ઝાંઝવાઓની શીખી બારાખડી,
એક તરસ્યાએ નદી વાંચી હતી.
– રાહુલ શ્રીમાળી

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

2 Comments »

  1. વિવેક said,

    December 7, 2023 @ 11:33 AM

    મજાનું સંકલન…

    “અમને નાંખો જિંદગીની આગમાં” મુક્તક તો મારા પ્રેરણાપુંજ કાવ્યોમાં પણ આવે

  2. KETAN YAJNIK said,

    December 9, 2023 @ 11:17 AM

    abhinandan
    pooja saras thaie
    AABHAR

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment