પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.
અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાવના સોનૈયા ‘પ્રિયજન’

ભાવના સોનૈયા ‘પ્રિયજન’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આખરે – ભાવના સોનૈયા ‘પ્રિયજન’

પીડા બધી પારસમણી થઈને ફળી છે આખરે,
ઓળખ મને એના થકી સાચી મળી છે આખરે.

લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.

હું ખુશ છું તો આપને આશ્ચર્ય શાને થાય છે?
મમળાવવા ગમતી પળોને મેં રળી છે આખરે.

હો દોસ્ત, બે કપ ચા ને અઢળક હો ખજાનો વાતનો,
લ્યો આજ એવી સાંજ ગમતીલી ઢળી છે આખરે.

પાછા વળી જોયું જરા મીઠી નજરથી એમણે,
બોલ્યા નહીં એ વાતને મેં સાંભળી છે આખરે.

– ભાવના સોનૈયા ‘પ્રિયજન’

સરળ ભાષામાં સહજસાધ્ય ગઝલ. બીજો શેર જોઈએ. સફર લાંબી હોય તો થાક તો લાગે જ ને ક્યારેક ધારી મંઝિલ પ્રાપ્ત ન થાય તો સફર અડધેથી છોડી દેવાનું મન પણ થાય. (સુન્દરમનું ગીત યાદ આવે: બાઈ રે જરીજ જ જો તું વેઠે) કશે પહોંચી ન શકાવાનો થાક લાગે ત્યારે મુસાફરી અડધેથી પડતી મૂકવાનું મન થાય એ પરિસ્થિતિ તો આપણે સહુએ જીવનમાં અલગ અલગ સ્વરૂપ અને સંદર્ભોમાં અનુભવી જ છે, પણ અહીં ખરી મજા સફર આગળ તરફ ચાલુ રાખવાના બદલે કથક સ્વયં તરફ પાછાં વળે છે એ વાતમાં છે. દુનિયાની ભાગદોડમાં અને આ મેળવી લઉં, પેલું મેળવી લઉં એવી લ્હાયમાં આપણે જાત સામે જોવાનું, જાતને મળવાનું, જાતમાં ઉતરવાનું અને જાતને ઓળખવાનું જ ભૂલી ગયાં છીએ. જો કે હકીકત પણ એ છે કે બહારની સફરથી થાકી-હારી ન જઈએ ત્યાં સુધી સ્વયંનો સાક્ષાત્કાર કરવાનું ભાગ્યે જ કોઈને સૂઝતું હોય છે…

Comments (9)

આવકાર સપ્તાહ: ૦૪: “શબ્દનો લઈને તરાપો” – ભાવના સોનૈયા ‘પ્રિયજન’

આજે સમય છે સુશ્રી ભાવના સોનૈયાના પ્રથમ ગઝલસંગ્રહ “શબ્દનો લઈને તરાપો”ને હૂંફાળો આવકાર આપવાનો..

નવા સંગ્રહો તો સતત પ્રગટ થતા જ રહે છે, પણ બહુ ઓછા ધ્યાનાર્હ હોય છે. પ્રસ્તુત સંગ્રહમાંથી પસાર થતાં અનુભવાયું કે ગુજરાતી સ્ત્રી ગઝલકારોની હરોળમાં એક નોંધપાત્ર ઉમેરો થયો છે. સર્જકનો આ પ્રથમ જ સંગ્રહ હોવા છતાં છંદવૈવિધ્ય અને છંદકૌશલ્ય – એમ બંને દૃષ્ટિએ તે ઉલ્લેખનીય બન્યો છે. ક્યાંક ક્યાંક બોધાત્મકતા અને તૂકબંધીના અતિરેકને બાદ કરીએ તો ઘણી ગઝલો અને અનેક શેરો ડાયરીમાં ટપકાવવા ગમે એવાં થયાં છે. પરિશ્રમ, અભ્યાસ અને નિષ્ઠાથી ચ્યુત થયા વિના જો આ ગઝલસાધના સતત આગળ વધતી રહેશે, તો ભાવિમાં સર્જક પાસેથી એવી રચનાઓ મળવાની ઊજળી સંભાવના દેખાય છે, જે ગુજરાતી ગઝલપ્રેમીઓના સ્મરણમાં લાંબા સમય સુધી ટકી રહે.

સ્નેહકામનાઓ અને શુભેચ્છાઓ…

*

લાગ્યો કદમને થાક ને પહોંચી શકાયું ના કશે,
મારી સફર મારા તરફ પાછી વળી છે આખરે.

સપનામાં ખોવાય જિંદગી,
જાગો મનવા! જાય જિંદગી.

ખરી દિશા મળી જશે,
તો જિંદગી ફળી જશે.

ઇચ્છા ઘણી હોવા છતાં ઉંબર વળોટી ના શકી,
સમજણ બની બેઠી હતી બેડી ચરણમાં જ્યારથી.

શું મથામણ આદરી છે ભાવનાજી?
છેવટે તો વીતશે આ રાત કાળી.

વસ્ત્રથી પણ કિંમતી એ શું હતું?
સ્પર્શ કરતાવેંત હું તો ઝળહળી.

હજી બેઠી રહી છું રાહમાં ચાતકનજરથી,
વધારે શું કહું હું આપને આગળ, સજનજી!

છૂટતી વેળા કહ્યું ના ‘આવજો’,
રાહમાં ઊભું રહ્યું પાદર હજી.

ઠોકરોને માત આપી ચાલ તું,
ઊઠ, ખુદનો હાથ ઝાલી ચાલ તું.

માણસોની આવ-જા રહેતી હતી એ આંગણું,
એક પગલાંના અવાજે આજ કાં ગભરાય છે?

માર્ગ ને મંઝિલનાં નામે થાય છે અહીં છળ ઘણાં,
પહોંચવાની લ્હાયમાં છૂટી ગયાં છે સ્થળ ઘણાં.

વાર તો બસ કોચલાને તોડવામાં થઈ હતી,
ઊડવું અઘરું જ ક્યાં છે પાંખ ફેલાવ્યા પછી.

હરવખત વરસાદ હોવો ક્યાં જરૂરી હોય છે?
આંખ મળતાં મન તરત ભીંજાય એવું પણ બને.

સમય વહેતી નદી જેવો,
કિનારા બેખબર લાગે.

આવશે તો જશે પણ ખરી ને! ફિકર ના કરો,
ક્યાંય પીડા રહે છે ઠરીને? ફિકર ના કરો.

ઢળે સાંજ ને ધણ ફરે પાછું પાદર,
ફરી બાળપણ તેમ આવી મળે છે.

ધૂંધળાં દૃશ્યો થયાં પણ આબરૂ સચવાઈ ગઈ,
ના વહ્યાં જે અશ્રુઓ પાંપણ ઉપર અટકી ગયાં.

– ભાવના સોનૈયા ‘પ્રિયજન’

Comments (12)