સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
કલાપી

બોલો! – નિરંજન ભગત

બોલો!
સખે, કુંઠિત કંઠ ખોલો!

અરધે અધૂરું
મેલ્યું, હવે શું કરશો ન પૂરું?
શું શબ્દથી મૌન વિશેષ તોલો?

સ્વરહીરદોરે,
હિંડોલિયો સ્હેજ પ્રભાતપ્હોરે;
એ સ્તબ્ધ હાવાં હિયનો હિંડોલો!

એ ગીતગોપી
રાસે રમાડો, વ્રજકુંજ લોપી
આ કૃષ્ણશો કાળ જતો અમોલો!

– નિરંજન ભગત

નાનું અમસ્તું ગીત પણ કેવું મધુરું અને અસરદાર! અડધુંઅધૂરું કહીને અચાનક મૌન થઈ જઈ વાત પૂરી ન કરતા પ્રિયપાત્ર સામેની મીઠી ફરિયાદ અને માર્દવ અરજનું આ ગાન છે. જીવનના પ્રભાતે રેશમ જેવા સ્વરના દોરે હૈયાનો હિંડોળો સહેજ હીંચક્યો-ન હીંચક્યો ત્યાં તો સ્તબ્ધ થઈ સ્થિર થઈ ગયો. ગોપી-કૃષ્ણની જેમ સહવાસનો રાસ રમવાનું આ અણમોલ ટાણું તો વ્રજ-કુંજ જેવા અસ્તિત્ત્વને ઠેકીને પળમાં વહી જશે.

સામાન્યરીતે ગીત માત્રામેળના અવર્તનોમાં લખવાનો ચાલ છે. પણ સમર્થ કવિએ અત્રે ખંડ ઇન્દ્રવજ્રા (અક્ષરમેળ) છંદ (ગાગાલ ગાગાલ લગાલ ગાગ) પ્રયોજ્યો છે. દોઢ-દોઢ પંક્તિના મુખડા-અંતરા અને ચુસ્ત પ્રાસાવલિના કારણે રચના વધુ હૃદ્ય બની છે.

આજથી પોણાસો વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૫૦માં લખાયું હોવા છતાં ગીત કેવું તાજું પ્રતીત થાય છે!

Leave a Comment