કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે !
મુકુલ ચોકસી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સંકલન

સંકલન શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૨ : વાચકોની કલમે… : ૦૨

રવીન્દ્ર પારેખ લખે છે-

‘ન કહેવાયેલી પીડા ભાગ્યે જ હોય છે.’

આ કોઈ અંગ્રેજી ચિંતકનું વિધાન હતું. વર્ષો પર એ લાઇબ્રેરીમાં વાંચેલું. સુખ સંતાડી શકાય, પણ પીડા વાચાળ છે, તે અપ્રગટ ભાગ્યે જ રહે છે. સુખ, ઐશ્વર્ય સાધનોથી પ્રગટ થાય છે. તો, પીડા પણ ઠાવકી ક્યાં છે? કોઈ અંગત દેખાય છે તો એ આંખોને આંસુ કરી મૂકે છે. વિધાન, વિધિનું વિધાન થયું. વાંચ્યા પછી થયું કે ન કહેવાયેલી પીડા કહી શકું તો, હું મને પણ કહી શકું.

– ને એમ હું લખતો થયો…

ભાવિન ગોપાણી લખે છે –

“એ જ ભિખારીને આજે સ્હેજ હસતો જોઇને,
આપ ખિસ્સામાંથી સિક્કો કાઢતા અટકી ગયા !”
કવિ – ભાવેશ ભટ્ટ

માત્ર બે જ પંક્તિમાં ગઝલનો એક શેર સમગ્ર ઘટના, ચિત્ર, પરિસ્થિતિ કે સમગ્ર મનોસ્થિતિનું સચોટ વિવરણ કે દ્રશ્ય ઊભું કરી જવાની ક્ષમતા ધરાવે છે એનો આ ઉત્તમ દાખલો છે.

આપણને કોઈને તકલીફમાં મદદરૂપ થવું તો ગમે છે પરંતુ કોઈનું દુ:ખ જો કોઈ અન્ય કારણસર પણ સ્હેજ ઓછું કે દૂર થતું હોય તો આપણે એમાં પણ આપણી ઈર્ષ્યા કે અહંકાર કે પછી ધારણાઓના બિનજરૂરી ઘોડાઓ દોડાવી કોઈના માટે પૂર્વગ્રહ કે અનુમાન બાંધી લેવાની આપણી આદતોના કારણોસર આપણે આપણા કર્તવ્યથી પાછા હટી જઈએ છે….. અહીં વાત માત્ર ભિખારી કે સિક્કાની નથી આપણી આસપાસ ઘણાં લોકો ઘણાં જીવો જેમને આપણાથી કંઈક પ્રાપ્ત થઈ શકે તેમ હોય તે બધાને આપણે આપણી આ માનસિકતાના કારણોસર અન્યાય કરતા હોઈએ છીએ

કવિનો આ શેર આપણને અંદરથી જગાડવા સક્ષમ છે. આ શેર વાંચ્યા પછી મને મારી આસપાસના એવા ઘણાં લોકો યાદ આવ્યાં જેમની સાથે હું ક્યારેક આ રીતે જ વર્ત્યો છું અથવા એ લોકો મારી સાથે આ રીતે વર્ત્યા છે.. આ શેર સાંભળ્યો ત્યારે હું કવિતા નહોતો લખતો, માત્ર ભાવક હતો અને આ શેરની ગૂંથણીએ મને કવિતા કેવી રીતે રચવી જોઈએ? અને કેવી રીતે રચી શકાય? તેનું માર્ગદર્શન પુરું પાડ્યું છે

મેહુલ જયાણી લખે છે –

થોડા વર્ષો પૂર્વે મારા પેકેઝિંગના ધંધાનાં કરઝમાં હું ડૂબી ગયો હતો. એ કરઝમાંથી મુક્ત થવા જીવનનને ટૂંકાવવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન્હતો. એજ સમય દરમ્યાન હતાશામાં ગરકાવ થયો અને ફેસબુક પર નેગેટિવ પોસ્ટ મુકવાનું શરૂ કર્યું કારણ એટલું જ કે ફેસબુક સિવાય હું કોઈને મારી વ્યથા કહી શકું એમ નહોતો. એ વાંચીને મુંબઈના એક કવિયત્રી રીટા શાહે મને મેસેજ કર્યો કે દિકરા કેમ આચાનકથી નેગેટિવ પોસ્ટ મુકવા લાગ્યો છે, કોઈ મુશેકલીમાં છો.? એના વળતા જવાબમાં વિસ્તારથી ન કહી શકતા એટલું જ બોલ્યો કે હા મારે મરી જવું છે. ત્યારે રીટા શાહે કહેલું કે જ્યારે પરિસ્થિતિ વળાંક લે ત્યારે ‘કોઈ એક ખૂણો પકડીને રડી લેવાનું, કા પછી દુનિયા સામે લડી લેવું’ અને મેં ખૂણો પકડીને રડવાનું શરૂ કર્યું પણ કરઝ ઓછું ના થયું ઉલટાનું રડી રડીને શરીરની ઉર્જા બળી ગઇ. છેલ્લે એવો વિચાર કર્યો કે આમેય મરવું જ છે તો એક ચાન્સ દુનિયા સામે લડી લેવનો તો છે જ અને હું લડ્યો પણ એક પંક્તિના સહારે અને એ પંક્તિ હતી.

આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી;
ટુકડે ટુકડે જીવું છું, પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.
(અનિલ ચાવડા)

આ શેર મળ્યો એનાથી એટલી સમજ પડી કે ના તો હું કોઈ સાત આસમાને પહોંચી ગયો છું, ના હું મુકેશ અંબાણી જેટલી ઊંચાઈનો અમીર બની ગયો છું, ના તો હું સાવ રોડ પર આવી ગયેલા કોઈ ફકીર જેવો થઈ ચૂકયો છું. હું તો ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચુક્યો છું એવું તો બિલકુલ નથી.

મયુર કોલડિયા લખે છે –

કવિતાના એક શબ્દે મને જીપીએસસીની તૈયારી કરાવડાવી છે
જયારે હું કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતો હતો ત્યારે ત્યાંનું વાતાવરણ અને મશીનરી કરતા કોઈ બીજા વાતાવરણમાં જવાની ઈચ્છા હતી. . બીજી બાજુ એકેડેમિક્સ અને સાહિત્ય તરફનું ખેચાણ. કંપનીની નોકરીમાંથી નીકળવું એમ નક્કી કર્યું પણ કામ અઘરું હતું. લેક્ચરર માટેની જીપીએસસીનું ફોર્મ ભર્યું પણ 12 થી 14 કલાકની નોકરી પછી તેની તૈયારી કરવી વધારે અઘરું હતું. ત્યારે કવિ ‘કાગ’ની આ પંક્તિઓ સતત ધક્કો મારતી રહી.

વડલો કહે મારી વનરાયું સળગી ને,
મેલી દીયો ને જૂનાં માળા,
ઊડી જાઓ પંખી પાખ્યુંવાળા હોજી..

મારી સાથે જોઈન થયેલા કેટલાંક engineersને કંપનીએ કાઢ્યા ત્યારે નોકરીની વનરાઈઓ સળગતી લાગી ત્યારે ઘણા લોકો હતા જે ઉડી જવા માંગતા હતા. આ સમય દરમિયાન ઉપરની પંક્તિઓ સતત મનમાં ઘૂંટાતી રહી. ખાસ કરીને છેલ્લો શબ્દ ‘પાખ્યુંવાળા’ મને સતત રંજાડવાનું અને ઢંઢોળવાનું કામ કરતો રહ્યો. પાંખો હોય તો ઉડી જાવ એવી તાકીદ કરતો હતો. એ શબ્દ હંમેશા પ્રશ્નાતો કે શું મારી પાસે પાંખ એટલે કે ઉડવાની ક્ષમતા છે?

પછી તો તૈયારી કરી, GPSC exam અને ઇન્ટર્વ્યૂ થયા અને ગમતી જગ્યા સાથે જોડાયો. (જો કે ગીતમાં કવિ છેલ્લે ભેળાં મરશું, ભેળાં બળીશુંની ભાવના તરફ લઇ જાય છે પણ મારે ઉડ્ડયન ભરવું થયું)

પરબતકુમાર નાયી લખે છે-

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં,
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે.
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું,
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે.
(અમૃત ઘાયલ)

ગુજરાતી ગઝલના શિરમોર શાયર આદરણીય ઘાયલ સાહેબના આ ગઝલ હું પી. ટી.સી. કોલેજમાં (પાલનપુર) હતો ત્યારે વાંચવામાં આવેલ. એ સમયગાળો મારા જીવન માટે કઠિન હતો, એકદમ ગરીબ કુટુંબમાંથી, ગામડેથી કોલેજ કરવા આવેલો, પિતાજી ગામડે મજૂરી કરતા હતા, એકાદ વખત તો અભ્યાસ પડતો મૂકવાનું વિચારેલું, પછી કોલેજ સાથે વેકેશનમાં ટ્યુશન શરૂ કરેલું, મેં મનોમન નક્કી કરેલું કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક જરૂર બનીશ અને એ સ્વપ્ન પૂર્ણ થયું, મારા ગામમાં પ્રથમ શિક્ષક બનવાનું ગૌરવ મેળવ્યું.

હરીશ જસદણવાલા લખે છે-

“સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.
(અકબરઅલી જસદણવાલા)

લોકપ્રિય શાયર અકબર અલી જસદણવાલાનો આ અમર શેર માણસને આત્મનિરીક્ષણ કરવાનું અને સુખદ જીવન જીવવાનું બળ પુરુ પાડે છે. શેર વાંચીને મને આશાવાદી જીવનની પ્રેરણા મળી છે. આ શેર મને ખૂબ ગમે છે.

ક્રિષ્ણા હિતેન આશર લખે છે-

કવિશ્રી સંદીપ ભાટીયાની કવિતા.. “માણસ જેવો માણસ પળમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી…” કોરોનામાં મારા વ્હાલા મોટા ભાભી શ્રીજીચરણ પામ્યાં ત્યારે આ કવિતાની એક એક પંક્તિ પર હું ખૂબ રડેલી. એની દીકરીને પણ મે સજળ આંખે સંભળાવેલી આ કવિતા. પણ એ કવિતા સધિયારો આપવામાં નિમિત્ત બની કે મનની વાત શબ્દો દ્વારા પ્રગટ થયેલી એટલે કે આંસુ દ્વારા દર્દને વહાવવા માં સહારો બની એટલે… ખબર નથી કેમ..પણ ખૂબ ગમેલી એ કવિતા. રચયિતા શ્રી સંદીપભાઈને પણ ધન્યવાદ સાથે ખૂબ આભાર માન્યો આવી સરસ , સંવેદનશીલ કવિતાનું સર્જન કરવા બદલ

બારીન દીક્ષિત અમદાવાદથી લખે છે-

તારું કશું ના હોય તો છોડી ને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું !
(રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

આ પંક્તિઓ મને ખુબ ગમે છે. મને જ્યારે જ્યારે એમ લાગે કે કોઇ એક વસ્તુ મને ગમતી -નથી મળતી ત્યારે ત્યારે મારી જાત માટે આ પંક્તિ યાદ કરું છું. મારા હાર્ટ ના ઓપેરેશન વખતે પણ આ પંક્તિઓ ના સહારે જલ્દી રિકવર થયો હતો એમ લાગે.

વિભા કિકાણી લખે છે –

આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું માત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને માત કરીએ.

કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબની આ ગઝલ ખરેખર મારા માટે પ્રેરણાપુંજ બની છે. આવનારી ખુશીની વાત કરવાની સાથે શરૂ થતી ગઝલ… મળ્યું છે એને સવાયું કરીને કાલને સોગાત કરવાની વાત સાથે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે ભાવકના હૃદયને હળવુફૂલ બનાવી જાય છે. દુઃખ સામે લડવાનું તો સૌ કહે પણ, દુઃખને હરાવવાની વાત તો કવિ જ કરી શકે.
આ ગઝલ સાથે મારે ગાઢ નાતો બંધાઈ ગયો છે. આઘાત અને દુઃખની ભીંસ વચ્ચે જીવન દુષ્કર લાગતું હતું ત્યારે વર્ગમાં ગઝલના પહેલા શેરનો ભાવાનુવાદ કરતાં હું રડી પડી હતી. જો કે બીજી જ ક્ષણે હું સ્વસ્થ થઈ ગઈ હતી કારણ કે બીજા શેરમાં કહેલી વાત મારે મારા વિદ્યાર્થીઓના જીવનમાં ઉતારવી હતી. એક દસકાથી મને જિંદગી જીવવાની હિંમત આપનાર કવિતા અને કવિ બંનેની હું ઋણી છું.

જ્યોતિ ત્રિવેદી લખે છે-

એક બારણું બંધ થયું તો રંજ શું એનો
દ્વાર બીજું ઉઘાડવાનું જરા શ્રદ્ધા રાખો
જે ખોયું તે મળવાનું જરા શ્રદ્ધા રાખો
(રિષભ મહેતા)

તારીખ 19/10/22 થી અમે અમારી વહાલી બહેનને શોધી રહ્યા છીએ. આજ સુધી કોઈ પણ ખબર પડી નથી. ડભોઈ સુખધામ આશ્રમમાં ભજન દ્વારા ઈશ્વરની પ્રતીતિ કરાવતી આ રચના અમને ભજનસ્વરૂપે સાંભળવા મળી. આ રચનાએ અમોને ખૂબ માનસિક બળ આપી અમારી શ્રદ્ધા ને ફરી એકવાર અડગ કરીને અમોને નવેસરથી જીવન જીવવાનું ઔષધ પૂરું પાડયું છે.

વિપુલ જોશી લખે છે –

જે કાજે ઊતર્યા નીચે, તે હેતુને ફળાવવા,
પ્રભુ ! જગાડતો રે’જે, હૈયે મને ઉગાડવા.
(શ્રી મોટા)

મનુષ્ય જન્મનો હેતુ એક વાર ખબર પડી જાય પછી જે હેતુ માટે દેહ ધારણ કર્યો છે એ આધિભૌતિક, આધિદૈવીક અને આધ્યાત્મિક માર્ગમાં પ્રભુ ચલાવજે અમને. શ્રીમોટાની આ રચના મારા જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવી ગઇ છે.

શ્રીદેવી શાહ લખે છે-

પૃથ્વી તો લ્હેરથી જાય તરતી નભે,
ને અલ્યા,ભાર લાગે તને કાં ખભે ?
તેં જ તારું હજી આત્મનું અવનિમાં બીજ બોયું નથી,
કાંઈ ખોયું નથી,
તેં હજી ભાઈ, ભરપૂર ભીતર તણું પાત્ર જોયું નથી.

પૂ. કવિ શ્રી “સાંઈ” મકરંદ દવે ની આ કવિતા મન અને આત્માને ઝંકૃત કરી ગઈ… જાણે આઝાન અને આરતીના પવિત્ર સ્વરોથી આર્દ્ર હ્રદયથી પરમને પોકારતું હૃદય….અને હાથોહાથ ઉત્તરની ચિઠ્ઠી આપવા આવેલો પ્રેમી ઇશ્વર.. થોડા દુન્યવી ભારથી થાકી જતા….તું બહુ દૂર છે, તું ક્યાંય જડતો નથી કે મારી નજરે ચડતો નથી એવી ફરિયાદો કરતા.. અજંપાથી વ્યાકુળ થતા મારા મનને બે વરદ હસ્ત જેવા શબ્દોથી જાણે આશીર્વાદના અજવાળા કરી દીધા…. હું મને મારામાં જ જડી ગઈ….મારા આતમના બીજને પ્રેમની ભૂમિમાં રોપ્યું…. મારા અહમ્ અને અભિમાનને આંસુના અષાઢમાં ઓગાળી અને આહા.. નિર્મળ, સ્વચ્છ શ્રાવણી પૂનમનું અજવાળું જાણે ચોમેર અનુભવ્યું…. ભીતરના ભેરૂ ને મળવાનો આનંદ અને અંદર નું અજવાળું આપનાર સંત કવિના શબ્દોને સાષ્ટાંગ પ્રણામ…..

Comments (9)

પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

ઝાંઝવાંની ભીંતો – ડૉ. વ્રજેશ મિસ્ત્રી

ઉચાટોનો હતો દરિયો, ઉપરથી રાત અંધારી,
ફકત બે શ્વાસના જર્જર હલેસે નાવ હંકારી.

છેવટે દરિયાય મીઠા થઈ ગયા,
આંસુઓના ખાર ઓછા ના થયા.

ગ્રીષ્મે એના શીત વિચારોમાં પગ બોળ્યા,
શિયાળામાં સ્મરણો ઓઢી તાપી રાતો.

શાને પ્રભાત ટાણે આંખો બની સરોવર?
છેલ્લા પ્રહર સુધી તો સ્વપ્નોને ઘાટ નહોતા!

ખોટો થઈ શોધે છે કાયમ,
માણસ માણસ સારા હો જી.

આભની જેમ વરસી પડાયું નહીં,
એટલો રહી ગયો આંખને વસવસો.

જ્યાં નીર લાગણીનું હતું, છે તરસ હવે,
સંબંધનાં તળાવ હવે નામશેષ છે.

ડૂમો જ જાળવે છે મોભો પછી રુદનનો,
આંસુય જ્યાં ધરાઈ સારી નથી શકાતા.

શું નામ દઉં સ્મરણની આ સાતમી ઋતુને?
કૈં કેટલાં વરસથી કેવળ અષાઢ ચાલ્યા!

જાણું છું, કાયમની વેરી છે,
વેદના તો પણ ઉછેરી છે.

ભાગ્ય મારા અશ્રુને કેવું મળ્યું?
કોઈના પાલવથી લ્હોવાયું નહીં.

શું ખબર કોની પ્રતીક્ષા આખરી વેળા હતી?
જીવ પણ થોડી મિનિટો લાશમાં બેસી રહ્યો!

– ડૉ. વ્રજેશ મિસ્ત્રી

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઝાંઝવાની ભીંતો’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી થોડાં વીણેલાં મોતી આજે આપ સહુ માટે…

Comments (6)

(ચૂંટેલા શેર) – વિકી ત્રિવેદી

ગઈ વખતની સરભરા એને બહુ સ્પર્શી હશે,
વેદના નહિતર ઉતાવળ આવવાની ના કરે.

બાળપણના હાથમાં છે જિંદગી તારું સુકાન,
આટલી ભૂલો ભલા મારી જવાની ના કરે.

*

છાંયડો આવી જશે તો બેસવાનું મન થશે,
મંજિલે પહોંચી જવા રસ્તે ધખારો જોઈએ.

*
અવકાશ ક્યાંથી મળશે ખુશી કે ઉમંગને?
જીવન તો સાચવે છે ન ગમતા પ્રસંગને.

અભરાઈથી લઈ ગઈ કાંટાળા ઝાડ પર,
દોરીની મિત્રતા પડી મોંઘી પતંગને.

મહેનતને પૂછવાના જે પ્રશ્નો હતા વિકી,
પૂછી રહ્યો છે એ બધું વીંટીના નંગને!

*
પામવાની તો હજારો રીત તે આપી પ્રભુ,
એ ન કીધું કેવી રીતે ત્યાગવાનું હોય છે.

હે પ્રભુ! બસ એટલું કર કે એ લોકો હોય ખુશ,
મારે જેને ‘કેમ છો’ એમ પૂછવાનું હોય છે.

– વિકી ત્રિવેદી

આ વખતે કવિની આખી રચના પૉસ્ટ કરવાના બદલે કવિની ચાર ગઝલોમાંથી દિલને સ્પર્શી ગયેલ થોડા પસંદગીના શેર ટાંકવાનું મન થાય છે, જેથી કવિની રેન્જનો સાક્ષાત્કાર થાય. ચાર ગઝલના આઠ શેર. દરેક પહેલી નજરે સમજાઈ જાય એવી સરળ સહજ બાનીમાં લખાયેલા છે, પણ બીજી નજર કરશો તો દિલમાંથી આહ અને વાહ એકસાથે નીકળી જશે અને ત્રીજી નજર કરશો તો પ્રેમમાં પડી જવાની ગેરંટી…

Comments (10)

વીણેલાં મોતી – મેહુલ એ. ભટ્ટ

છાતીમાં અકબંધ રણ સારું નહીં,
હદ વગરનું કાંઈ પણ સારું નહીં.
દિલ સુધી પહોંચે નહીં દિલનો અવાજ,
આટલું પણ શાણપણ સારું નહીં.
જીતનો જુસ્સો ભલેને રાખ પણ,
જીતવાનું ગાંડપણ સારું નહીં.
સૂર્યનું કે ચન્દ્રનું સાંખી શકાય,
પણ સમજ પરનું ગ્રહણ સારું નહીં.

અણજાણ થઈ જવાનો કોઈ મંત્ર હોય તો,
આપીને ભૂલવાનો કોઈ મંત્ર હોય તો.
ઈશ્વર વિશે તો ગ્રંથોના ઢગલા છે ચારેકોર,
દ્યો, ખુદને જાણવાનો કોઈ મંત્ર હોય તો.

ફરીવાર સિક્કો ઊછાળી જુઓ તો,
પરિણામ ત્રીજું જ ધારી જુઓ તો.
કદાચિત મળી જાય દિલને દિલાસો,
ફરીવાર પત્રોને વાંચી જુઓ તો.
જો અજવાસ આવે નહીં તો કહેજો,
ફકત એક બારી ઉઘાડી જુઓ તો.

‘આપ-લે’ની વાત વચ્ચે ના લવાય,
મૈત્રીમાં સર્વસ્વ આપીને પમાય.

રાત-દી’-વરસોવરસ આઠે પ્રહર,
કરગરું છું, યાદ! તું આવ્યા ન કર.
દૂર લગ રણ, રણ અને રણ છે છતાં
આર્દ્ર આંખો, આર્દ્ર હૈયું, આર્દ્ર સ્વર!

– મેહુલ એ. ભટ્ટ

લયસ્તરો પર કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘કાન અવાજો ઝંખે છે’નું સહૃદય સ્વાગત.

સંગ્રહમાંથી કેટલાક પસંદગીના શેરોનો ગુલદસ્તો વાચકમિત્રો માટે રજૂ કરું છું…

Comments (3)

चराग-ए-दैर – आदित्य जामनगरी

લયસ્તરોના આંગણે આજે આદિત્ય જામનગરીના પ્રથમ ગઝલસંગ્રહ ‘ચરાગ-એ-દૈર’નું સહૃદય સ્વાગત છે. જામનગરમાં રહેતા આ ગુજરાતી કવિ માતૃભાષાના બદલે રાષ્ટ્રભાષામાં ખેડાણ કરે છે, પણ જુઓ તો! કેવા અદભુત અને બિલકુલ મૌલિક શેર એમની કલમમાંથી સરે છે! આખી ગઝલોનો આસ્વાદ ફરી ક્યારેક કરીશું પણ આજે મને ગમેલા થોડા ચૂંટેલા શેર માણીએ…

साँस दो पल ठहर नहीं सकती
दर्द इतने ज़िगर में रहते हैं

मैं गज़ल का हमज़बाँ हुँ
इसलिए कम बोलता हुँ

बिगड जाते हैं नीचे आने पर क्यूँ
सुना है रिश्तें बनतें हैं फ़लक पर

मैं गलत रास्ते पे हूँ ये बात पक्की है,
कोई मेरी राह में पत्थर नहीं रखता

ख़त्म कब होगा खेल मजहब का,
आदमी जाने कब बडा होगा

शोहरत जब बुलन्दियों पर हो
हर फ़साना ख़िताब होता है

अब जताते भी नहीं नाराज़गी
सोचिए हम किस क़दर नाराज़ है

मेरी हिजरत समझ न पाओगे
मेरा घर मेरे घर से दूर है

लगता है नाकामी में हर शख़्स को
हर इशारा, तंज़ उसकी और है

रखते हैं बेईमानी का रोज़ा जो रोज़
उनकी पूरी ज़िन्दगी रमज़ान है

अपनी आदत से बर नहीं आता
वक़्त क्यूँ वक़्त पर नहीं आता

कम पडा है अपने लडने का जुनूँ
मत कहो कि ख़्वाब सच्चा न हुआ

कहो उसके सिवा यादों का मतलब और क्या होगा
हज़ारों मोड पर दिल वक़्त को ठहरा समझता है

मुद्धतों से उम्मीदें हडताल पर हैं
हो गए हैं बन्द दिल में बनने आँसू

रहना होगा अंधेरे में अब तो
अपने साए से दुश्मनी की है

तू नहीं मौजूद यह दिखला रही है
यह अंधेरे से काली रोशनी है

मेरी तनहाई कितनी पागल है
अब भी तेरे खयाल करती है

करिश्मा यह नहीं हर रास्ता फूलो भरा है शहर में
करिश्मा यह है – नंगे पाँव चलने की इजाजत ही नहीं

कितना महँगा सफर है दुनिया का
खर्च होती है जिन्दगी सारी

मेरी मंजिल है तू ये सच है मगर
हमसफर बनती नहीं मजिल कभी

हूँ अकेला मगर तू याद नहीं
सच कहूँ? यह भी बेवफाई है

कितनी नाजुक है जमापूंजी हमारी देखिए
एक लम्हा है जिसे हमने गुजारा ही नहीं

हर खुशी पर जवान होते है
दिल मे जो भी मलाल होते है

था मुलजिम गहनों की दुकान में
बेटी को कुछ दे न पाया ब्याह में

सुबह के खौफ से में सोता हूँ
अपने कमरे में रोशनी करके

जिन्दगी मुझसे क्या छिनेगी अब
अब तो खोने को जिन्दगी ही है

फ़र्क है सिर्फ़ मौका मिलने में
तेरी और मेरी बेवफाई में

जिन्दगी माना की होली जैसी है
पर तुम्हारी याद भी प्रहलाद है

– आदित्य जामनगरी

Comments (14)

અલવિદા ‘સાહેબ’, અલવિદા !

terence jani saheb
(ટેરેન્સ જાની ‘સાહેબ’ : જન્મ: ૦૪-૧૦-૧૯૮૭ ~ દેહાંત: ૦૨-૦૨-૨૦૧૫)

માત્ર ૨૭ વર્ષની કાચી ઉંમરે ગોઝારા માર્ગ અકસ્માતે એક આશાસ્પદ કવિને આપણી વચ્ચેથી છીનવી લીધો. ‘સાહેબ’ના ઉપનામથી લખતા કવિની રચનાઓમાંથી પસાર થતાં જ સમજી શકાય છે કે શક્યતાઓથી ભરેલ એક ભીનો ભીનો પ્રદેશ કૂંપળાતા પહેલાં જ રણ બની ગયો…

અલવિદા, સાહેબ ! અલવિદા !!

*

કરતાલ, એક કલમ અને દિવાન નીકળ્યો,
મારા ઘરેથી આટલો સામાન નીકળ્યો.
‘સાહેબ’ની સુરાહી તો એવી જ રહી ગઈ,
એક જ હતો જે દોસ્ત, મુસલમાન નીકળ્યો.

આ આંખની જ સામેથી તેઓ જતા રહ્યા,
ને આંખ નીચી રાખી હું જોતો રહી ગયો !
બોલ્યા વિના તેણે કદી એવું કહ્યું હતું ,
વરસો સુધી એ વાતનો પડઘો રહી ગયો !

મોત જેવી મોત પણ કાંપી ઉઠે,
જિંદગીની એ હદે લઈ જાઉં તને.
વેંત જેવો લાગશે બુલંદ અવાજ,
મૌનના એ શિખરે લઈ જાઉં તને.

કર્મ સારા હોય તો સારું થશે એવું નથી,
ખાતરી છે એટલી કે બદદુઆ મળશે નહીં.

દિલ મહીં તારા સ્મરણના ભારથી,
જીવતો લાગું ફકત હું બહારથી.
કે, દિલાસાની જરૂર પડતી નથી,
હું ગઝલ લખતો થયો છું જ્યારથી.
હોઠ આ ‘સાહેબ’ના મલકી ઉઠ્યા,
ભૂલ થઈ લાગે છે તારણહારથી.

– ટેરેન્સ જાની ‘સાહેબ’

ભારે ભૂલ કરી તારણહારે… ભારે ભૂલ કરી…
લયસ્તરો તરફથી સાહેબને શબ્દાંજલિ !

Comments (17)

॥ अथ श्रीमद् गज़ल ॥ – પંકજ વખારિયા

Pankaj_book_cover

પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*

કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.

ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.

રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.

જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.

લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.

સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.

તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.

જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.

દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?

– પઁકજ વખારિયા

Comments (17)

ઢળે જો સાંજ – બંકિમ રાવલ

અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.

ગઝલના કેટલાક શેર:

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.

કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !

વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.

કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.

ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.

શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.

ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું

વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.

જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.

બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.

પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.

ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.

ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.

ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.

ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:

પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !

કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…

-બંકિમ રાવલ

કવિશ્રીને શુભકામનાઓ…

Comments (12)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

અત્યાર સુધીમાં આપણે બેફામ, મનોજ ખંડેરિયા અને ચિનુ મોદી જેવા સિદ્ધહસ્ત કવિઓનાં મૃત્યુ-વિષયક શેરોનું સંકલન માણ્યું… જેમાં એમણે મૃત્યુને ક્યારેક સંતાપ્યુ છે તો ક્યારેક ઉજવ્યું છે, ક્યારેક પ્રકોપ્યું છે તો ક્યારેક શણગાર્યુ છે, ક્યારેક અફસોસ્યું છે તો ક્યારેક અજમાવ્યું છે, ક્યારેક વખોળ્યું છે તો ક્યારેક ગળે વળગાળ્યું છે.  મૃત્યુનાં આવા અવનવાં રંગોનું રસપાન કરાવનાર વિવેકનાં મૃત્યુ-વિષયક વિચારો એની ગઝલનાં શેરોનાં રૂપમાં આજે આપણે જાણીએ…

આજે વિવેકની વેબસાઈટ ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં છ વર્ષ પૂરા થાય છે, એ નિમિત્તે વ્હાલા વિવેકને અઢળક શુભેચ્છાઓ…

*

અટ્ક્યું છે દિલ કશેક, તું વિશ્વાસ કર, મરણ !
હું તો પ્રયત્ન અહીંથી જવાનો કરું છું રોજ.

અંતે તો શ્વેત રંગે સૂવાનું થયું,
આજીવન જાનીવાલીપીનારા હતા.

શબ્દ પણ શ્વાસોની જેમ જ આવે છે,
ચુસકી ચુસકી જિંદગી પીવાને, દોસ્ત…

બે પગ ઉપર હું લાશ લઈ આવ્યો છું ફરી,
મિત્રોથી જાન લેવામાં કંઈ થઈ ગયો રકાસ.

પળેપળ બળીને જ જીવ્યો છું, મર્યા બાદ બાળીને કરશો શું ?
મને લઈ જશો ના સ્મશાનમાં, દઈ દેજો દેહ આ દાનમાં.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

ધમપછાડા કરતી મારી જાત એની એ હતી,
તો પછી નિશ્ચેત શાને કાયા આખી ? ગ્યું કશુંક…

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

મોત પણ આવે હવે તો દુઃખ નથી,
જિંદગીને જાણવાની આ ક્ષણે.

..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

જો શાંત થઈ ગયાં તો પછી કંઈ જ ના બચે,
શ્વાસોની આ ગલીમાં તો રમખાણ સઘળું છે.

અંતર ભલેને જોજનોનું, દૂર છે અંતર શું અમ ?
અંતે થશું ભેળા મહાભૂતોના પંચમ્ દેશમાં.

જીવન સફર છે એક, મુસાફર છે આદમી,
મારા જ ઘરમાં બે ઘડી મારો મુકામ છે.

કહું હું કેમ કે સૌ ઝંખના મારી મરી ચૂકી ?
કબર ચણતાં જ કૂંપળ એક ઊગી આવી પરબારી !

સૈનિક મારા શ્વાસનો બસ, ત્યાં ઢળી પડ્યો,
ખેંચી જરા જો લીધી તેં શબ્દોની એની ઢાલ.

શ્વાસને કહું છું, પકડી રાખ શબ્દને,
એ હશે ને ત્યાં સુધી આ દાવ ચાલશે.

લેવાને પ્રાણ શબ્દ ઉપર પાશ નાંખ, યમ!
ના દેહ કે ના શ્વાસ, બીજું કંઈ નથી અમે.

હજી આંખો નથી મીંચાઈ, ઊગે છે હજીયે પુષ્પ;
કબર પાસેથી તું ગુજરે એ આશામાં જીવે છે લાશ.

– વિવેક મનહર ટેલર

Comments (17)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૩

ગુજરાતી ગઝલમાં મૃત્યુ વિષયક શેરોનું સંકલન કરવા બેસીએ તો એક આખું પુસ્તક તૈયાર થઈ જાય. બેફામ અને મનોજ ખંડેરિયા પછી આજે આ ત્રીજું સંકલન ચિનુ મોદીનું છે. એક જ વિષય પર અલગ અલગ કવિના અંદાજ-એ-બયાં માણવાની તો મજા છે જ પણ એક જ કવિના એક જ વિષય પરના અલગ અલગ અંદાજ-એ-બયાંની મજા પણ ઓર જ છે…

*

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.

અંતે નક્કી મોત જ છે,
એ મારગ પર ચાલું હું ?

ભીંત વચ્ચેથી સોંસરું પડશે –
મોતનું સ્હેજ પણ વજન ક્યાં છે ?

મોતને ‘ઈર્શાદ’ ક્યાં પુછાય છે ?
આંતરેલા જીવની આપો વિગત !

મોતની સમજણ ન આવી કામ કૈં,
જ્યાં નિકટ આવ્યું કે થરથરતો રહ્યો.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

કોણ, ક્યારે, કેમ આવે જાય છે !
જિંદગી કે મોત ક્યાં સમજાય છે !

શ્વાસ છોડ્યો તો સમય છૂટી ગયો,
તાંતણો કેવો હતો ? તૂટી ગયો.

જીરવી લેવું પડે છે શ્વાસનું ખૂટલપણું
કોણ નક્કી મોતની ફરિયાદ દર જન્મે કરે ?

મોત પણ મારી નથી શક્તું હવે ‘ઈર્શાદ’ને,
એ જીવી શક્તો હવે સંભારણાના નામ પર.

શ્વાસ સાથેની રમતમાં હે મરણ,
સ્હેજ ધીમું ચાલજે, માદરબખત.

દેહ છોડી જીવ મારો ક્યાં જશે ? કોને ખબર ?!
એક પરપોટો પુનઃ પાણી થશે ? કોને ખબર ?!

જીવ પર ભીંસ વધતી ગઈ દેહની –
શ્વાસની આ રમત હોય તો હોય પણ.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે
અને જીવનું ક્યાંક બીજે વતન છે.

-ચિનુ મોદી ‘ઈર્શાદ’

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૨

કવિતા કોઈ પણ ભાષાની કેમ ન હોય, મૃત્યુ હંમેશા આકર્ષણનો વિષય બની રહ્યો છે. ગઈ કડીમાં આપણે બેફામના મૃત્યુવિષયક શેરોનું સંકલન માણ્યું. આજે સિદ્ધહસ્ત કવિ મનોજ ખંડેરિયાની કલમે મૃત્યુના નાનાવિધ રંગોનું આચમન કરીએ.. એક જ કલમ એક જ વસ્તુના કેટકેટલા  આયામ જોઈ શકે છે એ વાત વિસ્મિત કરે છે…

 

મરણની હથેળીઓ થઈ જાય ભીની
તને એક પળ પણ વિસારી શકું તો

નીંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી
સ્વપ્નોનાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ

લંગરો છૂટી ગયાં અને
શ્વાસનાં વ્હાણો સરી ગયાં

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

મનોજ નામની એક નદીના કિનારે
તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો

હાથમાં આયુ-રેખા તૂટેલા
હું ફરું છું મરણ ઉપાડીને

શ્વાસના ધારદાર ચપ્પુથી
આ હવા મારું હોવું છોલે છે

નજૂમી, ઓળખે છે જેને તું આયુષ્ય-રેખા કહી
અમારે મન રૂપાળો મૃત્યુનો રસ્તો હથેળીમાં

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી,
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

સર્વને આવકારે સમ-ભાવે
ના કહે છે કદી કબર કોને

અંતમાં તેં વિખેરી નાંખીને –
વિશ્વભરમાં કર્યો અનંત મને.

તું અંતિમ ક્ષણે મોક્ષને માગ મા,
મહામોંઘા અવસરનો સોદો ન કર.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

લાખ રસ્તા ખુલી ગયા જ્યારે
થઈ ગયા બંધ શ્વાસના રસ્તા.

‘મૃત્યુ’ જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

જાણું છું મારી માલમતા માંહ્ય છે છતાં,
ખુલ્લો કબાટ છોડીને ચાલ્યો જવાનો ભાવ.

જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એની ઉધારી છે પાનબાઈ.

રચી ‘મૃત્યુ’ જેવો શબ્દ સાવ ટૂંકો,
પ્રભુએ જીવનની સમીક્ષા કરી છે.

– મનોજ ખંડેરિયા

Comments (7)

પરમ સખા મૃત્યુ :૦૮: ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૧

મૃત્યુ વિષયક ‘અમર’ શેરોનું સંકલન કરવું હોય તો બેફામ પહેલાં યાદ આવે. મક્તાના શેરમાં મૃત્યુને વણી લેવાનો એમનો ઉપક્રમ અભૂતપૂર્વ ગણાય છે. એક જ કવિ મૃત્યુની વાત કરે ત્યારે એના કેટકેટલા આયામ એ ચકાસે છે એ જાણવું હોય તો આ શેર-સંકલનમાંથી પસાર થવું ફરજિયાત છે…

બેફામ તો ય કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

હસી લેજો જરા મારી કબર પર વ્યંગમાં બેફામ,
જગત છોડી ગયો હું એ પછી થઈ છે જગા મારી.

મારા મરણ ઉપર ને રડે આટલાં બધાં ?
બેફામ જિંદગીનાં બધાં દુઃખ વસૂલ છે.

કરી નક્કી ખુદાએ મારે માટે મોતની શિક્ષા.
ગુનાહ બસ એ જ કે હું જિન્દગાની લઈને આવ્યો છું.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

એમ વીતેલા દિવસને રોજ માગું છું ફરી,
કે જીવન પૂરું થયું છે ને મરણ મળતું નથી.

જીવનની મોકળાશની મૃત્યુથી જાણ થઈ,
ઘર જેટલી વિશાળ કોઈની કબર નથી.

સરકતી જિંદગી, એ પણ વળી નશ્વર જગત પર છે,
હવે સમજાય છે અમને કે આ તો રેતીનું ઘર છે.

જીવનની અગવડો મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
સદા માટે સૂવાનું છે છતાં બિસ્તર નહીં મળશે.

બિચારા એ જ તો મારા મરણની રાહ જોતા’તા,
જનાજો કાઢજો બેફામ દુશ્મનની ગલીમાંથી.

મરણની બાદ પાછું એ જ જીવન માણીએ બેફામ
ખુદા પરવાનગી આપે તો જન્નતમાં જગત કરીએ.

જમાનાની હવા મૃત્યુ પછી પણ એ જ છે બેફામ,
હતાં જે ફૂલ એ ઊડી ગયાં મારી કબર પરથી.

જીવ્યો હું ત્યાં સુધી કાંટા જ વેઠ્યા છે સદા બેફામ,
કબર પર ફૂલ મૂકીને ન કરજો મશ્કરી મારી.

જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે, કોઈ માનવ મસાણે છે.

કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે,
કે જ્યાંના લોક સૌ કેવળ મરેલાને વખાણે છે.

ફકત એથી જ મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા થઈને.

કદાચિત્ મોત આવે એ પછી થઈ જાય એ પૂરી,
હજી હમણાં સુધી તો જિંદગી મારી અધૂરી છે.

જીવનને જીવવાની તો કદી નવરાશ પણ નહોતી,
મળ્યો કેવી રીતે બેફામ મરવાનો સમય તમને ?

કબરની સંકડામણ જોઈને બેફામ સમજી લો,
કે જન્નતમાં જવાના પંથ કંઈ પહોળા નથી હોતા.

વિશ્વાસ એવો મોતના રસ્તા ઉપર હતો,
બેફામ આંખ બંધ કરીને જતાં રહ્યાં.

આ ફૂલ, આ ચિરાગ, કબર પર વૃથા નથી,
બેફામ એ જ ગુણ હતા મારા સ્વભાવમાં.

બેફામ જાઉં છું હું નહાઈને સ્વર્ગમાં,
જીવન ભલે ન હોય, મરણ તો પવિત્ર છે.

વણીને શ્વાસ ને ઉચ્છવાસ બેફામ,
અદીઠું એક કફન પેદા કરું છું.

મોત જેમાં ફસાય છે બેફામ,
જિંદગી એવી જાળ લાગે છે.

નથી એ શ્વાસ કે એને સૂંઘી શકું બેફામ,
ન લાવો મારી કબર આસપાસ ફૂલોને.

એક સાથે ચીજ બે બેફામ પકડાઈ નહીં;
મોત આવ્યું હાથમાં તો જિંદગી છૂટી ગઈ.

મોતનીયે બાદ આ દુનિયા તો એની એ જ છે,
હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ.

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (16)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૨)

ગઈકાલે આપણે શ્રી ભગવતીકુમાર શર્માની છોત્તેરમી વર્ષગાંઠ નિમિત્તે કવિશ્રીની અલગ-અલગ ગઝલની પંક્તિઓ પર પોતાની ગઝલ રચી  સુરત ખાતે યોજેલ તરહી મુશાયરાની એક ઝલક માણી… આજે ભાગ બીજો..

*

IMG_4689

ખુલ્લાં હૃદયનાં દ્વાર, ઉમળકોય જોઈશે,
મોટું મકાન, દોસ્ત ! ઉતારો નહીં બને.

તેથી જ હું હવે તો તમારો બની ગયો,
પડછાયો મારો કોઈ દી મારો નહીં બને.

-ગૌરાંગ ઠાકર

*

IMG_4693

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને.

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

– દિવ્યા મોદી

*

IMG_4711

સ્પર્શોનો ભવ્યરમ્ય એ ઉત્સવ થતો નથી,
હરદમ એ તાજગીનો અનુભવ થતો નથી.

આંસુઓ મારા ક્યાં જઈ સંતાડ્યા, પ્રિયે !
સાડીનો છેડો પણ હવે પાલવ થતો નથી.

– ડેનિશ જરીવાલા

*

IMG_4716

આ ઝાડવે ને પાંદડે જૂનું થયું હવે,
કંડારવું છે નામ તારા કાળજે મને.

હું કાફિયા તારી ગઝલનો સાવ અટપટો,
મત્લાથી લઈ મક્તા સુધી નિભાવજે મને.

– કવિતા મૌર્ય

*

IMG_4696

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જીવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

-સુનીલ શાહ

*

IMG_4726

હોવાપણાંમાં કોઈ ઉણપ હોવી જોઈએ,
પ્રતિબિંબ જોતાં લાગે, અરીસો ચિરાય છે.

આવે નહીં અવાજ ને આંસુ ઢળી પડે,
જ્યારે કોઈ હૃદયનો ભરોસો ચિરાય છે.

– પ્રમોદ અહિરે

*

IMG_5167

હજી ક્યાં પ્રણયની સમજ આવી છે,
હૃદય છે, અહર્નિશ બળે પણ ખરું.

અમે તો કિનારે જ તરતાં રહ્યાં,
ડૂબ્યાં હોત તો કંઈ મળે પણ ખરું.

– જનક નાયક

*

IMG_4676[1]

એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.

પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.

– વિવેક મનહર ટેલર

Comments (22)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

ગુજરાતી ગઝલમાં લાશનું તરવું

જીવતો માણસ સંજોગો ખરાબ હોય તો નદી-સાગરમાં ડૂબી જાય છે પણ એની લાશ થોડા દિવસ પછી એ જ પાણી પર તરતી મળી આવે છે. પ્રકૃતિની આ કશું પણ ન સંઘરવાની વૃત્તિ ગુજરાતી ગઝલકારોની નજરે અવારનવાર ચડતી રહી છે. આજે થોડા શેર આ વિષય પર…

બરકત વિરાણી ‘બેફામ’ને લાશના તરવાની આ ઘટના ક્યાંક ખૂબ ઊંડે સ્પર્શી ગઈ લાગે છે. એમની ગઝલોમાં આ વાત અલગ-અલગ સ્વરૂપે અવારનવાર જોવા મળે છે.

હું ડૂબી જઈશ તો પહોંચાડશે એ લાશને કાંઠે
રહેલો છે કોઈ એવોય તારણહાર મારામાં.

જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ બેફામ સાચો પડ્યો,
જાત મારી ભલેને તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી.

ખૂબી તો એ કે ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

નહિંતર આવી રીતે તો તરે નહીં લાશ દરિયામાં,
મને લાગે છે કે એણે કિનારે તમને જોયાં છે.

– બરકત વિરાણી ‘બેફામ’

જરા મોડું થયું પણ આખરે એની દયા ઊતરી,
અમસ્તી લાશ કંઈ દરિયા ઉપર તરતી નથી હોતી.
-મરીઝ

સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે
– સૈફ પાલનપુરી

ગરકાવ થઇ શકી નહીં ગઝલોના સાગરે
ઊર્મિની લાશ એમાં ડુબાડી શકી નથી
– હીના મોદી

બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા,
ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ,
કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ?
જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ !!
– જલન માતરી

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઈએ,
નહિંતર કાં એની લાશને તરવાનું મન થયું?!
-અમર પાલનપુરી

ઘણાં રોજ ડુબી મરે છે છતાં કયાંય પત્તો નથી,
હંમેશાં અહીં લાશ અંતે તરે એ જરૂરી નથી.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લાશ કહે છે તરતાં તરતાં,
હાશ હવે ફાવ્યું પાણીમાં.
-મકરંદ મુસળે

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
– વિવેક મનહર ટેલર

શબ પણ તરી શકે છે નદીની ઉપર તો દોસ્ત !
સામા પ્રવાહે તરવું એ છે જિંદગી ખરી.
– વિવેક મનહર ટેલર

Comments (23)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૨)

ગયા અઠવાડિયે પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ સંગ્રહના વિમોચન નિમિત્તે મેં આપેલ ટિપ્પણીનો અડધો ભાગ આપણે અહીં જોયો. હવેએ પ્રવચનનો બાકીનો ભાગ માણીએ:

*

Gaurav

*

એવું કહીએ કે કવિ માત્ર પ્રેમની જ વાતો કરે છે તો એ પણ સાચું નથી. કવિ કેટલાક ચિંતનાત્મક શેરો પણ લઈ આવે છે:

આદત સફરની એવી પડી’તી કે શું કહું ?
રસ્તો પૂરો થયો છતાં હું ચાલતો રહ્યો.

ફૂલ સાથે રહી કંઈ ફરક ના પડ્યો,
કંટકો સાવ એવા ને એવા રહ્યા.

પાણીને બદલે ઝાંઝવામાં ફેરવું છું નાવ,
ડૂબી જવાની એટલે ચિંતા નથી હવે.

તેં પરિચય કરાવ્યો ભીતરનો મને,
તારો હે રિક્તતા ! ખૂબ આભાર છે.

ચિંતનાત્મક શેર ક્યારેક ઉપરથી ખૂબ સાદા દેખાતા હોય છે પણ એમની આ છેતરામણી સાદગીની પાછળનું સાચું સૌંદર્ય ચૂકી જવાય તો સરવાળે ભાવકને જ નુક્શાન થાય છે. એક ઉદાહરણ જોઈએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

– આ શેર ઉપરથી કેટલો સરળ લાગે છે! પણ સહેજ વિચારતાં માલુમ પડે છે કે કવિએ એક નાની બહેરના શેરની બે જ પંક્તિમાં કેટલી મોટી વાત કરી દીધી છે ! છીપ ધીમેથી ઊઘડે અને અંદરથી મોતી જડે એવો છે આ શેર. ફરી સાંભળીએ:

હે પ્રભુ, આ તો યંત્ર છે કોઈ,
તેં બનાવેલો માનવી ક્યાં છે ?

એવો જ એક અદભુત શેર આ સંગ્રહમાંથી મળી આવે છે. ગુજરાતી સાહિત્યના ચિરસ્મરણીય શેરોની યાદીમાં આસાનીથી સમાવિષ્ટ થઈ શકે એવો. જુઓ:

ક્યારનો મંજિલ ઉપર પહોંચી ગયો હોત,
હર કદમ પર મુજને આ રસ્તા નડે છે.

કવિ શબ્દો વડે મજાનું ચિત્ર પણ ખડું કરી શકે છે. સૌંદર્ય અને પ્રકૃતિને પણ કવિ એટલા જ વહાલથી અડે છે:

સ્પર્શવી છે સુગંધને ‘ગૌરવ’,
પણ પવન જેવી આંગળી ક્યાં છે ?

આ કવિ શબ્દ અને મૌનની વચ્ચેના એકાંતને પણ અડકી શકે છે. એ મૌનની તાકાત પણ જાણે છે અને શબ્દોના વિસ્ફોટથી પણ પરિચિત છે. જુઓ:

શબ્દ ફાટે છે ક્યારેક એવી રીતે,
મૌનમાં પણ તિરાડો પડી જાય છે.

હોઠના ઘરમાં પ્રવેશી ચુપકીદી,
ને બિચારો શબ્દ બેઘર થઈ ગયો.

– આ થઈ ગૌરવની ગઝલો વિશે થોડી વાત. એની ગઝલોમાં કેટલું સત્વ છે એ જોયું. હવે એની ગઝલો ક્યાં નબળી પડે છે એ પણ જોઈ લઈએ. ગૌરવના સંગ્રહમાંથી પસાર થતી વખતે બે વસ્તુ મને સતત ખટકી. એક તો છંદના નાવીન્યનો અભાવ અને બીજું કાફિયાની સજ્જતાની કમી. ગઝલની હવે પછીની ગઝલો પાસેથી છંદબાહુલ્ય અને ચુસ્ત કાફિયાની અપેક્ષા રાખી શકાય…

સરવાળે ગૌરવની ગઝલો  ઊર્મિપ્રધાન છે અને ઉજળું ભવિષ્ય ધરાવે છે… આંખની કમી એની ગઝલોને ક્યાંય નડી નથી, ઊલટી એની સંવેદનાને એના કારણે વધુ ધાર મળી હોય એમ જણાય છે.

ગૌરવને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

(‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ., સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯)

કિરણસિંહ ચૌહાણના સાંનિધ્ય પ્રકાશનની આકર્ષક યોજના અને આ કાર્યક્રમનો ટૂંકસાર આપ અહીં માણી શકો છો.

Comments (8)

વહાલ વાવવાની વાત (ભાગ:૨) – ગૌરાંગ ઠાકર

નવમી મેના રોજ ગૌરાંગ ઠાકરના બીજા ગઝલસંગ્રહ- વહાલ વાવી જોઈએ-ના e-વિમોચન (e-મોચન)માં આપણે જોડાયા. આજે એ સંગ્રહના ઉત્તરાર્ધના કેટલાક શાનદાર-જાનદાર શેર મમળાવીએ:

પવન તો બાગથી ખુશબૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.

એ બધું છોડીને બેઠો છે અહીં.
એટલે તો સર્વગ્રાહી થાય છે.

મારું સઘળું એ ધ્યાન લઈ બેઠા,
જાણે ઈશ્વરનું સ્થાન લઈ બેઠા !

માત્ર સરનામું એમણે દીધું,
ને અમે ત્યાં મકાન લઈ બેઠા.

ધોવાણ કે પુરાણ બંને ગતિથી થાય,
કાંઠે ઊભા રહો પછી સમજાઈ જાય છે.

પ્રેમની પળનો વિલય હોતો નથી,
ફક્ત આપણને સમય હોતો નથી.

હવે આ સદનની સજાવટ બહુ થઈ,
જે ભીતરમાં ખૂલે તે બારી બનાવું.

વરસ્યા વિનાનાં વાદળો જોઈને થયું એમ,
ડૂમાથી અહીં ઓગળી આંસુ ન થવાયું.

કમ સે કમ એવું તો ના બોલો હવે,
મારી સાથે બોલવા જેવું નથી.

તારા સુધી જવા મને પરવાનગી હતી,
કારણ કે મારી યોગ્યતા દીવાનગી હતી.

જળથી વરાળ થઈ પછી વાદળ બનાય છે
મારામાં શું થયા પછી માણસ બનાય છે ?

મનની તરસ વિશે તમે એને પૂછો નહીં,
દરરોજ હોડી લઈને એ મૃગકળમાં જાય છે.

પર્વતની છાતી જોઈને ઝરણાંને મેં કહ્યું,
તારા ગયાનાં સળ, તને ક્યાંથી ખબર પડે ?

એક તો આજે પવનમાં છત ગઈ,
ને ઉપરથી ઝીણું દળવાનું થયું.

દર્પણમાં રોજ જોઉં તો કૈં પણ થતું નથી,
તમને મળીને કેટલો બદલાઈ જાઉં છું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

હું કશું પણ મેળવીને શું કરું ?
હોય છે આનંદ બસ, તલસાટમાં.

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહીં તો સૂર્ય રાજીનામું આપે.

Comments (19)

પળનું પરબીડિયું… – ગૌરવ ગટોરવાળા (ભાગ -૧)

કાનજીભાઈ દેસાઈ સમાજ શિક્ષણ ભવન હૉલ, સુરત ખાતે આજે સવારે શ્રી કિરણસિંહ ચૌહાણના ‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ પ્રજ્ઞાચક્ષુ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલ સંગ્રહના વિમોચન સાથે થયા હતા. આ પ્રસંગે કિરણસિંહ ચૌહાણે પોતાની સંસ્થાની કેફિયત આપી હતી. રઈશ મનીઆરે કવિપ્રતિભાનો પરિચય અને બે ગઝલોનું પઠન કર્યું હતું અને ગૌરવે પોતાની જીવનયાત્રા અને ગઝલયાત્રાને મંત્રમુગ્ધ કરી દેતી શૈલીમાં વ્યક્ત કરી હતી.  આ પ્રસંગે મેં સંગ્રહની સમીક્ષા કરી હતી જે અક્ષરશઃ નીચે સમાવિષ્ટ છે:

P5166019_thumb
(ગૌરવ ગટોરવાળાની કથા અને વ્યથા એમના જ મુખે)

*

પળનું પરબીડિયું – સમીક્ષા: વિવેક ટેલર

P5166004
(સંગ્રહની મીમાંસા….                                  …વિવેક મનહર ટેલર)

ગઝલના ગામમાં મારી પોતાની કોઈ ઓળખ છે કે નહીં હજી તો એય હું જાણતો નથી અને ગૌરવના ગઝલસંગ્રહ વિશે ટિપ્પણી આપવા જેવું કામ માથે આવી પડ્યું. પણ મિત્ર કિરણસિંહના અનુરોધની અવગણના પણ શી રીતે કરી શકું? ગૌરવને આ પૂર્વે એક જ વાર એક કવિસંમેલનમાં સાંભળવાનું થયું છે પણ રૂબરૂ મુલાકાત કદી થઈ નથી એટલે આ કવિને હું પહેલવહેલીવાર એની ગઝલોની ગલીઓમાં મળી રહ્યો છું એમ કહું તો અતિશયોક્તિ નથી.

સંગ્રહની ચોપ્પન ગઝલોમાંથી આ ટિપ્પણીના બહાને અવારનવાર પસાર થવાનું થયું અને સાચું કહું તો મજા આવી. આ કવિ માત્ર સ્પર્શ અને શ્રુતિના સહારે આ વિશ્વને જુએ છે. એ અવાજને અડી શકે છે અને રંગોને જોઈ શકે છે એની પ્રતીતિ આ સંગ્રહના પાનેપાને થતી રહે છે. એની આંખોની સામે અંધારું છે પણ એના દિલમાં ઊર્મિઓનું અજવાળું છે. એના પગ નીચેનો રસ્તો રણમાં દિશાહીન થઈ જનારા મુસાફર જેવો વિકટ છે પણ એની પાસે સંવેદનાના ઊંટ છે જે એને કવિતાના રણદ્વીપ સુધી ખેંચી લાવ્યા છે. સરવાળે આ સંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે કવિ આપણને ગઝલિયતના સમ્યક્ દર્શન કરાવવામાં સફળ રહે છે.

ગૌરવની ગઝલોનો આ પહેલો આલેખ છે. બાળક જ્યારે પ્રથમવાર ચાલવાની કોશિશ કરે ત્યારે એ પડે-આથડે જરૂર છે, ગૌરવની ગઝલોમાં પણ બાળકના પહેલા પગલા જેવી અસ્થિરતા કવચિત્ નજરે ચડે છે પણ જે મુખ્ય વસ્તુ એની ગઝલોમાં નજરે ચડે છે એ છે એની સૌંદર્ય-દૃષ્ટિ. એની ગઝલોમાં પરંપરાના પ્રતીકો છે પણ એ પ્રતીકોને નવો જ ઓપ આપતા કલ્પનોની તાજગી છે. એની ગઝલોમાં હવે પછીના પગલાંમાં આવનારી મક્કમતા નજરે ચડે છે.

આ કવિ પોતાની હદોથી વાકેફ છે. એટલે જ કહે છે:

હદને વટાવવાનો તો પ્રશ્ન જ થતો નથી,
મારી હદોનું થાય જુઓ વિસ્તરણ સતત.

કવિ પ્રજ્ઞાચક્ષુથી કામ લે છે. પ્ર એટલે વિશેષ અને જ્ઞા એટલે જાણવું. પ્રજ્ઞાચક્ષુ એટલે બુદ્ધિરૂપી કે જ્ઞાનરૂપી નેત્રથી જોનાર. આ માણસ કેવો પ્રજ્ઞાચક્ષુ છે એ એના આ શેરો પરથી જાણી શકાય છે :

ફૂલની સૌરભને ‘ગૌરવ’ સ્પર્શવા,
આંગળીના ટેરવાંનું કામ શું ?

જુઓ, ગઝલના શેરોમાં એની દૃષ્ટિ કેવી ખુલી છે!:

ખંજન ભરેલા ગાલના આ કેનવાસ પર,
આંસુનું ચિત્ર દોરતા પહેલાં વિચાર કર.

આંખો અને સ્વપ્નોને લગતા કેટલાક શેર માણીએ:

સ્વપ્ન થઈને આવ યા આંસુ થઈને આવ તું,
કોઈપણ રીતે ભરી જા મારી આંખો ખાલીખમ.

ઊંઘ વચ્ચે જ તૂટી ગઈ એટલે,
સ્વપ્ન મારા ફરીથી અધૂરા રહ્યા.

તારી પાંપણનો નરમ તકિયો કરી,
તારી આંખોમાં જ ઊંઘી લેવું છે.

કેટલાયે તૂટી ગયા શમણાં
તોય આંખો હજી ક્યાં ખૂલી છે ?

– આ કવિ જેમ આંખના શેર વધુ કહે છે એમ જ આંસુ પણ એની ગઝલોમાં અવારનવાર નજરે ચડે છે:

ધોઈ લઉં છું રોજ આંસુથી ખૂણાઓ આંખના,
તે છતાં અવશેષ ખંડિત સ્વપ્નનાં રહી જાય છે.

આંખને પણ થાક લાગ્યો પણ અલગ રીતે જરા,
તેથી પરસેવાને બદલે આંસુના ટીપા પડ્યા.

ખરખરો કરવાને આવ્યા આંસુઓ,
કોઈ ઇચ્છા પામી લાગે છે મરણ.

ક્યાંક નવસર્જન થયું આંસુ થકી,
ક્યાંક સર્જાયેલું ભૂંસાઈ ગયું.

આંસુ અટક્યું છે નયનના ઉંબરે કેમ?
એને નક્કી કોઈ મર્યાદા નડે છે.

ગૌરવ નવયુવાન કવિ છે, અપરિણિત છે અને ગઝલ જેવા પ્રણયોર્મિના સાગરને અડે છે એટલે સાહજિક પ્રણયોદ્ગાર પણ એમની ગઝલોમાં આવવાનો જ. પ્રેમની નજાકતના કેટલાક અશ્આર જોઈએ:

જ્યારથી મોતી જડાયું છે તમારા નામનું,
ત્યારથી આ જિંદગીનો હાર ઝગમગ થાય છે.

મેં મને મારામાં શોધ્યો બહુ વખત,
પણ પછી જાણ્યું હું તારામાં હતો.

મહેકી ઊઠ્યું છે આજ બગીચાનું રોમ-રોમ,
લાગે છે કોઈ ફૂલને ચૂમી ગયો પવન.

તેં ટકોરા કર્યા તો જાણ્યું કે
દિલને પણ હોય બારણાં જેવું.

અને પ્રણયરસથી તરબતર આ શેર જુઓ, એનું કલ્પન જુઓ, એની તાજગી અને કવિની મસ્તી જુઓ:

તારી અદામાં ઊઠતા વમળોને જોઈને,
ક્યારેક થાય છે કે તને હું નદી કહું.

એક બીજો પ્રણયરસનો શેર:

જાણ પણ ના થઈ મને કે કોઈ પર,
આટલો અધિકાર મારો થઈ ગયો.

રેતીઓ થઈ ગઈ કમળ ને થઈ ગયું મૃગજળ તળાવ,
દિલના ઉજ્જડ રણમાં જ્યારે આપના પગલા પડ્યા.

અને દોસ્તો, જ્યાં પ્રણય આવે ત્યાં પ્રણયભંગ પણ આવે. મિલન આવે ત્યાં જુદાઈ પણ આવે. વસ્લની પાછળ પાછળ સ્મરણ પણ આવે જ. અને પ્રણયપ્રચૂર શેર કરતાં પ્રણયભગ્ન હૈયાને ચીસો હંમેશા વધુ આસ્વાદ્ય જ હોવાની. કેટલાક શેર જોઈએ:

તારા પર મારો ભલે કંઈ હક્ક નથી,
પણ હજી પણ મારું છે તારું સ્મરણ.

પ્રતીક્ષા ઉપર ગાલિબની કક્ષાનો કહી શકાય એવો આ શેર જુઓ:

જિંદગી પૂરી થવા આવી હવે,
ક્યાં છે તારી યાદનો છેડો ? બતાવ.

કોઈ પર્વત જેવું ભારેખમ નથી તારું સ્મરણ,
તોય ભારણ દિલ ઉપર વર્તાય છે એકાંતમાં.

(બાકીની સમીક્ષા આવતા શનિવારે…..)

***

P5166014_thumb
(કવિપ્રતિભાનો પરિચય…                           …રઈશ મનીઆર)

*

P5165980
(‘સાંનિધ્ય પ્રકાશન’ના શ્રીગણેશ…                 …કિરણસિંહ ચૌહાણ)

*

P5166011
(પળનું પરબીડિયું…..                                 ….વિમોચન વિધિની પળો)

Comments (25)

વહાલ વાવવાની વાત (ભાગ:૧) – ગૌરાંગ ઠાકર

કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.

Gaurang Thaker

(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )

*

આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.

આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:

બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.

અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?

દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.

લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.

સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.

તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.

તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.

કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.

આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.

જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.

દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?

વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.

શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.

દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !

આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.

સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.

રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?

જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.

ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.

vahal vaavi joiye

(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)

Comments (38)

सरहद की दोनों ओर चहकता चमन रहे (भाग – २)

ટાઇમ્સ ઑફ ઇન્ડિયા‘  અને ‘જંગ’ અખબારના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ‘અમન કી આશા’નું જતન થઈ રહ્યું છે.. આ નિમિત્તે યોજવા વિચારેલ ફિલબદી મુશાયરામાં ઘણા ભારતીય કવિઓએ પોતાની રચનાઓ મોકલાવી. ગયા શનિવારે આપે આ ઉપક્રમે ભાગ – ૧ માણ્યો. આજે બીજો અને અંતિમ ભાગ…

કેટલીક રચનાઓ સરસ હોવા છતાં કવિતાના નિયમોને અનુસરતી ન હોવાના કારણે અહીં સમાવી શકાઈ નથી. આજે બારડોલી અને સુરતના કવિઓની કૃતિઓ માણીએ:

કવિ મુકુલ ચોક્સીને ગોળી-દારૂખાનાના રૂઢ થઈ ગયેલા ચલણના સ્થાને દિલોના-પ્રેમના અરૂઢ ચલન અપેક્ષિત છે:

बारूद गोलियों का न नामोनिशां रहे,
ऐसा करो की सिर्फ दिलो का चलन रहे  |

लाशें वहाँ गिरे तो यहाँ आँसू गिर पड़े,
हो जख्म इस तरफ तो वहाँ पर रुदन रहे |

બારડોલીના સંધ્યા ભટ્ટ કાંટા વિનાના ચમન અને ટુકડા વિનાના ભુવનના હિમાયતી છે:

કંટકને ચાલો આપણે ઉખાડી ફેંકીએ,
ધરતી ઉપર ફૂલોથી ચહેકતું ચમન રહે.

ટુકડાથી અહીં ચાલશે ન આપણું કશું,
બસ, આપણું તો આખું ને આખું ભુવન રહે.

ગૌરાંગ ઠાકર પ્રેમથી આગળ વધીને ઈંસાનિયત સુધી પહોં ચે છે:

उस पार तुझ में मैं रहुं, ईस पार मुझ में तुं
कुछ युं करे, हमारा मुहब्बत में मन रहे

मझहब की बात छोड के ईन्सानीयत लिखेँ
कोशिश हमारी है यहाँ शेरो-सुखन रहे

-સુરતના અગ્રસર કવિ કિરણકુમાર ચૌહાણ પણ બે દેશો વચ્ચેના સતત તણાવથી વ્યથિત છે અને ફૂલની જેમ કાંટાઓની વચ્ચે પણ મહેંકવા ઇચ્છે છે:

कब तक डरे यूँ और दिलो में घुटन रहे,
कब तक यूँ रोता और बिलखता ये मन रहे ?

आतंक से भी पेश चलो आयें इस तरह,
काँटों के बीच जैसे महकता सुमन रहे |

– સુરતના કવયિત્રી દિવ્યા મોદી સાંપ્રત ધારામાં વહી રહ્યા હોવાની પ્રતીતિ ‘ટશન’ જેવા કાફિયાપ્રયોગ વડે કરાવે છે.  એમની ગઝલમાં જે બદલાવની વાત છે એ તાજગીકર છે:

बदली  हुई  हवाए  हैं , बदली है हर  दिशा,
बदली हुई फिज़ाओमें  बदला पवन रहे.

संसार को  दिखा  दें  के  हम एक हैं सभी,
अपना ये भाईचारा ही अपना टशन रहे.

રઈશ મનીઆર સરહદની વાસ્તવિક્તા અને અનિવાર્યતા સ્વીકારી લઈને વધુ તાર્કિક વાત કરે છે:

કેવી રીતે આ વાડના વશમાં પવન રહે ?
વાદળ તો વરસે એમ ઉભયનું જતન રહે;
સરહદની આ લકીર જરૂરી ભલે ને હોય,
સરહદની બંને બાજુ મહેકતું ચમન રહે !

– અંતે ઉર્દૂ અને ગુજરાતી- મિશ્ર ભાષામાં લખેલી મારી એક બિનસરહદી ગઝલના બે શેર:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

Comments (10)

ભીડથી ભીતર સુધી (ભાગ:૨) – મહેશ દાવડકર

મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !

ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.

ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?

ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !

દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.

તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.

સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.

જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

Comments (17)

ભીડથી ભીતર સુધી (ભાગ:૧) – મહેશ દાવડકર

સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક  શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…

Mahesh Dawadkar _Bheed thi bhitar sudhi
(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)

મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…

એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !

વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.

હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.

ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?

ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.

ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.

જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.

એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.

તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.

તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.

આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.

કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.

નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.

સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.

પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.

લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.

-મહેશ દાવડકર

સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…

…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…

Comments (25)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૨)

‘લયસ્તરો’ના માધ્યમ દ્વારા ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… ‘ના વૈશ્વિક લોકાર્પણને મિત્રોએ અનન્ય અભૂતપૂર્વ સ્નેહથી વધાવી લીધું એ ગુજરાતી સાહિત્ય માટે આનંદની અને ગૌરવની વાત છે. કોઈપણ કળાકારને આપવામાં આવેલી મોટામાં મોટી શ્રદ્ધાંજલિ એ એની કળાનું સાચું મૂલ્યાંકન જ હોઈ શકે. મનહરલાલ ચોક્સીની ત્રીજી પુણ્યતિથિએ પ્રકાશિત એમના પ્રતિનિધિ ગઝલ સંગ્રહમાંથી ચુનેલી ચુનંદી સ્વર્ણકણિકાઓની બીજી અને અંતિમ કડી આપ સૌ માટે….

વિચારો બધા સાવ સામાન્ય છે,
વસંતો ગમે, પાનખર ના ગમે.

જોઈને મારી ગઝલ ‘મનહર’ કહેશે એ મને,
એક છાનું દર્દ પણ તારાથી સચવાયું નહીં ?

સવાલ લાખ ઊઠે જો જવાબ આપું તો,
તમે ય વાત ન માનો, જવાબ શું આપું ?

બધા પ્રશ્ન હલ થૈ જશે ક્ષણ મહીં,
બની જા ફરી અજનબી, વાત કર.

સૌ સમસ્યાઓ ઉકેલાઈ જશે !
ફિલસૂફોને લાગશે ચર્ચાનો થાક !

શ્વાસમાં પણ બોજ છે અસ્તિત્વનો;
તીવ્ર છે, ‘મનહર’ અહીં હોવાનો થાક.

દુનિયાની આંખમાં તો હું ઉપયોગી વૃક્ષ છું;
ઊડી શકું હું એટલો આઝાદ પણ નથી.

બે હાથ ભેગા થાય નહીં આપોઆપ આ,
આંખોની સામે જોઈએ આકાર કોઈ પણ.

એ વાત છે અલગ કે તમે ચાહતા નથી,
તૂટી શકે છે આમ તો કોઈ દીવાર પણ.

માનવ બધાય એક છે એની નજર મહીં,
તસ્બીએ કંઈ દીવાલ ચણી, કંઈ જનોઈએ !

લાગણીની વાત પૂરી ના થઈ,
એટલે મેં સ્હેજ વિસ્તારી ગઝલ.

આંખ મીંચો તમે તે છતાં
આંખ સામે સનમ આવશે.

મારે તો તારા શબ્દ લઈ જીવવું પડ્યું,
હારી ગયો, તો તારા વિજયની ગઝલ લખી.

તારો અવાજ એક વખત સાંભળ્યો હતો,
માનું છું તારા શબ્દમાં ટહુકાનું ઘર હશે.

હુંય રક્ષા કરીશ જીવનભર,
શબ્દની આ ધજા મને આપો.

ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

એક પ્રેમીથી હૃદયની વેદના,
વાદળીના દેહ પર અંકાઈ ગઈ;
પત્ર વાંચીને ગગન રોઈ પડ્યું
ને ધરાની ચુંદડી ભીંજાઈ ગઈ.

એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.

-મનહરલાલ ચોક્સી

Comments (5)

ક્યાં ક્યાંથી મળી છે ગઝલો… – મનહરલાલ ચોક્સી (કડી-૧)

ગુજરાતી ગઝલના મક્કા સુરત શહેરના શાયરોના માથે કોનું ઋણ સૌથી વિશેષ હશે એવો પ્રશ્ન પૂછીએ તો મનહરલાલ ચોક્સીનું નામ નિર્વિવાદપણે મોખરે આવે. નવાસવા ઢગલોક શાયરોને ગઝલની ગલીઓમાં આંગળી પકડીને જેટલા એમણે ફેરવ્યા છે, ક્યારેક તો ખભે બેસાડીને પણ, એટલા કોઈ ઉસ્તાદે નહીં ફેરવ્યા હોય. ગઝલના શેરની વાત હોય કે છંદની, ઉસ્તાદની નિઃશુલ્ક સેવા સ્મિતસભર હાજર જ હોય. સાવ અકિંચન અને અલગારી મનહરકાકા આજીવન અજાતશત્રુ રહ્યા અને શબ્દની મૂંગી સાધના કોઈ પણ દેખાડો કર્યા વિના કરતા રહ્યા. એમની પ્રતિનિધિ રચનાઓનો એક સંચય આજે મરણોત્તર પ્રગટ થઈ રહ્યો છે. “સાહિત્ય-સંગમ”, સુરત ખાતે આજે ૦૪-૦૫-૨૦૦૮ના રોજ સવારે સાડા દસ વાગ્યે ‘ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…’ પુસ્તકનો લોકાર્પણ વિધિ શરૂ થશે ત્યારે લયસ્તરોના વિશ્વભરના વાચકો એ જ સમયે આ સમારંભમાં જોડાઈ શકે એવી અમારી લાગણીને માન આપીને કવિપુત્ર ડૉ. મુકુલ ચોક્સીએ પ્રગટ પુસ્તકની એમની પાસે આવેલી પહેલી અને એકમાત્ર નકલ ‘લયસ્તરો’ને મોકલાવી આપી એ બદલ એમનો આભાર…

(મનહરલાલ ચોક્સીનો ટૂંકો પરિચય એક સુંદર ગઝલ સાથે આપ અહીં જોઈ શકો છો. એમની એક સુરતી ગઝલ પણ આપ અહીં માણી શકો છો.)

Manharlal Choksi - Ghazalo
“ક્યાં ક્યાંથી મળી છે ગઝલો…” મનહરલાલ ચોક્સીનો પ્રતિનિધિ ગઝલ સંગ્રહ
પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-૧
ટેલિ. : (૦૨૬૧) ૨૫૯૭૮૮૨ / ૨૫૯૨૫૬૩, કિંમત: રૂ. ૮૫/=

માટે જ એને માટે મને પક્ષપાત છે,
ગઝલો તો પૂર્વજન્મના પુણ્યોનું વ્યાજ છે.

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.

આકર્ષણોનું એની ઉપર આવરણ હતું,
જેને ગણ્યું જીવન એ ખરેખર મરણ હતું.

સાથ કાયમનો કદી હોતો નથી,
જાતની સાથેય અંતર રાખીએ.

આપના શાપનું સ્મરણ આવ્યું;
ને પછી પાપનું સ્મરણ આવ્યું.

સૂરજને જે પ્રકાશ તણું દાન દૈ શકે;
એવી તમારી પાંપણોમાં રોશની હતી.

સમજી શકાય એટલી આજે સરળ નથી;
કાલે તમારી વાતમાં વહેતી નદી હતી.

આટલે વર્ષે હવે ઈકરાર ના કરશો તમે,
જામ શું કે ઝેર શું, સઘળું સમય પર જોઈએ.

દર્શનની ધન્યતાનો અનુભવ નહીં કહું;
ઈશ્વરની શોધમાં જ હું મારા સુધી ગયો.

કોઈના ઉચ્ચારના આકાશમાં
એક મારા નામની જગ્યા નથી.

હોઠ પર બીજા શબ્દો, આંખમાં જુદા શબ્દો,
આપની ઉપેક્ષા પણ આવકાર લાગે છે.

તમે પૂછી રહ્યા છો વાત આજે ખાસ રોકીને,
હૃદય થંભી ગયું છે માર્ગ વચ્ચે શ્વાસ રોકીને.

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?

‘મનહર’, હું સ્વપ્નમાંય નથી કોઈને નડ્યો,
તો પણ મળ્યા છે ઘાવ, મુકદ્દરની વાત છે.

આજના સર્વ સુખને માણી લે,
કાલના સૌ પ્રહાર ભૂલી જા.

વમળમાં ડૂબવાની મારી હિંમત,
જુએ છે આ કિનારો મુગ્ધ થઈને.

એ ગલી તારી હતી ?
પગ સદાયે ત્યાં વળે.

ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.

ફેલાઈને ગગનની સીમાઓ વધી ગઈ;
પડઘા તમારી યાદના જો વિસ્તરી ગયા.

વૃક્ષોનાં નામ યાદ હું રાખી નથી શક્યો;
વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા.

નથી કોઈ આજે દશા પૂછનારું, નજર અશ્રુઓથી સભર થઈ ગઈ છે;
તમન્ના ચણાઈ ગઈ છે ખરેખર, ભીતર આરઝૂની કબર થઈ ગઈ છે.

હસીને ખબર પણ પૂછી ના શક્યા,
ઘણા દોસ્ત મોટા વતનમાં મળ્યા.

– મનહરલાલ ચોક્સી

Comments (23)

साये में धूप (कडी : ३)- दुष्यन्त कुमार

હિંદી સાહિત્યના ગઝલસમ્રાટ શ્રી દુષ્યન્ત કુમાર સાથે ‘લયસ્તરો’ના વાચકોનું તાદાત્મ્ય સાધતી આ ત્રીજી અને આખરી કડી છે. ફક્ત બાવન ગઝલોના આંગળીના વેઢે ગણી શકાય એટલા શેરોમાં એમણે જે કામ કર્યું છે એ કામ દીવાનના દીવાન ભરી નાંખનાર શાયરો પણ કદાચ નથી કરી શક્યા. દિલની પીડાથી વધુ એમણે ગરીબ-મજબૂર માણસના દર્દને પ્રાધાન્ય આપ્યું છે. એમની ગઝલો વાંચો અને આપણા જ દિલના કોઈક ખૂણામાં રહેલ સામાજિક અવ્યવસ્થા, અસહિષ્ણુતા અને અસમાનતા પરત્વેના વિરોધને વાચા મળતી જણાય છે. પોતાને શું કહેવું છે એ વાતથી આ શાયર બખૂબી વાકેફ છે. એ સાફ જણાવે છે કે, “मैं जिसे ओढ़ता-बिछाता हूँ, वो ग़ज़ल आपको सुनाता हूँ ।” આ ગઝલોમાં ભાષાનો આડંબર નથી, કડવી વાસ્તવિક્તાની દાહક સચ્ચાઈ છે અને એટલે જ આ ગઝલો આપણે વાંચીએ છીએ ત્યારે એ દુષ્યન્ત કુમારની ઓછી અને આપણી પોતાની વધારે લાગે છે… આજ કવિકર્મની સાર્થક્તા છે…!

(વાંચો કડી-૧ અને કડી-૨)

एक आदत सी बन गई है तू,
और आदत कभी नहीं जाती ।

दर्दे दिल वक्त को पैग़ाम भी पहुँचाएगा,
इस क़बूतर को ज़रा प्यार से पालो यारो ।
कैसे आकाश में सूराख नहीं हो सकता,
एक पत्थर तो तबीयत से उछालो यारो ।
(सूराख=छेद)

तुम कहीं पर झील हो, मैं एक नौका हूँ,
इस तरह की कल्पना मन में उभरती है ।

सिर्फ़ शायर देखता है क़हक़हों की असलियत,
हर किसी के पास तो एसी नज़र होगी नहीं ।

चट्टानों पर खडा़ हुआ तो छाप रह गई पाँवों की,
सोचो कितना बोझ उठाकर मैं इन राहों से गुज़रा ।

मैं ठिठक गया था लेकिन तेरे साथ-साथ था मैं,
तू अगर नदी हुई तो मैं तेरी सतह रहा हूँ ।

तेरे सर पे धूप आई तो दरख़्त बन गया मैं,
तेरी ज़िन्दगी में अकसर मैं कोई वजह रहा हूँ ।
(दरख्त=पेड़)

इस अहाते के अँधेरे में धुँआ-सा भर गया,
तुमने जलती लकडियाँ शायद बुझाकर फेंक दी ।
(अहाता=बाडा़)

एक बूढा़ आदमी है मुल्क में या यों कहो-
इस अँधेरी कोठरी में एक रौशनदान है ।

इस कदर पाबंदी-ए-मज़हब कि सदक़े आपके,
जब से आज़ादी मिली है मुल्क में रमज़ान है ।

कल नुमाइश में मिला वो चीथडे़ पहने हुए,
मैंने पूछा नाम तो बोला कि हिन्दुस्तान है ।

कोई निजात के सूरत नहीं रही, न सही,
मगर निजात की कोशिश तो एक मिसाल हुई ।
(निजात=आज़ादी)

समुद्र और उठा, और उठा, और उठा,
किसी के वास्ते ये चाँदनी बबाल हुई ।

फिसले जो इस जगह तो लुढ़कते चले गए,
हमको पता नहीं था कि इतना ढलान है ।

उनकी अपील है कि उन्हें हम मदद करें,
चाकू की पसलियों से गुज़ारिश तो देखिए ।

तू किसी रेल-सी गुज़रती है,
मैं किसी पुल-सा थरथराता हूँ ।

एक बाजू उखड़ गया जब से,
और ज़्यादा वज़न उठाता हूँ ।

मैं तुझे भूलने की कोशिश में,
आज कितने करीब पाता हूँ ।

अब किसी को भी नज़र आती नहीं कोई दरार,
घर की हर दीवार पर चिपके हैं इतने इश्तहार ।

इस सिरे से उस सिरे तक सब शरीके जुर्म हैं,
आदमी या तो ज़मानत पर रिहा है या फ़रार ।
(शरीके जुर्म=अपराध में सामिल)

तुम्हारे पाँवों के नीचे कोई ज़मीन नहीं,
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं ।

-दुष्यन्त कुमार

Comments (14)

साये में धूप (कडी : २) – दुष्यन्त कुमार

હિંદી ગઝલની પરંપરામાં સમકાલીન સમાજનો તારસ્વર સૌપ્રથમ દુષ્યન્ત કુમારની ગઝલોમાં મુખર થતો દેખાય છે. હિંદી ગઝલ પહેલવહેલીવાર સાકી, શરાબ, સનમ, બુલબુલ- અને એ રીતે ઉર્દૂ ગઝલની અર્થચ્છાયાઓ – છોડીને આમ-આદમીના ફાટેલા કપડાં અને ભૂખ્યા પેટ સુધી આવી. સમાજના છેડાના માણસનો આર્તસ્વર એ રીતે એમની ગઝલોમાં ગવાયો છે કે આંખમાં આંસુ આવી જાય. કવિએ પોતે પોતાની ગઝલ વિશે આમ કહ્યું હતું: “जिन्दगी में कभी-कभी ऐसा दौर भी आता है जब तकलीफ गुनगुनाहट के रास्ते बाहर आना चाहती है। उस दौर में गमे जानाँ और गमे दौराँ तक एक हो जाते हैं। मैंने गजल उसी दौर में लिखी है।” ૩૦-૦૯-૧૯૩૩ના રોજ પૃથ્વીના પટ પર પ્રથમ શ્વાસ લેનાર આ શાયર માત્ર બેતાળીસ વર્ષની નાની વયે ૩૦-૧૨-૧૯૭૫ના રોજ કાયમી અલવિદા કહી ગયા પણ એમના શબ્દોમાં કંડારાયેલા આ ‘કોમન-મેન’ની વેદનાના શિલ્પ यावत् चद्रोदिवाकरौ અમર રહેશે…

* * *

अब सबसे पूछता हूँ बताओ तो कौन था,
वो बदनसीब शख़्स जो मेरी जगह जिया ।

मैं भी तो अपनी बात लिखूँ अपने हाथ से,
मेरे सफ़े पे छोड़ दे थोडा़ सा हाशिया ।
(सफ़ा=कागज़)

इस सड़क पर इस क़दर कीचड़ बिछी है,
हर किसी का पाँव घुटनों तक सना है ।

रक्त वर्षों से नसों में खौलता है,
आप कहते है क्षणिक उत्तेजना है ।

दोस्तो ! अब मंच पर सुविधा नहीं है,
आजकल नेपथ्य में सम्भावना है ।

किसी भी क़ौम की तारीख़ के उजाले में,
तुम्हारे दिन हैं किसी रात की नक़ल लोगो ।

हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए ।
(पीर=पीडा)

सिर्फ़ हंगामा खडा करना मेरा मक़सद नहीं,
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए ।

मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए ।

वे सहारे भी नहीं अब, जंग लड़नी है तुझे,
कट चुके जो हाथ, उन हाथों में तलवारें न देख ।

दिल को बहला ले, इजाज़त है, मगर इतना न उड़,
रोज़ सपने देख, लेकिन इस क़दर प्यारे न देख ।

ये धुँधलका है नज़र का, तू महज़ मायूस है,
रोजनों को देख, दीवारों में दीवारें न देख ।
(रोजन=छेद, सुराख)

मरघट में भीड़ है या मज़ारों पे भीड़ है,
अब गुल खिला रहा है तुम्हारा निज़ाम और ।
(मरघट=समशान, मज़ार=कब्र)

घुटनों पे रख के हाथ खडे़ थे नमाज़ में,
आ-जा रहे थे लोग ज़ेहन में तमाम और ।
(ज़ेहन=समज़, दिमाग)

मेले में भटके होते तो कोई घर पहुँचा जाता,
हम घर में भटके हैं, कैसे ठौर-ठिकाने आएँगे ।

ज़िन्दगी एक खेत है,
और साँसें जरीब है ।
(जरीब=जमीन नापने का साधन)

उफ़ नहीं की उजड़ गए,
लोग सचमुच गरीब है ।

जिन आँसुओं का सीधा तआल्लुक़ था पेट से,
उन आँसुओं के साथ तेरा नाम जुड़ गया ।

बहुत क़रीब न आओ यक़ीं नहीं होगा,
ये आरज़ू भी अगर कामयाब हो जाए ।

इस तरह टूटे हुए चेहरे नहीं हैं,
जिस तरह टूटे हुए ये आइने है ।

आपके क़ालेन देखेंगे किसी दिन,
इस समय तो पांव कीचड़ में सने हैं ।

– दुष्यन्त कुमार

Comments (7)

साये में धूप (कडी : १)- दुष्यन्त कुमार

હિંદી કાવ્ય-જગતમાં દુષ્યન્ત કુમાર એક એવું નામ છે જે ઉર્દૂના મહાકવિ ગાલિબની સમકક્ષ નિઃશંક માનભેર બેસી શકે છે. ખૂબ જ ટૂંકી જિંદગીમાં ખૂબ જ ઓછી ગઝલો લખી જનાર દુષ્યન્ત કુમારની ગઝલોએ જે સીમાચિહ્ન હિંદી સાહિત્યાકાશમાં સર્જ્યું છે એ न भूतो, न भविष्यति જેવું છે. એમની ગઝલોમાં જે મિજાજ, સમાજની વિષમતાઓ અને વિસંગતતાઓ સામે જે આક્રોશ અને જે મૌલિક્તા જોવા મળે છે એ એક અલગ જ ચીલો ચાતરે છે. ગઝલને હિંદીપણું બક્ષવામાં એમનો જે સિંહફાળો છે એ કદી અવગણી શકાય એમ નથી. એમના જ શબ્દોમાં જોઈએ તો, “मैं स्वीकार करता हूँ…. …कि उर्दू और हिंदी अपने-अपने सिंहासन से उतरकर जब आम आदमी के पास आती हैं तो उनमें फ़र्क कर पाना बडा़ मुश्किल होता है । मेरी नीयत और कोशिश यह रही है कि इन दोनों भाषाओं को ज्यादा से ज्यादा करीब ला सकूँ । इसलिये ये गज़लें उस भाषा में कही गयी है, जिसे मैं बोलता हूँ ।” માત્ર બાવન જ ગઝલોનો રસથાળ ધરાવતો એમનો એકમાત્ર ગઝલ-સંગ્રહ “साये में धूप” આજે પણ હિંદી ભાષાની સહુથી મૂલ્યવાન અસ્ક્યામત કેમ ગણાય છે એ જાણવા માટે ચાલો, એક લટાર મારીએ એમની ગઝલોની ગલીઓમાં…

कहाँ तो तय था चिरागाँ हरेक घर के लिए,
कहाँ चिराग़ मयस्सर नहीं शहर के लिए ।
(मयस्सर=उपलब्ध)

न हो कमीज़ तो पाँवो से पेट ढँक लेंगे,
ये लोग कितने मुनासिब हैं, इस सफ़र के लिए ।

वे मुतमइन हैं कि पत्थर पिघल नहीं सकता,
मैं बेकरार हूँ आवाज़ में असर के लिए ।
(मुतमइन=संतुष्ट)

अब तो इस तालाब का पानी बदल दो,
ये कँवल के फूल कुम्हलाने लगे हैं ।

ये सारा जिस्म झुककर बोझ से दुहरा हुआ होगा,
मैं सजदे में नहीं था, आप को धोखा हुआ होगा ।
(सजदा = इबादत में झुकना)

यहाँ तक आते-आते सूख जाती हैं कई नदियाँ,
मुझे मालूम है पानी कहाँ ठहरा हुआ होगा ।

एक चिनगारी कहीं से ढूँढ लाओ दोस्तो,
इस दिये में तेल से भीगी हुई बाती तो है ।

दुख नहीं कोई कि अब उपलब्धियों के नाम पर,
और कुछ हो या न हो, आकाश-सी छाती तो है ।

कितना अच्छा  है कि साँसों की हवा लगती है,
आग अब उनसे बुझाई नहीं जाने वाली ।

हमने तमाम उम्र अकेले सफ़र किया,
हम पर किसी खुदा की इनायत नहीं रही ।
(इनायत=मेहरबानी)

हमको पता नहीं था हमें अब पता चला,
इस मुल्क में हमारी हुकूमत नहीं रही ।

ग़ज़ब है सच को सच कहते नहीं वो,
कुरानो-उपनिषद खोले हुए है ।

हमारा क़द सिमट कर घिंट गया है,
हमारे पाँव भी झोले हुए है ।

मौत ने तो धर दबोचा एक चीते की तरह,
ज़िन्दगी ने जब छुआ तब फ़ासला रखकर छुआ ।

खडे़ हुए थे अलावों की आँच लेने को,
सब अपनी अपनी हथेली जलाके बैठ गये ।
(अलावों=आग का ढेर)

लहू-लुहान नज़ारों का जिक्र आया तो,
शरीफ़ लोग उठे दूर जाके बैठ गये ।

वो देखते हैं तो लगता है नींव हिलती है,
मेरे बयान को बंदिश निगल न जाए कहीं ।
(बंदिश=प्रतिबंध)

चले हवा तो किवाडों को बंद कर लेना,
ये गर्म राख शरारों में ढल न जाए कहीं ।

– दुष्यन्त कुमार

Comments (14)

ગઝલે સુરત (કડી-૨)

ગઈકાલે આપણે ‘ગઝલે સુરત’ પુસ્તિકામાં સમાવિષ્ટ કુલ 41 શાયરોના પ્રતિનિધિ કલામ કડી-1 અંતર્ગત જોયા. સુરતની ગઝલ-ગલીઓમાંની આપણી અધૂરી રહી ગયેલી યાત્રા આજે આગળ વધારીએ…

શ્વાસ પર નિર્ભર રહે છે,
ને હવાને રદ કરે છે.
-મનસુખ નારિયા

ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખતો
હારની પીડા ખમી લે તે જ ઊંચે સંચરે…
-દિલીપ ઘાસવાલા

રંકની જલતી રહી જ્યાં ઝૂંપડી,
ત્યાં જ બેઠું એક ટોળું તાપણે.
-‘ગુલ’ અંકલેશ્વરી

માનીએ કોને પરાયા આપણે ?
એક માટીથી ઘડાયા આપણે.
-રમેશ ગાંધી

સુખની ગઝલો લખવા મેં,
ફેલાવી અંતે ચાદર.
-જનક નાયક

બિંબને જોતાં જ હું ચમકી ગયો
યાદને પણ કેટલાં દર્પણ હતાં !
-મહેશ દેસાઈ

આકાશમાં રહીને એ કંકોતરી લખે;
જૂઈને માંડવે એ વધાવાય, શક્ય છે.
-ડૉ. પ્રફુલ્લ દેસાઈ

ઊગે પણ આથમે ન ક્યારેય જે,
એક એવી સવાર શોધું છું.
-પ્રજ્ઞા વશી

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી,
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલાં ક્યાં મળે ?
-યામિની વ્યાસ

હું હલેસું સઢ-પવન-હોડી બનું તો શું થયું ?
તું તરાપો મોકલે ત્યારે અવાતું હોય છે !
-રીના મહેતા

વધુ આગળ વાંચો…

Comments (16)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

મારા હિસ્સાનો સૂરજ-ગૌરાંગ ઠાકર

ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….

કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?

આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.

સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.

હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.

હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.

હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.

હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?

કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?

તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.

અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.

ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.

આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.

કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.

મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.

તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…

Comments (14)

પસંદગીના શેર – હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલના આકાશમાં ઝડપભેર આગળ વધતું નામ છે. એમની ગઝલોની ગલીઓમાં ફરતાં-ફરતાં કેટલાક શેર જે મારા મનને હળવેથી પસવારી ગયા, એ અહીં રજૂ કરું છું. ભાષાની સરળતા અને બાનીની સહજતા આ બધા જ શેરોમાં ઊડીને આંખે વળગે છે. સાદગી જો એમની ગઝલોનું પહેલું ઘરેણું હોય તો અટકીને વાંચતા જે ઊંડાણ અનુભવાય છે એ બીજું છે-

ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.

ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.

એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.

લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.

તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.

છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.

હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.

આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.

એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.

પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …

અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.

હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.

-હરદ્વાર ગોસ્વામી

Comments (6)

પંખીઓ જેવી તરજ – ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની કલમ આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી રહી. નવી પેઢીના શાયરોમાં નોખો ચીલો ચાતરવામાં એ સફળ રહ્યા છે. સાવ સરળ ભાસતા એમના ઘણા બધા શેર જો સ્હેજ અટકીને ફરીથી વાંચીએ તો આશ્ચર્યનો ગોદો વાગે એ રીતે આપણને વિચારતા કરી દે છે. કળી જે મસૃણતાથી ધીમે-ધીમે ખૂલે છે એ જ કળા જાણે કે એમના શબ્દોને હસ્તગત છે. થોડી ધીરજ રાખીએ તો ભરત વિંઝુડાની ગઝલોનું આકાશ આપણને રસતરબોળ કરી દે એ રીતે ધોધમાર વરસે છે. “પંખીઓ જેવી તરજ” ગઝલ સંગ્રહ વાંચતા મનને ગમી ગયેલી પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. (જન્મ: 22-07-1956, અન્ય ગઝલ સંગ્રહ: “સહેજ અજવાળું થયું”)

ભેદ બ્રહ્માંડના તે જાણે છે
સૌ ઉપર આસમાન હાજર છે.

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

તું જગાડીને કરે છે પાપ કાં
ઊંઘ પૂરી થઈ જશે ને જાગશે.

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા

માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે

મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

હું માણી રહ્યો હોઉં મિલનની જ મજા ત્યાં
તે હાથ લઈ હાથમાં તકદીર બતાવે

જે અન્યને કહું તે કહી ના શકું તને
તારી ને મારી વચ્ચે હજી કોઈ છળ નથી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !

પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
વધુ આગળ વાંચો…

Comments (3)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૩

ગયા વર્ષે મિત્રતાને લગતા શેરોની બે શૃંખલા ‘ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે” નામથી (ભાગ-૧, ભાગ-૨) રજૂ કરી હતી. ત્યારે આપણી અને આપણી પાડોશી ભાષાઓમાં પ્રાચીનકાળમાં દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો જેવા સ્વરૂપે કરાયેલા મિત્રતાનું શબ્દાંકન રજૂ કરવાની ઈચ્છા થઈ હતી. આપણા સાહિત્યના ભવ્ય ભૂતકાળને મિત્રતાની પરિભાષામાં આજે રજૂ કરું છું:

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે, તો જ ચમક પરખાય.

નિંદા હમારી જો કરે, મિત્ર હમારા હોય;
સાબુ લેકે ગાંઠકા, મૈલ હમારા ધોય.

સજ્જન વનવેલી ભલી, કરે ઝાડશું પ્રીત,
સૂકે પણ મૂકે નહીં, એ સજ્જનની રીત.

દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
કદરૂપી પણ કહ્યાગરી, નહી રૂપાળી ચિત્ર.

કેળું, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન;
એ સર્વે પાકાં ભલાં, કાચાં ના’વે કામ.

વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;
બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.

હરિ સમરે પાતક ઘટે, મિત્ર હરે નિજ પીર;
અરિ સમરેમેં તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર.

પારધી બન્યો સત્સંગી, ભાલે તિલક નિશાની,
ભગવાં પહેર્યાં, કંઠી બાંધી, એ રાખ સેલી ને વાની.
મુખ મીઠાં, મનમાં કપટ, સ્વાર્થ લગી સગાઈ છે,
કદી જોખમકારી જીવને મૂર્ખની મિત્રાઈ છે.

ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપત્તિકાળ પરખીએ ચારી.

પાગ બદલ, બાંટા બદલ, વચન બદલ બેકુર;
યારી કર ખુવારી કરે, વાકે મુખ પર ધૂળ.

પ્રીત રીત બુઝે ન કછુ, મતલબમેં ભરપૂર,
દોસ્ત કહી દુશ્મન બને, વો મુખ ડારો ધૂળ.

પ્રીતિ અસીલસેં હોત હય, સબસેં નીભે ન પ્રીત;
કમજાતકી દોસ્તી, જ્યું બાલુકી ભીંત.

સજ્જન-મિલાપી બહોત હય, તાલીમિત્ર અનેક,
જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

દોસ્તી ઐસી કીજિયે જૈસે સરકે બાલ,
કટે કટાવે ફિર કટે, જડસે જાય ન ખ્યાલ.

સકર પિલાવે જૂઠકી, ઐસે મિત્ર હજાર;
ઝેર પિલાવે સાચકો, સો વિરલા સંસાર.

કપટી મિત્ર ન કીજિયે, અંતર પેઠ બુધ લેત;
આગે રાહ બતાયકે, પીછે ધોખા દેત.

મન મૈલા તન ઉજલા, બગલા કપટી અંગ;
તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.

પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત;
પ્રીત ત્યાં પડદો કરે, તે દુશ્મનની રીત.

મિત્ર એડા કીજિયે, જેડા જુવારી ખેત;
શિર કાટીને ધડ વઢાં, તોયે ન મેલે હેત.

પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર;
પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર.

શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.

(ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ભાગ -૧, ભાગ-૨)

Comments (6)

ગઝલપૂર્વક (કડી:૨) – અંકિત ત્રિવેદી

મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શબ્દનો નોખો કિનારો બાંધવો એટલું સહેલું નથી. પ્રસિદ્ધિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અંકિત ત્રિવેદી મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શક્યા છે એ એમની સિદ્ધિ. ગયા અઠવાડિયે એમના કેટલાક શેરો માણ્યા પછી આજે એ યાત્રાના બીજા મુકામ પર આવીએ. આપના પ્રતિભાવો અહીં આપીને આપ વિશ્વભરના ગુજરાતીઓ સાથે વહેંચી શકો છો અને ઈચ્છો તો અં.ત્રિ.ને પણ સીધેસીધા મોકલાવી શકો છો: ghazalsamrat@hotmail.com

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?

દ્રશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતે?

આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
વધુ આગળ વાંચો…

Comments (10)

ગઝલપૂર્વક (કડી:૧) – અંકિત ત્રિવેદી

ગુજરાતી ભાષાના કોઈપણ મોટા કવિસંમેલન કે સુગમ-સંગીતનો કાર્યક્રમ આપે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં – દેશમાં કે વિદેશમાં- માણ્યો હશે તો (નંબર વિનાના) ચશ્મા પહેરેલા, ફ્રેન્ચ-કટ દાઢીવાળા એક લબરમૂછિયા, કુંવારા અને ખાસ તો દેખાવડા છોકરાને મંચની મધ્યમાં પલાંઠી વાળીને બંને હાથ ખોળામાં દબાવીને ચીપીચીપીને ભાર વિનાના પણ અણિશુદ્ધ ગુજરાતીના અસ્ખલિત પૂરમાં તણાતો અને તમને સૌને તાણી જતો જરૂર જોયો હશે. કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ગમે તે હોય, પણ આ છોકરો તમારા હૃદયના વ્યાસની મધ્યસ્થે અચૂક પોતાની હાજરીનો મીઠો ખીલો ભોંકી જવાનો, જેને તમે બીજા વરસોવરસ લગી નહીં જ ઉખાડી શકો. જી હા! અંકિત ત્રિવેદીની જ વાત થઈ રહી છે. અં.ત્રિ.એ ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતી કાવ્યમંચની પરિભાષા સમૂળગી અને એવીપ્રબળતાથી બદલી નાંખી છે કે આજે એ ગુજરાતી મંચનો અનિવાર્ય પર્યાય બની ગયા છે. પણ એ માત્ર મંચનો આદમી નથી, એ સુંદર સંપાદનો પણ કરે છે અને સૌથી વિશેષ પોતાની પોતીકી ઓળખ વિશે પણ સજાગ છે. મંચ અને સંપાદનની બહારની દુનિયામાં પણ એક અં.ત્રિ. છે એવું સાબિત કરવા એ લઈને આવે છે એનો એના જેવો જ કાચોકુંવારો ગઝલસંગ્રહ- ‘ગઝલપૂર્વક’. લગ્ન અને જીવનના બહોળા અનુભવ મેળવ્યા પહેલાંની આ ગઝલો છે, એ ખાસ યાદ રહે. જો આ શાયર મુશાયરાના ઝળાંહળાં અજવાસના અંધારામાં અટવાઈ ન જાય તો એની આવતીકાલ ખૂબ લાં…બી હોવાની… (‘ગઝલપૂર્વક’ની રચનાઓ લયસ્તરો પર મૂકવાની પરવાનગી આપવા બદલ અં.ત્રિ.નો આભાર!)

કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું ? સપનામાં છું.

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે ?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.

ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

વધુ આગળ વાંચો…

Comments (26)

ટહુકાનાં વન – ઉર્વીશ વસાવડા

નરસિંહ મહેતાની ભૂમિમાં જન્મેલા તબીબ કવિ ઉર્વીશ વસાવડા ઊર્મિઓના કવિ છે. વ્યવસાયે રેડિયોજિસ્ટ છે પણ કવિતા વાંચો તો એમ લાગે કે આ માણસ શબ્દોની સોનોગ્રાફી વધુ સારી રીતે કરી જાણે છે અને અર્થના સોંસરવા એક્ષ-રે પાડવામાં તો ખાસ પાવરધો  છે. રણ-ઝાકળ-અરીસો-દરિયો-પીડા જેવા ગઝલના ચવાઈ ગયેલા સિક્કાઓને પણ એ કૈંક નવી જ અને એવી તાજગી સાથે પેશ કરી શકે છે કે એનો ચળકાટ દિલની આંખોને આંજી દે છે. સરળ વાક્યરચના અને વાતચીતમાં વપરાતા રદીફો લઈને આવતી એમની ગઝલો આમ-આદમી સાથે ક્ષણાર્ધમાં તાદાત્મ્ય સાધી લે છે. એમના બીજા ગઝલસંગ્રહ ‘ટહુકાનાં વન’માં ફરતા-ફરતા ગમી ગયેલા થોડા ટહુકાઓ સાંભળીએ:

મને ગમતી પ્રત્યેક ક્ષણ ગઝલમાં લઈને આવ્યો છું,
ઘણી વાતો તમારી પણ ગઝલમાં લઈને આવ્યો છું.
નથી મારી ખૂબી એમાં, લખાવે છે કૃપા એની,
સતત એ વાતની સમજણ ગઝલમાં લઈને આવ્યો છું.

ક્ષણોમાં જીવવાનો રંજ ના રહેશે કદી મનમાં
ક્ષણો શાશ્વત બને એવો કસબ મળશે ગઝલ પાસે.

ઘાવ કોના ? પૂછ ના
પૂછ કોનો છે મલમ

જો સ્વીકારી ના શકે તું સત્યને
તો જરૂરી છે કે તું ઈન્કાર કર

લે કલમ, ને લખ ગઝલ કોઈ નવી
એમ તારી ચેતના વિસ્તાર કર !

રાખજો અકબંધ નાતો ડાળ સાથે ને છતાં
વૃક્ષના મૂળમાં જઈને કેન્દ્રબિંદુ શોધજો.

શ્વાસની સાથે વણાઈ છે જીવનની હર પીડા,
શ્વાસની સાથે જ જીવતરની કથા પૂરી થઈ.

યુગ યુગાંતરથી ઊભો છું એમના દ્વારે છતાં
એમને મળવાનું કારણ શોધવા મથતો રહ્યો.

તું ભલે ઉલ્લેખ ટાળે, નામ તો મારું જ છે
તુજ કથાના હર મથાળે નામ તો મારું જ છે.

કાલ આંખોમાં એ ધસમસ પૂર માફક આવશે
આજ સંભવ છે તું ખાળે, નામ તો મારું જ છે

તુજ સ્મરણનો મ્હેલ સળગ્યાને વીત્યાં વરસો છતાં
કેમ ઊડે છે હજી આ રાખ, હું ના કહી શક્યો.

જે ડૂબ્યું રંજ એનો કરી અર્થ શું
જે બચ્યું એ બધું તારવાનું હતું

જનમ કે મરણ પર નથી કોઈ કાબૂ
બધાં માણસોને ઉભય છેતરે છે

એ સતત સીંચાય છે આંસુ વડે
વેદનાનાં વન તો વિસ્તરતાં રહે

ખુશીઓ બધી ઈશ્વરે મોકલી છે અને સર્વ વિપદાઓ આપી છે એણે
ખુશી હો કે આફત, છે એના દીધેલાં પછી શું જરૂરી દિલાસો અમારે

એક વર્તુળના પ્રવાસી આપણે
આજ છે આરંભ ને આ અંત છે

ધર્મ જુદા એટલા ઈશ્વર જુદા
એમ જે સમજે નહીં એ સંત છે

વેદના એ કાંકરીની કેટલી ઊંડી હશે
કોઈ પનિહારી વગરના જ્યાં સૂના પનઘટ હતા

અમારી જિંદગીમાં શબ્દનો છે માત્ર ફાળો એ
સતત એણે કર્યું છે કામ પીડાઓ સરજવાનું

તને હું મોકલું તો મોકલું સંદેશ શી રીતે
નથી કાગળ, નથી વાદળ, ન જાણું હું, શું લખવાનું

ઊગી આવ્યું તરત મનમાં નિહાળી તાજનાં ચિત્રો
જીવન થોડા વરસ માટે, કબર વરસો સુધી રહેશે.

ગઝલ મારી સુણી તું દાદ આપે, પણ હકીકતમાં
બધાં ભીતરના દર્દો છે તને એ કોણ સમજાવે?

લુપ્ત થયો છું ગૌરવ સાથે
બુંદ હતો ને થયો સમંદર

કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે
ભૂંસાતા ઈશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે

એ બધા ટોળાનાં માણસ, આપણે એકાંતનાં
એટલે હો હર જગાએ આપણો ખૂણો અલગ

ગઝલના આ નગરમાં કઈ રીતે આવી ગયો, કહી દઉં
કદી જાણે અજાણે આંગળી પકડી લીધી એની

ખબર ન્હોતી, નીકળશે બાદમાં જન્મોજનમની એ
અમે જે ઓળખાણે, આંગળી પકડી લીધી એની
વધુ આગળ વાંચો…

Comments (6)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૨

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તલાશ કર.

અગાઉ આ શેર મુકુલ ચોક્સીનો છે એમ યાદદાસ્તના સહારે લખાઈ ગયું ત્યારે ધવલે આ ભૂલ તરફ અંગુલિનિર્દેશ કરી કહ્યું કે એ હેમેન શાહનો છે. એ ભૂલ આજે સુધારી લઉં છું અને ધવલે જ જોરપૂર્વક યાદ કરાવેલા હેમેન શાહના શેરથી જ મિત્રતા વિશે ગુજરાતી ગઝલોમાં લખાયેલ સુંદર શેરોની દ્વિતીય શૃંખલાની શરૂઆત કરું છું:

-તો દોસ્ત! હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે, મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

અને મુકુલ ચોક્સીની એક જાનદાર ગઝલના બે શાનદાર શેર પણ સાથે જ આસ્વાદીએ:

જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત,
પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
તાજા કલમમાં એ જ કે તારા ગયા પછી,
બનતો નથી આ શહેરમાં એકે બનાવ દોસ્ત.

શ્યામ સાધુ દિવસની જેમ આથમી જતા મિત્રોની વચ્ચે મૃત્યુ જ સાચું મિત્ર છે એ શોધી લાવે છે:

દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા.

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું !

જલન માતરી સુખ અને દુઃખ-બધું મિત્રોમાં વહેંચી લેવામાં માને છે :

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાંખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

કોની દુઆ ફળી કે સમય મિત્ર થૈ ગયો,
જ્યાં જ્યાં કદમ ધરું છું હું ત્યાં ત્યાં બહાર છે.

‘સૈફ’ પાલનપુરી ગઝલના પરંપરાગત રંગમાં મિત્રોને બિરદાવે છે:

દોસ્તોની મ્હેર કે સંખ્યા વધી ગઈ જખ્મની,
દુશ્મનોનું એ પછી વર્તુલ નાનું થઈ ગયું.

‘નઝીર’ પણ કંઈક આવી જ વાત લઈને આવે છે:

મારી સામે કેમ જુએ છે મિત્રો શંકાશીલ બની
જ્યારથી હસવા લાગ્યો છું બસ ત્યારથી આ મુંઝારો છે.

વફાદારી વિષે મિત્રોની તો હું કહી નથી શક્તો,
મને તો એમ લાગે છે ભરોસાથી સુરક્ષિત છું.

પણ ‘પતીલ’ ગાંધીચીંધ્યા માર્ગે મિત્રોની બુરાઈના બદલામાં પણ માત્ર એમનું ભલું જ ઈચ્છે છે. મિત્રતાનો સાચો અર્થ શું આ જ નથી?

અગર ખંજર જિગરમાં છો તમે આ ભોંકનારા,
દુઆ માંગી રહ્યો છું હું સદા હકમાં તમારા.

સુરેન ઠાકર ‘મેહુલ’ પણ મિત્રોને જખમ બતાવવામાં માનતા નથી. સાથે પસાર કરેલી ક્ષણોને બાળી એ કાજળ કાલવે છે:

મને ઓ દોસ્ત તારી જેમ શબ્દોની નજર લાગે
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.

દોસ્ત, સહિયારી ક્ષણોને રાતભએ બાળી અને
રોજ કાજળ કાલવ્યું છે એ જ લખવાનું તને.

‘મરીઝ’ એક તરફ તો મિત્રોની મહેફિલમાં સરી જતા સમયને જાળવવાનું કહે છે તો બીજી તરફ મુલાકાતો ઓછી રાખીને દોસ્તીનું પોત જાળવવાની તકેદારી રાખે છે.

સમય વિતાવો નહિ દુશ્મનોની ચર્ચામાં,
કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે.

સંભવની વાત છે કે નભી જાય દોસ્તી,
ઓ દોસ્ત, આપણી જો મુલાકાત કમ રહે.

મિત્રો ખુદાપરસ્ત મળે છે બધા ‘મરીઝ’,
સોંપે છે દુઃખના કાળમાં પરવરદિગારને.

રમેશ પારેખ મિત્રતાના સારા-નરસા બંને પાસા વચ્ચે સમતુલન જાળવીને ચાલે છે:

જળ ને ઝળઝળિયાંનો ભેદ સમજ્યાં નહીં,
એવા તમને, નમસ્કાર છે, દોસ્તો.

દોસ્તની છાતીઓનું નામ બારમાસી વસંત,
હમેશા ત્યાં જ અમારો પડાવ વરણાગી.

અમસ્થું મેં કહ્યું કે, મિત્ર ! છું અરીસો ફક્ત હું
પરંતુ દોસ્ત નિરખી મને કાં થરથરી ગયો ?

ન હોત પ્રેમ તો શું હોત ? છાલ જાડી હોત ?
હું હોત વૃક્ષ ને હે મિત્ર, તું કુહાડી હોત.

જીવની સન્મુખ મેં સ્થાપી દીધો,
મેં તને સાષ્ટાંગ આલાપી દીધો
મિત્રદક્ષિણામાં જમણા હાથનો-
અંગૂઠો કાપી તને આપી દીધો.

વધુ આગળ વાંચો…

Comments (13)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે….

કવિતાનો વણલખ્યો નિયમ છે કે એમાં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે. મિત્રતાને લગતા શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

ગની દહીંવાલાના એવા જ એક સુંદર શેરથી શ્રીગણેશ કરીએ:

દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મને હથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ચિનુ મોદી ‘ઈર્શાદ’નો પણ મિત્રમાં વિશ્વાસ હજી અકબંધ છે:

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

મરીઝ મિત્રતાના કાવ્યનિરૂપણના રૂઢિગત ભાવથી પ્રભાવિત છે:

રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

કૈલાસ પંડિત પણ આ જ સૂરમાં સૂર પુરાવે છે:

ઘણું સારું થયું, આવ્યા નહીં મિત્રો મને મળવા
અજાણે આમ હાલતની, ઘણાએ લાજ રાખી છે.

જ્યારે શોભિત દેસાઈ એના મિત્રને હજી પણ ‘મીસ’ કરે છે;

એક વખત મિત્ર બેસતો’તો અહીં,
ભાર વર્તાય એનો સ્કંધોને.

મનોજ ખંડેરિયા મિત્રતાના સ્વાંગ સચીને આવનારથી એટલા ત્રસ્ત છે કે પોતાની જાત સુધી પણ બેળેબેળે પહોંચી શકે છે:

બુકાની બાંધીને ફરનારાનું આ તો છે નગર, મિત્રો !
મને ખુદને જ મળવામાં ઘણી તકલીફ પહોંચી છે.

વધુ આગળ વાંચો…

Comments (20)

ગઝલમાં દર્દ અને દવા – ૨

આજે પહેલી જુલાઈ એટલે ડોક્ટર્સ ડે. એક તબીબ હોવાના નાતે આજે મારે લયસ્તરોના વાંચકોને શેનું પ્રિસ્કીપ્શન આપવું? ગઝલમાં દર્દ અને દવાનો બીજો ડોઝ આપી દઉં, ચાલશે? અગાઉ લયસ્તરો પર આપ પહેલો ભાગ વાંચી ચૂક્યા છો.

જેનું નામ જ મરીઝ છે એમનાથી શરૂઆત કરીએ તો? મરીઝને વાંચતા એટલો અહેસાસ જરૂર થાય છે કે આ માણસ નીલકંઠથી પણ આગળ છે. શંકરે તો માત્ર ગળા સુધી ઉતાર્યું હતું ઝેરને, મરીઝે તો આખા જીવનને!

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહિ,
થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી,
જીવનના દર્દની તો કોઈ સારવાર દે.

હો પ્રેમમાં જ ફક્ત દર્દ એ રિવાજ નથી,
મળે ન તક તો હવસનો ય કંઈ ઈલાજ નથી.

દિલના અનેક દર્દ અજાણે મટી ગયાં,
એ પણ ખબર પડી નહિ ક્યારે દવા મળી !

પ્રણયના દર્દનું બસ નામ છે નહિ તો ‘મરીઝ’,
અનેક દર્દ છે, જેની દવા નથી મળતી.

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ.

કદાચિત હતાં દર્દ કારણ વગર,
કે મટતાં રહ્યા એ નિવારણ વગર.

ના, એવું દર્દ હોય મોહબ્બત સિવાય ના
સોચો તો લાખ સૂઝે-કરો તો ઉપાય ના

હજાર દર્દની એક જ દવા છે અવગણના,
જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.

સુરતના કવિઓને પૂછીએ? ડૉ. રઈશ મનીઆર કયો ઈલાજ લઈને આવ્યાં છે?:

એય સાચું કે મારું દર્દ ગઝલ,
એ ય સાચું કે છે ઈલાજ ગઝલ.

વધુ આગળ વાંચો…

Comments (11)

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૨”

કાવ્યસર્જનની પ્રક્રિયા એ કદાચિત્ મૃત્યુ જેવી ઘટના છે. બંનેને સમજવાની કોશિશ મનુષ્ય શરૂઆતથી જ કરતો આવ્યો છે પણ બંને જેટલી નક્કર અને અફર છે એટલી જ કદાચ અકળ. એક જ ફરક છે, બંનેમાં. મૃત્યુને અનુભવ્યા પછી કોઈ પાછું વળીને આવતું નથી, પણ કવિઓ પોતાની સર્જનક્રિયા અંગે આપ-બયાની આપી શકે છે.

નખશિખ સુરતી ભગવતીકુમાર શર્મા લોહીથી લખવાની વાત કરે છે:

તૂટી કલમ તો આગળીનાં ટેરવે લખ્યું,
તેથી જ રાતી ઝાંય છે મારા બયાનમા.

મારો અવાજ શંખની ફૂંકે વહી જશે,
મારી કવિતા શબ્દનાં છીપલાંનું ઘર હશે.

આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.

સુરતના જ નયન દેસાઈ આંગળીનો ભરાવો ઠાલવવાની વાત લઈને આવે છે:

શબ્દને વીટળાયેલો આ બ્રહ્મ બ્રહ્માંડોનો સ્પર્શ,
આંગળી ભરચક્પણું ખાલી કરે તે છંદ છે.

શ્યામ સાધુ અલગ ચીલો ચાતરે છે. એ સર્જનની વાતમાં વેદનાને સ્થાને હર્ષ અનુભવે છે:

સાવ પાસેથી ગઝલને સાંભળો,
જિંદગીનો ખુશનુમા ચહેરો હશે !

વધુ આગળ વાંચો…

Comments (5)

ગુજરાતી ગઝલમાં “કાવ્યસર્જનની પ્રક્રિયા- ૧”

ગઝલ શી રીતે લખાય છે એ પ્રશ્ન કોઈને પૂછો તો શો જવાબ મળે? સુરતના ડૉ. મુકુલ ચોક્સીને પૂછી જોઈએ?

ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત!
લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઈએ.

ઉન્માદ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ?-કહો
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો.

કવિતા કદાચ અંતઃસ્ફુરણાની વાત છે. કવિ જેમ કવિતા રચે છે, એજ પ્રમાણે કવિતા પણ કવિને સતત રચતી રહે છે. મરીઝ ગુજરાતના ગાલિબ ગણાય છે. ગઝલ લખવાની પ્રક્રિયા અંગે એમની પ્રતિક્રિયા તપાસીએ:

હૃદયનું રક્ત, નયનનાં ઝરણ, જીવનનો નિચોડ,
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત.

હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.

‘મરીઝ’ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું,
સમયની હો જે પાબંદ, તે પ્રતિભા થઈ નથી શકતી.

વધુ આગળ વાંચો…

Comments (9)

કવિ કલાપીની પુણ્યતિથિ પર….

દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.

10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874)

Comments (13)

ગઝલમાં દર્દ અને દવા

એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
શું એમ કોઈનાય માર્યા મરી જવાના !
-અમૃત ‘ઘાયલ’

પીડા મહીં પણ એમ હસું છું,
જાણે ગયો છે રોગ સમૂળ.
-અમૃત ‘ઘાયલ’

કોઈ પરખંદો જ ‘ઘાયલ’ પેખશે,
વેદજૂની વેદનાની વાણ છું.
-અમૃત ‘ઘાયલ’

આ દર્દ મહોબ્બતનું જે હરગીઝ નથી મટતું,
ઉપરથી મજા એ કે મને એની દવા યાદ.
-મરીઝ

વીતે વર્ષો પછી એ તપ ફળે છે,
મળ્યું જે ‘દર્દ’ તે કોને મળે છે ?
નથી આ દર્દ, છે ઈશ્વરની લીલા,
’તબીબ’ ઉપચારથી આગળ વધી જા.
-મરીઝ
(‘તબીબ’ને પૈસા ખાતર ‘દર્દ’ સંગ્રહ નામે વેચી દીધેલી કૃતિઓમાંની એકનો અંશ)

ભૂલી જાઓ તમે એને તો એ સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.
-મરીઝ

છે નિરાશામાં એક નિરાંત ‘મરીઝ’,
હો બધા દર્દની દવા જાણે !
-મરીઝ

એના સિવાય દર્દનો બીજો નથી ઈલાજ,
આનંદથી નિભાવો બધી સારવારને.
-મરીઝ

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-ડૉ. રઈશ મનીઆર

ઉપચાર તો ગયા અને આરામ થઇ ગયો.
પીડા જ રામબાણ હતી. કોણ માનશે?-
‘શૂન્ય’ પાલનપુરી(સૌજન્ય: સુરેશ જાની)

બિમારી હતી શી મને મીઠી, યાર?
રૂઝાયા નથી જે દીધા ઘાવ છે.
-વિવેક

દર્દીનો હું ઇલાજ છું, મારો ઇલાજ શો ?
મુજ દર્દના ઇલમ બધાં શેં ભૂલી જાઉં છું ?!
-વિવેક

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
-વિવેક

લયસ્તરોમાં આ પ્રકારનો બદલાવ આપને કેવો લાગ્યો? આ વિષય પર ઘણા બીજા શાયરોના પણ ઘણા બીજા શેર આપણા સાહિત્યના બાગમાં છે જ. આપ અમને લખી મોકલશો તો બીજી કડીમાં આપના સૌજન્યસ્વીકાર સાથે રજૂ કરીશું. દર અઠવાડિયે એકવાર આ પ્રકારે એક જ વિષય પર અલગ અલગ શેરોનો રસાસ્વાદ કરાવવાની નેમ છે…. આપનો અભિપ્રાય આપશો?

-વિવેક

Comments (8)

સૂની પડી સાંજ

સૂની પડેલી સાંજને સમજવા મથતા મારા પ્રિય ત્રણ શેર પ્રસ્તૃત છે.

એક  પડછાયો  પીધો તેનો નશો છે લોહીમાં,
આમ બસ હર એક સાંજો લડખડતી જાય છે.
-નયન દેસાઈ

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા  વિના  સાંજ  ડૂસકે ચડી છે.
-ભગવતીકુમાર શર્મા

બોલ મારા આ જનમના ને તે જનમના ભાગિયા,
કોણ  ઉમ્બર  પર  અધૂરી  સાંજ  આ  નાખી   ગયું.
-નયન દેસાઈ

(વધારાની માણવા જેવી હકીકત એ છે કે બન્ને કવિ મારા શહેર સૂરતના છે! )

Comments (5)