એકધારો સો વરસ ગાતો રહ્યો,
જિંદગીની હું તરસ ગાતો રહ્યો;
વેદનાની ચીસને મેં જાળવી,
લોક સમજ્યા કે સરસ ગાતો રહ્યો.
મનહરલાલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for દિલીપ મોદી

દિલીપ મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અલવિદા… દિલીપ મોદી !!!

(સાહિત્યસંગમના કાર્યક્રમમાં ૦૬-૦૬-૨૦૧૦ના રોજ લીધેલી તસ્વીર)

*
સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું,
હું અનાગત વિતરણનું બિમ્બ છું.

રોજ શ્વાસોચ્છ્વાસમાં શોધ્યા કરું,
હું વિખૂટા આવરણનું બિમ્બ છું.

આ પ્રસંગોની તરસતી આંખમાં,
હું તૃષાના કો’ ઝરણનું બિમ્બ છું.

વિસ્તર્યો’તો એક ચ્હેરો સૂર્યમાં,
ને પળેપળ હું ગ્રહણનું બિમ્બ છું.

હું સપાટી પરથી પરપોટાઉં ને,
ભીતરે સ્પષ્ટીકરણનું બિમ્બ છું.

પંથના સાતત્યમાં ભૂલી ગયો,
હું ચરણ છું કે ચરણનું બિમ્બ છું !

હું જ મારા નામની દીવાલ પર,
મૌનનાં વિસ્તીર્ણ ધણનું બિમ્બ છું.

– દિલીપ મોદી
(૦૬-૦૯-૧૯૫૨ : ૧૫-૦૭-૨૦૨૦)

‘अपनी सब से दोस्ती नहीं किसी से बैर’ – આ સૂત્રનો જીવતોજાગતો દાખલો ગઈકાલે સાંજે જીવનની કિતાબમાંથી ભૂંસાઈ ગયો… આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…

ઈશ્વર સદગતના અને એમના માતૃશ્રીના આત્માને સદગતિ આપે એ જ અભ્યર્થના…

Comments (27)

યાદગાર મુક્તકો : ૦૮ : જલન માતરી, દિલીપ મોદી

આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !

– જલન માતરી

માણસનું અને માણસના સ્વભાવનું ખરેખર આવું જ છે. પાયામાં જ પરમ વિશ્વાસ અડગ નથી હોતો એટલે જીવનમાં જરાક વધુ પડતો સંઘર્ષ આવે તો ભગવાન પરની શ્રદ્ધા સાવ સહજતાથી ડગી જાય છે… માપસરનું બધુ કરવા માટે ટેવાયેલા આપણા બઘાની શ્રદ્ધા પણ માપસરની જ હોય છે… પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધામાં અડગ અને અમાપ થતા આવડી જશે તો જીવન ભયો ભયો… ને ભર્યું ભર્યું…

વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

– દિલીપ મોદી

આ મુક્તક તો કવિએ મારા માટે જ લખ્યું હોય એમ લાગે છે… 🙂 (આખાને આખા મુક્તક સંગ્રહો આપણી ભાષાને આપનાર દિલીપભાઈને મુક્તકોની મહેફિલમાં યાદ ન કરીએ તો કેમ ચાલે?)

Comments (2)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

મુક્તક -દિલીપ મોદી

વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.

-દિલીપ મોદી

Comments (11)

મુક્તક – દિલીપ મોદી

હું રડ્યો  છું રેશમી  જઝબાત પર
ને હસ્યો  છું  કારમા  આઘાત પર
આમ હું જીવી લઈશ હે, જિંદગી !
મેં લખ્યું  છે નામ ઝંઝાવત પર !

– દિલીપ મોદી

Comments (8)

ક્યાં જશે – દિલીપ મોદી

મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?

શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?

ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?

હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?

લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ? 

– દિલીપ મોદી

અભાવની અભિવ્યક્તિ…. ત્રીજો અને ચોથો શેર વધુ સરસ થયા છે.

Comments (5)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગયો – ડો. દિલીપ મોદી

લ્યો, વસંતી સૂર હું સૂણી ગયો
રંગબેરંગી પળે ટહુકી ગયો.

મિત્રતાનું એ કમળ લેવા જતાં
દોસ્ત! કાદવમાં પછી ખૂંપી ગયો.

ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે
આમ જીવન જીવતા થાકી ગયો.

મારી મરજી હો, ન તારી મરજી હો
આંખથી હું સત્યને સમજી ગયો.

અટકળોની બાહુઓમાં છેવટે
થઇ અધીરો ખુદ સમય વળગી ગયો.

બાગનું સરનામું ક્યાં મળતું હતું?
હું ઇશારે મ્હેંકના પ્હોંચી ગયો.

ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.

ડો. દિલીપ મોદી

Comments (5)

ઝાકળનું હોવું – દિલીપ મોદી

આ નસેનસમાં સળગતી પળનું હોવું
હોવું જાણે ‘તું’ વગરના સ્થળનું હોવું

મન મૂકીને શી ખબર ક્યારે વરસશે ?
મૌન તારા હોઠ પર વાદળનું હોવું

આંખ જો દેખી કે વાંચી ના શકે તો –
અર્થ શો છે ? હાથમાં કાગળનું હોવું

થાય છે રોજ જ કતલ વિશ્વાસની ને
લાગતું બસ ચોતરફ મૃગજળનું હોવું

તારું હોવું ભીંજવી દે છે મને જો
તારું હોવું એટલે ઝાકળનું હોવું

કેમ ખેંચાતું જતું અસ્તિત્વ મારું ?
એ તરફ નક્કી જ કોઈ બળનું હોવું

‘હોવું’ છે કે વ્હેમ છે હોવાપણાનો,
હોવું -ના હોવું; હશે અટકળનું હોવું

-દિલીપ મોદી

Comments (7)