પથપ્રવર્તક કાવ્યો: ૦૮ : નવી મહાપ્રતિમા – એમા લેઝારસ
(સૉનેટ-હરિગીત)
ના, ના, એ પિત્તળ દૈત્યની માકફ નહીં ગ્રીક ગાથાના,
જે ભૂમિથી ભૂમિ પલાણી ઊભો વિજયી પગ લઈ,
અહીં આપણા સૂર્યાસ્તી સાગર-ધોયા દ્વારે ઊભશે
એક શક્તિશાળી સ્ત્રી મશાલ એક લઈ, કે જેની જ્યોતમાં
છે કેદ વીજળી, ને છે નિર્વાસિતોની મા એનું નામ.
ને એના દીવાદાંડી જેવા હાથથી ચમકી રહ્યો
એક વિશ્વવ્યાપી આવકારો; નમ્ર આંખો દે હુકમ
એ જોડિયા શહેરો વચેના વાયુ-જોડ્યા બારાંને,
“રાખો, પુરાતન નગરો, ગાથા ભવ્ય તમ!” ચિત્કારતી
એ બંધ હોઠે. “દો મને થાક્યા, ગરીબો આપના,
ને ભીડ જે મુક્તિના શ્વાસો ઝંખતી, આપો મને,
મનહૂસ કચરો આપના છલકાતા કાંઠાનોય દો.
ઘરહીન, આંધી-પીડ્યા, આ સૌ મોકલો મારી કને,
હું દીપ લઈ ઊભી છું સ્વર્ણિમ બારણાંની બાજુમાં!”
– એમા લેઝારસ
(સાછંદ પદ્યાનુવાદ: વિવેક મનહર ટેલર)
કવિતાનો જાદુ આપણી સમજણ બહારનો છે… કાગળના ટુકડા પર લખેલી કવિતા ક્યારેક કોઈ વ્યક્તિનું જીવન બદલી નાંખે, તો ક્યારેક આખેઆખા સમાજની કાયાપલટ કરી નાંખે… ક્યારેક એ કોઈક વસ્તુનો અર્થપલટો કરી દે તો ક્યારેક તો દેશ-દુનિયામાં આગ બનીને ફરી વળે… લયસ્તરોની એકવીસમી વર્ષગાંઠ નિમિત્તે રજૂ થઈ રહેલ આવી પથપ્રવર્તક અને યુગપ્રવર્તક કવિતાઓની શૃંખલામાં આજે એક એવી કવિતા જેણે એક મહાપ્રતિમાની અને એની રૂએ એક દેશની ઓળખ બદલી નાંખી…
૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ અમેરિકાને આઝાદી મળી, એના સો વર્ષ પૂરા થયાનો ઉત્સવ ઉજવવા, તેમજ અમેરિકા સાથે રાજનૈતિક મૈત્રી વિકસે અને પ્રજાસત્તાકવાદને બહાલી મળે એ હેતુસર ફ્રાન્સે અમેરિકાને વિશાળ પ્રતિમા ભેટ આપવાનું નક્કી કર્યું. મૂર્તિ ફ્રાન્સ આપે અને એને ઊભી કરવા માટેની કુંભી અમેરિકા બનાવે એમ નક્કી થયું. ગંજાવર કુંભીનિર્માણ માટે આવશ્યક પૈસા ઉઘરાવવા અનેક કાર્યક્રમો યોજાયા. અમેરિકન કવયિત્રી એમા લેઝારસે આ ઉપક્રમના જ એક ભાગરૂપે એક સૉનેટ લખી આપ્યું. ૧૮૮૩ના નવેમ્બરથી ૧૮૮૫ના ઓગસ્ટ સુધી ચાલેલ પ્રદર્શનીના પ્રવેશદ્વાર પર એ લગાવવામાં આવ્યું, ઉદઘાટન પણ આ સૉનેટના વાંચનથી કરાયું અને પૈસા ઉઘરાવવા માટે થયેલ નિલામી દરમિયાન પણ એનું પઠન કરાયું. લગભગ બે વરસ ચાલેલ પ્રદર્શની સાથે સતત સંકળાયેલ હોવા છતાં ૧૮૮૬માં ‘સ્ટેચ્યુ ઑફ લિબર્ટી’ના ઉદઘાટન વખતે કોઈએ આ રચનાને યાદ ન કરી અને પછી તો એ સાવ ભૂલાઈ જ ગયું. કવયિત્રીના મૃત્યુના ચૌદ વર્ષ પછી ૧૯૦૧માં એમની એક સહેલી જ્યૉર્જિના શૂલરને એક દુકાનમાંથી એક પુસ્તક મળ્યું, જેમાં આ સૉનેટ હતું. જ્યૉર્જિનાના બે વરસના અથાક પ્રયત્નોના પરિણામે ૧૯૦૩માં પ્રતિમાની વિશાળ કુંભી (પેડસ્ટલ)ની અંદરના મ્યુઝિયમમાં એક તકતી પર આ સૉનેટ મૂકવામાં આવ્યું. બસ, ત્યાંથી આ સૉનેટનો જાદુ શરૂ થાય છે…
એ સૉનેટ જેણે એના સર્જકને કોઈ જ નામના અપાવી નહોતી, એ સૉનેટ જે દોઢ દાયકા સુધી ગાયબ થઈ ગયું હતું, એ સૉનેટની બીજી ઇનિંગ અકલ્પનીય રીતે દમદાર સિદ્ધ થઈ. છેલ્લી સવા શતાબ્દીની સૌથી વધુ ખ્યાતનામ અને સૌથી વધુ ટંકાયેલી કવિતાઓની યાદીમાં એ આજે અગ્રમિ સ્થાને બિરાજે છે. સૉનેટ અને લેડી લિબર્ટી હવે પરસ્પર સાથે તાણાવાણા પેઠે વણાઈ ચૂક્યાં છે. લેડી લિબર્ટીનો મૂળભૂત અર્થ હતો આઝાદી.
જે લોકો આ કવિતા વિશે કશું જાણતા નથી એ લોકો પણ અમેરિકાને અને લેડી લિબર્ટીને ‘આવકાર’ ગણીને જોતાં થયાં છે એ આ કવિતાના સાર્વત્રિક જાદુને આભારી ગણાય. પ્રતિમાનું નિર્માણ તો આઝાદીની શતાબ્દીની ઉજવણી, રાજનૈતિક મૈત્રી અને આંતરરાષ્ટ્રીય પ્રજાસત્તાકવાદના પ્રતિક તરીકે થયું હતું, પણ આ કવિતાએ લેડી લિબર્ટીને દુનિયાભરના બેસહારા અને બહિષ્કૃત લોકોને માટે આશાનું કિરણ હોય એવી આવકારો દેતી મા તરીકે સ્થાપિત કરી દીધી. મૂળ હેતુ જ બદલી નાંખ્યો. લગભગ સવા શતાબ્દીથી સ્વાતંત્ર્યદેવીની ગંજાવર પ્રતિમા હાથમાં આશાની ઝળહળતી જ્યોત લઈને નિર્વાસિતોનું અનૌપચારિક સ્વાગત કરી રહી છે. આજે પણ અમેરિકામાં દેશાંતર અને રાષ્ટ્રીય ઓળખની ચર્ચાઓમાં એમાનું સૉનેટ અચૂક ટાંકવામાં આવે છે. ટ્રમ્પ પ્રશાસને પણ એમાની પંક્તિઓમાં ઉમેરણ કરી વિદેશનીતિ ઘડવાની કોશિશ કરી હતી, જેને પાછળથી કોર્ટે અવમાન્ય ઠરાવી હતી. કોઈ દેશની આંતરરાષ્ટ્રીય નીતિઓ ઘડતી વખતે કોઈ એક જ કવિતા અવારનવાર ટાંકવામાં આવે અને કવિતાને કાયદાની રૂએ માન આપીને કવિતાની પંક્તિઓ દેશના ધારાધોરણ ઘડવામાં નિમિત્ત બને ત્યારે સમજાય કે સફેદ કાગળના ટુકડા પર લખાયેલ ગણતરીના કાળા અક્ષરોની કવિતાનો સાચો જાદુ શું છે!










