નહિતર આ બધી નૌકાઓ ડૂબી જાય શી રીતે,
સમંદરમાંય મૃગજળ છે જે દેખાઈ નથી શકતા.
– આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નીતિન પારેખ

નીતિન પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સવા શેર : ૦૭ : પ્રકાશ – નીતિન પારેખ

એકઠું જે કર્યું તે અંધારું,
વ્હેંચીએ તે પ્રકાશ લાગે છે.

– નીતિન પારેખ

અગ્રગણ્ય ફાર્મા કંપની ઝાયડસ લાઇફસાઇન્સ લિમિટેડમાં ચીફ ફાઇનાન્શિયલ ઑફિસરની પદવી શોભાવતા કવિના પ્રથમ સંગ્રહ ‘દ્વાર ભીતરનાં ખોલ’માંથી આ મોતી હાથ લાગ્યું. ટૂંકી બહરની બે પંક્તિમાં કવિએ ગાગરમાં સાગર ભરી આપવાનું અદભુત કવિકર્મ કર્યું છે.

આમ તો આ શેર સરળ અને સહજસાધ્ય છે, પણ શેરમાં મરીઝની ગઝલો જેવું જે ઊંડાણ છે, એ આગળ ન વધવા માટે મજબૂર કરે એવું છે. આમ તો આપણે કહેતાં જ હોઈએ છીએ કે, ‘તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું,’ (રાજેશ વ્યાસ મિસ્કીન) પણ એ તો હાથીના દાંત જેવું. ચાવવાના અલગ અને દેખાડવાના અલગ. વાતો મોટી-મોટી કરવાની પણ અમલ કરવાના ધારાધોરણ અલગ. કવિ મિસ્કીનની નિસ્પૃહતા અને મકરંદ દવેના ગમતાંનો કરીએ ગુલાલ વચ્ચે ઉમદા સામંજસ્ય સર્જે છે.

મૂળ વાત છે અપરિગ્રહની. જૈન ધર્મના પાંચ મહાવ્રત, બૌદ્ધ ધર્મના પંચશીલ, યોગસૂત્રકારોના પંચયમ તથા ગાંધીજીના અગિયાર વ્રતોમાંનું એક તે અપરિગ્રહ. ગાંધીજી કહેતા કે જે વસ્તુ આજે જરૂરી નથી, તે ભવિષ્યમાં જરૂરી થશે એમ માનીને સંગ્રહવી તે પરિગ્રહ કહેવાય. પણ જરૂર પડશે ત્યારે જોઈતી વસ્તુ મળી રહેશે એવી શ્રદ્ધા ઈશ્વર પર રાખીને સંગ્રહ ન કરીએ એને અપરિગ્રહ કહેવાય. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે, ‘तेन त्यक्ते न भुंञ्जीथाः|’ અર્થાત્ જે ત્યાગ કરે છે એ જ ભોગવી શકે છે.

અપરિગ્રહની આ તમામ જાણકારી આખરે તો જીવનકિતાબના આખરી પાને ફુટનોટ બનીને જ રહી જાય છે. તમામ ઉપદેશોથી વિપરીત સંગ્રહખોરી આપણો મૂળભૂત સ્વભાવ છે. સંકટના સમયે કામ આવશે એમ કરીને સચવાયેલી સેંકડો વસ્તુઓ જિંદગી પૂરી થઈ જાય ત્યાં સુધી ઘરના કોઈક ખૂણાના શૂન્યાવકાશને ભર્યોભાદર્યો રાખવા સિવાય કદી કામમાં આવતી નથી. કામ આવશે એમ કરીને જીવનભર સંચય કરેલ ધનના આપણે ફક્ત ચોકીદાર જ સાબિત થઈએ છીએ. બધું આખરે વંશજો જ વાપરે છે. એટલે જ કવિ કહે છે કે એકઠું કરેલ કશું કામનું નથી. સંચયમાં કોઈ રોશની નથી. પણ જરૂરિયાતમંદને આપવું એ જ વસ્તુનો સાચો ઉપયોગ છે. અન્યોની જરૂરિયાત સંતોષવાનો ઉપક્રમ રાખીએ તો જ નોળિયાનું ડિલ સોનાનું થાય. વહેંચવામાં આવેલી વસ્તુ જ સાચા અર્થમાં વપરાયેલી ગણાય અને કોઈપણ વસ્તુ વપરાય ત્યારે જ એના આવિર્ભાવ પાછળનો ખરો હેતુ ચરિતાર્થ થાય છે. એટલે જ કવિને વસ્તુને વહેંચવામાં પ્રકાશપ્રાપ્તિ દેખાય છે. વળી આ નિયમ સંસારની દરેક ચીજને લાગુ પડે છે… વિદ્યા-જ્ઞાન, પ્રેમ-વફાદારી વગેરેથી માંડીને અન્ન-જળ, સ્થાવર-જંગમ –તમામ માટે કવિનો આ શેર દીવાદાંડી સમો પથપ્રદર્શક બની રહે એમ છે..

Comments (14)

હું તો હિંચકે બેસું ને… – નીતિન પારેખ

હું તો હિંચકે બેસું ને સાજણ સાંભરે રે લોલ!
હું તો ઢોલિયે ઢળું ને સાજણ સાંભરે રે લોલ!

હું તો બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
મોટું બચકું બાંધી નદીએ નીસરું રે લોલ,
ઝાઝાં લૂગડાં ધોઉં ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
રોજ ગામકૂવે જાઉં લઈને બેડલાં રે લોલ!
હેલ છલકે – છલકે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો દા’ડે ડૂબેલી રહું કામમાં રે લોલ!
આખો દા’ડો ડૂબેલી રહું કામમાં રે લોલ!
રૂડી રજની ઢળે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને….

હું તો સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મીઠા સપનામાં મૈયરિયે મ્હાલતી રે લોલ!
મોર મધરા બોલે ને સાજણ સાંભરે રે લોલ!
.                   હું તો હિંચકે બેસું ને…

– નીતિન પારેખ

અદ્દલ લોકગીતની ચાલમાં લખાયેલું આધુનિક ગીત. કવિએ ક્યાંય સ્પષ્ટતા નથી કરી પણ કાવ્યનાયિકા પ્રોષિતભર્તૃકા હોવાનું વિચારી શકાય. મુખડા અને પ્રથમ ત્રણ બંધ પરથી ખ્યાલ આવે કે પરિણીતા એના પરણ્યાના વિરહમાં છે અને આખરી બંધમાં એ પિયરના સ્વપ્ન પણ જોઈ રહી છે, મતલબ એ સાસરીમાં રહીને મનના માણીગરથી દૂર છે, અર્થાત્ પતિ પરદેશ ગયો હોવો જોઈએ.

ચાર બંધના ગીતમાં શરૂથી અંત સુધી કવિએ નાયિકાનો પતિઝૂરાપો પરોઢિયાથી રાત લગી દિવસની નાની-મોટી તમામ પ્રવૃત્તિઓમાં એકધારો જાળવી રાખ્યો છે. એકાદ શબ્દની સાર્થ હેરફેર સાથે દરેક બંધમાં નાયિકા પોતાની દિનચર્યાની લોકગીતની શૈલીમાં પુનરોક્તિ કરે છે, જેનાથી ભાવ વધુ ઘૂંટાય છે. સરવાળે સ-રસ કવિતા સિદ્ધ થાય છે…

Comments (3)