રેત – ડમરી – મૃગ – તરસ – મૃગજળ વગેરે…
મન – મરણ – શ્વાસો – અનાદિ છળ વગેરે…

છે – નથી – હોઈ શકે – અથવા – કદાચિત;
હું – તું – આ – તે – તેઓની સાંકળ વગેરે…
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

(લાગે છે) – હરીશ ઠક્કર

ચાલ જ્યારે ઉડાન લાગે છે
પગ તળે આસમાન લાગે છે

સાંજ પડતાં દિવસ થયો ઘરડો
રાત આખી જવાન લાગે છે

આપણા હાથમાં હલેસા છે
પણ પવનનું સુકાન લાગે છે

સ્વાદ નહિ ચાખે એ સફળતાનો
એનાં મોંમાં જબાન લાગે છે

ભાગ્યમાં કેમ માનતો નથી એ ?
આદમી ભાગ્યવાન લાગે છે.

બાપ છે એ બધાનો, ક્યાં ના છે ?
આપણો ઓરમાન લાગે છે.

– હરીશ ઠક્કર

સરળ બાની અને ઉત્તમ ગઝલ હરીશ ઠક્કરની ઓળખ છે. અને પ્રસ્તુત રચના એની ભરપૂર ચાડી ખાય છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે…

Comments (6)

મિત્રને… – રમેશ પારેખ

ન હોત પ્રેમ તો શું હોત? છાલ જાડી હોત?
હું વૃક્ષ હોત ને હે મિત્ર, તું કુહાડી હોત.

થતું હે મિત્ર, તને ખિલ્યો ખિલ્યો જોઈને
અરે, હું તારા વગર કેવી ફૂલવાડી હોત!

તું આલ્બમોને સજીવન કરી ન શકતો હોત
તો ફોટો હોત હું ને સ્વયં કબાડી હોત.

તેં મારી બૂમનો તરજૂમો ગુલમહોરમાં કર્યો
થયું શું હોત, તને બૂમ મેં ન પાડી હોત?

આ જનમટીપની જો તું ન એક ચાવી હોત
તો હયાતી મેં પછી કઈ રીતે ઉઘાડી હોત?

તું મારી મૂછનું લીંબુ, તને ઘણી ખમ્મા
ન હોત તું, તો મેં મૂંછોય ના ઉગાડી હોત.

– રમેશ પારેખ
(૨૨-૦૯-૧૯૮૮)

મિત્રતાનો અને પ્રેમનો કેવો મહિમા!

Comments (6)

હૈયાની વાત – મકરન્દ દવે

કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા-હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.

– મકરન્દ દવે

આ કવિવર માટે મને હંમેશા આદરભાર્યો પક્ષપાત રહ્યો છે. તેઓનું ગાન આત્માનું ગાન અનુભવાય છે સદાય. એક નખશીખ સચ્ચાઈનો રણકાર તેઓની કલમને સહજ છે. વાત પરંપરાગત હોય કે સાવ બંડખોરીની હોય, તેઓની વાણી પોતાની નઝાકતભરી બળકટતા ત્યજતી નથી.

Comments (3)

સિક્કો ઉછાળીએ – જવાહર બક્ષી

હાથોમાં હાથ રાખીએ કે મુઠ્ઠી વાળીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

પહેલાં સબંધ વચ્ચે કોઈ ભીંત બાંધીએ
એ તોડવા માટે પછી માથું પછાડીએ

આંખોમાં શૂન્યતાનાં કૂબાઓ બનાવીએ
એ સહુમાં કોઈ ખાસ સ્વજનને વસાવીએ

સંભાવનાની આવ, અધૂરપ મટાડીએ
એકાંતને સાથે મળી મોઢું બતાવીએ

રેતીમાં નામ લખીએ કે પથ્થર તરાવીએ
એકવાર ફરી આપણે સિક્કો ઉછાળીએ

[ દરેક શેરની પહેલી પંક્તિનો છંદ એક સરખો છે અને બીજી પંક્તિનો છંદ સહેતુક જુદ્દો છે.- જવાહર બક્ષી ]

-જવાહર બક્ષી

 

સિક્કો ઊછાળીએ – choicelessness ની વાત છે. વાતને પ્રારબ્ધ ઉપર છોડવાની છે, જે પરિણામ આવે તેને સ્વીકારવાની વાત છે, પણ એક undertone આશાનો છે. સુંદરતા ગૂંથણીની છે.

Comments (1)

‘અજવાળું કોણ તને કે’ત?!’ – જગદીપ ઉપાધ્યાય

‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’

કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!

ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? -વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!

– જગદીપ ઉપાધ્યાય

ગીતોની ભરીભાદરી બજારમાં બધાથી સાવ જ અલગ તરી આવતું મજાનું તાજગીસભર ગીત. ઉઠાવ જ કેવો સરસ છે! અજવાળું આવતાવેંત અંધારાને ગાયબ થઈ જવું પડે છે એવી સાવ નાનકડી વૈજ્ઞાનિક હકીકતને કવિ સજીવારોપણ અલંકાર વડે કેવો નોખો અક્ષરદેહ આપ્યો છે! અંધારું અજવાળા સામે જે દલીલો કરે છે, એ વાંચતા દયારામની ગરબી યાદ આવી જાય જેમાં કવિએ શ્યામ રંગનો મહિમા કર્યો છે. અહીં પણ કવિ અંધારાનો મહિમા કરે છે પણ નવા જમાનાનું ગીત છે એટલે અભિવ્યક્તિ પણ નવીન છે. વાત પણ સાચી છે. અજવાળાની ઓળખ અંધારાના કારણે જ તો છે. કાગળ ગમે એટલો ઊજળો કેમ ન હોય, પણ કાળી શાહીથી એના પર અંકાતા અક્ષરો વિના એનું મૂલ્ય શું? ધોળી ચાદરમાં ડાઘ પડવો શક્યો છે પણ કાળી કામળી ડાઘપ્રુફ છે. આકશમાં કાળાશ જ ન હોય તો પૂનમનું સૌંદર્ય ઊઘડી જ ના શકે. કાળું ટપકું બૂરી નજરોથી બચાવીને રાખે છે. આકાશમાં બહુ સુંદર દેખાતાં સફેદ રૂની પૂણી જેવા વાદળો શું કામના? એ કદી વરસાદ આપી શકતાં નથી… અંતરનું હેત એ જ સાચો રંગ છે એમ કહીને અંધારાની તર્કબદ્ધ દલીલોને કવિ કવિતાની કક્ષાએ લઈ આણે છે…

Comments (4)

( હરિહરને) – હરિહર શુક્લ ‘હરિ’

વાત કહું કે સાર હરિહર?
હું અંદર તું બહાર હરિહર!

બન્ને જણ ક્યાંથી જીતવાનાં?
હું જીતું તું હાર હરિવર!

મન મોજીલું મોજ કરે તે
તું બસ ખાતો માર હરિહર!

આંખ મીંચ ને માણી લે તું
સપનાંનો સંસાર હરિવર!

ફોટામાં ટીંગાઈ જઈ ને
પ્હેર સુખડ નો હાર હરિવર !

ધાર તને મળવા માંગું હું
ને તું ભાગે,ધાર હરિહર !

‘હરિ’ આ બાજુ રાહ જુએ તે
તું છે સામે પાર હરિહર!

– હરિહર શુક્લ ‘હરિ’

કવિનું તખલ્લુસ હરિ છે પણ ગઝલ જાણે હરિ સાક્ષાત્ કવિ સાથે વાર્તાલાપ કરી રહ્યા હોય એ ભાવ સાથે લખાઈ છે. ટૂંકી બહેરમાં કામ કરવું પ્રમાણમાં કપરું હોય છે, પણ અહીં કવિએ મોટાભાગના શેર સંતર્પક આપ્યા છે, એ આપણું સદભાગ્ય.

Comments (2)

લાગે – રેણુકા દવે

આવે જો તું અચાનક, અવસર હો એમ લાગે,
સાંજે પરોઢ જેવું જીવતર હો એમ લાગે.

મળવા તને હું આવું, રસ્તો રહે ઊઘડતો,
આખુંય નગર ત્યારે, પથ્થર હો એમ લાગે.

આંખો ખૂલે અચાનક મધરાતમાં કદી તો,
જાણે કે પ્રખર ગાયક અંતર હો એમ લાગે.

ખોલું છું ડાયરીનાં એ ખાસ ખાસ પાનાં,
ખાલીપણું ભરેલું સરવર હો એમ લાગે.

તું આમ તો અવર સમ, માણસ છે એક કેવળ,
હૈયા મહીં મૂકું તો ઈશ્વર હો એમ લાગે.

– રેણુકા દવે

કેવી મજાની ગઝલ! મત્લા જ કેવો શાનદાર! પ્રિયજન સાવ અચાનક આવી ચડે તો એ દિવસ અવસર બની રહે છે, ત્યાં સુધીની વાત તો આપણે કવિતાઓમાં અનેકવાર વાંચી ચૂક્યાં છીએ, પણ જીવનની ઢળતી સાંજ ઊઘડતી સવાર જેવી લાગે, યૌવન પુનર્જીવિત થઈ ગયાનું અનુભવાય એ કેટલી મોટી વાત! એ જ રીતે નાયિકા અભિસારે નીકળે ત્યારે જેમ અર્જુનની માત્ર પક્ષીની આંખ પર, એમ એની દૃષ્ટિ પ્રિયજનના નિવાસ તરફ એવી જડાઈ ગઈ છે કે એને આખું નગર પથ્થર બની ગયેલું અનુભવાય છે. નગરમાં લાખો લોકોની અવરજવર કેમ ન હોય, નાયિકાને માટે એ તમામ જડ છે, નિષ્પ્રાણ છે. આગળના શેરો પણ એ જ રીતે નખશિખ આસ્વાદ્ય થયા છે.

Comments (5)

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઈ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઈ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું, – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઈ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

– રમેશ પારેખ

સૂરજ એટલે આશા. ગામ એટલે જીવન.

Comments (1)

પળમાંય તૂટે … – હિતેન આનંદપરા

કેટલુંયે સાચવો તોય આ તો સંબંધ છે
પળમાંય તૂટે…
વર્ષોથી લાડમાં ઉછરેલા શ્વાસ કદી
એકદમ અણધાર્યા ખૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

સીંચીને લાગણી વેલને ઉછેરો
ને વેલ કેવું વીંટળાતી જાય
આછેરી ઘરમાં એ બાકી રહે
ને ઝાઝેરી ફંટાતી જાય
ડાળીને અંધારા ફૂટે…
સંબંધ છે, પળમાંય તૂટે…

અળગા થવાનું કંઇ સહેલું નથી
ને સાથે ટહુકા રૂંધાય,
નાનકડા ઘરમહીં ધીરે ધીરે પછી
દીવાલો બંધાતી જાય
આ મૂંઝારો માણસને લૂંટે
સંબંધ છે, પળમાંય તૂટે…

– હિતેન આનંદપરા

સાચા દિલના સંબંધ બાંધવામાં આખું જીવતર નીકળી જતું હોય છે, અને તોડવામાં જોઈએ એક ક્ષણ…..

Comments (4)

તું ના આવે એ ચાલે? – વિવેક મનહર ટેલર

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?

કેસૂડા તત્પર છે લઈને હાથ કલમ ને કિત્તા,
તું આવે તો ગીતો લખશે, ના આવે તો કિટ્ટા;
સજીધજીને તારા માટે ખડી છે સૃષ્ટિ આ, લે;
હૈયું નાચે ધ્રબાંગ તાલે, તારી ખોટ જ સાલે,
ને તું ના આવે એ ચાલે?

ઊભો છું સદીઓથી લઈને નજરોની પિચકારી,
દિલમાં ઊતરી અંદરથી છે રંગવાની તૈયારી;
અરમાનોની ટોળી જો ને, પૂરજોશમાં મ્હાલે,
આજ કરીએ જીવ-શિવ એક, કાલની વાતો કાલે,
ને તું ના આવે એ ચાલે?

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૩-૨૦૨૦)

આમ લયસ્તરો પર હું સામાન્યરીતે મારી પોતાની રચનાઓ મૂકવાનું ટાળું છું, પણ ક્યારેક દલા તરવાડીની જેમ ‘લ્યોને બે ચાર’ કરીને કવિતા પોસ્ટ કરવાનું મન થઈ પણ જાય… વાંચો અને કહેજો કે આ ગુસ્તાખી કેવી લાગી…

Comments (45)

(ના કોઈ રંગ ગુલાલ) – વિમલ અગ્રાવત

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

રંગ બ્હારનો હોય તો એને ભૂંસું હું પળભરમાં,
ફૂલગુલાબી પડ્યો શેરડો, ઊતરી ગ્યો અંતરમાં.
રુંવે રુંવે રંગ ફૂંવારા ઉડ્યા રે તત્કાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

ઊંચાનીચા શ્વાસ અને ધબકારા પીટે ઢોલ,
સખીઓ પૂછે, ગામ વચાળે કોણ રંગી ગ્યું બોલ,
દોટ મૂકી હું દોડી પાછળ પગલાં રહી ગ્યા લાલ.
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.

– વિમલ અગ્રાવત

હોળી-ધૂળેટીના ગીતો લખાતાં આવ્યાં છે, લખાતાં જ રહેશે. દરેકની પોતપોતાની મજા છે. આ ગીત જુઓ. અહીં કોઈ પિચકારી નથી, કોઈ રગ નથી, કોઈ ઢોલ વગેરે નથી છતાં બધું જ હાજર છે. આ તારામૈત્રકની હોળી છે. નખરાળો એની પ્રિયાને નજરોની પિચકારીથી રંગે છે અને પ્રિયાના ગાલ પર પડતા શરમના શેરડા ઠેઠ એના ભીતર સુધી ઊતરી જાય છે ને નાયિકા જે રોમાંચ અનુભવે છે એને કવિ ફૂવારા તરીકે જુએ છે. કેવી અદભુત વાત! ભૂંસ્યો ભૂંસાય નહીં એવો છે આ રંગ. શ્વાસની અને હૃદયની ગતિ વધી ગઈ છે ને ધબકારા ઢોલ જેવા વાગતા અનુભવાય છે. સખીઓની ટિખળ ન સહેવાતાં નાયિકા હડી કાઢે છે ને પાછળ રહી જાય છે કવિતાની અનુભૂતિનો ગુલાલ….

Comments (5)

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

Comments (2)

होली पिया बिणा लागाँ री खारी – मीराँबाई

होली पिया बिणा लागाँ री खारी।

सूनो गाँव देस सब सूनो, सूनी सेज अटारी।
सूनो बिरहन पिव विण डोलाँ, तज गया पीव पियारी।
विरहा दुःख मारी।

देस बिदेसा णा जावाँ म्हारो अणेशा भारी।
गणताँ गणताँ घिस गयाँ रेखाँ, आँगरियाँ री सारी।
आयाँ णा री मुरारी।

बाज्यो झाँझ मृदंग मुरलिया बाज्याँ कर इकतारी।
आया बसन्त पिया घर णाँरी, म्हारी पीडा भारी।
स्याम मण क्याँरी बिसारी।

ठाडो अरज कराँ गिरधारी, राख्याँ लाज हमारी।
मीराँ के प्रभु मिलव्यो माधो, जनम-जनम री क्वाँरी।
मण लागी दरसण तारी।

– मीराँबाई

મીરાંબાઈના અમર પદોમાં હોળીગીતો પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. હોળીના બહાને શ્યામ-સાંવરાને મનાવવાનું-ખીજાવાનું-લાડ લડાવવાનું એ ચૂકતાં નથી. પિયા વિના એમને હોળી અકારી લાગે છે. ગામ, દેશ, સેજ, અટારી- બધું જ પ્રિયતમ વિના સૂનું છે. પિયુના ત્યજી જવાથી સૂની પડેલી વિરહણને વિરહનું દુઃખ ભારી થઈ પડ્યું છે. પ્રિયજનને શોધવા એ ઘર છોડીને દેશ-વિદેશ પણ જઈ શકે એમ નથી કેમકે એને અંદેશો રહે છે કે ક્યાંક હું ઘર બહાર નીકળી એવામાં એ આવીને ચાલ્યો ગયો તો? એ તો બસ, મુરારીની પ્રતીક્ષામાં આંગળીના વેઢે દિવસો ગણી રહી છે અને ગણતાં-ગણતાં બધા વેઢા પણ ઘસાઈ ગયા છે હવે તો! પ્રતીક્ષાની કેવી પરાકાષ્ઠા! કેવી ઉત્કૃષ્ટ કવિતા! ઝાંઝ-મૃદંગ-વાંસળી-એકતારો વાગી રહ્યા છે, કેમ કે વસંત ઋતુ આવી ચડી છે. પણ શ્યામ તો એને વિસરી બેઠો છે. આવતો જ નથી એટલે મીરાંબાઈ અરજ કરતાં કહે છે કે પ્રભુ! મારી લાજ રાખો. તારા દર્શનની આશામાં હું જનમ જનમથી કુંવારી છું…

Comments (5)

રોકાઈ ગયો છું – ભગવતીકુમાર શર્મા

આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

-ભગવતીકુમાર શર્મા

પાંચમો શેર ગઝલમાં આગંતુક લાગે છે. બાકીના બધા મજબૂત છે.

Comments (1)

બુઢાપો – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

સાથીઓ
રાહ ન જોતા મારી,
દિવસ ઢળવા આવ્યો છે,
નીકળી પડો.

મને લાગશે થોડો સમય,
હું તમારી જેટલો નિરાવરોધ નથી.
જો હું ક્યાંક બેસીશ તો પછી
મારા તનમાંથી ફૂટી નીકળશે ડાળખી
અને પગમાંથી ફૂટશે મૂળિયાંઓ.
પછી તમે ચપટી વગાડશો
ને હું તરત નીકળી શકીશ નહીં.

માટે, સાથીઓ, ચાલવા માંડો
મારી રાહ જોયા વગર.
મને મોડું થશે.

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

લગભગ છએક દાયકાઓ પહેલાં લખાયેલી રચના આજેય જેવી તરોતાજા લાગે છે! શરીરમાંથી ડાળ-મૂળ ફૂટી નીકળવાની અભિવ્યક્તિ આજે પણ આધુનિક લાગે છે. વૃદ્ધાવસ્થાને સહજપણે સ્વીકારી સાથીઓ પર બોજ ન બનવા માંગતા કથકની આ વાત વાંચતાં જ સ્પર્શી જાય છે.

Comments (2)

કે આહા! – લલિત ત્રિવેદી

અગનમાં જ આરામગાહા કે આહા!
છે કેવા રૂહાના પલીતા કે આહા!

નિભાવી છે કેવી તો આતિશમિજાજી…
ઊડે છે બદનમાંથી તણખા કે આહા!

કલમ છે કે લોબાન છે, માસાઅલ્લા…
ગઝલ થૈ ગઈ ઈદગાહા કે આહા!

કટારી હજી ઔર ઊંડે… ઓ કામિલ
રહમ! ઔર ઊંડે હો એક ઘા કે આહા!

ઋચાઓ ઋચાઓ.. ગહન લગ શિખાઓ…
પ્રગટ હો શમન લગ ધખારા કે આહા!

સમિધ થૈ ગયેલા અભરખા કહે છે-
-શમનમાંથી પ્રગટે છે સ્વાહા કે આહા!

ને પરછાઈ પણ કાષ્ઠ પર ચેતવીને
ચિરંતન કરી દ્યો રે શાતા કે આહા!

લલિત તારા ભાણામાં ક્યાંની આ રોટી
પરબ થૈ ગયા જેના પ્યાલા કે આહા!

– લલિત ત્રિવેદી

Comments (3)

કુંવારી છોકરીનું ગીત….. – રમેશ પારેખ

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

આવા તે ગામમાં દિવસ ઊગ્યો
કે રાત ઊગી તે કેમ કરી જાણું
સૂરજ ન હોય તો ય સૂરજમુખીનું ફૂલ ઊગે
– ને વાય અહીં વ્હાણું

મૂંઝારે ફાટફાટ છાતી ભીંસાય,
મને કંઈ તો રોયનું સુખ આપો….

પાણી તો ઠીક, હજી પાણીનું નામ નથી
હોઠ સુધી કોઈ વાર આવ્યું
ઊગ્યું છે કંઠ મને રેતીનું ઝાડવું
એ વધતું રે જાય છે સવાયું
ખાલી રે કંઠ અને ખાલી હથેળીયુંને
કંઈ તો ખોયાનું સુખ આપો….

આંખોને કાળમીંઢ કોણે ઘડી છે
મને કંઈ તો જોયાનું સુખ આપો…

– રમેશ પારેખ

 

શૂન્યતા એટલી ઘેરી છે કે અભાવ સુદ્ધાં નથી !

Comments (1)

ભૂલ – હરીન્દ્ર દવે

અડકીને ચાલો તોય અળગા, સાજન,
હોઠ મલકે ને ખીલે નહીં ફૂલ,
સેજમાં તમારી સોડે સૂતી, ને તોય
નેણ ખટકે ઉજાગરાની શૂળ.

મનમાં ઊઠે છે કેવા કેવા તરંગ,
હવે ‘કોને કહું’ ‘કોને કહું’ થાતું,
પાસે ને પાસે તમે આવો ને મન મારું
અદકું ને અદકું મૂંઝાતું;
વેણમાં ન હૈયાનાં પ્રોવાતાં કહેણ
કહો કેમ કરી કરવા કબૂલ?

વેગળા રહો તો વ્રેહવેદનાએ પ્રીછું,
રીસ રાખો તો માનથી મનાવું,
સમજો તો બોલતા અબોલાનો ભેદ
એક આંખના ઈશારે સમજાવું.
એટલેથી રીઝો તો મબલખના મેળામાં
કહું કે ‘સાજન મારી ભૂલ !’

– હરીન્દ્ર દવે

સુંદર મજાનું ઊર્મિકાવ્ય….નાજુક શી વાત….નમણાં શબ્દો….નઝાકતભરી માવજત….

Comments (3)

(અંધારની ચાદર સજાવીને) – રાકેશ હાંસલિયા

બધે અંધારની ચાદર સજાવીને,
હવા ચાલી ગઈ દીવા બુઝાવીને.

સમય આવે ભલે બાંયો ચઢાવીને,
નથી ઊભો હુંયે મસ્તક નમાવીને.

ચરણ મૂકે ને થઈ જાતો તરત રસ્તો
તમે આવ્યાં નસીબ એવું લખાવીને.

પૂછો એને જરા આ ઢેબરાંનો સ્વાદ,
જીવે છે જાતને કાયમ દળાવીને.

હતાં જે સાવ અક્કડ, ઉંબરે ઊભા,
પ્રવેશી ગ્યાં ઘણાં માથું નમાવીને.

પહાડોને કહે છે કે હટી જાઓ,
થયો મગરૂર કાગળ બે ઉડાવીને.

કર્યો સોનેટનો ઉલ્લેખ અમથો ત્યાં,
ગઝલ બેસી ગઈ લ્યો મોં ફૂલાવીને.

– રાકેશ હાંસલિયા

રાકેશ હાંસલિયાના નવા સંગ્રહ ‘ક્યારેક ઉત્તર પણ મળે’માંથી એક ગઝલ આજે આપ સહુ મિત્રો માટે… મત્લા જ કેવો મજાનો થયો છે… હવાથી દીવો હોલવાઈ જતાં ફેલાઈ વળતા અંધારાનું સહજ દૃશ્ય કવિએ કેવું બખૂબી દોરી આપ્યું છે! એ પછીના પણ બધા શેર નિતાંત આસ્વાદ્ય થયા છે…

Comments (8)

(આસપાસમાં) – કિરણ જોગીદાસ ‘રોશન’

કાયમ રહે છે કોઈ અહીં આસપાસમાં,
લાગ્યું ન એકલું કદી તેથી પ્રવાસમાં.

કોને ખબર કે ધબકે છે કોના લગાવમાં?
આવ્યુ કશું ન હાથ હૃદયની તપાસમાં.

ભાગ્યા કરે છે રાત દિ’ અંદર ને બહાર, બસ
તો પણ હજી ક્યાં થાક છે આ મારા શ્વાસમાં?

સાથે મશાલ લઈ અને ચાલે છે કોઈ તો
અંધાર છે છતાં ભરું છું ડગ ઉજાસમાં.

મંઝિલ મળે કે ના મળે એની ત્યજી ફિકર,
રાખો કચાશ ના કદી ‘રોશન’ પ્રયાસમાં.

– કિરણ જોગીદાસ ‘રોશન’

સરળ સહજ ભાષામાં સુંદર ગઝલ. કોઈ અઘરી-અઘરી કે મોટી-મોટી વાત ન કરી હોવા છતાં દરેક શેર સંતર્પક થયા છે. ગીતાના कर्मण्ये वाधिकारस्तेની યાદ અપાવી, મંઝિલ મળે કે ન મળે એની ફિકર પડતી મૂકીને પ્રયાસમાં કચાશ ન રાખી જીવન ‘રોશન’ કરતાં શીખવતી આ રચના થોડી ભાષાગત કચાશ દૂર કરવાનો પ્રયાસ કરાયો હોત તો હજી વધુ રોશન થઈ શકી હોત.

Comments (10)

પીડાની જાતરા – યોગેશ પંડ્યા

હવઅ તારઅ ન મારઅ હુ સે મારા પીટ્યા
નઈં હાંધ્યો હંધાય હવઅ જીવતરનો ધાંગો.

રૉમ રૉમ બોલીનઅ રાખ્યું, તો રાખ્યું કે-
કાલઅ ભૂલૈઈ જાહે દખ,
પીડાની જાતરોમોં પંડ્યને ય ભૂલૈઈ જીયું
આયુ નંઈ તોય કાંય હખ
હખનો ક્યાં ખાવા દીધો’તો મને રોટલો?
ખાંડણિયે માથું!… ભંગાય ઈમ ભાંગો!

પયણીને આઈ, ઈ, રાત્ય મારા જીવતરની
કાળી બની જઈ’તી રાત્ય.
પીંસાના પાથરણે પોઢવાના ઓરતા
પણ, ઊતરડી લીધી’તી જાત્ય.
એક પા ભડભડતો દવ ખળે, એક પા-
દખનો વરહાદ થતો ખાંગો!

– યોગેશ પંડ્યા

તળપદી ભાષાની તો ફ્લેવર જ અલગ. આ જુઓ. નખશિખ શુદ્ધ ભાવનગરી બોલી. સ્ત્રી પરણીને પતિગૃહે આવે છે ત્યારે સાથે લઈ આવેલા અરમાનોની ચિતા પર બેસીને આપણને એની પીડાની જાતરાએ લઈ જાય છે. થાકી-હારીને અંતે એ પતિને કહી દે છે કે તારે ને મારે હવે કંઈ સંબંધ નથી, જીવતરનો દોરો હવે સાંધ્યો સંધાય નહીં એ રીતે તૂટી ગયો છે. દુઃખ આવ્યું તો સ્ત્રીએ રામ રામ બોલીને એને એ આશાએ સ્વીકાર્યું કે કાલે ભૂલાઈ જશે, પણ પીડાની આ જાતરા એવી વસમી હતી કે જાત ભૂલાઈ ગઈ પણ સુખ આવ્યું નહીં. સાસરિયાંઓએ સુખનો રોટલો કદી ખાવા જ ન દીધો એની સામે ચિત્કારતાં એ કહે છે, કે ખાંડણિયામાં માથું મૂક્યું છે, હવે ખાંડો ખંડાય એમ. સુહાગરાતની વાતો તો કેવી મજાની હોય, પણ નાયિકાના જીવનમાં તો એ રાત જ કાળી માઝમ રાત બનીને આવી હતી. પીંછાના પાથરણે સૂવાના ઓરતા લઈને આવેલી સ્ત્રીની સાસરામાં જાત જ ઉતરડી લેવાઈ. એક તરફ ભડભડતો અગ્નિ ને બીજી તરફ દુઃખનો વરસાદ ખાંગો થાય છે. આમ તો વરસાદ પડે તો અગ્નિ ઓલવાઈ જાય પણ અહીં, કશું ઓલવાતું નથી, ઓલવાઈ છે તો નાયિકાની જિંદગી, આશાઓ, સ્વપ્નો…

Comments (22)

આ ફક્ત એક મરઘાની વાત છે… – ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે
એક બદામી રંગનો મરઘો રહે છે.
મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.
મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે,
ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.
મણિલાલ મરઘાને ખબર નથી
કે પોતે થોડા જ દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,
અને એ ગમે તેમ ભાગી બી જાય,
તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,
અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,
જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,
દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઈન્ડિયા છોડી દે,
તો રોમ ને રંગૂનમાં રંધાશે,
માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,
ખુશામદ કરતો રહેશે તોય કાપશે,
સંતાઈ છુપાઈ જશે તો ગોતી ગોતીને મારી ખાશે.
કહો તમે જ કહો,
મણિલાલ જાય ક્યાં?
મણિલાલ કરે શું?

– ઉદયન ઠક્કર

સરળ લાગતી કવિતા ગૂઢ વાત કરે છે – આપણે સૌ સ્વતંત્રતાને ઉત્તમ વેલ્યુ માનીએ છીએ, ખરેખર કોઈ સ્વતંત્ર છે ખરું ??? ખરેખર શું માનવી પોતાનો ભાગ્યવિધાતા હોય છે ખરો ???? ઉત્તર વાચકની પ્રજ્ઞા ઉપર છોડ્યો છે…..

Comments (3)

સમજાવી દઉ હું યે સાનમાં – ચંદ્રેશ મકવાણા

સમજી સમજીને તમે સમજી શકો તો પછી સમજાવી દઉ હું યે સાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી
ભમરા ડંખે એ વાત જુદી,
ઝરણાનાં લીલાછમ્મ જળને મુકીને કોઈ
રણને ઝંખે એ વાત જુદી,

જરા ઓરા આવો તો એક લાખેણી વાત જરા કહી દઉ હું ધીમેથી કાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

સાગરમાં તરવાનો શોખ કદી જાગે
તો ડૂબવાની તૈયારી રાખવી
પ્રેમમાં પડ્યાનો કદી અવસર આવે તો
પ્રીત સહિયારી સહિયારી રાખવી

વાત એ પણ લખાઈ છે સીધીને સાફ વેદ, ગીતા કે બાઇબલ, કુરાનમાં,
આમ ફાંફાં ન મારો વેરાનમાં…

– ચંદ્રેશ મકવાણા

 

‘ફૂલડાં વીણો તો ક્યાંક કાંટા વાગે ને વળી ભમરા ડંખે એ વાત જુદી…..’ શું મુદ્દાની વાત કરી છે !! તે પણ વળી કેવી નજાકતથી !!!

Comments (3)

કવિતા: ચૈતન્યની પુરાતત્ત્વવિદ્યા – માઇક એસિગ

કવિતા એ નખશિખ
ચૈતન્યની
પુરાતત્ત્વવિદ્યા છે;
મનના
ઘડાની ઠીકરીઓ,
જેના સાચા અનુભવનું
માત્ર
અનુમાન જ કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે એમની અસલ ગોઠવણી.
તમે કોશિશ કરો છો
એ બધાયને ફરીથી ભેગા કરવાની,
પણ એ શક્ય જ નથી.
તમે જ્યારે એ લખો છો,
ત્યારે સંકેતો મૂકતા જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
અને જેઓ કદી પણ
પૂરેપૂરું સમજી શકવાના નથી
કે તમે કોણ હતા,
પણ એ બરાબર જ છે
કારણ કે
તમે પણ ક્યારેય નહોતા સમજી શક્યા.

– માઇક એસિગ
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતા વિશેની કવિતાઓ લખાતી આવી છે, લખાતી રહેશે.  માઇક એસિગ કેવી મજાની રચના લઈ આવ્યા છે! કવિતા બીજું કશું નથી, આપણી ચેતનાની ભીતર ઊંડે ઊતરીને કરેલું ખોદકામ છે. વર્ડ્સવર્થે કહ્યા મુજબ emotions recollected in tranquility માંથી એ જન્મ લે છે. કવિનો અનુભવ અક્ષત છે, એ પોતાના ચૈતન્યને અ-ક્ષરદેહ આપે છે ત્યારે લાગણીઓને યથાતથ અભિવ્યક્ત કરવા ધારે છે પણ જ્યારે ભાવક કવિતામાંથી પસાર થાય છે ત્યારે એના હાથમાં શું એ અક્ષત લાગણીઓ આવે છે ખરી? કે પુરાતત્ત્વવિદ પ્રાચીન ખંડેર ખોદી કાઢે ત્યારે હાથમાં જેમ આખા ઘડાના બદલે કેવળ ઠીકરીઓ આવે છે, અને ઠીકરીઓ પરથી આખો ઘડો કેવો હશે એનું કેવળ અનુમાન જ કરવાનું રહે છે, એમ માત્ર છૂટક અહેસાસ જ હાથ આવે છે? કવિ કવિતા લખે છે ત્યારે સહગામીઓ, અનુગામીઓ એની સ્વાનુભૂતિને યથાર્થ ઉકેલી શકે એ માટે પૂરતી કોશિશ કરે છે, પણ કોઈ માણસ કદી બીજાના માનસને પૂર્ણપણે સમજી શક્યો નથી, સમજી શકનાર નથી… એટલે જ કવિતા એક જ હોય છે, પણ ભાવકે-ભાવકે અનુભૂતિ અલગ હોઈ શકે છે.

The Archeology Of Consciousness

Poetry is solely
the archeology
of consciousness,
the pot-shards
of a mind
whose true
experience
can just be
guessed at.
When you read it
you discover
mere pieces,
not the original
arrangement.
You try to wonder
them back
together,
but can’t quite.
When you write it,
you leave clues
for scientists
yet to arrive
who will never
fully understand
who you were,
which is OK
because you
never did either.

-Mike Essig

Comments (4)

(મહેંદી જોઈને) – આરતી યુ જોશી ‘અમી’

હાથમાં મુકેલી મહેંદી જોઈને,
યાદ કરતી હોઉં છું હું કોઈને !

તારા દીધેલા જખમને સીવતા,
આખરે તૂટવું પડયું છે સોઈને.

હસતા મોઢે હું તને સંભારું છું,
થાકી ગઈ છું હું વિરહનું રોઈને.

મારી નજરોમાં જ ઉત્તર વાંચી લે,
હું નહિ બોલીશ સામે જોઈને

નામ મારું જાતે પાડ્યું છે ‘અમી’,
મે નથી બોલાવી મારી ફોઈને !

– આરતી યુ જોશી ‘અમી’

કેવી સુંદર ગઝલ! એકદમ સરળ-સહજ છતાંય વાંચવાવેંત દિલો-દિમાગનો કબ્જો કરી લે એવી. બધા જ શેર ઉત્તમ થયા છે.

Comments (13)

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

Comments (4)

મારા નાવિક – જગદીશ જોષી

સાવ સીધી નદીનાં વ્હેણ વાંકા થયાં
અને વાંકી નદીનાં વ્હેણ સીધાં;
કાંટા પર મ્હોરેલા લીલા પડછાયાનાં,
વેણ અમે પાંપણથી પીધાં.

સૌરભની શાલ હવે ઓઢે હવા,
પણ વાયરાનો સોળ તોય વાગે,
રણઝણતા ક્યાંક ક્યાંક ઊડે છે આગિયા
પણ આંખોમાં અંધારું જાગે !

તારી નદીની અમે નાવ, મારા નાવિક !
એવા સોગંદ અમે લીધાં.

ચરણોને ચાલવાની ઝંખના જાગી,
ત્યાં રસ્તાએ જોઈ લીધું આડું,
આંખોના કૂવામાં આંસુના મધપૂડા,
તરસ્યાંને કેમ સાદ પાડું ?

તારી વાતોમાં અમે કેવા ડૂબ્યાં
કે અમે અમને અળખામણાં કીધાં !

– જગદીશ જોષી

આંખોના કૂવામાં આંસુના મધપૂડા…….!!!!! શું કવિકર્મ છે !!! અદભૂત !!!!

Comments (3)

વાત લ્યાં કોણ માને? – હસમુખ કે રાવલ

કોન્દાને ભૈ, જરીય નખમાં રોગ તો વોય ચ્યાંથી?
વાળી બેઠા પગ મિલિટ ભૈ, ચ્યાંય જોયા તમીં હેં?
જોકે રોમ્ભૈ અનુભવી છતાં હાવ સૂટી પડ્યા તે-
નાંશી જીપે શિવિલ લઈ જ્યા,વાત લ્યાં કોણ માને?

વ્હેલાં ચારે ટણણ ખખડ્યો ફોન ટાઢા અવાજે,
જીવી તો ભૈ દહ-દહ જણે હાથ ઝાલી ન રહેતી.
કૂવે-કૂવા ઠપ,તરત હાંફે ચડી શેમ આઈ,
ત્યોં ઓચિંતી જીપ ઊછળતી પોકની પોક લાઈ.

કોન્દા હૂતા ઉમરભરની ઊંઘ લેવા ચિતાએ,
ધૂણી સોતો પવન અડતાં…હંસલો જાય ઊડ્યો.
નેકે પાણી ખળખળ જતાં ભૂલતાં જાય ચ્હેરો
હાલ્લે કાળા દિવસ ઊછળ્યા છાજિયાની ધડૂસે.

‘માડી,ચ્યેવાં અધર ઊછળી…’ નેનકી કૂટતી ત્યાં,
‘લૂંડી લાજાં…’ ધખતી પણ જીવી હશી ઓઠ બીડી.

-હસમુખ કે રાવલ

આસ્વાદ: ઉદયન ઠક્કરની કલમે:

મૃત્યુ પર જીવનનો વિજય

આ સોનેટ મંદાક્રાંતા છંદમાં રચાયું છે.ગુજરાતીનું સૌપ્રથમ સોનેટ ‘ભણકારા’ (બ.ક.ઠાકોર) પણ આ જ છંદમાં રચાયું હતું. પરંતુ બેયની ભાષામાં કેવડો મોટો ફરક! પંડિતયુગનાં બધાં સોનેટ સંસ્કૃતગંધી ભાષામાં રચાતાં હતાં.એથી વિરુદ્ધ આ સોનેટની ભાષા એટલી તળપદી છે કે શહેરીઓને સમજવી ય અઘરી પડે. સોનેટનું ઇટાલિયન કાવ્યસ્વરૂપ, સંસ્કૃત છંદ અને ઉત્તર ગુજરાતની બોલીના સંયોજનથી હસમુખ રાવલે અતિ વિલક્ષણ કાવ્ય સર્જ્યું છે.

કોન્દા નામના માણસની તબિયત રાતી રાયણ જેવી રહેતી હતી. તે અહીંથી ત્યાં હડીઓ કાઢતો હતો.(નખમાં રોગ ન હોવો, પગ વાળીને બેસવું, જેવા રૂઢિપ્રયોગોથી કવિએ બોલચાલની ભાષા નીપજાવી છે.’મિનિટ’ નહિ પણ ‘મિલિટ’ લખતા કવિના કાન સરવા છે.)કોન્દાની તબિયત એવી તો લથડી, એકાએક, કે રામભાઈ જેવા જમાનાના ખાધેલ પણ મુંઝાઈ ગયા અને મારતી જીપે તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા.

સવારે ચારના અસૂરા ટાણે ફોન રણક્યો. નીરવ શાંતિમાં ફોનનો ટણણ અવાજ કેવો આકરો લાગ્યો હશે! આવા સમયે તો અશુભ સમાચાર જ હોવાના, એટલે ફોન કરનારના અવાજને ટાઢો કહ્યો છે. જીવીએ (કોન્દાની પત્ની જ હશે) એવી તો રોકકળ મચાવી કે કોઈ તેને સાંત્વન આપી ન શક્યું.

કૂવાઓ ઠપ થઈ ગયા- ન પનિહારીઓ કે ન પંપના અવાજ. ‘શેમ’ એટલે સીમ. સમાચાર સાંભળીને દૂર દૂરથી સૌ દોડતાં આવ્યાં.ત્યાં તો કાળમુખી જીપ આવી પહોંચી અને કુટુંબીજનોએ પોક મૂકી.

કોન્દા ચિતાએ પોઢ્યા. જીવનમાં ન મળી શકેલી એવી ખલેલ વિનાની નિદ્રા અંતે તેમને સાંપડી. ધૂણીના ધુમાડાને હડસેલે હંસલો (જીવ) ઊડ્યો. છાજિયા-મરસિયામાં છાતી કુટાય તેની ભીષણતા ‘ધડૂસ’ શબ્દથી કાનવગી કરાઈ છે. પણ જીવન કોઈને માટે થોભતું નથી. ફરી કૂવાના પંપ ધમધમતા થયા, નીકે પાણી વહેતું થયું, કાળના પ્રવાહમાં કોન્દાનો ચહેરો ભૂંસાતો ચાલ્યો.

આ ‘શેક્સપિયરન સોનેટ’ છે, જેની અંતિમ બે પંક્તિઓમાં ભાવપલટો આવે. જીવીની દીકરી નેનકી બોલી પડી, ‘માડી, તું કેવી ઊછળીને ઉધામા મચાવતી હતી!’ શિશુ ભૂતકાળમાં નહિ પણ વર્તમાનમાં જીવે. કોન્દાના મૃત્યુનો ઓછાયો નાનકીને શિરેથી સરી ગયો છે.જવાબમાં જીવીએ ડૂસકું ભર્યું? પોક મૂકી? ના રે ના! ‘તને લાજ નથી આવતી?’ એવું પૂછીને તે હસી,બંધ હોઠે. લોકલાજને કારણે મુક્ત હાસ્ય તો ન કરી શકાય, પણ તેણે મલકી જરૂર લીધું.
જીવી શું કામ હસી? મૃત્યુને નિહાળીને જિંદગી નિ:શ્વાસ તો મૂકે છે, પણ વળતી જ પળે પાછો શ્વાસ લઈ લે છે. ‘જીવી’નું નામ પણ સાંકેતિક છે. મૃત્યુ પર જીવનનો વિજય ઊજવતું સ્નેહરશ્મિનું હાઇકુ જુઓ-

હિરોશિમાની
રજ લઈ વનમાં
ઘૂમે વસંત

-ઉદયન ઠક્કર

Comments (6)

ફાવી નથી શકતો – અમીન આઝાદ

જમાનો એક એવા શ્વાસ પર ફાવી નથી શકતો,
કદી જે આવ-જામાં જઈ ફરી આવી નથી શકતો.

હજી મ્હેફિલથી અંધારાં ઉલેચાવી નથી શકતો,
બળે છે દીપ દિલનો, રોશની લાવી નથી શકતો.

સમાજ ઉજવી રહ્યો છે આપણા બન્નેની મજબૂરી,
તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો.

ન ખાલી થાય, ના ઊભરાય; એવી રીતે પીઉં છું,
નયન-પ્યાલા ભર્યા રાખું છું, છલકાવી નથી શકતો.

દયાની એને પાબંદી, ઈબાદતમાં મને મુશ્કિલ!
અહીં ફાવી શકું છું, ખુદા ફાવી નથી શકતો.

મોહબ્બતના કસમ, બંધન જરૂરી છે મોહબ્બતમાં,
‘અમીન આઝાદ’ જેવો પણ અહીં ફાવી નથી શકતો.

– અમીન આઝાદ

કેવી મજાની ગઝલ! હું તો મત્લા પરથી જ આગળ વધી નથી શકતો…

Comments (2)

સ્વ. રાવજીએ ન લખેલું ગીત – નયન હ. દેસાઈ

નર્સ, મારા ભાગી જતા શ્વાસના ભાતીગળ કાફલાને રોકી શકે તો હવે રોક,
સ્પેશિયલ વૉર્ડમાં આ ટકટકતી ઘડિયાળે મૂકવા માંડી છે મરણપોક.

ચારે દિશાએ હાથ મૃત્યુના લંબાવ્યા ધખતી બપોરે મારી પાંખમાં,
પીળાંપચ સ્મરણોનાં વૃંદાવન સળગે છે સૂરજ ઊગે ને મારી આંખમાં,
નર્સ, મારા ભૂરા આકાશની લીલીછમ છાંયડીઓ સળગી રહી છે છડેચોક.

પોપચામાં મોરપિચ્છ, શમણાંની રાખ બળે, નીંદર આવે તો હવે કેમ?
મુઠ્ઠીભર ક્ષણને મેં ખાલીખમ પાંસળીમાં જકડી રાખી છે જેમતેમ,
નર્સ, મારાં ગળવા માંડેલાં આ હાડકાંના ઢગલા પર અણિયારા ખીલાઓ ઠોક…

કાલે ઊઠીને નહીં હોઉં તો એ બારસાખે કંકુના થાપાને ભૂંસજો;
ઝૂરતા એ ઉંબરને ‘ઝાઝા જુહાર’ કહી ડેલીની સાકળને ચૂમજો,
નર્સ, એની આંખોમાં ઊગેલા કંકુના સૂરજનાં અજવાળાં ફોક…

– નયન હ. દેસાઈ

સામાન્ય માણસ જ્યાં અટકી જાય છે, કવિ ત્યાંથી આગળ વધે છે. આપણે જાણીએ છીએ કે ક્ષયરોગની બિમારીના કારણે રાવજી પટેલ માત્ર ૨૯ વર્ષની ટૂંકી વયે આપણને ‘ગુડ બાય’ કરી ગયા. અમરગઢમાં જીંથરીના રુગ્ણાલયના ખાટલે મૃત્યુને ઢૂંકડું ઊભું જોઈને એમણે લખેલું ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીત ગુજરાતી ભાષાના સર્વોત્કૃષ્ટ ગીતોમાં સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. રાવજી પટેલે તો આપણને એ અમર ગીત આપીને ચાલ્યા ગયા. બધાથી ઉફરી તરી આવતી કવિતાઓ આપવા માટે બહુખ્યાત કવિ શ્રી નયન દેસાઈ આપણને સ્વર્ગસ્થ રાવજી પટેલે ન લખેલું ગીત આપે છે.

રાવજી પટેલ જાણે છે કે એમના ભાતીગળ શ્વાસોનો કાફલો સરકી જઈ રહ્યો છે એટલે એ સારવાર આપતી નર્સને ઈજન આપે છે કે રોકી શકે તો રોકી બતાવ. ઘડિયાળની ટકટક પણ મરણપોક જેવી સંભળાય છે. રાવજીના લીલા ઘોડાઓ પીળા પાંદડે ડૂબે છે, તો રાવજીની ન કહેલી આપવીતી કહેતા પરકાયાપ્રવેશી નયન દેસાઈના ગીતમાં પીળાં સ્મરણોનાં વૃંદાવન અને લીલી છાંયડીઓ બધું સાગમટે સળગી રહ્યું છે. ટીબીના કારણે ગળવા માંડેલા હાડકાંઓ ગળતાં જતાં જીવતરને માંડ પકડીને બેઠાં છે. નયન દેસાઈનું રાવજીત્વ થોડું મુખર છે. એ ઝાઝા જુહાર કહીને બારસાખેથી કંકુથાપા ભૂંસી, ડેલીની સાકળ ચૂમી લેવા કહે છે. રાવજીની આંખ કંકુના સૂરજને આથમતો જુએ છે, નયન દેસાઈનો રાવજી કંકુના સૂરજનાં અજવાળાં ફોક કરીને આપણા અહેસાસમાં અણિયાળા ખીલાઓ ઠોકી આપણને લોહીલુહાણ કરી દે છે.

Comments (19)

સુધી…..– અનિલ ચાવડા

શ્વાસ મારે લઈ જવા’તા છેક મ્હેકાવા સુધી,
બહુ મથ્યો લઈ જઈ શક્યો હું માત્ર પછતાવા સુધી.

ચાળણીમાં પાણી ભરવું છે તમારે તો ભરો,
પણ જરા ધીરજ ધરો જળના બરફ થાવા સુધી.

વસ્ત્ર કે દીવેટ થાવું એ પછીની વાત છે,
રૂ ! પ્રથમ તો જાવું પડશે તારે પીંજાવા સુધી.

આપણી કરતાં પવનની નમ્રતા કેવી, જુઓ!
કમ સે કમ એ રાહ જુએ ફૂલ કરમાવા સુધી.

લાશને પણ નાવ સમજી પાર કરશે એ નદી,
પ્રેમ ઓછો રાહ જુએ પુલ બંધાવા સુધી?

‘આવજો’ બોલીને ગજવે કેમ નાખ્યો આ વખત?
હાથ જે ઊંચો રહે છે ટ્રેન દેખાવા સુધી.

– અનિલ ચાવડા

Comments (4)

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

Comments (1)

દીવાને ઘણી ખમા -પારુલ ખખ્ખર

કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા
કમલી… તારા આંગણિયે અજવાળા મૂકે દોટ, દીવાને ઘણી ખમા.

કમલી, તારા દીવા ફરતે કેટકેટલા ભેદ બાઈ…
કમલી, તારું જીવતરિયું તો ખુલ્લે ખુલ્લી કેદ બાઈ…
ટૂંકમાં કહી દે, મોઘમ કહી દે ક્યાં લાગી છે ચોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારો રાણો વસતો દૂરદૂર કો’ દેશ બાઈ…
કમલી, તારી પરબડીએ આવ્યો થઈ દરવેશ બાઈ…
કહી દે ભોળી પૂતળિયું ને આજ રહે ના ભોટ, દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા રાણે લીધી નહિ મળવાની ટેક બાઈ…
કમલી, તારે એકલપંડે જાવું છેકોછેક બાઈ…
એક વરતનો પાક્કો બેલી, એકની ફરતે કોટ દીવાને ઘણી ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

કમલી, તારા અખંડ દીવડે કદી ન ખૂટજો તેલ બાઈ…
કમલી, તારી ભીંતે ફૂટજો અમરતફૂલની વેલ બાઈ…
વાટ નિરખતી આંખડિયુંમાં ના’વે ભરતી-ઓટ, દીવાને ઘણા ખમા
કમલી… તારા ઓરડીયે એક જલતી મદ્ધમ જ્યોત, દીવાને ઘણી ખમા.

-પારુલ ખખ્ખર

અમરેલીના હવા-પાણીમાં નક્કી કંઈક હોવું જોઈએ. અમસ્તો જ કંઈ ત્યાંથી ઊઠનાર અવાજ આમ અલગ ન તરી આવે! જુઓ આ ગીત…

કમલીનો રાણો કોઈક કારણોસર એને ફરી નહીં મળવાની ટેક લઈને દૂરદૂરના કોઈક દેશમાં વસવા ચાલ્યો ગયો છે અને કમલી એની પ્રતીક્ષાનો અખંડ દીવડો સળગાવીને બેઠી છે. વાત કમલીના ઘરની હોય કે એના આતમકક્ષની, એક દીવો ઈંતેજારીનો મધ્યમ આંચે સળગી રહ્યો છે. આંચ મધ્યમ છે, કેમકે ભલે અનવરત પ્રતીક્ષારત્ કેમ ન હોય, કમલીએ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લીધું છે. બીજું, ધીમી આંચ હોય તો પ્રકાશ ઓછો પડે ને મોટી જ્યોત હોય તો દઝાડે પણ ખરી. મધ્યમ જ્યોતનું મધ્યમ અજવાળું ઓરડીના ખુલ્લા બારણામાંથી બહાર એવી રીતે રેલાય છે, જાણે અજવાળું રાણો આવ્યો કે કેમ એ ચકાસવા ઓરડેથી ખોરડાના આંગણિયે દોટ મૂકતું ન હોય! આ દીવો ક્યાંક બુઝાઈ ન જાય એ માટે તો ઘણી ઘણી ખમ્મા જ કહેવું પડે ને!

દીવાલ વગરની ખુલ્લી કેદમાં જીવતી કમલીનું જીવતર અનેકાનેક ભેદ ભીતર ઢરબીને બળી રહ્યું છે. ઘર પરબ સમું બન્યું છે, જ્યાં રાણો વળી દરવેશનો વેશ કાઢીને એના સમાચાર જાણવા આવે છે. મતલબ, રાણાના દિલમાં પણ પ્રેમ તો છે જ. આંખની પૂતળીઓ રાણાને ઓળખવું ચૂકી ન જાય એ માટે પણ દીવાનું સળગતા રહેવું અનિવાર્ય છે. ઘરના દરવાજે પૂતળીઓ લટકાવવાનો પણ એક રિવાજ છે. આ પૂતળીઓ ઘરનું ભૂત-પિશાચ-ચોરોથી રક્ષણ કરતી હોવાની આસ્થા હોય છે. દરવાજે લટકતી આ પૂતળીઓ અંધારામાં ભોટની જેમ રાણાને ઓળખવાનું ચૂકી ન જાય એ માટે અજવાળું વેરતા દીવાને ઘણી ખમ્મા. એક તરફ રાણો ફરી નહીં મળવાની ટેકનું પાક્કું વ્રત લઈ બેઠો છે, તો બીજી તરફ જીવનપથ એકલા જ કાપવાનું નસીબે લખાવી બેઠેલી કમલી જીવતરના કોટમાં બંધ છે. એની પ્રતીક્ષાના અખંડ દીપકનું તેલ કદી ખૂટનાર નથી, એની આંખોમાં ચડેલા વાટના દરિયામાં કોઈ ભરતી-ઓટ નથી, એની રાહ જોવાની તીવ્રતામાં કોઈ વધ-ઘટ થનાર નથી… રાણો ફરી આવે અને કમલીની ભીંત જેવી પ્રતીક્ષા પર અમૃત જેવાં પ્રેમપુષ્પોની વેલ ફૂટે એ જ એકમાત્ર આશા…

Comments (8)

(ફોઈએ) – નેહા પુરોહિત

એકલા હોવાનું શાને રોઈએ,
મોતી માફક જ્યાં ચળકતા હોઈએ.

આંખ, કાગળ, પુસ્તકો કે જિંદગી-
વાંચવાની ટેવ હોવી જોઈએ!

શું તમન્ના લઈને અવતરતી હશે?
કેટલું ઢાંક્યું ઢબુર્યું સોઈએ!

ઝાંઝરી રણકી રહી વર્ષો પછી,
પ્રેમની ઝાલર વગાડી કોઈએ?

ઘાવ દૂઝવા એ પછી મંજૂર છે;
ફક્ત લોહીમાં ગઝલતા જોઈએ.

કોઇને નફરત કરું કેવી રીતે,
નામ ‘નેહા’ પાડી દીધું ફોઈએ!

– નેહા પુરોહિત

આમ તો ક્રિયાપદવાળી રદીફ હોય એટલે ગઝલ કહેવી આસાન થઈ જાય પણ અહીં પ્રયોજાયેલી ક્રિયાપદવાળી રદીફમાં જે રીતે સોઈ અને ફોઈ આવી ગયાં છે એ કાબિલે-દાદ છે. સોયનું કામ બે છેડા જોડવાનું અને ફાટેલું સાંધવાનું. આટલી અમથી વાત જ્યારે બે પંક્તિના શેરમાં આવે છે ત્યારે કેવી ઉત્તમ કવિતા બની શકે છે એ તો જુઓ. સોય હોય કે જીવતર હોય, સાંધવા-ઢાંકવા સાથે પનારો પણ બહુધા સ્ત્રી જ પાડતી હોય છે, અને આ ગઝલ પણ એક સ્ત્રીના હૈયેથી જ અવતરી હોવાથી વાત આટલી દમદાર થઈ શકી છે. સ્ત્રી જ એકલી હોય તોય રોવાને બદલે મોતીની જેમ ચળકાટ વેરતા રહેવાની વાત પણ કરી શકે. બધા જ શેર સંતર્પક થયા છે, પણ સ્વનામધન્ય મક્તા તો કેવો મજાનો! પોતાના નામનો મક્તામાં આવો બખૂબી ઉપયોગ બહુ ઓછા કવિઓ કરી શકે છે.

Comments (10)

(કમાડે) – લિપિ ઓઝા

હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે

ન તકતી,ના શુભ-લાભ,ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે

નિસાસા હવામાં જ્યાં વ્હેતા મૂક્યા મેં
ટકોરા પડ્યા જઈને કોના કમાડે?

ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે

કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે

તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે ‘ભલેને પધાર્યા’ કમાડે !

એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે

કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં’તાં
મરણ પણ નથી આવતું આ કમાડે

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના… કમાડ એટલે શક્યતાઓ ઊઘડવાની વાત. અને કવયિત્રીએ અહીં કમાડે જેવી કપરી રદીફ વાપરીને કમાડ સાથે સંકળાયેલી ઘણી બધી શક્યતાઓને નાણી જોઈ છે અને પરિણામસ્વરૂપ આપણને પાણીદાર શેરોવાળી દમદાર ગઝલ સાંપડી છે. તમામ શેર ધ્યાનાર્હ થયા છે…

Comments (6)

શું ચીજ છે – મનોજ ખંડેરિયા

અસ્તના રંગે ડૂબેલી યાદ પણ શું ચીજ છે ;
દોસ્ત, ઢળતી સાંજનો અવસાદ પણ શું ચીજ છે.

સેંકડો બાંધેલ સાંકળ જેમ ખેંચે છે મને,
જે તમે ના દઈ શક્યા એ સાદ પણ શું ચીજ છે.

તોડી નાખે છે રગેરગ ને ચીરી નાખે ત્વચા,
લોહીમાં એક નામનો ઉન્માદ પણ શું ચીજ છે.

એકલું લાગ્યું નથી ક્યારેય પણ એકાંતમાં
આ મનોમન ચાલતો સંવાદ પણ શું ચીજ છે.

ખોતરે છે જન્મને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.

“મૃત્યુ” જેવો માત્ર ટૂંકા એક શબ્દે તેં કર્યો,
જિંદગીના કાવ્યનો આસ્વાદ પણ શું ચીજ છે.

એ બની રહી આજ પર્યંત મારી સર્જકતાનું બળ,
કોઈએ મૂંગી દીધેલી દાદ પણ શું ચીજ છે.

– મનોજ ખંડેરિયા

સિદ્ધહસ્ત કલમ…….પ્રત્યેક શેર બળકટ

Comments (3)

આપણે હવે મળવું નથી… – જગદીશ જોષી

વાતને રસ્તે વળવું નથી,
આપણે હવે મળવું નથી…

આપણો મારગ એકલવાયો,
આપણે આપણો તડકો-છાંયો,
ઊગવું નથી, ઢળવું નથી,
આપણે હવે મળવું નથી…

હોઠથી હવે એક ના હરફ,
આંખમાં હવે જામતો બરફ,
અમથા અમથા ગળવું નથી,
આપણે હવે મળવું નથી…

– જગદીશ જોષી

મર્મસ્થાને ઘા થાય ત્યારે હ્ર્દય ફરિયાદ કરવી મુનાસીબ નથી સમજતું , હ્ર્દય આઘું ચાલ્યું જવાનું પસંદ કરે છે….

Comments (3)

નિદાન – નીરેન્દ્રનાથ ચક્રવર્તી (અનુ.: ઉર્વીશ વસાવડા)

તેણે હાથ પકડી
નાડી તપાસી બરાબર,
જીભ તપાસી
છાતી અને પીઠ જોઈ સ્ટેથોસ્કૉપથી.
અને માથું ખંજવાળતાં ડૉક્ટર બોલ્યા
તકલીફ તો છે,
પણ આ લક્ષણ દરદના લીધે છે
કે દવાના લીધે કંઈ કહી શકતો નથી.

આગળ જે જે ડૉક્ટરોને
બતાવ્યું હતું તેના કાગળોનો
ઢગલો ઉઠાવતાં મેં પૂછ્યું:
તો પછી?
હાથ ખભ્ભે મૂકીને ડૉક્ટરે કહ્યું:
એક અઠવાડિયા માટે આપણે
બંધ કરીએ બધી દવાઓ?
પછી પાછો લઈ આવજો આને.

અમે આવ્યા રસ્તા પર
ન મળે બસ, ન ટ્રામ કે ન અન્ય વાહન.

બંધ છે બધું
ક્યાંક તોફાન છે એટલે,
એમોનિયાની તીવ્ર ગંધ છે હવામાં
વિસ્ફોટ સંભળાય છે
અને જવાબમાં ધાંય ધાંય અવાજ
લક્ષણો સારાં નથી આ
હું બોલ્યો.

તો દીકરાએ કહ્યું
એ દરદને લીધે છે કે
દવાને લીધે એ ક્યાં નક્કી થાય છે?

– નીરેન્દ્રનાથ ચક્રવર્તી (બંગાળી)
(અંગ્રેજી અનુવાદ પરથી ગુજરાતી અનુવાદ: ઉર્વીશ વસાવડા)

નીરેન્દ્રનાથના બંગાળી કાવ્ય સંગ્રહ ‘ઉલંગા રાજા’ના સુકાન્તા ચૌધરીએ કરેલ અંગ્રેજી અનુવાદ પરથી જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા ‘નાગો રાજા’ સંગ્રહ લઈને આવ્યા છે. એક-એક કવિતા વાંચતાવેંત ઠેઠ ભીતર સ્પર્શી જાય એવી છે.

તબીબ દર્દીપુત્રની બિમારીનું કારણ પકડી શકતો નથી અને પિતાને દવા બંધ કરી જોવા કહે છે, કદાચ દવા જ દર્દનું કારણ હોય તો? એક સાવ સરળ લાગતો વાર્તાલાપ અને અનુભવ અચાનક સૉનેટમાં આવતા વળાંકની જેમ આંચકો આપે એવો મરોડ લે છે. શહેરમાં ક્યાંક તોફાન થયું છે અને તોફાનીઓના બૉમ્બ ધડાકાના જવાબમાં પોલિસ ગોળીઓ છોડી રહી છે. બાપ દીકરાને કહે છે કે આ લક્ષણ સારાં નથી અને દીકરો તબીબે કહ્યું હતું એ જ વાક્ય તોફાનના પરિપ્રેક્ષ્યમાં કહે છે આ તોફાનો બિમારીના લીધે છે કે ખોતા ઈલાજનો પરિપાક છે એ આપણને કોઈને ક્યાં સમજાય છે?

કવિતા આપણા હાથમાં ઊઘાડા જીવંત તાર પકડાવી દે છે… આપણી સંવેદના આંચકો ખાય છે કે કેમ અને કેટલો તે આપણે જોવાનું…

Comments (4)

વેશ્યા – મલિકા અમર શેખ (મરાઠી) (અનુ.: અલકા અસેરકર)

પુરુષો ઉભા હોય છે
નાકે નાકે..
કેડ વાંકી કરીને ને
આઁખો મિચકાવતા
તોય એમને કોઈ વેશ્યા કહેતુ નથી…

– મલિકા અમર શેખ (મરાઠી)
(ગુજ. અનુવાદ: અલકા અસેરકર)

*
નુક્કડ પર, બસમાં, ઑફિસમાં
પુરુષો ઊભા હોય છે, કમ્મર મટકાવતા, આંખ મીંચકારતા,
છતાં કોઈ એમને વેશ્યા નથી કહેતું.

– મલિકા અમર શેખ (મરાઠી)
(અનુ: વિવેક મનહર ટેલર)

*
नाक्यावर, बसमध्ये ऑफिसमध्ये
पुरुष उभे, कंबर वाकडी करीत, डोळा मारीत,
तरी त्यांना कोणी वेश्या म्हणत नाहीत.
– मलिका अमर शेख

કેવી સશક્ત કવિતા! કેટલા ઓછા શબ્દોમાં કેટલી મોટી વાત! આપણી સદીઓ જૂની પુરુષી માનસિકતાના ગાલ પર સણસણતો સમાચો!

Comments (14)

વસંતવિલાસ – અજ્ઞાત (ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઈં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત. |૨|

સમરાત્રિ (અર્થાત્ જેમાં રાત અને દિવસ સરખાં છે એવી) શિવરાત્રિ આવી પહોંચી છે. હવે વસંતની ઋતુ (શરૂ થઈ) છે. દસે દિશાઓમાં (પુષ્પોના) પરિમલ પ્રસરી રહે છે. અને દિગંતો નિર્મળ (વાદળવિહીન) બન્યાં છે.

વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર,
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઈં અપાર. |૪|

વસંતના ગુણો (લાક્ષણિક શોભા) ખીલી ઊઠ્યા છે. બધા આંબા (મંજરીથી) મઘમઘી રહ્યા છે, અને કોયલના અનંત ટહુકા ત્રિભુવનમાં (વસંતઋતુનો) જયજયકાર કરી રહ્યા છે.

માનિની જનમનક્ષોભન શિભન વાઉલા વાઈ,
નિધુવનકેલિકલામીય કામીય અંગિ સુહાઈં. |૬|

માનિની સ્ત્રીઓનાં મનને ક્ષુબ્ધ કરી નાંખતા (અર્થાત્ પરાવ્શ કરી નાંખતા) મનોહર વાયરા વાય છે અને રતિક્રીડાથી શ્રમિત બનેલાં કામીજનોનાં અંગોને સુખ ઉપજાવે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન,
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ. |૭|

વસંતના વાયુઓ મુનિજનના મનને (કામાવેગથી) ભેદે છે (અર્થાત્ વ્યથિત કરી મૂકે છે). માનિની સ્ત્રીઓનાં માન (પ્રણયકોપ) મુકાવી દે છે, કામીજનનોના મનને આનંદ આપે છે અને પથિકજનોના પ્રાણને પીડે છે.

મયણ જિ વયણ નિરોપિએ લોપએ કોઈ ન આણ,
માનિનીજનમન હાકએ તાકએ કિશલકૃપાણ. |૨૧|

મદન જે આદેશો ફરમાવે છે તેની આણ કોઈ લોપતું નથી. (અર્થાત્ કોઈ લોપવાને સમર્થ નથી.) તે કિસલય (કૂંપળ)રૂપી કટાર સામે ધરે છે અને (પ્રિયતમથી રિસાયેલી) માનિનીઓનાં મનને ભયભીત કરે છે.

થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સ્તનો (હંમેશા) દૃઢ રહેવાનાં નથી માટે હે ગમાર સ્ત્રી, મૂર્ખતા કર નહીં. તું શા માટે રિસાય છે? યૌવન તો બેચાર દિવસ જ (ટકનાર) છે.

જિમ જિમ વિહસઈ વિણસઈ વિણસઈ માનિની માન,
યૌવનમદિહિં ઊદંપ તી દંપતી થાઈ યુવાન. |૨૭|

જેમ જેમ વનસ્પતિ ખીલી ઊઠે છે તેમ તેમ માનિનીઓનું માન (પ્રણયપ્રકોપ) ઓસરતું જાય છે (નાશ પામે છે), અને યૌવનના મદથી તે યુવાન દંપતીઓ ઉન્મત્ત બને છે.

ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ ઉપર ભરાઓ ઘૂમી (ગુંજી) રહ્યા છે, જાણે કે શૂરવીર મન્મથના (યુદ્ધ) પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકે છે!

– અજ્ઞાત
(ભાવાનુવાદ: પ્રસાદ બ્રહ્મભટ્ટ)

*

મધ્યકાલીન ગુજરાતમાં ફાગુકાવ્યોનો પ્રારંભ થયો હતો. સંસ્કૃત ‘ફલ્ગુ’ અર્થાત્ ફાગણ-વસંત પરથી ફાગુ એટલે વસંતવર્ણન માટેનો કાવ્યપ્રકાર એમ કહી શકાય. ‘રાસ’ કાવ્યોની જેમ જ એ સમયે ‘ફાગુ’ કાવ્ય પણ ગવાતું અને નૃત્યાદિ સાથે રમાતું. એ સમયના જૈનકવિઓએ ફાગુકાવ્યપ્રકારમાં સવિશેષ ખેડાણ કર્યું છે પણ આશરે પંદરમી સદીના પ્રારંભકાળમાં રચાયેલ ‘વસંતવિલાસ’ નામના આ ફાગુકાવ્યના કર્તાનું નામ જાણી શકાયું નથી, પણ મોટાભાગે જૈનેતર કવિની આ રચના હોવાનું મનાય છે. ૨૪ માત્રાના દોહરા અને રોળા છંદોની ગૂંથણી વડે ૮૪ કડીઓનું આ કાવ્ય વસંતઋતુ આવતાં પિયુની પ્રતીક્ષામાં સળગી રહેલી પ્રોષિતભર્તૃકાની પીડા અને પ્રિયતમના આગમન અને બંનેના મિલનના વર્ણનનું કાવ્ય છે, જેમાંથી કેટલીક કડીઓ લયસ્તરોના વાચક મિત્રો માટે અહીં રજૂ કરી છે. કવિતાની ભાષા, નાદસૌંદર્ય, પ્રાસ અને આંતર્પ્રાસની દૃષ્ટિએ આધુનિક યુગની ઉત્તમ ગીતરચનાઓને ટક્કર આપે એવી છે.

કડીઓ સાથેનો સરળ ગુજરાતી પાઠ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટનો છે. એમનો આભાર.

Comments (1)

વૃદ્ધ થા મુજ સંગ – રોબર્ટ બ્રાઉનીંગ [ અનુ. મકરંદ દવે ]

Grow old along with me!
The best is yet to be,
The last of life,
for which the first was made,
Our times are in his hand
Who saith, “A whole I planned,
Youth shows but half;
trust God: see all, nor be afraid !”

– Robert Browning

વૃદ્ધ થા મુજ સંગ
જીવન રાખશે હજી રંગ
જો, આથમણી સાંજ્યું કાજ
ઉગમણું હતું જ સવાર.
આપણ સમય એને પંડ
સરજ્યું જે કહે, “મેં અખંડ,
જુવાની તો અરધ આભાસ
હરિ પર રાખ તું વિશ્વાસ
સઘળું તે જ માંહી તપાસ
ભય ના રાખ તું તલભાર”

– રોબર્ટ બ્રાઉનીંગ [ અનુ. મકરંદ દવે ]

મૂળ કાવ્ય કદાચ વધુ આકર્ષક છે. વાત સરળ છે……આગે આગે ગોરખ જાગે….

Comments (1)

હૈયા સુધી ગયાં – હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યાં અને હૈયા સુધી ગયાં,
તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં !

શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,
સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,
કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,
વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ જ અજાણ્યા એક વખત જે હતા, હવે
જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં..

– હરીન્દ્ર દવે

પ્રત્યેક શેર પાણીદાર…મક્તો સવિશેષ ગમ્યો….શક્યતાના પ્રદેશની વાત છે.

Comments (2)

લગ્નનું ઘર – ‘સનાતન’

(શિખરિણી)

કિશોરો વસ્ત્રોમાં નવીન બનીને છેલછબીલા
રમે પત્તાં ભેળાં સમવય થઈ મંડપ તળે,
શિશુ નાનાં ભોળાં અહીંતહીં દડે કંદુકસમાં
રજોટાઈ ધૂળે ધૂવળ થકી થાતાં મલિન જે;
પણે બારીમાંથી નિરખી રહી છે વાગવધૂઓ
ઘૂમન્તા ટોળામાં, શરમ થકી જેની નજર ના
થતી ઊંચે તેના તરુણવય વ્યાહેલ પતિઓ;
અગાશીના ખૂણે નવપરિણિતો બે મળી રહ્યાં
બજે વાજાં સાથે સૂરબસૂર શા બ્રાહ્મણતણા
અને વચ્ચે વચ્ચે ઊઠતી બૂમ પાકગૃહ થકી,
જલે ચોરી તેની ઊઠતી ધૂણી પુરંત દૃગને
મચે ચોપાસે શાં કલબલ દધિ ગર્જન સમો!
પરંતુ કન્યાનું દિલ અહીંથી ક્યાંયે દૂર દૂરે
અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અત્ર ધબકે.

– રમણલાલ કુબેરભાઈ પંડ્યા ‘સનાતન’
(૧૯૧૮થી ૧૯૮૭)

આપણામાંથી બહુ ઓછાંને એ વાતની જાણ હશે કે કવિશ્રી ઉશનસ્ ના મોટાભાઈ પણ કવિ હતા અને એમના મૃત્યુ બાદ ઉશનસે એમના કાવ્યોનો સંગ્રહ ‘ચરણરજ’ પણ પ્રગટ કર્યો હતો. પ્રસ્તુત સૉનેટમાં જે લગ્નપ્રસંગમાં રત ઘરનું સરસ વર્ણન કરાયું છે. કિશોરો નવા કપડાં પહેરીને છેલછબીલા થઈ ફરે છે અને નાનાં-મોટાં હોવા છતાં એક જ વયના બનીને મંડપ તળે પત્તાં રમે છે, તો નાનાં શિશુઓ સ્વભાવિક ધૂળમાં ધૂળ બનીને રમી રહ્યાં છે. તાજી પરણેલી સ્ત્રીઓ શરમના માર્યા ઉપર નજર કરી તારામૈત્રક સાધી ન શકતા તરુણ પતિઓને બારીઓમાંથી જોઈ રહી છે. તો વળી એકાદ તાજું પરણેલું યુગલ અગાશીના ખૂણે સંતાઈને પોતાનું એકાંત માણી રહ્યું છે. બેસૂરા સૂરોમાં બ્રાહ્મણ વાજાંઓના અવાજ વચ્ચે મંત્રોચ્ચાર કરે છે અને રસોડામાંથી પણ બૂમો અવારનવાર મંડપમાં આંટો મારી જાય છે. ચોરીના અગ્નિના ધૂમાડાથી આંખો તર થઈ જાય છે. સમુદ્રના ગર્જન જેવા કોલાહલથી લગ્નના ઘર ભરાઈ ગયું છે પણ જેનાં લગ્ન થવાનાં છે એ કન્યાનું હૈયું આ તમામ કલબલ-હલચલની સીમાઓ વળોટીને અજાણ્યા સાથીની મધુર સ્મૃતિમાં અહીં ધબકી રહ્યું છે.

(ધૂવળ-ધૂવર, ધૂળ)

Comments (3)

સખિ! તારો- – રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

‘સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકી વેણી ને મહીં વાંકો કેવડિયો
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો……’

‘વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હૃદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો!’
‘ સખિ તારો વાંકો…’

– રામનારાયણ વિશ્વનાથ પાઠક ‘શેષ’

બે સખીઓનો સંવાદ. એક સખી બીજીને પૂછે છે કે તારું બધું જ વાંકું કેમ છે? અંબોડો, સેંથો, વેણી, વેણીમાં કેવડાનાં ફૂલ, ઠુમકો અને દેહબંધ -બધું જ વાંકું કેમ? તો બીજી એનો પ્રત્યુત્તર વાળે છે કે આંબાની ડાળીઓ, નદીઓ, બીજનો ચાંદો – સૃષ્ટિનું આ ‘બાંકપન’ હૃદયમાં અંકાઈ રહ્યું હોવાથી અને ખાસ તો મારો મેળ જ વાંકા સાથે પડે છે, મનનો માણીગર પોતેય વાંકો છે… દલપતરામનું હળવા મિજાજનું કાવ્ય ‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’ યાદ આવ્યા વિના નહીં રહે…

Comments (3)

(એને ક્યમ ઢંઢોળું) – હરીશ મીનાશ્રુ

સીસ નવાવૈ સંત કો, સીસ બખાનૌ સોય|
પલટૂ જો સિર ના નવૈ, બિહતર કદ્દૂ હોય॥
(પુણ્યસ્મરણ: પલટૂદાસ)

નમે સંતને શિર, નમે તે શિર નહિતર કોળું
ઊંઘણશી જે છતે જાગ્રતિ, એને ક્યમ ઢંઢોળું

મરુથળ શું મન, મૃગજળનો
તેં ખંતે કીધો ખડકલો
સરવર સમજી રાચે
એ તો પરપોટાનો ઢગલો

ભરતી ઓટે ઉછાંછળું તે નીર લવણથી ડહોળું
ઝીલવાં બારે મેઘ ને તારું છાછર સાવ કચોળું

ઘટમાં ઘર ઘેઘૂર ને ભીતર
જે વસનાર ગૃહસ્થી
ખપે ન એને મહેલ મિનારા
ગેહ કે ગુહા અમસ્થી

વણ નક્શાનું ઘર એ ઝીણું, નથી સાંકડું પહોળું
દશે દિશાનાં અંબર : લલદે શીદ જાચે ઘરચોળું

– હરીશ મીનાશ્રુ

ઓગણીસમી સદીના પ્રારંભ-મધ્યકાળમાં થઈ ગયેલા સંત પલટૂદાસ કે પલટૂસાહિબ બીજા કબીરના નામે પણ ઓળખાય છે. એમનો પ્રસિદ્ધ દોહો હાથમાં ઝાલાને કવિ સ-રસ રીતે વિચાર વિસ્તાર કરે છે. જે માથું સંતના ચરણોમાં નમે છે, એ જ સાચું માથું છે; જે નથી નમતું એ મસ્તક નથી, કોળું છે. આ વાત કવિ ગીતસ્વરૂપે વધુ વિગતે કરે છે.

જે જાગવા છતાં જાગી નથી શકતાં એને કઈ રીતે ઢંઢોળી શકાય? રણ જેવા મનમાં મૃગજળ જેવી તૃષ્નાઓનો ખડકલો કરીને આપણે જીવીએ છીએ. જેને સરોવર ગણીએ છીએ એ જીવન તો પળમાં ફૂટી જાય એવા પરપોટાઓના ઢગલાથી વિશેષ કંઈ નથી. સ્થિર હોય એ નીર જ સાફ રહી શકે. દરિયાનું પાણી ભરતી-ઓટના ઉછાળા મારે છે, ઉછાંછળું છે એટલે એ મીઠાંના ભારથી કાયમ ડહોળું રહે છે. આપણી ભીતર જે આત્મા છે, ઈશ્વર છે એને કશાનો ખપ નથી. આ ઘરનો કોઈ નકશો નથી. એના કોઈ આયામ પણ નથી. એ દિશાઓ ધારણ કરે છે ને આપણે એને ઘરચોળું પહેરાવવા મથીએ છીએ, કહીને આપણા સૂતેલા માહ્યલાને જગાડવાની ફેર કોશિશ કરે છે.

(છાછર-તાસક, રકાબી; કચોળું-છલોછલ)

Comments (1)

ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ? – જલન માતરી

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે
ઊંડે ગયા વિના કદી મોતી પમાય છે ?

અંધારા જેની જિંદગીને વીંટળાય છે
વેધે છે લક્ષ્ય એ જ સફળ એ જ થાય છે

હદથી વધારે શોચતાં થાકી જવાય છે
સમજ્યો છું તુજને જેટલો સમજી શકાય છે

ઝુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે
એવું તે કોણ ઓ ખુદા સાગરમાં ન્હાય છે ?

અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે

ભોળા હ્દયનો માનવી માને છે એને સુખ
દુ:ખ દર્દ થોડા દિવસ જો થાક ખાય છે

એના જ કારણે એ નિરાકાર રહી ગયો
પીંછી ફર્યા વિના કહીં આકાર થાય છે ?

માણી લે ચાંદનીની મજા હમણા ઓ ગરીબ
કારણ શશી મનુજના કબ્જામાં જાય છે

લાચાર થઇને દ્રશ્ય આ જોઉં છું હું ‘જલન’
કંચન સરીખા તારલા માટીમાં જાય છે

– જલન માતરી

Comments (2)

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

અનંત સાગરમાં એક અનંત બિંદુ….. [ જિબ્રાન ]

Comments (2)

શેર – मिर्ज़ा ग़ालिब

बंदगी में भी वो आज़ादा ओ ख़ुद-बीं हैं कि हम
उल्टे फिर आए दर-ए-काबा अगर वा न हुआ

– मिर्ज़ा ग़ालिब

અમે બંદગીમાં પણ એવા આઝાદ અને ખુદ્દાર છીએ, કે ઊંધા ફરી ઉતરી આવ્યા જો સામે કાબાનો દરવાજો ખુલ્યો નહિ.

ઘણો જાણીતો શેર છે. અહીં ગાલિબનો અસલ અંદાઝે-બયાં જોવા મળે છે. સામાન્ય વાંચને આ ગાલિબની ખુદ્દારી-આત્મસન્માનની વાત લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ તો ખ્યાલ આવે કે કાબાનો દરવાજો, જે કદી બંધ હોતો જ નથી, તેના રૂપકને પ્રયોજીને ગાલિબ કંઈ જુદું જ કહેવા માંગે છે.

ઈશ્વર ખુદ હો, ઈશ્વરસમક્ક્ષ કંઈક હો, આત્મીય સંબંધ હો…….કંઈપણ અમૂલ્ય વસ્તુ કેમ ન હો – જો તેને પ્રાપ્ત કરવાના પ્રયાસમાં આત્મગૌરવનો હ્રાસ હોય તો સમજી જવું કે ક્યાંક આપણી premises માં જ ભૂલ છે. ઊંધા ફરી આવી જવું અને ગંતવ્યને ફરી ફરી ચકાસવું – ક્યાંક આપણે મિથ્યાઈશ્વરને તો પૂજી નથી રહ્યાને ! સાચો ઈશ્વર,સાચો સંબંધ કદી આગંતુક ભક્તના મોઢે દરવાજા અફાળીને વાસી ન દે……

આ શેર સાથે જ ગુલઝારની ફિલ્મ ‘માચિસ’ નું ગીત યાદ આવ્યા કરે છે….. ” છોડ આયે હમ વો ગલિયાં…….. ”

Comments (1)

થઈ જા ભવાની – કાજલ કાંજિયા ‘ફિઝા’

લખ હવે તારી કહાની,
તું ‘ફિઝા’! થઈ જા ભવાની

બહુ થયું, બસ! ક્યાં સુધી આમ-
તું કલમને બાંધવાની !?

બંધ તૂટે ! તૂટવા દે-
ખોલ હોઠોની બુકાની.

અબઘડી મંડાણ કર, ચાલ;
રાહ ના જો શ્રી સવાની!

જિંદગી દઈ દીધી આખી,
ના મળી એક પળ મજાની.

જો, ઘસાઈ ગઈ છે અંતે
જાત સાથે આ જવાની.

હોઠ પર સૂકાઈ રહી છે,
હાસ્યની અંતિમ રવાની.

જા, તરી જા આખો સમદર,
નાવ લઈને ગાલગાની.

– કાજલ કાંજિયા ‘ફિઝા’

સ્ત્રી જ્યાં સુધી સહન કરી શકાય ત્યાં સુધી બસ સહન કરતી રહે છે. પતિ અને પરિવારનો બોજો એ એના નાજુક ખભા પર મૂંગા મોઢે વેંઢાર્યે રાખે છે. પણ આ જ સ્ત્રી જ્યારે ભાંગી પડવાની કગાર પર આવી પડે ત્યારે કવચિત આપણને રણચંડીનો સાક્ષાત્કાર થાય છે. આ ગઝલ આવા જ કોઈ સાક્ષાત્કારની ગઝલ છે. સામાન્ય રીતે ગઝલના આખરી શેર -મક્તા-માં કવિ પોતાનું ઉપનામ મૂકતા હોય છે પણ આ સાક્ષાત મા ભવાનીમાં રૂપાંતરિત થયેલી સ્ત્રીની ગઝલ છે, જેણે અચાનક સમાજે એની ફરતે બાંધી રાખેલી સાંકળોમાંથી મુક્ત થઈ ઉન્મુક્ત થવાનું નિર્ધાર્યું છે એટલે ઉપનામ મક્તાના બદલે મત્લામાં પ્રયોજાયું છે- જાણે કે કવયિત્રી બળવાનો પડચમ ન લહેરાવતા હોય! બધા જ શેર સ-રસ થયા છે… દૂ…રથી દુષ્યન્તકુમારના અવાજનો પડઘો દરેક શેરમાં સંભળાયા વિના નથી રહેતો…

Comments (11)

તળાવ -ધીરેન્દ્ર મહેતા

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર. – નવo

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર! – નવo

-ધીરેન્દ્ર મહેતા

ગામના સૂકાંભઠ્ઠ થઈ ગયેલા તળાવની સ્વગતોક્તિ. નામ તો તળાવ છે પણ પાણી ટીપુંય નથી. તળાવમાં ટીપુંય પાણી નથી એટલે કાગડા-બગલાં તળિયાં ખોતરે છે અને એકાદું સૂકું તણખલું ચાંચમાં ખોરાક ઝાલીને પકદ્યા બાદ છેતરાયા હોવાના અહેસાસથી ચાંચ ખોલીને એને ફગાવે છે ત્યારે તળાવને જાણે પોતાની મૃત્યુચિઠ્ઠી ખોલતાં હોય એવું લાગે છે. માથે અસીમ આકાશ છે પણ એમાં સમ ખાવાનેય વાદળો નથી. તળાવ વિસરી ગયું છે કે અષાઢ, શ્રાવણ જેવી કોઈ ઋતુ પણ સમયચક્રમાં અસ્તિત્વ ધરાવે છે અને ગોરંભો તો ક્યાંય દેખાતો નથી. તળાવને જાણે તળાવનું નામ દઈને નામના બોજની પીડા વેંઢારવાનું લલાટે જડી ન દેવાયું હોય!

(મયણાં- મરણ, આળન્ગ- ગોરંભો, પીર-પીડા)

Comments (4)