ખોલીને એની કેદથી આવી શક્યો ન બ્હાર
સ્મરણોની બંધ શીશીને આંટા હતા અનેક.
– અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મેહુલ ભટ્ટ

મેહુલ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

પ્રયત્નો કરું છું – મેહુલ ભટ્ટ

પડું-આખડું છું,
પ્રયત્નો કરું છું.

નસીબે લખેલા
કદી ક્યાં ગણું છું?

સજા ક્યાં દે ઈશ્વર,
છતાં પણ ડરું છું.

નયનમાં ઘણાની
ખટકતું કણું છું.

લખીને ગયા એ
ફરીથી લખું છું.

પ્રણયમાં જે છૂટ્યું
કલમથી ભરું છું.

અણી પર જે ચુક્યો
હવે આવરું છું.

ઘણી ભીડમાં પણ
‘સ્વ’ને સાંભળું છું.

હું સર્જાઉં રોજ્જે,
ને રોજ્જે મરું છું.

– મેહુલ ભટ્ટ

ટૂંકી બહેરમાં મોટી વાત કરતી મજાની ગઝલ… મોટાભાગે ટૂંકી બહેરની ગઝલ નાના વિધાન બનીને રહી જતી હોય છે પણ આ ગઝલના મોટાભાગના શેર વિધાન બનીને રહી જવાના અભિશાપથી ઊગરી ગયા છે. લગભગ બધા જ શેર વિચાર માંગી લે એવા…

Comments (3)

એક ટોળામાં – મેહુલ ભટ્ટ

ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !

સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?

– મેહુલ એ. ભટ્ટ

સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર અને મનનીય થયા છે. માત્ર બીજો અને ત્રીજો શેર અર્થની દૃષ્ટિએ એક સરખા છે એ સિવાયના બધા જ શેર મજબૂત છે. જ્યાં સુધી નિતનવા ગઝલકારો પાસેથી આવી તરોતાજા અને સંતર્પક રચનાઓ મળતી રહેશે ત્યાં સુધી તો ગઝલગઢ સલામત જ રહેશે…

Comments (9)