પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
– રમેશ પારેખ

આવકાર સપ્તાહ: ૦૩: ‘તંનૂર’ – નરેન્દ્ર વેગડા

વાંસળીના સૂર – નરેન્દ્ર વેગડા

વ્હાલા! તારી વાંસળીના સૂર મને ના સંભળાય!
વ્હાલા! કાળી મજૂરીના મૂલ તને ના સમજાય!

કેમ કરીને વારી જાઉં? મોરપિચ્છના તારા મુકુટ પર,
સાંજ પડે કળાય છે થાકનો ભાર મારા ભૃકુટ પર.
બળ્યા પેટની રાસલીલા મારી છાતીના ડૂમે અથડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય!

નથી પાસ જમનાના જળ કે નથી ઢૂકડા પાણીના નળ,
હાલી હાલીને થાકી જાઉં, પાણીનું બેડલું જાણે કે છળ.
હામ ભીડીને પહોંચું જો ગામના કૂવે તો કૂવો અભડાય, વ્હાલા!
તારી વાંસળીના સૂર મને ના સંભળાય !

– નરેન્દ્ર વેગડા

લયસ્તરો પર કવિશ્રીના બીજા કાવ્યસંગ્રહ ‘તંનૂર’નું દિલી સ્વાગત…

આમ તો કવિતાના દલિત અને સવર્ણ એવા ભાગલા પાડવા જ ન જોઈએ, પણ દુનિયાની ગમે એટલી પ્રગતિ થવા છતાં સમાજમાં આજેય આ બે વર્ગ એક થઈ શક્યા નથી. એટલે સમાજના શોષિત વર્ગમાંથી વેદનાની બસૂરી વાંસળી સાંભળવાની તૈયારી રાખવી જ પડે. કવિ શ્રીકૃષ્ણને વહાલા કહીને સંબોધે છે. આ કટાક્ષ જ કેવો કારમો છે! વહાલા હોય એ કદી દખનાં વખ પીવડાવે ખરા? ગરીબોનો બેલી તો ભગવાન પણ બનતા નથી. ‘વહાલો’ પીડિતોની કાળી મજૂરીના મૂલ સમજી શકતો નથી, પરિણામે ગરીબના કાન એની વાંસળીનાં સૂર સાંભળી શકતા નથી. માથે દિવસભરના વૈતરાના થાકનો ભાર વર્તાતો હોય એ માણસ કૃષ્ણના મોરપીંછ પર શું ધ્યાન આપે? સમાજનો આ શોષિત વર્ગ પણ રાસલીલાનો ભાગ તો બને છે, પણ આ રાસલીલા બળ્યા પેટની છે, જે છાતીમાં ડૂમો બની ગૂંગળાવે છે. દલિત વર્ગને તો પાણીનુંય સુખ નથી. ગામનો કૂવોય એમના માટે તો વર્જ્ય છે. કૃષ્ણની યમુના અને નળ માટેની રઝળપાટના વિરોધાભાસમાંથી જે હૃદયવિદારક ચીસ ઊઠે છે, એ સમાજના મોભીદારોને કદી સંભળાશે ખરી?

5 Comments »

  1. DILIP DHOLAKIYA SHYAM said,

    May 7, 2026 @ 11:33 AM

    આવકાર🌹🌹

  2. Jinal Solanki said,

    May 7, 2026 @ 7:06 PM

    Some poems are really eye openers. They just don’t lighten the harsh reality of society, but show the silent war being fought inside the human. Krishna , The God. We all pray him with same emotions, but for few, he is different. Can’t express in words it is such beautiful.

  3. Vrajesh Mistri said,

    May 8, 2026 @ 4:44 PM

    વાહ… બીજો બંધ સુંદર છે…

  4. ramesh maru said,

    May 9, 2026 @ 6:14 PM

    સાચી વાત કરી છે કવિએ…
    હજી પણ અંતરિયાળ ગામોમાં આજની તારીખે પણ આ જ સ્થિતિ જોવા મળે છે.
    એટલે વેદના તો એની એ જ છે બસ ખાલી એકવીસમી સદીનો પા ભાગ વીત્યો છે…
    🙏🏻

  5. Poonam said,

    June 20, 2026 @ 7:34 PM

    તારી વાંસળીના સૂર મને ના સંભળાય !
    – નરેન્દ્ર વેગડા – 😊

    Aasawd 👌🏻

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment