પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
– હિતેન આનંદપરા

ગાંધીજીને – જયન્ત પાઠક

વિપત્તિદરિયે જ્યારે ગઈ’તી ગરકી ધરા,
શ્રદ્ધા ગૈ સરકી સૌની પ્રયત્નો સર્વના વૃથા
ત્યારે બાપુ તમે હાથે સમુદ્ધારાર્થ એકલા
મહાવરાહ શા મંડ્યા; પ્રસારી સ્નેહની કલા;
તમે વિલાયલી ભ્રાતૃભાવની દિવ્ય ઔષધિ
જિવાડી અગ્નિને અંકે તમે પ્રહલાદ શા રહ્યા
રામ રામ રટી, શ્રદ્ધા ઘટી ના ઊલટી વધી
સત્યને પરમાત્મામાં, મહાજ્વાલાથી ના દહ્યા.

સાંપડ્યું શૈત્ય જ્વાલાને, વૈરને પ્રેમ સાંપડ્યો,
કપાઈ પાપની પાંખો, દુર્ગ દૌરાત્મ્યનો પડ્યો,
તમારે પગલે પગલે ધરિત્રી અંધકારથી
માંડતી ડગ જ્યોતિમાં, ઐક્યમાં ભિન્નભાવથી.

ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.

– જયન્ત પાઠક

ભારતવર્ષ જ્યારે અંગ્રેજોની ગુલામીના દરિયામાં ડૂબી ગયો હતો, સૌની શ્રદ્ધાએ જવાબ દઈ દીધો હતો, અને સર્વ પ્રયત્નો વૃથા સાબિત થઈ ગયા હતા, તેવામાં સહુનો એકસમાન ઉદ્ધાર કરવા માટે ગાંધીબાપુએ વરાહાવતારની પેઠે ધરતીને પોતાના માથે ઊંચકીને સપાટી પર લઈ આણવાનો ભેખ ધાર્યો. સ્નેહ, ભ્રાતૃભાવ, રામનામ અને સત્યને પુનર્જીવિત કરી બાપુ આપત્તિઓની મહાજ્વાલાઓની વચ્ચે પ્રહ્લાદની જેમ દાઝ્યા વિના અવિચળ રહ્યા. પરિણામે ઓસરી ગયેલ શ્રદ્ધા પરત આવી.

અગ્નિને શાતા મળી, વેરના બદલામાં પ્રેમ અને પાપના સ્થાને પુણ્યનો આવિર્ભાવ થયો. દુર્જનતાનો કિલ્લો ધ્વસ્ત થયો. અનેકતામાં એકતા સ્થપાઈ અને સમગ્ર ધરતીએ तमसो मा ज्योतिर्गमयનો સાક્ષાત્કાર કર્યો.

શું ગાંધીજી આપણે વચ્ચેથી ચાલ્યા ગયા? શું એમનું નિધન થયું છે? કવિ નકારને બેવડાવીને ગાંધીજીની શાશ્વત ઉપસ્થિતિને અધોરેખિત કરે છે. ના, ના. બાપુ! તમે તો નવજીવન છો. કલહક્લેશથી થાકી ગયેલી ધરતી માટેનું સનાતન રસાયણ છો.

7 Comments »

  1. Dilip Chavda said,

    January 30, 2021 @ 1:47 AM

    ગાંધી સાચે અમર છે આપણા કાર્ય મા કશે ને કશે એમનું પ્રતિબિંબ હોય જ છે…

    હૃદયમાં સત્યની ઊઠી જે આંધી છે,
    એ બીજું કોઈ નહિ પણ‌ એક ગાંધી છે.

  2. Kajal kanjiya said,

    January 30, 2021 @ 2:01 AM

    વંદન 🙏😌

  3. pragnajuvyas said,

    January 30, 2021 @ 10:11 AM

    અમર ગાંધીજીની સ્મરણાંજલીની
    ગયા ગાંધી તમે ના, ના. તમે તો નવજીવન
    ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.
    – કવિશ્રી જયન્ત પાઠકની અમર પંક્તિઓ
    કોટી કોટી વંદન

  4. Prahladbhai Prajapati said,

    January 30, 2021 @ 6:34 PM

    NICE

  5. Poonam said,

    January 31, 2021 @ 11:51 PM

    ક્લેશથી ક્લાન્ત સૃષ્ટિનું રસાયણ સનાતન.

    – જયન્ત પાઠક – sashvat sanatan…

  6. Aasifkhan said,

    February 3, 2021 @ 12:35 PM

    Vaah
    Kavya ne rasaswad

  7. વિવેક said,

    February 4, 2021 @ 12:01 AM

    આભાર સહુનો….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment