જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?
રમેશ પારેખ

પથપ્રવર્તક કાવ્યો: ૦૪ : વંદે માતરમ્ – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

National identity behind national flag | PPT | Hinduism | Religion ...

વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્ય શ્યામલામ્ માતરમ્ ॥વંદે॥ ૧*

શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુર ભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ॥વંદે॥ ૨*

કોટિકોટિ કંઠ કલકલ નિનાદકરાલે
દ્વિસપ્ત કોટિ ભુજૈર્ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલ ધારિણીમ્  નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ॥વંદે॥ ૩

તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણાઃ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડિ મંદિરે મંદિરે ॥વંદે॥ ૪

ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ વિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વામ્
નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્
સુજલામ્ સુફલામ્ માતરમ્ ॥વંદે॥ ૫

શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્ ॥વંદે॥ ૬

– બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

આ વર્ષ ભારતના રાષ્ટ્રગાન ‘વંદેમાતરમ્’નું સાર્ધ શતાબ્દી વર્ષ છે. ૭ નવેમ્બર ૧૮૭૫ના દિવસે રચાયેલ ‘વંદે માતરમ્’ ગીતને ૧૫૦ વર્ષ પૂરાં થયાં એની ઉજવણી માટે કેન્દ્ર સરકારે આખું વર્ષ દેશભરમાં વિવિધ અને વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સંસદમાં હાલ આ ગીતના નામે જે ફારસ ચાલી રહ્યું છે એ અશોભનીય પણ છે અને અપ્રસ્તુત પણ. જો કે આ ઉજવણી અને વિવાદના કારણે ગીત ફરી ચર્ચાના ચોતરે ચડ્યું એય એક હકીકત છે.

કહેવાય છે કે જ્યારે બંકિમચંદ્રની નાનકડી દીકરીએ ‘માતૃભૂમિ કેવી છે?’ એવો પ્રશ્ન એમને પૂછ્યો ત્યારે તેના પ્રત્યુત્તરમાં પિતાએ આ કાવ્યની રચના કરી હતી. ગીતના પ્રથમ બે છંદ સરળ, બોધગમ્ય અને માતૃભૂમિની સૌમ્ય સ્તુતિ માટે સમર્પિત છે, પરંતુ ત્યારબાદના છંદ દેવી દુર્ગાની દિવ્ય શક્તિને રાષ્ટ્રરક્ષાના પ્રતીક તરીકે પ્રસ્તુત કરે છે. ભારતમાતાની રૂપકાત્મક છબીને આકાર અપાયો છે. માતૃભૂમિને એમાં શાંતિ, શાન અને સમૃદ્ધિના પ્રતિનિધિ તરીકે બતાવવામાં આવી છે. ગીતના શબ્દો માત્ર ભૌગોલિક ખૂણાઓ અને નદી-સરોવર માટે જ નહીં, પરંતુ ભારતની સંસ્કૃતિ અને આત્માને પણ અંજલિ આપે છે. આ ગીતે મંત્ર બનીને ગુલામીની અંધારી રાતોમાં ભારતીયોના હૃદયમાં ક્રાંતિની જ્વાળા પ્રગટાવી હતી. અને બ્રિટિશ સામ્રાજ્યને ભયભીત કર્યું હતું.

ભારતીય સ્વતંત્રતાની ચળવળનો આત્મા બની ગયેલી ક્રાંતિકારી રચના ‘વંદે માતરમ’નો ઇતિહાસ ખૂબ જ વિવાદાસ્પદ રહ્યો છે. ૧૮૭૫માં એ સૌપ્રથમ બંગદર્શન પત્રિકામાં પ્રકાશિત થયું. ‘વંદે માતરમ્’ના માધ્યમથી કવિએ સંદેશ આપ્યો કે માતૃભૂમિ જ સર્વોચ્ચ દેવી છે જે ભારતીય રાષ્ટ્રવાદનો વૈચારિક પાયો બન્યો. ૧૮૭૫માં વંદે માતરમ ગીતનાં પ્રથમ બે છંદ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયા હતા. ૧૮૮૨માં જ્યારે બંકિમચંદ્રએ સત્યઘટના પર આધારિત પોતાની પ્રસિદ્ધ બંગાળી નવલકથા ‘આનંદમઠ’માં એને સંમિલિત કર્યું ત્યારે બીજા ચાર છંદ બંગાળી ભાષામાં ઉમેર્યા. આમ, એક જ ગીતમાં સંસ્કૃત અને બંગાળી –બેય ભાષાનું સંમિશ્રણ થયું. ‘આનંદમઠ’માં આ ગીતનો ઉપયોગ સંઘર્ષગાન અને માતૃવંદના રૂપે થયો અને ત્યારે લોકોનું ધ્યાન એના તરફ ખેંચાયું. વંદે માતરમ્ રચાયું તે પહેલાં ભારતમાતાનું કોઈ ચિત્ર જ નહોતું. વંદે માતરમ્ ગીતમાં ભારતમાતાનું એવું સુંદર શબ્દચિત્ર આલેખાયેલું હતું કે અનેક ચિત્રકારોને આ ગીત પરથી ભારતમાતાનું ચિત્ર બનાવવાની પ્રેરણા મળી.

૧૮૯૬માં કલકત્તા કોંગ્રેસ અધિવેશનમાં આ ગીત સાર્વજનિક રૂપે સૌપ્રથમવાર રવીન્દ્રનાથ ટાગોરે ગાયું. ૧૯૦૫ના બંગાળ વિભાજનનાં ‘બંગભંગ’ આંદોલન દરમિયાન એ આઝાદીનો નારો બની ગયું. લોકો રસ્તાઓ પર ઉતરી આવીને “વંદે માતરમ્”ના જયઘોષથી બ્રિટિશ શાસનને પડકારવા લાગ્યા હતા. ૧૯૦૬માં અંગ્રેજોએ ગીત પર પ્રતિબંધ મૂક્યો, પણ ત્યાં સુધીમાં ગીત દરેક આંદોલનનો આત્મા, દરેક ભારતવાસીનો અવાજ અને ક્રાંતિકારીઓનો પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યુ હતુ. પ્રતિબંધે ગીતને વધુ લોકપ્રિય બનાવ્યું. ૭ ઑગસ્ટ ૧૯૦૬ના રોજ સુરેન્દ્રનાથ બૅનરજીએ કોલકાતા ખાતે જે ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવેલો, તેમાં વચ્ચેના પીળા રંગના પટ્ટા પર ‘વંદે માતરમ’ શબ્દો દેવનાગરી લિપિમાં અંકિત થયેલા હતા. સુભાષચંદ્ર બોઝને એ કૂચ ગીત તરીકે એટલું પ્રિય થઈ ગયેલું કે આઝાદ હિંદ ફોજના રેડિયો પરથી એ દૈનિક પ્રસારિત થતું. વંદે માતરમ્ એ માત્ર ગીત જ નહી, દેશભક્તો માટે અભિવાદન અને અભિપ્રેરણાનું સૂત્ર પણ બની ગયું હતું. સ્વાતંત્ર્ય સેનાનીઓ, જેમ કે સરદાર વલ્લભભાઈ, એકબીજાને પત્રો લખતા કે મળતા ત્યારે અચૂક ‘વંદે માતરમ’થી શરૂ કરી ‘વંદે માતરમ’થી જ પૂર્ણ કરતા. ૧૯૪૦ પછી આ અભિવાદનનું સ્થાન ‘જય હિંદ’ એ લઈ લીધેલું. આઝાદીની લડતમાં લોકજાગૃતિ લાવવા અને ભારતવાસીઓનાં મનમાં આત્મગૌરવ તથા સ્વરાજ્યની મહત્તાની પ્રેરણા પૂરી પાડવાના હેતુથી લખાયેલું ભારતભક્તિના સ્રોત સમું આ ગીત એક અમોઘ શસ્ત્ર સાબિત થયેલું.

૧૯૨૦માં જ્યારે આ ગીતનો ઘણી ભાષાઓમાં અનુવાદ થયો ત્યાર સુધીમાં એ રાષ્ટ્ર્ગાનની લાયકાત મેળવી ચૂક્યું હતું. પરંતુ હિન્દુ-મુસ્લિમ સંબંધો અંગે ચકમક ઝરતા એ વિરોધનું નિશાન પણ બન્યું. મુસ્લિમ લીગે ગીતમાં મૂર્તિ પૂજાને પ્રોત્સાહન અપાયું હોવાનું કહીને એને બિન-ઈસ્લામિક ગણાવ્યું. વળી, જે બંકિમચંદ્રનાં ‘આનંદમઠ’ ઉપન્યાસથી એ પ્રસિદ્ધ થયું, એમાં મુસલમાનોને દેશનાં દુશ્મન બતાવવામાં આવ્યા હતા. ૧૯૩૭માં કોંગ્રેસ કમિટી (રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, અબ્દુલ કલામ આઝાદ, જવાહરલાલ નહેરુ) દ્રારા વંદે માતરમનાં છેલ્લા ચાર છંદને હટાવી લેવાયા. વંદે માતરમની રાજનૈતિક વિવાદની આગમાં અંગ્રેજોએ હિંદુ-મુસ્લિમ વિભાજનનો રોટલો બરાબર શેક્યો.

૧૫મી ઑગસ્ટ ૧૯૪૭થી આકાશવાણીના કાર્યક્રમોનો શુભારંભ ‘વંદે માતરમ્’ના ગાનથી શરૂ થયેલો, જે પરંપરા હજી પણ આકાશવાણી અને બાદમાં દૂરદર્શન દ્વારા જાળવવામાં આવી છે. ૧૯૫૦માં બંધારણ સભાએ સર્વાનુમતે વંદે માતરમને ભારતનું રાષ્ટ્રીય ગાન જાહેર કર્યું તેમજ એને રાષ્ટ્રગીત જનગણમન સમકક્ષ સન્માન આપવાનું નક્કી થયું. ૧૯૭૬માં શતાબ્દી વર્ષ નિમિત્તે ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. સતત વિરોધ અને વિવાદો વચ્ચે આજેય ‘વંદે માતરમ્’ ગીત દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે, ધબકે છે અને સતત યાદ અપાવે છે કે ભારતની શક્તિ તેની એકતા અને સંસ્કૃતિમાં રહેલી છે.

18 Comments »

  1. Kishor Ahya said,

    December 12, 2025 @ 11:09 AM

    વંદે માતરમ્

  2. કિશોર બારોટ said,

    December 12, 2025 @ 12:05 PM

    સુંદર માહિતી 👌

  3. Hema Mehta said,

    December 12, 2025 @ 12:12 PM

    વંદે માતરમ્
    ભારતમાતાનું શૌર્ય- સૌંદર્ય દશાવતું વિશિષ્ટ ગીત
    સરસ માહિતિ જાણવા મળી.

  4. વિવેક said,

    December 12, 2025 @ 12:16 PM

    આપણા દેશમાં સંસદ ચલાવવાનો ખર્ચ પ્રતિ મિનિટ અઢી લાખ રૂપિયા છે… મતલબ કલાકના દોઢ કરોડ… આ વર્ષે સંસદનું શિયાળુ સત્ર શરૂ થયું ત્યારે એક કવિતા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો.. મતલબ, પ્રધાનમંત્રી સહિત દેશના ટોચના સાડી પાંચસો પ્રતિનિધિઓ એક કવિતા વિશે ચર્ચા કરે એ માટે પંદર કરોડનો ખર્ચ કરવામાં આવ્યો…

    દુનિયાની કદાચ આ મોંઘામાં મોંઘી કવિતા હશે…

    રચનાના ઇતિહાસનું તટસ્થ અને સંપૂર્ણ આલેખન કરાયું છે… અભિનંદન, મોના…

  5. Mungla Hiren said,

    December 12, 2025 @ 12:36 PM

    આ બધી માહિતી એકત્ર કરવાની આપની મહેનત ને સલામ.

  6. Neha said,

    December 12, 2025 @ 5:59 PM

    વંદે માતરમ્

  7. Paresh Dave"Nirman" said,

    December 12, 2025 @ 6:05 PM

    ખૂબ સરસ માહિતી.

  8. ધવલ said,

    December 12, 2025 @ 9:56 PM

    Great info ! A song that defined the destiny of a nation !

  9. રવીન્દ્ર said,

    December 12, 2025 @ 10:01 PM

    વન્દે માતરમ્ રાષ્ટ્રગીત છે, દુર્ભાગ્યે રાષ્ટ્રગાન નથી. મારા મતે વન્દે માતરમ્ ને અખંડિત કરવું એ પણ વિશેષ સમુદાયને મનાવવા માટે, તો એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. સંસદમાં રાષ્ટ્રીય ગૌરવ સમાન વન્દે માતરમ્ વિશે ચર્ચા થાય તો એને સમયનો બગાડ કે કરદાત્તાઓનાં કરનો બગાડ કમ સે કમ હું તો નથી ગણતો. વન્દે માતરમ્ એ રાષ્ટ્રગૌરવનો વિષય છે. મોહમ્મદ ફૈઝ ખાને એક ડિબેટમાં જણાવ્યું હતું કે વન્દે માતરમ્ દલ કા નહીં પર દિલ કા વિષય હૈ. કોઈ વિષય પર ચર્ચા શરૂ થાય અને વિપક્ષ વૉકઆઉટ કરવા માંડે, એક ના એક ચવાઈ ગયેલા વોટ ચોરી જેવા મુદ્દાઓને લઈને સમય બગાડે ત્યારે કરદાત્તાઓનાં નાણા વ્યર્થ જાય છે. સ્વતંત્રતાનાં સંગ્રામમાં મહત્વપૂર્ણ સાબિત થતા વન્દે માતરમ્ નો રાષ્ટ્રગાનનો અધિકાર છીનવવો, તેને ખંડિત કરવું અને આમ કરીને તેઓ ત્યારે અને આજે પણ તુષ્ટીકરણ કરવા કેટલા તત્પર છે તે જ સાબિત થાય છે. વન્દે માતરમ્ શા માટે ન ગાવું એના માટે ધડ માથા વગરનાં તર્ક પણ લાવે છે અને સંવિધાન સુદ્ધાને ઢાલ બનાવે છે. રખે ને કોઈ વામપંથી મને દક્ષિણપંથી સાબિત કરવા પણ મથશે પણ એ સત્ય છે કે તમને કોઈ કવિની રચનાને ખંડિત કરવાનો અધિકાર નથી. વિશેષ એમા પણ તે વન્દે માતરમ્ હોય. આ દેશની હિન્દુ પ્રજાએ ઈકબાલની ‘સારે જહાં સે અચ્છા’ ને પણ સમ્માન આપેલ છે. પછી ભલે ને ઈકબાલ બધુ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા હોય.

  10. Pravin Shah said,

    December 12, 2025 @ 10:03 PM

    ખૂબ સરસ અને માહિતીસભર

  11. મમતા said,

    December 13, 2025 @ 12:52 AM

    વંદે માતરમ!

  12. Vijay Bhatt said,

    December 13, 2025 @ 3:44 AM

    મોના બેન!
    ખુબ સરસ!!! લખાણ!!!

    (૧૦ કલાકની સંસદીય ચર્ચા કરતાં અનેક ગણું સરસ!
    અંગત રીતે મને સંસદીય ચર્ચા માટે જરાય માન નથી.
    તે તો સમયની અને પૈસાની બરબાદી કહેવાય)
    દેશભક્તિ નું નાટક કર્યું રાજકીય નેતાઓ એ અને પ્રધાનમંત્રી એ.. લોકોનું ધ્યાન બીજે દોરવા
    . હું જરાય ડરતો નથી તેમ કહેવામાં. જેને ના ગમે તે બે રોટલી વધારે ખાય!!)

    મોંના બેન ના લખાણને ધન્યવાદ!

  13. Vijay Bhatt California said,

    December 13, 2025 @ 3:45 AM

    મોના બેન!
    ખુબ સરસ!!! લખાણ!!!

    (૧૦ કલાકની સંસદીય ચર્ચા કરતાં અનેક ગણું સરસ!
    અંગત રીતે મને સંસદીય ચર્ચા માટે જરાય માન નથી.
    તે તો સમયની અને પૈસાની બરબાદી કહેવાય)
    દેશભક્તિ નું નાટક કર્યું રાજકીય નેતાઓ એ અને પ્રધાનમંત્રી એ.. લોકોનું ધ્યાન બીજે દોરવા
    . હું જરાય ડરતો નથી તેમ કહેવામાં. જેને ના ગમે તે બે રોટલી વધારે ખાય!!)

    મોંના બેન ના લખાણને ધન્યવાદ!

  14. Neela pankaj Desai. said,

    December 13, 2025 @ 9:07 AM

    Waah Mona Waah!!! Very nice. Well done, we and our family feel proud for you dear Mona.

  15. લયસ્તરો – Layastaro.com » પથપ્રવર્તક કાવ્યો: ૦૫ : આઝાદી -પોલ એલ્યુર્ડ said,

    December 13, 2025 @ 11:31 AM

    […] ‘વંદે માતરમ‘ને ભારતનું બિનસત્તાવાર રાષ્ટ્રગીત […]

  16. જ્યોતિ રામાણી said,

    December 13, 2025 @ 12:18 PM

    ભારતની રગ રગમાં રક્ત બની વહેતું…. અમૂલ્ય ઘરેણું… વંદેમાતરમ 🙏

  17. Raju Naik said,

    December 13, 2025 @ 6:24 PM

    Wow!!! Hats off to your Research & Development of your Rachana unfolding our history that I would never have learned!!!Congratulations. 🇮🇳🇮🇳🇮🇳

  18. Poonam said,

    December 16, 2025 @ 9:10 PM

    શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
    ધરણીમ્ ભરણીમ્ માતરમ્ ॥વંદે॥ ૬
    – બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય – નમન 🙏🏻

    Aaswad 👌🏻 Vande Matram 🫡

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment