બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અલ્લામા ઇકબાલ

અલ્લામા ઇકબાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પથપ્રવર્તક કાવ્યો: ૦૭ : સારે જહાં સે અચ્છા – અલ્લામા ઇકબાલ

सारे जहाँ से अच्छा हिन्दोस्ताँ हमारा
हम बुलबुलें हैं इस की ये गुलसिताँ हमारा

ग़ुर्बत में हों अगर हम रहता है दिल वतन में
समझो वहीं हमें भी दिल हो जहाँ हमारा
(गुर्बत = પરદેશ,ઉદાસી)

पर्बत वो सब से ऊँचा हम-साया आसमाँ का
वो संतरी हमारा वो पासबाँ हमारा

गोदी में खेलती हैं इस की हज़ारों नदियाँ
गुलशन है जिन के दम से रश्क-ए-जिनाँ हमारा
( रश्क-ए-जिनाँ = સ્વર્ગને પણ ઈર્ષ્યા થાય તેવું)

ऐ आब-रूद-ए-गंगा वो दिन है याद तुझ को
उतरा तिरे किनारे जब कारवाँ हमारा
(आब-रूद-ए-गंगा=ગંગાનો પ્રવાહ)

मज़हब नहीं सिखाता आपस में बैर रखना
हिन्दी हैं हम वतन है हिन्दोस्ताँ हमारा

यूनान ओ मिस्र ओ रूमा सब मिट गए जहाँ से
अब तक मगर है बाक़ी नाम-ओ-निशाँ हमारा

कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी
सदियों रहा है दुश्मन दौर-ए-ज़माँ हमारा
(दौर-ए-ज़माँ=કાળનું ચક્ર)

‘इक़बाल’ कोई महरम अपना नहीं जहाँ में
मालूम क्या किसी को दर्द-ए-निहाँ हमारा
(महरम=વર્જિત,  બીજો અર્થ:ભરોસાપાત્ર વ્યક્તિ;. दर्द-ए-निहाँ=છૂપું દર્દ)

-अल्लामा इक़बाल

પ્રસ્તુત શ્રેણીમાં આપણે આઝાદીના જંગ સાથે જોડાયેલી બે યુગપ્રવર્તક રચનાઓ માણી – વંદે માતરમ્ અને સરફરોશી કી તમન્ના – કે જે બંને એક પ્રકારનો યુદ્ધઘોષ બની ગઈ હતી. આજની રચના એ કોઈ યુદ્ધઘોષ નથી,કોઈ ક્રાંતિકારીની ત્રાડ નથી….આ એક કોમળ સુમધુર તરાના છે જેને “તરાના-એ-હિંદ” નામ હેઠળ પાકિસ્તાનના રાષ્ટ્રકવિ ઈકબાલે ગાયું હતું…

પ્રથમ આ હ્રદયસ્પર્શી નાજુક ગઝલ વિશે વાત કરીએ – આ ગઝલને કોઈ અનુવાદ અથવા ટિપ્પણીની જરૂર જ નથી-આ તો દરેક હિન્દુસ્તાનીના દિલમાં વસેલી છે. “મજહબ નહીં સિખાતા…” શેર તો યાવત્ચંદ્રદિવાકરૌ અમર છે. “ગુર્બત મેં હો અગર હમ….” શેર પણ એ જ કક્ષાનો છે. સમગ્ર ગઝલ જ હ્રદયની વાણી છે.

આ ગઝલ સૌપ્રથમ ૧૬ ઓગસ્ટ ૧૯૦૪ ના રોજ “ઈત્તેહાદ” નામક સાપ્તાહિકમાં પ્રગટ થઈ. અલ્લામાએ મૂળે આ બાળકોને માટે રચેલી. તેઓએ પોતે જ ૧૯૦૫ માં લાહોર ગવર્નમેન્ટ કોલેજમાં પ્રવચનના સ્થાને માત્ર ગઝલ સંભળાવી. સમય બંગભંગ ચળવળનો હતો – સમગ્ર અખંડ ભારતે તેને વધાવી લીધી. બાપુને તો એ એટલી ગમી ગઈ કે તેમણે ૧૯૩૦ યરવાડા જેલમાં ૧૦૦થી વધુ વખત ગાઈ ! ત્યાર બાદ પંડિત રવિશંકરે આશરે ૧૯૪૫ આસપાસ તેને સંગીતબદ્ધ કરી. હાલ પણ આ રચના ભારતીય સૈન્યની ક્વિક માર્ચની ધૂન છે.

Yuval Noah Harari એ લખ્યું છે તેમ તમામ સંસ્કૃતિઓ/સભ્યતાઓ પોતાની સંસ્કૃતિ/સભ્યતાને શ્રેષ્ઠ અને સૌથી પુરાતન માને છે. તે જ સંવેદના આ ગઝલમાં અભિપ્રેત છે. પરંતુ અંગત રીતે મને આ ગઝલ વારંવાર વાંચતા આખી ગઝલમાં એક unmistakable ગર્ભિત વિષાદનો ભાવ અનુભવાય છે-કદાચ હું ખોટો પણ હોઉં. એક શક્યતા એ પણ ખરી કે જે તે સમયની માભોમની બદહાલીને લીધે આ ભાવ હોઈ શકે. જે પણ હોય – સમગ્ર રચના કાવ્યદ્રષ્ટિએ તમામ રીતે ઉત્કૃષ્ટ છે એમાં બેમત નથી. લોકહ્રદયે બિરાજે તે જ ઉત્તમ સાહિત્ય !!

હવે થોડી વાત અલ્લામા ઇકબાલ વિશે કરીએ – હું બહુ જ સભાનતાપૂર્વક કહું છું કે ગાલિબની કક્ષાનું ફિલોસોફિકલ ઊંડાણ મને માત્ર ઈકબાલમાં જ દેખાયું છે. તેઓનો અંદાઝે-બયાં પણ ગાલિબને ટક્કર આપે તેવો છે. તેઓનું ખાસ્સું ક્લિષ્ટ ઉર્દૂ હોવા છતાં મેં ખૂબ મહેનતે સમગ્ર “કુલ્લિયાત-એ-ઈકબાલ” વાંચી છે અને અભિભૂત થયો છું. કદાચ “તરાના-એ-હિંદ” તેઓનું અંતિમ સર્જન હતું કે જે અખંડ ભારતમાતાની સ્તુતિ હતું – ત્યારબાદ તેઓ ત્રણ વર્ષ યુરોપ જાય છે અને તેઓની સંપૂર્ણ વૈચારિક કાયાપલટ થઈ જાય છે – એક નોંધ અનુસાર તેઓને “તરાના-એ-હિંદ” રચવા બદલ કચવાટ પણ થયો હતો !!! યુરોપયાત્રા પછી તેઓ ધાર્મિક કટ્ટરવાદ તરફ ધીમી પણ ચોક્કસ ગતિએ આગળ વધે છે જે તેઓના ગદ્ય લખાણોમાં સ્પષ્ટ દેખાય છે. વળી તેઓ સામ્યવાદના રંગે પણ આ જ અરસામાં રંગાય છે.

મેં તે બધું લખાણ પણ વાંચ્યું પરંતુ તેઓની વૈચારિક કાયાપલટનું કારણ હું કદી સમજી નથી શક્યો. ૧૯૩૦ના મુસ્લિમ લીગના રાષ્ટ્રીય અધિવેશનમાં તેઓનું અતિપ્રખ્યાત વ્યાખ્યાન કે જેમાં તેઓ ધર્મ આધારિત અલગ રાષ્ટ્રની રચનાના ખ્યાલનો મજબૂત પાયો નાંખે છે અને મુસ્લિમ લીગ તેને પૂરા ઉત્સાહથી વધાવી લે છે. અલ્લામા પાકિસ્તાનના “વૈચારિક પિતા” કહેવાય છે. મોપિલાહ હિંદુ જિનોસાઈડ અને “રંગીલા રસૂલ” પ્રકરણમાં પણ તેઓની ધાર્મિક કટ્ટરતા સમગ્ર દેશ જૂએ છે. ૧૯૩૮માં તેઓના અવસાન સુધી તેઓ કટ્ટરવાદનું સતત સમર્થન કરતા રહે છે અને અખંડ ભારતના ખ્યાલનો ઉઘાડો ઉપહાસ કરે છે. તેઓ મુસ્લિમ લીગની મિટિંગમાં ગાંધીજીને “અત્યંત ચાલાક અને ખતરનાક ચુસ્ત હિંદુ” તરીકે વર્ણવતા અને ગાંધીજીને સતત ગહેરા સંશયની દ્રષ્ટિએ જોતા પરંતુ જાહેરમાં કદી એ વિશે કંઈ બોલ્યા નથી.

આપણું ખૂબ જ પ્રિય પાત્ર અચાનક જ આપણી ધારણા કરતાં તદ્દન વિરુદ્ધ વર્તન અખત્યાર કરે ત્યારે આપણને જેવો ઊંડો આઘાત લાગે તેવો મને આ બાબતે સતત લાગતો આવ્યો છે. ખૂબ જ દુઃખ થાય કે અલ્લામા આવું કઈ રીતે કરી જ શકે……

આ દુખદ પરિવર્તનને નજરઅંદાજ કરીએ તો અલ્લામાની પ્રતિભા અને અવિસ્મરણીય વારસા માટે તેમને દિલથી સલામ છે….તેઓની અતિપ્રસિદ્ધ બે નઝમો – “ शिकवा “ અને “ जवाब-ए-शिकवा “ ઈસ્લામિક ટ્રેડિશનમાં એક અદભૂત બેન્ચમાર્ક છે – નુસરતસાહેબે આ બંને જબરદસ્ત લાક્ષણિક અંદાજમાં ગાઈ છે….હિંદુસ્તાન જ્યાં સુધી છે ત્યાં સુધી “સારે જહાં સે અચ્છા….” ગઝલ ગુંજતી જ રહેવાની છે….

Comments (3)

सख़्तियाँ करता हूँ दिल पर – અલ્લામા ઇકબાલ

सख़्तियाँ करता हूँ दिल पर ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं जाहिल हूँ मैं

મારા દિલ પર હું જ કેર વર્તાવું છું, ગૈરથી હું અજાણ્યો છું. વાહ ભાઈ ! શું વાત કરી તમે !- હું જાલિમ છું…હું જાહિલ છું !! [ અર્થાત, મારા દિલ પર અત્યાચાર અન્ય કોઈ નથી કરતુ, હું પોતે જ કરું છું, અને તેથી જમાનો મને જાલિમ અને જાહિલ કહે છે ! જો કોઈ અન્ય ગુનેગાર હોતે તો બધું બરાબર હતું ! ]

मैं जभी तक था कि तेरी जल्वा-पैराई न थी
जो नुमूद-ए-हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

“હું” જ્યાં સુધી હતો ત્યાં સુધી તારો સાક્ષાત્કાર શક્ય નહોતો. “હું” એ સત્યનો પ્રકાશ ફેલાતાંની સાથે જ મટી જાય એવો અજ્ઞાનરૂપી અંધકાર છે-અન્ય કશું જ નથી. આ મારો પ્રિય શેર છે. ઇસ્લામિક દર્શનની સીમા લાંઘીને શાયર બહાર આવે છે.

इल्म के दरिया से निकले ग़ोता-ज़न गौहर-ब-दस्त
वाए महरूमी ख़ज़फ़ चैन लब साहिल हूँ मैं

આત્મજ્ઞાનના દરિયેથી મરજીવા હાથે મોતી લઈ નીકળ્યા. હાય દુર્ભાગ્ય ! હું કિનારે આરામથી હાથ હલાવતો આંટા મારતો રહ્યો.

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफ़त की दलील
जिस की ग़फ़लत को मलक रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

અહીં વક્રોક્તિ છે – મારી બેઆબરૂઈ એ જ મારી શરાફતની સાબિતી છે, જેની ગફલતો પર આખો મુલ્ક છાજિયાં લે છે હું એવો ગાફિલ છું. અર્થાત – હું જો ચબરાક-ચતુર હોતે તો હું બેઆબરૂ હોતે જ નહિ !! મારામાં ગુનો કરવાની પણ સુધ-બુધ નથી.

बज़्म-ए-हस्ती अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

અસ્તિત્વની મહેફિલ ! તારી ચમક-દમક પર તું ઘમંડ નહી કર, તું તો મહેફિલની એક તસ્વીર માત્ર છે – અને હું મહેફિલ સ્વયં છું !! [ આ ઇકબાલનો અસલ મિજાજ છે – ફરી અહીં ઇસ્લામિક દર્શન ઉપરાંતની વાત છે – ” હું છું, તો જ બધું છે ” – અહં બ્રહ્માસ્મિનો નાદ છે ]

ढूँढता फिरता हूँ मैं ‘इक़बाल’ अपने-आप को
आप ही गोया मुसाफ़िर आप ही मंज़िल हूँ मैं

હું ‘ઇકબાલ’ મારી જાતને શોધતો ફરું છું, જાણે કે હું જ મુસાફર છું અને હું જ મઁઝીલ છું [ અદ્વૈતવાદની ઝલક !! ]

– અલ્લામા ઇકબાલ

અંગતરીતે જો મારે ઉર્દુના ત્રણ મહાકવિ ગણાવવાના હોય તો ગાલિબ પછીનું નામ અલ્લામાનું આવે. ઇકબાલની રાજકીય વિચારધારાને લીધે સ્વતંત્ર ભારતમાં તેઓનું નામ રંજીશ સાથે લેવાય છે, પણ ન્યુટ્રલી જોઈએ તો ભાષાના તેઓ જેવા બળકટ કલાકાર બહુ ઓછા થયા છે. તેઓનું ફિલોસોફીનું જ્ઞાન ખરેખર તલસ્પર્શી હતું અને તેઓ જીવ્યા ત્યાં સુધી માનવજાતના ઉત્થાન માટે સતત વિચારતા રહ્યા. પ્રસ્તુત આખી ગઝલ અત્યંત મજબૂત છે…..

Comments (1)

बझम-ए-उर्दू : 04 : अल्लामा इक़बाल

सख्तियाँ करता हूँ दिल पर, ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं , जाहिल हूँ मैं

મારા હૃદય પર હું કડક અંકુશ રાખું છું, અન્યો પરત્વે ક્ષમાશીલ [ ग़ाफ़िल નો એક અર્થ ] છું,
વાહ ! શું વાત કરી તમે ! હું જાલિમ ! અરે હું તો નાદાન છું……

मैं अभी तक था कि तेरी जलवा पैराई न थी
जो नमूदे हक़ से मिट जाता है वो बातिल हूँ मैं

જ્યાં સુધી મમત્વ-અહં હતો ત્યાં સુધી તારા દર્શન માત્ર થી ભવપાર થઇ જવાની કોઈ શક્યતા જ ન હતી
સત્યના પ્રાકટ્ય સાથે જે નષ્ટ થાય છે તે મિથ્યા અહં છું હું…..

इल्म के दरिया से निकले ग़ोताज़न गौहर बदस्त
वाए महरूमी ! ख़ज़फ चैने लबे साहिल हूँ मैं

જ્ઞાનના સાગરમાંથી મરજીવા હાથમાં મોતી લઇ નીકળ્યા,
હાય દુર્ભાગ્ય ! હું તો કિનારે પડેલું એક ઠીકરું છું….

है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफत की दलील
जिसकी ग़फ़लत को मुल्क रोते हैं वो ग़ाफ़िल हूँ मैं

મારી નામોશી એ જ મારી શરાફતની દલીલ છે
હું એ જ ગાફિલ છું જેની ગફલતને કારણે આખો મુલક રડે છે. [ ગાફિલ અને ગફલત શબ્દના એક થી વધુ અર્થ લઇ શકાય .]

बज़्मे हस्ती ! अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं

હે અસ્તિત્વની મહેફિલ ! તારી જાહોજલાલી ઉપર તું ગર્વિત ન થા
તું તો મહેફિલની તસ્વીર માત્ર છે – હું મહેફિલ સ્વયં છું.

ढूँढता फिरता हूँ ऐ इक़बाल अपने आप को
आप ही गोया मुसाफ़िर, आप ही मंज़िल हूँ मैं

ઇકબાલ પોતાની જાતને શોધતો ફર્યા કરે છે
હું પોતે જ જેમ કે મુસાફર અને હું પોતે જ મંઝીલ છું.

– अल्लामा इक़बाल

અલ્લામા ઇકબાલ કદાચ ભારતના સૌથી વધુ અવગણના પામેલા શાયર છે – થોડુક એમની કઠિનતાને લીધે અને થોડુક એમની પાકિસ્તાનના સર્જન માટેની તરફદારી ને લીધે . ઇકબાલનું નામ પણ લેવું એ આઝાદીની આસપાસના દાયકાઓમાં politically incorrect ગણાતું . ‘ સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા’ ના રચયિતાને ભારતે પ્રયત્નપૂર્વક ભૂલાવી દીધા છે, પરંતુ ‘વોહ શમા ક્યા બુઝે જિસે રોશન ખુદા કરે…….’

ઇકબાલ એ એક માત્ર શાયર છે કે જેઓ દર્શનની એ ઊંડાઈ ધરાવે છે કે જેથી તેઓ ગાલિબ સામે ટક્કર લઇ શકે. જીતે કોણ તે તો ભાવકો જ નક્કી કરી શકે, પરંતુ મુકાબલો જબરદસ્ત થાય.

ઉપરોક્ત ગઝલમાં અનુવાદ કરવાનો કોઈ જ પ્રયાસ નથી-માત્ર સરળ ગુજરાતી સમજૂતી છે. પ્રત્યેક શેરની ગહેરાઈ જુઓ ! સરળ વાચ્યાર્થ આપ્યા બાદ ખાસ કોઈ ટિપ્પણની જરૂર રહેતી નથી. બીજો, પાંચમો અને છઠ્ઠો શેર આ શાયરને અમર બનાવવા પૂરતા છે.

પાંચમાં શેર ને જરાક માણીએ – અહીં તત્વજ્ઞાનની એક થીઅરી બે જ લીટીમાં કહેવાઈ છે – વિશ્વનું હોવું એ મારા હોવાને secondary છે….. ગાલિબને યાદ કરો – ‘ ન હોતા મૈ તો ક્યાં હોતા ?’

Comments (4)