વાતે વાતે મને લાગતું… – વિનોદ જોશી
વાતે વાતે મને લાગતું : તને લાગશે કેવું?
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પરાપૂર્વથી પાણી તો પાણી છે એણે ખળભળવાનું હોય : એટલું કહેવું છે,
જાણી લે કે મોજાંની ઢગલીએ જઈને ઊંડાં તળિયે સાવ એકલું રહેવું છે!
પણ,
તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;
પણ,
મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!
દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!
– વિનોદ જોશી
માનવસંબંધની સંકુલતાનું ગાન. કવિ એમ નથી કહેતા કે વાતે વાતે તને વાંકુ પડે છે, એ તો વાતે વાતે પોતાના વર્તાવથી સામી વ્યક્તિને શું લાગશે એની ચિંતામાં ગરકાવ છે. માનવસંબંધની આ સૌથી કરુણ બાજુ છે. પોતાની ઇચ્છાને અવગણીને સામાને અનુકૂળ થવાની રઢમાં ઘણીવાર બાવાનાં બેય બગડતાં હોય છે. ‘વાતે વાતે’ – આ દ્વિરુક્તિ પણ ગીતને કેવી ઉપકારક નીવડી છે! આ કોઈ એક વખતની સમસ્યા નથી,આ સમસ્યા તો ડગલેને પગલે કથકને કનડી રહી છે. નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો કહે છે એના પરથી એને પ્રિયા માટે કેટલો પ્રેમ છે એનો અણસાર મળે છે. દરિયો – અસીમ, અતાગ, શાશ્વત! પરપોટો- નાનકડો, અસ્થિર, અલ્પજીવી! સુખી થવાની ખરી કળ તો એ કે જે જેવા હોય એવા થઈને રહે. પાણી હોય તો એણે પાણી જ રહેવાનું હોય, ખળખળવું એ જ એનો ખરો ગુણધર્મ. માછલી કાંઠે આવે તો જાનથી જાય, પણ એથી કંઈ એ પાણીનું બખ્તર પહેરીને કાંઠે ન આવે. નાયકને એકલતાનું ઊંડાણ પસંદ છે, પણ સામી વ્યક્તિને તો પડછાયો થઈ ચોવીસે કલાક સાથે પણ રહેવું છે અને નાયકને પોતાના રંગે રંગી પોતાના જેવોય બનાવવો છે. પણ એમ કંઈ ટીપાંને તાણીને દરિયો કરાય? ગીતસ્વરૂપે નાયક જે આપણને કહી રહ્યો છે, એ નાયિકાને કહી શકે છે ખરો? સાચો સંબંધ જ એ જે સામી વ્યક્તિને યથાતથ સ્વીકારી શકે…


Neha Patel said,
April 24, 2026 @ 11:47 AM
સુંદર ગીત….
Vrajesh Mistri said,
April 24, 2026 @ 12:01 PM
વાહ… સરસ મેસેજ.. અને સરસ લય
યોગેશ પંડ્યા said,
April 24, 2026 @ 2:32 PM
વાહ..વાહ.. વાહ! અદ્ભુત ગીત!
દરિયો કરવા.. ગજા બહારનું તાણે છે.
વાહ!
અને આ –
‘ મને ખોઈને હું મારામા તને જીવતો,એવું!’ અદ્ભુત!
Naveen Ghaydar said,
April 24, 2026 @ 7:54 PM
વાહ વાહ અદભુત ગીત છે…ઉપમા સરસ આપી છે…નાયક પ્રિયાને દરિયો અને સ્વયંને પરપોટો ની ઉપમા આપી છે.આ ગીત પરથી આપણેને એવું શીખવા મળે કે આપણે ગમતું વ્યક્તિ જેવી હોય તેવું તેનો સ્વીકાર કરવો… તે જ સાચો પ્રેમ છે, તે જ સાચો સંબંધ છે.
Kishor Ahya said,
April 24, 2026 @ 9:33 PM
“તારે મારો પડછાયો થઈ હોય કાયમી રે’વું!”
“મને ખોઈને હું મારામાં તને જીવતો, એવું!”
સ્ત્રીના જીવનની સચોટ વિચારસરણી અને પુરુષના અહમ અથવા વિચારોનો ટકરાવ કવિએ બહું સરસ શબ્દોમાં વર્ણવ્યો છે. પાણી એટલે પાણી એતો ખળભળે, એટલે મતભેદોતો રહેવાના. નાયકાને સંસાર ગમે છે નાયક સંસાર ની અંદર રહી એકલતા માણવા ઇરછે છે અહીં બંનેની વિચારધારાની વાત કવિએ પાણી, મોજા, દરિયો ,કાંઠો, માછલી વગેરે શબ્દો દ્વારા ખૂબ સરસ દર્શાવી છે.
“પાણીનું બખ્તર પહેરીને કોઈ માછલી નથી આવતી કાંઠે એ તું જાણે છે,”
દરિયો કરવા એક ફાલતુ ટીપાને તું ફોગટ એના ગજાબ્હારનું તાણે છે;
નાયક અહીં જીવનનું સત્ય નાયકાને બતાવે છે,નાયકા નાયકનું બખ્તરનું સરક્ષણ ઈચ્છે છે જ્યારે નાયક માછલીનું ઉદાહરણ આપી નાયકા ને સમજાવે છે કે માછલી કઈ પાણીનું બખ્તર પહેરી કાઠે નથી આવતી! નાયક નાયકા ને કહેવા ઇચ્છે છે કે તું મારા બખ્તરની આશા ન રાખ, જીવનમાં પોતે પોતાનું સરક્ષણ સાધવું- શીખવું જોઈએ. દરેક પંક્તિ પછી નાયક એકજ વાત કરે છે “દરિયા વચ્ચે અમથો જીવું હું પરપોટા જેવું!”
કવિ શ્રી વિનોદ જોશીની “વાતે વાતે મને લાગતું “ખૂબ સરસ રચના છે. શ્રી વિવેકભાઈ એ ગીતની સરસ પસંદગી કરી સરસ આસ્વાદ આપ્યો છે.
🌹🌹🌹🌹
વિવેક said,
April 25, 2026 @ 10:51 AM
પ્રતિભાવ પાઠવનાર મિત્રોનો સાગમટે આભાર