જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.
ઉર્વીશ વસાવડા

હજી પણ – જવાહર બક્ષી

અને મારી નજરનો ભ્રમ હજી પણ યાદ આવે છે
પછીનો બુદ્ધિ પર સંયમ હજી પણ યાદ આવે છે

મેં જે પહેલા પ્રણય વખતે હવાને ભેટ આપી’તી
આ સન્નાટામાં એ સરગમ હજી પણ યાદ આવે છે

ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે
જો તારા સ્પર્શનું રેશમ હજી પણ યાદ આવે છે

અજબની તાલાવેલી ને કોઈની ચુપકીદી પાછી
ભલે વીતી ગઈ મોસમ હજી પણ યાદ આવે છે

મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે

– જવાહર બક્ષી

2 Comments »

  1. pragnajuvyas said,

    August 3, 2022 @ 9:17 PM

    અદભુત ગઝલ
    મુંબાઇ યુનિ. માં માત્ર ૨૬ વર્ષના આ કવિની અસંગ્રહસ્થ ગઝલોનો વિશેષ અભ્યાસ માટે સમાવેશ થાય,અહીં અમેરિકામાં બાર વર્ષ રહૅનાર તથા વિશ્વભ્રમણ કરનાર,૧૦ વર્ષ મહેશ યોગી સાથે સાન્નિધ્ય સાથે ઋષિકેશના જંગલોમાં યોગ સાધનાજીવન જીવનાર જવાહર બક્ષીની આખી ગઝલ સંત વાણી જેવી-તે કહે-
    મને સમજણ પડી ન્હોતી ‘ફના’ એ વાત જુદી છે
    કહેલું તેં કશું મોઘમ, હજી પણ યાદ આવે છે
    વાતે યાદ આવે
    મને થોડી અગવડ પડી રહી’તી એથી ‘ફના’ ઘર બદલતાં મેં બદલી તો નાંખ્યું,
    પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ.
    છસોથી વધુ ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી તે તેનું ઉત્તમ કામ હતુ નહીં તો એના જીવન સંદેશરુપ શ્રેષ્ઠ અને સાર તત્વ માણવાને બદલે મારા જેવા સામાન્યજન સામાન્ય ગઝલમાં જ અંટવાતા હોત!
    સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
    તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો
    અભિવ્યક્તિ અનુભવાય
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

  2. dhruv kumar said,

    July 10, 2026 @ 9:55 AM

    ​ શું પોતાને નામે ગઝલના મોટા સરવાળા (સંખ્યા) વધારવા માટે? ઘણા કવિઓ માટે લાંબી રદિફ એ શોર્ટકટ અથવા સહેલો રસ્તો બની જાય છે.
    ​મહેનત ઓછી, પાનાં વધારે: જ્યારે રદિફ આટલી લાંબી હોય, ત્યારે શેરની અડધી લીટી (મિસરો) તો પહેલેથી જ નક્કી થઈ જાય છે. કવિએ માત્ર આગળ એક નાનો કાફિયો (ભ્રમ, સંયમ, સરગમ, રેશમ, મોઘમ) જ ગોઠવવાનો રહે છે.

    ​ચમત્કૃતિનો ભાસ: આવી ગઝલો મુશાયરાઓમાં સામાન્ય શ્રોતાઓને બહુ આકર્ષિત કરે છે. શ્રોતાઓ આખી રદિફ સાંભળીને ઝૂમી ઊઠે છે, જેથી કવિને સસ્તી વાહ-વાહી મળી જાય છે. એટલે હા, માત્ર ડાયરીના પાનાં ભરવા અને ગઝલોની સંખ્યા વધારવા માટે આવી રચનાઓ બહુ કામ લાગે છે.
    ​ લાંબી રદિફ રાખવાનું કાવ્યાત્મક કારણ (જો કવિ સક્ષમ હોય તો)
    ​જો કોઈ મોટો અને સિદ્ધહસ્ત કવિ લાંબી રદિફ પસંદ કરે, તો તેનો હેતુ ગઝલમાં એક ખાસ લય (Rhythm) અને સંમોહન (Trance) ઊભો કરવાનો હોય છે. વારંવાર એક જ પંક્તિનું પુનરાવર્તન મનમાં એક ચોક્કસ સ્થિતિ પેદા કરે છે.

    ​પરંતુ, શરત એ છે કે રદિફ લાંબી હોય તો પણ દરેક શેરમાંછી ‘બુદ્ધિ પર સંયમ’ — આ બંને વિરોધાભાસી વાતોને માત્ર કાફિયા મેળવવા માટે જોડી દીધી છે.
    પ્રથમ શેર ..
    ભ્રમ કયો અને સંયમ કયો ? કહેવાનું હોય કે બતાવવાનું હોય ? કવિ પાઠકને કશું બતાવતા નથી .અતિશય નબળો શેર છે.
    ​બીજો શેર: ‘હવાને ભેટ આપી’તી… એ સરગમ હજી પણ યાદ આવે છે’ — આ શેર સાંભળવામાં સારો લાગે છે, પણ ‘હવાને ભેટ આપવી’ એ માત્ર એક કાલ્પનિક વાક્યપ્રયોગ (શબ્દ-આડંબર) જ છે…ફરી કઈ ભેટ ?
    ​ત્રીજો શેર: ‘ત્વચાની ઝણઝણાટી પાતળો પર્દો બની થીજે’ — આ પંક્તિ વાંચતાં જ સમજાય છે કે ‘થીજે’ અને ‘રેશમ’નો મેળ બેસાડવા માટે શબ્દોને કેટલા પરાણે ખેંચવામાં આવ્યા છે. ઝણઝણાટી ક્યારેય થીજીને પર્દો ન બને!
    ​ લાંબી રદિફ રાખવાથી કવિતાનું કાવ્યતત્વ (Poetry) ઘણીવાર નબળું પડી જાય છે અને તે માત્ર એક ‘ફોર્મ્યુલા રાઇટિંગ’ (ગોઠવણની રમત) બની જાય છે. કવિ અહીં પણ ભાવની ગંભીરતા કરતાં રદિફ-કાફિયાની સવારી કરવાનો આનંદ વધારે લઈ રહ્યા હોય તેવું જ પ્રતીત થાય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment