સૌ ફરે છે આમ તો દેશાવરો,
તોય ઘરને ક્યાં વટાતું હોય છે !
રાકેશ હાંસલિયા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for સોનેટ
સોનેટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 15, 2026 at 12:30 AM by વિવેક · Filed under વિજય રાજ્યગુરુ, સોનેટ
(સૉનેટ – વસંતતિલકા)
કટ્ટાક કારતકમાં બટક્યાં બલોયાં,
આખ્ખાય માગશરના દન રોઈ ધોયા.
આ પોષ સોંપટ હવે બરછી લગાવે,
કોરા કપાળ પર માઘ છરા ચલાવે.
બેફામ ફાગણ હવે ભડકે ભભૂકે,
ને આંખમાં ધધધ ચૈતર સૂર્ય ફૂંકે.
વૈશાખ ભીંત પરથી શમણાં ઉખાડે,
ને જેઠની જરઠ થાપ પડે કમાડે.
આષાઢનું ગગન ઘમ્મર હલબલે છે,
ને શ્રાવણી ઝરણકંકણ રણઝણે છે.
પાણી વચાળ મન ભાદરવે ભળે છે,
આસો તણું સઘન કાજળ ઓગળે છે.
બે હાથ સાવ અડવા સળિયે ઝળુંબે,
ને આંખમાં હરિત ઘાસ લલૂંબ ઝૂંબે.
– વિજય રાજ્યગુરુ
મધ્યકાલીન ગુજરાતી કવિતામાં બારમાસી કાવ્યોનો એક ખાસ દરજ્જો હતો. બારેય મહિનાના પ્રકૃતિવર્ણન ઉપરાંત એમાં મોટાભાગે વિરહિણી સ્ત્રીના મનોભાવોનું ચિત્રણ કરવામાં આવતું હતું. જે તે સમયના જાણીતા ક્વિઓ ઉપરાંત લોકગીતોમાં પણ આ કાવ્યપ્રકારનું ખાસ્સું ખેડાણ થયું છે. આધુનિક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ભાગ્યે જ ખેડાણ કર્યું છે અને કર્યું છે તેય એકદમ લાઘવમાં. લયસ્તરો પર રાજેન્દ્ર શુક્લ તેમજ પુરુરાજ જોશીની બારમાસી આ અગાઉ પોસ્ટ કરવામાં આવી છે. પ્રસ્તુત રચના ‘બારમાસી’ પરંપરાને અત્યંત સંક્ષેપમાં પણ ઊંડા ભાવસંવેદન સાથે રજૂ કરે છે. આ બારમાસી તાજું વૈધવ્ય પામેલ સ્ત્રીની છે. બાર મહિના… બાર પંક્તિ… અને સદ્યવિધવાની બાર અવસ્થા… કાઠીયાવાડી લહેકાના કારણે રચના વધુ હૃદ્ય થઈ છે. કવિએ અ-અ, બ-બ, ક-ક પ્રમાણે ચુસ્ત જાળવ્યો હોવાથી રચનાનું નાદમાધુર્ય પણ વધે છે. બટક્યાં-બલોયાં, પોષ-સોંપટ, ભડકે-ભભૂકે જેવી વર્ણસગાઈઓના કારણે સૉનેટ વધારે પ્રભાવક લાગે છે. અને કટ્ટાક- ભભૂકે-ધધધ-ઘમ્મર જેવી રવાનુકારી (Onomatopoeic) શબ્દાવલિ વિધવાના દર્દને વેધક વાચા આપવામાં સહાયક બની છે. જે કદી પાછો ફરી શકનાર નથી એવા પતિને બોલવતા ન હોય એમ વિધવાના અડવા હાથ બારીના સળિયામાંથી બહાર લટકી રહ્યા છે… હાથની બંગડીઓ તો તોડી શકાય, તોડી નાંખી; પણ જુવાનજોધ આંખોમાં જે લીલીછમ જિંદગી, અને અસીમ અપાર કામસુખનાં સપનાંઓ ઝૂલી રહ્યાં છે એનું શું? કવિતામાં પોષ મહિનો સોંપટ બરછી લગાવે છે, એ જ રીતે સૉનેટની આખરી બે પંક્તિઓ હૃદયસોંસરી છરી ઉતરી ગઈ ન હોય, એવી તીવ્ર વેદના જન્માવે છે.
નવમી અને દસમી પંક્તિમાં અનુક્રમે ‘હલબલે’ તેમજ ‘રણઝણે’ પાસે છંદ તૂટે છે, એ સિવાય આખી રચનામાં છંદ અનવદ્ય સચવાયો છે. કાવ્યાંતે છંદ સાચવવા ‘લેલૂંબ’ (ફળથી ભરચક; લૂમઝૂમ.)નું ‘લલૂંબ’ કર્યું છે એય સહેજ ખટકે છે.
Permalink
March 28, 2026 at 12:30 AM by વિવેક · Filed under મણિલાલ હ. પટેલ, સોનેટ
(શિખરિણી)
પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી-
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી:
રડી હર્ષે હું વા વિરહ દુઃખ? – જાણી નવ શકી!
તમે આવ્યા ત્યારે મૂક રહી, કશુંયે નવ કથ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી…
હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો…
ઉવેખી લજ્જાને સ્વજન વચ એયે નવ થયું!
વિના બોલ્યા; ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એય શમણું!
સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં-
થઈ સાચાં, મારા વિરહકૃશ પાદે ચચરતાં;
રડી આંખો ધોઉં, શિશિરઋતુમાં અંગ સળગે
તમે? ના…ના, સૂના પથ નજરને આવી વળગે!
– મણિલાલ હ. પટેલ
આજે તો પતિ પત્નીના પિયર આવે કે તરત બધાને હાય-હેલો કરીને લાજશરમ નેવે મૂકીને પત્ની સાથે એક રૂમમાં બંધ થઈ જાય. પણ આ સૉનેટ એવા સમયનું ગ્રામ્યચિત્ર છે જે સમયે સ્ત્રીને તો હોઠ નહોતા જ, પુરુષ પણ વડીલોની આમન્યા ત્યાગી શકતો નહોતો.
પત્ની પિયર રહેવા આવી હોય અને લાંબા ગાળા પછી પતિ એને મળવા આવે એ પળની આ વાત છે. સવારે જોયેલું સપનું જે રીતે સાચું પડે એ રીતે એક દિવસ પતિ અચાનક પત્નીને મળવા આવી ચડે છે અને સ્વજનોની વચ્ચે પણ પત્નીને એકલાપણું અનુભવાય છે. સુન્દરમની નાયિકા જે રીતે તે રમ્ય રાત્રે ઘરની બારસાખ પર કાયા ટેકવી ઢળતી લતા સમી ઊભી હતી, એ જ રીતે મણિલાલ પટેલની નાયિકા પણ કમાડને અઢેલીને ઊભી છે. પણ સુન્દરમની નાયિકા નાયક સાથે એકલી હતી એટલે એને દિગ્મૂઢ નાયકને ચુપચાપ પાછો ચાલ્યો જતો રોકવામાં સમસ્યા નહોતી અનુભવાઈ, પણ આ સૉનેટની નાયિકા પરિવારની હાજરીમાં બોલીય નથી શકતી અને લજ્જા ઉવેખી શકવાના સામર્થ્યના અભાવે પતિનું મુખેય પૂરું જોઈ શકતી નથી. આંખોમાંથી ધસી આવેલ આંસુઓ હર્ષના છે કે વિરહના દુઃખના એનો ભેદેય એ કળી શકતી નથી. પતિ પણ કશું બોલ્યા-ચાલ્યા-કર્યા વિના આવ્યો હતો એમ જ પરત ચાલ્યો જાય છે. ફરી એકવાર સુન્દરમનું જ ‘મળ્યાં’ કાવ્ય યાદ આવે છે, જેમાં વિરહના કપરા દિવસો વેઠ્યા બાદ મળેલ બે પ્રેમીહૈયાં મહાજનોની હાજરીમાં ખૂલીને મળી શકતાં નથી અને મળે છે ત્યારેય કશું બોલ્યાચાલ્યા વિના ઘડી ઘડી પરસ્પર સામે બસ જોયા જ કરે છે.
આને આગમન કહીશું કે ગમન? કવિએ એટલે જ કવિતાના શીર્ષકમાં એક ડેશ ઉમેર્યો છે: “આ-ગમન પછી.” છે ને મજાનું કવિકર્મ! સવારે પગથી પર પડેલ પતિના પગલાં પત્નીના દેહને શિયાળામાં પણ પ્રજ્વાળે છે. પતિ તો વળગ્યો નહીં, સૂનો રસ્તો નજરને આલિંગન આપી રહ્યો છે… મિલનોત્સુક પત્નીના ભાવસંવેદનોનું કેવું સચોટ વર્ણન!
Permalink
March 20, 2026 at 12:30 AM by વિવેક · Filed under સુન્દરમ, સોનેટ
(શિખરિણી)
બુઝાવાની પૂર્વે અધિક ઉજળો દીપક બળે,
ડુબી જાવા પૂર્વે અધિકતર સંધ્યા ઝળહળે,
ખરી જાવા પૂર્વે દલ કુસુમનાં સૌ ખીલી રહે,
સરી જાવા પૂર્વે પ્રણય તવ શું આજ ઉભરે!
મને ના અંતોનું દરદ કદીયે, અંત સહુનો.
મને બાળેઝાળે અહ ભભક જાવા પુરવની.
અજાણ્યે આવીને ઉર સરી, ઠરી ઠામ જ કરી
રહી ગૈ માન્યું મેં. ક્ષણિક વસનારી તું અહીંની –
પ્રવાસી બીજેની વિસરી, મન મીંચી ઘરતણા
દીધા ચાવીઝૂડા. તું પણ નિજ જાવાનું સમરી
બધું માણી લેવા તતપર બની; ને ભવનમાં
કશી છુટ્ટે હાથે ઝળઝળઝળાં રોશની કરી!
ગઈ! જાવા પૂર્વે પણ બધું બુઝાવી ગઈ હતે
ધીરે ધીરે, તો તો ઘરમહીં ન હોળી સળગતે!
– સુન્દરમ્
બે દીપક ભેગાં થઈને આયખાના ઘરને ઝળાંહળાં કરી દે એવું નસીબ બધાનું નથી હોતું. જે રીતે બુઝાતા પહેલાં દીવો વધુ ફગફગે, રાતમાં પલટાતાં પહેલાં સાંજ વધુ રંગીન થાય, પુષ્પ ખરતાં પહેલાં પૂરું ખીલી જાય એ જ રીતે કથકને કાયમી વિયોગ આપતા પહેલાં એના પ્રિય પાત્રએ જે સ્નેહની હેલી વરસાવી, એનાથી કથક વ્યથિત વ્યથિત થઈ ગયો છે. જીવનના રસ્તે ક્યાંક કોઈક અજાણી વ્યક્તિ મળી. દિલમાં ઘર કરી ગઈ. કથકે વગર વિચાર્યે એના હાથમાં પોતાની ચાવી-પોતાનું સમગ્ર નિયંત્રણ સોંપી દીધું. પણ આવનારીને તો ખબર હતી કે પોતે આ આકાશમાં કેવળ ધૂમકેતુ બનીને આવી છે. પણ મળેલ અવસરને આકંઠ માણી લેવા માટે એ તત્પર હતી. પોતાના ચાલ્યા જવા પહેલાં એણે કથકના જીવનને અભૂતપૂર્વ રોશનીથી ભરી દીધું. કથક વિયોગ સહન કરવા તૈયાર છે, પણ એ જતા પહેલાંની વધુ પડતી ઝાકમઝોળ સહવાને અસમર્થ છે. જનાર વ્યક્તિ જતાં પહેલાં પોતાના દિલમાંથી પ્રેમની રોશની મિટાવી ગઈ હોત તો કદાચ વધુ સારું થાત… કારણ પ્રિયજનની અનુપસ્થિતિમાં આ રોશની રોશની ન રહેતાં હૈયાહોળી બની ગઈ છે… કાયમી જુદાઈ વિશે અનેકાનેક ઉમદા રચનાઓ આપણી ભાષામાંથી જડી આવશે, પણ આ સૉનેટ અલગ પ્રકારની માંડણીના કારણે વિશિષ્ટ ભાત ઉપસાવે છે..
Permalink
February 12, 2026 at 11:21 AM by વિવેક · Filed under પન્ના નાયક, સોનેટ
(પૃથ્વી)
વિદાય વખતે, અરે! નયનમાં કશી ભીડ છે!
નહીં ટપકી જાય આંસુ: ક્ષણને અહીં શ્રાવણે
જરીક નહીં ભીંજવું: મન મહીં રહી ઝંખના!
રહ્યા અચળ જોજનો: અચળ કાળ: ને પંખ-ના
મને કદીય ફૂટશે. નજીક તું છતાં દૂર છે.
અરે! પ્રણય કુમળો: તદપિ કેટલો ક્રૂર છે!
હવે દિવસ આંધળો: રજની પાંગળી: શબ્દ સૌ
ઉદાસ થઈને ઊભા: નિજ તણી નિરાધારતા
ગયા અવશ ઓળખી: સમય આપણો વારતા
થઈ વહી ગયો, હવે પળપળે નરી વેદના.
હવે દિવસ કેટલા? સમય કેટલો? આપણે
અહીંથી પડશું છૂટા: હૃદયમાં ભરી મૌનને
તડાક દઈ તૂટતા મિલનના ઋજુ તાર આ.
કદીય નહીં ઓગળે ખડક જેટલો ભાર આ.
– પન્ના નાયક
સારા કવિ ખપ મુજબના શબ્દનું સર્જન કરી ભાષાને વધુ સમૃદ્ધ કરતા હોય છે. થોડા સમય પહેલાં પન્ના નાયકે હાઈકુ સંગ્રહ આપ્યો પણ હાઈકુના સત્તર અક્ષરમાં સહેજસાજ ફેરફાર કરીને સંગ્રહનું નામ અત્તર-અક્ષર આપ્યું… પ્રસ્તુત સૉનેટનું શીર્ષક જુઓ… ‘ઋણાનુબંધ’ શબ્દથી આપણે સહુ પરિચિત છીએ… સર્જકે એની આગળ કેવળ ‘ક’ ઉમેરી ‘કરુણાનુબંધ’ શબ્દ કોઇન કર્યો છે. સૉનેટમાંથી પસાર થઈએ ત્યારે ખ્યાલ આવે કે મધુર પ્રણયસંબંધ તૂટતાં ઉદભવતું આ ‘કરુણ બંધન’ કેવું હૃદયવિદારક છે!
મિલનનો નાજુક તાર તૂટ્યા પછી સર્જાતા વિયોગનું આ કરુણ ગાન છે. વિદાય વખતે આંખોમાં હકડેઠઠ ભીડની જેમ ધસી આવવા આતુર આંસુઓને અટકાવી રાખવા નાયિકા કટિબદ્ધ છે, નાહક આ ક્ષણ શ્રાવણની વર્ષાથી ભીની થઈ જાય! આંખમાં આંસુ આવી જાય તો દૃશ્ય ધૂંધળું થઈ જાય ને! બંને જણ આમ નજીક જ છે, પણ હવે ચળી ન શકે એટલા જોજનોનું અંતર બે અંતર માંહ્ય આવી ઊભું છે. આ અંતર કાપી શકાય એ માટેની પાંખ પણ હવે ફૂટવાની નથી. દિવસનું અજવાળું અંધારા બરાબર છે અને રાત તો પાંગળી જ છે. શક્યતા દેખી શકાય એ સ્થિતિ જ રહી નથી. નિજની નિરાધારતા ઓળખી ગયેલ શબ્દ પણ ઉદાસ થઈ મૌન ઊભા છે. કાયમી છૂટા પડવામાં હવે બહુ સમય બચ્યો નથી. મિલનનો તાર તૂટ્યો છે ને એનો ભાર કદી ઓગળી ન શકે એવી ખડક જેવો વર્તાય છે.
Permalink
February 5, 2026 at 8:03 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
(ઇન્દ્રવજા)
જાણું ન જાવું અવ કઈ દિશામાં,
આષાઢની ગાઢ થતી નિશામાં?
કેડી મને તું પ્રતિ જેહ લાધી
હતી, હવે લુપ્ત કરાલ આંધી
મહીં, રહી ના દૃગનીય દીવી!
ક્યાંથી હવે તેજલધાર પીવી?
હાવાં અહીં આ અધવાટ, સીંચી
અશ્રુભરી અંજલિ, નેત્ર મીંચી
હું પ્રેમનું પુષ્પ રહ્યો છું મ્હોરી;
કે એહની ફોરમ મત્ત ફોરી
આ આંધીનો વાયુ જ વ્હૈ જશે રે,
તને કથા સર્વ કહી જશે રે!
ત્યારે સ્વયં તું નિજને જ હાથે
મેલીશ એ પુષ્પ સગર્વ માથે !
– નિરંજન ભગત
પ્રિયજન તરફ દોરી જતી કેડી તો કથકને હાથ લાગી છે, પણ જામતી જતી આષાઢી રાત્રે વિકરાળ આંધીમાં એ દેખાતી બંધ થઈ ગઈ છે. કઈ દિશામાં જવું એની ગતાગમ હવે કેમ પડે? આવામાં આંખોના દીવા કઈ રીતે તેજધાર પીએ? ગતિ અટકી ગઈ છે, પણ પ્ર-ગતિ નહીં. અધમાર્ગે અટકી જઈ આંખો મીંચી ભાવપૂર્વક આંસુડા સીંચીને અષાઢી રાત કાવ્યનાયક પ્રેમપુષ્પ ખીલવે છે. એને પૂરી શ્રદ્ધા છે કે કાલિદાસના મેઘદૂતની જેમ આ આંધીનો વાયુ આ પ્રણયપુષ્પની ફોરમને અને દિલની બધી વાત પ્રિયા સુધી પહોંચાડી દેશે. આમ થશે ત્યારે પ્રિયા ગર્વ સાથે પ્રીતિના એ ફૂલને પોતાના હાથે સ્વયંના માથે ચડાવશે. પ્રિયજનના સ્થાને પરમેશ્વરને મૂકીને આખી રચના ફરીથી વાંચીએ તો?
આષાઢી રાત, દૃગની દીવી અને પ્રેમના પુષ્પના ઉલ્લેખ આપણને કવિ ન્હાનાલાલનું પણ સ્મરણ કરાવે છે:
ચોમેર ચમકે છે દૃષ્ટિની દામિની;
આંખડીની આશ એ શું ચારૂ ચીતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.
મ્હાલે મંહી નીર ગંભીર મેઘનાં;
મેઘલી એ રાત જાણે ચન્દ્રનીતરી:
આ આષાઢી વાદળી વીજે ભરી.
હૈયાની વેલને અમીનાં ફૂલ ઉગિયાં;
ઉરની રસમૂર્તિ શું આભ ઉતરી !
આ આષાઢી વાદળી વીજે ભરી.
Permalink
January 28, 2026 at 11:06 AM by વિવેક · Filed under પ્રજારામ રાવળ, સોનેટ
અહીં આ પૃથ્વીના પટ ઉપર કે ફુલ્લ, નમણાં,
નિહાળું છું કૂંળાં કમળ-મુખડાં બાળક તણાં:
કશાં ભોળાં; હસું હસું થતાં, સાવ અમથાં:
સ્મિતાળું જો ભાળે વદન, હસતાં તુર્ત, બમણાં.
ફરું જયાં જયાં, ત્યાં ત્યાં સુભગ શિશુઓ કેરી રમણા:
નચિંતાં કલ્લોલે જગત-રસમાં મગ્ન જ ઘણા.
ન ઑથારો ભારી, હૃદય પર કારી, ગત તણા:
ન આવી ઊભા ર્.હે દંગ પજવતાં ભાવિ સમણાં.
પુરાણો અશ્વત્થ પ્રકટિત નવો આ નિત લહું.
મહોલ્લાસે કાંઈ, ફૂટતી ટીશીઓ નીરખી રહું.
જરી વાયુ-લ્હેરે રણઝણી રહે મોદિત અહો!
નવા ચ્હેરા; રૂડાં સ્મિત—નયનનું આ જગ ચહું.
અનાદિ આકાશે અભિનવ-નવોન્મેષ-સવિતા:
વહે તાજી તાજી પૃથિવી-પટપે આદિ કવિતા.
– પ્રજારામ રાવળ
રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું, “દરેક નવું જન્મતું બાળક એ વાતની સાબિતી છે કે ઈશ્વર હજી માનવથી નિરાશ થયો નથી.” પ્રસ્તુત સૉનેટનું કથનકેન્દ્ર પણ નવા જન્મેલાં બાળકો જ છે. સામાન્યરીતે પચાવવા અઘરાં પડે એવાં સૉનેટોની સરખામણીમાં આ કૃતિ થોડી મુખર લાગે, પણ રજૂઆતની નમણાશ અને કવિકસબના કારણે એ ખાસ્સી હૃદ્ય થઈ છે. કમળના ફૂલ જેવાં નવોદિત શિશુઓ કવિને જ્યાં જાય ત્યાં નજરે ચડે છે, જેઓ કારણ વિના તો હસે જ છે, પણ તમને હસતાં ભાળે તો તો બમણું હાસ્ય વેરે છે. બાળકોને ન આજનો ભય હોય છે, ન ભાવિના સ્વપ્નોની પજવણી. જૂનો પીપળો જ નિત નવો થઈ પ્રકટતો હોય એવાં તાજી કૂંપળ સમા આનંદિત બાળકોના રૂડાં સ્મિતવાળા ચહેરા જ કવિ ચહે છે. અનાદિ આકાશમાં જે રીતે રોજ સવારે એનો એ જ સૂર્ય સાવ નવો, તરોતાજો થઈને ઊગે છે, એ જ રીતે પૃથ્વી પર બાળક નામની આદિ કવિતા રોજેરોજ લખાતી રહે છે.
(સુભગ=સુંદ૨, ૨મણીય; દૃગ=આંખ; અશ્વત્થ=પીપળો; ટીશી=ફણગો, અંકુર; મોદિત=આનંદ પામેલ; નવોન્મેષ=નવી શોધ, નવ્યવિચાર; સવિતા=સૂર્ય)
Permalink
January 17, 2026 at 8:09 AM by વિવેક · Filed under ભાનુપ્રસાદ ત્રિવેદી, સોનેટ
(હરિણી)
મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા,
રહી રહી ધુમાતાં કાષ્ઠોમાં ધખે અગનિ યથા.
અસહ બનતું આ એકાકીપણું જીરવાય ના.
અવર સથવારો તો એવો સહ્યો વળી જાય ના.
વ્યરથ વ્યવહારોનું દાસત્વ રે કઠતું કટુ,
પણ શરણ લૈ એનું હુંથી છુપાઈ જવા મથું!
ક્ષત ક્ષત સહુ અંગે અંગે અપંગ-શી જિંદગી,
હજીય રહું છું એના આલંબને નિજને ઠગી!
સમજી શકું છું તોયે છોડી શકું નહિ વંચના,
સતત નિજને ખોવાને આ મુકાય પ્રપંચના,
કૃપણ, ખલ હે, કુલ્ટા આવી અચાનક જો મળી-
અનુભવ કરું તો કેવો ફરી ફરી જિંદગી!
દલિત ઉરની લંબાવું ના હવે વધુ આ કથા,
અવશપણું છે, હૈયું યે છે, અને વળી છે વ્યથા!
– ભાનુપ્રસાદ ત્રિવેદી
દુનિયા મેં હમ આયે હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર જહર તો પીના હી પડેગા… માટી તો એની એ જ છે, પણ હાથોનો કસબ એમાંથી અલગ-અલગ પ્રકારનાં પાત્ર સર્જે છે. પૂરું બળ્યા વિના ધુમાતાં લાકડા પૂરાં બળેય નહીં ને બળતાં બંધ પણ ન થાય એ રીતે વ્યથા અંતરને પૂરું બળવા પણ નથી દેતી અને ઠરવા પણ નથી દેતી. એકાકીપણું પણ સહેવાતું નથી અને બીજા કોઈનો સથવારો પણ સહી શકાતો નથી. દુન્યવી વ્યવહારો વ્યર્થ હોવાનું જ્ઞાન હોવા છતાં કદાચ એના શરણે જવાથી સ્વયંથી છૂપાઈ શકાયએવી ભ્રામક આશામાં દાસ બની એમના શરણે જવું પડે છે. ચારે તરફથી ક્ષતવિક્ષત અપંગ જિંદગીનું આલંબન લઈ મનુષ્ય હજીય જાતને છેતરી રહ્યો છે. દુર્યોધને કહ્યું હતું: ‘जानामि धर्मं न च मे प्रवृत्तिः। जानाम्यधर्मं न च मे निवृत्तिः।‘ જીવનની વંચના અને પ્રપંચનાથી પૂર્ણતયા વાકેફ હોવા છતાં આપણે એનાથી આઝાદ થઈ શકતા નથી એ કેવી વિડંબના! જિંદગી કંજૂસ છે, દુષ્ટ છે, કુલ્ટા છે પણ તોય આપણે ફરી ફરીને એનો અનુભવ કરવો છોડી શકતાં નથી. હૈયું હોય એટલે સંવેદના હોવાની જ અને સંવેદના હોય એટલે વેદના. બધું જ જાણવા છતાંય એનાથી મુક્ત ન થઈ શકવાની લાચારીની કથા પછી કેટલી લંબાવ્યે રાખવી?
Permalink
January 8, 2026 at 12:30 AM by વિવેક · Filed under મનહર મોદી, સોનેટ
તને સંબોધી તો પવન સુણીને વાત ગમતી,
રૂમીઝૂમી, થંભી, સહજ ગતિને મંદ કરીને.
વહ્યો, ઓ પાસેના સ્થગિત તરુની ડાળ હલવી,
ભરીને પર્ણોમાં રવ મધુર (તારાં સ્મરણ શો).
પ..ણે પંખી નાનાં ગત-સમયની નીંદ ત્યજીને,
ગજાવે છે માળો અખિલ નભને ઘેરી લઈને.
કળીઓ ખીલીને કુસુમ થઈ, ને ગંધ પ્રસરે,
અને ડાળેડાળે ઉપવન ઝૂલી ફુલ્લ પ્રગટે.
દિશાઓનાં હૈયે ઊછળીઊછળી વ્હાલ ભરતો,
વહાવે છે મોજાં ગરજીગરજી મત્ત ઉદધિ.
નિશા જેવી કાયા રવિકિરણનો સ્પર્શ લહીને,
સૂતેલી ઓચિંતી ઝબકીઝબકી આંખ મસળે.
તને સંબોધી તો ફરીફરી સુણી જાગ્યું જગ આ.
પરંતુ રે તું તો…
– મનહર મોદી
પ્રેમના ચશ્માં આંખે લાગી જાય એટલે સમગ્ર સૃષ્ટિ સુંદર દેખાવા માંડે… જુઓ તો જરા, કવિએ તો કેવળ પોતાની પ્રિયાને સંબોધન જ કર્યું છે, પણ આખી દુનિયામાં લહેરખી ફરી વળી છે. ગમતી વાત સાંભળીને પવન જેવો પવન ક્ષણભર થંભી ગયા પછી સ્થિર થઈ ગયેલ વૃક્ષની ડાળના પાંદડાઓમાં પ્રિયાના સ્મરણ જેવો મધુર રવ ભરી દે છે. પંખી-પુષ્પ-સમુદ્ર-રાત બધુંય જીવંત બની ઊઠે છે. સૂર્યકિરણના પ્રવેશથી દૂર થઈ જતી રાતને રવિકિરણના સ્પર્શે આળસ મરડી આંખ મસળીને ઓચિંતી જાગી જતી રાતની કાયા સાથે સરખાવતું કલ્પન તો અદભુત થયું છે. જે સંબોધનથી આખી દુનિયા ફરી ફરી જાગી જાય છે, એ સંબોધન જેના માટે છે એ પ્રિયા તો… રે રે! રે મૃત્યુ!
Permalink
December 16, 2025 at 12:30 AM by વિવેક · Filed under એમા લેઝારસ, પથપ્રવર્તક કાવ્યો, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ

(સૉનેટ-હરિગીત)
ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,
“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, આ સૌ મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”
– એમા લેઝારસ
(સાછંદ પદ્યાનુવાદ: વિવેક મનહર ટેલર)
કવિતાનો જાદુ આપણી સમજણ બહારનો છે… કાગળના ટુકડા પર લખેલી કવિતા ક્યારેક કોઈ વ્યક્તિનું જીવન બદલી નાંખે, તો ક્યારેક આખેઆખા સમાજની કાયાપલટ કરી નાંખે… ક્યારેક એ કોઈક વસ્તુનો અર્થપલટો કરી દે તો ક્યારેક તો દેશ-દુનિયામાં આગ બનીને ફરી વળે… લયસ્તરોની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ રહેલ આવી પથપ્રવર્તક અને યુગપ્રવર્તક કવિતાઓની શૃંખલામાં આજે એક એવી કવિતા જેણે એક મહાપ્રતિમાની અને એની રૂએ એક દેશની ઓળખ બદલી નાંખી…
૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકાને આઝાદી મળી, એના સો વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવવા, તેમજ અમેરિકા સાથે રાજનૈતિક મૈત્રી વિકસે અને પ્રજાસત્તાકવાદને બહાલી મળે એ હેતુસર ફ્રાન્સે અમેરિકાને વિશાળ પ્રતિમા ભેટ આપવાનું નક્કી કર્યું. મૂર્તિ ફ્રાન્સ આપે અને એને ઊભી કરવા માટેની કુંભી અમેરિકા બનાવે એમ નક્કી થયું. ગંજાવર કુંભીનિર્માણ માટે આવશ્યક પૈસા ઉઘરાવવા અનેક કાર્યક્રમો યોજાયા. અમેરિકન કવયિત્રી એમા લેઝારસે આ ઉપક્રમના જ એક ભાગરૂપે એક સૉનેટ લખી આપ્યું. ૧૮૮૩ના નવેમ્બરથી ૧૮૮૫ના ઓગસ્ટ સુધી ચાલેલ પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર એ લગાવવામાં આવ્યું, ઉદઘાટન પણ આ સૉનેટના વાંચનથી કરાયું અને પૈસા ઉઘરાવવા માટે થયેલ નિલામી દરમિયાન પણ એનું પઠન કરાયું. લગભગ બે વરસ ચાલેલ પ્રદર્શની સાથે સતત સંકળાયેલ હોવા છતાં ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે કોઈએ આ રચનાને યાદ ન કરી અને પછી તો એ સાવ ભૂલાઈ જ ગયું. કવયિત્રીના મૃત્યુના ચૌદ વર્ષ પછી ૧૯૦૧માં એમની એક સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી એક પુસ્તક મળ્યું, જેમાં આ સૉનેટ હતું. જ્યૉર્જિનાના બે વરસના અથાક પ્રયત્નોના પરિણામે ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં એક તકતી પર આ સૉનેટ મૂકવામાં આવ્યું. બસ, ત્યાંથી આ સૉનેટનો જાદુ શરૂ થાય છે…
એ સૉનેટ જેણે એના સર્જકને કોઈ જ નામના અપાવી નહોતી, એ સૉનેટ જે દોઢ દાયકા સુધી ગાયબ થઈ ગયું હતું, એ સૉનેટની બીજી ઇનિંગ અકલ્પનીય રીતે દમદાર સિદ્ધ થઈ. છેલ્લી સવા શતાબ્દીની સૌથી વધુ ખ્યાતનામ અને સૌથી વધુ ટંકાયેલી કવિતાઓની યાદીમાં એ આજે અગ્રમિ સ્થાને બિરાજે છે. સૉનેટ અને લેડી લિબર્ટી હવે પરસ્પર સાથે તાણાવાણા પેઠે વણાઈ ચૂક્યાં છે. લેડી લિબર્ટીનો મૂળભૂત અર્થ હતો આઝાદી.
જે લોકો આ કવિતા વિશે કશું જાણતા નથી એ લોકો પણ અમેરિકાને અને લેડી લિબર્ટીને ‘આવકાર’ ગણીને જોતાં થયાં છે એ આ કવિતાના સાર્વત્રિક જાદુને આભારી ગણાય. પ્રતિમાનું નિર્માણ તો આઝાદીની શતાબ્દીની ઉજવણી, રાજનૈતિક મૈત્રી અને આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદના પ્રતિક તરીકે થયું હતું, પણ આ કવિતાએ લેડી લિબર્ટીને દુનિયાભરના બેસહારા અને બહિષ્કૃત લોકોને માટે આશાનું કિરણ હોય એવી આવકારો દેતી મા તરીકે સ્થાપિત કરી દીધી. મૂળ હેતુ જ બદલી નાંખ્યો. લગભગ સવા શતાબ્દીથી સ્વાતંત્ર્યદેવીની ગંજાવર પ્રતિમા હાથમાં આશાની ઝળહળતી જ્યોત લઈને નિર્વાસિતોનું અનૌપચારિક સ્વાગત કરી રહી છે. આજે પણ અમેરિકામાં દેશાંતર અને રાષ્ટ્રીય ઓળખની ચર્ચાઓમાં એમાનું સૉનેટ અચૂક ટાંકવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને પણ એમાની પંક્તિઓમાં ઉમેરણ કરી વિદેશનીતિ ઘડવાની કોશિશ કરી હતી, જેને પાછળથી કોર્ટે અવમાન્ય ઠરાવી હતી. કોઈ દેશની આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે કોઈ એક જ કવિતા અવારનવાર ટાંકવામાં આવે અને કવિતાને કાયદાની રૂએ માન આપીને કવિતાની પંક્તિઓ દેશના ધારાધોરણ ઘડવામાં નિમિત્ત બને ત્યારે સમજાય કે સફેદ કાગળના ટુકડા પર લખાયેલ ગણતરીના કાળા અક્ષરોની કવિતાનો સાચો જાદુ શું છે!
Permalink
November 20, 2025 at 12:30 AM by વિવેક · Filed under સુન્દરમ, સોનેટ
સજ્યા સૌ શોભાએ, તિમિરબુરખે કિંતુ ગરક્યા
મહા કો આગારે દ્યુતિ પલકતાં સર્વ સુષમા
ઝગી ઊઠે એની: તલકતલકે ઝુમ્મર બધાં,
અરીસાઓ હાસે, સુપ્રકટ પદાર્થો સહુ લસે.
પ્રિયે, એવું પ્રીતિ-દ્યુતિ તવ સ્ફુરંતાં જગ તણા
ઝગી કોઠા ઊઠયા અવનવલ આનંદ-રસણે,
નવેલા સૌન્દર્યે સકલ અહીંયા મંડિત બન્યું.
ઉષાઓ સન્ધ્યાઓ મધુર બની, કલ્લોલ વિહગો
તણા હાવાં મીઠા, લલિતતર લ્હેરી અનિલની,
બની છે જ્યોત્સ્નાઓ ધવલતર આસ્વાદસભર,
અહો જે જે સુન્દર અધિકતર તે સુન્દર બન્યું!
બને એ તો, કિંતુ અરસ જડ હું આજ લગીનો
દીસું છું પોતાને અધિક ગમવા જેવી મુરતી,
પ્રિયે! આવી તેં ના કદી કરી હશે કોઈ સુકૃતિ.
– સુન્દરમ્
(૨૫ ઓકટો. ૧૯૩૭)
ટી-ટ્વેન્ટી જેવા તાત્ક્ષણિક રોમાંચના પ્રતાપે ગઝલ આજે લોકપ્રિયતાના શિખરે આરુઢ થઈ છે એ સાચું,પણ ખરો અને દીર્ઘાયુષી કાવ્યાનંદ તો આજેય વિગત સમયના કબાટમાં સચવાઈ રહેલ આવા ઉમદા કાવ્યો જ આપી શકે. શિખરિણી છંદમાં લખાયેલ આ ચૌદ પંક્તિઓમાં સુન્દરમે પ્રેમી સ્વયંના અભ્યુદયના સ્વીકાર થકી પ્રેમિકાનું અને પ્રેમનું જે મહિમાગાન કરે છે એની મજા જ અલગ છે. અંધારાનો બુરખો ઓઢેલ વિરાટ ભુવનમાં ચાંદનીનું સહેજ તેજ રેલાતાં જ તમામ તાર-ગ્રહોનું સૌંદર્ય દીપી ઊઠે, એ જ રીતે પ્રિયાની પ્રીતિની દ્યુતિના સ્મરણમાત્રથી અવનવલ આનંદના કિરણોથી કથકની દુનિયા આખી ઝગમગ ઝગમગા થઈ ઊઠે છે. પ્રકૃતિ તો મનહર જ હોય, પણ પ્રિયજનની યાદના પ્રકાશ રેલાવાના લીધે છે એથીય અધિકતર મનોરમ્ય ને મનોગમ્ય અનુભવાય છે.
પણ ઠીક છે આ તો… બને એ તો કહીને કવિ આખાય નવોન્મેષનું પહાડી કદ તલભરનું કરી દઈ નવી જ વાતને ઉચ્ચાકાશે સ્થાપે છે. સુંદર સુંદરતમ બને એમાં કોઈ મોટી વાત નથી… મોટી વાત શેમાં છે? તો કે આજ સુધી જડ કહી શકાય એ હદે જે માણસ નીરસ હતો, એ પણ પ્રિયાની ઉપસ્થિતિના કારણે સ્વયંનેય ગમવા લાગે એમાં… ખરું ને? પોતાનું આ અનન્ય અને અભૂતપૂર્વ પરિવર્તન કેવળ પોતાની પ્રિયાને આભારી છે એમ કહીને કવિ આખી સૃષ્ટિના કાયાકલ્પને ગૌણ ગણાવી પ્રેમની મહત્તા સ્થાપિત કરે છે.
(આગાર=મકાન; દ્યુતિ= કિરણ ચમક, તેજ; સુષમા= સૌંદર્ય; તલકતલક=તેજથી ઝબૂક ઝબૂક થવું; લસવું=ચળકવું. ઝળાંઝળાં થવું; રસણ=કિરણ; જ્યોત્સ્ના=ચાંદની, ચંદ્રની સોળ કળામાંની એક)
Permalink
November 8, 2025 at 12:30 AM by વિવેક · Filed under ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્’, શશિશિવમ્, સોનેટ
(હરિણી છંદ)
શિશુસ્વપનની સૂકી કાઠી તણી ખડકી ચિતા,
સકળ મુજ શક્તિની કાયા અચેત સુવાડીને;
સળગતું અડાયું હૈયાનું લઈ, સુપ્રદક્ષિણા
પગ લથડતે કીધી, હાથે પ્રકંપિત અગ્નિથી
પરશ કીધું છેલ્લા સંસ્કારે; જરી, મુજ અંગુલિ
લઘુ અડકી ચિન્ગારી, દાઝયો, અને સહુ અંગમાં
પ્રસરી ગઈ અગ્નિજ્વાલાઓ, રહી વધતી
જતી વધત વયની સાથે, ભાર્યો ભૂંજે ઉર ખાલીપો.
જીવતરભર્યા ખાલીપાને ખભે લઈ આથડ્યો,
દહન મહીં શેકાયું આયુ વિછિન્ન થયું, છતાં
અકળ વહતા ચૈતન્યે જે અખૂટ ભર્યું તમે
પલપલ જીવ્યો, શ્વાસે શ્વાસે તમે ધબકી રહ્યા.
નવ અવ કશો ખાલીપો ને ઉરે સભરે ભર્યા;
સતત નીરખું જોડાજોડે, થતી નિત ગોઠડી.
– શશિશિવમ્
સ્મરણથી મોટી કોઈ સંજીવની નથી. સ્મૃતિલોક એવો ઓરડો છે, જેમાં વિગત તમામ બાબતો જીવનભર યથાવત્ રહી શકે છે. જીવનપથ પર અડધેથી સાથ છોડી ગયેલ જીવનસંગિનીને વળાવવા કવિ સ્મશાને આવ્યા છે, પણ પત્નીને સૂવડાવવા માટે જે ચિતા તૈયાર કરાઈ છે એ પૂરી ન થઈ શકેલ સંતાનઝંખનાના સૂકાઈ ગયેલ કાષ્ઠ ખડકીને બનાવાઈ છે. ચિતા ઉપર જે મૃતદેહ મૂકાયો છે, એમાં કવિને પત્ની નહીં, પોતાની જ તમામ શક્તિની અચેત થઈ ગયેલ કાયા દૃષ્ટિગોચર થાય છે. લથડતા પગે પ્રદક્ષિણા કરી, હૈયાનું અડાયું લઈ કવિ ધ્રુજતા અગ્નિથી પત્નીને આખરી સ્પર્શ કરે છે ત્યારે નાનકડી ચિનગારી એમની આંગળીને અડી જાય છે અને અગનજ્વાળાઓ કવિના અંગાંગમાં પ્રસરી વળે છે. જીવનભર સંતાનસુખના નામે ખાલીપો લઈને આથડ્યા બાદ બાકીનું આયખું ચિતાગ્નિમાં શેકાઈને વિચ્છિન્ન થઈ ગયું. પણ તમામ ધધકતી તકલીફોની વચ્ચે પણ પત્નીએ જે અખૂટ ચૈતન્યથી જીવતરને ભરી દીધું હતું, એના પ્રતાપે પળેપળ અને શ્વાસે શ્વાસે એનું સાંનિધ્ય હજીય અનુભવાય છે. ખાલી થઈ ગયેલ જીવનમાં ખાલીપો અનુભવાતો નથી. નિત્ય ગોઠડી માંડતી પત્ની હજીય સતત જોડાજોડ જ હોવાનું પ્રતીત થાય છે.
Permalink
October 23, 2025 at 12:30 AM by વિવેક · Filed under ચંદ્રકાન્ત ટોપીવાળા, સોનેટ
(પૃથ્વી સૉનેટ)
ઊડ્યા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા
ઊડ્યા જ કરવાનું આ ચરણ યુગ્મ સંકોરીને
ઊડ્યા જ કરવાનું હાંફભર ડોક લંબાવીને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ ને—
ઊડ્યા જ કરવાનું આ ગગન શૂન્યમાં, વાયુમાં
ઊડ્યા જ કરવાનું ખાલીખમ વાદળોમાં, ઊડ્યા
ઊડ્યા જ કરવાનું આ ધુમસમાં, નરર્યા ધૂમમાં
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ ઊડ્યા જ, ને—
ઊડ્યા જ કરવાનું ના ઊતરવાનું, થાક્યા છતાં
ઊડ્યા જ કરવાનું ભૂમિ પર ચક્કરો મારતાં
ઊડ્યા જ કરવાનું રે અડકવાનું ના ભૂમિને
ઊડ્યા જ કરવાનું આમ જ ઊડ્યા જ, ઊડ્યા જ, ને
ઊડ્યા જ કરવાનું! ક્યાંક ઊતર્યો હું જો ભૂલમાં
ઊડ્યા જ કરવાનું બંધ, ગતિ બંધ, હું ધૂળમાં!
– ચંદ્રકાન્ત ટોપીવાળા
ભાવાભિવ્યક્તિ માટે જે રીતે ચિત્રકાર રંગોનો ઉપયોગ કરે, એ જ રીતે કવિ શબ્દોનો. કોઈ વાત વજનપૂર્વક કહેવી હોય તો કવિ પુનરુક્તિ કરે. ક્યારેક ત્રિરુક્તિ પણ કરે. પણ અહીં? અહીં તો સૉનેટની ચૌદે ચૌદ પંક્તિની શરૂઆત ઊડ્યા જ કરવાનું‘થી થાય છે… એ સિવાય પણ રચનામાં અન્ય સાત જગ્યાએ ‘ઊડ્યા’ ‘ઊડ્યા’નો ફફડાટ સંભળાય છે. સહેજ પણ અટક્યા વિના કે વિરામ લીધા વિના આમ જ ઊડતા જ રહેવાના શાપને કોઈ આથી વધુ તો કેટલો અધોરેખિત કરી શકે?! (બાય ધ વે, અભિશપ્ત એટલે જેને શાપ આપવામાં આવ્યો છે એ) ભૂલેચૂકેય જો ઊડવાનું બંધ કરીને જમીન પર પગ મૂક્યો કે જીવતર ધૂળમાં…. કવિતાની આ બાહ્યાભિવ્યક્તિના પડળ નીચે પણ કવિ કંઈક કહી રહ્યા છે…. સંભળાય છે?
Permalink
October 17, 2025 at 12:30 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
તને ચ્હાતાં ચ્હાતાં તવ સ્વરૂપની માનસછવિ
ગયો સર્જી મારે હૃદય વસતો ગોપન કવિ!
તને એ તો હાવાં નવ નવ સ્વરૂપે નિરૂપતો,
વળી હું ના જાણું સહુ સૃજનમાં એમ છૂપતો;
તને કીધી એણે પ્રગટ નભમાં ને જલથલે,
વળી આ સૃષ્ટિનાં સહુ અચલનાંયે દલદલે;
અને એમાં, પૂર્વે તવ કંઈ હું પામ્યો પરિચય
થયો એનો રે વિસ્મરણ મહીં સંપૂર્ણ વિલય!
હવે હું એ તારા અસલ રૂપને ના લહી શકું,
તને હાવાં તારા અસલ સ્વરૂપે ના ચહી શકું;
તને ખોવી મારે મુજ પ્રથમના મુગ્ધ મનથી,
તને જોવી મારે હૃદયકવિના એ નયનથી!
કશી તારી લીલા, કવિ, ન કળતો હું તવ છલ!
સુગંધે ન્યાળું છું, અસલ રૂપ એનું, શતદલ!
– નિરંજન ભગત
(૧૯૪૮)
લગભગ પચ્ચીસસો વર્ષ પૂર્વે હેરક્લાઇટસે કહેલી બે વાત યાદ આવે છે: એક, “The Only Constant in Life Is Change.” અને બે, “No man ever steps in the same river twice, for it’s not the same river and he’s not the same man. ” પરિવર્તન સંસારનો સાર્વત્રિક નિયમ છે. હૃદયમાં પ્રણયના અંકુર ફૂટે ત્યારે દુનિયા હોય એથી વધુ સુંદર લાગે. કહેવાય છે કે લૈલા સહેજ પણ રૂપાળી નહોતી,પણ મજનૂને મન એ સંસારની સૌથી સુંદર સ્ત્રી હતી. અહીં પણ કથકના હૃદયમાં ગોપિત રહેલ કવિ પ્રિયતમા છે એથી અલગ જ માનસછબી સર્જે છે. પણ એમ કરવા જતાં ખરો પરિચય વિસ્મૃતિની ગર્તામાં વિલીન થઈ ગયો. હવે એ અસલ રૂપને તો ચાહી શકાય એમ નથી… કવિમનની અકળ લીલાઓ અને છળ પણ કળી શકાય એમ નથી. પણ એ જ કવિ શતદલા પ્રેયસીને સુગંધ સ્વરૂપે ફરી નિહાળી શકે છે…
Permalink
March 14, 2025 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, કાવ્યકણિકા, ગીત, જગદીશ ધનેશ્વર ભટ્ટ, જયન્ત પાઠક, ઝવેરચંદ મેઘાણી, દેશળજી પરમાર, નિનુ મઝુમદાર, નિરંજન ભગત, પ્રહલાદ પારેખ, બાલમુકુન્દ દવે, મુક્તક, રંગ અવધૂત, રાજેન્દ્ર શાહ, રામનારાયણ વિ. પાઠક, વેણીભાઈ પુરોહિત, સંકલન, સુન્દરમ, સોનેટ
ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…
ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-
આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.
ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!
દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-
પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.
બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-
બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!
બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’
નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-
સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત
બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-
ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.
બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ
‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી
વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી
ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ
રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-
હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ
દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!
નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-
વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!
તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?
ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.
સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:
વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!
હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-
અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?
જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-
શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!
રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.
કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.
Permalink
December 13, 2024 at 12:30 AM by વિવેક · Filed under પિતૃવિશેષ, ભગવતીકુમાર શર્મા, સોનેટ
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.
આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.
– ભગવતીકુમાર શર્મા
સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!
લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!
Permalink
December 12, 2024 at 12:30 AM by વિવેક · Filed under પિતૃવિશેષ, ભગવતીકુમાર શર્મા, સોનેટ
જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.
પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.
થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.
– ભગવતીકુમાર શર્મા
પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!
Permalink
December 7, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, પિતૃવિશેષ, સોનેટ
અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!
– ઉશનસ્
લયસ્તરોની બે દશકની કાવ્યયાત્રા નિમિત્તે આદરેલ પિતૃવિશેષનું આજે આ ત્રીજું ચરણ.
પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)
પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે પુત્રને જે નવો અને અદભુત અનુભવ થાય છે એને કવિએ ચૌદ પંક્તિઓમાં સંયત ભાષામાં આલેખ્યો છે. જે ઘરમાં પોતે જન્મ લઈ મોટો થયો હશે, એ જ ઘર આજે પુત્રને મોટા હવડ અવકાશ જેવું ખાલી અને અવાવરું ભાસે છે. ઘરમાં ઉપસ્થિત ચિરપરિચિત વસ્તુઓ-ફર્નિચર વગેરે સાથે કવિને વર્તમાન નહીં, પણ અન્ય કોઈ જનમનો પરિચય હોવાનું પ્રતીત થવાથી થોડા કૌતુક સાથે, થોડા અપરિચય સાથે એ જોઈ રહે છે. ઘરની વળગણી ઉપર સૂકવવા મૂકેલ પિતાજીનું પંચિયું હજીય ત્યાં જ લટકતું હતું. પંચિયું એટલે નહાવા જતી વખતે પહેરવાનું નાનું ધોતિયું. પ્રવાસ દરમિયાન પહેરેલ કપડાં કાઢીને દીકરો પિતાજીનું પંચિયું પહેરી સ્નાન કરે છે અને પછી દેવપૂજા કરવા માટે શણિયું પહેરે છે. શણિયું એટલે સ્નાન કર્યા પછી પહેરવાનું લૂગડું. પૂજા કરતાં પૂર્વે પિતાજી કપાળ પર ત્રણ આંગળીથી સુખડની ત્રિવલ્લી બનાવી ભસ્મ લગાડતા હતા એનું જ અનુસરણ દીકરો પણ અજાણતાં કરી બેસે છે પણ પછી અરીસામાં સ્વયંને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દીકરાને અરીસામાં પોતાના સ્થાને પિતા નજરે ચડે છે. પિતાજીની જેમ જ બપોરે એક ઊંઘ ખેંચી ઊઠ્યા બાદ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ પણ દીકરો કરે છે. રાત્રે પિતા સૂતા હતા એ જ પથારીમાં એ ઓઢતા હતા એ જ ગોદડું ઓઢીને દીકરો સૂઈ પણ જાય છે. નાનપણથી પિતાજીની દિનચર્યા જોઈ જોઈને જે સંસ્કારો ઘડાયા હશે, એ સંસ્કારવશ પુત્ર એ હદે પિતાજીની દિનચર્યાનું અનુકરણ કરે છે કે પુત્રને પોતે જ પિતા હોવાનું ભાન થાય છે. એટલે જ પુત્રને પોતાની નનામી, અને ચિતા પર બળતું પોતાનું શબ પણ નજરે ચડે છે. સંતાનને પોતે જ પોતાનો પિતા હોવાનું સત્ય સમજાય છે એટ્લે કે પોતાના પિતા પોતાનામાં હજી પણ જીવતા હોવાની પ્રતીતિ થાય છે, કારણ કે પુત્ર જીવતો રહે ત્યાં સુધી પિતા મૃત્યુ પામી જ ન શકે. પુત્રના સ્મરણમાં એના પિતા પુત્ર જીવતો રહે ત્યાં સુધી જીવતા જ રહેવાના. વિલિયમ વર્ડ્સવર્થનું બખુખ્યાત વિધાન પણ આ તબક્કે યાદ આવે: ‘the child is father of the man.’
Permalink
September 5, 2024 at 12:30 AM by વિવેક · Filed under રાવજી પટેલ, સોનેટ
ધીરે રહી પમરતું પ્રભાતિયું, ને
માંચી મહીં બચબચ્યું શિશુ. કાન વાગ્યા
કો શ્વાનના. સળવળ્યો પથ, શાંત પાછો.
ચોપાસ મંદ પ્રસરે ભળભાંખળું થૈ
તંબૂર. ને મન વિષે કશી રિક્ત શાંતિ.
ઉતાવળી ગરગડી થઈ કો’ક કૂવે
ખેંચ્યે જતી ઘટ હવે. સણકોરવાયો
અગ્નિ સ્વયં. ખળભળ્યું મન કો વલોણે.
ઓ સીમમાં સકલ ભાંભરતી ગમાણો
ચાલી ગઈ, નયનબ્હાર ઘડીકમાં તો
ભીની જગા કલકલી ઊઠી—સ્પર્શ મ્હોર્યો
પાસે, ફરે કર, કઠોર પડેલ સાંઠી.
કેવે સમે સૂરજ પૂર્વ વિષે પ્રકાશ્યો!
ખોળ્યા કરું હજીય ભસ્મ મહીં…
– રાવજી પટેલ
કહે છે કે શીર્ષક રચનાપ્રવેશ માટેની કૂંચી છે. પ્રસ્તુત રચના આ પૂર્વધારણાનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. શીર્ષક ન હોય તો આ રચનામાં બેને બે ચાર કરવું દોહ્યલું થઈ પડે. પરોઢનો સમય તો પ્રથમ પંક્તિ વાંચતા સમજાઈ જાય, પણ શિયાળાની સવારે જીવનની સાંજે આવી ઊભેલ એક વૃદ્ધ તાપણી પાસેથી હૂંફ મેળવતાં આ વાત આપણને કહી રહ્યો છે એ હકીકત શીર્ષકની સહાય વિના શી રીતે સમજાય? અને સૉનેટની ભાષા તો જુઓ! માંચી-બચબચ્યું-ઘટ-ઉતાવળી ગરગડી-સણકોરવાયો-કલકલી-સાંઠી –આ શબ્દો રાવજી સિવાય સૉનેટમાં પ્રયોજવાનું ગજું તો ઉમાશંકર કે સુન્દરમ્ જેવા સૉનેટસ્વામીઓનું પણ નહીં! આ તળપદી ભાષાના કારણે ગ્રામ્યજીવનની સવારા વધુ હૃદ્ય અને વધુ સજીવ બની છે.
શિયાળાની સવારે પથારી છોડવી એ કેટલું મુશ્કેલ કાર્ય છે એ આપણે સૌ જાણીએ જ છીએ. અહીં પણ એવા જ એક પ્રભાતની વાત છે. આળસ છોડવી અઘરી લાગતી હોય એમ પ્રભાત પણ ધીમે ધીમે પમરે છે. પારણામાં બાળક ક્ષણેક બચબચ કરે છે એ સિવાય આખી દુનિયા શાંત છે. બાળકનો અવાજ સાંભળીને એકાદ કૂતરું અને જાણે કે એ મિષે આખો માર્ગ ઘડીભરા સળવળીને વળી શાંત થઈ જાય છે. ક્યાંકથી કોઈક તંબૂરનો તો પાદરના કૂવેથી ગરગડીનો સ્વર આ રિક્ત શાંતિમાં થોડો થોડો ચણભણાટ કર્યે રાખે છે. બહુ ઓછી પંક્તિમાં શિયાળાની સવારના ગામડાનું શબ્દચિત્ર આલેખી કવિ તાપણીનો અગ્નિ સંકોરાય છે એજ રીતે વાત સંકોરીને સુકાન ફેરવે છે. મનમાં કોઈકની યાદોનું વલોણું ફરવું શરૂ થાય છે. દૂરની સીમમાં સૌ ગમાણો ચાલી ગઈ જેવા અનૂઠા વાક્યપ્રયોગથી કવિ ગાયોનું જતન કરનારી સીમની પેલે પાર ચાલી ગઈ હોવા તરફ ઇંગિત કરે છે. લાગણીની ભીનાશ અને સ્પર્શની હૂંફ બંને અનુભવાય છે. જનાર વ્યક્તિનો હાથ કઠોર થઈ ગયેલ કાયા ઉપર વહાલથી ફરતો અનુભવાઈ રહ્યો છે. પણ આ સ્મરણસ્વર્ગમાં વધુ સમય રહેવા મળે એ પૂર્વે તો પૂર્વમાં સૂર્ય જાણે કે કટાણે ઊગી નીકળતાં કથકને વાસ્તવની ધરતી પર નાછૂટકે પાછા ફરવું પડે છે. સંકારાયેલ તાપણીની રાખમાં વિગત સ્વજનની સ્મૃતિ ખોળવા સિવાય હવે વૃદ્ધ કરેય શું! ગામ આખું રજાઈ તળે કેદ હોય એવા સમયે જીવનસાથીની હૂંફ અને સાથ તાપણામાંથી મેળવવાની વૃથા કોશિશ કરતા વૃદ્ધની વેદના આપણને સ્પર્શ્યા વિના રહેતી નથી…
કેવું અદભુત સૉનેટ!
(માંચી= પારણું)
Permalink
August 30, 2024 at 12:30 AM by વિવેક · Filed under કુલીનચંદ્ર યાજ્ઞિક, સોનેટ
(પૃથ્વી)
વિદાય! વસમી ઘડી! વરસ કૈં વીત્યાં દોહ્યલાં,
સરસ્વતી ઉછંગમાં, ઉર ઉમંગ-ઉત્સાહમાં;
કંઈ વળી નિરાશમાં; ક્વચિત સાગરે જ્ઞાનના
પીયૂષલવ પામવા; કદીક આત્મની ખોજમાં.
વિયોગ! કપરી પળો! સ્વજનથી થવું જૂજવા,
તજી મધુર ગોઠડી, સ્મરણ માત્ર લૈ સાથમાં!
વિદાય, મુજ ભેરૂઓ! સફર-સાથીઓ! બાંધવો!
તટસ્થ સહુ સાક્ષીઓ! પ્રતીપ પથ્યના એ! વિદા!
વિચાર, મન! નિત્ય કેવળ અહીં પરિવર્તનો
અનિત્ય જગમાં, થઈ પ્રગટ અત્ર અવ્યક્તથી,
જરીક રમી વ્યક્તમાં, સરી જવું જ અવ્યક્તમાં-
નિસર્ગ તણી રીત આ; ત્યહીં ન મોહ કે શોક ના!
વિમુક્ત અવ સંચરો, ચરણ! પંથ શોધો નવા,
નવી જ કંઈ સાધના, તપ નવીન, યજ્ઞો નવા!
– કુલીનચંદ્ર યાજ્ઞિક
આવ્યા એ તમામનું જવું પૂર્વનિર્ધારિત અને સુનિશ્ચિત હોવા છતાં મનુષ્યો મૃત્યુને સ્વીકારવા ભાગ્યે જ તૈયાર થાય છે. પ્રસ્તુત સૉનેટ એ જવાની તૈયારીનું કાવ્ય છે. વિદાયની ઘડી વસમી ઘડી છે એના સ્વીકાર સાથે કવિ જીવનનાં લેખાંજોખાં માંડે છે. વિગત વર્ષો અભ્યાસમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વીત્યાં છે. આ વર્ષો ક્યારેક જ્ઞાનસાગરમાંથી બુંદભર અમૃત પામવા માટે તો ક્યારેક સ્વની ખોજ કરવામાં વીત્યાંછે, ક્યારેક ઉમંગ સાથે તો ક્યારેક નિરાશા સાથે વીત્યાં છે. સ્વજનોથી અળગાં થવાની પળો કપરી છે. સ્વજનો, ભેરૂઓ, સફરના સાથીઓ, તથા જીવનની તડકી-છાંયડીના તટસ્થ સાક્ષીઓ – આ તમામથી હવે વિયોગ થનારો છે. આ અનિત્ય જગમાં પરિવર્તન જ નિત્ય છે. (યાદ આવે: The Only Constant Is Change- Heraclitus) અવ્યક્તથી વ્યક્ત થઈ ફરી અવ્યક્તમાં સરી જવુંએ જ પ્રકૃતિની રીત છે. એનો મોહ કે શોક ન હોય, કરવો પણ ન જોઈએ. જીવનની બેડીઓથી મુક્તિ મળવી એટલે નવા પંથ શોધવાનો, નવી સાધના,નવા તપ, અને નવા યજ્ઞો કરવાની નવ્ય તક!
(ઉછંગ-ખોળો; પીયૂષલવ=અમૃતનો અંશ, જૂજવા=અલગ; પ્રતીપ=પ્રતિકૂળ; પથ્ય=મંગળ)
Permalink
August 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under મણિલાલ દેસાઈ, સોનેટ
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈ છ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય શમણાં!
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે વર્ષો તો દિન દિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
– મણિલાલ દેસાઈ
સૌને આસાનીથી સમજાઈ જાય એવી સહજ સરળ ભાષામાં લખાયેલ આવા સૉનેટ ઝાઝાં જોવાં મળતાં નથી. કથકની બાના નિધનને દસ-બાર વર્ષ થવા આવ્યાં છે, પણ બાની યાદ કવિહૈયે એવીને એવી તરોતાજા જ છે. જીવનના વિકટ પથમાં કવિ માટે બા જ સર્વસ્વ છે. વહેતા સમય સાથે હવા થોડી બદલાઈ ગઈ છે, પણ બાની સ્નેહવર્ષા, હાલાના રણકા અને કાયા કવિના અસ્તિત્વમાં એવાં ને એવાં સચવાઈ રહ્યાં છે. રાત્રે ઊંઘ ઊડી જાય ત્યારે બા ઢબૂરીને સૂવડાવી દેતી હતી અને ખોવાઈ ગયેલાં શમણાંઓ સાથે પુનઃસંધાન થઈ જતું હતું, પણ એ સુખ હવે નસીબે રહ્યું નથી. સમય સતત વીતતો જતો હોવા છતાં કવિને બચપણના દિવસોની બાની હાક હજી કેમ બોલાવી રહી છે એ વિમાસણ સાથે આ મજાનું સૉનેટ જ્યાં વિરમે છે, ત્યાંથી જ ભાવકના લાગણીતંત્રમાં લાંબો સમય સુધી શમી ન શકે એવો રણઝણાટ શરૂ થાય છે.
Permalink
August 17, 2024 at 12:23 PM by વિવેક · Filed under ચંદ્રકાન્ત શેઠ, શબ્દસુમન, સોનેટ

યદા તુજ દૃગે ભમે ગરલવર્ણ ઈર્ષ્યા, તદા
પુરાણ નગરી તણા વિજન ક્યાંક ખંડેરમાં,
ભમંત સુણું કોક ડાકણનું હાસ – જે સાંભળ્યે
ખરે નભથી તારકો, રુદન થૈ જતું શ્વાનથી!
પ્રકોપ તવ નેત્રમાં અનલવર્ણ ઊઠે, તદા
નિહાળું છલકંત ખપ્પર વિશાળ પાંચાલીનું,
અનેક સમરાંગણો કણકણે ભર્યાં રક્તનાં,
અસંખ્ય ડૂબતા, મરે અસુરવૃત્તિ દુઃશાસનો.
દૃગે પ્રણયસિક્ત ને કુમુદવર્ણ નર્તે સ્મિત,
તદા મનુજ-ઉત્સવ! દ્યુતિ લસંત આનંદનો
શશી હૃદયમાં દ્રવી અમૃત ઉલ્લસાવી રહે
ચકોર નયનો મહીં પ્રણયની નરી માધુરી!
ધરી વિવિધ રૂપ જે રસ રમે ઉઘાડાં ચખે,
નિમીલિત ચખે થઈ પરમ શાંતિ તે શો ખીલે!
– ચંદ્રકાન્ત શેઠ
સદ્ અને અસદ્ –માનવજીવનના સિક્કાની બે બાજુ છે. જે રીતે અલગ અલગ સાત રંગ ભેગા થઈ શ્વેત રંજ નિપજાવે છે, એ જ રીતે ઈર્ષ્યા, શોક, ક્રોધ, વેર, અસુરવૃત્તિ જેવા દુર્ભાવ અને પ્રણય, આનંદ, ઉલ્લાસ જેવા મધુર સદ્ભાવ ભેગાં થઈ શાન્તરસનું સર્જન કરે છે એ બાબત પ્રસ્તુત સૉનેટમાં બહુ સરસ રીતે રજૂ થઈ છે. સૉનેટની પ્રથમ આઠ પંક્તિઓમાં કવિએ મહાભારતનો સંદર્ભ લઈને અલગ-અલગ દુર્ભાવની અને એની અસરોની વાત કરી છે. પછીની ચાર પંક્તિઓમાં પ્રણય અને આનંદોલ્લાસની વાત કરી છે. આપણે મનુષ્યો આ અલગ-અલગ રસોમાં રત રહી જીવન વીતાવી દઈએ છીએ, પણ બુદ્ધ જેવા કોઈક મહાપુરુષ નિમીલિત નયને આ તમામ રસ અને ભાવોનું સંગોપન કરીને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.
(ગરલ= વિષ; અનલ= અગ્નિ; દ્યુતિ= તેજ; લસંત= શોભતું; ચખ= આંખ: નિમીલિત=અર્ધખુલી અર્ધબીડી)

Permalink
August 9, 2024 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(શિખરિણી)
અમારી યાત્રા આ પ્રવિશતી હવે નામ વિણનાં
નર્યા આશ્ચર્યોમાં, પરિચય વિનાની પૃથિવીમાં;
ગયાં છેલ્લાં છેલ્લાં તરુ, વસતિનાં ખેતર ગયાં,
વિધાતાનાં વાવ્યાં અસલ અટવી ઊઘડી રહ્યાં!
અજાણ્યા પ્હાડોનાં અચરતભર્યા શૃંગ ઊઘડે,
અજાણ્યાં ઝાડોમાં નજર ઊડતી નામ ચૂગતી,
જતું થાકી હારી કુતૂહલ અહીં ગીચ વગડે,
દીધાની સંજ્ઞાઓ સકલ ચીજને શક્તિ જ નથી
અમારી લોકોની – વનથી નિરવાસ્યા જનતણી.
અનામી વ્હૈ જાતાં ઝરણ, રણકે કંકર-કણી,
અજાણ્યાં પર્ણોની ખરતી ખખડંતી ડુગડુગી,
અહીં છોડી દૈને ગણતરી ઊભી સંસ્કૃતિ મૂગી !
અનામી પ્હાડોના પરિચય વિનાના તરુવને
ન મારું યાદા’વે અવ નગરનું નામ જ મને.
– ઉશનસ્
સંસ્કૃતિના આવરણ ઉતારીને પ્રકૃતિના ખોળે જનાર માનવીની અનુભૂતિનું જયન્ત પાઠકની કલમે આલેખાયેલ એક સૉનેટ આપણે ગઈ કાલે જોયું. એમના જ મસિયાઈ ભાઈ ઉશનસનું એ જ વિષયને લગતું એક સૉનેટ આજે માણીએ. કવિએ સાપ-ઉતારા, ડાંગમાં અનહદની સરહદે શીર્ષકથી એક સૉનેટ-ગુચ્છ રચ્યું હતું એમાંનું એક તે આ.
જયન્ત પાઠકે પ્રકૃતિના ખોળે વસ્ત્રો ત્યાગી દઈ આદિમતા અનુભવી હતી, જ્યારે ઉશનસ અનામી જંગલોમાં ઓળખનો ત્યાગ કરે છે. સાપુતારા, ડાંગના મનુષ્યોની વસ્તી, ખેતરો અને મનુષ્યોએ રોપેલાં વૃક્ષોની સીમા વટાવી કાવ્યનાયક કુદરતનિર્મિત જંગલોમાં પ્રવેશે છે ત્યારે જે અનામી આશ્ચર્યો અનુભવે છે એની વાત અહીં કરે છે. અજાણ્યાં પહાડો અને અજાણ્યાં ઝાડ નામજોગ પિછાનને મિટાવી દે છે. નિસર્ગના અંકમાં એટલું તો નાવીન્ય ભર્યું છે કે કુતૂહલ સિક્કે થાકી જાય. ઝરણાં-કંકર-પર્ણો બધું જ નામ વિના પોતપોતાનો ભાગ ભજવે છે. પ્રકૃતિની સંસ્કૃતિ લીધા-દીધાની કોઈ જ ગણતરી વિનાની છે. કુદરત સાથેનું તાદાત્મ્ય અનુભવવાની ઉશનસની રીત એમના મસિયાઈ ભાઈ કરતાં ભિન્ન છે. પ્રકૃતિના સાંનિધ્યમાં આવીને કવિ પોતાનું અને પોતાના નગરનું નામ સુદ્ધાં ભૂલી જાય છે… એ રીતે તેઓ પણ આ અજાણ્યાં વનપ્રદેશનો એક અનામી હિસ્સો બની રહે છે.
Permalink
August 8, 2024 at 10:59 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં
પહેરી લૌં લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.
ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી,
રજોટાતો, પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.
સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે;
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.
પુરાણું આ મારું વન-ઘર, નહીં છપ્પર-ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય રમતો.
– જયન્ત પાઠક
સંસ્કૃતિ એ આપણી આદિમતાની ઉપર ચડાવેલ ઢોળ છે. ઢોળ ઉતરી જાય તો સાચી પ્રકૃતિ પ્રગટ થાય. સમાજના ઢાંચામાં યંત્રવત જીવન જીવતા મનુષ્યોને સમય સમયે એના આદિમ સંસ્કારો સાદ દે છે, પરિણામે આપણે વેકેશન લઈને જંગલ-પર્વત-નદી-સમુદ્ર-રણના ખોળે રમણ કરવા પહોંચી જઈએ છીએ. પ્રસ્તુત રચનામાં કવિ વનમાં જાય છે ત્યારે એમને ઘણા દિવસે વેકેશન લીધું એવી નહીં, પણ ઘણા દિવસો પછી સ્વગૃહે પરત ફર્યાની અનુભૂતિ થાય છે. વનમાં પહોંચતાવેંત કથક સભ્ય સમાજે પહેરાવેલ વાઘાં ત્યજીને અસલ વાતાવરણમાં આદિવાસીની જેમ વિહાર કરવો આદરે છે.
સૉનેટના બીજા ચતુષ્કમાં કથક પ્રકૃતિના નાનાવિધ જીવો સાથેના તાદાત્મ્યની અનુભૂતિ સહિયારે છે. નિજની અસલિયત સાથે મુખામુખ થવા મળે એથી વધારે અસરદાર આસવ બીજો શો હોઈ શકે? વાત આદિમતાની અનુભૂતિની હોય અને જાતીય આવેગોનો પ્રાદુર્ભાવ ન થાય એ કેમ બને? નાની નાની ટેકરીઓ પર ઉગેલાં વૃક્ષોમાં કવિને હાથથી પસવારતાં સ્તનો પર થતાં રોમાંચ જેવા ભાસે છે. બે ટેકરીઓની વચ્ચેથી દ્રુત ગતિએ ગીત ગાતાં ગાતાં ગૂઢ ખીણમાં ઉતરતા ઝરણાંમાં કવિને સંભોગની ચરમસીમાએ થતો સ્ફોટ અનુભવાય છે. છાપરા અને ભીંતા વિનાના આ નિવાસમાં સૂર્ય પણ શરમ નેવે મૂકીને અંધારા સાથે ક્રીડા કરે છે.
આપણા કાવ્યસાહિત્યમાં આ પ્રકારની અભિવ્યક્તિ જૂજ જ જોવા મળે છે.
Permalink
May 30, 2024 at 12:30 AM by વિવેક · Filed under બળવન્તરાય ક. ઠાકોર, સોનેટ
‘મુબારક હજો નવૂં વરસ!’ ‘સાલ આ બેસતી
દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!’
ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂં ઊચરે,
હુંયે સ્મિત સહે સહૂં, વિનયિ વાળું છૂં ઉત્તરે,
ઘડીક વળિ ગોઠડી કરિ રહું કૃતક ઉમળકે.
પછી સહુ સિધાવતાં વિરમું એકલો હીંચકે,
ચિરૂટ સૃત ધુમ્રગોટ સહુ ધૂણતું મસ્તકે.
વધે કદમ હીંચકો, કદમ તે જ પાછો ગણે,
વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.
સદા હલત તોય ઇંચ નવ હીંચકો ચાલતો,
ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો.
દિસે છ મગજે ચિરૂટ સમ હીંચકા શૂં થતૂં,
રહે ચલ રહે જળંત, પણ માત્ર હાંફયે જતૂં;
યથા શુનક માર્ગમાં, ન નિરખંત ના ઊંઘતૂં. .
– બળવન્તરાય ઠાકોર
કવિની સૉનેટમાળાનો આ પ્રથમ મણકો. એ સમયે છંદ આધારિત જોડણી કરવાનું ચલણ હોવાથી એ જ જોડણી અહીં પણ કાયમ રાખી છે. બીજું, સૉનેટની પરંપરિત સ્વરૂપવિધાને કોરાણે મૂકીને કવિએ 5-4-5 એવી વિશિષ્ટ પંક્તિ પ્રયોજના અને યુગ્મ-યુગ્મ-ત્રિક / યુગ્મ-યુગ્મ-ત્રિક એવી પ્રાસવ્યવસ્થા સ્વીકારી છે. આટલી ટિપ્પણી સાથે કવિતા તરફ વળીએ.
નવા વરસના દિવસે લોકો એકબીજાને મળે અને રુઢ થઈ ગયેલ પોપટિયાં શુભવચનો એકબીજાને પાઠવે એની નિરર્થકતા પર આ રચના તીવ્ર કટાક્ષ કરે છે. મુબારકથી રચનાની શરૂઆત થાય છે, પણ આગળ જતાં સમજાય છે કે અહીં કશું જ મુબારક નથી. લોકાચાર જાળવવા ખાતર પઠવાતી શુભેચ્છાઓનો મારો નાયક પણ સ્મિતસહિત સહે છે અને વિનયપૂર્વક ઉત્તર પણ વાળે છે. થોડી વાર કૃત્રિમ ઉમળકો દાખવી પરસ્પર ગોઠડી પણ તેઓ કરે છે.
પણ પછી નાયક જ્યારે એકલો પડી ચિરૂટ પીતા પીતા હિંચકે છે, ત્યારે એ ચિરૂટના ધુમાડાના ગોટાની ભેગાભેગો વિચારગોટે ચડે છે. હીંચકો જે રીતે આગળ-પાછળ ગતિ કરે છે, એ જ રીતે નાયકના માથા પર મંડરાતો ધુમાડો અને મગજમાં ચાલતા વિચારો પણ આગળ-પાછળ ગતિ કરી રહ્યા છે. પણ આ ગતિ હીંચકા જેવી છે. સતત ચાલતો હોવા છતાં હીંચકો જ્યાંનો ત્યાં જ રહે છે, ચિરૂટ બળે છે પણ ધુમાડો ત્યાંને ત્યાં જ વમળાયે રાખે છે. કવિ નવતર પ્રતીકયુગ્મ સાથે પોતાના મગજને સરખાવતાં કહે છે કે મગજ પણ હીંચકા જેવું જ ચલાયમાન છે અને ચિરૂટની જેમ જ ભીતરથી સળગતું રહે છે. વિચારો ગતિમાન હોવા છતાં મગજ ત્યાંનું ત્યાં જ રહે છે અને દંભી સમાજવ્યવહારને લઈને સતત બળતું રહે છે. સ્થિર-ગતિમાન હીંચકા અને સળગતી ચિરૂટ સાથે સરખામણી કર્યા બાદ કવિને મગજ માટે નવું જ રૂપક સૂઝે છે- કૂતરો! ખુલ્લી આંખે ઊંઘવા બરાબર અવસ્થામાં રસ્તામાં પડ્યા પડ્યા હાંક્યા કરતા કૂતરા સાથે કવિ મગજને સરખાવે છે. નથી એ આરામ કરતું, નથી કશું જોઈ શકતું.
કાવ્યારંભે નવા વરસના આગમનની શુભેચ્છાના કારણે જે પ્રસન્નકર વાતાવરણ રચાયું હતું એની પોકળતા અને દંભ કાવ્યાંતે આવતાં સુધીમાં ઉજાગર થઈ જાય છે.
(કીરતી-કિર્તી; સૃત- માર્ગ, જવું તે; સેલતો –સેલવું, હીંચકા ખાવા; જળંત- સળગતું; શુનક-શ્વાન)
Permalink
May 4, 2024 at 12:30 AM by વિવેક · Filed under સુરેશ હ. જોશી, સોનેટ
(શિખરિણી)
જતી વેળા એણે ઘડી નજીક બેસી કહ્યું ધીમે:
“ઘડી ભૂલી આજે સકળ દિલનાં દર્દ સખીરી!
જરા ગાઈ લેને મધુ હલકથી ગીત ગમતાં!’
જગાડ્યું ઢંઢોળી જડવત બનેલું હૃદય મેં
છતાં ના કૈં સૂઝયું! મથી મથી રુંધી ભીષણ વ્યથા,
મીઠાં આછાં સ્મિતે નયન છલકાવ્યાં, શી છલના!
…અને સૂરો છેડયા, રહી સહી ધરી દીધી સુષમા.
અધૂરા સૌ કોડો સળવળી ઊઠ્યા, સ્વપ્ન મ્હેક્યાં,
અષાઢી આકાશે ઝળકી વીજળી, મેઘ ઉલટ્યા,
હવા નાચી ઊઠી લઘુક શિશુશી મુગ્ધ તરલા,
અરે, આ તે કેવી ભરતી ઉમટી, લોઢ ઉછળ્યા!
મદે ઘેલું હૈયું પરવશ બનીને ઢળી પડ્યું.
પછી જાગી ત્યારે નયન ધૂંધળાં, ના કશું લહ્યું!
શમી ગૈ સૌ લીલા, કમનશીબ હૈયું ઝૂરી રહ્યું!
– સુરેશ હ. જોષી
બે જણ અલગ પડે અથવા થવું પડે એની પાછળ અનેક કારણ હોઈ શકે. કાયમી વિદાયની પળ આમ તો બંને પ્રિયજન માટે હૃદયવિદારક જ હોવાની, છૂટાં થતી વખતે પુરુષ ઘડીભર માટે સ્ત્રીની નજીક બેસીને ધીમા અવાજે સખીરી સંબોધન કરીને દિલનાં સઘળાં દર્દોને ઘડી માટે વિસારે પાડી દઈ મધુ હલકથી ગમતાં ગીત ગાવાને ઈજન આપે છે. અચાનક મળેલા આ નેહનિમંત્રણના કારણે સ્ત્રી આવી પડનાર જુદાઈના અસહ્ય ઘાથી જડ થઈ ગયેલ હૃદયને ઢંઢોળીને જગાડે તો છે, પણ શું ગાવું એ સૂઝતું નથી. હયાતી ફરતે નાગચૂડ જમાવતી ભીષણ વ્યથાને યત્નપૂર્વક રૂંધી દઈ એ સજળ નેત્રે મીઠું આછું સ્મિત વેરે છે, બસ! પણ દિલ તો ચીસ પાડીને પોકારે છે કે આ છલના છે. આખરે ત્યક્તા સૂર છેડી રહી સહી શોભા પણ જનારના ચરણે ધરવામાં સફળ થાય છે. હોઠેથી ગીત ફૂટતાવેંત અધૂરા અરમાનો સળવળી ઊઠે છે, સ્વપ્નો મહેંકવા લાગે છે. અષાઢી કાળાભમ્મર આકાશમાં વીજચમકારનો અજવાસ પથરાઈ વળે છે અને બાંધ્યા બંધ તૂટી પડ્યા હોય એમ મેઘો વરસવા માંડે છે. નાના શિશુ સમી મુગ્ધ અને ચંચળ હવા નર્તન કરવા માંડે છે. આભ આંબતા મોજાં ઊછળે એવી પ્રચંડ ભરતી અનુભવતું હૈયું મનના માણીગરને પરવશ થઈ ઢળી પડે છે.
સૉનેટની પ્રથમ બાર પંક્તિઓ વાંચીએ ત્યાં સુધી તો આપણને એમ જ લાગે કે છૂટા પડતા બે આપ્તજનો વચ્ચેની સ્નેહની કડી પુનર્જીવિત થઈ ગઈ છે. પણ ખરો વળાંક તો ત્યાર પછી આવે છે. આખરી બે કડીમાં સાચા અર્થમાં આઘાતજનક રહસ્યસ્ફોટ થાય છે. નાયિકા ‘પછી જાગી ત્યારે’ કહે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અત્યાર જનારો તો ક્યારનો સિધાવી ચૂક્યો છે. આપણે જે માણ્યું એ તો સ્વપ્નમાત્ર હતું. આંસુથી ભરેલી આંખોથી જીવન ધૂંધળું દેખાય છે, પણ નાયિકા આંસુ લૂછતી નથી. શમણાંની બધી લીલા આખરે શમી ગઈ. હવે કમનસીબ હૈયાના હિસ્સે ઝૂરવા સિવાય કશું જ બચ્યું નથી. કવિએ અહીં કેવળ ત્યક્તાની વેદનાને જ વાચા આપી હોવાથી એને છોડીને જનાર પુરુષે કોઈ તકલીફ અનુભવી હશે કે કેમ એ કેવળ ધારણાનો વિષય જ બની રહે છે.
કેવું અદભુત સૉનેટ!
Permalink
April 29, 2024 at 12:30 AM by વિવેક · Filed under રમણીક અરાલવાળા, સોનેટ
ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.
કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં,
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર, વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ :
ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.
ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુટ સમું મ્હોડું ક્યાં માવડીનું?
વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.
– રમણિક અરાલવાળા
શીર્ષકના બે શબ્દોમાં આખા સૉનેટનો સાર સમાયો છે. બહુ લાંબો સમય વિદેશમાં રહ્યા બાદ કથકના પ્રાણ જન્મભૂમિ જવા માટે ધમપછાડા કરે છે. સ્વયંની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રથમ બે પંક્તિમાં આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિની યાદોમાં વર્ષો પહેલાંનું વતન સજીવન થાય છે. કૂવાકાંઠે પાણી ભરતી પાણિઆરીઓ, ખેતરોમાં પવનની લહેરખીથી ડોલતાં અન્નપૂર્ણા જેવા ડૂંડા, ખંતીલા ખેડૂતોના મીઠાં ગીતો. વડનું ઝાડ, શંકર ભગવાનનું જૂનું દેરું, ગાયોનાં ધણ, મંદિર પર ફરકતી ગેરુ ધજા, અપાર વહાલ વરસાવતી બહેન અને લંગોટિયા દોસ્તો- કવિએ સંયમિત કલમે ગ્રામ્યજીવનને બહુ સુપેરે ઉપસાવ્યું છે.
વિદેશમાં વ્યથિત હૃદયને ઊંઘવાના સમયે ઊંઘ બરાબર આવતી ન હોવાથી જાગવાના સમયે ઝોકાં આવે છે. પોતાના વતનઘેલા હૈયાને ટપારતા કથક કહે છે, વતન જવા મળશે ત્યારે બધું જ મળશે, પણ કાલાગ્નિ ઓહિયા ન કરી જાય એ રીતે એનાથી સાચવીને રાખેલ સ્મૃતિસુમનમાંથી સારવેલ પરાગરજ થકી જેનું સિંચન કર્યું છે એ માવડીનું મોંઘા મધુપુટ સમું મોઢું વતનમાં ક્યાં જોવા મળશે? હન્મભૂમિ ગમે એટલી વહાલી કેમ ન હોય, પણ જનની વિનાની જન્મભૂમિ હૈયાને સંતોષ નહીં જ આપી શકે. એટલે વતન જઈને માતાની ગેરહાજરીમાં દુઃખી થવા કરતાં તો વિદેશમાં રહીને મા સહિતની જન્મભૂમિની કલ્પના કરીને જીવવું વધુ સારું નહીં?
Permalink
February 22, 2024 at 10:52 AM by વિવેક · Filed under નિર્મિશ ઠાકર, સોનેટ

(મંદાક્રાન્તા-સૉનેટ)
ના દીવાલો, છત પણ નહીં, ઊડતું જાય આગે,
પાંખોને જે ‘બસ ચલ!’ કહે, આભલું એટલે શું?
શું છે ફૂલો? મઘમઘ થતા વાયરા એટલે શું?
ઊનો ઊનો રવિ અડકતાં ધુમ્મસો કે ભાગે?
ખીણો ભાળી તરત પડતું મેલતી ને ઝિલાતી
મેદાનોમાં, ઝલમલ નદી ખ્વાબ-શી કેમ લાગે?
– પૂછે નાનું વિહગ, કલશોરે સરી વૃક્ષ જાગે,
હું ભાળું આ અચરજભરી વારતાને વિલાતી!
છોડાવી મેં મૃદુલ કરથી આંગળી સખ્ત ઝાંપે,
જ્યાં પ્રશ્નોના નહિ, કદી નહિ, ઉત્તરો હોય સાચા!
જ્યાં ભૂંસાતી ક્ષણ ક્ષણ મહીં વિસ્મયોની જ ભાષા!
દેતો સાદો હજીય મુજને અંશ મારો જ, કાંપે.
ભીનાં પેલાં સગપણ લઉં આંખથી સહેજ લ્હોઈ,
ખોયા એણે કલરવ હવે, વૃક્ષતા મેંય ખોઈ!
– નિર્મિશ ઠાકર
(જન્મ: ૧૮ માર્ચ, ૧૯૬૦- નિધન: ૧૪ જાન્યુઆરી, ૨૦૨૪)
લયસ્તરો તરફથી કવિને ત્રણ દિવસની નિવાપાંજલિ….
હાસ્યવ્યંગના કાવ્યો, પ્રતિકાવ્યો, કેરિકેચર કાર્ટૂન્સ તથા ગનપટ હુરટીના કારણે બહુખ્યાત થયેલ નિર્મિશ ઠાકરે આપણને નોંધપાત્ર માત્રામાં ગંભીર અને ઉમદા કવિતાઓ પણ આપી છે. ફ્રેંચ કાવ્ય ટ્રાયોલેટને ગુજરાતીમાં આણનાર પણ તેઓ જ. સ્નેહરશ્મિએ જેમ હાઇકુ સંગ્રહ આપ્યા, એમ નિર્મિશભાઈએ આપણને ટ્રાયોલેટ સંગ્રહ પણ આપ્યો છે. આજે રજૂ કરીએ મંદાક્રાંતા છંદમાં લખેલ એક સૉનેટ. છંદના ચુસ્ત આગ્રહીઓ કદાચ એકાદ-બે યતિભંગ બદલ નાકનું ટેરવુંય ચડાવે અને શુદ્ધ ભાષાપ્રેમીઓને ‘ધુમ્મસો કે ભાગે’ જેવી એકાદી વાક્યરચના કદાચ કઠેય ખરી. પણ આપણે તો ભાવ પકડીએ.
વૃક્ષ પર મજાનું જીવન ગાળતું એક નાનું પંખી એના કલરવ ખોવાને આરે આવ્યું છે. કારણ? પિતાજી એને શાળામાં દાખલ કરવા લઈ જાય છે. બાપને ખબર છે કે સ્કૂલ એટલે અચરજભરી વાર્તાનું વિલયસ્થાન. સ્કૂલ એટલે એવી જગ્યા જ્યાં કોઈ પ્રશ્નોના સાચા ઉત્તર નહીં મળે, કદી નહીં મળે અને જ્યાં વિસ્મયની ભાષા ક્ષણેક્ષણે ભૂંસાતી રહેવાની છે. પણ સમાજવ્યવસ્થા સામે બાંય ચડાવવાની હિંમત ન હોવાથી ભીની આંખે બાપ ખુદ સંતાનને શાળાએ મૂકવા જાય છે.
Permalink
February 2, 2024 at 12:30 AM by વિવેક · Filed under સોનેટ, હસમુખ મઢીવાળા
(શિખરિણી)
નવા બંધાવેલા ઘર મહીં અમે દાખલ થયાં
અમોને લાગ્યું કે ત્યજી દઈ અમે એક તટને
બીજે કાંઠે પહોંચ્યા કઠિન પટને પાર કરીને
પરંતુ જૂનાનાં સ્મરણ પણ ક્યાં વિસ્તૃત થતાં?
હતો મોટો વાડો, રમણીય વળી આંગણ હતું,
ફુલોના ગુચ્છાથી મઘમઘ થતો બાગ પણ ત્યાં
હતો, ને બંધાઈ કંઈ વરસની ગાઢ પ્રીતથી
પુરાણા બંધોની હૂંફ તણીય ત્યાં સંગત હતી,
હવે છોડી આવ્યા જનકતણું એ ગ્રામીણ ઘર
અને આવી પહોંચ્યા નગરભૂમિના ભવ્ય ઘરમાં,
થવા માંડ્યું તેમાં સ્થગિત બધું પાછું પ્રવહિત,
નવી દષ્ટિ લાધી, નવીન વળી દશ્યો પ્રકટતાં.
અને લાગે છે કે જલકણી મટી વાદળ થયાં
નવા બંધાયેલા ઘર મહીં અમે દાખલ થયા.
– હસમુખ મઢીવાળા
‘ઘર’ સોનેટદ્વયમાંથી ગઈકાલે આપણે ‘જૂનું’ ઘર જોયું. આજે જોઈએ ‘નવું’ ઘર. ગામના જૂના અને શહેરના નવા ઘર વચ્ચેનો કઠિન પટ પાર કરીને કવિ જાણે કે એક તટ પરથી બીજા તટે પહોંચ્યા. શરીર તો નવા ઘરમાં પ્રવેશી રહ્યું છે પણ જૂના ઘરનાં સ્મરણો વિગત થતાં નથી. જે હોય તે, મૂળને વળગીને બેસી રહે એ વૃક્ષ વિકાસ ન પામી શકે. વિકસવા માટે મૂળ તો છોડવાં જ પડે. સમય સાથે નવું ઘર થાળે પડવા માંડે છે. સ્થગિત જિંદગી ફરી પ્રવાહી સમી વહેવા માંડી. અને નૂતન જીવનદૃષ્ટિ પણ લાધે છે. જળબુંદ મટીને જાણે કે વાદળમાં નવા ઘરમાં આવેલ પરિવાર પરિવર્તિત થયેલ અનુભવાય છે. મતલબ, ખાસો વિકાસ થયો છે. ગઈકાલના ‘સૅન્ડવિચ’ સૉનેટની જેમ જ આ સૉનેટમાં પણ પહેલી અને આખરી પંક્તિ કવિએ એકસમાન રાખી છે. ઘર વિશેનું આ સૉનેટ વાંચીએ ત્યારે બાલમુકુન્દ દવેનું અમર સૉનેટ ‘જૂનું ઘર ખાલી કરતાં’ પણ યાદ આવ્યા વિના નહીં રહે.
Permalink
February 1, 2024 at 12:30 AM by વિવેક · Filed under સોનેટ, હસમુખ મઢીવાળા
(શિખરિણી)
ગમે તેવું તોયે ઘર જનકનું સ્વર્ગ સરખું
અહીં આ ખૂણામાં જનમ મુજ મીઠી હૂંફ ભરી
થયો બાની કૂખે, અહીં જ કર્યું પહેલું બચબચ,
બિછાનુંયે ભીનું અહીં જ કર્યું’તું, ને ઘુંટણીયું
ભર્યું’તું ને માંડ્યાં ડગ પણ અહીંથી જ પ્રથમ;
અને શાળામાં જૈ જીવન તણી બારાખડીય તે
અહીંથી ઘૂંટી’તી, અહીં જ રહી મેં મુક્ત મનથી
રચ્યું’તું ભેરુનું દળ પણ હૂંફાળું, અહીંથી જ
પળ્યો’તો વિશ્વાસે સડક પર, ને હિમ્મત ધરી
દીધું’તું મેં સ્થાપી લઘુક પણ સામ્રાજ્ય અદકું,
હવે શ્વાસે શ્વાસે શ્વસી રહું છું મારું જ ઘર, ને
શ્વસું તેમાં પાછો ગત સમય કેરો પરિમલ,
અને સિદ્ધિઓ સૌ સ્મરી સ્મરી હું આકંઠ હરખું
ગમે તેવું તોયે જનકઘર વૈકુંઠ સરખું.
– હસમુખ મઢીવાળા
પિતાનું ઘર ગમે તેવું હોય, એ સ્વર્ગ સમાન જ હોવાનું. ‘ગમે તેવું’ને બંને અર્થમાં લઈ શકાય, ખરું ને? જે ઘર હવે ‘જૂનું’ થઈ ચૂક્યું છે એ ઘરમાં પોતાના જન્મ અને પ્રથમ ધાવણથી લઈને જીવનની બારાખડી શીખવા, મિત્રમંડળ બનાવીને દુનિયાદારીમાં પ્રવેશવા સુધીની તમામ વાતોનું કવિ અત્રે સ્મરણ કરે છે. કવિએ જણાવ્યું નથી, પણ આજે કદાચ માતા-પિતા હયાત નથી એટલે ગત સમયની સુવાસ અને સૌ સિદ્ધિઓને સ્મરી-સ્મરીને કવિ આકંઠ હરખે છે. સૉનેટની પ્રથમ અને છેલ્લી પંક્તિઓ લગભગ એકસરખી હોવાથી કવિ આ પ્રકારને એપોતાની રચનાઓને ‘સૅન્ડવિચ સૉનેટ’ તરીકે ઓળખાવતા હતા. આવતીકાલે આ સૉનેટદ્વયમાંનું બીજું સૉનેટ માણીશું.
Permalink
October 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under નયન દેસાઈ, સોનેટ
આ તાર તાર બજતા પવનો ઊડે લ્યા!
કીડી ચઢી મલપતી સરતી થડે લ્યા !
ડાળો અવાક નીરખે સૂંઘતી હવાને,
આ કેફ કેફ ક્યહીંથી મૂળિયે ચડે લ્યા!
આકાશથી ધુમ્મસનાં નીકળ્યાં વહાણો;
એ જાય દૂર સરતાં ૠતુનાં ચઢાણો.
ટોળે વળેલ તડકા વિખરાઈ ચાલ્યા,
લ્યો ઊકલ્યાં સમયનાં લિપિ ને લખાણો.
ને આ નદી સ૨૫ શી વહેવાય લાગી,
જાણે ઊઠી અબઘડી શમણાં જ ત્યાગી
થીજેલ બેય ફરકયા નદીના કિનારા,
ચારે દિશા રણઝણી શહનાઈ વાગી
ફૂલો સજેલ ધરણી રૂપ ઊઘડે લ્યા !
ધીમે ધીમે પવનને લય આવડે લ્યા!
– નયન દેસાઈ
નયન દેસાઈના ખજાનામાં ક્યાંક એકાદ ખૂણામાં સૉનેટના એકાદ-બે મોતી પણ મળી આવે ખરાં. મૂળે ગીત-ગઝલના માણસ એટલે પારંપારિક સૉનેટમાં સહજ અપૂર્ણાન્વય (enjambment, run-off lines) પ્રયોજવાથી એ દૂર રહ્યા છે. વાક્ય એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાવાના બદલે પંક્તિ પૂરતું જ સીમિત રહે છે. વાત વસંતના આગમનની હોવાથી કવિએ કાવ્યવાહન તરીકે વસંતતિલકા છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાંચમી પંક્તિમાં ‘ધુમ્મસ’ શબ્દના પ્રારંભના અપવાદ સિવાય કવિએ છંદ સુપેરે નિભાવ્યો છે. સૉનેટની ચુસ્ત પ્રાસનિયોજના પર પણ ગીત-ગઝલનો સંસ્પર્શ વર્તાય છે. પંક્તિએ પંક્તિએ પૂર્ણ થઈ જતા વાક્ય સિવાય ગીતની સહજ બોલચાલની ભાષા કાવ્યસ્વરૂપને અતિક્રમીને અહીં પ્રવેશ પામી છે. લ્યા ને લ્યોથી સૉનેટ છલકાય છે. પવનથી શરૂ થયેલ વાત પવન પર પૂરી થાય એની વચ્ચે કવિનો કેમેરા કીડીથી લઈને આકાશ સુધી સૃષ્ટિ સમગ્ર પર ફરી વળે છે.
Permalink
December 31, 2022 at 11:43 AM by વિવેક · Filed under બર્નાર્ડ ઓ’ડાઉડ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
ઑસ્ટ્રેલિયા
હે કાળનાવિકે અવકાશમાંથી ઉસેટી આણેલ આખરી દરિયાઈ-વસ્તુ,
શું તું સરગાસોનું વહેણ છે, જ્યાં
હેલ્સિયન શાંતિમાં રત પશ્ચિમ એનો ઘાતક માળો ફરીથી બાંધે છે?
કે પછી સૂર્યદેવતાના આવનાર વંશનું ડિલોસ છે?
શું તું દીવો છે સુધારેલ વાટ સાથેનો, ને તેલથી ભરેલો,
કે પછી કળણની ખોજમાં જડેલા ભૂતના ભડકા?
કુબેરે સંક્રમિત કરવા માટેની એક નવી જાગીર?
કે સદીઓ પૂર્વેનું પુરાતન ઇડન છૂપાઈ બેઠું છે તારા ચહેરા તળે?
અન્યત્ર જે મૃત પ્રજાતિઓની કબરો છે
એ તારા સીમાડાઓમાં કૂદે છે અને તરે છે અને ઊડે છે,
અથવા તારા વૃક્ષોના અલૌકિક વાદ્ય-તંતુઓના પગેરું દબાવે છે,
શુકનોને ભવિષ્યકથન સાથે ભેળવે છે
જે રોપવાની હિંમત કરે છે તારા કપાળના આકાશ ઉપર ક્રોસ,
તારા ઘૂંટણિયે એક કુંવારો મદદગાર સમુદ્ર.
– બર્નાર્ડ ઓ’ડાઉડ
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
કવિતા જેટલી અદભુત બીજી કોઈ કળા નથી… ક્યારેક કવિતા શીરાની જેમ સીધી ગળે ઉતરી જાય અને દિલને પણ સ્પર્શી જાય એવી હોય તો ક્યારેક અબોલારાણીની જેમ સાત પડદા પાછળ છૂપાઈ બેઠેલી પણ હોય… પુરુષાર્થ કરીને આ સાતેય પડદા ચીરવામાં ન આવે તો કવિતારાણી હાથ જ ન આવે એમ પણ બને. બર્નાર્ડની આ કવિતા અઘરા સંદર્ભો અને પ્રતીકો તથા પુરાતન અંગ્રેજીથી ઠસોઠસ ભરેલી છે. મહાસાગરમાંથી મોતી મેળવવું હોય તો છેક તળિયા સુધી જવાની મહેનત પણ કરવી જ રહી. બર્નાર્ડના આ સૉનેટમાં રહેલ પાશ્ચાત્ય પુરાકથાઓ અને સંદર્ભ સમજતાં મહેનત અને વાર બંને અવશ્ય લાગે છે, પણ આ જ પુરાકથાઓ અને પ્રતીકો ગહનાર્થની કૂંજીઓ પણ છે. પુરુષાર્થના અંતે કાવ્યાનંદનો પસીનો કપાળ પર ફૂટી નીકળે એ જ સાચી ઉપલબ્ધિ છે. રચનાના વિશદ અસ્વાદ માટે અહીં ક્લિક કરવા વિનંતી છે.
*
Australia
Last sea-thing dredged by sailor Time from Space,
Are you a drift Sargasso, where the West
In halcyon calm rebuilds her fatal nest?
Or Delos of a coming Sun-God’s race?
Are you for Light, and trimmed, with oil in place,
Or but a Will o’ Wisp on marshy quest?
A new demesne for Mammon to infest?
Or lurks millennial Eden ’neath your face?
The cenotaphs of species dead elsewhere
That in your limits leap and swim and fly,
Or trail uncanny harp-strings from your trees,
Mix omens with the auguries that dare
To plant the Cross upon your forehead sky,
A virgin helpmate Ocean at your knees.
– Bernard O’Dowd
Permalink
October 13, 2022 at 12:30 AM by વિવેક · Filed under મહેશ જોશી, સોનેટ
હવે તેા ઊઠો ના મુજ હૃદયના સુપ્ત ઈસુ હે!
સૂતા રહો વિશ્રંભે, સકલ રસવું સ્પન્દિત હયે:
સ્ત્રવેલા કારુણ્યે વિફલ ઉરના કોમળ પુટે
વસો છાના, છાના; વ્યથિત થઈને આજ ઊઠવા
ચહો છો, કિન્તુ છો જગત વ્યવહારોથી અબૂઝ
હજુ પહેલાં જેવા, સજલ બનતા સદ્ય હૃદયે
અસત્યોને હાથે સત હત થતું જોઈ હજીયે!
હજુયે ચાહો છો જડ જગત ઉદ્ધાર કરવા!
હજુયે ઇચ્છા છે અમૃત અવનીમાં વહવવા?
યદિ ઇચ્છા, આવેા, પ્રભુ, મુકુટ હયાં કંટક તણા
ખીલાઓ તીણા ને ક્રૂસ અહીં ઊભા જુગજૂનાં
નવાં રૂપે, અશ્રુ હજુયે દૃગ માંહે નિધનની –
પછી રોવા. ઊઠો નહીં નહીં હવે હે પરમ સતત્,
છતાંયે જો ઇચ્છા, ઉર ઉર બનો ઉત્સ દ્યુતિના.
– મહેશ જોશી
(૨૩-૦૯-૧૯૩૩ થી ૨૫-૦૧-૨૦૧૮)
જગવ્યવહારથી ગમે એટલું માહિતગાર કેમ ન હોય, કવિહૃદય તો સદૈવ સર્વાનુકંપાથી ભર્યુંભાદર્યું જ હોવાનું. પોતાના હૃદયમાં સૂતેલા રામને-ઇસુને ફરીથી જાગૃત ન થવા કવિ કહે છે. કહે છે, પ્રભુ! આરામથી સૂતા રહો. પહેલાંની જેમ વ્યથિત થઈ ઊઠવાની આ ઘડી નથી, કારણ કે ઈશ્વર દુનિયાના વ્યવહારોથી સાવ અજાણ છે. અસત્યોના હાથે સતને હણાતું જોઈ હજીય ઈશ્વરનું હૃદય ભીનું થઈ જાય છે. જગતનો ઉદ્ધાર કરવાની ચાહના છૂટતી નથી. વાત આમ ઈશ્વરને સંબોધીને છે, પણ સમજાય છે કે કવિ પોતાની અંદર સૂતી અનુકંપાને જ સમજાવી રહ્યા છે. કંઈ કેટલાય અવતારો અને ધર્મગુરુઓ અવનિના પટ પર આવ્યા અને ચાલી ગયા. માનવજાતિના કલ્યાણ માટે એમણે વહાવેલ અમૃત જાણે કે દરિયામાં વહી ગયું. પણ દુનિયાને અમૃતની ભેટ આપવાની ઇચ્છા હજી મરી પરવારી નથી. અહીં આવીને કવિ ઈશ્વરને ચેતવે છે કે જો ફરી અવતાર ધારવાની અને મનુષ્યોને તારવાની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો ફરી કાંટાળા મુગટ, ખીલા અને ક્રૂસે ચડવા તૈયાર રહેજો કારણ કે યુગયુગોથી આ સામગ્રી મનુષ્યોએ એમનીએમ સાચવી રાખી છે અને અલગ-અલગ રૂપે તમામ ઉદ્ધારકોને મનુષ્યો એનાથી જ નવાજતા આવ્યા છે. આ દુનિયામાં હવે અવતાર લેવા જેવો નથી એમ વારંવાર કહ્યા પછી આખરે કવિ કહે છે કે જો અવતરવું જ હોય તો એક-એક મનુષ્યના હૈયામાં તેજના ઝરા બનો એ ઉત્તમ.
Permalink
May 21, 2022 at 11:07 AM by વિવેક · Filed under વિવેક મનહર ટેલર, સોનેટ
(મંદાક્રાંતા)
સંધ્યાટાણે હું વનવગડે એકલો નીકળ્યો’તો,
નિરુદ્દેશે વિજન પથ પે સ્વૈરવિહાર કાજે,
લંબાવ્યું કો’ પડતર બીડે, ઊતરી રાત માથે,
સર્જાતું ત્યાં ફલક પર જે ચિત્ર, એને હું જોતો.
તારાઓની ટમટમ મહીં દૃષ્ટ આકાશગંગા,
નક્ષત્રો ને અનુપમ ગ્રહો, ચંદ્ર પાછો અનન્ય;
સૌની કાંતિ, કદ, સ્થળ – જુઓ! આગવાં ને અલભ્ય,
થોડી થોડી વધઘટ છતાં સ્થિર સૌ એકધારા.
મારી ચારેતરફ વસતી વસ્તી પોતેય આવી –
કોઈ આઘું, નિકટતમ કો’, ખાસ-સામાન્ય કોઈ,
સંબંધોમાં અગણિત વળી ધૂપછાંવેય જોઈ,
સૃષ્ટિ ભાતીગળ નિત, છતાં એક જેવી જણાતી.
હૈયે કોઈ ટૂંક સમયમાં સ્થાન એ તોય લેતું,
જે વર્ષોમાં જ્યમ નભ મહીં એકદા ધૂમકેતુ.
– વિવેક મનહર ટેલર
(૦૭/૦૧-૦૮/૦૧/૨૦૨૨)
અસંખ્ય લોકોની વચ્ચે આપણે જીવીએ છીએ. તમામની પાસે પોતપોતાની મુદ્રા છે. તમામનો આપણા જીવન પર પોતીકો પ્રભાવ પણ છે. આકાશમાં પણ અસંખ્ય તારાઓ સાથે ચાંદ-સૂરજ અને ગ્રહો વિદ્યમાન છે. આ તમામની સ્થિતિ રોજેરોજ થોડી થોડી બદલાતી હોવા છતાં આપણને એ કાયમી સ્થિર જ લાગે છે… જે રીતે ભવ્યાતિભવ્ય આકાશ એની બહુવિધતા છતાં આપણને એકવિધ લાગે છે, એ જ રીતે આપણી ચોમેર ભાતીગળ પ્રકૃતિ ધરાવતા લોકો હોવા છતાં આપણને આ તમામમાં એકવિધતા જ અનુભવાય છે.
પણ હા, ધૂમકેતુની તો વાત જ નિરાળી.. દાયકાઓમાં એકાદ ધૂમકેતુ પૂંછડિયાળા પ્રકાશ સાથે આવીને ચાલ્યો જાય છે, પણ એની આભા કંઈ એવી અનોખી અને અદભુત હોય છે કે એની છાપ આખીય આભઅટારી કરતાં સવિશેષ અને સુદીર્ઘ અનુભવાય છે… જીવનમાં પણ કોઈક વ્યક્તિ આપણને આવી મળી જતી હોય છે, જે આપણા સંસર્ગમાં બહુ ઓછું રહી ચાલી જતી હોવા છતાં એની સ્મૃતિ આપણી ચારેકોર વર્ષો સુધી વીંટળાઈને જીવ્યે જતી વ્યક્તિઓ કરતાં વધુ તીવ્રતર બની રહે છે…
Permalink
March 26, 2022 at 12:24 PM by વિવેક · Filed under રમણ વકીલ, સોનેટ, હસ્તપ્રત

*
વહ્યાં વેગે વર્ષો જીવનજલ સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ધસ્યાં સ્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો’ કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.
વહ્યાં વર્ષો તેમાં વિવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલિત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન, રણપ્રદેશો ફરી વળી.
વસ્યાં’તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હૃદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.
– રમણ વકીલ
ગતિ જળનો સ્વ-ભાવ છે. અહીં વાત જીવનજળની છે. જીવનજળ પણ કદી થંભતાં નથી. વેગપૂર્વક સતત વહેતાં રહે છે. ક્યાંક એમાં મલિનતા ઉમેરાય છે, તો ક્યારેલ એ શાંત અને નીતરાં સ્વચ્છ થઈ જાય છે. ક્યારેક જીવનજળ વેગ સાથે ઊંચેથી નીચે પછડાય છે તો ક્યારેક વિશાળ પટ સાંપડતાં સૌમ્ય ગંભીર થઈ વહે છે. જળની જેમ જીવનમાં પણ કોઈ દશા સ્થાયી નથી હોતી. સુખ-દુઃખની આવનજાવન ચાલુ રહે છે. આશાઓ અને મહેચ્છાઓ ક્યારેક ફળે છે, ક્યારેક નથી પણ ફળતી.
પ્રિયજનોની વિદાયના સાક્ષી બનવાની પીડા પણ જીવનનો જ એક ભાગ છે. હૃદય કઠણ કરીને ચિતાઓ સળગતી જોવી પડે છે. પ્રિયજનના અસ્થિ-ભસ્મ નદી-સમુદ્રમાં વહાવી પણ શકાય છે, પણ યાદોનું વિસર્જન કરી શકાતું નથી. એનાથી મુક્તિ મળતી નથી. હૈયું આ સ્મરણકુસુમોને આંસુઓથી સીંચી-સીંચીને જતનપૂર્વક ઉછેર્યે રાખે છે…
જળ અને જીવનજળ વચ્ચે જો કે એક બહુ મોટો તફાવત પણ છે. જળ વહી જાય ત્યાં ફરી પરત ફરી શકતાં નથી પણ જીવનજળ જે સ્મરણપુષ્પો ખીલવતાં વહી જાય છે, એ સ્મરણ વહી ગયેલી ક્ષણોમાં અવારનવાર પ્રવેશ કરવા માટેનો વિકલ્પ જીવંત રાખે છે…
Permalink
December 25, 2021 at 12:30 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો.
પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને,
(સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને)
પ્રમત્ત નિજ : કંઠનો મધુર સૂર રેલાવતો,
મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક:
સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
અને નિજ છટા પરે સતત રહે સ્વયં રીઝતો;
અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમેન્ટિક.
વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
નિમંત્રણ દિયે ઉદાર ઉ૨, માણવા પર્વને;
અનન્ય રસ રૂપ રંગ સ્વરસૃષ્ટિનો રાજવી.
મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?):
અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
– નિરંજન ભગત
ગઈ કાલે આપણે ક્લાસિસિઝમ અને રોમૅન્ટિસિઝમ – આ બે વાદ વિશે અને કવિના સૉનેટદ્વયમાંથી એક ‘કરોળિયો’ આસ્વાદ્યું. આજે, ‘મોર’ની વાત કરીએ:
મોર રોમૅન્ટિસિઝમનું પ્રતીક છે. એ સૌંદર્ય વેરવામાં માને છે. એના પીંછાંઓના મેઘધનુષી કલાપનો ફેલાવો એના ગર્વ જેવો જ છે. મધુર સ્વરે (કવિતાઓ વડે) એ આકાશને વલોવવા અને દિશાઓને ગજવવા ઝંખે છે. પોતાની કળા પર એ પોતે પણ મુશ્તાક છે. વિલાસપ્રિય અહંકારી રોમૅન્ટિક કવિ પોતાના લયમાં લયલીન થવા બધાને નિમંત્રણ પાઠવે છે, ગમતાંનો ગુલાલ એની અભિવ્યક્તિની ખાસ તરેહ છે. બધી રીતે અનન્ય હોવા છતાં એની મનોકામના (અને મનોવ્યથા) એ કોઈને કહી શકતો નથી. એવું મનાય છે કે મોરનાં આંસુ પીને ઢેલ ગર્ભવતી બને છે. રોમૅન્ટિક કવિ પણ પોતાનો વારસો આવનારી પેઢી જાળવી રાખે એવું જ કંઈ ઇચ્છે છે?!
Permalink
December 24, 2021 at 1:35 AM by વિવેક · Filed under નિરંજન ભગત, સોનેટ
નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
કુરૂપ નિજ કાય આ પલટવા કયો પા૨સ?
અને નીરખવા યથાવત ચઢે છ કોનાં ચખ?
છતાં મૃદુલ, સ્નિગ્ધ ને ૨જતવર્ણ કૈં તારથી
ગ્રંથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી,
કલાકૃતિ ૨ચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથીઃ
જણાય જડ, ચુસ્ત, સ્વસ્થ, અતિ શાંત કેવો છળે!
સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી,
મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.
– નિરંજન ભગત
‘કરોળિયો અને મોર’ આ સૉનેટદ્વયમાંથી આજે પહેલું –કરોળિયો- માણીએ…
સાવ અલગ હોવા છતાં આ બંને સૉનેટ રચનારીતિ અને કેન્દ્રવર્તી વિચારના તંતુથી એકમેક સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. કહો કે, જોડિયાં બાળકો! વિશ્વ સાહિત્યમાં શરૂઆતથી બે વહેણ વારાફરતી વહેતાં જોવાયાં છે. એક, ક્લાસિકલ (શાસ્ત્રીય) અને એક રોમૅન્ટિક (પ્રાકૃત/સ્વછંદ). ક્લાસિકલના મૂળિયાં ગ્રીક-રોમન સાહિત્ય-કળા-વાસ્તુકળામાં છે. પરિપક્વતા, સામંજસ્ય, વ્યવસ્થા, સંતુલન અને સંયમ એ ક્લાસિસિઝમનાં લક્ષણ છે. રોમૅન્ટિસિઝમ એટલે આજે આપણે જેને રોમાન્સ કહીએ છીએ એ નહીં. સાહિત્ય-કળામાં રોમૅન્ટિસિઝમ એટલે ક્લાસિકલથી વિરુદ્ધ. એમાં માનવીય ભાવ-સંવેદન, સૌંદર્ય, જીવન અને પ્રકૃતિનું વધુ મહત્ત્વ છે. ક્લાસિસિઝમમાં કારણોનું તો રોમૅન્ટિસિઝમમાં કલ્પનાનું પ્રાધાન્ય છે.
પ્રસ્તુત સૉનેટદ્વય આ બે વાદને કરોળિયો અને મોરના પ્રતીકોથી સમજાવે છે. બંને સૉનેટ પૃથ્વી છંદમાં છે. બંનેમાં અષ્ટકમાં દેહ અને દેહક્રીડાનું વર્ણન છે અને પછી ષટકમાં મનોજગતનું વર્ણન છે. બંને સૉનેટમાં abba cddc effe gg મુજબ ચુસ્ત પ્રાસ કવિએ મેળવ્યા છે.
આજે ‘કરોળિયો’ની વાત કરીએ:
કરોળિયો ક્લાસિકલ વાદનો પ્રતિનિધિ છે. શરૂઆત કરોળિયાના શારીરિક લક્ષણોના વર્ણનથી થાય છે. દેખાવે નર્યો મલિન પણ હૃષ્ટપુષ્ટ, ડાઘડડૂઘિયો, ભૂંડોભખ લાગતો કરોળિયો જાણે પવનના સાગરમાં તરતા ઑક્ટોપસ જેવો છે. કુબ્જા તો કૃષ્ણસ્પર્શે સૌંદર્યા બની જાય પણ કરોળિયાની કુરૂપ કાયાને કંચન કરે એવો કોઈ પારસમણિ ખરો? કોઈ આંખ એવી નથી જે એને એ જેવો છે એવો યથાવત્ જોવા તૈયાર હોય. પણ જે રીતે કોઈ ક્લાસિકલ કવિ સંયમપૂર્વક પોતાના વિચારોના તાર ગ્રંથીને કલાકૃતિ સર્જે એ જ રીતે કરોળિયો પોતાના દેહ વડે જ નિતનવું સુદૃઢ જાળું બનાવે છે. એનું વજન સહજતાથી ઝીલી લેતી જાળમાં એ દુનિયાથી અલિપ્ત અતિથિ સમો રહે છે. દેખાય એકદમ શાંત પણ છળ તો જુઓ! એનાં જાળાંની સુગંધથી લલચાઈને નજીક આવતી એક માખી સુદ્ધાં એની નજરથી બચી શકતી નથી. એના મનની મુરાદ માત્ર પૃથ્વી પર સ્થાન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, એ તો આકાશની તારાકણી તરફ મીટ માંડી બેઠો છે, ક્લાસિકલ કવિ જે રીતે સાહિત્યસર્જન થકી અમરત્વ કાંક્ષતો હોય એમ!
Permalink
December 10, 2021 at 12:41 AM by વિવેક · Filed under બાલમુકુન્દ દવે, માતૃમહિમા, સોનેટ
ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.
– બાલમુકુંદ દવે
લયસ્તરો ‘માતૃમહિમા’ શ્રેણીના પ્રારંભે આપણે શ્રી કરસનદાસ માણેકનું જ્યોતિધામ સૉનેટ માણ્યું. શ્રી બાલમુકુંદ દવેનું આ સૉનેટ જાણે એ જ સૉનેટને આપણે અરીસામાં જોતાં હોઈએ એવી અનુભૂતિ કરાવે છે. ફરક માત્ર એટલો છે કે પેલા સૉનેટમાં બાળકના સંઘર્ષને માતા નિહાળી રહી છે, જ્યારે પ્રસ્તુત સૉનેટમાં કવિ પોતે જ આપવીતી રજૂ કરે છે. કવિ અનેક તીર્થોમાં ફરી વળે છે, ‘પાણી દેખી કરે સ્નાન’ પણ પ્રભુદર્શનની તરસ છીપાય એવું એકેય પુનિત તીર્થ સાંપડતું નથી. આમ ને આમ મોટાભાગની જિંદગી શોધખોળ પાછળ જ પૂરી થઈ ગઈ… પછી એક સાંજે બે પતિ-પત્ની પોતાની મઢૂલિના ઓટલા પર કાયમની જેમ બેઠાં હતાં અને વાતો કરતાં હતાં એ સમયે કળી સમાન કોમળ નવશિશુને અડધા-પરધા પાલવથી ઢાંકીને સ્તનપાન કરાવતી પત્નીને કવિ નિરખે છે. બાળકની માતાના અર્ધનિમિલિત નેત્રોમાંથી છલકાતાં વાત્સલ્યને જોઈને કવિને આખરે દુનિયાનું ઉત્તમ તીર્થ જડી આવે છે… મા! સાચા અર્થમાં જગત-તીર્થોત્તમ…
Permalink
December 8, 2021 at 6:00 AM by ઊર્મિ · Filed under મણિલાલ દેસાઈ, માતૃમહિમા, સોનેટ
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
– મણિલાલ દેસાઈ
મણિલાલ દેસાઈનાં ભાવસમૃદ્ધ સોનેટોમાંનું એક સમૃદ્ધ સોનેટ એટલે કે ‘બાને’ સંબોધીને કરેલું બાનું સંસ્મરણ. બાનાં ગયાને દાયકાથીય વધુ સમય પસાર થવા છતાંયે કવિની બાળપણની, બાની, અને બાળપણની બાની સ્મૃતિઓ સાવ તરોતાઝા છે. ભલે બા સદેહે નથી, પણ નાનપણની વ્હાલુડી બાની ઝાંખી જરાય ઝાંખી પડી નથી… ગાલની ચૂમી હોય કે વ્હાલની અમીવર્ષા… અરે, હાલરડું સુધ્ધાં હજી સંભળાય છે કવિને. રાત્રે અચાનક ઊંઘ ઉડી જતા માતાનો ખોળો હજીયે શોધે છે કવિનું બાળમન. ઉંમરનાં વધવાની સાથે બાળપણની હાક પણ હજી સંભળાય છે કવિને. જીવનમાં ગમે તેટલા વર્ષો ઉમેરાય પરંતુ બા/મા શબ્દ સાંભળતા જ મન ફરી બાળક બની જાય છે…
*મણિલાલ ભગવાનજી દેસાઈ. વલસાડના ગોરેગામમાં જન્મ અને યુવાવયે જ અમદાવાદમાં મૃત્યુ. એમ.એ. સુધી અભ્યાસ અને અધ્યાપકનો વ્યવસાય. લયમધુર ગીત, પ્રસન્નતાના મિજાજથી છલકાતી ગઝલ, ભાવસમૃદ્ધ સોનેટ અને અછાંદસ કાવ્યોમાં વ્યક્ત એમની બહુવિધ પ્રતિભાનું ઠેઠ એમના મૃત્યુપર્યંત જયંત પારેખ દ્વારા ‘રાનેરી’ રૂપે સંપાદન થવા પામ્યું. એમનાં કાવ્યોમાં નગરજીવનની સંવેદના, વન્યજીવનના આવેગો અને ગ્રામપ્રકૃતિની ધબક હૃદયસ્પર્શિતાથી આલેખાયાં હોવાથી તાજગીની અનુભૂતિ કરાવે છે. સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.
Permalink
November 13, 2021 at 12:53 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
ધીમું ધીમું વરસત ઘનો, ઉત્સરે માટી ગંધ;
ભીનું ભીનું સ્પરશત હવા પ્રેરતી રોમ સ્પંદ;
ઊંડે ઊંડે ઊતરત પડો ભેદી વારિ પ્રસન્ન;
ફૂટું ફૂટું થત ભીતરનું બીજ-ચૈતન્ય છન્ન.
ફોડી પૃથ્વી-પડ નીકળતો નાનલો એક છોડ,
પ્હેરી માથે પરણ-ફૂલનો રંગબેરંગી મ્હોડ,
રૂપે રંગે રસથી વનના પ્રાન્ત દેતો ઝબોળી,
ઘૂમે જેમાં ભ્રમર-મધુમખ્ખી-પતંગોની ટોળી.
આ ખીલ્યાનો અવસર, ઋતુ પ્રાવૃષી રંગરાગી,
તેમાં મારા મન, દર મહીં કેમ બેઠું ભરાઈ
રોવે ઘેરી ગમગીની, પડ્યું કેમ રે સંકુચાઈ,
મ્હોર્યાં રૂડા જીવનવનના સૌ રસાનંદ ત્યાગી?
તું, હે મારા મન! ઊઘડી જા – એક આનંદ-સ્ફોટ!
ને તારે ના પછી ભ્રમર-મખ્ખી-પતંગાની ખોટ.
– જયન્ત પાઠક
પહેલી આઠ પંક્તિઓમાં વર્ષા ઋતુ અને પ્રકૃતિના પ્રતિસાદનું મનોહર વર્ણન છે. વરસાદ ધીમું ધીમું વરસે છે, ભીની માટીમાંથી ગંધ ઊઠે છે. આછાવરસાદવાળી હવા ત્વચાને સ્પર્શે છે ત્યારે રોમેરોમ સ્પંદન અનુભવે છે. પ્રસન્ન જળ ધરતીના પડો ભેદીને ઊંડે ઊંડે સુધી ઊતરે છે. અને ધરતીમાં છૂપાઈને (છન્ન) બેઠેલ બીજમાંથી ચૈતન્ય ફૂટું-ફૂટું થાય છે. આખરે એક નાનો છોડ પૃથ્વીનું પડ ફોડીને બહાર આવે છે. (નાનલો શબ્દ તળગુજરાતની બોલીનો સંસ્પર્શ પણ કરાવે છે!) આ અંકુર (મ્હોડ)ના માથે રંગબેરંગી પર્ણ-ફૂલનો તાજ ધીમેધીમે ખીલે-ખુલે છે. વરસાદના રૂપરંગમાં સમગ્ર સૃષ્ટિ ઝબોળાઈ જાય છે અને ભમરા-મધુમાખી અને પતંગોની ટોળી મજા લે છે.
પણ કવિનું મન કોઈક કારણોસર આ રંગરાગની વરસાદી (પ્રાવૃષી) ઋતુમાં ખીલવાના અવસરે દર મહીં ભરાઈ ગયું છે. ઘેરી ગમગીની રોઈ રહી છે. જીવનવનમાં મહોરેલ તમામ રૂડાં રસ અને આનંદ ત્યાગીને મન શા માટે સંકોચાઈ પડ્યું છે એ સવાલ કવિને થાય છે. કવિ પોતાના દુઃખી મનને જે રીતે ધરતીનું પડ ફાડીને બીજ ફણગો થઈ બહાર આવે એ જ રીતે આનંદ-સ્ફોટ સાથે ઊઘડી જવા આહ્વાન આપે છે… ભીતર આનંદવર્ષા થવા માંડે પછી ઇચ્છા-સ્વપ્નોના કીટકોની કોઈ ખોટ પડનાર નથી…
પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને અંગત તકલીફો ભૂલી જવાની શીખ આપતી કેવી મજાની આ રચના છે!
અષ્ટકમાં અ-અ બ-બ પ્રકારે ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા બાદ ષટકમાં અ-બ-બ-અ ક-ક પ્રમાણે પ્રાસપલટો પણ કવિએ પ્રયોજ્યો છે, જે સૉનેટના અનિવાર્ય અંગ ‘વૉલ્ટા’ (ભાવપલટા)ને બરાબર માફક આવે છે.
Permalink
October 23, 2021 at 1:24 AM by વિવેક · Filed under બળવન્તરાય ક. ઠાકોર, સોનેટ
વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?
– બળવન્તરાય ક. ઠાકોર
વધામણીનો પત્ર છે. પહેલી પ્રસુતિ મા-બાપને ત્યાં થાયના ન્યાયે પિયર આવેલી નવપ્રસૂતા પરિણામની પ્રતીક્ષામાં ઊંચાનીચા થતા પતિને સંતાનપ્રાપ્તિના સમાચાર આપે છે, પણ વાતમાં પૂરતું મોણ નાંખ્યા વિના ફોડ પાડવા તૈયાર નથી કે પરિણામ શું આવ્યું! સૉનેટની શરૂઆત ‘વ્હાલા મારા’ સંબોધનથી થાય છે, જેમાં બે જણ વચ્ચેનો સ્નેહ અને પત્નીનું પતિ પરનું અધિકારભાન-બંને સ્ફુટ થાય છે. કહે છે, પ્રિયે! રાતદિવસ હવે તમારી ઇચ્છા થાય છે. તમે જે અદાઓથી મારું ચિત્ત હરી લેતા હતા, એ તમામ પ્રતીતિ સાક્ષાત્ આવો અને આપો. પ્રસૂતિ વખતે તો પત્નીને એવું જ લાગ્યું જાણે નસીબ દરિયામાં ઊંડે તાણી ગયું. મૃત્યુ આંખસમીપ જ હતું, પણ દરિયાના મોજાં હળવેથી ધક્કો દઈને કિનારે પરત લાવી આણે એમ પ્રસૂતિ થઈ ગયા બાદ નવજીવન પામ્યાનો અનુભવ થયો. મૃત્યુના દરવાજે ટકોરા દઈને પાછી આવી તો ગઈ છે પણ હજી સમજાતું નથી કે ક્યાં ગઈ હતી અને શી રીતે પરત ફરી! ડિલિવરી સમયના સ્ત્રીના અનુભવને એક પુરુષકવિએ ત્રણ જ પંક્તિમાં જે રીતે આલેખ્યો છે એ કાબિલે-દાદ છે. તૂટુંતૂટું જણાતી જીવાદોરી તૂટી ન ગઈ એ માટે એ શીષ નમાવી ભગવાનનો પાડ માને છે.
કાવ્યારંભે મનના માણીગરને મળવાની તાલાવેલી પ્રદર્શિત કર્યા બાદ તુર્ત પ્રસૂતિના સમાચાર તરફ નાયિકા ગતિ કરે છે. પ્યાર અને તલસાટ બતાવી દીધા. પ્રસુતિ હેમખેમ પાર ઉતરી હોવાના સમાચાર પણ આપી દીધા. પણ પોતે જે રીતે વિરહમાં તડપે છે, એ જ રીતે બાપને તડપાવવાનું એ ચૂકતી નથી. ફરી ‘વ્હાલા’નું સંબોધન કરી પોતાનો પ્રેમભાવ દોહરાવી એ કહે છે કે, ગયા ભવના સંસ્કાર હશે તે ભલે સાચા હશે પણ અત્યારે તો સ્વપ્ન જેવા ઠાલા જ લાગે છે. માટે આપ આવો અને તરત જ કર-અધરની સાક્ષી પૂરાવો. સ્પર્શ, ચુંબન, તારામૈત્રક અને અમૃતભરી વાણીનો આકંઠ આસ્વાદ કરાવવા સત્વરે પધારવા પત્ની ઈજન આપે છે.
પત્રકાવ્ય છે તો પત્રની રીતિ દર્શાવવું પણ કવિ ચૂક્યા નથી. ‘બીજું’ લખીને જેમ આપણે પત્રમાં વાત આગળ માંડીએ, એમ પત્ની લખે છે કે, બીજું તો એ કે જે પેટ ઉપર માથું મૂકીને આપ ‘ભાર લાગે છે કે?’નો સવાલ કરતાં હતાં એ ‘નવું વજન’ હવે સમય વીતતાં ખોળામાં આવી ગયું છે.
બાળક ગોરું છે અને કમળ જેવો અંગૂઠો જ સતત ચૂસ્યા કરે છે. આવો, જુઓ અને પ્રિય (દયિત)! આપ જાતે જ કહો કે એની આંખો આપણા બેમાંથી કોના જેવી લાગે છે? કવિએ કેવી અદભુત કારીગરી કરી છે એ જોવા જેવું છે! છેક આખર સુધી બાળકની જાતિ પત્નીએ પતિથી, અને કવિએ આપણા સહુથી આબાદ છૂપાવી રાખી છે. ચૌદ પંક્તિના સૉનેટમાં છેક છેલ્લા શબ્દ પર આવીને, જ્યારે પત્ની ‘કોણ જેવો?’ પ્રશ્ન કરે છે ત્યારે છેક રહસ્યસ્ફોટ થાય છે કે દીકરો જન્મ્યો છે.
આવી કમાલ કેટલી કવિતાઓમાં જોવા મળતી હશે, નહીં!
Permalink
September 22, 2021 at 12:30 AM by તીર્થેશ · Filed under ચુનીલાલ મડિયા, સોનેટ
ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,
છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથે
કનિષ્ઠ કિન્તુ નકુલેય, આજે
સતી રહ્યાં છે સહદેવ સંગે,
દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,
જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃ
વસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાં
નિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં.
જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે ના
સંતપ્ત, કાં કે જીરવી શકે ના.
ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાં
જેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના
સ્પર્શ પ્રિયાને કરવા જતો જ્યાં,
નિહાળતો એ નિજમાં દુઃશાસન.
– ચુનીલાલ મડિયા
દાયકાઓ પછી આ સોનેટ વાંચ્યું…..સ્કૂલમાં ભણવામાં આવતું. ત્યારે જ એક સવાલ ઉઠેલો જેની થોડી ચર્ચાઓ પણ થયેલી તે સમયે – શું સહદેવ દ્યૂત વખતે ગેરહાજર હતો ?? મોટેભાગે એમ નહોતું…
પરંતુ કાવ્યને એ વાત સાથે નિસબત નથી. જે ઉપયોગમાં ન આવે તે જ્ઞાન શા ખપનું…..?? નકરા સંતાપનું જનક બને…
Permalink
July 17, 2021 at 1:41 AM by વિવેક · Filed under ડોરથી લિવસે, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ
તારી સાથે સહશયન મેં એકદા માત્ર કીધું;
કેવું મીઠું! અનુભવ હતો ના કદી આજ પૂર્વે
મોઢું ભાંગ્યું લગરિક નહીં, પ્રેમ કેવો હતો એ!
હું અક્ષુણ્ણા; કુસુમકળી તેં જે છટાથી ઉઘાડી,
કોઈ આથી વધુ મૃદુ ઢબે પુષ્પ ખોલી શકે શું?
એ બાંહોની દૃઢપકડમાં સૂતી’તી હું નિરાંતે
ના કો’ ભીતિ, અરવ સુખના કલ્પદેશે સુહાતી,
ના જાગ્યો જ્યાં લગ મુજ મહીં લાગલો એ ફુવારો
વર્ષો વીત્યાં, પ્રિય! બહુ અને આપણે બેઉ મોટાં
જલ્દી થૈ ગ્યાં નિજ નિજ ઢબે, ઝૂઝતાં જાત સાથે
ને હું આજે નિરખી રહી છું વૃદ્ધ આ માનવીને-
ના સ્વપ્નો, કે તન ઉપર ના કોટ, આજીવિકા ના:
છીએ કિંતુ નિકટતમ, હા, આજ સંઘર્ષ વચ્ચે,
પ્રેમાષ્લેષે તન રત રહ્યાં હોત એથી વધારે.
– ડોરથી લિવસે
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
સંબંધમાં ક્ષણ અને વરસ વચ્ચેની વિષમતાનું સત્ય સમજાવતું આ સૉનેટ કેવું મજાનું છે, જુઓ! આખી જિંદગી એક જ છત નીચે અને એક જ બિસ્તર પર પસાર કરી દેનાર યુગલ વચ્ચે ટીપુંભર પ્રેમ જ ન હોય એ શક્ય છે તો બીજી તરફ એક મુલાકાતનો પ્રેમ જીવનભરનું ભાથું બની રહેતો હોય છે. દેહયુગ્મ તો બહુધા આદતન જ હોય. અશરીરી નૈકટ્ય શરીરી નિકટતાથી વધુ બળવત્તર અને દીર્ઘજીવી હોય છે. અહીં એકનો મહિમા છે. એકનું માધુર્ય છે. એકવારનો સ્નેહાસિક્ત સહવાસ જીવનભરના ઉપવાસથી વધી ગયો છે. મૃતલોકમાં અમૃતકુંભનો જેકપોટ લાગી ગયો. અને આ અ-મૃત એવું મીઠું છે કે અહેસાસની જીભે કદી કડવાશ પકડી નથી. એકવારની અનુભૂતિ એટલી સાચી હતી કે એ કાળાતીત બની રહી. આજે હવે યુવાની નથી, સંભોગ નથી, સ્વપ્નો નથી, રોજીરોટી નથી, ઓવરકોટ નથી પણ પ્રેમ? એ તો હતો, છે અને રહેશે જ. પ્રેમ નામની ધાતુને ‘નથી’નો કાટ નથી લાગતો. કાળનો કૂચડો માણસો પર ફરી શકે છે, પ્રેમ પર નહીં. આદતવશ સેક્સરત રહેતાં મિકેનિકલ કપલના બદલે સ્વકીય સંઘર્ષમાં રત રહીને, અલગ રહીને પણ આ બે જણ નિકટતમ રહી શક્યાં છે. કારણ કે પ્રેમનું ઊંજણ સગપણ અને સમજણમાં સતત પૂરાતું રહ્યું છે…
*
Comrade
Once only did I sleep with you;
A sleep and love again more sweet than I
Have ever known; without an aftertaste.
It was the first time; and a flower could not
Have been more softly opened, folded out.
Your hands were firm upon me: without fear
I lay arrested in a still delight
Till suddenly the fountain in me woke.
My dear, it’s years between; we’ve grown up fast
Each differently, each striving by itself.
I see you now a grey man without dreams,
Without a living, or an overcoat:
But sealed in struggle now, we are more close
Than if our bodies still were sealed in love.
– Dorothy Livesay
Permalink
May 29, 2021 at 1:31 AM by વિવેક · Filed under રમણીક સોમેશ્વર, સોનેટ
(શિખરિણી)
અજાણ્યું લાગે છે નભ સકળ, નીચે અજનબી
જણાતી આ કેવી નવલ-નવલી સાવ ધરણી!
જુઓ, આ ડોકાયાં ઝમઝમ થતાં શાંત ઝરણાં
રુંવાટાં શાં ફૂટયાં લહલહ થતાં ભોંય તરણાં
ઝરે માથે ઝીણાં ક્ષણ ઝબકતાં ઓસ ટપકાં
હજારો સૂર્યોની ચિર છવિ લઈ મંદ મલકે
મથું એને મારા દૃગ ઉભય મધ્યે પકડવા
અને હું રેલાતો અરવ અણજાણી પળ વિશે
કશું ધીમેધીમે વિકસિત થતું ને વિલસતું
વહે અંગાંગે કૈ, અકળ, સમજાતું નવ મને
નિહાળું હું સામે પળ પળ નવાં રૂપ ધરતી
નવી સૃષ્ટિ જાણે મુજ હૃદય માંહે ઊઘડતી
બધાયે આલાપો સમય-સ્થળના સાવ વિસરી
રહ્યો હુંયે ઊભો પવન-ઝૂલતા વૃક્ષ સરિખો.
– રમણીક સોમેશ્વર
પ્રકૃતિ પળેપળ નિતનવાં રૂપ ધારે છે, બસ, જોવા માટે આંખ હોવી જોઈએ. પહેલી નજરે જોઈએ તો આ સૉનેટ એક દૃશ્ય-ચિત્રથી વિશેષ કંઈ નથી પણ ધ્યાન આપતાં સમજાય કે કવિએ કેવી મજાની રંગપૂરણી આ ચિત્ર માંહે કરી છે! અચાનક આકાશ અને ધરતી અજાણ્યાં, મતલબ બિલકુલ નવાં લાગવા માંડ્યાં છે. શાંત ઝરણાં નજરે ચડે છે અને રુંવાં ફૂટે એમ ધરતીમાંથી ઘાસ ઊગી રહ્યું છે. ઘાસની ઉપર ઝાકળબુંદો એક સૂર્યની હજારો છબી પ્રતિબિંબતાં શોભી રહ્યાં છે. અને આ દૃશ્યનું પાન કરવાની મથામણ કવિને કોઈ પ્રશાંત અજાણી ક્ષણની અનુભૂતિમાં તાણી જાય છે. ધરતીના પળ-પળ બદલાતા રૂપને આત્મસાત્ કરવાની ક્ષણે પોતાની અંદર કંઈક સાવ અકળ વસ્તુ વિકસતી અને વિલસતી કવિ અનુભવે છે. પવનમાં વૃક્ષ મંદ-મંદ ડોલતું હોય એમ કવિ આ નૂતન અગમ્ય અનુભૂતિના પવનના ઝોકે સમય-સ્થળ બધું જ ભૂલી જઈને સમાધિસ્થ થઈ ઊભા છે… કુદરત સાથે તાદત્મ્ય અનુભવવાની પળે માણસ પોતાની અંદર જે અકળ સુખ પામે છે એની અનુભૂતિનું આ ગાન છે…
Permalink
January 30, 2021 at 1:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.
સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.
ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.
– જયન્ત પાઠક
ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.
અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.
શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.
Permalink
January 16, 2021 at 1:00 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શાર્દૂલવિક્રીડિત)
એ મૂક્યું વન, એ મૂક્યાં જન, ઘણે વર્ષે મળ્યાં જે ક્ષણ,
મૂક્યાં ડુંગર ને નદી, વતનનાં એ કોતરો, ખેતર;
આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર
વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર, છોડ્યું ધણ.
કેડી આગળ જાય, પાય અવળા, કેમે કરી ઊપડે;
આંખો જાય ભરાઈ વાટ તરુની કાંટાળી ડાળી નડે;
હૈયું ઉઝરડાય રક્તટશિયા ફૂટે ધીમેથી ઝમે
આઘે વેકુરથી નદીની હજીયે આ આંગળીઓ રમે.
ચાલો જીવ, જવાનું આગળ, નહીં આ કાળના વ્હેણમાં
પાછા ઉપરવાસ શક્ય વહવું, પાણી લૂછો નેણમાં;
ભારો લૈ ભૂતનો શિરે વણપૂછ્યે શા વેઠિયા ચાલવું
સાથે શ્વાન, પૂરી થતાં હદ હવે એનેય પાછા જવું.
આઘે ખેતર જોઉં બે કર કરી ઊંચા મને વારતી –
એ મારી ભ્રમણા? રિસાળ શિશુને બોલાવતી બા હતી?!
– જયન્ત પાઠક
જીવન ઘણીવાર વતન મૂકાવે છે. પણ ઘણા લોકો માટે તન ભલે વતન છોડે, મન વતનમાં જ રહી જતું હોય છે. જયન્ત પાઠકની કવિતાઓમાં પણ વ(ત)ન –વન અને વતન- પ્રીતિ ધ્યાનાર્હ છે. વન વતન લાગે અને વતન વન લાગે એ હદે બંને એમના જીવન અને કવનમાં રસ્યાંબસ્યાં છે. વરસો પછી વતન આવીને ઘર વેચી દઈ વતનથી વિદાય થતી વેળા કવિને થતી અનુભૂતિનું આ સૉનેટ છે.
વિગતવાર આસ્વાદ માટે અહીં ક્લિક કરો: http://tahuko.com/?p=19407
Permalink
December 5, 2020 at 10:00 PM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ, હાસ્યકવિતા
બાપુ કહે : ‘બ્હારવટે ચડું હું
તો ભલભલાને વસમો પડું હું
કે સોથ વાળું સહુ ગામનો હું
ડંકો વગાડી દઉં નામનો હું ‘
બેઠેલ જે બાપુ નજીક સાવ
એ કૂતરાએ સરજ્યો બનાવ
બાપુ કરે આંખ જરાક ચૂંચી:
‘ લે કૂતરાએ કરી ટાંગ ઊંચી…! ‘
થ્યાં ગોદડાં બાપુ સહિત ભીનાં
બાપુ ધગ્યા : ‘ઊતર, ગોલકીના…’
લોહી બન્યાં મારકણાં સટાક
બાપુ કૂદ્યા પાડી કરાળ હાક
હલ્લો કર્યો ને નળિયું ઉપાડયું,
ઘા એક ઝીંકી કૂતરું ભગાડ્યું.
– રમેશ પારેખ
હાસ્ય-વ્યંગ જેવો ઉત્કૃષ્ટ કાવ્ય-પ્રકાર કેમ ગુજરાતી કાવ્યમાં ઓરમાયો રહ્યો છે તે કદી નથી સમજાયું !! શુદ્ધ હાસ્ય તો કદાચ ક્વચિત જ ખેડાયું છે ! વ્યંગ તો કેટલો મોટો પ્રદેશ !!! હિન્દીમાં તો વ્યંગકાવ્યનો તોટો નથી, પણ ગુજરાતીમાં તે પણ અળખામણું !! બધા સર્જકો ઘુવડગંભીર….. દિવેલીયા ડાચાં તો બ્રિટિશ એરિસ્ટોક્રેટને શોભે – આપણે વળી એવા શા ગુના કીધા ?????
ર.પા. એ થોડે અંશે આ પ્રકાર પણ ખેડ્યો છે, અને કહેવાની જરૂર નથી કે શ્રેષ્ઠ કૃતિઓ આપી છે….
હાસ્ય-વ્યંગની મૂળ શરત એ છે કે જીવનની સચ્ચાઈઓને વક્રદ્રષ્ટિએ જોવી. ભાષા મજબૂત હોય તો સોને સુગંધ ભળે…ચોટ ઉત્પન્ન કરવાની શક્તિ હોય તો ઓર મજબૂત રચના બને. અમારો એક પ્રિય મિત્ર છે – ડૉ જનક રાઠોડ. એ કોઈ શાસ્ત્રીય કવિ નથી પણ એ કદી-મદી જે કવિતાસમી રચનાઓ extempore કરી દેતો હોય છે તે હસાવી હસાવીને બેવડ વાળી દે તેવી હોય છે – એક ઉદાહરણ –
સિર્ફ કહને કો હી હસીનો કી શેર-ઓ-શાયરી હૈ,
વરના સંડાસ તો શ્રીદેવી ભી જાતી હૈ
– કદાચ કોઈને આ રચના ઘણી crude લાગે, સુરુચિનો ભંગ કરતી લાગે, પણ તેનું ચોટીલાપણું અને એક ઊંડાણ આ બે લીટીને અલગ જ હરોળમાં મૂકી દે છે. હાસ્ય-વ્યંગની પરિભાષા જરાક જુદી હોય છે, ઘણી ઘણી છૂટછાટો કવિ લઈ શકે છે-કવિમાં હિંમત જોઈએ !!
Permalink
September 25, 2020 at 12:30 AM by વિવેક · Filed under પ્રજારામ રાવળ, સોનેટ
સર્જ્યાં તેં આ ગિરિવર, અમે ભવ્ય અટ્ટાલિકાઓ.
તારા વ્હેતા નદ થકી વહાવ્યા જ વિદ્યુતપ્રવાહો.
તારાં પંખી; ગગન અમ આ વેગીલાં વાયુયાનો.
તારી બ્હોળી પ્રકૃતિ; નગરો શોભીતાં કૈં અમારાં.
તારી પૃથ્વી ઉપર નકશો ફેરવીએ મનસ્વી.
વીંધી પ્હાડો તુજ નીકળીએ તીર જેવા તરસ્વી.
પૂર્યો સિન્ધુ. ધરતી ઉરથી વારિ ખેંચ્યા ફુવારે.
તારાં બ્હોળાં રણ રસળવા હામ હૈયે અમારે !
કાલે જન્મ્યો મનુ વિકસતો વામનેથી વિરાટ.
વ્યાપી જાશે ત્રણ ભુવનમાં વર્ધતો એ અફાટ !
તારા મત્સ્ય સ્વરૂપ સરખો, એકથી અન્ય પાત્રે
થાતો ન્યસ્ત ક્ષણ મહિ અહો, દીર્ઘથી દીર્ઘગાત્રે !
આકાશો સૌ સભર મનુજે, તું તદા ક્યાં જ હોશે ?
કે, ત્યારે યે મનુસ્વરૂપમાં હે પ્રભો તું જ સ્હોશે?
– પ્રજારામ રાવળ
શીર્ષક પરથી સમજાય છે કે કવિ કોઈક પર્વતમાં કોરાયેલા કોઈક બુગદામાંથી પસાર થતાં હશે ત્યારે જે વિચારતંતુ હાથ લાગ્યો હશે એને ઝાલીને આ રચનાનું સર્જન થયું છે.
ઈશ્વરના સર્જનની મુખામુખ મનુષ્યોના સર્જન મૂકીને ઈશ્વરનો તાગ મેળવવાની કોશિશ એટલે આ રચના. કવિ ઈશ્વરને કહે છે કે તેં આ પર્વતોનું સર્જન કર્યું તો અમે ભવ્ય અટારીઓ, મહેલોનું. ઈશ્વરે વહેતી નદીઓ સર્જી તો મનુષ્યે એમાંથી વીજળી મેળવી. આકાશમાં ઈશ્વરસર્જિત પંખીઓ તો માનવસર્જિત વાયુયાનો ઊડી રહ્યાં છે. ઈશ્વરે વિશાળ કુદરત રચી, મનુષ્યે શહેરો.
આટલું ઓછું હોય એમ મનુષ્ય ઈશ્વરનિર્મિત પૃથ્વીનો આખો નકશો જ જાણે બદલી રહ્યો છે. પર્વતોમાં તીર જેવા વેગથી બોગદાંઓ કોરીને માણસ આરપાર નીકળી ગયો છે. દરિયાને પૂરીને જમીનો સર્જી અને જમીનમાંથી પાણી ખેંચી કાઢ્યાં. રણને પણ નંદનવન કરવાની હામ મનુષ્યો રાખે છે.
ગઈકાલનો મનુષ્ય આજે એ રીતે વિરાટસ્વરૂપ ધારી રહ્યો છે, જે રીતે મત્સ્યાવતારમાં મત્સ્ય એક પાત્રમાંથી બીજા પાત્રમાં સતત મોટું ને મોટું કદ પ્રાપ્ત કરતું હતું. કવિએ એકસાથે વિષ્ણુના બે અવતારોને અહીં ખપમાં લીધા છે. પળવારમાં એ વિશાળમાંથી અતિવિશાળ બની શકવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી ચૂક્યો છે. પણ કવિને સવાલ એ થાય છે કે આખું આકાશ જો મનુષ્યોથી ભરાઈ જશેવ તો ઈશ્વર ક્યાં રહેશે? અને કાવ્યાંતે પ્રશ્નરૂપે જ કવિ ઉત્તર પણ આપે છે કે મનુષ્ય પોતે ઈશ્વરનું જ સ્વ-રૂપ છે.
આ કવિતા લખાઈ હશે એ સમયગાળાથી આજે તો મનુષ્ય એટલો આગળ નીકળી ગયો છે કે કવિતા આપણને ગઈકાલની હોય એમ લાગે, પણ એ છતાંય કવિતાનો જે ભાવસમગ્ર છે, એ હજીય તરોતાજા અનુભવાય છે. પહેલા ચતુષ્કને બાદ કરતાં કવિએ આખા સૉનેટમાં ચુસ્ત પ્રાસ પ્રયોજ્યા છે એની નોંધ લેવાનું કેમ ચૂકાય?
Permalink
August 27, 2020 at 1:30 AM by વિવેક · Filed under મનસુખલાલ ઝવેરી, સોનેટ
નહીં તિમિર કે નહીં ઝગમગાટ મધ્યાહ્નનો,
પરંતુ રસરાગનો મૃદુલ, મુગ્ધ, મીઠો ધરી
ધરી જ સુકુમાર આ પરમ શુદ્ધિનાં ચિહ્ન શો;
ઊઠી મધુર આળસે કુસુમસ્હોડમાંથી સરી,
હસી કંઈ અધૂકડું, ઢળી ઢળી જતી આંખથી,
સુષુપ્ત ઉર રેલતી સ્મિતસુધા સુહાગે ભરી;
અને કમળકોમળા કરથી, નીંદની પાંખથી
જગાડી ઉરના રણત્ઝણણતા બધા તારને
અડાડી નિજ અંગુલિ, અતળ મૌનની માંહ્યથી,
સનાતન વહાવતી સ્વરતણી સુધાધારને,
ઘડીક વિલસી, વિલીન પળ માત્રામાં થૈ જતી,
ઉષા ક્ષણિક જીવને કરતી શા ચમત્કારને !
ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?
– મનસુખલાલ ઝવેરી
આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.
ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’
જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’
Permalink
June 20, 2020 at 12:30 AM by વિવેક · Filed under ટોમી બ્લૉન્ટ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, સોનેટ

*
(શિખરિણી)
અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં
ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,
ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ
મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;
ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.
બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?
નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,
શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.
‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.
– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
જ્યૉર્જ ફ્લૉઇડનું નામ આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી દઈ હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે જાહેરમાં નિર્મમ હત્યા કરી.
રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો.
રંગભેદની આ નીતિ પર કુઠારાઘાત કરવાના બદલે માત્ર હળવી ટકોર કરીને આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે એવું આ સૉનેટ છે. શ્વેત ડ્રાઇવર એની વજનદાર ટ્રક વડે (કદાચ ભૂલમાં) રસ્તે ચાલતા અશ્વેત રાહદારીને જોરદાર ટક્કર મારી બેસે છે, પણ પછી થોભીને સૉરી કહેવાના બદલે ખિખિયાટાં કરતો પસાર થઈ જાય છે. આ આખી ઘટનાને અશ્વેત રાહદારી કઈ રીતે જુએ છે, એ આ સૉનેટના ચશ્માંમાંથી આપણને જોવા મળે છે.
*
The Pedestrian
When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin
reflected back; it was just a horror
show that was never going to happen,
don’t protest, don’t bother with the police
for my benefit, he gave me a smile—
he too was startled, redness in his face—
when I thought I was going, a short while,
to get myself killed: it wasn’t anger
when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—
no sense getting all pissed, the commotion
of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.
– Tommye Blount
Permalink
February 15, 2020 at 1:22 AM by વિવેક · Filed under સોનેટ, હસમુખ કે રાવલ
કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?
વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.
કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.
‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.
-હસમુખ કે રાવલ
આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:
મૃત્યુ પર જીવનનો વિજય
આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.
કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.
સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.
કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.
કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.
આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-
હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત
-ઉદયન ઠક્કર
Permalink