એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
શૈલેશ ગઢવી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરિહર શુક્લ ‘હરિ’

હરિહર શુક્લ ‘હરિ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્વાગત-સપ્તાહ :૦૭: છેલ્લો મુકામ – હરિહર શુક્લ

અંતરાયો દૂર કરવાના તમામ,
પહાડની ટોચે જઈ લેવો વિરામ.

કોઈનું લેણું, ન દેણું કોઈનું,
કોઈ શાહુકાર, ના કોઈ ગુલામ.

એટલે કાબૂ મહીં આવ્યો નહીં,
એષણાના અશ્વને ક્યાં છે લગામ?

હુંય રગદોળાઈ સોનું થઈ ગયો,
વિસનગરની ધૂળને સો સો સલામ.

મહેલ હો તો હું કરી દઉં, પણ ‘હરિ’-
ઝૂંપડીને કેમ કરવાની લિલામ?

એક-બે ડગલાં ભરી આગળ, “હરિ’;
જોઉં પાછળ, છોડ્યો મેં છેલ્લો મુકામ?

– હરિહર શુક્લ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘મૌન પણ સંભળાય છે’નું સપ્રેમ સ્વાગત…

સરળ ભાષામાં સુંદર મજાની ગઝલ. આમ તો બધા જ શેર સરસ થયા છે, પણ મહાભારતની ઉપકથાનો સંદર્ભ આગળ વધારતો શેર મને સવિશેષ સ્પર્શી ગયો. ગરીબ બ્રાહ્મણને ત્યાં એંઠી પતરાળીમાં આળોટતાં નોળિયાનું અડધું અંગ સોનાનું થઈ ગયું હતું. બાકીનું અડધું અંગ પણ સોનાનું થઈ જાય એ આશાએ નોળિયો યુધિષ્ઠિરને ત્યાં યજ્ઞમાં આળોટવા આવે છે પણ સફલા થતો નથી. ત્યાગનો મહિમા સમજાવતી આ મહાકથાને કવિ એક કદમ આગળ વધારે છે એમાં વાતને સાર્થક્ય સાંપડે છે. નોળિયાનું તો અડધું જ શરીર સોનાનું થયું હતું, પણ વતનની ધૂળમાં આળોટવાથી કવિની આખી કાયા કંચનની બની ગઈ છે… વતનનો મહિમા કેવી અદભુત રીતે અને કેવી સહજતાથી કવિએ કર્યોપ છે!

Comments (11)

( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’

વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!

બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!

મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!

આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!

ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !

ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !

‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!

– હરિહર શુક્લ ‘હરિ’

કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.

Comments (2)

તે તમે છો? – હરિહર શુક્લ

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પ્હોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર તારાજડિત આકાશ શીતળ ચંદ્રની સાખે હતું પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ ભણી, ને
ધૂમ્રની સેરોની સાથે સાંઢ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?

– હરિ શુક્લ

આમ તો આ મુસલસલ ગઝલ છે પણ એની ગલીઓનું સરનામું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની પાડોશનું હોવાની અનુભૂતિ થાય છે. સાથે જ સુન્દરમની અમર રચના ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?’ પણ યાદ આવ્યા વિના ન રહે. લાંબી બહેરની આ ગઝલમાં ગઝલના પારંપારિક શબ્દોની ભરમારથી અલગ ઊઠીને કવિએ નિજી સંવેદનાસભર તાજા કલ્પનો આપીને મનોહર કવિકર્મ કર્યું છે. થોડી મુખર હોવા છતાંય સાવ નોખી જ ભાત ઉપસાવતી હોવાના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

Comments (4)