સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
અમિત વ્યાસ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શેર

શેર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




શેર – પરવીન શાકિર

मैं उस की दस्तरस में हूँ मगर वो
मुझे मेरी रज़ा से माँगता है

परवीन शाक़िर

હું તો એના વશમાં જ છું – પણ એ મારી જાતને મારી પાસેથી મારી રજામંદીથી માંગે છે

વાહ ! વાતની નજાકત જૂઓ….ઊંડાણ જૂઓ  !!! પ્રેમની ખરી ઊંચાઈ !!! કોઈ માલિકીપણાની વાત નહીં…. અધિકાર પૂરો છે-બંનેને ખબર છે,પણ વ્યક્તિને એક અદના અસ્તિત્વ તરીકે પૂરું સન્માન !!! પ્રજ્ઞાવાન વ્યક્તિ પણ ઘણી વખત આ સકંજામાંથી બચી નથી શકતા-જેને ચાહે છે એને સહજતાથી ગૂંગળાવી નાંખતા હોય છે અને તે વ્યક્તિને પોતાને એ વાતનું ભાન સુદ્ધાં હોતું નથી….સામું પાત્ર બિચારું ગૂંગળાઈને બેસી રહે…..

આખી ગઝલ મૂકવી હતી પણ બાકીના શેર એટલા મજબૂત નથી અને વળી મારે આ શેરને પૂરતી સ્પેસ આપવી હતી.

Comments (1)

ગાલિબના જન્મદિને – ઉદયન ઠક્કર

આજે મિર્ઝા ગાલિબનો જન્મદિવસ છે. તેની ઉજવણીરૂપે આ તેમના શેર:

ઇશ્રતે-કત્ર: હૈ દરિયા મેં ફના હો જાના
દર્દ કા હદ સે ગુજર જાના હૈ દવા હો જાના

(ઇશ્રત-આનંદ, કત્ર:- ટીપું,દરિયા- નદી)

જળબિંદુ એકલું ન રહી શકે, (કોહેઝનના ગુણને લીધે) બીજા બિંદુઓ સાથે મળતું મળતું ઝરણું રચે, જે નદીમાં જઈને મળે.જળબિંદુને નાના હોવાનું મોટું દુ:ખ હોય.જ્યારે તે હદની બહાર જઈને બેહદને મળે,સીમ વળોટીને નિ:સીમને મળે,ત્યારે તેને આનંદની પ્રાપ્તિ થાય.આમ જળબિંદુનો અજંપો જ તેનું ઓસડ બની જાય.અહીં જળબિંદુ જીવાત્માનું રૂપક છે.

તુઝસે કિસ્મત મેં મેરી સૂરતે કુફ્લે-અબ્જદ
થા લિખા બાત કે બનતે હી જુદા હો જાના

(કુફ્લ-તાળું, અબ્જદ-વર્ણમાળા)

એવાં તાળાં તમે જોયાં હશે,જે વર્ણમાળાના અક્ષરો (કે આંકડા) સીધી રેખામાં ગોઠવાતાંવેંત ખુલી જાય.ગાલિબ પ્રેયસીને કહે છે કે મારી કિસ્મત એવી જ છે: બધી વાતે મેળ પડ્યો કે તરત આપણે છૂટા પડી ગયાં! ‘થા લિખા’- ‘વર્ણમાળામાં લખેલું’ અને ‘કિસ્મતમાં લખેલું’ એમ બન્ને અર્થ ગાલિબે જાળવ્યા છે.તાળી માટે લખાયેલા શેર તો ઘણા સાંભળ્યા છે, પણ તાળા માટે લખાયેલો શેર આ પહેલો જ!

શૌક હર રંગ, રકીબે-સરોસામાં નિકલા
કૈસ તસવીર કે પર્દેમેં ભી ઉરિયાં નિકલા

(શૌક-તીવ્ર અભિલાષા, રકીબે-સરોસામાં- સરસામાનનો વિરોધી, કૈસ-મજનૂ, ઉરિયાં-નગ્ન)

મજનૂએ પ્રેમના પાગલપણામાં પોતાનાં વસ્ત્રો ફાડી નાખ્યાં હતાં, એટલે ચિત્રના પડદા પર મજનૂ નગ્ન દર્શાવાય એ સ્વાભાવિક છે. ‘પડદામાં રહેવું’ એટલે ઢંકાયેલા રહેવું. વક્રતા જુઓ- પડદા પર હોવા છતાં મજનૂ પડદા વિનાનો છે! આ પુરવાર કરે છે કે પ્રેમ સાધન-સામગ્રીથી પર છે. ‘હર રંગ’માં એટલે દરેક સ્થિતિમાં. ગાલિબ ઉસ્તાદ છે, ચિત્રની ઉપમા અપાઈ હોવાથી તે જાણીબૂઝીને ‘રંગ’ શબ્દ પ્રયોજે છે.

ન થા કુછ તો ખુદા થા,કુછ ન હોતા તો ખુદા હોતા
ડૂબોયા મુઝકો હોનેને, ન હોતા મૈં તો ક્યા હોતા?

ગાલિબ કહે છે, જ્યારે કશું નહોતું ત્યારે ખુદા હતા, જો કશું ન હતે તોય ખુદા હતે. મારી હયાતીએ મને ડુબાડ્યો, હું ન હતે, તો શું હતે? જવાબમાં વાચક બોલી ઊઠે,’ખુદા હતે!’ ગાલિબ વાચકને મોઢે બોલાવવા ઇચ્છે છે,કારણ કે એક મુસલમાન થઈને પોતે ન કહી શકે કે હું ખુદા હતે.’તો ક્યા હોતા?’- આનો એવોય અર્થ નીકળે કે ‘હું ન હતે તો શો ફરક પડતે?’ આવા ગહન વિચાર રજૂ કરનાર ગાલિબે પોતાને વિશે એક શેરમાં કહ્યું છે, ‘ગાલિબ, અમે તને ઋષિ સમજતે,જો તું આવો દારૂડિયો ન હતે,તો!’

-ઉદયન ઠક્કર

( સૌજન્ય – ઉદયન ઠક્કર )

Comments

પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૦ : મુક્તકો

પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓની શ્રેણીમાં આજે આ આખરી કડી…

ઘણીવાર આખી કવિતા ઉપરાંત નાની-નાની કાવ્યકણિકાઓ પણ હૈયામાં કાયમી મુકામ કરી જતી હોય છે અને ટાણેટાંકણે આ કણિકાઓ સ્મરણપટ પર આપોઆપ ઉપસી આવતી હોય છે. જીવનના અલગ-અલગ વળાંકો પર, મનોદશાના અલગ-અલગ પડાવો પર આવી અલગ-અલગ કાવ્યકણિકાઓ આપોઆપ આગળ આવીને આપણો હાથ ઝાલી લેતી હોય છે, અને આવો હૂંફાળો સાથ મળ્યા બાદ આગળ ડગ માંડવાનું થોડું આસાન બની રહેતું હોય છે. અહીં જે મુક્તકો હું આપ સહુ સાથે સહિયારી રહ્યો છું, એ બધાએ ડગલેપગલે વફાદાર પ્રેમિકાની જેમ મારો સાથ નિભાવ્યો છે. આમ તો માબાપે આપેલ જીવન પ્રમાણમાં ખાસ્સું સરસ જ રહ્યું છે, પણ નાનીમોટી તકલીફો અને ઘણુંખરું પેટ ચોળીને ઊભાં કરેલ શૂળ ઈમાનદારીથી મને હંફાવવાની કોશિશ કરતાં આવ્યાં છે. આવા દરેક કપરા સમયમાં આ કવિતાઓએ મને ફરીફરીને બેઠો કર્યો છે. હજારોવાર આ પંક્તિઓને મોટેમોટેથી મેં મનમાં લલકારી છે. (ધવલે શેખાદમનું ‘અમને નાંખો જિંદગીની આગમાં’ મુક્તક પૉસ્ટ કરી દીધું છે એટલે એનું પુનરાવર્તન કરતો નથી.)

આવી જ કોઈ કવિતાઓ આપના માટે ‘પ્રેરણાપુંજ – રાહ ચીંધતી કવિતાઓ’ બની હોય તો કમેન્ટ વિભાગમાં જરૂર સહિયારજો.

*

અફસોસને આસન કદી જો આપશું,
જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
ફૂલ ઊઘડતુંય એ ચૂંટી જશે.
– મકરંદ દવે

કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
– મકરંદ દવે

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાનાં ઝરણાં નાનાને સાગર જેવું બનાવો.
– સુન્દરમ્

નથી ઇચ્છા કે કિનારા થઈને પડ્યા રહીશું,
નાનું તોયે ઝરણું થઈને વહેતા રહીશું.
– ?

જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત

હાથની રેખા પ્રમાણે ચાલનારા છે ઘણા,
ચાલ તારાઓની બદલે એ જ શક્તિમાન છે.
– શેખાદમ આબુવાલા

મને એ નાખુદા પર છે ખુદા કરતાં વધુ શ્રદ્ધા,
કિનારો જોઈ જે પાછો વળી જાયે સમંદરમાં.
– શૂન્ય પાલનપુરી

કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી,
અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી;
તમારા મનને જીતી લો તો હું માનું. ‘સિકંદર છો’,
નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ નથી પડતો.
– શૂન્ય પાલનપુરી

ઝુલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
– શૂન્ય પાલનપુરી

જિંદગી જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
– મરીઝ

જિગર પર જુલ્મે કે રહેમત, ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું ફરી જોજો;
કટોરા ઝેરના પીતાં કરું છું એ વફાદારી,
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
– કપિલરાય ઠક્કર ‘મજનૂ’

ફરીથી વિશ્વને જોવા મળે પુરુષાર્થની સિદ્ધિ,
ફરીથી ભાગ્યરેખાઓ બધી ગૂંચવાઈ જાવા દ્યો.
– ‘દિલહર’ સંઘવી

સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઇમારત એના નક્શામાં નથી હોતી.
– અમૃત ઘાયલ

મને મળી નિષ્ફળતા અનેક,
તેથી થયો સફળ કૈંક હું જિંદગીમાં
– ઉમાશંકર જોશી

Comments (6)

શેર – જૌન એલિયા

अहद-ए-रिफ़ाक़त ठीक है लेकिन, मुझ को ऐसा लगता है !
तुम तो मिरे साथ रहोगी, मैं तन्हा रह जाऊंगा !!

– जौन एलिया

अहद-ए-रिफ़ाक़त – દોસ્તીનો સમય ( અહીં એવો અર્થ છે કે અત્યારે આપણી દોસ્તીનો સમય છે, કબૂલ… પણ મને એવું લાગે છે કે તું તો મારી સાથે હશે, છતાં હું તન્હા રહી જઈશ… )

જૌન એલિયા પાકિસ્તાની વામપંથી શાયર છે અને બડો અચ્છો શાયર છે. એની સળંગ ગઝલ કરતાં એના છૂટાછવાયા શેર બહુ મજબૂત હોય છે. પાકિસ્તાનમાં એના શેર ઘણાં જાણીતા છે.

આ શેરનો એક ગૂઢાર્થ જૂઓ ( બીજા પણ બે-ત્રણ અર્થ કાઢી શકાય તેમ છે ) – માશૂકા સાથે છે પણ શાયરના દિલે કંઈ બીજી જ ખલિશ છે…એ અનુભવે છે કે મારી તન્હાઈની વજહ કંઈક અલગ જ છે ! તું સાથે છે, છતાં હું તન્હાઈ અનુભવું છું….મતલબ કે હું કંઈ બીજું જ તલાશું છું. શું ? – કદાચ શાયરને પણ તે ખબર નથી.

આ કોઈ શાયરનો ખયાલી પુલાવ નથી – તીવ્ર સંવેદનશીલતા ધરાવનાર વ્યક્તિ માટે આ અનુભવ અજાણ્યો નથી. આથી જ કોઈ વસ્તુ કે વ્યક્તિ કે ઈશ્વરના વિરહમાં જે અનુભૂતિ થાય તે ચીજ કે વ્યક્તિ કે પછી ઈશ્વર જ્યારે પામી જવાય ત્યાર પછીની અનુભૂતિ સ્થાયી આનંદ અને સંતોષની ન પણ હોય…..!!!!

આલ્બર્ટ કામુનું એક વાક્ય યાદ આવે –

“ I was with them and yet I was alone. “

Comments (2)

સવા શેર : ૧૧ : ભ્રમ હયાતીનો – વિવેક મનહર ટેલર

જ્યારે ભ્રમ હયાતીનો બુદબુદાનો ભાંગશે,
થઈ જશે હવા હવા, પાણી પાણી થઈ જશે.
– વિવેક મનહર ટેલર

સીદીભાઈને સીદકાં વહાલાંના ન્યાયે સર્જકને તો પોતાનું સમગ્ર સર્જન જ ગમવાનું. પણ મારે જો મારા જ કોઈ શેર વિશે બે’ક શબ્દ લખવાનું હોય તો હું પસંદગીનો કળશ આ શેર પર પહેલાં ઉતારું. પહેલી નજરે તો વાત સાવ સરળ–સહજ જ છે. ब्रह्म सत्य, जगत मिथ्या એમ આપણે સહુ કહીએ તો છીએ, પણ જીવીએ છીએ એ રીતે કે જગત અને જીવન સત્ય હોય અને બ્રહ્મ મિથ્યા હોય. અસ્તિત્ત્વના તકલાદીપણાં કે ક્ષણભંગુરતા વિશે સેંકડો સર્જકો અસંખ્ય વાત કરી ગયા છે. આ શેર એમાં જ એક ઉમેરણ છે. પરપોટાથી વધુ તકલાદી તો શું હોઈ શકે? પાણીના પાતળા પડની કાયાની ભીતર હવા ભરાતાં સર્જાતો પરપોટાનું આયુષ્ય ક્ષણ-બે ક્ષણથી વધુ હોતું નથી. પણ આટલા ટૂંકા આયુષ્યમાં પણ એ પ્રકાશ ઝીલીને એવી તો મજાની મેઘધનુષી છટા સર્જી બતાવે છે કે જોતાંવેંત જોનારનું મન મોહી લે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ગમે એટલો આકર્ષક કેમ ન હોય, પરપોટો થોડી જ વારમાં ફૂટી જાય છે. હવા હવામાં ભળી જાય છે, ને પાણીનું અતિપાતળું પડ પાણીનું ટીપું બની જમીનમાં ભળી જશે. પરપોટો પાણીની ભીતર સર્જાયો હોય, તોય હવા અને પાણીનું ગંતવ્ય તો આ એક જ અને અફર જ રહેવાનું. પરપોટાની હયાતીની મિષે વાત આપણી હયાતીની માંડી છે એ બાબત સ્વયંસ્પષ્ટ છે. મૃત્યુ આવશે એ ઘડીએ હયાતી વિશેનો આપણા ભ્રમનો પરપોટો પરપોટાની જેમ જ ભાંગી જનાર છે, અને પંચભૂતમાંથી બનેલો દેહ પંચભૂતમાં જ પુનઃ ભળી જનાર છે એ જ વાત અહીં કરવામાં આવી છે. પણ પસંદગીનો કળશ આ શેર ઉપર ઢોળ્યો હોવાનું કારણ બીજી પંક્તિમાં પ્રયોજાયેલ બેવડો શ્લેષ અલંકાર છે. જ્યારે બુદબુદાનો પોતાની હયાતી વિશેનો ભ્રમ ભાંગી જશે ત્યારે હવા હવા થઈ જશે અને પાણી પાણી થઈ જશે એ વાતમાં છૂપાયેલ શ્લેષ ઉઘાડીશું તો એક નવો જ સંદર્ભ હાથ આવશે. પ્રથમદર્શી અર્થોપરાંત અહીં બે જાણીતા રૂઢિપ્રયોગો પણ વપરાયા છે. હવા હવા થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. પરપોટો હોય કે આપણી હયાતી, બંને નાશ પામે છે ત્યારે કશું હાથ આવતું નથી. પાણી પાણી થઈ જવું યાને શરમના માર્યા ભીના થઈ જવું. જીવનભર હોવાપણાંનો ખોંખારો ખાતા, પોતાને સૃષ્ટિની ધરી ગણીને જીવનાર માનવીને અંતિમ ઘડીએ સમજાય છે કે પોતાનું અસ્તિત્ત્વ સૃષ્ટિમાં ટપકાં બરાબર પણ નહોતું. જીવનભર જીવનનો પાળ્યે રાખેલ ભ્રમ જે ઘડીએ ભાંગે છે, એ ઘડીએ પાણી પાણી થઈ ન જવાય તો જ નવાઈ.

આ શ્વાસની ચોમેર વીંટળાયો છે ભ્રમ,
છેવટની પળથી પહેલાં શું ભાંગી શકાય?

Comments (1)

સવા શેર : ૧૦ : વાણીનું સમ્યક ઋણ – સંજુ વાળા

વાણીનું સમ્યક ઋણ ના ફેડી શકે, એ થાય હર જન્મે કવિ!
તો હે કવિતા! લાવ આ જન્મે જ સઘળું ચૂકવી દઉં માગણું!
– સંજુ વાળા

કવિતાનું અગત્યનું લક્ષણ છે Paradox. કવિ નિશાન કંઈક સાધતા હોવાનું દેખાય અને નિશાન કંઈ બીજું જ સધાતું હોય એ વિરોધાભાસ કવિતાને ખૂબ માફક આવે છે. વળી, આ કવિની તો આ ખાસિયત છે. સંજુ વાળાની કલમેથી કંઈક સીધુંસટ કે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું પ્રાપ્ત ભાગ્યે જ થશે. આ કવિ કવિતાના મર્મને પામી જઈ, કંઈક અલગ અને સાવ મૌલિક કામ કરવાના પથના પ્રવાસી છે. એમની કવિતા પૂરતી ભાવકસજ્જતા માંગી લેતી કવિતા છે. ક્યારેક એમની કવિતા ભાષા અને અર્થની સીમાપાર વિહરતી પણ લાગે, પણ સરવાળે પુરુષાર્થ કર્યા પછી કશું પ્રાપ્ત ન થાય એવો અનુભવ પણ ભાગ્યે જ કરાવે છે.

સૃષ્ટિના તમામ જીવોમાં કેવળ મનુષ્યને જ વાણીનો આશીર્વાદ મળ્યો છે. વાણીનું ઋણ પૂરેપૂરું ન ફેડી શકે એ માણસ જન્મજનમ કવિ થાય છે એવી અંગત માન્યતા ધરાવતા કવિ આ જન્મમાં જ પોતાનું સમગ્ર કવિતાના ચરણમાં સમર્પી દઈ, પોતાની કારયિત્રી પ્રતિભાનો અંશેઅંશ નિચોવી દઈ, સઘળું માગણું ચૂકવી દઈ ભવાટવિના ફેરામાંથી આઝાદ થવાની, મોક્ષપ્રાપ્તિની અભ્યર્થના કરે છે. હવે પ્રશ્ન થશે કે બંને પંક્તિ સીધી હરોળમાં ચાલે છે, તો ઉપર ઇંગિત કર્યો એ વિરોધાભાસ ક્યાં છે? ખમો થોડી વાર, ભઈલા!

એક તરફ કવિ કહે છે કે ભાષાનું સંપૂર્ણ કરજ ચૂકવવામાં નિષ્ફળ થવાની સજા જન્મોજનમ કવિ થવું એ છે, પણ વાસ્તવિક્તા એ છે કે સૂંઠના ગાંગડે કવિ થવાતું નથી. જે માણસ સમાજ પાસેથી શીખેલ ભાષાનો નિચોડ સમગ્રતયા કાઢી શકવાને સમર્થ હોય એ જ તો કવિ બની શકે છે. કવિનો શબ્દ અને લોકવ્યવહારના શબ્દ વચ્ચે આમ જુઓ તો કોઈ તફાવત જ નથી. કવિની ભાષા લોકભાષામાંથી જ જન્મી છે અને અલગ પણ નથી. પણ કવિનો શબ્દ જવાબદારીનો શબ્દ છે. કવિ ભાષાનો પ્રથમ અને સર્વોત્તમ પ્રહરી છે. કવિ કવિતામાં શબ્દ વાપરે છે ત્યારે એમાં એની જિંદગીભરની સમજ અને વિચારને પૂરી સૂઝબૂઝ સાથે વાપરે છે. પરિણામે કવિનો શબ્દ વ્યવહારમાંથી જ આવ્યો હોવા છતાં વ્યવહારથી ઉફરો અને ઊંચો તરી આવે છે. ભાષાનો સો ટકા અર્ક કાઢી શકનાર જ કવિ બને છે એની સામે એ અર્ક અપૂરતો કાઢી શકનારને જ કવિ બનવાની સજા મળતી હોવાની વાત કેવો માર્મિક અને છૂપો વિરોધાભાસ જન્માવે છે.

બીજી પંક્તિમાં કવિતાને સંબોધીને કવિ જનમજનમના કવિફેરામાંથી બચવા માંગતા હોય એમ આ જ જનમમાં સઘળું લેણું અદા કરી દેવાની વાત કરે છે ત્યારે પ્રથમદર્શી ખ્યાલ એ આવે કે કવિ કવિ બનવામાંથી છૂટકારો ઇચ્છે છે. પણ હકીકત એ છે કે કવિ હોવું એ પરમ સૌભાગ્યની વાત છે એનાથી કવિ સુપેરે વાકિફ છે. અને અપ્રગટ વિરોધાભાસ જન્માવીને કવિ એ જ વાતને અધોરેખિત કરે છે કે કવિ બનવાની એકમાત્ર શરત છે ભાષાના ચરણે અને શરણે સંપૂર્ણ સમર્પણ. કશું અડધું-અધૂરું કવિતામાં ચાલી શકે જ નહીં. સમાજ તરફથી આપણને જે ભાષા અને વાણી મળ્યાં છે, એનું દેવું પૂરેપૂરું ચૂકવવું એ દરેકેદરેક કવિની પરમ ફરજ છે.

સમ્યક શબ્દની અર્થચ્છાયા પર પણ એક બીજો લેખ લખી શકાય. પણ એ ફરી ક્યારેક.

Comments (1)

સવા શેર : ૦૯ : પરદો – બરકત વિરાણી ‘બેફામ’

તમે ચહેરા ઉપર પરદો ધર્યો છે,
ને પરદા પર હું ચહેરો ચીતરું છું.
– બરકત વિરાણી ‘બેફામ’

સૌંદર્યાનુરાગિતા કવિતાના પ્રમુખ લક્ષણોમાંનું એક છે. પ્રિયજન, પ્રકૃતિ અને પરમેશ્વરના સૌંદર્યનું ગાન વિશ્વભરની કવિતાને શરૂથી જ ખૂબ માફક આવ્યું છે. જો કે સૌંદર્યની કવિતામાં પણ કવિતાનું સૌંદર્ય તો હોવું જ ઘટે. એ વિના તો રચના સૌંદર્યવર્ણન કરતો નિબંધ બનીને જ રહી જાય. બેફામ આમ તો પરંપરાના શાયર પણ કવિતાને પરંપરા કે આધુનિકતા સાથે કોઈ લેવાદેવા નહીં. આ વાડા તો ઈશ્વર-અલ્લાહ-ગોડની જેમ આપણે આપણી અનુકૂળતા માટે સર્જ્યા છે. બેફામનો આ શેર આધુનિકને પણ જૂનો કહેવડાવે એટલો આધુનિક છે.

બેફામના સમયગાળામાં પરદાપ્રથા હિંદુ સ્ત્રીઓમાંથી હજી ગઈ નહોતી, અને મુસ્લિમ સ્ત્રીઓમાં તો સવાલ જ ઊઠતો નહોતો. અજાણ્યા શખ્સ સામે બુરખો લગભગ ફરજીયાત હતો. નાયકની ઉપસ્થિતિમાં નાયિકાએ પોતાના ચહેરા ઉપર પરદો ધરી દીધો છે. શિસ્ત ગુજરાતીમાં આમ તો ‘પરદો કરવો’ પ્રયોગ ‘પરદો ધરવો’ કરતાં વધુ યોગ્ય ગણાય પણ મુસલમાન કોમનું ગુજરાતી આજે પણ પ્રશિસ્ત ગુજરાતી ધારા સાથે દૂધમાં સાકરની જેમ ભળી શક્યું નથી એટલે કવિએ પ્રયોજેલ ક્રિયાપદને નિર્વાહ્ય ગણીએ. આમેય, કવિતા નિજાનંદ માટેની કળા છે, ગણિતનો પ્રમેય નથી, જેને તબક્કાવાર અને તર્કબદ્ધ રીતે જ ઉકેલવો પડે.

સનમે ચહેરા ઉપર પરદો ધરી દઈને પોતાનું સૌંદર્ય છૂપાવી દીધું છે. પણ નાયકને તો એ સૌંદર્યની જ આરત છે ને! પ્રીતિને આવરણો સાથે સંબંધ કાંઈએ નથી. આવરણ ન હોય તો તો સૌંદર્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે. સાચો પ્રેમી તો એ જ જેને દુનિયાભરના આવરણ નડી ન શકે. નાયિકાએ પરદો કરીને ચહેરો ઢાંકી દીધો તો નાયક પરદા ઉપર જ એનો ચહેરો ચીતરી રહ્યો છે. મતલબ, ચર્મચક્ષુ માટે જે સૌંદર્ય પરદાપાછળ ગોપિત છે, એને નાયક મનઃચક્ષુ વડે નિરખી રહ્યો છે, ચાક્ષુષ કરી રહ્યો છે. વાત સામાન્ય છે, પણ કલ્પનાની શક્તિ અને નજાકત –બંનેનું સૌંદર્ય શેરને સવાશેર બનાવે છે. નાયકે પ્રેમ કર્યો છે, પણ પરદો હટાવી લેવાની કે હટાવવાની વિનંતી કે આગ્રહ કરવા જેટલીય ગુસ્તાખી એ કરવા નથી ઇચ્છતો. એ નાયિકની પરદાદારીનું સંપૂર્ણ માન જાળવે છે. અને સાથોસાથ નાયિકાના મુખદર્શનની પોતાની તલબને અંજામ પણ આપે છે.

સૌંદર્યાનુરાગિતાની વાતને કવિએ જે સૌંદર્યથી રજૂ કરી છે એની જ ખરી મજા છે. કેટલાક શેર એવા હોય છે જેની પાસે બે ઘડી થોભવા જેટલી ધીરજ ધરો તો એ પરદો ઊઘાડીને મુખદર્શન અને સુખદર્શન બને આપશે. આ શેર એવો જ એક શેર છે. આવો. થોભો. અને શેર આપોઆપ ઉઘડે એટલી રાહ જુઓ.

Comments (1)

શેર – સાહિર લુધિયાનવી

चंद कलियाँ नशात की चुन कर मुद्दतों महव-ए-यास रहता हूँ
तेरा मिलना ख़ुशी की बात सही तुझ से मिल कर उदास रहता हूँ

– साहिर लुधियानवी

 

હસી-ખુશીની ચંદ ક્ષણો મેળવીને કંઈ કેટલોય વખત ગમમાં ડૂબ્યો રહું છું. તારું મળવું ભલે ખુશીની વાત હોય – અક્સર તને મળીને ઉદાસ રહું છું…

બહુ ઊંડી વાત છે. ખરેખર વ્યક્તિને શું જોઈએ છે ? માશૂકા ? કે પછી માશૂકાને મેળવવાની જિદ્દ પૂરી કરવાથી સંતોષાતા અહંકારની ફીલિંગ ? માશૂકા મળી જાય પછી જે ઉદાસી ઘેરી વળે છે તેનું કારણ શું ? ઉપાય શું ? કે પછી ઉદાસી જ એ કવિને મનભાવન સ્થાયીભાવ છે ?? ભગવાન બુદ્ધે કહ્યું હતું કે આપણે સૌથી વધુ આપણી જાતને પ્રેમ કરીએ છીએ એ અનુભૂતિ નિર્વાણમાર્ગ પર આવતી એક બહુ મહત્વની અવસ્થા છે. ત્યાર પછી જ ખરી વિતરાગ અવસ્થા શક્ય છે. આ વાતનો અહીં સંદર્ભ એટલો કે કવિની ઉદાસી માશૂકાની હાજરી-ગેરહાજરી પર નિર્ભર નથી,પોતાની જાતની અંત:સ્થિતિ પર આધારિત છે…..

Comments (1)

સવા શેર : ૦૮ : શબ્દ અને અર્થ – હિમલ પંડ્યા

અર્થના કૂંડાળાંમાં અટવાય છે,
શબ્દ રોજેરોજ ગોથાં ખાય છે.
– હિમલ પંડ્યા

કોઈને કોઈ રીતે અભિવ્યક્ત થવું એ માનવમનની અનિવાર્યતા છે. ભાષા નહોતી ત્યારે આદિમાનવ હાવભાવ અને ઈશારાઓથી પ્રત્યાયન સાધવાની કોશિશ કરતો. ક્રમશઃ બોલી અસ્તિત્ત્વમાં આવી અને પછી લેખન અને લિપિ શોધાતાં ભાષાને અ-ક્ષરદેહ સાંપડ્યો. દરેક શબ્દને આપણે અર્થના દાયરામાં બાંધી દીધો છે. કોઈપણ શબ્દ આપણે જે કહેવું છે એની નજીક સુધી જ લઈ જઈ શકે, પણ માનવમનના ભાવોને યથાતથ રજૂ કરી શકે એ ક્ષમતા કોઈ શબ્દમાં હોતી નથી. સમય સાથે શબ્દોના અર્થ અને ક્યારેક તો સ્વરૂપ પણ બદલાતાં રહે છે. ‘બિસમાર’ શબ્દનો મૂળ અર્થ તો ‘વિસ્મૃત’ કે ‘વિસારી મૂકેલું’ થાય છે, પણ સમય સાથે આ અર્થ જ વિસ્મૃત થઈ ગયો અને ‘બિસમાર’નો અર્થ ‘જીર્ણશીર્ણ થયેલું’ થવા માંડ્યો. શેક્સપિઅરના જમાનામાં ઓનેસ્ટ એટલે સારો માણસ, આજે એનો અર્થ થાય છે પ્રામાણિક. જેન ઑસ્ટિનના જમાનામાં સુંદર છોકરીને પણ હેન્ડસમ કહેતાં, આજે છોકરીને હેન્ડસમ કહો તો થપ્પડ પડે. એક બીજું ઉદાહરણ જોઈએ: ‘દીન’ અને ‘દિન.’ બે શબ્દોવચ્ચેનો ફર્ક આમ ત્યો હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈ જેટલો જ છે, પણ આપણે બંને શબ્દોને અલગ-અલગ અર્થોના કુંડાળામાં બાંધી રાખ્યા છે. દીન એટલે ગરીબડું અને દિન એટલે દિવસ. આપણે એમ માનીએ છીએ કે બંને શબ્દોના અર્થ સુનિશ્ચિત છે અને જોડણીફેર થઈ જાય તો અર્થનો અનર્થ થઈ શકે છે. શાળામાં વિદ્યાર્થીઓને જોડણીનું મહત્ત્વ સમજાવવા આ ઉદાહરણ અવશ્ય વપરાય છે, અને આવા ઉદાહરણોની મદદથી કૂમળા માનસમાં જોડણીની અગત્યતા ઠસાવી દેવામાં આવે છે. હકીકત એ છે કે ભલે આ શબ્દોને આપણે નિયત અર્થના વાડામાં કેમ ન પૂરી રાખ્યા હોય, અર્થ હકીકતમાં શબ્દોમાંથી નહીં, પણ શબ્દ જ્યારે વ્યવહારમાં વપરાય છે ત્યારે એ શબ્દો જે વાતાવરણ સાથે રજૂ થાય છે એમાં રહેલો હોય છે. ‘દિન ઉગ્યો’ કહેવાને બદલે આપણે ‘દીન ઉગ્યો’ કહીએ તોય અર્થ બદલાતો નથી અને સંદર્ભ પ્રત્યાયિત થઈને જ રહે છે. એ જ રીતે ‘દીન મુખમુદ્રા’ના સ્થાને ‘દિન મુખમુદ્રા’ લખી દેવાથી પણ યથાતથ અર્થ જ સામી વ્યક્તિ સુધી પહોંચે છે. હ્રસ્વ અને દીર્ઘ ‘ઇ’ના ફેરને લઈને વાસ્તવમાં શબ્દાર્થ બદલાઈ જવાનું જોડણીકોશ અથવા વ્યાકરણ આપણને ભલે શીખવતા હોય, પણ વ્યવહારમાં આપણે જોયું એમ સાચો અર્થ પહોંચીને રહે છે. લિપિ તો ઠીક, પણ બોલવામાં તો ભાગ્યે જ કોઈ હ્રસ્વ કે દીર્ઘના ઉચ્ચારણ સાચવીને બોલતું હશે. એટલે એ વાત સિદ્ધ થાય છે કે શબ્દનો અર્થ એની સાથે વપરાતા શબ્દોને લઈને વધુ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત બોલનારના ભાવછટા પણ શબ્દાર્થ સ્પષ્ટ કરવામાં સહાયભૂત નીવડે છે. આ જ વાત બહુ અસરદાર રીતે ગઝલના મત્લામાં રજૂ થઈ છે. શબ્દોને આપણે અર્થના કૂંડાળામાં પૂરી દીધા હોવાથી રોજેરોજ ગોથાં ખાય છે. કવિએ આટલું બધું વિચારીને મત્લા લખ્યો હશે કે કેમ એ આપણને ખબર નથી. આપણે જે કર્યું એ પિષ્ટપેષણ વિનાય મત્લા સ્વયંસ્પષ્ટ જ છે, પણ આ મિષે આપણને આટલું વિચારવાનું મન થયું એ જ કવિતાની ખરી ઉપલબ્ધિ, ખરું ને!

Comments (3)

રાજકારણ વિશેષ : ૦૪ : પસંદગીના શેર – દુષ્યન્ત કુમાર

भूख है तो सब्र कर, रोटी नहीं तो क्या हुआ,
आजकल दिल्ली में है जेरे बहस ये मुद्दआ।

कहाँ तो तय था चिरागाँ हरेक घर के लिए,
कहाँ चिराग़ मयस्सर नहीं शहर के लिए। (मयस्सर-नसीब)

यहाँ तक आते-आते सूख जाती है कई नदियाँ,
मुझे मालूम है पानी कहाँ ठहरा हुआ होगा।

तू परेशान बहुत है, तू परेशान न हो,
इन खुदाओं की खुदाई नहीं जाने वाली।

हमको पता नहीं था हमें अब पता चला,
इस मुल्क में हमारी हुकूमत नहीं रही।

कभी किश्ती, कभी बतख़, कभी जल,
सियासत के कई चोले हुए हैं।

पक्ष औ’ प्रतिपक्ष संसद में मुखर है,
बात इतनी है कि कोई पुल बना है।

दरख़्त है तो परिन्दे नज़र नहीं आते,
जो मुस्तहक़ है वही हक़ से बेदख़ल, लोगों। (दरख़्त- पेड, मुस्तहक़-हक़दार)

हर सडक पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।

आज सडकों पर लिखे हैं सैकडों नारे न देख,
घर अँधेरा देख तू, आकाश के तारे न देख।

उफ़ नहीं की उज़ड गए,
लोग सचमुच गरीब हैं।

जिस तरह चाहे बजाओ इस सभा में,
हम नहीं है आदमी, हम झुनझुने हैं। (झुनझुना-ઘૂઘરો)

सैर के वास्ते सडकों पे निकल आते थे,
अब तो आकाश से पथराव का डर होता है।

कौन शासन से कहेगा, कौन समझेगा,
एक चिडिया इन धमाकों से सिहरती है।

जिस तबाही से लोग बचते थे,
वो सरे आम हो रही है अब।

अज़मते मुल्क इस सियासत के, (अज़मत–इज्जत)
हाथ नीलाम हो रही है अब।

गूँगे निकल पडे हैं, जुबाँ की तलाश में,
सरकार के ख़िलाफ ये साज़िश तो देखिए।

मैं बहुत कुछ सोचता रहता हूँ पर कहता नहीं,
बोलना भी है मना, सच बोलना तो दरकिनार। (दरकिनार-अलायदा, अलग)

ख़ास सड़कें बंद हैं तब से मरम्मत के लिए
ये हमारे वक़्त की सब से सही पहचान है|

मस्लहत-आमेज़ होते हैं सियासत के क़दम
तू न समझेगा सियासत तू अभी नादान है|
(मस्लहत-आमेज़-जिसमें कोई परामर्श, सलाह सामिल हो)

मुझमें रहते हैं करोडों लोग चुप कैसे रहूँ,
हर ग़ज़ल अब सल्तनत के नाम एक बयान है।

– दुष्यंत कुमार

લયસ્તરોની અઢારમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે પ્રારંભાયેલ રાજકારણ-વિશેષ કવિતાઓની શૃંખલામાં આજે આ પાંચમો મણકો.

માત્ર સાડા ચાર ડઝનથીય ઓછી ગઝલ લખી હોવા છતાં દુષ્યન્તકુમાર હિંદી ગઝલમાં અભૂતપૂર્વ સીમાચિહ્ન બની રહ્યા છે… હિંદી ગઝલને દુષ્યંત સે પહલે ઔર દુષ્યંત કે બાદ -આમ બે ભાગમાં વહેંચીને જોવી પડે એનાથી મોટી સિદ્ધિ બીજી કઈ હોઈ શકે? દુષ્યન્તકુમારની ગઝલોની હરએક ગલીઓમાંથી રાજકારણ અને લોકોની સમસ્યાઓના પડઘા સંભળાતા રહે છે. તેઓ સામાજિક જનચેતનાના કવિ હતા… એમની ગઝલોમાંથી વીણેલાં મોતી આપ સહુ માટે…

Comments (3)

શેર – शारिक़ कैफ़ी

झूठ पर उस के भरोसा कर लिया
धूप इतनी थी कि साया कर लिया

– शारिक़ कैफ़ी

બહુ વરસો પહેલાં એલ્વીસ પ્રિસ્લીનું એક મશહૂર ગીત ચિત્રલેખામાં કોઈકે સમજાવેલું – બહુ ચોક્કસ યાદ નથી,થોડો વિગતદોષ હોઈ શકે – પણ અર્ક કંઈક આવો હતો –  “ Honey, you lied when you said you loved me And I had no cause to doubt you. But I’d rather go on hearing your lies, Than go on living without you…. “

સત્યએ પ્રખર તડકો છે – धूप इतनी थी कि साया कर लिया…. – સહન નથી કરવો સત્યનો તાપ, અથવા તો સહન થઈ શકે તેમ નથી એ તાપ… મારે મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું નથી. એટલે …….साया कर लिया…… – જાતને છેતરવું શરુ કરી દીધું. આત્મવંચનાથી વિશેષ સુખ કયું….?

 

શું સત્ય સાથે આંખ મિલાવવી એ જ સાચી રીત છે જીવવાની ? થોડી આત્મવંચનાથી એક નહીં,એકથી વધુ જીવન સુખી થતા હોય તો એમાં વાંધો શું ? જૂઠું બોલવું, અને અસત્ય સામે આંખ આડા કાન કરવા – શું આ બંને એક જ વસ્તુ છે ? જ્યારે ખબર છે કે સામી વ્યક્તિ જૂઠું બોલે જ છે – છતાં એ જાણકારી સાથે એના પર ભરોસો કરવો – એ મારી નબળાઈ નથી ?? આ સમજ હોવા છતાં હું એમ કરું તો એ સારું કે ખરાબ ? યોગ્ય કે અયોગ્ય ? નીતિપૂર્ણ કે અનીતિપૂર્ણ ?? આવી નબળાઈ પંપાળવી સારી કે નાબૂદ કરવી યોગ્ય ગણાય ??  – સવાલ પેચીદા છે, જવાબ સરળ નથી.

 

વળી મારા – धूप इतनी थी कि साया कर लिया – અભિગમની અન્યો ઉપર જે અસર પડે તેની જવાબદારી પણ મારી જ ને ? તે માટે મારી પાસે કોઈ જસ્ટીફિકેશન ખરું !!??

Comments (2)

વીણેલાં મોતી – લવ સિંહા

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે,
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર.
*
હું એને પામવાના પ્રયાસો કર્યા કરું,
જેનો જરા પ્રભાવ મને મારી નાખશે.

કડવી છે કહીને મારી દવા પણ નહીં કરે,
હદથી વધુ લગાવ મને મારી નાખશે.
*
ઘડીભર વિચાર્યું તો‌ લાગ્યું મને-
હજી આ સબંધો બચે એમ છે.

લગોલગ જો બેઠો, તો સમજણ પડી,
હજી થોડું અંતર ઘટે એમ છે.
*
નાની બહુ જ લાગી ઘરબારની ઉદાસી,
જોઈ રહ્યો છું હું તો સંસારની ઉદાસી.
*
હું તને જોઈને દુનિયા જોઉં છું,
કંઈ નથી એવું કે જે ગમતું નથી.
*
દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય,
આપણે પણ માપસરનું રોઈએ.

શાંત થઈએ અથવા તૂટી જઈએ, ચલ!
ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ?

– લવ સિંહા

પ્રવર્તમાન નવી પેઢીમાં ઝડપભેર આગળ આવી રહેલા નામો પૈકી એક તે લવ સિંહા. એમની થોડી ગઝલોમાંથી કેટલાક ગમી ગયેલા શેર આજે આપ સહુ માટે. આ બધા જ શેર બહુ હળવે હાથે ખોલવા જેવા છે.

Comments (3)

સવા શેર : ૦૭ : પ્રકાશ – નીતિન પારેખ

એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.

– નીતિન પારેખ

અગ્રગણ્ય ફાર્મા કંપની ઝાયડસ લાઇફસાઇન્સ લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરની પદવી શોભાવતા કવિના પ્રથમ સંગ્રહ ‘દ્વાર ભીતરનાં ખોલ’માંથી આ મોતી હાથ લાગ્યું. ટૂંકી બહરની બે પંક્તિમાં કવિએ ગાગરમાં સાગર ભરી આપવાનું અદભુત કવિકર્મ કર્યું છે.

આમ તો આ શેર સરળ અને સહજસાધ્ય છે, પણ શેરમાં મરીઝની ગઝલો જેવું જે ઊંડાણ છે, એ આગળ ન વધવા માટે મજબૂર કરે એવું છે. આમ તો આપણે કહેતાં જ હોઈએ છીએ કે, ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું,’ (રાજેશ વ્યાસ મિસ્કીન) પણ એ તો હાથીના દાંત જેવું. ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. વાતો મોટી-મોટી કરવાની પણ અમલ કરવાના ધારાધોરણ અલગ. કવિ મિસ્કીનની નિસ્પૃહતા અને મકરંદ દવેના ગમતાંનો કરીએ ગુલાલ વચ્ચે ઉમદા સામંજસ્ય સર્જે છે.

મૂળ વાત છે અપરિગ્રહની. જૈન ધર્મના પાંચ મહાવ્રત, બૌદ્ધ ધર્મના પંચશીલ, યોગસૂત્રકારોના પંચયમ તથા ગાંધીજીના અગિયાર વ્રતોમાંનું એક તે અપરિગ્રહ. ગાંધીજી કહેતા કે જે વસ્તુ આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થશે એમ માનીને સંગ્રહવી તે પરિગ્રહ કહેવાય. પણ જરૂર પડશે ત્યારે જોઈતી વસ્તુ મળી રહેશે એવી શ્રદ્ધા ઈશ્વર પર રાખીને સંગ્રહ ન કરીએ એને અપરિગ્રહ કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે, ‘तेन त्यक्ते न भुंञ्जीथाः|’ અર્થાત્ જે ત્યાગ કરે છે એ જ ભોગવી શકે છે.

અપરિગ્રહની આ તમામ જાણકારી આખરે તો જીવનકિતાબના આખરી પાને ફુટનોટ બનીને જ રહી જાય છે. તમામ ઉપદેશોથી વિપરીત સંગ્રહખોરી આપણો મૂળભૂત સ્વભાવ છે. સંકટના સમયે કામ આવશે એમ કરીને સચવાયેલી સેંકડો વસ્તુઓ જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ઘરના કોઈક ખૂણાના શૂન્યાવકાશને ભર્યોભાદર્યો રાખવા સિવાય કદી કામમાં આવતી નથી. કામ આવશે એમ કરીને જીવનભર સંચય કરેલ ધનના આપણે ફક્ત ચોકીદાર જ સાબિત થઈએ છીએ. બધું આખરે વંશજો જ વાપરે છે. એટલે જ કવિ કહે છે કે એકઠું કરેલ કશું કામનું નથી. સંચયમાં કોઈ રોશની નથી. પણ જરૂરિયાતમંદને આપવું એ જ વસ્તુનો સાચો ઉપયોગ છે. અન્યોની જરૂરિયાત સંતોષવાનો ઉપક્રમ રાખીએ તો જ નોળિયાનું ડિલ સોનાનું થાય. વહેંચવામાં આવેલી વસ્તુ જ સાચા અર્થમાં વપરાયેલી ગણાય અને કોઈપણ વસ્તુ વપરાય ત્યારે જ એના આવિર્ભાવ પાછળનો ખરો હેતુ ચરિતાર્થ થાય છે. એટલે જ કવિને વસ્તુને વહેંચવામાં પ્રકાશપ્રાપ્તિ દેખાય છે. વળી આ નિયમ સંસારની દરેક ચીજને લાગુ પડે છે… વિદ્યા-જ્ઞાન, પ્રેમ-વફાદારી વગેરેથી માંડીને અન્ન-જળ, સ્થાવર-જંગમ –તમામ માટે કવિનો આ શેર દીવાદાંડી સમો પથપ્રદર્શક બની રહે એમ છે..

Comments (14)

ઝાંઝવાંની ભીંતો – ડૉ. વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા,
આંસુઓના ખાર ઓછા ના થયા.

ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.

શાને પ્રભાત ટાણે આંખો બની સરોવર?
છેલ્લા પ્રહર સુધી તો સ્વપ્નોને ઘાટ નહોતા!

ખોટો થઈ શોધે છે કાયમ,
માણસ માણસ સારા હો જી.

આભની જેમ વરસી પડાયું નહીં,
એટલો રહી ગયો આંખને વસવસો.

જ્યાં નીર લાગણીનું હતું, છે તરસ હવે,
સંબંધનાં તળાવ હવે નામશેષ છે.

ડૂમો જ જાળવે છે મોભો પછી રુદનનો,
આંસુય જ્યાં ધરાઈ સારી નથી શકાતા.

શું નામ દઉં સ્મરણની આ સાતમી ઋતુને?
કૈં કેટલાં વરસથી કેવળ અષાઢ ચાલ્યા!

જાણું છું, કાયમની વેરી છે,
વેદના તો પણ ઉછેરી છે.

ભાગ્ય મારા અશ્રુને કેવું મળ્યું?
કોઈના પાલવથી લ્હોવાયું નહીં.

શું ખબર કોની પ્રતીક્ષા આખરી વેળા હતી?
જીવ પણ થોડી મિનિટો લાશમાં બેસી રહ્યો!

– ડૉ. વ્રજેશ મિસ્ત્રી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઝાંઝવાની ભીંતો’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી થોડાં વીણેલાં મોતી આજે આપ સહુ માટે…

Comments (6)

શેર – શારિક કૈફી

“कैसे टुकड़ों में उसे कर लूँ क़ुबूल
जो मिरा सारे का सारा था कभी ”

-शारिक कैफ़ी

 

ક્યાં તો બધું જ આપ ઓ ખુદા ક્યાં તો આ ટુકડા પાછા લઈ જા……

Comments (4)

(ચૂંટેલા શેર) – વિકી ત્રિવેદી

ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.

બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.

*

છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.

*
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!

*
પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.

હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.

– વિકી ત્રિવેદી

આ વખતે કવિની આખી રચના પૉસ્ટ કરવાના બદલે કવિની ચાર ગઝલોમાંથી દિલને સ્પર્શી ગયેલ થોડા પસંદગીના શેર ટાંકવાનું મન થાય છે, જેથી કવિની રેન્જનો સાક્ષાત્કાર થાય. ચાર ગઝલના આઠ શેર. દરેક પહેલી નજરે સમજાઈ જાય એવી સરળ સહજ બાનીમાં લખાયેલા છે, પણ બીજી નજર કરશો તો દિલમાંથી આહ અને વાહ એકસાથે નીકળી જશે અને ત્રીજી નજર કરશો તો પ્રેમમાં પડી જવાની ગેરંટી…

Comments (10)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

માતૃમહિમા : ૦૮ : શેર-સંકલન

સત્તરમી વર્ષગાંઠ અને ૫૦૦૦ પૉસ્ટસ – આ બેવડી સિદ્ધિની ઉજવણી નિમિત્તે આદરેલ ‘માતૃમહિમા’ કાવ્યશ્રેણીમાં આજે છેલ્લો મણકો… ભાગ્યે જ કોઈ કવિ આપણે ત્યાં એવા હશે જેણે માનો મહિમા નહીં કર્યો હોય. ઘણા બધા કવિમિત્રોએ મા વિષયક શેર-ગીત-અછાંદસ મોકલી આપ્યાં હતાં, પણ અહીં માત્ર શેર-સંકલનનો જ ઈરાદો હોવાથી ગીત-અછાંદસને પડતાં મૂકવા પડ્યાં છે. જગ્યાના અભાવે ઘણા ગઝલકાર મિત્રોના શેર પણ અહીં સમાવી શકાયા નથી. એ તમામ મિત્રોનો દિલગીરીપૂર્વક આભાર… કેટલાક ઉમદા શેર માણીએ:

સોયમાં દોરાને બદલે બા હતી;
ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ.
– ગૌરાંગ ઠાકર

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી
– સુરેન ઠાકર ‘મેહુલ’

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.
– મરીઝ

સ્વર્ગ જેવા શહેરથી પાછો વળ્યો હું ગામમાં,
મા વગર ત્યાં કોણ દેશી ગોળ દે ઘીમાં, મિયાં?
– મનોહર ત્રિવેદી

ચોરખિસ્સામાં બધાંયે આંસુઓ સંતાડી રાખે છે,
મા સતત પાંપણની પાછળ એક એવું પર્સ રાખે છે.
– અનિલ ચાવડા

રાજી કે ગુસ્સે હવે થાતી નથી
મા અહીં જ છે પણ એ દેખાતી નથી
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
– અશોક ચાવડા ‘બેદિલ’

તીર્થો બધાય પૂજ્યા, તીરથ ઘણાંય કીધાં,
એકેય જાતરામાં માનો વિકલ્પ ક્યાં છે?
– નીતિન વડગામા

જગતનાં સર્વ સુખોથી ભલે જીવન સભર લાગે
ખજાનો સાવ ખાલી મા મને તારા વગર લાગે.
– કિશોર બારોટ

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા !
– રતિલાલ સોલંકી

રહી ના શક્યો સાથે એની શરમ મોકલે છે,
હવે દીકરો શહેરમાંથી રકમ મોકલે છે.
– ડૉ.મનોજ જોશી ‘મન’

છે ખાતરી કે વ્હાલ મા જેવુ જ આપશે;
મળશે જો મોત તો મને રડવા દે નહીં જરાય.
– સર્જક

ત્વચા કપાય તો લોહી અપાર નીકળે છે, ને બુંદ-બુંદથી માનું ઉધાર નીકળે છે;
ભલેને સાત જનમની મૂડી લગાવી દઉં, છતાંય માવડી તો લેણદાર નીકળે છે
– શોભિત દેસાઈ

આમ કંઈ ટૂંકૂ પડે તો કોઈને ગમતું નથી
મા છતાં રાજી હતી કે પારણું ટૂંકું પડ્યું
– ભાવિન ગોપાણી

હજી પણ પાતળાં કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા, પાલવ એટલો દમદાર રાખે છે.
– વિપુલ માંગરોલિયા-વેદાંત

મા વિશે હું કંઈ લખું,
એટલું છે ક્યાં ગજું!
– ચેતન ફ્રેમવાલા

સ્વર્ગમાં હાલરડા એને સંભળાવે કોણ?
તેથી ઇશ્વર પણ કનૈયો થઈને આવે છે
– સુરેશ વિરાણી

ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.
– ભરત ભટ્ટ ‘પવન’

એક વિધવા મા તો બીજું શું કરે?
ધીમે ધીમે બાપ બનતી જાય છે.
– મધુસૂદન પટેલ

‘મ’ને જ્યારે કાનો લાગે,
દરિયો સુદ્ધાં નાનો લાગે.
– જગદીપ

Comments (12)

चराग-ए-दैर – आदित्य जामनगरी

લયસ્તરોના આંગણે આજે આદિત્ય જામનગરીના પ્રથમ ગઝલસંગ્રહ ‘ચરાગ-એ-દૈર’નું સહૃદય સ્વાગત છે. જામનગરમાં રહેતા આ ગુજરાતી કવિ માતૃભાષાના બદલે રાષ્ટ્રભાષામાં ખેડાણ કરે છે, પણ જુઓ તો! કેવા અદભુત અને બિલકુલ મૌલિક શેર એમની કલમમાંથી સરે છે! આખી ગઝલોનો આસ્વાદ ફરી ક્યારેક કરીશું પણ આજે મને ગમેલા થોડા ચૂંટેલા શેર માણીએ…

साँस दो पल ठहर नहीं सकती
दर्द इतने ज़िगर में रहते हैं

मैं गज़ल का हमज़बाँ हुँ
इसलिए कम बोलता हुँ

बिगड जाते हैं नीचे आने पर क्यूँ
सुना है रिश्तें बनतें हैं फ़लक पर

मैं गलत रास्ते पे हूँ ये बात पक्की है,
कोई मेरी राह में पत्थर नहीं रखता

ख़त्म कब होगा खेल मजहब का,
आदमी जाने कब बडा होगा

शोहरत जब बुलन्दियों पर हो
हर फ़साना ख़िताब होता है

अब जताते भी नहीं नाराज़गी
सोचिए हम किस क़दर नाराज़ है

मेरी हिजरत समझ न पाओगे
मेरा घर मेरे घर से दूर है

लगता है नाकामी में हर शख़्स को
हर इशारा, तंज़ उसकी और है

रखते हैं बेईमानी का रोज़ा जो रोज़
उनकी पूरी ज़िन्दगी रमज़ान है

अपनी आदत से बर नहीं आता
वक़्त क्यूँ वक़्त पर नहीं आता

कम पडा है अपने लडने का जुनूँ
मत कहो कि ख़्वाब सच्चा न हुआ

कहो उसके सिवा यादों का मतलब और क्या होगा
हज़ारों मोड पर दिल वक़्त को ठहरा समझता है

मुद्धतों से उम्मीदें हडताल पर हैं
हो गए हैं बन्द दिल में बनने आँसू

रहना होगा अंधेरे में अब तो
अपने साए से दुश्मनी की है

तू नहीं मौजूद यह दिखला रही है
यह अंधेरे से काली रोशनी है

मेरी तनहाई कितनी पागल है
अब भी तेरे खयाल करती है

करिश्मा यह नहीं हर रास्ता फूलो भरा है शहर में
करिश्मा यह है – नंगे पाँव चलने की इजाजत ही नहीं

कितना महँगा सफर है दुनिया का
खर्च होती है जिन्दगी सारी

मेरी मंजिल है तू ये सच है मगर
हमसफर बनती नहीं मजिल कभी

हूँ अकेला मगर तू याद नहीं
सच कहूँ? यह भी बेवफाई है

कितनी नाजुक है जमापूंजी हमारी देखिए
एक लम्हा है जिसे हमने गुजारा ही नहीं

हर खुशी पर जवान होते है
दिल मे जो भी मलाल होते है

था मुलजिम गहनों की दुकान में
बेटी को कुछ दे न पाया ब्याह में

सुबह के खौफ से में सोता हूँ
अपने कमरे में रोशनी करके

जिन्दगी मुझसे क्या छिनेगी अब
अब तो खोने को जिन्दगी ही है

फ़र्क है सिर्फ़ मौका मिलने में
तेरी और मेरी बेवफाई में

जिन्दगी माना की होली जैसी है
पर तुम्हारी याद भी प्रहलाद है

– आदित्य जामनगरी

Comments (14)

શેર – अहमद फ़राज़

अब तो ये आरज़ू है कि वो ज़ख़्म खाइए
ता-ज़िंदगी ये दिल न कोई आरज़ू करे

– अहमद फ़राज़

આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન,
દે એક મહાન દર્દ અને પારાવાર દે.

– મરીઝ

અંદાઝ સરખો છે. ભાવાર્થમાં થોડો ફરક ખરો. ફરાઝસાહેબ દિલને સજા આપવા ઈચ્છે છે, મરીઝસાહેબ સૂફીવાણી બોલે છે કે એવું શાશ્વત દર્દ આપ કે પછી તારા સિવાય કંઈ સૂઝે જ નહીં….

પરંતુ અહીં ઈરાદો શેરના વિશ્લેષણનો નથી. બંને શેર એક અનોખું ભાવવિશ્વ ઊભું કરે છે તે અનુભવવાનો છે. જે.કૃષ્ણમૂર્તિ કહે છે – ” Whenever there is feeling of sadness, check your own premises.” કદાચ તેઓની પ્રજ્ઞાના સ્તરે આ સહજ હશે….હાલ તો એવો હાલ છે કે ઝખ્મ થાય છે, ઝખ્મ પીડા દે છે, અને દિલ ફરિયાદ પણ કરે છે….. હૈયું સંવેદનશીલ હશે તો એ બધું અનુભવશે જ, અને અનુભવશે એટલે પીડા પણ પામશે જ…..અને ત્યારે ફરાઝસાહેબ જેવો સૂર પોતીકો લાગશે…..

Comments (1)

સવા શેર : ૦૬ : – રાજેન્દ્ર શુક્લ

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક!
– રાજેન્દ્ર શુક્લ

આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય એવી રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલના સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે. એ મુસલસલ ગઝલનો આ સાતમો અને આખરી શેર. લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેરની પોતાની મૌસિકીમાં મહક-અનલહક, મુ-સલ-સલ જેવા અ-મ-સ-લ વગેરે વ્યંજનોના અનુરણનથી અદકેરો ઉમેરો થયો છે.

નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એમનું ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો. તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય અને અંતિમ ચરણ હકીકત એટલે સત્યની પ્રાપ્તિ અને ખુદને ખુદામાં ફના કરી લેવાની વાત. દ્વૈતભાવ અહીં મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગણી એમને અત્યંત ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને દફનના સ્થાને અગ્નિદાહ અપાવ્યો. ભજનસાદૃશ ગઝલના આ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોના સંસ્પર્શ, સૂફી વિચારધારા અને ‘અનલહક’ની ઉપસ્થિતિના કારણે અલગ જ ‘ફ્લેવર’ રચાઈ છે. કવિએ ‘આનન’ અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે.

શબોરોઝ યાને કે રાત-દિવસ એની મહેંક અનવરત રેલાતી રહે છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો, ભક્ત કહો કે બંદો કહો; મનુષ્ય સદૈવ સર્જનહારનો સાક્ષાત્કાર ઝંખતો આવ્યો છે. અને ખુદાના બંદાને આ સાક્ષાત્કાર પળેપળ થતો રહે તો જીવનમાં બીજું કંઈ બાકી રહે ખરું?! દિનરાત એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો જ્યારે થાય ત્યારે મુખમાં સતત ‘હું જ બ્રહ્મ છું’ની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

Comments (9)

સવા શેર : ૦૫ : મનહર મોદી

આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા
– મનહર મોદી

કવિએ આમ તો કવિતાને જ બોલવા દેવાનું હોય, પણ પોતાની ગઝલોની એબ્સર્ડિટી અને અથરાઈથી કદાચ એ પોતેય અવગત હતા એટલે સંગ્રહની શરૂઆતમાં કવિએ ‘અગિયાર દરિયા’ બાબતનો ખુલાસો કર્યો છે. લખે છે: ‘હું અને તું એકલાં અર્થાત્ ૧ ૧. હું અને તું નજીક, તદ્દન નજીક, અડોઅડ અર્થાત્ આપણે. ‘આપણે’ આટલાં નજીક હોય તો ‘વાતચીત’ શક્ય બને. આ વાતચીત ઉપરથી સાદીસીધી સરળ, પણ એનો મર્મસંકેત ગહન વિશાળ ઊંડો હોય.’ – દરિયા જેવો, નહીં કવિ? આપણે એમ પણ સમજી શકીએ કે જીવનમાં હંમેશા એક વત્તા એક બે થાય એ જરૂરી નથી. બે જણ એકમેકની અડોઅડ આવી જાય, એકમેકમાં ઉમેરાઈને ઓગળી જવાના બદલે ભેગાં થઈ જાય ત્યારે એક અને એક મળીને અગિયાર બનાવે છે. અને બંનેના મર્મસંકેત દરિયા જેવા ગહન વિશાળ ઊંડા. આટલું સમજીએ ત્યારે પકડાય છે કે અગિયાર દરિયા એકાધિકતાનું, અનંતતાનું પ્રતીક છે. બે જણના આંક એક થાય ત્યારે ગણનાપાત્ર આંકડા વિગલન પામે છે અને શક્યતાઓના દરિયા અફાટ અસીમ બની અર્થાકાશ આંબે છે. ‘બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે’ એ ગઝલસ્વરૂપ વિશેની કવિની વિભાવના ખરેખર અગિયાર દરિયામાં સાર્થક થાય છે.

ગઝલનો આ મત્લા પણ લાગે છે વયષ્ટિનો, પણ છે સમષ્ટિનો. પહેલી નજરે કવિ ‘આપણે બે’ વિશે વાત કરતાં હોય એમ અનુભવાય છે, પણ ધ્યાનથી અવલોકતાં કવિ સમગ્ર માનવજાતની વાત કરે છે અને માનવી એટલે જ દરિયો. જેમ દરિયાનો, એમ જ માનવીનો તાગ પણ કેમ મેળવાય? ‘હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે, છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.’ અતાગ, અકળ, અસીમ મનુષ્યજીવનમાં નાનાવિધ ઊર્મિઓના મોજાંઓની આવ-જા સતત ચાલુ જ રહે છે. દરિયાની જેમ જ માનવસ્વરૂપ પણ ક્યારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર, ક્યારેક કિનારાઓમાં સીમિત તો ક્યારેક કાંઠાઓ ધમરોળતું હોય છે. દરિયાની સામે મનુષ્યનું કદ કેટલું? ટીપાં બરાબર જ ને! ટીપાં બરાબર મનુષ્યોની ટીપુંભર લાગણીઓ એકસામટા અગિયાર દરિયાઓ બરાબર છે. ‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ.’ બે જણ દિલથી ભેગા થાય તો એકે હજારા સમા સિદ્ધ થાય છે. લાગણીનું એક ટીપું અનંતતાને આંબે છે. દરિયા, ટીપું અને લાગણીમાં કોઈને ખારું આંસુ પણ નજરે ચડે તો નવાઈ નહીં. બિંદુમાં સિંધુ કંઈ અમસ્તું જ તો નહીં કહ્યું હોય! દરિયો અહીં સ્થૂળ દરિયો નથી, એ અનંત સંભાવનાઓનું પ્રતીક બની રહે છે. આપણે બેએ એ રીતે ભેગા થવાનું છે કે એક-એકમાંથી અગિયાર મહાસાગર બને. દ્વૈતમાંથી અદ્વૈત અને સીમિતમાંથી અસીમિત થવાના ઓચ્છવનો આ શેર આપણી ભાષાનો શિરમોર શેર છે.

Comments (3)

સવા શેર : ૦૪ : નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.
– નયન હ. દેસાઈ

નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી એમની ગઝલનો એક શેર આપણે જોઈએ. એબ્સર્ડ એટલે જેમાંથી દેખીતો અર્થ તારવવો તો મુશ્કેલ હોય પણ એક અનૂઠી અનુભૂતિ ચોક્કસ કરાવે એ. આ મત્લામાં એકપણ ક્રિયાપદ તો નથી જ, પણ ચૌદ જ શબ્દોના બે મિસરામાં પાંચ-પાંચવાર ‘આ’ વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપીને કવિ આપણને જિગ-સૉ પઝલ પૂરી કરવાનું આહ્વાન પણ આપે છે. આખી ગઝલ જ દૃશ્ય ગઝલ છે, અને એમાં શિરમોર છે આ મત્લા. અહીં બે પંક્તિની સાંકડી ગલીમાં એક-એક કરતાં સાત-સાત દૃશ્યો સાથ-સાથ છે. બધા સાથે દર્શક સર્વનામ ‘આ’ લગાડાયું છે, એટલે જેની વાત થઈ રહી છે, એ સાવ નજીકમાં છે, કદાચ અડી શકાય એટલું. પહેલું દૃશ્ય ‘આ’ વ્યક્તિનું છે. બીજું ‘આ’ ટોળાંનું. ‘लोग साथ आते गये और कारवाँ बनता गया।’ શેર અડધે પહોંચ્યો નથી ને એનો પ્રસાર છેક વયષ્ટિથી સમષ્ટિ સુધી થઈ ગયો! ત્રીજું-ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં-બીજા સાથે સંકળાયેલ અનુભવાય છે. વ્યક્તિ બોલે એ શબ્દો પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ધુમાડાની જેમ જ ટોળાંનો અવાજ કદી સ્પષ્ટ હોતો નથી ને તુર્ત જ વિખેરાઈ પણ જાય છે. એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી, એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે… ઉલા મિસરામાં દૃશ્યગતિ અ-બ-અ-બ જેવી આવજા કરતી દેખાય છે, તો સાની મિસરામાં એ એક જ લીટીમાં સુરેખ થતી નજરે ચડે છે. આંખો, આંખોને દેખાતાં દૃશ્યો અને દૃશ્યો શેનાં તો કે ઊંડી કરાડોનાં. સામસામે ઊભેલાં દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત થાય છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે, જે શબ્દો જેવા સાફ હોવા ઘટે, પણ ટોળું એ ધુમાડા જેવી શૂન્યતા, અસ્થિરતા, અનિશ્ચિતતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ વળી ઊંડી પણ છે… અર્થાત્, નજર સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે ભલે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ જ છે… અને આ તો એબ્સર્ડ ગઝલનો શેર છે. ગાયના આંચળની જેમ એને દોહીને અર્થનું દૂધ તારવવાના બદલે એને માત્ર અનુભવવાની કોશિશ કરીએ તો? કદાચ તોય આ શેર આસ્વાદ્ય બની રહે છે…

ટૂંકમાં, કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને અહીં નિતનવા દૃશ્યો રચે છે. કેલિડોસ્કૉપ યાદ આવે – ફેરવો એટલીવાર નવી ડિઝાઇન!

Comments (3)

સવા શેર : ૦૩ :મરીઝ

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
– મરીઝ

મરીઝ આ શેરમાં માનવમાંથી મહામાનવ થવાની ચાવી આપે છે. પરંપરાની શેરપ્રણાલિથી પલટવાર કરીને મરીઝ સાનીના સ્થાને ઉલા મિસરામાં જ શેરનો અર્ક આપી દઈ કાન ઊલટા પકડાવે છે. મરીઝ દર્દના શાયર છે. એમના ભાગે જીવનના હરએક તબક્કે દર્દ સાથે મુકાબલો કરવાનું આવ્યું હતું. એટલે જ કદાચ, જિંદગીનું દર્દ એમના ‘ગળતા જામ’માંથી સતત નીંગળતું દેખાય છે. કવિતાની કાયામાં દર્દ આત્મા છે, પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. એવી રાત બની જ નથી જે સવારમાં ન પરિણમે. ગમે તેવા મોટા કેમ ન હોય, મોટાભાગના દર્દ હંગામી હોય છે. ઘાયલે કહ્યું હતું ને, ‘સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે, ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાયે છે.’ અહીં મિર્ઝા ગાલિબ પણ યાદ આવે: ‘रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई।‘ વળી આનો આ જ મિજાજ ગાલિબે અન્યત્ર પણ પ્રદર્શિત કર્યો છે: ‘दर्द का हद से गुजर जाना है दवा हो जाना।’ પણ મરીઝના આ શેરમાં જે દર્દની વાત છે, એ દર્દ દેહના સ્તરનું દર્દ નથી. દેહના દર્દનું નિવારણ તો કોઈ તબીબ કદાચ કરી પણ આપે. પણ અહીં વાત દિલના દર્દની છે. ભીતરી અહેસાસના દર્દની છે. અને આ દર્દ ટકી જાય તો? જેને મન ભાત પણ થાળીમાં ઊગતો હતો એવા રાજકુમાર સિદ્ધાર્થે નગર-ભ્રમણ દરમિયાન સંસારમાં જે-જે તકલીફો જોઈ, એ તમામ આપણે પણ રોજેરોજ નિહાળીએ જ છીએ. પણ ફરક એ છે, કે પળ-બે પળ સ્મશાનવૈરાગ્ય ભોગવીને આપણે હાથ લૂછીને આગળ વધી જઈએ છીએ. કોઈની તકલીફ જોઈને આપણા દિલમાં પણ કરુણા તો જન્મે છે, પણ એ અલ્પજીવી હોય છે. આંખમીંચામણાં કરીને, ‘અરેરે’ કરીને અથવા થોડીઘણી મદદ કરીને આપણે એ વેદનાથી આપણો પિંડ છોડાવી લઈએ છીએ. ક્યારેક આપણે એ વેદનાને સહિયારવાની કોશિશ પણ કરીએ છીએ. પણ આપણે અન્યોની વેદનાનો ભાગ બનતાં નથી. એ વેદનામાંથી આપણે બજારમાંથી પસાર થતા વ્યક્તિની માફક નીકળી જઈએ છીએ. આતમરામનું કમળપત્ર સરોવરની વચ્ચે ખીલ્યું હોવા છતાં લગરિક ભીંજાતું નથી. પણ, સિદ્ધાર્થના હૃદયમાં આ દુઃખદર્દ સ્થાયી થયા. દુન્યવી પીડાઓએ એના હૈયે કાયમી ઘર કર્યું. પરિણામે એ કરુણામૂર્તિ બુદ્ધ બન્યા. દર્દ શાશ્વતી બને, રાતવાસો છોડીને જાતવાસો કરે, ક્ષણવાસો ત્યજીને જનમવાસો કરે, ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એને પેખવા-ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત પણ હોવી ઘટે. મરીઝ મનુષ્યમર્યાદાઓનો જાણતલ શાયર છે. એટલે આ જ ગઝલમાં એ કહે છે: ‘દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ, રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.’

Comments (1)

સવા શેર : ૦૨ : જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.
-જવાહર બક્ષી

વિરક્તિના રંગે રંગાયેલી કલમના સ્વામી જવાહર બક્ષીની લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો આ અજરામર મત્લા છે, જેમાંથી स्वની ઓળખની મથામણ સ્ફુટ થાય છે. ‘હું કોણ છું’નો પ્રશ્ન તો અનાદિકાળથી માનવમાત્રને સતાવતો આવ્યો છે. રાજેન્દ્ર શુક્લ કહે છે: ‘કૈં નથી તો હું ક્યહીંથી? હું નથી તો છું ક્યહીંથી?’ આ જ ભાંજગડ ગાલિબના કવનમાં પણ જોવા મળે છે: ‘डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?’ પ્રસ્તુત શેર લબ્ધપ્રતિષ્ઠ ગઝલનો મત્લા છે અને આખી ગઝલનો મિજાજ સુપેરે વ્યક્ત પણ કરે છે. ઓછું પણ ઘાટું લખતા કવિના આ શેરમાં ‘શૂન્યતા’ અને ‘મર્મ’ – બે મિસરાઓના દરવાજાના મિજાગરા છે, જેના ઉપર શેરના યોગ્ય ખૂલવા-ન ખૂલવાનો આધાર છે. પોતાની ઓળખ આપવાના હેતુથી કવિ શેર પ્રારંભે છે. કહે છે, હું ટોળાંની શૂન્યતા છું. પણ રહો, બીજી જ પળે એમને પોતે જ પોતાની આપેલી ઓળખ સામે વાંધો પડ્યો છે. કહે છે, જવા દો ને આ પંચાત જ. હું કશું નથી. શૂન્યતા પણ નહીં. ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ન દિલ, ન દિમાગ. ટોળું એટલે એક અર્થહીન, શૂન્યતા. ટોળું માણસને ભ્રામક સલામતીનો અહેસાસ આપે છે. ટોળાંમાં રહીને કરાતી પ્રવૃત્તિની જવાબદારી કોઈના માથે હોતી નથી. માણસ એકલો હોય ત્યારે એની સામે એનો આત્માનો અરીસો સતત ઊભો હોય છે, જેમાં સારું-નરસું જોવાથી બચી શકાતું નથી. પણ ટોળાંનો કર્તૃત્વભાવ શૂન્ય છે. ‘લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ’ એ ટોળાંની લાક્ષણિકતા છે. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય જેવા મહારથીઓ પણ ટોળાંનો ભાગ બને છે, ત્યારે દ્રૌપદીના ભાગે લૂંટાવાથી વિશેષ કશું બચતું નથી. ટોળાંમાં બધાના ‘સ્વ’ ખાલીખમ હોય છે. ટોળું એટલે એક ખાલીખમ સ્વકીયતા. વિરાટ શૂન્ય. આપણે જ્યારે ટોળાંના ગાડરિયા પ્રવાહમાં તણાતાં હોઈએ છીએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતા, એક અવ્યવસ્થાથી વિશેષ કશું જ હોતાં નથી. વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો ભાગ બનીએ ત્યારે આપણા સ્વતંત્ર ‘હું’ હોવા-ન હોવા બરાબર હોય છે. ટોળાંથી અલગ ઓળખ બનાવી ન શકાયા હોવાની આત્મસ્વીકૃતિની ક્ષણે, આત્મજાગૃતિની ક્ષણે કવિને ખ્યાલ આવે છે કે પોતે પોતાના જીવનનો મર્મ છે, અર્થાત્ શૂન્ય છે. પોતાના હોવાની સાથે જ ન હોવું પણ જોડાયેલું છે. એટલે જ કવિ ‘હું છું’ કે ‘હું નથી’નો શાશ્વત પ્રશ્ન ઊભો કરી બેમાંથી એક શક્યતાનો હાથ ઝાલવાની વિમાસણ સર્જવાના સ્થાને ‘છું’ તથા ‘નથી’ની વચ્ચે (અ)ને મૂકીને ઊભયના સ્વીકારનું સમાધાન સ્વીકારે છે. Descartesના પ્રખ્યાત વિધાન ‘I THINK , THEREFORE I AM’થી પણ કવિ અહીં આગળ વધ્યા જણાય છે. અસ્તિત્વના હકાર અને નકાર –બંનેનો સુવાંગ સ્વીકાર આ શેરને મૌલિક અભિવ્યક્તિની નવી જ ઊંચાઈ બક્ષે છે.

(આસ્વાદ: વિવેક મનહર ટેલર)

Comments (6)

સવા શેર : ૦૧ : મનોજ ખંડેરિયા

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
– મનોજ ખંડેરિયા

કેટલીક કૃતિ વાંચતાવેંત કૃતિ, કર્તા અને વિષયવસ્તુ -ત્રણેયના પ્રેમમાં પડી જવાય. ‘વરસોનાં વરસ લાગે’ આવી જ કૃતિ છે. ગઝલનો મત્લા જોઈએ. ‘લગાગાગા’ના ચાર આવર્તનોથી બનેલા મિસરાની મોટા ભાગની જગ્યા ‘બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી લાંબી રદીફે પચાવી પાડી છે. લાંબી રદીફ સિદ્ધહસ્ત કવિઓની ગઝલોમાં પણ બહુધા લટકણિયું બનીને રહી જતી હોય છે. પણ અહીં એ કવિકર્મનૈપુણ્યની દ્યોતક બની છે. રદીફની આગળ ‘તોડવા’, ‘છોડવા’ જેવા હેત્વર્થ કૃદંતના કાફિયા. એમાંય ‘-ડવા’ કાફિયાઓનો સામાન્ય અવયવ, એટલે મત્લામાં તો કવિ પાસે ‘લગાગાગા’ની માત્ર સાત માત્રા જ બચે છે. આવી અતિસાંકડી ગલીમાંથી અર્થચમત્કૃતિ અને કવિતા નિપજાવવાનું ભગીરથકાર્ય અહીં થયું છે.

પ્રથમદર્શી વાત સરળ છે. કવિના મતે ક્ષણોને તોડવાનું અને બુકાની છોડવાનું કામ દેખાય એવું સહેલું નથી, કરવા બેસો તો વરસોનાં વરસ લાગી જાય. પણ આ તો થઈ સપાટી પરની વાત. મહાસુખ તો મહીં પડ્યા તે જ માણે ને?! ડૂબકી જ ન મારો તો મોતી શીદ હાથ લાગે, કહો તો? ક્ષણ યાને કે સમય અમૂર્ત છે પણ એને તોડવાની ક્રિયાનો કાર્યકારણસંબંધ તો મૂર્તતા સાથે છે. ‘બુકાની’ સાથે ‘છોડવા’ની ક્રિયા જેટલી સાહજિક છે, એટલી જ ‘ક્ષણો’ સાથે ‘તોડવા’ની ક્રિયા અસાહજિક છે. પ્રથમ બે જ શબ્દોમાં કવિએ આવનારી અર્થચમત્કૃતિ તરફ કેવો ઈશારો કર્યો! કવિએ ક્ષણ અને વરસ, સૉરી, વરસોને, સૉરી, વરસોનાં વરસને સામસામા (juxtapose) કર્યાં છે. ક્ષણોનો સરવાળો યાને વરસો અને વરસોનો સરવાળો છે જીવન. પણ બધી ક્ષણમાં જીવન નથી હોતું. જન્મથી મૃત્યુ તરફની અનવરત મુસાફરીમાં આપણને જોતરતી અસંખ્ય ક્ષણોમાંની એકાદ ક્ષણ કાયાપલટની હોય છે. એને પકડી શકે એ જ મહાત્મા બની શકે છે. એક ક્ષણમાં વાલિયો લૂંટારો વાલ્મિકીત્વ તરફ ગતિ કરે છે તો બોધિવૃક્ષ તળેની એક ક્ષણ બુદ્ધના જન્મની ક્ષણ બની રહે છે. સ્ટેશન પર ફેંકાવાની એક ક્ષણના ગર્ભમાંથી મહાત્મા ગાંધી જન્મે છે તો ક્ષણાર્ધભર કાબૂ ગુમાવવાના કારણે કોઈક આત્મહત્યા તો કોઈક હત્યા પણ કરી શકે છે. ક્ષણનો યથર્થ મહિમાગાન અહીં કરાયો છે. કવિ અન્યત્ર કહે છે: ‘કહે તે સ્વીકારું શરત માત્ર એક જ, મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.’ પણ અહીં કવિતા ક્ષણોને જોડવાની નહીં, તોડવાની વાતમાં છે. રામસભામાં સીતાએ આપેલી માળાના અમૂલ્ય મોતીઓના હનુમાન તોડીને ફાડિયાં કરે છે. કારણ? એમને એમાં શ્રીરામની તલાશ છે. અહીં પણ આ જ ઇજન અપાયું છે. ક્ષણોને તોડવાની છે, કેમ કે આત્મનિરીક્ષણ કરવાનું છે. અને, ક્ષણોને તોડીને, વિચ્છેદન કરીને જાત સુધીની જાતરા કરવી હોય તો વરસોના વરસ પણ ઓછાં ન પડે? વળી, ક્ષણોના સરવાળા સમી આ જિંદગીને આપણે જેવી છે, શું એવીને એવી જીવીએ છીએ? એક ચહેરો અને હજાર મહોરાં… આપણા વ્યક્તિત્વમાં ક્યાંય એકત્વ કે સમત્વ નથી. પ્રતિપળ આપણે છીએ એનાથી અલગ રજૂ થઈએ છીએ. બુકાની તો ક્ષણભરમાં છૂટી જાય, પણ છીએ તેવા દેખાવું હોય તો? ઓળખ ઉપરના આડંબરો ઉતારી દેવા હોય તો? વરસોનાં વરસ ઓછાં ના પડે? અર્થનાવિન્યની ચમત્કૃતિ સર્જતી આ ગઝલ નિઃશંક માત્ર કવિના સમગ્ર(oeuvre)નું જ નહીં, સમસ્ત ગુજરાતી ગઝલોનું એવરેસ્ટ છે.

– વિવેક મનહર ટેલર

Comments (14)

શેર – કૈલાશ પંડિત

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

– કૈલાશ પંડિત

જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..

Comments (2)

જોઈતું મરણ – હરીન્દ્ર દવે

કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.

– હરીન્દ્ર દવે

ફેસબૂક ઉપર આ શેર વાંચ્યો તો ज़ौक़ યાદ આવી ગયા –

अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे
मर के भी चैन न पाया तो किधर जाएँगे

પછી પ્રશ્ન થયો – ” જોઈતું મરણ કેવું આવે ? ” શું કવિ ચોક્કસ કારણથી અથવા ચોક્કસ કાળે મૃત્યુ થાય એમ ઈચ્છે છે ? એવું તો નથી લાગતું. “જોઈતું મરણ” એટલે કદાચ એક ચોક્કસ ઘટના/વ્યક્તિ/સ્મરણ/પરિક્લ્પના/સંબંધ/નબળાઈ/અપૂર્ણતાની ભાવના થી કાયમી મુક્તિની ઝંખના હોઈ શકે…..

Comments (3)

इंतिज़ार -फ़िराक़

न कोई वा’दा न कोई यक़ीं न कोई उमीद
मगर हमें तो तिरा इंतिज़ार करना था

-फ़िराक़

rekhta પર આ શેર વાંચ્યો ત્યારથી એ મનમાં ગૂંજ્યા કરે છે….ઘણું લખી શકાય આ શેર વિષે, પણ જરૂર નથી લગતી.

શુદ્ધ પ્રેમની બાની છે, કોઈકનું ગંતવ્ય આ જ હોય છે…..

Comments (1)

શેર – मिर्ज़ा ग़ालिब

बंदगी में भी वो आज़ादा ओ ख़ुद-बीं हैं कि हम
उल्टे फिर आए दर-ए-काबा अगर वा न हुआ

– मिर्ज़ा ग़ालिब

અમે બંદગીમાં પણ એવા આઝાદ અને ખુદ્દાર છીએ, કે ઊંધા ફરી ઉતરી આવ્યા જો સામે કાબાનો દરવાજો ખુલ્યો નહિ.

ઘણો જાણીતો શેર છે. અહીં ગાલિબનો અસલ અંદાઝે-બયાં જોવા મળે છે. સામાન્ય વાંચને આ ગાલિબની ખુદ્દારી-આત્મસન્માનની વાત લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ તો ખ્યાલ આવે કે કાબાનો દરવાજો, જે કદી બંધ હોતો જ નથી, તેના રૂપકને પ્રયોજીને ગાલિબ કંઈ જુદું જ કહેવા માંગે છે.

ઈશ્વર ખુદ હો, ઈશ્વરસમક્ક્ષ કંઈક હો, આત્મીય સંબંધ હો…….કંઈપણ અમૂલ્ય વસ્તુ કેમ ન હો – જો તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આત્મગૌરવનો હ્રાસ હોય તો સમજી જવું કે ક્યાંક આપણી premises માં જ ભૂલ છે. ઊંધા ફરી આવી જવું અને ગંતવ્યને ફરી ફરી ચકાસવું – ક્યાંક આપણે મિથ્યાઈશ્વરને તો પૂજી નથી રહ્યાને ! સાચો ઈશ્વર,સાચો સંબંધ કદી આગંતુક ભક્તના મોઢે દરવાજા અફાળીને વાસી ન દે……

આ શેર સાથે જ ગુલઝારની ફિલ્મ ‘માચિસ’ નું ગીત યાદ આવ્યા કરે છે….. ” છોડ આયે હમ વો ગલિયાં…….. ”

Comments (1)

तवक्को – मिर्ज़ा ग़ालिब

जब तवक्को ही उठ गयी ग़ालिब
क्यों किसी का गिला करे कोई

– मिर्ज़ा ग़ालिब

[ तवक्को = અપેક્ષા ]

કોઈ શેર આખી ગઝલને ભારે હોય છે, આ શેર આખા ગ્રંથને ભારે છે. આ નિરાશાનો ભાવ વ્યક્ત કરતો શેર નથી, આ એક નકરી શૂન્યતાને વ્યક્ત કરે છે. અહીં આગળ-પાછળ-ઉપર-નીચે કશું જ બચ્યું નથી. પ્રકાશ તો નથી જ નથી….પણ અંધારું સુદ્ધા નથી.

Comments (3)

गरूरे-खुल्द…..- અનામી

गरूरे-खुल्द जाहिद तर्के-दुनिया के भरोसे पर
संभल ऐ बेखबर क्यों खानुमा बर्बाद होता है

[ શાયર કોણ છે તેની જાણકારી નથી ]

હે ધર્મઉપદેશક ! સંસાર ત્યાગવાની વાતથી તારો ઘમંડ જરૂર વધી જશે ! રે મૂઢ…..સંભલી જા હજુ ! શા માટે નાહક બરબાદી નોતરે છે !!!?? [ ભાવાનુવાદ ]

એક જ શેરમાં એટલી મહત્વની વાત છે કે એક પુસ્તક લખાય…. જે. કૃષ્ણમૂર્તિ સતત આ જ વાત કહેતા – ” તમે એક બંધનમાંથી બીજા બંધનમાં માત્ર શિફ્ટ થાવ છો -સત્યની ઢૂંકડા તો લગીરે નથી જતા , તો આ સંસાર ત્યાગ એ અહંના પોષણ સિવાય બીજા શું કામનો છે ? ”

આત્મશોધ એ કોઈ એટલી આસાન વાત નથી કે સંસાર ત્યાગવાથી તે ચરિતાર્થ થાય ! આદિ શંકરાચાર્યએ કહ્યું હતું કે કરોડોમાંથી એકાદને બ્રહ્મજિજ્ઞાસા હોય,અને એવા કરોડો જિજ્ઞાસુમાંથી એકાદ મઁઝીલ પામે…..સંસાર ત્યાગવા જેવી ક્ષુલ્લક વાતથી શું વળે ? બંધનોથી ભાગવાનું નથી, બંધનોના સાચા સ્વરૂપને સમજીને તેઓને અર્થહીન કરી દેવાના છે…..

Comments

અલવિદા ‘સાહેબ’, અલવિદા !

terence jani saheb
(ટેરેન્સ જાની ‘સાહેબ’ : જન્મ: ૦૪-૧૦-૧૯૮૭ ~ દેહાંત: ૦૨-૦૨-૨૦૧૫)

માત્ર ૨૭ વર્ષની કાચી ઉંમરે ગોઝારા માર્ગ અકસ્માતે એક આશાસ્પદ કવિને આપણી વચ્ચેથી છીનવી લીધો. ‘સાહેબ’ના ઉપનામથી લખતા કવિની રચનાઓમાંથી પસાર થતાં જ સમજી શકાય છે કે શક્યતાઓથી ભરેલ એક ભીનો ભીનો પ્રદેશ કૂંપળાતા પહેલાં જ રણ બની ગયો…

અલવિદા, સાહેબ ! અલવિદા !!

*

કરતાલ, એક કલમ અને દિવાન નીકળ્યો,
મારા ઘરેથી આટલો સામાન નીકળ્યો.
‘સાહેબ’ની સુરાહી તો એવી જ રહી ગઈ,
એક જ હતો જે દોસ્ત, મુસલમાન નીકળ્યો.

આ આંખની જ સામેથી તેઓ જતા રહ્યા,
ને આંખ નીચી રાખી હું જોતો રહી ગયો !
બોલ્યા વિના તેણે કદી એવું કહ્યું હતું ,
વરસો સુધી એ વાતનો પડઘો રહી ગયો !

મોત જેવી મોત પણ કાંપી ઉઠે,
જિંદગીની એ હદે લઈ જાઉં તને.
વેંત જેવો લાગશે બુલંદ અવાજ,
મૌનના એ શિખરે લઈ જાઉં તને.

કર્મ સારા હોય તો સારું થશે એવું નથી,
ખાતરી છે એટલી કે બદદુઆ મળશે નહીં.

દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગું ફકત હું બહારથી.
કે, દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું જ્યારથી.
હોઠ આ ‘સાહેબ’ના મલકી ઉઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

ભારે ભૂલ કરી તારણહારે… ભારે ભૂલ કરી…
લયસ્તરો તરફથી સાહેબને શબ્દાંજલિ !

Comments (17)

॥ अथ श्रीमद् गज़ल ॥ – પંકજ વખારિયા

Pankaj_book_cover

પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*

કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.

ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.

રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.

જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.

લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.

સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.

તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.

જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.

દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?

– પઁકજ વખારિયા

Comments (17)

સવા-શેર : ૯ : મીંડું – મનહર મોદી

એક મીંડું અંદર બેઠું છે
એ આખી દુનિયાને તાગે.
-મનહર મોદી

લયસ્તરોની નવ વર્ષની અનવરત સફર અને ત્રણ હજાર પૉસ્ટની ઉજવણી નિમિત્તે એક-એકથી સવાયા સવા-શેર અહીં રજૂ થયા અને દરેક શેર પર અમે ચારેય સંપાદકોએ પોતપોતાની ટિપ્પણીઓ આપી… હવે આજે આ છેલ્લો સવા-શેર… પણ આ શેર વિશે અમે ચાર મિત્રો કશું નહીં બોલીએ…

લયસ્તરોના માનવંતા વાચકમિત્રોને આ શેર વાંચતી વખતે એમના ચિત્તતંત્રમાં કયા-કયા ભાવ જાગ્યા, આ શેરનું કઈ રીતે તેઓ પૃથક્કરણ કરે છે એ અમને પ્રતિભાવ તરીકે પાઠવવા માટે આમંત્રણ છે…

-ધવલ -વિવેક -તીર્થેશ -મોના
(ટીમ ‘લયસ્તરો’)

Comments (8)

સવા-શેર : ૮ : અક્લ સે આગે – ઇકબાલ

ગુઝર જા અક્લ સે આગે કે યહ નૂર
ચિરાગ-એ-રાહ હૈ, મંઝિલ નહીં હૈ.

– ઇકબાલ

(તું તારી અક્કલની ઉપરવટ જઈને આગળ વધી જા. અક્કલનો પ્રકાશ રસ્તો બતાવનાર છે,ધ્યેય નથી.)

 

દર્શનની ગહનતાની વાતે ગાલિબને ટક્કર આપે તેવો શાયર એક જ – ઇકબાલ. ઘણીવાર જોયું છે વ્યવહારમાં કે સરળતામાં જે પવિત્રતા છે તે લાખ પ્રયત્ને પણ હોશિયારીથી હાંસલ ન કરી શકાય.

– તીર્થેશ

 

બુદ્ધિની આંગળી પકડીને બહુ થોડે સુધી જ જઈ શકાય છે. એનાથી આગળ જવા માટે તો વેદના, શ્રદ્ધા, અને અંતરદ્રષ્ટિની આંગળી પકડવી પડે. ઈકબાલનો જ આ શેર જે જીવનમાં નહીં નહીં તો દસ હજાર વાર યાદ કર્યો હશે.

अच्छा है दिल के पास रहे पासवान-ए-अक्ल
लेकिन कभी कभी इसे तनहा भी छोड़ दे.

– ધવલ

અક્કલને વળોટવું એટલે આભાસની આરપાર જવું… તીર્થેશ ઉર્દૂનો શેર લઈ આવ્યો છે તો ઉર્દૂના જ બે’ક શેર યાદ આવે છે… પહેલામાં ઇકબાલની વાતનું પુષ્ટિકરણ નજરે ચડે છે… અક્ક્લને અહીં કવિએ બરાબર આડે હાથ લીધી છે:

अक़्ल हर चीज़ को इक जुर्म बना देती है,
बेसबब सोचना, बे-सूद पशीमां होना । (बे-सूद=વ્યર્થ, पशीमां=લજ્જિત)
– ‘अदम’

તો આ બીજા શેરમાં અક્ક્લનો મહિમા ગાવામાં આવ્યો છે:

ऐ अक़्ल, साथ रह कि पडेगा तुझी से काम,
राहे-तलब की मंज़िल आख़िर जुनूं नहीं । (राहे-तलब=પ્રેમ-માર્ગ, जुनूं=ઉન્માદ, જનૂન)
-‘निसार’ इटावी

– વિવેક

Comments (1)

સવા-શેર : ૭ : જખમ – કલાપી

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

-કલાપી

આ શેરની પસંદગીનું કારણ એ છે કે અહીં vulnerability ની વાત થઇ છે. vulnerability માટે કોઈ યોગ્ય ગુજરાતી શબ્દ મળતો નથી.

કોઇપણ પારસ્પરિક સંબંધમાં- તે વ્યક્તિ સાથે હોય કે સમષ્ટિ સાથે – માણસ પોતાની આસપાસ એક પછી એક અભેદ્ય આવરણ રચતો જાય છે. હેતુ માત્ર એટલો જ કે રખેને હું ઘવાઈ જાઉં… અને વળી માણસ જેટલો વધુ બુદ્ધિશાળી તેટલા તેના આવરણો વધુ સૂક્ષ્મ અને વધુ મજબૂત. કેટલો ભયાનક ડર !!!! ખુલીને, મોકળા મને, સંપૂર્ણ ‘સ્વ’ દ્વારા કોઈપણ પારસ્પરિક સંબંધમાં પ્રવેશવું જ નહીં કે જેથી કોઈ સંજોગે જખમ થઇ જાય તો… આથી મોટી, આથી વિશેષ કરુણતા કઈ હોઈ શકે !!!! હસવું, પણ પૂર્ણ હાસ્યથી નહીં, રડવું, પણ હૈયાથી નહીં, ગળે મળવું, પણ કુમાશથી નહીં… અક્કડતા કદીપણ છોડવી જ નહીં … અને આ આખી કરુણતાને વ્યવહારકુશળતાના સુંદર નામ હેઠળ છૂપાવી દેવી !!

A relation where there is no vulnerability is not a relation but a trade.

– તીર્થેશ

 

Come what may ની છાતી લઈને જીવાય એ જ ખરું જીવન. मुर्दादिल क्या ख़ाक़ जिया करते हैं? જખ્મો અને દર્દને -શું કવિ કે શું આમ આદમી- સફળતા સાથે સીધો જ સંબંધ છે. એક શેર યાદ આવે છે:

કવિને હોય શું વળગણ કહો તો ફૂલોનું?
હો દર્દ લાજમી તો લાજવાબ કાંટા છે.

અને જખમનો આ સવા-શેર જે ગઝલમાંથી આવ્યો છે એ જ ગઝલમાં કલાપી પોતે કહે છે: “જહીં જખમો તહીં બોસા તણો મરહમ અમે દેતા…”

-વિવેક

 

જખમમાં જોખમ છે. જોખમ ન લો તો પછી કોઈ નવો રસ્તો ખૂલવાની શક્યતા જ ક્યાંથી આવે? જીંદગીની ધાર પર જીવો. જોખમ-જખમ લઈને જીવો. જે વિપરીત પરીસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવે છે એ એટલા જ વધારે સશક્ત બને છે.

– ધવલ

જખમ સર્જકને જન્મ આપે છે. એ મોહનને મહાત્મા અને સિદ્ધાર્થને બુદ્ધ બનાવી શકે છે.

– ઊર્મિ

Comments (7)

સવા-શેર : ૬ : ભીના ન થયા – રમેશ પારેખ

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા

– રમેશ પારેખ

વરસાદમાં જવું અને ભીના થવું એ બન્ને તદ્દન અલગ ઘટના છે. વરસાદમાં તો બધા જાય છે પણ ભીના બહુ ઓછા લોકો થાય છે. જે ભીના થતા રહી જાય છે એમાં વાંક બિચારા વરસાદનો નથી. આપણા જ ‘આવરણો’ ઊતારવાના રહી ગયા હોય છે. આપણે બધા ઝરમર વરસતી જીંદગી વચ્ચે જ ઊભા છીએ. હવે ભીંજાવું કે ન ભીંજાવું એ આપણા જ હાથમાં છે.

– ધવલ

કેટલાક વરસાદ, કેટલાક ચોમાસા આપણને કોરાંકટ છોડીને પસાર થઈ જાય છે. એવા “સમ્-બંધ” જ્યાં બંધન હોય પણ સમતા ન હોય ત્યાં ઉભય પક્ષે લાગણી હોવા છતાંય સામાને ભીનાશ વર્તાયા વિના જ રહી જાય એમ બની શકે… કેટલાક તો માણસો પણ વૉટરપ્રુફ હોય છે !

– વિવેક

વરસાદ એટલે કુદરતનો સંવાદ. વરસાદ એ પરિસ્થિતિ છે અને ભીંજાવુ એ મન:સ્થિતિ છે. ઘણા વરસાદમાં પલળે છે ખરા પણ ભીંજાતા નથી. જેમ ધોધમાર વરસાદમાં પલળીને કોરા રહી જનારા ય હોય છે તેમ બારીમાં ઊભા ઊભા જ ભીંજાય જનારા પણ હોય છે. જીવંત હોય એ જ ભીંજાય શકે, જડ હોય એ તો પથ્થરની જેમ માત્ર પલળી જ શકે. અને ભીંજાય શકે એ જ ભીંજવી શકે…

– ઊર્મિ

જેટલું ઊંડાણ પોતાનામાં હોય તેટલું જ ઊંડાણ વ્યક્તિ સામેનામાં જોઈ શકે છે……

– તીર્થેશ

Comments (4)

સવા-શેર : ૫ : એક વારનું દર્દ – મરીઝ

કાયમ   રહી   જો   જાય  તો પેગંબરી મળે
દિલમાં  જે   એક   દર્દ  કોઈ વાર  હોય છે

– મરીઝ

સામાન્ય માણસ પણ પયગંબરને સમકક્ષ કામ કરતો હોય જ છે. ફરક માત્ર એટલો કે એ કામ લાંબો સમય ટકતું નથી. એક દર્દ માણસને મસિહા બનાવવા પૂરતું હોય છે. તકલીફ માત્ર એટલી છે કે એ દર્દ હંમેશ માટે ટકતું નથી. આપણું કામ એ દર્દને રાતવાસો અને બને તો જનમ-વાસો કરવા સમજાવવાનું છે. એક જણસની જેમ જે દર્દને જીગરમાં સાચવી રાખી શકે એની પયગંબરી પાકી !

– ધવલ

દર્દ એ કવિતાના શરીરનો આત્મા છે. પણ દર્દનો સ્વભાવ છે કે એ ટકતું નથી. ગાલિબ યાદ આવે: रंज से खूँगर हुआ इंसाँ, तो मिट जाता है रंज, मुश्किलें मुझ पर पडी इतनी कि आसाँ हो गई । એ જ ગાલિબ આજ મિજાજની વાત ફરી આ રીતે કરે છે: दर्द का हद से गुजर जाना है दवा हो जाना । પણ દર્દ ટકી જાય તો? રાજકુમાર સિદ્ધાર્થે સંસારની તકલીફો જોઈ. આ તકલીફો એનામાં કાયમી ઘર કરી ગઈ અને એ બુદ્ધ બન્યા. દર્દ ટકાવી રાખીએ ત્યારે પયગંબર થવાય પણ દર્દ એ સિંહણના દૂધ જેવું છે એ ટકાવવા માટે આપણામાં કનકપાત્રની લાયકાત હોવી ઘટે.

– વિવેક

દિલમાં એક દર્દનું કાયમી સ્થાપન દેશ અને સમાજમાં કેવી મહાન ક્રાંતિ સર્જે છે એ સમજવા માટે ગાંધીબાપુથી વધુ ઉમદા ઉદાહરણ બીજું કયું હોઈ શકે!

– ઊર્મિ

અહીં ‘દર્દ’ એટલે all-encompassing compassion – સર્વ ને આવરી લેતી કરુણા -………જડ-ચેતન સઘળું. મને તો મારું સંતાન મારા પાડોશીના સંતાન કરતા વધુ વ્હાલું છે……..આગળ બોલું જ શું !!!!!

– તીર્થેશ

Comments (8)

સવા-શેર : ૪ : ન હો જો કશું તો – હિમાંશુ ભટ્ટ

ન હો જો કશું તો, અભાવો નડે છે,
મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

– હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની મને પ્રિય એવી એક ગઝલનો અમર થવાને સર્જાયેલો આ શેર! એમની ગઝલોમાં વાસ્તવિકતા ક્યારેક સખીપણાનાં શણગાર બનીને આવે છે તો ક્યારેક અભાવ અને સ્વભાવ બનીને આવે છે. કાં તો માણસ કોકને નડે છે કાં સ્વયંને. જીવનમાં કંઈ જ ન હોય તો એનો અભાવ અને બધું જ હોય તો પોતાનો જ સ્વભાવ નડે છે. મતલબ કે નડવું એ માણસની મૂળ પ્રકૃતિ છે, પછી એ ભલે અન્યને નડતરરૂપ હોય કે સ્વયંને. આ શેર મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નાં એક પ્રખ્યાત અને અમર શેરની હંમેશા યાદ અપાવે છે:

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

– ઊર્મિ

કવિતાના ગળામાં પહેરાવવામાં આવતું સૌથી વધુ મૂલ્યવાન ઘરેણું સરળતા છે. એક જ શેર લખાય અને તોય અમરતા મળી જાય એવો ઝળાંહળાં છે આ શેર. ભાષાની સરળતા અને બહુ જૂજ શબ્દોની ફેરબદલથી જે ભાત અહીં ઉપસી આવી છે એ શબ્દાતીત છે. મૂળે આપણી જાતમાં જ નડતર ઘર કરી ગયું છે. શેક્સપિઅરના "મર્ચન્ટ ઑફ વેનિસ"ના પહેલા અંકના બીજા દૃશ્યમાં નેરિસા કહે છે: "they are as sick that surfeit with too much as they that starve with nothing."

– વિવેક

અભાવની લાગણી સ્વભાવજન્ય જ ન ગણાય !!!!

– તીર્થેશ

અલ્પમાં જે મઝા છે તે અતિશય આવતાની સાથે ભાગી છૂટે છે. ચીજોનો અભાવ સહન કરવો સહેલો છે. પણ મનનો અભાવ (સ્વભાવ) સહન કરવો અઘરો છે. કદાચ માણસની પ્રકૃતિ જ એવી છે. દરેક રેશમી ટેરવાની સાથે જ નખ જડેલા હોય છે.

– ધવલ

Comments (8)

સવા-શેર : ૩ : વાતાવરણને જીવતું રાખે – રઈશ મનીઆર

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

– રઈશ મનીઆર

કહેવાય છે કે સમય ખૂબ જ બળવાન હોય છે અને એ જ હૃદય-મનનાં બધા દુ:ખોની દવા છે, જે ઘણીવાર સાચું હોય છે. પરંતુ વ્યથાના વાદળો જ જ્યારે દર્દનાં વાતાવરણને ચિરજીવંત રાખતા હોય ત્યારે એ ચોક્કસ ખોટું પુરવાર થાય છે. મતલબ કે સમયનાં સૂર્યનું કાયમ ચાલતું નથી હોતું. દર્દભીની ધરતી પર જ ક્યારેક સર્જકતાનાં ફૂલ ખીલી ઊઠતા હોય છે. અહીં ઘાયલસાહેબનો શેર યાદ આવે છે, "સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે, ગમે તેવું દુઃખી હો પણ જીવન જીવાઇ જાયે છે."

– ઊર્મિ

એક અદભુત શબ્દચિત્ર… ઉનાળામાં ધરા સકળ બાળી મૂકવા પર ઉતારુ થયેલા સૂર્યને ઢાંકી દઈને હાશ વરસાવતા વાદળોને રૂપક તરીકે વાપરી કવિ સમયની નિર્મમતા અને વ્યથાની સહૃદયતાને juxtapose કરી આપે છે. કાળથી વધુ વિકરાળ બીજું કોણ હોઈ શકે? મહાભારત યાદ આવી જાય: समय समय बलवान है, नहीं मनुष बलवान; काबे अर्जुन लूंटियो, वो ही धनुष, वोही बाण ।

– વિવેક

 

કવિ નથી ઈચ્છતા કે કેટલાક ઘા રૂઝાય.. કેટલાક વ્રણ આપણને સતત એ અનુભૂતિ કરાવતા રહે છે કે આપણે જીવંત છીએ … આપણી સર્જકતાને ઉત્તેજિત કરતા રહે છે આવા વ્રણ- વિશ્વના સર્વોત્તમ સર્જન દર્દની પરાકાષ્ઠાએ જ થયા છે…. મરીઝસાહેબ પણ માગે છે – ‘દે એક મહાન દર્દ અને પારાવાર દે’. વળી, વાદળો કાયમી નથી હોતા. વરસી જાય છે,પવન સાથે ખેંચાઈ જાય છે..

આ જરાક complex અભિવ્યક્તિનો શેર છે – કોઈ કદાચ એમ દલીલ કરે કે કવિ દર્દ પરત્વે pathological attraction ધરાવે છે, પરંતુ આ શેરમાં અભિવ્યક્તિની સુંદરતા એક સરળ વક્રોક્તિને લીધે ખીલે છે ….જેમ કે ગાલિબનો શેર –

કોઈ મેરે દિલ સે પૂછે,તેરે તીર-એ-નીમકશ કો,
વો ખલિશ કહાં સે હોતી,ગર જીગર કે પાર હોતા !

(મારા દિલની વેદના તારા અર્ધખેંચાયેલા તીરને આભારી છે. જો તારું તીર જીગરની આરપાર ચાલ્યું ગયું હોતે તો ના જાન રહેતે, ના દર્દ.)

એક તલત મેહમૂદનું ગીત યાદ આવી જાય છે- હૈ સબ સે મધુર વોહ ગીત જિન્હેં હમ દર્દકે સૂરમેં ગાતે હૈ …..

– તીર્થેશ

 

વ્યથા ને લીધે જ જગતની કથા ચલતી રહે છે. એક વિશાદ ઘૂંટાય તો તેમા આખા રામાયણની રચના કરવાની તાકાત હોય છે. દર્દની ભીનાશ જ ફળદ્રુપ બનાવે છે.

– ધવલ 

Comments (2)

સવા-શેર : ૨ : જાગને જાદવા – મનહર મોદી

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

– મનહર મોદી

 

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જે આંખ જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म । જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

– વિવેક

 

ઓશો કહે છે જગતને જોવા માટે બહાર ક્યાંય દોડવાની જરૂર નથી. આ તો એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થવાની અને ભીતરનાં ભેદ પામવાની આ વાત છે. ભગવાન બુદ્ધ કહે છે કે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવા માટે આપણે આપણા અંતરાત્માના અવાજને અનુસરીને જ યાત્રા કરવી પડે. આપણા સિવાય આપણો કોઈ બેલી નથી. અંતર્જ્યોતિને પ્રજ્વલિત કરી આપણે જ આપણી જીવનયાત્રાના પથદર્શક બનવું પડે. એટલે કે અજવાળું બહારથી ઉછીનું લીધેલું નહીં પરંતુ આપણી અંદર જ પ્રગટવું જોઈએ.

– ઊર્મિ

 

‘જાગ’ – કેટલી બધી જગ્યાએ આ શબ્દ વપરાયો છે……! ‘ Awakened One ‘ એ બુદ્ધનું એક નામ હતું. વાતો તો બધી બહુ કરી શકાય-થાય પણ છે. પરંતુ journey towards awakening ત્યારે શરુ થાય કે જયારે એ અંદરથી-સાચ્ચેસાચ એમ realize થાય કે ‘ હું જાગૃત નથી .’ ત્યારબાદની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મ-જિજ્ઞાસા’ કહે છે. આ અવસ્થા કોણ પામે અને કોણ ત્યાર પછીની યાત્રા પર આગળ વધે તે અંગે આદિ શંકરાચાર્ય કહે છે:

‘કોટિ [ કરોડ ] માંથી એક ને બ્રહ્મ-જિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષ [લાખ] માંથી એક પાણી વગર માછલી તડપે તે રીતે તે દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે 5000 વર્ષ સુધી પણ અવિરત નામજપ,સત્સંગ,ગુરુસેવા,ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ 
– વિવેક્ચુડામણિ

સ્પષ્ટ છે કે બોલવું એક વાત છે અને કરવું……………..

– તીર્થેશ

આ જગતને સમજવાની સૌથી મોટી તકલીફ છે કે: "હકીકત ભી હકીકત મે એક ફસાના હી ન હો." એટલે કે હકીકત અને ભ્રમમાં ભેદ કરવો બહુ અઘરો છે. આ સનાતન સમસ્યાનો બહુ સરળ ઉકેલ છે. બધુ જ ભ્રમ છે એમ માનીને જ ચાલવું. હકીકત અને ભ્રમ વચ્ચે ભેદ કરવાની અશક્તિનો સ્વીકાર કરવો. પ્રોબ્લેમ સોલ્વ્ડ !

ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે.

આડવાતમા : 19મી સદીની શરૂઆતમા ભૌતિકશાસ્ત્ર એક સીમા પર આવીને અટકી ગયેલું. આગળનો રસ્તો નહોતો મળતો. ત્યારે, હાઇઝ્નબર્ગે અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત રજૂ કર્યો. વિજ્ઞાને પણ ગ્રહણશક્તિની સીમા સ્વીકારી ત્યારે જ કામ આગળ ચાલ્યું હતું.

– ધવલ

Comments (7)

સવા-શેર : ૧ : ટોળાની શૂન્યતા – જવાહર બક્ષી

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી.

-જવાહર બક્ષી

 

ટોળાંને નથી હાથ હોતા, નથી પગ. ટોળાંને નથી દિલ, ન મગજ. ટોળું એક અર્થહીન, શૂન્યતા છે. ગાડરિયા પ્રવાહની જેમ આપણે ટોળાંમાં તણાતા હોઈએ ત્યારે આપણે પણ નકરી શૂન્યતાથી વિશેષ, એક અવ્યવસ્થાથી વધુ કશું જ નથી હોતા. આપણું હું-ન હોવું બરાબર જ છે જો આપણે આપણે વ્યક્તિગત ઓળખ ગુમાવીને ટોળાંના શૂન્યનો એક ભાગ બની બેઠાં હોઈએ. આ શેર વાંચતા જ ગાલિબ યાદ આવી જાય: डूबोया मुझको होने ने, न होता मैं तो क्या होता ?

– વિવેક

 

સમૂહ અને ટોળામાં ફરક છે. સમૂહમાં જે સંવાદિતા હોય છે એ ટોળામાં નથી હોતી. ટોળાને નથી હોતી બુદ્ધિ કે નથી હોતો કોઈ પોતીકો સૂર… બસ હોય છે માત્ર જુદા જુદા અવાજોથી સર્જાતો એક ઘોંઘાટ. ટોળાનો દરેક માણસ સ્વયં સિવાય અન્ય વિશે વિચારી શકતો નથી. ટોળાનો હિસ્સો બની રહેવામાં એ એક ભ્રામિક સલામતી અનુભવે છે. ટોળાના માણસો અનેક જગ્યાએ અન્યાય થતો જુએ, છતાંય પોતાને ટોળાની સંકુચિત મર્યાદામાં રાખી એ અન્યાયને અવગણી શકે. જે જોવું હોય એ જ જુએ, નહીંતર આંખો બંધ. માત્ર ટોળાનાં બનીને રહી ગયેલા એક માણસ એટલે કે પિતામહ ભિષ્મ. પોતાને આવા ટોળાની શૂન્યતાથી વધારે કશું જ ન સમજતા કવિ જીવનનો મર્મ ખૂબ સ-રસ રીતે સમજાવી જાય છે. પોતાની લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી ચાલીસ વર્ષ પછી પોતાને જ ન ગમેલી સાતસો જેટલી ગઝલોને રદ કરીને માત્ર 108 ગઝલોનો ‘તારાપણાનાં શહેરમાં’ સંગ્રહ આપનાર આ કવિ કહે છે કે "હું છું ને હું નથી"!

– ઊર્મિ

 

‘ટોળું’ એટલે શું ? – ઘણાબધા ‘હું’ નો સમૂહ. ‘હું’ એટલે ઘણાબધા વિચારો નું ‘ ટોળું’. શેરની ચાવી છે ‘શૂન્યતા’.

‘હું છું ને હું નથી.’- આ વિરોધાભાસ આભાસી છે. અસ્તિત્વનું મધ્યબિંદુ છે શૂન્યતા. જેની એક તરફ છે ‘હું છું’ અને બીજી તરફ છે ‘હું નથી’.

– તીર્થેશ

 

કેટલાક શેર અરીસા જેવા હોય છે. એની સામે જે ઊભુ રહે તેને પોતાના વિચારોનું પ્રતિબિંબ જ શેરમાં દેખાય. આ શેર જેટલી વાર વાંચો એટલી વાર તમારી પોતાની મનોસ્થિતિ પ્રમાણે એનો અર્થ તમને દેખાશે. ટોળું, શૂન્યતા, હોવું – એ બધાનો અર્થ જુદી જુદી રીતે થઈ શકે એમ છે.

પહેલી નજરેઃ ટોળાની શૂન્યતા એટલે ટોળું ભરાતું જાય એમ માણસ ખાલી થતો જાય અને છેવટે શૂન્યતા સુધી પહોંચી જાય. પોતે ટોળામાંથી અલગ નથી થઈ શકતા એટલે પોતાની જાત પર પણ કવિ ચોકડી મારે છે. પોતાનો મર્મ કશો રહ્યો નથી. ટોળાની વચ્ચે પોતાનું અલગ અસ્તિત્વ નથી રહ્યું એટલે પોતાના હોવા અને ન હોવામાં કોઈ ફરક રહેતો નથી. ટોળાનો ભાગ બની ગયેલા કવિ પોતાની જગતમાં કશો ફરક પાડી શકવા માટે અસમર્થ બની ગયા છે અને પોતાના અસ્તિત્વને નિરર્થક બની ગયેલું જુએ છે.

પછીઃ જેમ વિચારોની ઊંડાઈ વધતી જાય એમ ખ્યાલ આવે કે આટલા ઉમદા કવિ ટોળાની વાત કરીને પોતાનો સમય શું કરવા બગાડે ? આ તો આત્મદર્શનના કવિ છે. એ જે ‘ખાલીપણાના શહેર’ની વાત કરે છે એ કોઈ શહેરની વાત નથી, એ તો પોતાની જાતને જ ‘ખાલીપણાના શહેર’ તરીકે ઓળખાવે છે. (વિચાર જ કેટલો ઉમદા છેઃ દૂર દૂરથી જ્યાં ખાલીપો રહેવા માટે આવે છે એ શહેર!) તો પછી ‘ખાલીપણાના શહેર’માં ઘોંઘાટ કરી રહેલું ટોળું એટલે શું? એ ટોળું એટલે આપણી સિમિત ઈન્દ્રિયો. એ ટોળું મળીને ગમે તેટલો ઘોંઘાટ કરે એમનો છેવટે સરવાળો શૂન્ય જ થવાનો છે! પોતાના શરીરની-પોતાની ઈન્દ્રિયોની સીમા પારખીને કવિ કહે છે, હું કશું નથી. અને હું કશું છું કે નથી એનો પણ કશો અર્થ નથી.

આમ જ બીજા પણ અર્થ પણ થઈ શકે. નવો અર્થ મળે તો કવિતા બદલાતી નથી. આપણી પોતાની વિચારવાની રીત બદલાઈ હોય છે. આવી કવિતાને હું મુક્ત-કવિતા કહું છું. જે તમને વારંવાર વિચારવા મજબૂર કરી દે.

– ધવલ

Comments (5)

ઢળે જો સાંજ – બંકિમ રાવલ

અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.

ગઝલના કેટલાક શેર:

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.

કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !

વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.

કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.

ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.

શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.

ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું

વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.

જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.

બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.

પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.

ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.

ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.

ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.

ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:

પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !

કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…

-બંકિમ રાવલ

કવિશ્રીને શુભકામનાઓ…

Comments (12)

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

Comments (5)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે.  મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…

આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…

*

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

– વિવેક મનહર ટેલર

Comments (17)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)