કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.
મીનાક્ષી ચંદારાણા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for પુષ્કરરાય જોષી

પુષ્કરરાય જોષી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કેમ મનાવું? – પુષ્કરરાય જોષી

મનને કેમ મનાવું?
કંઠે બાઝ્યો ડૂમો તોયે
ગીત અધૂરું ગાવું…

મીઠા કોકિલ પંચમ સૂરે
દિલમાં દર્દ ઘૂંટાય,
શીતલ મન્દ મલયની લહરે
લાગે ઊની લહાય;
મીઠી મીઠી મહેક હવાની
કેમ ફરીથી લાવું?

ગુલમહોરી યાદોના જખમો
રૂંવે રૂંવે ડંખે,
એકલતાના રણમાં હૈયું
તોયે મૃગજળ ઝંખે,
શાણો સમજે છોને દુનિયા
ખુદને કેમ મનાવું?

– પુષ્કરરાય જોષી

પ્રિયજનની યાદની બે તાસીર છે. એક તરફ તો એ જીવનની એકલતામાં ગુલમહોરી રંગો અને સુંવાળપ ભરે છે, પણ બીજી તરફ એ જખ્મો બનીને વળી રૂંવે રૂંવે ડંખે છે. આવામાં મનને મનાવવું તો અઘરું છે જ પણ જિંદગી જીવવાનું ત્યાગી પણ દેવાતું નથી એટલે ગળે ભલે ને ડૂમો કેમ ન બાઝ્યો હોય, અધૂરું રહી ગયેલું ગીત ગાવું તો પડે જ છે. કોયલનો મીઠો સ્વર પણ દર્દ ઘૂંટનાર બની રહે છે, શીતલ મંદ પવન પણ ઊની લ્હાય બનીને દાઝે છે… મીઠી હવાની મહેંક તો ત્યજી ગઈ છે, એને પરત ક્યાંથી લાવવી એ સવાલ છે… એકલતાનું રણ અફાટ અસીમ વિસ્તર્યું હોય ત્યારે પ્રિયજનની ઉપસ્થિતિ મૃગજળથી વિશેષ કંઈ નથી એ મન જાણતું હોવા છતાં મન મૃગજળને ઝંખે છે… આભાસ તો આભાસ પણ નજરની સામે તો હોય! વિરહની તીવ્રતા અને સ્વજનની ચાહનાની આ પરાકાષ્ઠા કવિએ બહુ સરળ સહજ શબ્દોમાં કેવી સ-રસ રીતે આલેખી છે!

Comments (7)