બાબુલાલ ચાવડા ‘આતુર’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
July 5, 2025 at 11:01 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
પર્વતો-ખીણો-અરણ્યો આવશે આગળ જતાં,
કૈંક પડકારો ને પ્રશ્નો આવશે આગળ જતાં.
કોઈ દૃષ્ટિથી અચાનક થઈ જશે ઓઝલ અને,
ધૂંધળાં બે-ચાર દૃશ્યો આવશે આગળ જતાં.
એકબીજાને સતત શોધ્યા કરીશું આપણે,
આપણા એવાય દિવસો આવશે આગળ જતાં.
જો અટકશે કોઈ વેળા ક્યાંક આ પાકી સડક,
ધૂળિયો એકાદ રસ્તો આવશે આગળ જતાં.
શક્ય છે આગળ જતાં હું હોઉં કે ના હોઉં પણ,
શક્ય છે મારા વિકલ્પો આવશે આગળ જતાં.
– બાબુલાલ ચાવડા ‘આતુર
‘આગળ જતાં’ ગઝલ સ-રસ થઈ છે. બધા જ શેર વારંવાર મમળાવ્યા કરવા ગમે એવા મજાના થયા છે. ગઝલ તો સહજ-સાધ્ય છે, એટલે દરેક ભાવકહૃદય સુધી આપબળે પહોંચી જ જશે, પણ મારું ધ્યાન સતત આખરી શેરમાં ‘શક્ય છે’ના બીજીવારના પ્રયોગ તરફ જયા કરે છે. શક્ય છે કે મારો આ ખટકો ખોટો પણ હોઈ શકે. નાના મોઢે મોટી વાત પણ છેલ્લા શેરના સાની મિસરામાં કાવ્યાનુભૂતિ સઘન બનવામાં ‘શક્ય છે’ પ્રયોગ અડચણરૂપ બનતો હોય એમ લાગ્યું. કાલે આપણે હોઈએ પણ અને ન પણ હોઈએ એ વાત જે રીતે સંભાવનાઓથી ભરી પડી છે, એથી વિપરિત ‘મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ’*ના ન્યાયે વિકલ્પોવાળી શક્યતા કરતાં નક્કર હકીકતદર્શક ન ગણાય? વિકલ્પો તો મળે જ મળે ને!
(* = ઓજસ પાલનપુરી)
Permalink
April 11, 2025 at 8:00 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
આશિખાનખ આગવા ઉન્માદના માણસ છીએ,
એટલે કે સાવ માણસ બાદના માણસ છીએ.
ક્યાંક વરવી વાસ્તવિકતા કોઈ માટે થઈ ગયા,
કોઈ માટે ક્યાંક ભીની યાદના માણસ છીએ.
કોઈએ જોયા છે અમને રોજ નકરી મોજમાં,
કોઈ માને છે નર્યા અવસાદના માણસ છીએ.
ક્યાંય ક્યાં સાધી શકાઈ છે કદી સંવાદિતા!
કોણ માને કે અમે સંવાદના માણસ છીએ!
એટલે લખતા રહ્યા કે માંહ્યલો રાજી રહે,
માત્ર મૂંગા માંહ્યલાની દાદના માણસ છીએ.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ગઝલોના અડાબીડ જંગલમાં ક્યારેક આવી રચના હાથ ચડી આવે તો દિવસ આખો મઘમઘ થઈ ઊઠે. આત્મકથનાત્મક શૈલીમાં લખાયેલ પાંચેય શેર એક એકથી ચડિયાતા થયા છે. પહેલાં તો ગુજરાતી ગઝલમાં આશિખાનખ જેવો શબ્દ વાંચીને જ આગવો રોમાંચ થઈ જાય. પણ ખરું કવિકર્મ ભાવકને આંજી દે એવા અરુઢ શબ્દપ્રયોજનમાં નહીં, પણ એના નિર્વાહમાં છે.
Permalink
December 2, 2023 at 10:52 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!
ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!
નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,
અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!
કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,
હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!
અમારી જીર્ણતા પહેલાં હતી, છે એ જ આજે પણ,
જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!
કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,
ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!
– બાબુલાલ ચાવડા ‘ આતુર ‘
આજે ટિપ્પણી કવિ મિલિન્દ ગઢવીના શબ્દોમાં:
“વાહ વાહ અને વાહ!
‘મરીઝ’ જ્યારે કહે કે ‘ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં’ તો આ દિલની જબાન એટલે શું? એનો જવાબ આ ગઝલ છે. આ હિબકે ચડેલી કવિતા નથી, પરંતુ હોવાની લ્હાયને લય બનાવીને જીવતા અક્ષરની કથા છે. અહીં એવું નથી કે સાવ નવાં જ કલ્પનો કે પ્રતીકોનો પ્રયોગ થયો હોય, કે નોખા લય કે ઓછા જાણીતા કાફિયા કે જુદી ભાત પાડતી રદીફ વપરાઈ હોય! અને તેમ છતાં વાત બહુ બળકટતાથી, તલસાટનો અનુભવ થાય એ રીતે કહેવાઈ છે. અને એટલે જ ફરીથી અહીં સમજાય છે કે કવિતા એના વાઘામાં નથી હોતી, એને એમાં શોધવાની ભૂલો ન કરીએ. કવિતા costume નહીં, content છે. વળી આવી સરળ વાતને આસ્વાદની પણ શી જરૂર! આ તો સીધી જ communicate થાય. પછી connect થાય છે કે કેમ એ જુદો વિષય છે. મારી અંદર રહેલા chaos સાથે તો connect થઈ, તમારી સાથે પણ થાય તો કવિને એક clap જરૂર આપજો અને તમને જે લાગે તે comment કરજો.”
(આસ્વાદ: મિલિન્દ ગઢવી)
Permalink
May 19, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
સરોવર કાંઠે બેસીને તરસની વાત કરવી છે,
વરસ જેવા વીતેલા હર દિવસની વાત કરવી છે.
મને છુટ્ટો મૂકી દો તપ્ત રેગિસ્તાનમાં હમણાં,
પછી તમને મળી રેતીના રસની વાત કરવી છે.
કદી સામે મને દુનિયામાં મોકલનાર જો આવે,
જગતમાં ખોઈ છે મેં એ જણસની વાત કરવી છે.
મને મારા હૃદય સાથે મળે જો વાત કરવા તો,
પડી છે બંધ વરસોથી એ નસની વાત કરવી છે.
પ્રતીક્ષામાં છું ‘આતુર’ એટલે હુ અંતવેળાની,
ઘડીભર તેજની સાથે તમસની વાત કરવી છે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
રણમાં રઝળતાં-રઝળતાં તરસની વાત કરવી સહેલી છે. મુસીબતમાં તો ભગવાનને બધા જ યાદ કરવાના. અમીર માણસ માટે ગરીબોની વ્યથા સમજવું દોહ્યલું છે. તૃપ્તિ હાથવગી હોય ત્યારે અતૃપ્તિની વાત કરવી, એ બાબતે સમજ કેળવવી વધુ અઘરી છે. મજાના મત્લા સાથે કવિએ ગઝલનો ઉઘાડ કર્યો છે. સરઓવરના કાંઠે બેસીને કવિ તરસની અને તરસપ્લાવિત એ તમામ દિવસો, જે એક-એક દિવસ વરસ સમાન વીત્યા હતા એની પણ વાત કરવા ઇચ્છે છે. મતલબ લાંબો ચાલેલ વિયોગ હવે પૂરો થયો છે અને પ્રિયજન સાથે મુલાકાત થઈ છે. આ મુલાકાતના કાંઠે બેસીને કવિ વિરહના દિવસો પોતે કેવી કપરી રીતે વિતાવ્યા છે એની વાત પ્રિયજનને કરવા ચહે છે. આખી ગઝલ સ-રસ છે પણ મત્લાની જેમ જ મક્તા પણ અદભુત થયો છે.
Permalink
December 3, 2022 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
હજારો શૂન્ય જ્યાં ટોળે વળે છે,
હૃદયમાં એક એવું સ્થળ મળે છે.
ક્ષિતિજની રેખ પર પ્રત્યેક સાંજે,
તૃષાનું તત્ત્વ ઝીણું ઝળહળે છે.
ક્ષણોનો કાફલો તરસ્યો થયો છે,
નદી સંજોગની ક્યાં ખળખળે છે?
સમુદ્રો સાત ઊમટે આંખમાં પણ,
ભીતર તો એક વડવાનલ બળે છે.
વિરહ છે શાપ કોઈ શંખિણીનો,
સતીનું વેણ થઈ શાને ફળે છે?
ઉગાડ્યાં કલ્પવૃક્ષો આંગણે પણ,
વિધિના લેખ ક્યાં ટાળ્યા ટળે છે?
જીવન છે સર્વથા સંતૃપ્ત કિન્તુ,
સ્મરણના છાતીએ ખીલા કળે છે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
*
‘રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ-કલમમાં પરંતુ કમાલ નોખા છે.’
– આ વાતની પ્રતીતિ કરાવતી કમાલ ગઝલ. કોઈ શબ્દ એવો નથી, જેનો અર્થ જોવા શબ્દકોશ ઉઘાડવો પડે, રદીફ-કાફિયા પણ સર્વસામાન્ય છે, પણ ખરી કરામત કાવ્યબાનીમાં છે. દરેક શેર આજની બીબાંઢાળ ગઝલોના ફાલથી અલગ તરી આવે છે. ‘સતી શ્રાપ દે નહિ ને શંખણીનો લાગે નહિ’ એ કહેવતનો વિનિયોગ કરીને પણ કવિએ કેવો સ-રસ શેર જન્માવ્યો છે! સરવાળે નખશિખ સંતર્પક રચના.
Permalink
October 28, 2022 at 5:30 PM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
દિવસો જ્યારે વસમા આવે,
હસવા જઈએ, ડૂસકાં આવે.
તૃષ્ણા સૌની નોખી-નોખી,
આંખે પાણી સરખાં આવે.
સુખ આવે તો એકલદોકલ,
દુ:ખનાં ધાડેધાડાં આવે.
દિવસે જેને ભૂલવા મથીએ,
રાતે એનાં સપનાં આવે.
અર્જુન ડગલું એક ભરે ત્યાં,
દસે દિશાથી કાબા આવે.
એરંડાના ઉજ્જડ ગામે,
શોભા માટે કૂંડા આવે.
જાણ્યું નહોતું આ માળામાં,
લખચોર્યાસી મણકા આવે.
લોકો કહેતા, ‘લખતા રહેજો,
અક્ષર એથી સારા આવે.’
– બાબુલાલ ચાવડા ‘આતુર’
સરળ ભાષામાં સહજ-સાધ્ય રચના…
Permalink
September 15, 2022 at 10:55 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા
અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા
ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?
આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા
ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:
“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.
“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”
(આસ્વાદ: મિલિન્દ ગઢવી)
Permalink
June 10, 2021 at 2:46 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
સાંયાજીને કહેજો કોઈ,
ફૂટી આંખો રોઈ-રોઈ.
ભવસાગરના ખારા જળ ને,
बीच भंवरमें नाव डुबोई ।
પહેલાં પાયો પ્રેમપિયાલો,
शब्दकटारी बाद पिरोई ।
ઝળહળ જ્યોતું જાગી ગઈ તો,
खुदकी खलकत खुदमें खोई ।
किसकी बिरहा, किसकी तडपन,
किसकी गठरी, किसने ढोई ।
– બાબુલાલ ચાવડા ‘આતુર’
ભાષા એટલે વહેતી નદી… અને એક નદી બીજીમાં ભળે ત્યારે બેમાંથી એકેય નથી કોઈ ફરિયાદ કરતી કે નથી પોતપોતાનું પોત અલગ જાળવવા કોશિશ કરતી. જુઓ, કવિએ કેવી સ-રસ રીતે અહીં બે ભાષાઓનો સમાન હાથ ઝાલીને મજાની ગઝલ રજૂ કરી છે!
Permalink
September 1, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાબુલાલ ચાવડા 'આતુર'
કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે,
શક્યતા સૌથી વધારે છેતરે.
ભાગ્યને જો નાવ સોંપી હોય તો,
છેક લાવીને કિનારે છેતરે.
આમ તો કહેવાય સગ્ગી આંખ પણ,
આંખ આ ઊભી બજારે છેતરે.
આ હૃદય પણ ક્યાં ભરોસાપાત્ર છે !
કોઈના એક જ ઇશારે છેતરે.
એક ઇચ્છા એવી પાળી છે અમે,
એને જ્યારે ફાવે ત્યારે છેતરે.
રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’
વાત-ચીતમાં વપરાતી હોય એવી ચીલાચાલુ લાંબી-ટૂંકી રદીફ રાખીને ગઝલ લખવી બહુ કપરું નથી પણ અરુઢ રદીફ રાખીને એક-એક શેરમાંથી ધાર્યો અર્થ રદીફ સાથે હાથમાં હાથ મિલાવી ઉપજાવીને આખી ગઝલ સંઘેડાઉતાર આપવી કાચા-પોચા કવિનું કામ નથી. પ્રસ્તુત ગઝલમાં ‘છેતરે’ જેવી સમજણ પડે એ પહેલાં જ છેતરી જઈ શકે એવી રદીફ વાપરીને પણ કવિએ આવી કમાલ કરી છે.
Permalink