ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.
મુકુલ ચોક્સી

(જિંદગી જાય છે) – હર્ષવી પટેલ

જેમ રણની વચાળે નદી જાય છે,
બસ, અદ્દલ એ રીતે જિંદગી જાય છે.

પગ ન મૂકું ફરી ત્યાં — વિચાર્યું હતું,
એ જ બાજુ કદમ ખુદ વળી જાય છે.

એક પળ જે જુદાઈ સદી નહીં મને,
એ જુદાઈના ટેકે સદી જાય છે.

જે નહીં આવડે લાગણીને કદી,
એ બધું બુદ્ધિને આવડી જાય છે.

એની પાસે ન શીખ્યા કશું, ભૂલ થઈ—
એવું અંતે સમય શીખવી જાય છે.

– હર્ષવી પટેલ

નદીનું ગંતવ્ય સમુદ્રમિલન છે પણ બનાસ, રુપેણ અને સરસ્વતી જેવી કુંવારી નદીઓ તો રણમાં જ પૂરી થઈ જાય છે… કવયિત્રી જ્યારે પોતાની જિંદગી પણ જે હેતુસર પ્રાપ્ત થઈ છે એ હાંસિલ કર્યા વિના જ ખતમ થઈ રહી હોવાનો સ્વીકાર આ સંદર્ભ સાથે કરે છે ત્યારે સીધાસાદા વિધાન જેવો લાગતો ગઝલનો મત્લા આપણને મજાનો લાગવા માંડે છે. આમેય, હર્ષવી પટેલ પાસેથી સાવ સરળ ભાસતી ગઝલ મળે ત્યારે સૌપ્રથમ હું સ્વયંને એક ટપલી મારી લેવાનું રાખું છું. એના શેરો સહલે-મુમ્તના (ભ્રામક સરળતા) શ્રેણીમાં આવે એવા હોય છે, જે સહેજ અટકીને ફરી વાંચો તો ચમકારો થાય… ત્રીજા શેરમાં પણ ‘સદી’ શબ્દ વડે સર્જકે મજાનો યમક અલંકાર સિદ્ધ કરી બતાવ્યો છે.

4 Comments »

  1. Varij Luhar said,

    February 12, 2025 @ 1:20 PM

    વાહ.. સદી

  2. Jigisha Desai said,

    February 12, 2025 @ 3:14 PM

    Mast gazal

  3. kantilal babulal sopariwala said,

    February 12, 2025 @ 6:17 PM

    નદી એ ક્યાં કોઈ ની અપેક્ષા આજ સુધી કરીછે
    જેટલો પ્રવાહ આવે ગંતવ્ય સુધી લઇ જાયછે
    હર્ષવી પટેલ આપના કાવ્યો ને ગૂગલ દ્વારા
    માણતા રહીયે છે આપના મુખ થકી જ્ઞાનદેવી
    વહેતા રહેછે ને ગુજરાતી ગઝલ ના આશિકો
    માણતા રહેછે …ધન્ય ગુર્જર ધરા
    કે બી

  4. Kishor Ahya said,

    May 6, 2025 @ 12:26 AM

    ઝિંદગી વહી જાય છે સૂ.શ્રી. હર્ષવી પટેલ ની ગઝલ ના શબ્દોતો સમજવા સહેલા છે પણ શેર ના અર્થ બહુ ગહન છે.
    નરી વાસ્તવિકતા દર્શાવતા શેર મૂક્યા છે. બે પ્રિયજન વિખૂટા પડે ત્યારે થતા દર્દ પીડાની વાત
    કવયિત્રી એ સહેલાઈ થી ધ્યાનમાં પણ ન આવે એવીરીતે ગઝલમાં દર્શાવી છે.

    રણ વચારે નદી ચાલી જાય છે એમ ઝિંદગી ચાલી જાય છે.

    રણ વચ્ચે નદી કેવી ચાલે, ક્યારેક વરસાદમાં વ્હેણ હોય બાકીતો રણ ધીમે ધીમે નદીને રણ કરી નાખે પછી સૂકીભટ્ટ, કવયિત્રી કહે છે ઝિંદગી પણ આવીજ થઈ ગઈ છે. શું ધાર્યું હતું અને શું થયું! આસ્વાદમાં વિવેકભાઈ એ કહ્યું છે તેમ જિંદગીનો હેતુ પ્રાપ્ત કર્યા વિના જિંદગી જઈ રહી છે.

    પગ ન મૂકું ફરી ત્યાં વિચાર્યું હતું, એજ બાજુ કદમ ખુદ વળી જાય છે!
    વાહ! લવભગ દરેક પ્રિયજનો ના અનુભવ.

    એકપળ જે જુદાઈ સદી નહી મને,
    એ જુદાઈના ટેકે સદી જાય છે.

    પ્રિયજન ને મળવામાં થોડું વહેલું મોડું થાય તો જાણે ઝગડો નક્કી જ સમજવો, અને જ્યારે તિરાડ પડે છે ત્યારે મળ્યા વિના વર્ષોના વર્ષો પસાર થઈ જાય છે!

    ( કવયિત્રી એ અહીં સદી શબ્દ મૂક્યો છે જે ખુબ સરસ લાગે છે)

    એક બીજા શેરમાં કહે છે જે લાગણી ને નથી આવળતું તે બુદ્ધિ ને આવડી જાય.છે.

    કવયિત્રી કહે છે લાગણી ને ન આવળ્યું! બુદ્ધિ થી થઈ ગયું. વાતનો મર્મ અભેદ રાખ્યો છે! પણ આવા સમયે હમેશા
    લાગણી ઉપર બુદ્ધિ નું વર્ચસ્વ વધુ હોય છે.

    છેલ્લા શેરમાં પ્રેમી, બીજા પ્રેમીને ચાબખો મારે છે, કહે છે; એની પાસેથી ન શીખ્યા કશું, ભૂલ થઈ, એવું સમય શીખવી જાય છે.
    કટાક્ષમાં કહ્યું છે ; પણ જીવનનું સત્ય છે ,જ્યારે કોઈ વેદના, પીડા ભોગવવાનો પ્રશ્ન આવે ત્યારે સમય બધાને બધું શીખવી જ દે છે કોઈકે સાચું જ કહ્યું છે, દરેક પ્રકારના દર્દ ભૂલવાની એકમાત્ર દવા સમય છે.

    ખુબજ સરસ ગઝલ અને ખુબજ સરસ આસ્વાદ.

    🌹🌹

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment