(લાગી કટારી પ્રેમની) – મીરાંબાઈ
પ્રેમની, પ્રેમની, પ્રેમની રે,
મને લાગી કટારી પ્રેમની.
જળ જમુનાનાં ભરવા ગયાં’તાં,
હતી ગાગર માથે હેમની રે. મને૦
કાચે તે તાંતણે હરિજીએ બાંધી,
જેમ ખેંચે તેમ તેમની રે. મને૦
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
શામળી સૂરત શુભ એમની રે. મને૦
– મીરાંબાઈ
સાચો પ્રેમ કોઈ જ આડંબરના આલંબન સ્વીકારતો નથી. પ્રેમ એટલે દિલની વાત અને દિલ તો દુનિયાના પ્રપંચોથી પરે જ હોવાનું. એટલે જે વાત દિલથી નીકળી હોય એ સરળ અને સહજ જ હોવાની. મીરાંનો પ્રેમ સમર્પણનો પ્રેમ હતો. કૃષ્ણને મેળવવાની કોઈ જ અબળખા રાખ્યા વિના એણે સ્વયંને પૂર્ણસમર્પિત કરી દીધી હતી… આપવું એ જ એના માટે પ્રેમની એકમાત્ર વ્યાખ્યા હતી. પોતે શ્રીકૃષ્ણના પ્રેમમાં ઘાયલ થઈ હોવાનો એકરાર કરતી વખતે સાવ નાની અમથી પંક્તિઓમાં ચાર-ચારવાર પોતાને વાગેલી કટારી પ્રેમની હોવાની વાતની એ પુનરુક્તિ કરે છે. આ પુનરુક્તિ કવિતાનો પ્રાણ છે. માથે સોનાની ગાગર લઈ જમુનાજળ ભરવા ગયેલ મીરાં કાચા તાંતણે બંધાઈ જઈ હરિ જેમ ખેંચે એમ ખેંચાય છે. સોનાની ગાગર અને કાચા તાંતણા વચ્ચેનો આ વિરોધાભાસ રાજરાણીની દોમદોમ સમૃદ્ધિ વચ્ચે પણ મીરાંએ કરેલ સાદગીના સ્વીકારને કેવો સ-રસ રીતે અધોરેખિત કરે છે!
Ramesh Maru said,
February 14, 2025 @ 12:08 PM
વાહ…
શૈલેશ ગઢવી said,
February 15, 2025 @ 9:07 AM
વાહ વાહ