પીયૂષ ચાવડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 14, 2026 at 7:44 AM by વિવેક · Filed under પીયૂષ ચાવડા, શેર, સંકલન

લયસ્તરો પર જાણીતા અને નવા કવિઓના તાજા કાવ્યસંગ્રહોને પોંખવાના અવસર નિમિત્તે આજે ‘મખમલી શ્વાસ’ને પોંખીએ… સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેર પેશ કરીએ છીએ…
જરા સાથ આપ્યો તેં, એની અસર છે,
ઉદાસીના ઘરમાં ખુશી આજે આવી.
ભરી પાનખરમાં બહારો ખીલી છે,
જરા શી તમે શું નજરને ઝુકાવી!
તમારા સ્મરણની જરા છાંટ છાંટી
ખડી થઈ ગઈ છે બધીયે રુંવાટી.
અંત કે આરંભ, મધ્યે તું જ છે,
વારતાના હર પડાવે તું જ છે.
સામાન શ્વાસનો સૌ, અંતિમ ભરી રહ્યો છું,
ભાડાના ઘરને આજે ખાલી કરી રહ્યો છું.
‘ખૂબ મોડું થઈ ગયું’ -એણે કહ્યું,
મેં કહ્યું કે આ હવે સમજાય છે?
દીધો તમે જે ટેકો, એ સ્તંભ છે બરફનો,
પકડું છું એને જ્યારે, આધાર ઓગળે છે.
હાથ આખો એમ તો સળગે નહીં ને દોસ્ત કૈં?
કૈંક તો કામણ હશે ને કૃષ્ણના એ રાસમાં!
ગાલ એના હું કરી દઉં લાલ, પણ
યાદને ચૂમી શકાતી હોત તો સારું હતું.
– પીયૂષ ચાવડા
Permalink
April 24, 2020 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.
કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.
ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!
એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.
જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.
– પીયૂષ ચાવડા
આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.
Permalink
September 20, 2018 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?
વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.
ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.
ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.
કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.
– પીયૂષ ચાવડા
મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?
લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…
Permalink