વરસાદ થાય રોજ સમંદર ઉપર અને
કોઈ નદી એ જોઈને પાછી નહીં વળે !
ભરત વિંઝુડા

(ઉષા) – મનસુખલાલ ઝવેરી

નહીં તિમિર કે નહીં ઝગમગાટ મધ્યાહ્નનો,
પરંતુ રસરાગનો મૃદુલ, મુગ્ધ, મીઠો ધરી
ધરી જ સુકુમાર આ પરમ શુદ્ધિનાં ચિહ્ન શો;
ઊઠી મધુર આળસે કુસુમસ્હોડમાંથી સરી,
હસી કંઈ અધૂકડું, ઢળી ઢળી જતી આંખથી,
સુષુપ્ત ઉર રેલતી સ્મિતસુધા સુહાગે ભરી;
અને કમળકોમળા કરથી, નીંદની પાંખથી
જગાડી ઉરના રણત્ઝણણતા બધા તારને
અડાડી નિજ અંગુલિ, અતળ મૌનની માંહ્યથી,
સનાતન વહાવતી સ્વરતણી સુધાધારને,
ઘડીક વિલસી, વિલીન પળ માત્રામાં થૈ જતી,
ઉષા ક્ષણિક જીવને કરતી શા ચમત્કારને !
ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?

– મનસુખલાલ ઝવેરી

આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.

ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’

જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’

6 Comments »

  1. નેહા said,

    August 27, 2020 @ 2:59 AM

    ઓહો !!!

  2. મિત્ર રાઠોડ said,

    August 27, 2020 @ 3:41 AM

    વાહ ખૂબ સરસ
    💐💐💐💐

  3. Lata Hirani said,

    August 27, 2020 @ 4:36 AM

    કહેવુ પડે !!

  4. Poonam said,

    August 27, 2020 @ 5:20 AM

    Sa- Ras ne Sahemat.. karya kushal no puravo…

  5. saryu parikh said,

    August 27, 2020 @ 9:25 AM

    વાહ્ કાવ્ય…રસાળ.
    સરયૂ પરીખ

  6. pragnajuvyas said,

    August 27, 2020 @ 1:57 PM

    કવિ, વિવેચક અને સાહિત્યિક ઇતિહાસકાર મા સ્વ મનસુખલાલ ઝવેરી નુ રસાળ સોનેટ.
    ઉષા મુજ ઉરે કદા, સ્મિત સુહાગથી શોભતી,
    ઊગી, વહવશે નદી ક્ષણિકતા થકી શાશ્વતી ?
    વાહ્
    ખૂબ સ રસ ડૉ વિવેકજીનો આસ્વાદમા ઘણી નવી વાતો સમજી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment