જીવતર ગંગાના પૂરથી ઘેરાઈ ગયેલું પટના જોને!
સાંજ ડૂબે કે ટાઈટેનિક, એ બંને કેવળ ઘટના જોને!
– નયન દેસાઈ

સાંજ પડી – રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

સાંજ પડી ન પડી ત્યાં પંખી પળતાં નિજ નિજ માળે,
ના કેડી કંડારી ગગને, કેમ કરીને ભાળે?
સાંજ પડી…

સાંજ પડી ને ઢળતો સૂરજ, પશ્ચિમને પગથારે,
અન્તરને અણસારે સરકે, સપનાંને સથવારે
સાંજ પડી…

સાંજ પડી ને રમતું બાળક ભમતું નિજ ઘર આવે,
જનનીના પાલવમાં સરકી મરકી મુખ મલકાવે
સાંજ પડી…

સાંજ પડી ને અધખીલેલી કલિકા પલ્લવ પોઢે,
તેજ-મોગરે અંકિત નભનો ઉપરણો ઓઢે
સાંજ પડી…

સાંજ પડી ને અનામ પંખી અભિનવ અવાસ શોધે,
જીર્ણ પિંજરને પરહરીને નવતર ની શું ખોજે?
સાંજ પડી…

– રણજીતભાઈ મો. પટેલ ‘અનામી’

વીસમી સદીના પ્રારંભકાળમાં થઈ ગયેલા અને ઓછા જાણીતા થયેલા કવિની કલમે એક સાંધ્યચિત્ર આજે માણીએ. કોઈપણ પ્રકારના પાંડિત્ય કે ભાષાડંબર વિના કવિ ઢળતી સાંજના નાનાવિધ આયામોને કવિતાના કેનવાસ પર આલેખે છે. રોજ સાંજ પડતાં પોતપોતાના માળામાં પરત ફરતાં પંખીઓને જોઈને કવિને કૌતુક થાય છે, આકાશમાં તો કોઈ કેડી કંડારાયેલ નથી, તો તેઓ કઈ ‘ગૂગલ મેપ્સ’ના આધારે પોતાનો માર્ગ જોઈ શકતાં હશે! સુરતના કવિશ્રી હરીશ ઠક્કરનો એક શેર આ ટાંકણે યાદ આવે: ‘પંખીનાં કદી આભમાં પગલાં નથી પડતાં, તેથી જ બીજાં પંખીઓ ભૂલાં નથી પડતાં.

1 Comment »

  1. Prakash Patel said,

    April 15, 2024 @ 1:21 AM

    ગરીબ ને અમીરનો જો ભેદ ના રાખો તમે,
    જેના ખાલી હાથ છે એ સૌ સિકંદર લાગશે.!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment