તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
– પીયૂષ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનહરલાલ ચોકસી

મનહરલાલ ચોકસી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

મુકદ્દરની વાત છે – મનહરલાલ ચોકસી

તારે જ હાથે ઘાવ, મુકદ્દરની વાત છે!
મારો વળી બચાવ, મુકદ્દરની વાત છે!

જેને નજર કિનારો ગણીને હસી રહી,
ડૂબી છે ત્યાં જ નાવ, મુકદ્દરની વાત છે!

મહેફિલમાં દિલની ધડકનોને ગણગણી તો જો,
પૂછે ન કોઈ ભાવ, મુકદ્દરની વાત છે!

આદમનું સ્થાન જેણે નકારી દીધુ હતુ,
એણે કહ્યું કે ‘આવ,’ મુકદ્દરની વાત છે!

ફરિયાદ ખાલી જામની પણ મેં કરી નથી,
આવો સરસ સ્વભાવ! મુકદ્દરની વાત છે.

‘મનહર’ હું સ્વપ્નમાંય નથી કેાઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

– મનહરલાલ ચોકસી

કેટલાક કવિઓને સમય અને સમાજે આપવું જોઈએ એટલું માન આપ્યું નથી. મનહરલાલ ચોકસીનું નામ એ યાદીમાં ઉમેરી શકાય. ઉસ્તાદ તરીકે જાણીતા શાયરની મરીઝ જેવી સરળ બાનીમાં એક ચોટદાર ગઝલ આજે માણીએ. જેને પ્રિય ગણતાં હોવ એના જ હાથે ઘાવ ખાવા મળે એ તો નસીબની જ વાત હોય ને! અને પ્રિયજનના હાથે ઘાવ ખાધા પછી પણ મૃત્યુ ન થઈ જાય અને બચી જવાય એ તો નસીબ ઓર જોર કરતું હોય તો જ બને ને! બધા જ શેર સંતર્પક થયા છે, પણ છેલ્લા બે શેર કવિના સાચા સ્વ-ભાવનું આબેહૂબ આલેખન છે. જેઓ ઉસ્તાદને ઓળખતા હશે એ બધા કહેશે કે હા, આ બે શેર શેર નથી, કવિની આત્મકથાના અવિભાજ્ય પૃષ્ઠ છે.

Comments (13)

(જેને હું વાતવાતમાં) – મનહરલાલ ચોક્સી

જેને હું વાતવાતમાં ઉલ્લેખતો રહું,
એ શક્ય છે કે એને કદી પણ ન ઓળખું.

એ પણ મજા કે હું જ સદા બોલતો રહું,
તમને લજામણી ન કહું તો હું શું કરું?

તારા જતાં જ મારું પણ અસ્તિત્વ ના રહ્યું,
જીવન તો તારા શ્વાસને ઉચ્છવાસથી હતું.

શબ્દો જ માત્ર મારા અધિકારના હતા,
ગીતોય કોઈનાં છે અને દર્દ કોઈનું.

હોવા વિષે તો આમ બધા એકમત થશે,
હોવાની વાત કોઈ પણ સમજી નથી શક્યું.

સંકેત સૂર્ય આપી શકે જો પ્રકાશનો-,
રાતે આ તારલાનું વળી કામ શું હતું?

‘મનહર’ જીવનમાં કોઈ દી’ જાણી નહી શક્યો
છે કોણ આપણું અને છે કોણ પારકું?

– મનહરલાલ ચોક્સી

નામ, કામ અને સ્વભાવ –બધી રીતે મનહર એવા કવિશ્રી મનહરલાલ ચોકસીની એક મનહર રચના આજે મનભર માણીએ…

Comments (3)

જોઉં છું – મનહરલાલ ચોક્સી

કદી હું તમારા તરફ જોઉં છું
મને થાય છે કે બરફ જોઉં છું

કદી હું તમારા પ્રતિ જોઉં છું
વહેતી નદીની ગતિ જોઉં છું

હૃદયથી તમારા ભણી જોઉં છું
તો લાગે છે પારસમણિ જોઉં છું

તમારો ચહેરો સરસ જોઉં છું
કે વીતી ગયેલાં વરસ જોઉં છું

તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું

તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું

– મનહરલાલ ચોક્સી

ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.

વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.

Comments (4)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૨)

‘લયસ્તરો’ના માધ્યમ દ્વારા ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… ‘ના વૈશ્વિક લોકાર્પણને મિત્રોએ અનન્ય અભૂતપૂર્વ સ્નેહથી વધાવી લીધું એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની અને ગૌરવની વાત છે. કોઈપણ કળાકારને આપવામાં આવેલી મોટામાં મોટી શ્રદ્ધાંજલિ એ એની કળાનું સાચું મૂલ્યાંકન જ હોઈ શકે. મનહરલાલ ચોક્સીની ત્રીજી પુણ્યતિથિએ પ્રકાશિત એમના પ્રતિનિધિ ગઝલ સંગ્રહમાંથી ચુનેલી ચુનંદી સ્વર્ણકણિકાઓની બીજી અને અંતિમ કડી આપ સૌ માટે….

વિચારો બધા સાવ સામાન્ય છે,
વસંતો ગમે, પાનખર ના ગમે.

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?

સવાલ લાખ ઊઠે જો જવાબ આપું તો,
તમે ય વાત ન માનો, જવાબ શું આપું ?

બધા પ્રશ્ન હલ થૈ જશે ક્ષણ મહીં,
બની જા ફરી અજનબી, વાત કર.

સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે !
ફિલસૂફોને લાગશે ચર્ચાનો થાક !

શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.

દુનિયાની આંખમાં તો હું ઉપયોગી વૃક્ષ છું;
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.

બે હાથ ભેગા થાય નહીં આપોઆપ આ,
આંખોની સામે જોઈએ આકાર કોઈ પણ.

એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.

માનવ બધાય એક છે એની નજર મહીં,
તસ્બીએ કંઈ દીવાલ ચણી, કંઈ જનોઈએ !

લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.

આંખ મીંચો તમે તે છતાં
આંખ સામે સનમ આવશે.

મારે તો તારા શબ્દ લઈ જીવવું પડ્યું,
હારી ગયો, તો તારા વિજયની ગઝલ લખી.

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.

હુંય રક્ષા કરીશ જીવનભર,
શબ્દની આ ધજા મને આપો.

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

એક પ્રેમીથી હૃદયની વેદના,
વાદળીના દેહ પર અંકાઈ ગઈ;
પત્ર વાંચીને ગગન રોઈ પડ્યું
ને ધરાની ચુંદડી ભીંજાઈ ગઈ.

એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.

-મનહરલાલ ચોક્સી

Comments (5)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૧)

ગુજરાતી ગઝલના મક્કા સુરત શહેરના શાયરોના માથે કોનું ઋણ સૌથી વિશેષ હશે એવો પ્રશ્ન પૂછીએ તો મનહરલાલ ચોક્સીનું નામ નિર્વિવાદપણે મોખરે આવે. નવાસવા ઢગલોક શાયરોને ગઝલની ગલીઓમાં આંગળી પકડીને જેટલા એમણે ફેરવ્યા છે, ક્યારેક તો ખભે બેસાડીને પણ, એટલા કોઈ ઉસ્તાદે નહીં ફેરવ્યા હોય. ગઝલના શેરની વાત હોય કે છંદની, ઉસ્તાદની નિઃશુલ્ક સેવા સ્મિતસભર હાજર જ હોય. સાવ અકિંચન અને અલગારી મનહરકાકા આજીવન અજાતશત્રુ રહ્યા અને શબ્દની મૂંગી સાધના કોઈ પણ દેખાડો કર્યા વિના કરતા રહ્યા. એમની પ્રતિનિધિ રચનાઓનો એક સંચય આજે મરણોત્તર પ્રગટ થઈ રહ્યો છે. “સાહિત્ય-સંગમ”, સુરત ખાતે આજે ૦૪-૦૫-૨૦૦૮ના રોજ સવારે સાડા દસ વાગ્યે ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…’ પુસ્તકનો લોકાર્પણ વિધિ શરૂ થશે ત્યારે લયસ્તરોના વિશ્વભરના વાચકો એ જ સમયે આ સમારંભમાં જોડાઈ શકે એવી અમારી લાગણીને માન આપીને કવિપુત્ર ડૉ. મુકુલ ચોક્સીએ પ્રગટ પુસ્તકની એમની પાસે આવેલી પહેલી અને એકમાત્ર નકલ ‘લયસ્તરો’ને મોકલાવી આપી એ બદલ એમનો આભાર…

(મનહરલાલ ચોક્સીનો ટૂંકો પરિચય એક સુંદર ગઝલ સાથે આપ અહીં જોઈ શકો છો. એમની એક સુરતી ગઝલ પણ આપ અહીં માણી શકો છો.)

Manharlal Choksi - Ghazalo
“ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…” મનહરલાલ ચોક્સીનો પ્રતિનિધિ ગઝલ સંગ્રહ
પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૧
ટેલિ. : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ / ૨૫૯૨૫૬૩, કિંમત: રૂ. ૮૫/=

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

હોઠ પર બીજા શબ્દો, આંખમાં જુદા શબ્દો,
આપની ઉપેક્ષા પણ આવકાર લાગે છે.

તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.

વમળમાં ડૂબવાની મારી હિંમત,
જુએ છે આ કિનારો મુગ્ધ થઈને.

એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.

ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.

ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.

વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.

નથી કોઈ આજે દશા પૂછનારું, નજર અશ્રુઓથી સભર થઈ ગઈ છે;
તમન્ના ચણાઈ ગઈ છે ખરેખર, ભીતર આરઝૂની કબર થઈ ગઈ છે.

હસીને ખબર પણ પૂછી ના શક્યા,
ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

– મનહરલાલ ચોક્સી

Comments (23)

મુકતક – મનહરલાલ ચોકસી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોકસી

Comments (4)

મનહરલાલ ચોક્સીને પ્રથમ પુણ્યતિથિએ એક શબ્દાંજલિ

ગુફ્તગૂમાં રાત ઓગળતી રહી;
ને શમાઓ સ્પર્શની બળતી રહી.

સ્વપ્નમાં એકાંતનો પગરવ હતો,
રાતરાણી ગીત સાંભળતી રહી.

વૃક્ષની ડાળેથી ટહુકાઓ ગયા,
પાનખરની પાંખ સળવળતી રહી.

ઊંટનાં પગલાંમાં હું બેસી રહ્યો,
જીભ એ મૃગજળની સળવળતી રહી.

હાથમાં અવસર તણું દર્પણ હતું,
ને નજર વેરાનમાં ઢળતી રહી.

હું કોઈ સંબંધનું આકાશ છું,
શબ્દની રેખાઓ ઓગળતી રહી.

-મનહરલાલ ચોક્સી ‘મુનવ્વર’

આજે મનહરલાલ ચોક્સીની વિદાયને એક વર્ષ થયું (29-09-1929 થી 04-05-2005). ગુજરાતમિત્રમાં ‘શાયરીની શમા’ વર્ષો લગી ઝળહળતી રાખનાર મનહરલાલ પારદર્શી વ્યક્તિત્વ ઉપરાંત સાદગી, સહિષ્ણુતા અને સમભાવના કારણે આજીવન અજાતશત્રુ રહ્યાં અને તે એટલી હદે કે પાર્કિન્સનની બિમારી સાથે ય કાયમી દોસ્તી રાખી. એમની ચોકસી નજર નીચે કેટલાય કવિઓ છંદ-લયથી સમૃદ્ધ થયાં. ઉર્દૂના ઉસ્તાદ કક્ષાના જાણકાર. જ્યોતિષવિજ્ઞાન અને આંકડાશાસ્ત્રના પ્રખર જાણભેદુ. ગુજરાતને કવિતા, નવલકથા અને વાર્તાઓ આપવા ઉપરાંત એમણે મુકુલ ચોક્સી પણ આપ્યા! પદ્ય પદાર્પણ :‘ગુજરાતી ગઝલ’ (ગઝલ), ‘અક્ષર’ અને ‘ ‘વૃક્ષોના છાંયડાઓ મને ઓળખી ગયા’ (કાવ્ય સંગ્રહો), ‘હવાનો રંગ’ (મુક્તક).

Comments (1)

એક સુરતી ગઝલ -મનહરલાલ ચોકસી

ઝોલે ચઈડું મન પછી ઊંઈઘું નહીં,
કામ હારું કોઈ પણ કઈરું નહીં.

ઓટલા ડા’પણની ડાળે હ્ળવળ્યા,
હાવ હારું કોઈ પણ હમજ્યું નહીં.

એક હેરીમાં ઉત્તું સપનું સરસ,
પણ કોઈના ધ્યાનમાં આઈવું નહીં.

કૂતરાની જેમ હઉ ભાગી ગિયા,
કે મહાણે કોઈ પણ થોઈભું નહીં.

લો, જુઓ આવી ગિયો છું બારણે,
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં.

માણહાઈ ચેહ પર જોઈ છતાં,
ચૂપ થઈ બેહી રિયા, બોઈલું નહીં.

-મનહરલાલ ચોકસી

વરસો પહેલા વાચેલી આ ગઝલ થોડા દિવસ પર ફરીથી અચાનક યાદ આવી ગઈ. સૂરતી ભાષાનો ગઝલમાં ઉપયોગ સૂરતના માનીતા કવિ સ્વ.મનહરલાલ ચોકસીનો અનોખો પ્રયોગ છે. આજે એમના નામ આગળ સ્વ. લગાડવું પડે છે એ દુ:ખની ઘટના છે.

આ ગઝલનો લો, જુઓ… વાળો શેર મારો અત્યંત પ્રિય શેર છે. આ શેર અમે મિત્રો કોલેજકાળ દરમ્યાન ઘણીવાર ટાંકતા. સૂરતી ભાષાનો પ્રયોગ અહીં વિશેષ અર્થ ઉપસાવે છે. ગઝલમાં સૂરતીપણું માત્ર ભાષા સુધી જ સીમિત નથી. સમગ્ર ગઝલ જ સૂરતી સ્વભાવનું પ્રતિબિંબ પાડે છે.

આ ગઝલ પ્રેમપૂર્વક શોધી આપવા માટે કવિમિત્ર વિવેકનો ખાસ આભાર !

Comments (10)