સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.
મનહરલાલ ચોક્સી

અમે મેળે ગ્યાં’તાં – ઉમાશંકર જોશી

Umashankar4

અલકમલક ભેળો થાય,
અમે મેળે ગ્યાં’તાં.
ગામ ગામ આવી ઠલવાય,
અમે મેળે ગ્યાં’તાં.

હૈયું ન હાથ રહ્યું ઊભી બજારમાં;
શોધું હવે ક્યાં હું માનવી હજારમાં?

એ આગળ, હું પાછળ,
અમે મેળે ગ્યાં’તાં,
એ પાછળ, હું આગળ,
અમે મેળે ગ્યાં’તાં.

એ રહ્યો મૂંગો ને હું રહી માનમાં;
સમજ્યાં બંનેમાંથી એકે ના સાનમાં.

એ ગયો પૂરવ, હું પચ્છમ,
અમે મેળે ગ્યાં’તાં;
હું ગઈ ઉત્તર, એ દખ્ખણ,
અમે મેળે ગ્યાં’તાં.

સત્તરે ચૂક્યાં તે સિત્તેરે શોચતાં,
એની એ ભૂલ તોય હજારો કર્યે જતાં.

કરવાને છેલ્લા જુહાર,
અમે મેળે ગ્યાં’તાં.
ફરી હવે ક્યાંથી એ દીદાર?
અમે મેળે ગ્યાં’તાં.

– ઉમાશંકર જોશી

આજે એકવીસમી જુલાઈના રોજ કવિશ્રીના જન્મદિવસે એક ગીત માણીએ.

મેળો શબ્દ કાને પડતાવેંત ઇન્દ્રિયો સતેજ થઈ જાય. મેળો, મેળામાંનો માનવમહેરામણ અને જાતભાતની ચકડોળો તથા ખાણીપીણી-ખરીદીની દુકાનોનું ચિત્ર અલગ જ સંવેદન જન્માવે છે. કાવ્યનાયિકા અને નાયક પણ મેળામાં ગામેગામથી આવીને ઊભરાતી માનવમેદનીનો એક હિસ્સો છે. મેળામાં તે કોનું હૈયું હાથ રહે તે નાયિકાનું રહે? પણ નાયક હોઠ ખોલવાની હિંમત કરી ન શક્યો અને નાયિકા સ્ત્રીસહજ માનના તોરમાં રહી ગઈ. હૈયાંની વાત સમય પર સમજવામાં અને સહિયારવામાં ઉભય નિષ્ફળ નીવડ્યાં. બંનેની દિશા કે ગતિ સદૈવ પરસ્પરથી વિરુદ્ધ જ રહી, પરિણામે જીવનની ઢળતી સાંજે એકમેકને આખરી જુહાર બંને ફરી મેળે જાય છે, પણ હવે એ જૂનાં દર્શન તો ક્યાંથી થાય? મેળો તો ભર્યોભાદયો છે, પણ હૈયાં ખાલીખમ રહી ગયાં. મેળો તો રંગરંગીન છે, પણ હૈયે સ્નેહરંગ પૂરાયો જ નહીં. લોકગીતની ઢબમાં લખાયેલ આ ગીત લયપલટાને લઈને મેળાની ચકડોળનો આનંદ પણ આપે છે.

Umashankar5

4 Comments »

  1. Vinod Manek 'Chatak' said,

    July 21, 2023 @ 12:33 PM

    સ્મરણ વંદના…
    સરસ ગાન

  2. pragnajuvyas said,

    July 21, 2023 @ 7:51 PM

    મહા કવિ શ્રી ઉ.જો. ને સમૃતિ વંદન
    ખૂબ સુંદર ગીત
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ

  3. Tanu patel said,

    July 22, 2023 @ 12:09 AM

    કવિશ્રી ને વંદન,,
    સરસ ગીત…

  4. Poonam said,

    July 27, 2023 @ 6:54 PM

    …અમે મેળે ગ્યાં’તાં.
    – ઉમાશંકર જોશી –

    Aaswad SaRas sir ji 😊

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment