પ્રિય તારું નામ લખતાં પેન હાંફી જાય જ્યાં,
એ ક્ષણે તૈયાર ફકરો કોણ આપી જાય છે?
વિનોદ રાવલ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for યોહાન ફૉસ

યોહાન ફૉસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




જોડાણ – યોહાન ફૉસ (જર્મની) (અનુ.: વિવેક મનહર ટેલર)

બધા રસ્તા લઈ જાય
રોમ તરફ

બધા રેલવે ટ્રેક
બર્કનાઉ તરફ

– યોહાન ફૉસ
(અંગ્રેજીમાંથી અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા એટલે શબ્દો દ્વારા કરાતી આંતર્મનની અભિવ્યક્તિ. કવિતાને અસરદાર કે ઉત્તમ બનાવવા માટે વધુ શબ્દો અનિવાર્ય પણ સાચી અનુભૂતિની તીવ્રતા જ શબ્દોની સંખ્યા નક્કી કરી શકે. શબ્દ જેટલા વધારે એટલી કવિતા વધુ પ્રભાવક એવો કોઈ નિયમ હોતો નથી. આપણી પાસે એક તરફ મહાકાવ્યો છે અને બીજી તરફ હાઇકુ અને લઘુકાવ્યો. ઉત્તમ કવિતા બંને છેડે સંભવી શકે. જર્મન કવિ યોહાન ફૉસનું આ સાવ જ ટબુકડું કાવ્ય લોહી થીજાવી દે એવું ચોટદાર થયું છે.

‘All roads lead to Rome’ એ અંગ્રેજીની બહુ જાણીતી કહેવત છે. આપણે ત્યાં જે રીતે કાશી-વારાણસી એ રીતે પાશ્ચાત્ય દેશોમાં રોમ એ સાંસ્કૃતિક કેન્દ્રસ્થાન છે, જ્યાં વડા ધર્મગુરુ પોપ બિરાજે છે. રોમ એ આધ્યાત્મિક જ નહીં, માનવસભ્યતાનો માર્ગ પણ છે.

બીજા વિશ્વયુદ્ધનો આરંભ થયો એ પહેલેથી હિટલરે યહૂદીઓનો ખાત્મો બોલાવવાનું શરૂ કરી દીધું હતું, પણ વિશ્વયુદ્ધ દરમિયાન આ નરસંહાર ચરમસીમાએ પહોંચ્યો. યહૂદીઓને મારવામાં અનુકૂળતા રહે એ ખાતર પોલિશ કબ્જા હેઠળનું ગામ બ્ઝેઝીનકા ખાલી કરાવ્યું, ધ્વસ્ત કર્યું અને બર્કનાઉ છાવણીઓની સ્થાપના કરી. આ સ્થળ મુખ્ય વસ્તીવાળા ભાગોથી દૂર અને બધા છેડાની રેલવેલાઇનથી જોડાયેલું હતું. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે જે રીતે બંને દેશ વચ્ચેની ટ્રેન માણસોથી ઊભરાતી હતી, એ જ રીતે યહૂદીઓને ઠાંસી ઠાંસીને ભરેલ ટ્રેન બર્કનાઉ રવાના કરાતી, જ્યાં કુખ્યાત જઘન્ય નરસંહાર ‘હોલોકાસ્ટ’ સર્જાયો.

બધા રસ્તા મનુષ્યની આધ્યાત્મિક તથા સામાજીક ઉન્નતિ તરફ દોરી જાય છે. પણ બધા રેલવે ટ્રેક સામૂહિક નરસંહાર તરફ.

Connections -Johann Voss

all roads lead
to rome

all railway-tracks
to birkenau

(Translated from the German by Adam A. Zych)

Verbindungen

Alle Wege führen nach
Rom

alle Gleise
nach Birkenau

Comments