy,
Sand is too dry.
Rocks are too heavy,
Feathers too light,
Kids are too noisy,
Shoes are too tight.
Folks are too happy,
Singin’ their songs.
Why can’t they see it?
Everything’s wrong!

– Shel Silverstein

Comments (4)

ઠંડી – કૃષ્ણ દવે

*

કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી,
દૂધીમાસી, દૂધીમાસી, ઝટ પ્હેરાવો બંડી.

આના કરતાં હતાં ડાળ પર રમતાં અડકોદડકો,
મીઠ્ઠો મીઠ્ઠો મને લાગતો એ સવારનો તડકો.

અહીંયા તો બસ ઠંડી, ઠંડી અને બરફનાં ગામ,
કોણે ફ્રીજ બનાવ્યું? જેમાં નથી હૂંફનું નામ.

ત્યાં દરવાજો ખૂલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી,
મૂળાભાઈએ ટામેટાને ટપાક્ ટપલી મારી.

દડદડ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બ્હાર,
બારીમાંથી સૂરજ જોયો, નથી ખુશીનો પાર!

ત્યાં નાનાં બે કિરણો આવ્યાં રમવા અડકોદડકો,
કહે ટામેટા રાજ્જા, પ્હેરો મીઠ્ઠો મીઠ્ઠો તડકો!

– કૃષ્ણ દવે

બાળકાવ્યો કવિપ્રતિભાના એક પાસાંની આકરી કસોટી છે. ભલભલા મોટા નામ પણ એમાં ગોથાં ખાઈ જાય. એક તો આપણે ત્યાં બાળસાહિત્યનું સર્જન આમેય ગણતરીનું ને નફામાં બહુ ઓછા સર્જકો સારાં બાળકાવ્યો આપી શક્યાં છે. બાળકોની રોજમરોજની જિંદગીની વાતો અને કલ્પનોને બાળકોને સરળતાથી સમજાઈ જાય એવી ભાષા અને વાંચવા જતાં આપોઆપ ગવાઈ જાય એવા પ્રવાહી લય અને પ્રાસાવલિથી મઢવામાં ન આવ્યું હોય એવું બાળગીત કાવ્યતત્ત્વની એરણ પર કદાચ ઉત્તીર્ણ થઈ જાય, પણ બાળકોના હૃદય સુધી પહોંચી શકતું નથી. પ્રસ્તુત બાળગીત ઉત્તમ બાળકાવ્યોની તમામ કસોટીએ ખરું ઉતર્યું છે. આપણે તો એ ગણગણીએ જ, પણ ઓછામાં ઓછા એક બાળકને પણ સંભળાવીએ… બાળદિનની ખરી ઉજવણી એ વિના તો કેમ થશે?

Comments (12)

વ્હાલમ, આવોને પળવાર! – પ્રહલાદ જાની ‘તન્હા’

તમે અમારા તિમિર ઘૂંટેલાં નયણાંનો ઝબકાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!
તમે અમારા તરસ મઢેલા કંઠ તણો ચિત્કાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

તમે કહો તો પળભર જીવતા ઝાકળ થઈને ગાશું,
તમે કહો તો પગલે પગલે ધૂળ બની પથરાશું;
આવો નહિ તો આપો અમને આવ્યાનો અણસાર,
.                                         વ્હાલમ, આવોને પળવાર!

સાંકળ ભેગી છાતી ખખડે, પ્રગટી ઉઠે પ્રાણ,
પછી અજંપો બાથ ભીડીને રોજ થતો મહેમાન;
આંખ્યું અંતે પથ્થર થાશે, અમે થશું પગથાર…
.                                         વ્હાલમ, આવોને પળવાર!

– પ્રહલાદ જાની ‘તન્હા’

વાંચતાવેંત અસ્તિત્વને અજગરભરડો લઈ ક્યાંય સુધી કેદ રાખે એવું મજાનું ગીત. વાત તો સદીઓ જૂની છે… કાવ્યનાયિકા એના વહાલમને આવવા આર્દ્રસ્વરે વિનવણી કરી રહી છે, પણ ખરી કવિતા વાતની રજૂઆતમાં છે. નાયિકાની માંગ કંઈ બહુ મોટી નથી… મનનો માણીગર જીવનભર માટે કદાચ નહીં જ મળે એ અણગમતી પરિસ્થિતિના સ્વીકાર સાથે એ કેવળ પળવાર માટેનો સાથ ઝંખી રહી છે. કારણ? કારણ કે નાયિકાની આંખોમાં વરસોના વિયોગ અને પ્રતીક્ષાના અંધારા ઘૂંટાયેલ છે અને નાયક જ એના તિમિરઘૂંટ્યાં નયણાંનો ઝબકાર અને તરસમઢ્યા કંઠનો ચિત્કાર છે…

કવિએ દરેક પ્રતીક સમજણપૂર્વક પ્રયોજ્યા છે, અને સમજણપૂર્વક એને ઉકેલીશું તો સુવાંગ સંપૂર્ણ કાવ્યરસની અનુભૂતિ થશે.

Comments (14)

થતી નિત ગોઠડી – શશિશિવમ્

(હરિણી છંદ)

શિશુસ્વપનની સૂકી કાઠી તણી ખડકી ચિતા,
સકળ મુજ શક્તિની કાયા અચેત સુવાડીને;
સળગતું અડાયું હૈયાનું લઈ, સુપ્રદક્ષિણા
પગ લથડતે કીધી, હાથે પ્રકંપિત અગ્નિથી
પરશ કીધું છેલ્લા સંસ્કારે; જરી, મુજ અંગુલિ
લઘુ અડકી ચિન્ગારી, દાઝયો, અને સહુ અંગમાં
પ્રસરી ગઈ અગ્નિજ્વાલાઓ, રહી વધતી
જતી વધત વયની સાથે, ભાર્યો ભૂંજે ઉર ખાલીપો.
જીવતરભર્યા ખાલીપાને ખભે લઈ આથડ્યો,
દહન મહીં શેકાયું આયુ વિછિન્ન થયું, છતાં
અકળ વહતા ચૈતન્યે જે અખૂટ ભર્યું તમે
પલપલ જીવ્યો, શ્વાસે શ્વાસે તમે ધબકી રહ્યા.
નવ અવ કશો ખાલીપો ને ઉરે સભરે ભર્યા;
સતત નીરખું જોડાજોડે, થતી નિત ગોઠડી.

– શશિશિવમ્

સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.

Comments (7)

કેડીનું ગીત – મણિલાલ હ. પટેલ

સૈ હું તો વગડામાં વહી જાતી કેડી… !
રૂપ મારું વાયરાની લ્હેરખી :
હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
સૈ હું તો આઘા મલકની કેડી… !

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડે વિંટળાઉં અને
ઘાટીલી ટેકરીઓ લે મને તેડી
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી… !

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
સુંવાળા રસ્તાઓ શમણાંમાં આવતા
જાય મારી બલ્લા! જયાં પથ્થરમાં
કોરેલાં હોય બધાં માઢ અને મેડી
સૈ હું તો ભવભવની કેડી… !

– મણિલાલ હ. પટેલ

વગડાની કેડી એટલે રોડ લેસ ટ્રાવેલ્ડ. ખેતર-પાદર વચ્ચેની મુખ્ય કેડીથી એ અલગ તરી આવે. કાવ્યનાયિકા સ્વયંને વગડામાં વહી જતી કેડી કહી ઓળખાવે છે, ત્યારે એનું અલ્લડ અળગાપણું છતું થાય છે. આ કેડી કેવળ પાદરની કેડી નથી, એ આઘા મલકની પણ છે… મતલબ એ ગામના યુવાનોને હાથવગી નથી, અથવા તો આઘા મલકમાં કોઈને એ હૈયાદાન કરી ચૂકી છે. એ ધોરી મારગ મેલીને મસ્તીમાં ફંટાતી ચાલે છે. ગામેગામના યુવાનો એના પર નિછાવર થવા તત્પર છે, પણ એને પથ્થરમાં કોરેલ માઢ-મેડી જેવા ચીલાચાલુ યુવાનોમાં રસ નથી… એ તો ભવોભવ સાથ નિભાવે એવા સુંવાળા રસ્તાઓના શમણાં જુએ છે…

Comments (6)

(તમારી યાદ પણ) – ગિરીશ રઢુકિયા

રોજ કનડે છે તમારી યાદ પણ.
બારમાસી છે અહીં વરસાદ પણ.

લાખ વાતો આપણી તો થાય છે,
આપણી વચ્ચે નથી સંવાદ પણ.

આપ આવો- ના જ આવો સાંજ પર,
મેં કરી છે ક્યાં કશી ફરિયાદ પણ?

ચોતરફ છે આપનું હોવાપણું,
આપના ચાલ્યાં ગયાંની બાદ પણ.

મુક્ત પંખી જેમ હું જીવ્યા કરું,
આપની બાબત હજી અપવાદ પણ.

– ગિરીશ રઢુકિયા

ખરી કવિતા જ એ જે સાંપ્રત સમયના પડઘા ઝીલે… આપણે ભણતાં હતાં ત્યારે ચોમાસુ ચાર મહિનાનું ગણાતું અને વરસાદ પણ પાઠ્યપુસ્તકની શિસ્તનું પાલન કરતો. પણ હવે વારે-તહેવારે સમુદ્રમાં સર્જાતા દબાણોના પ્રતાપે વિદેશોની જેમ આપણે ત્યાં પણ વરસાદ ગમે ત્યારે આવતો થઈ ગયો છે. આ વરસે તો હજી એની બેટિંગ પૂરી થતી નથી. બારમાસી થઈ ગયા જણાતા વરસાદને કવિએ મત્લામાં આબાદ ઝીલી બતાવ્યો છે. વાત તો બારેમાસ રોજેરોજ વરસતા રહી તરબતર રાખતી પ્રિયજનની યાદોની છે, પણ રૂપક તરીકે કવિએ ઋતુરાજની પ્રવર્તમાન પરિસ્થિતિને ખપમાં લીધી છે… દસેક વર્ષ પહેલાં લયસ્તરો પર કવિની જ એક ગઝલ પ્રગટ કરી હતી… એમાં વરસાદ માપસર પડતો ન હોવાની ફરિયાદ હતી. આજના આ બારમાસી વરસાદ સાથે વરસાદને પણ સાથોસાથ સરખાવી જોજો.

વાત અને સંવાદ વચ્ચેનો તફાવત પણ કવિએ કેવી હળવાશથી સમજાવ્યો છે! વાત સમ-વાત ન થાય ત્યાં સુધી બધું નકામું. બે જણ વચ્ચે વાત નહીં, સમ-વાદ થાય ત્યારે સાથે હોવું સાર્થક થાય. ચોથો શેર પણ મત્લાની જેમ સ્મૃતિલોકનો જ મહિમા કરે છે.

Comments (9)

અલ્ઝાઈમરનું કાવ્ય – કિરણસિંહ ચૌહાણ

ધીમેધીમે
અજાણ્યાં લોકો વધી રહ્યાં છે.

– કિરણસિંહ ચૌહાણ

લઘુકાવ્યની એક આખી અલગ જ દુનિયા છે. ઇમેજિસ્ટ પોએટ એઝરા પાઉન્ડે દોઢ જ પંક્તિમાં અજરામર કાવ્ય આપ્યું -‘ઇન અ સ્ટેશન ઑફ ધ મેટ્રો!’ ગુજરાતી કવિઓય કંઈ પાછા પડે એમ નથી. સુન્દરમે દોઢ જ પંક્તિમાં પ્રેમનો આખેઆખો ઉપનિષદ આપ્યો છે –તને મેં ઝંખી છે… તો રાજેન્દ્ર શાહે પણ બે પંક્તિમાં સંકુચિતતાના ત્યાગનો મહિમા વર્ણવ્યો છે- ઘરને ત્યજી જનારને… લઘુકાવ્ય એટલે જાણે કે હાઇકુ. પીંછીના ઓછામાં ઓછા લસરકે સર્જક આખેઆખું ચિત્ર કે મનોભાવ તાદૃશ કરી બતાવે. પ્રસ્તુત કાવ્ય પણ આવું જ મજાનું લઘુકાવ્ય છે. કોઈપણ પ્રકારની સરખામણી કર્યા વિના જ કહી શકાય કે દોઢ જ પંક્તિમાં કવિએ અલ્ઝાઇમરની બિમારીનું સુવાંગ ચિત્રાંકન સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. બાહોશ ફોટોગ્રાફર કોઈ મનહર દૃશ્યને આખેઆખું આબાદ ઝડપી લે એ જ કુશળતાથી દોઢ જ પંક્તિમાં કવિએ બિમારીને ઝીલી બતાવી છે…

Comments (16)

વનરાજી – પ્રતિષ્ઠા પંડ્યા

તારી યાદથી
જેકરંદાને ફૂલ ખીલે છે
ને જાંબુડી પર બેસે છે
ભૂખરાં ફળ.

તારા હસવાથી
થઈ પાણી વહે છે
શરીરની તમામ સરહદો
તારી કસ્તૂરીનજર
દોડતાં કરી મૂકે છે
મારી અંદર મૃગલાઓને
કોઈ અજાણી શોધમાં.
તારો અવાજ
ભરી દે છે શ્વાસમાં
ભીની માટી, સુક્કાં બીજ,
ને માદક સાલનાં ફૂલોની
ઓળઘોળ થઈ જતી સુવાસને
તું કોણ છે જે ઊઘડે છે આમ
મારામાં થઈને વનરાજી?

– પ્રતિષ્ઠા પંડ્યા

પરમેશ્વર, પ્રકૃતિ અને પ્રણય –વિશ્વની દરેક ભાષાની કવિતાઓના કેન્દ્રમાં રહ્યા છે. પ્રસ્તુત રચનામાં પ્રકૃતિને માધ્યમ બનાવીને સર્જકે પ્રણયની પરમોત્કૃષ્ટ પળ આલેખી છે. યાદ રહે, અહીં કેવળ પ્રિયતમની યાદ, હાસ્ય, નજર અને અવાજથી નાયિકાના તનમનમાં થતા જાદુની જ વાત છે. સ્પર્શ, આલિંગન કે ચુંબનને તો હજી કાવ્યપ્રવેશનું સુખ પણ મળ્યું નથી. સ્પર્શ પહેલાં જ શરીરની તમામ સરહદો પાણી પાણી થઈ જાય છે, કાંઠાઓ ઓગાળી વહી નીકળે છે… પ્રણયનો આ કેવો ઉચ્ચ તબક્કો હશે, જ્યાં એક પાત્ર બીજી પાત્રમાં સમસ્ત વનરાજી થઈને ઉઘડતી હશે!

(જેકરંદા અને સાલનાં વૃક્ષથી અજાણ મિત્રો માટે ગૂગલદેવતાની મદદથી મેળવેલ ફોટોગ્રાફ્સ હાજર છે.)

જેકરંદા

જેકરંદા

સાલ

Comments (6)

ગબડું અને પકડું — મનહર મોદી

ગબડું! ઓ ગબડું!
પકડું! ઓ પકડું!

તારું અસલ નામ તે શું?
હોજી અસલ નામ તે શું?
ગબડું! ઓ પકડું!

તને જાણીએ
અને માણીએ
આછું અમથું તો પણ લાગે ભરચક ભારે ભૂ         ગ.

ક્યાંથી આવ્યો?
કેવો ભાવ્યો?
ઝળહળ અંધારાની અટકળ પળ પળ કરતો છૂ!         ગ.

ઘડીક આછું
ઘડીક પાછું
વાદળ તડકે તડાક તૂટ્યું ઐસા બોલે ક્યું?         ગ.

ઉંદર છે ડુંગરનું સપનું
જંગલ મોટું વૃક્ષ વખતનું
પડઘાઓ પોતાને પૂછે અહીં આપણું શું?         ગ.

ચાર દિશા ચોસઠ બાજુ છે
સવા શેર આદૂ ખાધું છે
આંખ મહીં અધમણ ઊકળ્યું છે લીલું ચોમાસું.         ગ.

ધડાક ધડ ધડ
ફડાક ફંડ ફડ
કોણ ઉકેલે પડ પડ મારી ભીતસું ચાંદરણું.         ગ.

મારા મનમાં કલબલ ઊગ્યું
ને અધ્ધર આકાશે પૂગ્યું
એક ઝાપટે એક સપાટે વિસ્તરતો તે તું?         ગ.

અમે શોધીએ
અમે ખોદીએ
ગત સમયનું ઘણું ગયું પણ બાકી રહે છે ‘હું’         ગ.

– મનહર મોદી

કવિતાને વરસોવરસ ઘાણીના બળદની જેમ એક જ ઘરેડમાં ચાલ્યા કરતી જોઈ થાકી-પાકી ગયેલ કેટલાક સર્જકોએ આઝાદી પછી નવી કવિતાનો રાહ પકડ્યો હતો, એમાંના એક તે મનહર મોદી. શબ્દોના પરંપરાગત અર્થમાળખાને તોડીફોડીને કવિ ઘણીવાર ધ્વનિ અને સંવેદનની નવ્યલીલા રચી ચેતન અને અસ્તિત્ત્વના મૂળ સુધી પહોંચવા મથતા જણાય છે. પ્રસ્તુત રચના પણ રૂપકાત્મક અસ્પષ્ટતા અને ભાષાક્રીડાથી ભરપૂર એબ્સ્ટ્રેક્ટ ગીતરચના છે. ગબડું અને પકડું –બે ઘડી માથું ખણતાં કરી દે છે. ગબડું કદાચ પ્રતીક છે અરાજકતા, ગડમથલ અને પતનનું, અને પકડું કદાચિત રૂપક છે નિયંત્રણ અને નિશ્ચિતતાનું. આ બેની વચ્ચેના ટગ-ઑફ-વૉરમાં કથક પોતાના અસલ નામ અને ઓળખની શોધ કરતા જણાય છે. ટુ બી ઓર નોટ ટુ બી જેવી આ દ્વિધાને આછી અમથી જાણીએ-માણીએ તોય ભારે ભરચક લાગે છે. એના મૂળની શોધની યાત્રા નાની નાની ચોટદૂક પંક્તિઓ અને ધડાક ધડ ધડ જેવા રવાનુકારી શબ્દોની મદદથી આગળ વધે છે. ‘મારા મનમાં કલબલ ઊગ્યું /ને અધ્ધર આકાશે પૂગ્યું’ –અવચેતન માનસની કોસ્મિક વિસ્તરણ તરફની ગતિ નિર્દેશે છે. ગમે એટલી શોધખોળ કેમ ન કરીએ, ‘હું’ યાને અસ્તિત્ત્વનું મૂળ તો અવિનાશી જ છે…

Comments (8)

સાહેબ તેરા સાઈ! – દાન વાઘેલા

સાહેબ તેરા સાઈ!
માલા બિચ બના ધાગાઃ જ્યમ ફૂલ મેં સુગંધ સમાઈ!
.                                     ૦ સાહેબ તેરા સાઈ…!

જ્ઞાન-ધ્યાન મેં ખુદ અલગારી!
હૃદયસ્થિત હરપલ હિતકારી!
કાગજ કલમ બિન કર લેતા વો ઢાઈ અક્ષર કી કમાઈ!
.                                 ૦ સાહેબ તેરા સાઈ…!

પલ પ્રવાહ જબ ‘દાન’ કો ડારે;
નાભિસ્થંભ રહે મૂલાધારે!
જલ પર તલ કી નાવ ચલા કે કુછ ના લે ઊતરાઈ!
.                                ૦ સાહેબ તેરા સાઈ…!

– દાન વાઘેલા

ભક્તિમાર્ગના ગીતો પ્રારંભથી જ ગુજરાતી કવિતાનો મુખ્યસ્તંભ રહ્યો છે. વળી, હરિભક્તિની વાતો કરવા કાજ આપણા કવિઓએ ઘણીવાર ખડી બોલી, વ્રજ, તથા હિન્દીનેય ખપમાં લીધી છે. હેતુ તો એક જ છે, હૈયાની આરત ગાવાનો… પછી ભાષાના વાઘાંને શું કરવા? કવિ દાન વાઘેલાની આ રચના પણ આ ખજાનામાં ઉમેરો કરે છે. પ્રથમ બંધ સામાન્ય થયો છે, પણ મુખડું અને બીજો બંધ બાજી મારી જાય છે.

Comments (16)

કડવાં કારેલાં – સુન્દરમ્

કડવાં કારેલાંના ગુણ ન હોય કડવા હો,
કડવાં વચન ન હોય કડવાં હો રે.

છીણી છેદે ધાતુ કરવા ઘાટુડી,
કાતર કાપે ફરી સાંધવા હો રે,
સોની તાવે શુદ્ધ સુવરણ કરવા,
કુંભારી ગૂંદે માટી બાંધવા હો રે.           કડવાં૦

તપતા સૂરજ ખારાં જળ મીઠાં કરવા,
ચઢતા વંટોળ મેઘ ભરવા હો રે,
ધરતી ધૂણે હલકી કાયાને કરવા,
ધરમી કોપે પાપ હરવા હો રે.             કડવાં૦

દુનિયાના રોગદોગ દુઃખ મારે દિલ વસ્યાં,
માનવીના મેલ ઝાઝા નીરખ્યા હો રે.
કોયો ભગત કાઢે કડવાં વચન, ભાઈ!
કડવું સુણીને કોક હરખ્યા હો રે.       કડવાં૦

– સુન્દરમ્

આપણામાંથી મોટાભાગનાઓને શાળાના પાઠ્યપુસ્તકમાં આ રચના ભણવામાં આવી હશે. કવિના પ્રથમ કાવ્યસંગ્રહ ‘કોયા ભગતની કડવી વાણી અને ગરીબોનાં ગીતો‘ (૧૯૩૩)માંની આ રચના અલગ-અલગ ચીજોથી લઈને મનુષ્યના સ્વભાવ અને વર્તનના દાખલાઓની મદદથી દેખીતી ખરાબ વસ્તુઓ બધી ખરાબ હોય એ જરૂરી ન હોવાની વિભાવના સુપેરે સમજાવે છે. કારેલાંની જેમ જ કોઈને પણ કડવું કહી દેવાના બદલે એની કડવાશ પાછળના હેતુને ઓળખતા શીખી જવાય, તો સાચેસાચ જીવનમાંથી ઘણીબધી કડવાશ દૂર થઈ જાય.

Comments (4)