કોઈની યાદ બારી બની ગઈ ‘નયન’
સાંજ જેવું ઝીણું ઝરમર્યા તે અમે
નયન દેસાઈ

(રેનબસેરા) – બાબુલાલ ચાવડા ‘આતુર’

માંગ્યા ત્યારે માંગ્યા કેવળ રેનબસેરા
પૂછ્યા વીણ નાંખીને બેઠા તંબુ-ડેરા

અનહદની ઊંચી મેડીના અજબ ઝરૂખે,
ગાન સુણી ગુલતાન થયા કંઈ ઘેરા-ઘેરા

ક્યાં ભૂલ્યા કથરોટ કહોને મનચંગાજી!
ગંગાજીને કરવા ક્યાં લગ આંટા-ફેરા?

આખ્ખોયે અવતાર હવે તો અટકળ-અટકળ
ઝૂલે અધ્ધરતાલ સકલ આ સાંજ-સવેરા

ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી
અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા

– બાબુલાલ ચાવડા ‘આતુર’

ફોર અ ચેઇન્જ, આ વખતે ગઝલ સાથે મિલિન્દ ગઢવીની અર્થગહન ટિપ્પણી:

“કવિતાને positive કે negativeના ત્રાજવે ન તોલવાની હોય. કવિને romantic કે રાષ્ટ્રવાદીના ચોકઠાંમાં ન ગોઠવી દેવાનો હોય. કવિ તો ઝબકેલું ઝીલે અને ઝીલેલું કરી દે તમારે હવાલે. એમનું એમ. પછી તમે એમાં મ્હાલી શકો તો એ તમારી ભાવકતા. ચૂકી જાઓ તો એ તમારી અનુકૂળતા. જેમને ફકરાઓની ટેવ પડી હોય એ બેફિકરાઓ સાથે સમસંવેદન ન સાધી શકે એ પણ હકીકત. રેસિપીના આધારે તૈયાર થયેલી રચનાઓ બીજું જે હોય તે – કવિતા તો નથી જ હોતી.

“ગુજરાતી ભાવક માટે આ સમયમાં સૌથી મોટી કસોટી સાચી કવિતા શોધવાની અને તેને પામવાની છે. ફેક ન્યુઝની જેમ ફેક કવિતાઓની ભરમાર વચ્ચે ક્યાંક કોઈ કવિતા પોતાનું મૌન લઈને ખૂણે જઈ બેઠી હોય છે. એની પાસે જઈને જરાક બેસીએ. એની સાથે અચરજના ઉત્તુંગ શિખર સુધી જઈએ અને નિજના ચોકી પહેરા કરતાં કરતાં એને કહીએ કે – પ્રિય કવિતા, અમે હજી તને ભૂલી નથી ગયા!”

(આસ્વાદ: મિલિન્દ ગઢવી)

6 Comments »

  1. Varij Luhar said,

    September 15, 2022 @ 12:29 PM

    વાહ..ગઝલ અને આસ્વાદ બન્ને સરસ

  2. Kirit said,

    September 15, 2022 @ 7:25 PM

    વાહ વાહ ભાઈ…

  3. રિયાઝ લાંગડા (મહુવા). said,

    September 15, 2022 @ 8:49 PM

    વાહ…👌👌

  4. pragnajuvyas said,

    September 16, 2022 @ 1:52 AM

    સુંદર ગઝલ
    સ રસ આસ્વાદ

  5. Aasifkhan said,

    September 16, 2022 @ 2:49 PM

    વાહ્
    સરસ રચના

  6. Poonam said,

    September 17, 2022 @ 8:28 PM

    ચાલો ત્યારે અચરજના ઉત્તુંગ શિખરથી,
    અંદરખાને કરીએ નિજના ચોકી-પહેરા… Sugam !
    – બાબુલાલ ચાવડા ‘આતુર’ –

    Gadhavi ji aaswad sa ras.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment