લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
વિવેક મનહર ટેલર

શિખરું ઊંચાં ને – મનસુખલાલ ઝવેરી

શિખરું ઊંચાં ને મારગ આકરા.
નહિ કોઈ સાથ કે સંગાથ,
નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારંગ આકરા.

લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં,
શિખરું ઊંચાં ને મારગ આકરા.

ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ,
પંડને ખૂવે તે પ્રીતમ પામતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.

– મનસુખલાલ ઝવેરી

કેટલીક રચનાઓ એમ જ માણવાની હોય… કવિના હૃદયમાંથી ફૂટેલા શબ્દો ભાવકના હૃદયને સીધેસીધા અડતા હોય ત્યારે આસ્વાદક કે વિવેચકે વચ્ચેથી હટી જવું જોઈએ… આ ગીત જુઓ… કેવું મજાનું છે! એને એક વાર વાંચો.. બે વાર વાંચો… ત્રીજીવાર વાંચો… દરેક વાંચને આ રચના હૃદયવીણાને વધુને વધુ ઝંકૃત કરતી અનુભવાશે…

(બંકડા= નરબંકો, બહાદુર; રામૈયો= રામ; તાકતાં= પાટિયાં)

2 Comments »

  1. વિજય રાજયગુરુ said,

    May 23, 2026 @ 2:44 PM

    સરસ
    રચના જે મેં ભણાવી પણ છે
    રચના પસંદગી અને ટિપ્પણી ખુબ સરસ

  2. Kishor Ahya said,

    May 23, 2026 @ 3:43 PM

    ગુજરાતી ભાષામાં અસંખ્ય ભક્તિપદો જોવા મળે છે એના બે કારણો છે એકતો કવિઓની સંખ્યા સારી હોય તેવું લાગે છે, બીજું ગુજરાતી પ્રજાના પ્રભુ ભક્તિના ગહન સંસ્કારો. આમ કવિઓ માટે ભક્તિપદ રચવું થોડું સહેલું પણ બને છે ને સોનામાં સુગંધ જેવું છે. જેમ સમુંદર ગમે ત્યાંથી ચાખો એ ખારોજ હોવાનો, એવું જ ભક્તિપદનું છે ,ગમે તે પદ જુઓ, ઊંડા ઉતરી ખોવાય જવાની જ વાત હોય!,અહીં પોતાને ખોઈને જ પ્રીતમનો સંગાથ મેળવી
    શકવાની વાત છે. છાતીના પાટિયા બેસી જાય તેવા આકરા મારગે આળપંપાળ છોડી રામ ઉપર ભરોસો રાખી આ માર્ગે ચાલવાનું કવિ કહે છે

    ” લિયે એ મારગ નર કોઈ બંકડા,
    છોડી આળ ને પંપાળ,
    રાખી રામૈયો રખવાળ,
    કાચી રે છાતીનાં બેસે તાકતાં,
    શિખરું ઊંચાં ને મારગ આકરા.”

    કવિ અહીં માર્ગને આકરો મારગ કહે છે કવિ ક્યાં મારગની વાત કરે છે?

    મનુષ્ય જીવનમાં ઘણી વાર ‘ઇશ્વરની ઇચ્છા’ શબ્દ પ્રયોગ કરે છે પણ વાસ્તવમાં એ એક મજબૂરી પણ હોય છે ! કોઇપણ બનાવ બને ત્યારે કશું જ કરી શકાય તેમ ન હોય ત્યારે જ ઘણે ભાગે આમ કહેવાતું હોય છે! પણ જો સમજાય તો દરેક કૃત્ય ઇશ્વરની મરજીથી જ થાય છે,અથવા નથી થતું. મનુષ્ય તો કારણ માટે માત્ર નિમિત ! પોતાનો અહંકાર ને પૂરેપૂરો ઓગાળી નાખી ઉપાધિ વ્યાધિથી મુકત થઈને જે થાય તે ઇશ્વરની મરજી, એમ સાચેજ પણ જીવી શકાય! આમ તો આ સરળ લાગે છે પણ જ્યારે વ્યવહારમાં અમલ કરવાનો સમય આવે ત્યારે પોતાનો કર્તા જાગી જાય છે અને ઉપાધિ વ્યાધિમાં ઘેરાય જાય છે! આથી ભક્તિમાર્ગને ક્ઠીન કહ્યો છે. આ અંગે ઘણું કહી શકાય પણ પોતાનું જીવવું કે મરવું ,ઈશ્વર ઉપર છોડી દઈ કર્તાભાવ ત્યજી દઈ સમર્પણ ભાવમાં જીવને વહેતો મૂકી દેવો એ છે ભક્તિમાર્ગ.

    સરળ અને માધુર્યથી ભરેલા શબ્દોમાં લખાયેલું આ ભક્તિગીત ખૂબ ગમ્યું. શ્રી વિવેકભાઈ એ ગીતની સરસ પસંદગી કરી છે.

    🌹🌹🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment