પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મહેશ દાવડકર

મહેશ દાવડકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(જરૂરી છે) – મહેશ દાવડકર

ખુદને મળવું ઘણું જરૂરી છે,
બાકી જે છે, બધી મજૂરી છે.

કેવી રીતે ઉડાન ભરશે તું?
જાતને પિંજરામાં પૂરી છે.

આ અહમ્ તો જખમ કરે ઊંડા,
જાણે કે ધારદાર છૂરી છે.

ચિત્ર દોર્યું તો બોલી ઊઠ્યું કે-
જીવવાની કળા અધૂરી છે.

શબરીની જેમ ચાખું હર ક્ષણ ને-
સૌને વ્હેંચું, જે ક્ષણ મધુરી છે.

જેમ ડાળીએ ફૂટે છે કૂંપળ,
આ ગઝલ પણ એ રીતે સ્ફૂરી છે.

– મહેશ દાવડકર

સાદ્યંત સંતર્પક રચના. સરળ, સહજસાધ્ય ભાષાની દોર પર ગહન વિચારોના મૌક્તિક કવિએ કેવી મજાની રીતે પરોવ્યાં છે!

Comments (7)

ભૂલ થાય?!… – મહેશ દાવડકર

હા, બને કે જીવવામાં ભૂલ થાય;
શું કોઈને ચાહવામાં ભૂલ થાય?

છત ને દીવાલો બિચારી શું કરે !
જ્યારે પાયા નાંખવામાં ભૂલ થાય…

એનું ચોક્કસ માપ કંઈ હોતું હશે !
લાગણીને માપવામાં ભૂલ થાય.

જ્યારે-જ્યારે સત્યથી અળગા થયા,
ત્યારે-ત્યારે બોલવામાં ભૂલ થાય.

આંખ હો કમજોર તોપણ શું થયું !
જાતને કંઈ વાંચવામાં ભૂલ થાય !

પૂછે છે કાયમ પતંગિયું ફૂલને –
તું ખીલે, તો ખીલવામાં ભૂલ થાય?

– મહેશ દાવડકર

સારી ગઝલ માણવામાં કંઈ ભૂલ થાય ?

ગઝલના ઉપાડમાં જ કવિ “હા” કહીને જીવવામાં ભૂલ થઈ શકે એનો મોકળો સ્વીકાર કરી લે છે પણ પછી તરત જે પ્રશ્ન પૂછે છે એ વિચાર માંગી લે એવો છે. આ પ્રશ્ન સાચવીને સમજીએ તો આપણા સંબંધોના સમીકરણોમાં ભૂલ થવાની શક્યતાઓ વધી જાય છે.

Comments (7)

રાખું છું – મહેશ દાવડકર

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.

ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.

રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.

ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.

– મહેશ દાવડકર

Comments (8)

મજા પડે – મહેશ દાવડકર

મઝધારે તો કોઈને કિનારે મજા પડે
જેવું હો જેનું સ્તર એ પ્રમાણે મજા પડે

જ્યારે મળે તું આમ તો જાણે મજા પડે
વચ્ચે ન આવે ‘હું’ તો વધારે મજા પડે

મન તો સતત વિચારે કે ક્યારે મજા પડે
કૈં એવું થોડું રોજ મજાને મજા પડે

ખીલે છે ફૂલ જ્યારે હવાને મજા પડે
વહેંચે એ ખુશબૂ ત્યારે બધાને મજા પડે

સાચી મજા વિશે ઘણી મોડી ખબર પડી
કારણ ન હો કોઈ ને છતાંયે મજા પડે

– મહેશ દાવડકર

મજા પડે જેવી રદીફ પકડીને કવિ મજા પડે એવી મજાની ચાર-ચાર મત્લાવાળી ગઝલ લઈ આવ્યા છે. દરેક શેરમાં મજા પડવાનો ભાવ બદલાતો રહે છે એ આ ગઝલની ખરી મજા છે અને એકેય શેરમાં કવિ જરા અઘરી પડે એવી રદીફ ‘ન સાંધો-ન રેણ’ની કાબેલિયતથી જાળવી શક્યા છે એની મજા તો કંઈ ઓર જ છે…

Comments (7)

સો ટકા – મહેશ દાવડકર

હા, ગઝલમાં તો લખાયું સો ટકા,
પણ લખીને ક્યાં જિવાયું સો ટકા ?

આપણે મળતાં રહ્યાં બસ ટેવવશ,
આપણાથી ક્યાં મળાયું સો ટકા !

પારદર્શક થઈને જો તું એકવાર,
કોઈ લાગે નહિ પરાયું સો ટકા.

ઊંઘમાંથી આમ તો જાગી જતાં,
ક્યાં હજી જાગી શકાયું સો ટકા !

ભૂલભૂલૈયા સમું આઅખું જગત,
બહાર ક્યારે નીકળાયું સો ટકા.

બોજ ઇચ્છાનો હતો એથી જ ને,
બોલ તારાથી હસાયું સો ટકા ?

વેશ બદલી રોજ એ તો નીકળે,
મન કદી ક્યાં ઓળખાયું સો ટકા !

– મહેશ દાવડકર

સો ટચના સોના જેવી આ ગઝલને 99.99 માર્ક્સ આપીએ તો પણ અન્યાય છે એટલે સોમાંથી સો ટકા આપીને જ ચાલીએ…

Comments (19)

ભીડથી ભીતર સુધી (ભાગ:૨) – મહેશ દાવડકર

મહેશની કવિતામાં કેન્દ્રગામી ગતિનું વલણ તરત વર્તાશે. એની યાત્રા બહુધા ભીતર સુધી જવાની યાત્રા છે. પ્રણયોર્મિને અહીં જૂજ જ અવકાશ છે. હળવા કલ્પનો ક્યારેક સ્પર્શી જાય છે પણ ભીતરનો વલોપાત અને સંજિદા અંદરુની તપાસ એ એમના પ્રધાન કાકુ છે. ભીડથી ભીતર સુધીની આ યાત્રા સતત ગુંગળામણની યાત્રા છે, એકલતા અને એકાંતના અંધારા ફંફોસવાની યાત્રા છે… કવિની વેદના માત્ર એના સ્વ પર જ હુમલો કરી શકે છે, સામાને ઠેસ પહોંચાડવાનો હુમલાખોર ભાવ કે જાત સિવાયનાની સામેની રાવ અહીં ક્યાંય જોવા મળતા નથી. આ ગઝલોમાં ક્યાંય દરવાજો નથી… આ ગઝલો પારદર્શક છે… આ ગઝલો ચોતરફ પથરાયેલી છે… જે તરફથી ઈચ્છા થાય, પધારો !

ચોતરફ એ છે ગમે ત્યાંથી પ્રવેશો,
ક્યાંય પણ હોતો નથી ઝાંપો હવામાં.

ગઝલ આ વાંચશે જ્યારે સ્મરણ તારું તને થાશે,
કે હમણાં આ ગઝલ લખતાં મને હું યાદ આવું છું.

પાછળ આવે છે એ સ્હેજ વિસામો પામે,
વૃક્ષ સમી કૈં ક્ષણ વાવીને આગળ જઈએ.

આગળ વધવામાં જાત જ આડી આવે છે,
જાત જરા અળગી રાખીને આગળ જઈએ.

તું કહે છે સ્વપ્ન થઈ આવીશ પણ,
ઊંઘમાંથી ત્યારે જાગી જાઉં તો ?

ઊડે પતંગિયા શા વિચારો અહીં-તહીં,
હળવે રહીને એને જો પકડી શકાય તો !

દ્વાર નથી એકે દેખાતું અંધારામાં,
કોઈ પાડો રે… બાકોરું અંધારામાં.

તારી લીટી કરું હું લાંબી લે,
મારી લીટી ભલે ને નાની થઈ.

સારું થયું કે એની નજર મારા પર પડી,
આવી ગયો હું જાણે અચાનક પ્રકાશમાં.

હું ઘટના જોઉં, સપના જોઉં ને જોઉં તને કાયમ,
મને ક્યાં હું કદી જોઉં છું, છે આરોપ મારા પર.

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.

જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.

બે હાથ જોડતું પછી ચાલ્યું ગયું તિમિર,
આવીને કોઈ શ્વાસમાં દીવો કરી ગયું.

આભ જેવું વિસ્તરે છે જે સતત,
એને રસ્તા કે દિશાઓ કૈ નથી.

જળ રહે તો એની ગણના થાય છે,
જળ વગર ખાલી કિનારો કૈં નથી.

માત્ર ગતિથી ક્યાંય પહોંચાતું નથી,
ક્યાંક અધવચ્ચે પણ અટકવું પડે.

આગ અંદરની આ પાણીથી કદી બુઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

Comments (17)

ભીડથી ભીતર સુધી (ભાગ:૧) – મહેશ દાવડકર

સુરતના અંતર્મુખ કવિ, સિદ્ધહસ્ત ચિત્રકાર અને શિક્ષક  શ્રી મહેશ દાવડકરના પ્રથમ ગઝલસંગ્રહ ‘ભીડથી ભીતર સુધી’નો લોકાર્પણ સમારોહ આજે સુરત ખાતે થઈ રહ્યો છે ત્યારે આજે જ ઇન્ટરનેટના સશક્ત માધ્યમ વડે અને કવિના પૂર્વાનુમોદન સાથે આ ગઝલસંગ્રહનો લોકાર્પણ વિધિ વિશ્વગુર્જરીના આંગણે કરતા ‘લયસ્તરો’ સહર્ષ ગર્વ અનુભવે છે…

Mahesh Dawadkar _Bheed thi bhitar sudhi
(આવરણ ચિત્ર : શ્રી મહેશ દાવડકર)

મહેશ દાવડકરના આ ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે કવિનો પોતાની જાત સાથેનો સતત સંઘર્ષ નજરે ચડે છે. ક્યાંક આ સંઘર્ષ વેદનાસિક્ત છે તો ક્યાંક અસ્તિત્વના અંકોડા ઉકલવાના હેતૂપૂર્ણ… અહીં અંધારામાંથી અજવાળામાં જવાની મથામણ છે. ભીડની વચ્ચેની એકલતા અને એકલતા વચ્ચેની ભીડ પણ કવિ સમજે છે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલો ભાવકને સપાટી પરથી ઊંડાણમાં લઈ જાય છે… કવિને ‘લયસ્તરો’ તરફથી હાર્દિક શુભકામનાઓ…

એક ટીપું આંસુનું દરિયા સમું યે હોય છે,
દોસ્ત ! એને પાર કરવાનું ઘણું મુશ્કેલ છે.

નજરને સ્હેજ બદલી નાખવી પડશે,
બધું તો ક્યાં અહીં બદલાય છે, સાલ્લું !

ફર્ક એને શો પડે, હો પાનખર કે હો વસંત,
જે ખરેલા પર્ણનું એકાંત લઈ જીવ્યા કરે !

વરસાદ જ્યારે પડતો ચશ્માંના કાચ ઉપર,
અશ્રુને મળતો પડદો ચશ્માંના કાચ ઉપર.

હું અટકી-અટકીને એથી તો ચાલું,
રહે છે પાછા વળવામાં સરળતા.

ગૂંચવાતી દોર જેવા આપણે,
બેઉ છેડા કઈ રીતે ભેગા થશે ?

ભલે નક્કર હશે એકાંત તો પણ,
આ એકલતા ધીમેથી ઘર કરે છે.

ખુદથી જ્યારે અલગ થવાયું છે,
નભ સમું વિસ્તરી જવાયું છે.

જિંદગીના આ અકળ તખ્તા પર,
મૃત્યુ પણ ક્યાંક ગોઠવાયું છે.

એ રીતે ના આપ તું આધાર કે,
ભાર વરતાયા કરે આધારમાં.

તું વહી શક્શે નહીં તો છેવટે અટકી જશે,
ને થશે ખાબોચિયું : એ છે અટકવાની સજા.

તું ગઝલ લખવા વિશે પૂછે તો કહી દઉં ટૂંકમાં,
ભીતરે જળ ને ઉપરથી એ છે સળગવાની સજા.

આવે ખુશી કે અશ્રુ બન્નેથી થઈએ અળગા,
એમાં ભળી જશું ત્યાં લગ ભેદભાવ રહેશે.

કદી દિવસે કદી રાતે પ્રવેશે ચોર ઈચ્છાના,
ને આંખોમાંથી ધીરે-ધીરે ચોરી જાય છે નીંદર.

નયનના ઉંબરે અશ્રુઓની ભીનાશ હર રાતે,
જરી પાંપણ સુધી આવીને લપસી જાય છે નીંદર.

સૂના મંદિરનો ગુંબજ હો એવું મારું ભીતર છે,
તું ઝાલર જેવું રણકી જા સનમ થોડી ક્ષણો માટે.

પાણી સાથે આપણો કેવો સંબંધ હોય છે ?
કૈં વમળ ભીતર ને જળ આંખોમાં દેખાયા કરે.

લાગણીની ખીણમાં ભેખડ સમો,
હું પડ્યો’તો ક્યાંક પડઘાયા વગર.

આવ, તડકો તને નહીં લાગે,
વૃક્ષ જેવી જ છાંય છે ભીતર.

થયો છું વ્યક્ત આજે પૂરે-પૂરો,
તને શક હોય તો લઈ લે તલાશી.

-મહેશ દાવડકર

સુરતમાં જીવનભારતી શાળાના રંગભવનમાં તા. 23-02-2009ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે શ્રી મહેશ દાવડકરના પ્રથમ સ્વતંત્ર ગઝલ સંગ્રહનું વિમોચન અને લોકાર્પણ વિધિ થશે જેમાં રસિકજનોને પધારવા હાર્દિક આમંત્રણ છે…

…આ પ્રસંગે યોજાયેલા કવિસંમેલનમાં મહેશ દાવડકર, પંકજ વખારિયા, વૈશાલી પટેલ, કિરણકુમાર ચૌહાણ, વિવેક ટેલર, શકીલ સૈયદ, ડૉ. હરીશ ઠક્કર, ગૌરાંગ ઠાકર અને એષા દાદાવાલા ભાગ લેશે…

Comments (25)

લોહીનું પાણી થયું – મહેશ દાવડકર

Mahesh Dawadkar - Lohi nu paani
(ખાસ લયસ્તરો માટે મહેશ દાવડકરના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)

*

આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું,
ને ડૂમો પીગાળવામાં લોહીનું પાણી થયું.

આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.

કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.

આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.

લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.

-મહેશ દાવડકર

કેટલાક ગઝલકાર કૌવત કે કૌશલ્ય ન હોવા છતાં છાપરે ગાજીને પોકારતા રહે છે તો કેટલાક સંત ગઝલકાર એક ખૂણામાં પોતાની શબ્દની ધૂણી જગાવીને બેફિકર નિસ્પૃહ સાધનામાં રત રહે છે. મહેશ દાવડકર આ સંત કોટિના ગઝલકાર છે. સુરતમાં રહે છે. મજાના ચિત્રો દોરે છે. ઓછું લખે છે પણ આછું નથી લખતા. કોઈપણ જાતની પ્રસિદ્ધિની ખેવના વિના એ કળાને માત્ર કળાની રૂએ આરાધે છે અને પરિણામે એમની ગઝલમાં એક નકારી ન શકાય એવી ચુંબકીયતા જોવા મળે છે. જુઓ આ દાદુ ગઝલ… લોહીનું પાણી થયું જેવી રદીફને જે કુશળતાથી એમણે નિભાવી છે એ ખરેખર કાબિલે-દાદ છે…

Comments (10)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting
(…             …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…          …)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:

રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.

Comments (8)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – મહેશ દાવડકર

કોઈ મને કાયમ એવું પૂછે અંદરથી,
તું જીવે છે પણ જો કૈં ખૂટે અંદરથી.

આ હોવું પોલા વાંસ સમું છે અંદરથી,
ને એ પાછું ફાંસ સમું ખૂંચે અંદરથી.

હદથી વધારે ફૂલે તો એ પણ ફૂટે છે,
ફુગ્ગો પણ અંતે કેટલું ફૂલે અંદરથી.

કાયમ અકબંધ અહીં રહેવું અઘરું છે,
કે માણસ રોજ તડાતડ તૂટે અંદરથી.

હરણા જેમ કશે હું ભાગી પણ ના શકું,
કે એક પછી એક તીર છૂટે અંદરથી.

મારું અસ્તિત્વ ખરલમાં નાખી રોજ વ્યથા,
જડીબુટ્ટીની જેમ મને ઘૂંટે અંદરથી.

-મહેશ દાવડકર

માણસ જન્મ્યો ત્યારથી જીવન વિશેની એની અવઢવ અને અટકળનો કદાપિ અંત આવ્યો નથી. કશુંક સતત અંદરથી ખૂટતું હોય એમ લાગ્યા કરે એ જ જીવતર. આપણું હોવાપણું વાંસળીની જેમ પોલું તો છે જ, વળી વાંસની ફાંસની જેમ સતત ખૂંચતું પણ રહે છે. અહીં અકબંધ રહેવાનું પણ અઘરૂં છે ને ભાગી છૂટવાનું પણ દોહ્યલું છે. વ્યથા તમને કાયમ ઘૂંટતી જ રહેવાની અંદરથી. દરેક શેર પર થોભવા માટે મજબૂર કરી દે તેવી આ સુંદર ગઝલ મારા જ શહેર સુરતના મહેશ દાવડકરની છે.

Comments (7)