સફરજનની મીઠી ફસલ આવશે,
ને આદમની પાછી નસલ આવશે.

વિચારો વટાવીને આગળ જજો,
ન કાપી શકો એ મજલ આવશે.
– અશરફ ડબાવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રમણીક અરાલવાળા

રમણીક અરાલવાળા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




વતનનો તલસાટ – રમણિક અરાલવાળા

ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી,
જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા.

કૂવાકાંઠે કમરલળતી પાણીઆરી, રસાળાં,
ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા,
હીંડોળંતાં હરિત તૃણને ખંતીલા ખેડૂતોનાં
મીઠ્ઠાં ગીતો, ગભીર, વડલા, શંભુનું જીર્ણ દ્હેરું,
વાગોળંતાં ધણ, ઊડી રહ્યો વાવટો વ્યોમ ગેરુ,
ઓછીઓછી થતી ભગિની, લંગોટિયા બાલ્ય ભેરુ :

ઝંખી નિદ્રા મહીં ઝબકતો, જાગતાં નિંદ લેતો.

ઘેલા હૈયા! સહુય મળશે; કિન્તુ કાલાગ્નિમાંથી
સંભાળેલા સ્મૃતિસુમનના સારવેલા પરાગે
સીંચ્યું મોંઘા મધુપુટ સમું મ્હોડું ક્યાં માવડીનું?

વ્હાલી તોયે જનનીહીણ એ જન્મભૂમિ ન તોષે,
જીવું કલ્પી જનનીસહની જન્મભૂમિ વિદેશે.

– રમણિક અરાલવાળા

શીર્ષકના બે શબ્દોમાં આખા સૉનેટનો સાર સમાયો છે. બહુ લાંબો સમય વિદેશમાં રહ્યા બાદ કથકના પ્રાણ જન્મભૂમિ જવા માટે ધમપછાડા કરે છે. સ્વયંની વર્તમાન પરિસ્થિતિ વિશે પ્રથમ બે પંક્તિમાં આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ કવિની યાદોમાં વર્ષો પહેલાંનું વતન સજીવન થાય છે. કૂવાકાંઠે પાણી ભરતી પાણિઆરીઓ, ખેતરોમાં પવનની લહેરખીથી ડોલતાં અન્નપૂર્ણા જેવા ડૂંડા, ખંતીલા ખેડૂતોના મીઠાં ગીતો. વડનું ઝાડ, શંકર ભગવાનનું જૂનું દેરું, ગાયોનાં ધણ, મંદિર પર ફરકતી ગેરુ ધજા, અપાર વહાલ વરસાવતી બહેન અને લંગોટિયા દોસ્તો- કવિએ સંયમિત કલમે ગ્રામ્યજીવનને બહુ સુપેરે ઉપસાવ્યું છે.

વિદેશમાં વ્યથિત હૃદયને ઊંઘવાના સમયે ઊંઘ બરાબર આવતી ન હોવાથી જાગવાના સમયે ઝોકાં આવે છે. પોતાના વતનઘેલા હૈયાને ટપારતા કથક કહે છે, વતન જવા મળશે ત્યારે બધું જ મળશે, પણ કાલાગ્નિ ઓહિયા ન કરી જાય એ રીતે એનાથી સાચવીને રાખેલ સ્મૃતિસુમનમાંથી સારવેલ પરાગરજ થકી જેનું સિંચન કર્યું છે એ માવડીનું મોંઘા મધુપુટ સમું મોઢું વતનમાં ક્યાં જોવા મળશે? હન્મભૂમિ ગમે એટલી વહાલી કેમ ન હોય, પણ જનની વિનાની જન્મભૂમિ હૈયાને સંતોષ નહીં જ આપી શકે. એટલે વતન જઈને માતાની ગેરહાજરીમાં દુઃખી થવા કરતાં તો વિદેશમાં રહીને મા સહિતની જન્મભૂમિની કલ્પના કરીને જીવવું વધુ સારું નહીં?

Comments (5)

દેવી! આવોને મારી દેરીએ – રમણીક અરાલવાળા

ઓઢી અષાઢનાં આભલાં
જંપી જગની જંજાળ,
જાગે એકલ મોરી ઝંખના
મધરાતને કાળ,
દેવી! આવોને મારી દેરીએ.

કાળી નિશા કેવળ કમકમે
નથી કંપતા વાય,
પગલાં તમારાં પોકારતી
પાંપણ ઊઘડે બિડાય,
દેવી! આવોને મારી દેરીએ.

પ્રેમે પખાળું પાવન પાવલાં
રેલી નયણાંની ધાર,
સમાધિનાં છે સિંહાસનો
મેલ્યાં મંથન થાળ.
દેવી! આવોને મારી દેરીએ.

વાધી-વાધીને વેદન વલવલે
ઊંડે કંઠમાં આગ,
રમતાં આવો હો ઋતંભરા!
મોરી રટણાને રાગ,
દેવી! આવોને મારી દેરીએ.

કલ્પનાનો છૂટો કનકવો
ઢૂંઢે વ્યોમની કોર,
આવો અંબા! એને બાંધવા
દિવ્ય દૃષ્ટિના દોર.
દેવી! આવોને મારી દેરીએ.

ધૂણી ધખે મારા ધૈર્યની
જલતું જીવન કાષ્ઠ,
આભની પારનાં આભલાં
જોવા આપો પ્રકાશ
દેવી! આવોને મારી દેરીએ.

પોકારતા કોટિ કેશથી,
બળતા ધરતીના બાગ,
કલ્યાણી, આપો કેડી બની,
ઝૂરતા ઝરણાને માગ.
દેવી! આવોને મારી દેરીએ.

– રમણીક અરાલવાળા
(૬-૯-૧૯૧૦ થી ૨૪-૪-૧૯૮૧)

‘અખંડઆનંદ’માં સંપાદકે આ રચના સાથે મૂકેલ નોંધ: “કવિશ્રી રમણીક બળદેવદાસ અરાલવાળાનો જન્મ ખેડા જિલ્લાના ગામ ખેડાલમાં. પ્રાથમિક શિક્ષણ વતન અરાલ પાસેના ગામ ઝીપડીમાં. આર્થિક કારણોસર અભ્યાસ છુટક-મુટક રહ્યો. મૅટ્રિક થયા ૧૯૪૪માં. દરમિયાનમાં ‘કુમાર’ની બુધસભામાં કાવ્યસર્જનની દિશા મળી. ૧૯૩૮માં ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકમાં તેમનું કાવ્ય પસંદ થયું ને કવિ પોતાનું કાવ્ય વિદ્યાર્થી તરીકે ભણ્યા ! ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત સાથે સ્નાતક થયા. કાવ્યસંગ્રહ ‘પ્રતીક્ષા’ (૧૯૪૧)ને ઉમાશંકરની પ્રસ્તાવના ને ટિપ્પણ સાંપડ્યાં. કવિશ્રી જયંત પાઠકના મતે ‘ભાષાનું લાલિત્ય, શૈલીની પ્રૌઢી, કવચિત ભવ્યતાનો સ્પર્શ કરાવતી ભાવની ગંભીરતા કવિની કવિતાનાં આકર્ષક લક્ષણો છે.’ અત્રે લીધેલ રચનામાં આ બધાં લક્ષણો ઉપરાંત ભક્ત હૃદયનો આર્જવનો ભાવ કૃતિને હૃદયસ્પર્શી બનાવે છે. આપણી ભાષાના આ એક મહત્ત્વના કવિ.”

Comments (2)