શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં
સંદીપ ભાટિયા

માતૃમહિમા : ૦૧ : જ્યોતિધામ – કરસનદાસ માણેક

(મંદાક્રાન્તા)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિ કિરણ એકાર્ધ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયા;
એકાન્તોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજ મહીં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ, સકલ ભન્ડાર મેં ખોલી જોયા!

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયૂષધારા.
તેમાં ન્હોતો રજ પણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુ:ખનો લેશ ભાસ!
જ્યોતિ લાધે ફકત શિશુને એટલી ઉરકામ:
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ!

– કરસનદાસ માણેક

લયસ્તરોની સત્તરમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે માતૃમહિમાની શરૂઆત કરસનદાસ માણેકના આ સૉનેટથી કરીએ.

જીવનના ગૂઢતમ રહસ્યો ઉકેલવા માટે, જ્ઞાનનો પ્રકાશ પામવાને માટે મનુષ્ય જીવનભર મથતો રહે છે. ગ્રંથો ઉથલાવ્યે રાખે છે, તીર્થોના મેલા પાણીમાં સ્નાનાદિ કરે છે, મંદિરોના આંટાફેરા કરે છે, સંતોનું શરણું સેવે છે, એકાંતવાસમાં જાતને જોવા-પામવાની કોશિશ કરે છે, દુનિયામાં વખણાયેલ ભીતરના સઘળા ભંડાર પણ ખોલી જુએ છે, પણ ક્યાંય ઇચ્છિત તેજકણ કે જ્ઞાનપ્રાપ્તિ થતી નથી.

દીકરાનો આ વૃથા વ્યાયામ, આ ગડમથલ માની આંખોથી છાનો રહેતો નથી. એ કેવળ પ્રેમામૃત વર્ષાવ્યા કરે છે અને એમાં નથી હોતો સંતાનને પોતાના તરફ ખેંચવાની સ્વાર્થવૃત્તિ કે નથી હોતી પોતાની થઈ રહેલી અવગણનાના કારણે અનુભવાતા દુઃખનો સહેજે ભાસ. એની તો દિલી ઇચ્છા એ જ રહે છે કે પોતાના બાળકને જ્યોતિ લાધે… પણ સંતાનને મોડે મોડે રહીરહીને ખબર પડે છે જે એની મા જ ખરું જ્યોતિધામ છે…

માતૃમહિમા કરતી કેટલીક રચનાઓ લયસ્તરો પર પહેલેથી જ છે, એટલે એનું પુનરાવર્તન ન કરવાનું નિર્ધાર્યું છે. ગુજરાતી સાહિત્યની એ અમર રચનાઓ આપ અહીં ફરીથી માણી શકો છો:

જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ. – દામોદર ખુ. બોટાદકર
વળાવી બા આવી – ઉશનસ્
આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

આ સિવાય પણ કેટલીક ઉમદા રચનાઓ અહીં માણી શકાશે…

મા-અશોક ચાવડા ‘બેદિલ’
બાળકોના વોર્ડમાં એક માતા – વાડીલાલ ડગલી
બા – મૂકેશ જોશી
ઠાકોરજી – મા – હસમુખ પાઠક
પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ
મા – સંદીપ ભાટિયા
ગઝલ – કિશોર બારોટ
મમ્મીને – ઉષા એસ. (અનુ. વિવેક મનહર ટેલર)

5 Comments »

  1. Aasifkhan aasir said,

    December 5, 2021 @ 1:47 AM

    લયસ્તરો ટીમ ને અઢળક સ્નેહકામનાઓ

    કવિતાનો અવિરત પ્રવાહ જારી રાખજો

  2. Dr Mukur Petrolwala said,

    December 5, 2021 @ 1:57 AM

    Today’s my late mother’s birthday. So pleased to read such an appropriate poem today. Lovely. Thanks

  3. pragnajuvyas said,

    December 5, 2021 @ 8:41 AM

    કવિશ્રી કરસનદાસ માણેકની અમર રચના ફરીથી માણી
    ડૉ વિવેકનો સ રસ આસ્વાદ
    ધન્યવાદ

  4. praheladbhai prajapati said,

    December 5, 2021 @ 9:18 AM

    MAATRU DEVO BHAVAH

  5. Jayendra Thakar said,

    December 5, 2021 @ 12:20 PM

    સરસ, સુંદર, સચોટ સોનેટ! આ જ હકિકતને દોહરાવતી કથા મેં અહીં પ્ર્રસ્તુત કરી છેઃ
    According to Saivat philosophy Shiva is the creator and is represented by a bindu that is formless or has no attributes. In the philosophy of Gita, he is GUNATIT! Shiva is an unexpressed form or Purusha. Shakti, the divine feminine principle is his other half, a dynamic presentation of the universe.
    Shakti literally means ENERGY. According to biochemical science we know that we human beings derive energy by metabolizing food through cellular processes. The end stages of this energy formation takes place in subcellular organelles called MITOCHONDRIA. These organelles in human beings are derived from mother only. Father does not contribute mitochondria at the beginning of life. Hence, no matter what we do, it is the feminine Shakti, in the dynamic form in the universe that allows us to enjoy and appreciate the world! This emphasizes our understanding of Shakti which is so ancient! It also tells us that every day is Mother’s Day!

    TED TALK on Mitochondria

    O Bhagwati
    Only if Shiva is conjoined with You can He create
    Without You, O Shakti, He cannot even move
    O Mother, Hari, Hara and Brahma worship You
    Only because of my virtuous deeds in the past
    Can I salute You

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment