જો ખરેખર પ્રેમ છે તો જાવ ‘ને હાંસલ કરો,
ઘુંઘરૂની જાત પર જાદુ કરી પાયલ કરો.
પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી,
જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો.
હોય હા, તો સ્હેજ બસ માથું હલાવો, કાં પછી
‘ના’ લખીને સહી કરો ‘ને વાત રદબાતલ કરો.
આ જગત પાગલ ન લાગે તો પછી કહેજો મને,
કોઈ પણ વાતે પ્રથમ તો જાતને પાગલ કરો.
એનું સરનામું કે નંબર કંઈ નથી તો શું થયું?
આંખ મીંચીને મનોમન નામને ડાયલ કરો.
– મધુસૂદન પટેલ ‘મધુ’
ખુમારી! નકરી ખુમારી! અને એ પણ કેવી! વાહ, કવિ! એક પાગલવાળો શેર પ્રમાણમાં ઠીકઠાક લાગ્યો પણ એ સિવાયના ચારેય પર તો સમરકંદો-બુખારા ઓવારી દેવાનું મન થાય એવા સશક્ત!
અખાને આપણ્રે એના ચાબખા ફટકારતા છપ્પાઓ વડે જ ઓળખીએ છીએ, પણ અખા પાસેથી એ સિવાય પણ ઘણી કવિતાઓ મળે છે. અખો ક્રમશઃ અદ્વૈતવાદી બન્યો હતો અને જીવ-શિવ એકાકારની માન્યતા ધરાવતો હતો. તત્કાલિન ‘લાજુ’ સંબોધન આપણને પ્રવતમાન ‘લાજો’ની યાદ અપાવે છે. સખી રે (સહી એ)ને સંબોધીને અખો કહે છે કે બહુ લાજશરમમાં રહેવાની જરૂર નથી. આવો લાગ (મનુષ્ય તરીકેનો જન્મ) ગયો તો ફરી મળશે નહીં, એટલે ડર મૂકીને જે ગળે લાગી એકાકાર થઈ જશે એ જ અનેરા શ્યામને પામી શકશે.
જેણે આલિંગનનું સુખ નથી જોયું, એ બુદ્ધિહીન સમા બહાર આંટા માર્યા કરે છે. ઝીણી વાત અર્થાત્ સૂક્ષ્મ જ્ઞાન- બ્રહ્મનું જ્ઞાન ન સમજનાર કહેવાતાં ચતુર પણ ખરેખર મૂરખ છે. જ્ઞાન અને અજ્ઞાન, જીવ અને શિવને જે સમજતાં નથી, એનું જીવન ઘૂંઘરટી (ઊંઘરેટી) અવસ્થા છે, જે જાગવા છતાં ઊંઘ્યા બરાબર છે.
જ્ઞાની હોવું અને જ્ઞાનનો અનુભવ હોવો – એ બે અલગ વાત છે. જ્ઞાની થઈ ફરવું એ દેહનો આછોપાતળો દેખાડો કરવાથી વિશેષ કંઈ નથી. ભોગ (પ્રત્યક્ષ જ્ઞાનાનુભવ) વિનાનો જ્ઞાની ભૂખ્યો જ ગણાય. લાલનના લટકાનો લહાવો લેવાનો જશ પ્રાપ્ત ન થયો હોય એ ભૂંડી ભામિની (જીવ) ભૂલો પડેલો જીવે છે. આમ, અખા સુનાર (સોની)એ થોડામાં બહુ વધારે કહી દીધું છે. જ્ઞાનને ગળે લાગવા માટે લાજનો (અજ્ઞાનનો, મોહનો, અહમનો) ઘુંઘટ હટાવવો જ પડે… (કબીર યાદ આવે: ઘુંઘટ કે પટ ખોલ, તોહે પિયા મિલેંગે)
June 23, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મને ઝરૂખામાં બેસાડો.
મને વીંઝણો નાંખો
મને અત્તરના હોજમાં નવડાવો.
મારા સૌંદર્યની, શૌર્યની પ્રશંસા કરો.
કોઈ ચિત્રકારને બોલાવો મને દોરવા.
કોઈ શિલ્પીને બોલાવો મને કંડારવા.
મારો સ્વયંવર રચાવો.
જાવ, કોઈ વિદૂષકને બોલાવો
મને હસાવો.
ક્યાં ગઈ આ બધી દાસીઓ?
કેમ, કોઈ સાંભળતું નથી?
મને લાગે છે કે હું મારું સામ્રાજ્ય હારી ચૂકી છું.
બધા જ ગુપ્તચરો પીછેહઠના સંદેશાઓ લાવી રહ્યા છે.
જોકે આમ પણ હું ક્યાં કશું જીતવા માગતી હતી ?
એક રાજવી તરીકેના મારા અભિમાનનું
મહામુશ્કેલીથી જતન કરી રહી હતી એટલું જ.
મારી પાંચેય આંગળીઓમાં સાચા હીરા ઝગમગી રહ્યા છે.
જે હવે થોડી જ વારમાં મારે ચૂસી લેવા પડશે.
પણ એ પહેલાં,
રેશમી પરદાઓથી સજાવેલા આ અગણિત ખંડો
જે મેં ક્યારેય પૂરા જોયા નથી,
એ જોઈ લેવા છે. અને
દીવાનખંડમાં મૂકેલા, મારા પૂર્વજોએ શિકાર કરેલા
ભયાનક સિંહ વાઘ, જે મસાલા ભરીને મૂકી રાખેલા છે
એ હવે ચીરીને ખાલી કરી નાખવા છે.
– મનીષા જોષી
જ્યારે પોતીકું તેજ હોતું નથી અને પારકે તેજે પ્રકાશવાનું હોય છે ત્યારે અંત આ જ હોય છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, આત્મતેજ વિના સઘળું નોધારું રહ્યું….કરાલ કાળ મુખવટે છેતરાતો નથી.
અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં
ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,
ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ
મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;
ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.
બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?
નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,
શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.
‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.
– ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
જ્યૉર્જ ફ્લૉઇડનું નામ આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી દઈ હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે જાહેરમાં નિર્મમ હત્યા કરી.
રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો.
રંગભેદની આ નીતિ પર કુઠારાઘાત કરવાના બદલે માત્ર હળવી ટકોર કરીને આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે એવું આ સૉનેટ છે. શ્વેત ડ્રાઇવર એની વજનદાર ટ્રક વડે (કદાચ ભૂલમાં) રસ્તે ચાલતા અશ્વેત રાહદારીને જોરદાર ટક્કર મારી બેસે છે, પણ પછી થોભીને સૉરી કહેવાના બદલે ખિખિયાટાં કરતો પસાર થઈ જાય છે. આ આખી ઘટનાને અશ્વેત રાહદારી કઈ રીતે જુએ છે, એ આ સૉનેટના ચશ્માંમાંથી આપણને જોવા મળે છે.
*
The Pedestrian
When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin
reflected back; it was just a horror
show that was never going to happen,
don’t protest, don’t bother with the police
for my benefit, he gave me a smile—
he too was startled, redness in his face—
when I thought I was going, a short while,
to get myself killed: it wasn’t anger
when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—
no sense getting all pissed, the commotion
of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.
મિશ્ર ગુજરાતી-રજસ્થાની (મારૂ ગુર્જર) ભાષામાં મીરાંબાઈના પ્રેમલક્ષણા ભક્તિનાં પદો છે..ક એના દિલના તળિયેથી કોઈપણ આયાસ વિના ઉદભવ્યાં હોવાથી આટઆટલા વર્ષોનાં વહાણાં વાઈ જવા છતાંય આપણને મંત્રમુગ્ધ કરતાં રહે છે. એની વાણીમાં અંતરની સચ્ચાઈ અને સર્વાંગ સમર્પિતતા સિવાય બીજું કશું નહીં જડે.
કૃષ્ણને શેઠ તરીકે એ કલ્પે છે એટલે ગિરધારી સાથે ‘લાલ’નો તડકો લગાવે છે. ગિરધારીલાલના ચાકર બનવાની અરજી લઈ મીરાં આપણી સમક્ષ આવે છે. ચાકર બનવા પાછળની એની મંશા તો જુઓ… ચાકર બનશે તો એ બાગનું ધ્યાન રાખશે, કૃષ્ણ રોજ સવારે બાગમાં તો આવશે જ એટલે રોજ ઊઠીને એના દર્શન કરવા મળશે. આ દર્શન એનો પગાર, નામસ્મરણ ખર્ચી; અને ભાવભક્તિ એની જાગીર. પ્રેમનદીના કિનારે અડધી રાત્રે ગહન-ગંભીર શ્રી કૃષ્ણના દર્શન થાય એટલે મીરાંને મન તો ભયો-ભયો…
અંગત અનુભૂતિ ક્યારેક અભિવ્યક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ઘણીવાર વાત આપણા હાથમાંથી નીકળી ગયેલી અનુભવાય છે. લાગણી એનું ખરું મૂલ્ય ખોઈ બેસે છે અને પછી દિલાસો વ્યક્ત કરવા સિવાય કશું બચતું નથી. કવિમિત્ર જુગલ દરજીએ આ વાતને કેવી સ-રસ રીતે ગીતમાં આકારી છે!
આરબ લોકો કહેતાં કે
જ્યારે કોઈ અજાણ્યો તમારા દ્વારે આવે,
એ કોણ છે,
એ ક્યાંથી આવ્યો છે,
એ ક્યાં જવાનો છે એની પડપૂછ કરતાં પહેલાં
ત્રણ દિવસ સુધી એની સરભરા કરો.
એમ કરવાથી, એનામાં જવાબ આપવા પૂરતી
તાકાત આવશે.
અથવા, ત્યાં સુધીમાં તમે
એટલા સારા મિત્રો બની જશો કે
તમને પરવા નહીં હોય એ વાતની.
ચાલો, પાછાં મૂળ વાત તરફ.
ભાત? બદામ?
આ લો, લાલ જરીભરતવાળો તકિયો.
મારો દીકરો તમારા ઘોડાને
પાણી પાશે.
ના, હું કંઈ વ્યસ્ત નહોતો તમે આવ્યા ત્યારે!
હું વ્યસ્ત થઈ જવાની તૈયારીમાં પણ નહોતો.
આ એ બખ્તર છે, જે દરેક જણ
એવો દેખાડો કરવા પહેરે છે કે આ દુનિયામાં
તેઓ કોઈક હેતુસર છે.
હું આ પ્રકારના દાવાઓથી પરે છું.
તમારી થાળી રાહ જોઈ રહી છે.
આપણે તાજો ફૂદીનો નાંખીશું
તમારી ચામાં.
– નેઓમી શિહાબ નાયે
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
દરેક સંસ્કૃતિ કોઈક સમજ સાથે વિકસતી હોય છે. સેંકડો લોકોના દાયકાઓના અનુભવો ક્રમશઃ રિવાજ બનતાં હોય છે. આરબ સંસ્કૃતિમાં મહેમાન આવે ત્યારે કશુંય પૂછ્યા વિના એની આગતાસ્વાગતા કરવાનો રિવાજ છે. એને પકડીને પેલેસ્ટાઇન મૂળનાં અમેરિકન કવયિત્રી આગળ વધે છે, અને અતિથિ આવી ચડે ત્યારે વ્યસ્ત ન હોવા છતાં વ્યસ્ત હોવાનો દેખાડો કરી અવગણના કરવાની આજના સમાજની મનોવૃત્તિનું ધારદાર ચિત્રણ કરે છે. જ્ઞાન વધતું ગયું એમ એમ આપણી સમજણ ઘટતી ગઈ…
આરબ સભ્યતા અને अतिथि देवो भवःની આપણી સભ્યતા વચ્ચેની આ સમાનતા આપણને ચકિત કરે એવી નથી? દુલા ભાયા કાગ પણ તરત યાદ આવે:
હે જી તારા આંગણિયા પુછીને જે કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે જી.
કેમ તમે આવ્યા છો ? એમ નવ કે’જે રે
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે.
‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે.
*
Red Brocade
The Arabs used to say,
When a stranger appears at your door,
feed him for three days
before asking who he is,
where he’s come from,
where he’s headed.
That way, he’ll have strength
enough to answer.
Or, by then you’ll be
such good friends
you don’t care.
Let’s go back to that.
Rice? Pine nuts?
Here, take the red brocade pillow.
My child will serve water
to your horse.
No, I was not busy when you came!
I was not preparing to be busy.
That’s the armor everyone put on
to pretend they had a purpose
in the world.
I refuse to be claimed.
Your plate is waiting.
We will snip fresh mint
into your tea.
June 12, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રાવજી પટેલ
સાંભળ તો સખી આંબા પર ફૂટ્યું ગુલાબ
મારી છલકઈ ગઈ આંખોની છાબ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી એક ઝીણેરી મોરલાની ડાળ
નરી ટહુકાની નવીસવી વાડ,
વચ્ચે છાયુંમાયું ચંદનતલાવ,
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો એક કૂણા કૂણા કાંટાની વાત,
જાણે નાના ગુલાબ એમાં સાત.
મને વાગીને કરતો ઈલાજ.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
સાંભળ તો સખી મેં તો સમણામાં લંબાવ્યો હાથ,
મારી રોળઈ ગઈ રળીઢળી વાત.
મેં તો આંબા પર દીઠું ગુલાબ…
– રાવજી પટેલ
સહજ વિચારધારાથી વિપરિત ચાલીને અસહજને સહજ બનાવી શકે એ જ કવિતા. કવિતા અસંભવનો હાથ ઝાલીને ચાલે તો ખરી, પણ એનો જાદુ જ એવો કે ભલભલું અસંભવ પણ સંભવ લાગે… આંબા પર ગુલાબ ફૂટવાની વાત કવિએ એટલી સહજતાથી કરી છે કે જરા સભાનતા ઓછી હોય તો ભાવકને એવો વિચાર સુદ્ધાં ન આવે કે આંબા પર ગુલાબ ફૂટે? પણ રાવજી આપણને ‘સાંભળ તો સખી’ કહીને એટલો નજદીક લાવી દે છે કે આપણને આંબા પર ગુલાબ ફૂટવાની સહેજે નવાઈ લાગતી નથી. આંબો ઘટાટોપ સાસરાંને ગણીએ તો સાહ્યબો એટલે ગુલાબ એ સહજે સમજી શકાય. અને એને જોતાવેંત નાયિકાની આંખોની આખી છાબ છલકઈ જાય છે… જો જો હંઅઅ… છાબ છલકાઈ નથી જતી, છલકઈ જાય છે… આંખોમાં હરખના આંસુ એ રીતે ઊમટી આવ્યાં છે, કે છલકાઈમાંના કાનાને એ સાથે ઘસડી લઈ ગયાં… છે ને કવિકર્મ!
બહુ નાની વયે વિદાય લઈ જનારે રાવજીને વિદાયનો દિવસ ઢૂંકડો આવે એ પહેલેથી જ સમજાઈ ગયું હતું કે એનો દીવો ઝાઝું ચાલવાનો નથી. ઓલવાતો દીવો વધુ ભભકે એમ એની કવિતાઓમાં અતૃપ્ત રતિરાગ પણ અવારનવાર ઉછાળા મારતો નજરે ચડે છે. નવવધૂ એની સખીને અંતરંગ વાતો કરી રહી છે. મોરલો કદાચ બંને સંદર્ભમાં વપરાયો હોય –આંબાના ઝીણેરા મોર અને સાક્ષાત મોર! સાસરિયાંની ડાળ પર ટહુકાની સીમા વચ્ચે ચંદન સમી શીતળતા બક્ષતો સ્નેહ નાયિકા માણી રહી છે. વાગીને ઈલાજ કરતો કૂણો કૂણો કાંટો સંભોગશૃંગાર તરફ ઇંગિત કરતો જણાય છે, અને સપ્તપદીની પગલે પગલે નાનાં ગુલાબ ફોરી રહ્યાં છે. નાયિકા સુખી સંસારનું સપનું જોતાં-જોતાં અજાણતાં હાથ લંબાવી બેસે છે અને એની રળીઢળી વાત રોળઈ જાય છે… અહીં પણ રતિક્રીડાનો આવેગ ‘રોળાઈ’માંના કાનાને તાણી ગયો છે. રોળાઈ જવાના પણ બંને સંદર્ભ ખુલ્લા રાખીને કવિ વાત પૂરી કરે છે…
ભાષાને ભૂર છો વળગ્યું ના હોય;
પણ શબ્દોનું ઝૂર તો ઉતારીએ જી રે !
જાણતલ જોશીડો કૂવામાં ખાબક્યો છે;
કૂવાની આરતી ઉતારીએ જી રે !
ભાષાનાં નીર તો આછેરાં ઊંડા ને;
એમાં પહેલું પગથિયું થોડું ગોતવું હો જી !
જળમાં જે ગોતવું છે; એ કળથી ગોતાશે;
જળ નાહકનાં જોરથી ના બોટવું હો જી !
ભીતરનાં દોરડેથી ભાવને સિંચાવો; પછી ધીરે-ધીરે શબ્દો અવતારિયે હો જી !
-એમ સિંચણિયે શબ્દો ઉતરાવીએ હો જી !
બીજે-ત્રીજે ઊતરીને ડૂબકી ખાવાની છે;
છેક નવમું આવ્યું તો ભાગ્યશાળી રે લોલ !
બાકી તો પધરાવી દેવાની હોય છે ;
નકરાં આયાસની જાળી રે લોલ !
પણ લીલાંછમ્મ વાક્યોની દાંડી જો તૂટે તો; કેમ કરી દાંડલી સમારિયે જી રે !
નીતરી કવિતાની ગાગર જો છલકે તો; ગાગરમાં સાગર ઊતારિયે જી રે
– પ્રફુલ્લ પંડ્યા
ભાષાનો હાથ ઝાલીને રુઢ થઈ ગયેલી અભિવ્યક્તિથી આઘા હટી, આયાસપૂર્વક કવિતા લખવાની જિદ કે કસરત પડતાં મૂકી કવિતાની ગાગરમાં સાગર ભરવાની વાત સાવ અલગ અંદાજમાં કરતા આ ગીતના મુખડા વિશે કવિશ્રી સંજુ વાળાએ કરાવેલ વિચાર વિસ્તારનો અંશ મમળાવીએ:
કવિશ્રી સંજુ વાળાના શબ્દોમાં:
જાણીતી સામગ્રીના કોઇ એક જુદા તરી આવતાં ઉપાદાનને નવેસરથી પ્રયોજી, એમાં કારગત નીવડેલી પ્રયોજના અહીં ફરી ખપતમાં લઈ આ ચિકિત્સાયોગ સધાયો છે. સ્હેજ આ વાનાંઓની વિવિધા નજીકથી જોવી/ચાખવી રસપ્રદ બનશે. જૂઓ..
૦ ભાષાને શું વળગે ભૂર – અખો
૦ મને વળગ્યું છે ઝૂર, કોઇ મારું ઝૂર કાઢો – ર. પા.
૦ જાણતલ જોશીડો એમ કરી બોલ્યા – લોકગીત
૦ જાણતલ જોશીડા ઘાટે પધાર્યા.. -અનિલ જોશી
૦ કોઇ કૂવો ગળાવો – શ્યામ સાધુ
૦ ઉતારો આરતી શ્રી… ધરે આવ્યાં – લોકકવિ
પ્રથમ પંક્તિમાં અવતરિત ‘ભૂર’ શબ્દનો અર્થ તો કમઅક્કલ, મુર્ખ, લુચ્ચું તરીકે મુખ્યત્વે વપરાય છે. પરંતુ તેનો એક વધારાનો અર્થ ‘નામશેષ’ પણ થાય. શિયાળામાં ઉત્તર દિશાથી ફૂંકાતા પવનને પણ ભૂર કહે છે. જે જમીનમાં રહેલા ભેજને શોષવા/સૂકવવાનું કામ કરે છે. અખાની નિદર્શનામાં એવું તકાયું છે કે, આ ભૂર ભાષાને મિટાવી શકે નહીં, અથવા એની રસવત્તા કે સૌંદર્યને હણી શકે નહીં. ભાષા તો આવાં કેટલાય સમા સમાના ટાઢ-તાપથી નિરપેક્ષ છે. એટલે બીજી શક્યતા વિચારો. બીજી પંક્તિમાં ‘ઝૂર’ શબ્દ છે. તેનો અર્થ થશે ‘મેલો દેવ’, ‘પ્રેતાત્મા.’ પછીના બન્ને પદબંધની સંરચના સમજી શકાય તેવી છે. તેના ભાવવિસ્તારની કોઇ જરૂર નથી જણાતી.
કવિ કહે છે : ભાષા આવી કોઇ વિકટ સ્થિતિમાં નથી. છતાં પ્રયોજાતો શબ્દ કેમ ધાર્યું પરિણામ આપતો નથી? એટલે કે એ અન્ય કોઇ છાયામાં આવી ગયો હોય તો એનો આ વળગાડ દૂર કરાવીએ. કવિએ પોતાની વાતને અખા અને ર. પા. ના સંદર્ભથી પ્રમાણિત કરીને પ્રયોજી. આવું થાય નહીં. કેમ કે આ ભાષા સ્વયં સરસ્વતી છે. પણ એના ગણ એવા શબ્દો નજરાઇ ગયા લાગે છે. પરંતુ આ પૂછવું કોને ? કોઇ એનો જાણતલ નજરે પડતો નથી. હતા કોઇ જોશીડા (ખમ્મા, નામ તો કેમ દેવા ?) એ રહ્યા નહીં. એની નબળી છાયા જેવા છે પણ હવે એ ય પોતાની માન્યતાઓનાં અંધારિયા અને ઊંડા કૂવામાં પડેલા છે. સાર્વત્રિક કૂપમંડૂકતાનો કવિએ કાવ્યાત્મક ઉપહાસ કર્યો. હવે કાં તો આ શબ્દોને ‘ઘસાઇ-પિટાઇ જવું’ નામના ઝૂર, વળગાડમાંથી બહાર કાઢીએ અને એમ ન થઇ શકે તેમ હોય તો આ કૂપમંડૂકતાનો જય જયકાર થઈ રહ્યો છે તેમાં સામેલ થઈ જઇએ. અવળવાણીનો આ કવિતરીકો બદ્ધ માન્યતાઓ સામેનો તીણો આક્રોશ છે. સંદર્ભમાં રમતી ધન્ય સર્જકતાની દેણગીને સલામ સાથેનો અને આજની પરિસ્થિતિ સામેનો કટાક્ષમય ઇશારો છે. એક બાજુ સાર્થકતા છે. બીજી બાજુ નરી સંભ્રાંત સર્જકતાની વાહવાહી છે. કવિની આ ચેતવણી છે કે, હજીય સમય છે, જાગો અને તમને જ તમારામાં જરાંક જૂઓ. ધન્યવાદ કવિના આ સજાગ અને સમયસૂચક કવિતાવિભાવને.
ગીતના મુખડાની બન્ને પંક્તિઓને ‘જી.. રે’ જેવા સ્થાયી આવર્તનથી બાંધી છે. આપણે જાણીએ છીએ કે એ તો શુદ્ધ ભજનરીતિનો સ્તંભ છે. અને કેટલાક ભજનનું કામ પણ પ્રબોધનનું છે, એ પણ આપણે જાણીએ છીએ. આપણો આ કવિ પણ અહીં કાવ્યમાર્ગના યાત્રીઓ માટે પ્રબોધનરીતિ લઇને આવ્યો છે.
June 10, 2020 at 1:21 AM by તીર્થેશ · Filed under ગીત, જવાહર બક્ષી
વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે,
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
દર્પણ ભલે અકબંધ રહેવાનો અમરપટ્ટો લઈ બેસી રહે
પણ સ્હેજ શંકાની કરચ એવી પડે પ્રતિબિંબમાં,
આભાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
છટકી જવાની કોઈ પડછાયાને ઇચ્છા થાય ને
વિકલ્પની કોઈ છટકબારીમાં ફૂટી જાય આશાનું કિરણ,
અજવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
કૈં સાવ એમ જ કોઈ અણધારી ક્ષણે કોઈ
અજાણી અશ્મિના ચ્હેરામાં સૂતેલું કોઈ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
શબ્દો ઘડું, હું છંદ બંધાવું, વ્યવસ્થિત
પ્રાસ પહેરવું, અલંકારો રચું, ત્યાં અંગ મરડે એક અનાદિ વેદના,
આયાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઈ બેસેલ તે
આખો ને આખો મ્હેલ બસ પળવારમાં તૂટી પડે
June 9, 2020 at 3:26 AM by તીર્થેશ · Filed under ગઝલ, પરવીન શાકિર
हम ने ही लौटने का इरादा नहीं किया
उस ने भी भूल जाने का वा’दा नहीं किया
ભાષા સરળ છે, અર્થ ગહન છે. ગઝલનો સૂર વ્યાખ્યાયિત કરે છે.
दुख ओढ़ते नहीं कभी जश्न-ए-तरब में हम
मल्बूस-ए-दिल को तन का लबादा नहीं किया
આનંદના પ્રસંગે અમે દુ:ખ ઓઢી ફરતા નથી, હ્ર્દયની સ્થિતિ ચહેરા ઉપર આવવા દેતા નથી.
जो ग़म मिला है बोझ उठाया है उस का ख़ुद
सर ज़ेर-ए-बार-ए-साग़र-ओ-बादा नहीं किया
જે દર્દ મળ્યું છે તેનો બોજો જાતે જ ઉઠાવ્યો છે, જાતને નશામાં ડૂબાડી નથી દીધી [ escapism નથી આચર્યું ]
कार-ए-जहाँ हमें भी बहुत थे सफ़र की शाम
उस ने भी इल्तिफ़ात ज़ियादा नहीं किया
જુદાઈની ઘડીએ દુન્યવી કામો અમને પણ ઘણા હતા, અને એણે પણ ખાસ ધ્યાન ન આપ્યું…..
आमद पे तेरी इत्र ओ चराग़ ओ सुबू न हों
इतना भी बूद-ओ-बाश को सादा नहीं किया
તારા આગમન પર તારું સ્વાગત પણ ન થાય, એ હદે મારુ આંગણું બેરંગ નથી કરી દીધું. [ સ્વાગત હશે, પણ ઉમળકો નહિ હોય…..]
– પરવીન શાકિર
[ ગુજરાતી ભાવાનુવાદ છે ]
ક્યાંક કૈંક તૂટી ગયું……. કોનો વાંક – એનો કોઈ અર્થ નથી. કદી અર્થ હોતો પણ નથી. સંબંધ તૂટે પછી જે બચે તે સંબંધની લાશ હોય છે, જેનો ગુણધર્મ જ કોહવાવું છે…. ચિત્કારને છાતીમાં ધરબીને જીવતા રહેવું – એ જ બાકી રહે છે.
એ ઘટનાને નદીની રેલ સાથે કોઈ લેવાદેવા નહોતી
પણ
રેલ આવી એ વખતે આ બનેલું.
એક સાપ મને કરડ્યો.. એક ગૂંચળા ઉપર
મારો પગ ભૂલમાં પડી ગયો, એટલે.
ભારે અસરકારક રીતે એ ડસી શક્યો મને
દાંત ભેરવીને ઝેર બરાબરનું ઠાલવ્યું એણે.
એણે તક ઝડપી લીધી પોતાની કાબરચીતરી અદૃશ્યતાએ આપેલી.
ઝાપટ લગાવવા માટે એ મારી કદાચ તો રાહ જ જોતો હતો.
અથવા મારાથી કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ.
ત્રાટકવા માટેના કોક થોડા અમથા કારણની એને જરૂર હતી.
બસ એક ખોટું પગલું
કે ફક્ત એક ગલત હલચલ
એણે ફેણ પટકી મારા પર ત્યારે મને એક આછોક અવાજ
સંભળાયો’તો.
પણ મને પૂરું સમજાયું નહીં કે
એ અવાજ મારા મનમાં થયેલો કે બહાર હવામાં.
એકદમ ઝડપથી એણે એ કામ પતાવ્યું
એ એટલું તો અચાનક બન્યું
મને કંઈ સમજ પડે એ પહેલાં તો…
એ સર્પ ભયંકર હતો કે સુંદર?
અને મૃત્યુ…? એ પેલા સર્પ જેવું હતું?
શામળું. ટાઢુંટાઢું, બીકાળવું
તરલ ગતિએ સહેજમાં સરકી જતું ક્યાંક..?
એમ મારા અકાળે મોત સાથે
આયુષ્ય નામના રસ્તાનો છેડો આવી ગયો
જીવનનો, અસ્તિત્વનો, હમેશ હમેશ માટે..
આ તો કાતિલ વિષનો કિસ્સો હતો
ડોક્ટર, ભુવા- કોઈ મને બચાવી ના શક્યું
હું મરી ગઈ.
મને નવવધૂ જેમ શણગારવામાં આવી
અને કેળના થડના બનેલા એક તરાપા ઉપર
મને વહેતી કરવામાં આવી.
સાવ એકલી, નદીમાં આવેલ રેલના પાણી ભેગી તણાતી…
હા, એવું બનેલું !… બધાંએ જવું પડે છે
મોતને કપરે માર્ગે દૂર સુધી…!
મારી ભેગું કોઈ નહોતું
ન જીવન, ન સાથી, ન કોઈ પ્રિયજન
શરણાઈના શૂર રેલાયા નહીં
ન તો કોઈ થરકતી મોરલી પર લગન ટાણે ગાવાનાં ગીત…
જરા જુઓ તો ખરા આ સાવ નંખાઈ ગયેલા ચહેરાઓ
જીવનના વસ્ત્ર માં લપેટાયેલા
ફિક્કા, થાકેલા, હારેલા, મૂંગામંતર, નિરાધાર
જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય.
જ્યારે વિદાય વેળા આવી
ત્યારે મારા સ્વામીએ બધી વિધિ કરી
મને વિદાય આપી ત્યારે એ સાવ ફિક્કા પડી ગયા હતા..
છેક છેલ્લા હતા એ.
કદાચ એ જ હશે ભેદ મૂવેલા અને જીવતા વચ્ચેનો.
જીવતાઓ બધી જ વિધિ બરાબર કરે -કામની અને નકામી
અને મરણ પામેલાઓ…
એઓ તો બધી જ ભ્રમણાઓમાંથી સદા-સર્વદા મુક્ત,
બધી સાંકળોથી, વિધિઓથી, ભયોથી, શ્રદ્ધાથી…
તરાપા પર તેલનું એક કોડિયું ટમટમતું હતું
અને હલેસાં વિનાનું એ નાવડું આરા-ઓવારા અને વહેણો વચ્ચે
ધકેલાતું ચાલ્યું…
નદીમાં કેવી ઊંડી તાણ ભરી ને ફૂંફાડતી આવી છે આ રેલ
અરે, હયાતીનું કે બિનહયાતીનું એ તે કેવું રૂપ
મોતનું. અથવા તો મોત પછીની અવસ્થાનું
વિશ્વાસનું કે પછી વિશ્વાસ સાવ ઊઠી ગયાનું?
મારા મનમાં એક સવાલ થાય છે
(અને એ સાવ નાખી દેવા જેવો નથી)
લખીધરે શું કર્યું હોત આ પરિસ્થિતિમાં?
મતલબ કે લખીધર, પેલી બેહુલાનો સ્વામી ?
પતિવ્રતા નારીઓની વાર્તા શું
એ સવાલને શાંત પાડી દે?
નદી પરના પુલ ઉપર એકઠું થયેલું ટોળું નીચી નજરે જુએ છે.
સાંજને સુમારે નદી ઉપર ભજવાતું જીવંત નાટક
જાણે કે એઓ તો ફક્ત નદીની રેલને જ જોવા આવ્યા હોય
(જો કે એમાંના કેટલાકને એવો શોખ હોય પણ ખરો!)
– અંજલી બસુમતારી(બોરો)
(અનુ. સિતાંશુ યશશ્ચંદ્ર)
કવિતા લાંબી છે અને એકથી વધુ વાર વાંચીને જ સમજવાની છે. કવિતાના અંતે લખીધર (લક્ષ્મીધર) અને બેહુલાનો ઉલ્લેખ છે. એ પહેલાં સમજી લઈએ. પૂર્વોત્તર ભારતમાં ‘મનસામંગલ’ની કથા જાણીતી છે. ચાંદ સોદાગરના હાથે અંજલી મળે તો જ અનાર્ય દેવી મનસાને સ્વર્ગમાં પૂર્ણ દેવી તરીકે સ્થાન મળી શકે એમ છે. અને ચાંદ સોદાગર તો શિવભક્ત. એ બીજા માટે અંજલી ભરે નહીં. મનસાએ એના બધા વહાણો ડૂબાડવા અને સાતેય દીકરાઓને સર્પદંશથી મારવા શરૂ કર્યા. સૌથી નાના દીકરા લખીધરના લગ્ન બેહુલા સાથે કરાવ્યા કેમકે એને વરદાન હતું કે એ ક્યારેય વિધવા ન થાય. સર્પડંશથી લખીધરનું પણ મૃત્યુ થતાં રિવાજ મુજબ અગ્નિદાહ ન અપાતાં એના શબને કેળના થડના તરાપા પર સુવડાવી નદીમાં વહેતું મૂક્યું ત્યારે જિદ કરીને બેહુલા સાથે બેસી સ્વરગમાં ગઈ અને નૃત્ય કરી દેવતાઓને રીઝવીને લખીધરને પુનર્જીવન અપાવી પૃથ્વી પર સાથે લઈ આવી.. સત્યવાન-સાવિત્રી જેવી આ વાર્તા છે…
લખીધર મર્યો તો બેહુલા એની પાછળ એની સાથે જઈને એને પરત લઈ આવી, પણ બેહુલા મરી ગઈ તો લખીધર એની પાછળ ગયો? આટલું જોઈએ તો એમ લાગે કે બોરો કવયિત્રી અંજલી બસુમાતારી (અન્જુનર્ઝરી)ની આ રચનામાં પ્રથમદર્શી વાત તો સ્ત્રી-પુરુષ અસમાનતાની છે પણ એના માટે આટલી લાંબી રચનાની શી જરૂર? આખી કવિતામાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં એક અંડરકરંટ વહી રહ્યો છે, એ પકડવાનો રહી જાય તો આખી રચના હાથથી નીકળી જાય એમ છે.
ઇતિહાસનો પટારો ખોલીએ તો ખ્યાલ આવે છે કે બોરો સંસ્કૃતિ એક જમાનામાં આજના ત્રિપુરા, મેઘાલય અને આસામ ઉપરાંત બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ ફેલાઈ હશે પણ કાળક્રમે આ સંસ્કૃતિના મૂળિયાં કપાતાં ગયાં અને બોરો પ્રજા લઘુમતી અને શોષિત પ્રજા બનીને રહી ગઈ. અનગણિત અને અવિરત શોષણથી ત્રસ્ત બોરો પ્રજા આખરે ઉગ્રવાદના રસ્તે ચડી. પ્રસ્તુત કવિતામાં પુરાણકથાના નવા સંદર્ભોની સાથોસાથ શોષણ સામેનો આર્તનાદ પણ બળવત્તર થતો સંભળાય છે. જુઓ: ‘ભારે અસરકારક રીતે એ સસી શક્યો મને,’ ‘એણે તક ઝડપી લીધી,’ ‘કોઈ ભૂલ થાય એની રાહ જ જોતો’તો એ,’ ‘કોઈ મને બચાવી ન શક્યું,’ ‘મારી ભેગું કોઈ નહોતું,’ ‘જાણે એમણે કદી આઝાદી દીઠી જ ન હોય’…
લઘુમતી ગરીબ કોમના શોષણનો નઝારો સદીઓથી ટોળું નીચી નજરે જોતું આવ્યું છે… લોકોને આવું જોવાનો શોખ પણ હોય છે… લઘુમતી કોમ સ્ત્રી જેવી છે, એ મરી જાય તો કોઈને કંઈ પડી નથી… શોષણકારો લખીધર જેવા છે. એ આ પરિસ્થિતિમાં કશું કરવા તૈયાર નથી…
નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ
– રમેશ પારેખ
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણા ચોવીસ લાખ વર્ષ એટલે બ્રહ્માની એક પળ માત્ર. કવિ પણ શબ્દબ્રહ્મનો સ્વામી છે. સર્જન કરે એ પળ કવિ બ્રહ્માની સમકક્ષ બેઠો ગણાય છે. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः | કદાચ એટલે જ ર.પા.ની એક પળ પણ નાનીસૂની નથી. વહી ગયેલાં પાણી કદી પાછાં વળતાં નથી. પણ કવિ કહે છે કે જે વહી ચૂક્યાં છે એ જળ પાછાં વળે, વીતી ગયેલો સમય પાછો ફરે અને અફાટ અસીમ રણ સમેટાઈ જાય ત્યારે એમની એક પળ બનશે. આ તો એક શેરની વાત થઈ. આખી ગઝલ આ રીતે માણવા જેવી છે, કેમકે આ ર.પા.ના શબ્દો છે. એ દરિયો નથી એ છતાં એના તળનો તાગ કોઈ કાઢી શકવા સમર્થ નથી.
May 29, 2020 at 2:35 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું
– કમલ વોરા
‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.
એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…
May 26, 2020 at 1:43 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અનિલ ચાવડા
સોરી! (પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)
પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…
વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે
મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…
તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’
તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.
પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!
આ અનાજ જે રક્ત બનીને
ફરે છે તનના ખૂણા-ખૂણામાં
આ ખમીસ જે ઢાલ બન્યું છે
વર્ષા, ઠંડી, લૂમાં
બધું ઉધારનું, માંગ્યું-લીધું
તેલ-મીઠું શું, હીંગ-હળદ૨ પણ
બધું કરજનું
આ શરીર પણ એમનું બંધક
ખુદનું શું છે આ જીવનમાં
સઘળું લીધું ઉધાર
લોઢું સઘળું એ લોકોનું
આપણી તો બસ ધાર
– અરુણ કમલ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
આપણી પાસે હકીકતમાં આપણું પોતાનું કહી શકાય એવું કંઈ ખરું? જે શરીરને આપણે પોતાનું ગણીએ છીએ, એ પણ મા-બાપે આપ્યું છે. વાણી-ભાષા-વિચાર આ બધું સમાજ પાસેથી આપણે ઉધાર લીધું છે.
અરુણ કમલની આ છંદોબદ્ધ રચનામાંથી એક શબ્દ પણ હટાવી શકાય એમ નથી. કટાવ છંદ એમણે કટારની જેમ પ્રયોજ્યો છે. એવો કોઈ માણસ જ બચ્યો નથી, જેની આગળ આપણે આપણા હાથ ફેલાવ્યા નહીં હોય. જે અનાજ લોહી બનીને શરીર આખામાં ફરી રહ્યું છે, જે ખમીસ તમામ ઋતુઓમાં ઢાલ બનીને શરીરને રક્ષી રહ્યું છે, એ બધું જ ઉધારનું છે, માંગી-તૂસીને મેળવેલું છે. બારેમાસ એક જ ખમીસ એવો ગરીબીનો દારુણ ભાવ પણ કાવ્યમધ્યેથી ઊઠે છે. ઉધારીની હદ તો ત્યાં છે, જ્યાં કવિ તેલ-મીઠું, હિંગ-હળદળ જેવા ક્ષુલ્લક પદાર્થોને કવિતામાં સ્થાન આપે છે.
આ શરીર પણ એમનું બંધક છે, એમ કહીને કવિ કવિતાને એક અણધાર્યો વળાંક આપે છે. સામાન્ય લાગતી વાત અચાનક એક બીજા સ્તર પર જઈ પહોંચે છે. ઉધારી-કરજ-માંગ્યું-ચાહ્યું કરતાં-કરતાં કવિ અચાનક પોતાનું શરીર પણ એમનું બંધક હોવાની આલબેલ પોકારે છે. આ ‘એ’ કોણનો સવાલ કવિતાના સૂરને બદલે છે. સમાજના ઋણી હોવાની વાત કરતી હોવાનું ભાસતી કવિતા અચાનક આતતાયીઓ સામેના આક્રોશની રચના બની જાય છે. આ કવિતા દલિતોની વેદનાની કવિતા પણ હોઈ શકે અને શાહુકારોના હાથે પીસાતા મધ્યમવર્ગની પણ હોઈ શકે. કવિએ નામ ન પાડીને છેડા ખુલ્લા રાખ્યા છે.
પહેલી બે પંક્તિઓનો પ્રશ્ન કાવ્યાંતે સ્વરૂપાંતર કરીને ‘ખુદનું શું છે’ બનીને પુનરાવર્તિત થાય છે. આપણી પાસે આપણું કંઈ જ નથી. ‘લોઢું લેવું’ અર્થાત્ યુદ્ધ કરવું, લડવું અને ‘લોઢું માનવું’ અર્થાત્ સર્વોપરિતાનો સ્વીકાર કરવો -આ રુઢિપ્રયોગ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં થાય છે. કવિ કહે છે, શરીરમાં જે કંઈ લોઢું છે, એ બધું એ લોકોનું છે, ઉધાર આપીને માલિકીભાવ યથાવત્ રાખનારાઓનું છે, પણ? ધાર? આ લોઢાની ધાર એ તો આપણી પોતાની છે. એ ઉધારની નથી… ખુમારી ભીતરથી આવે છે. સ્વાભિમાન કોઈના બાપની જાગીર નથી.. કેવી અદભુત વાત! આખી કવિતામાં એકમાત્ર ઉધાર અને ધારનો પ્રાસ બેસાડીને કવિએ ‘ધાર’ વધુ ધારદાર બનાવી છે.
*
धार
कौन बचा है जिसके आगे
इन हाथों को नहीं पसारा
यह अनाज जो बदल रक्त में
टहल रहा है तन के कोने-कोने
यह कमीज़ जो ढाल बनी है
बारिश सरदी लू में
सब उधार का, माँगा चाहा
नमक-तेल, हींग-हल्दी तक
सब कर्जे का
यह शरीर भी उनका बंधक
अपना क्या है इस जीवन में
सब तो लिया उधार
सारा लोहा उन लोगों का
अपनी केवल धार ।
કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.
મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.
આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.
મુઠ્ઠી ખોલી સફળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.
ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહને કણ કણ જડે એમ મારે જવાનું.
મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.
ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.
સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
– હર્ષદ ત્રિવેદી
મૃત્યુની ગઝલ છે પણ આખી ગઝલમાં મૃત્યુ શબ્દ વપરાયો નથી. जातस्य हि ध्रुवो मृत्यु | જન્મ્યા એ દરેકે જવાનું જ છે પણ કેવી રીતે જવાનું છે એ વિશે કવિ બહુ સલૂકાઈથી વાત કરે છે. નગરમાં દરેકે સમય આવ્યે જે રીતે ઊપડવાનું છે , એ જ રીતે કથકે પણ જવાનું છે, પણ કથક રસ્તા સુદ્ધાંને ખબર ન પડે એવી સહજતાથી જવા ઇચ્છે છે. કામના સફળ જિંદગીની છે, જોયેલાં સ્વપ્નો જીવતેજીવ સાફલ્યતાનો સ્વાદ ચાખે એની છે, પણ જતી વખતે સિકંદરની માફક ખાલી હાથે, ખુલ્લી મુઠ્ઠીએ અને સફળ થયેલાં સ્વપ્નોનું ગુમાન આંખોમાં રહી ન જાય એ રીતે કથક જવા ચહે છે. જવાનું થાય ત્યારે ઘડપણના કારણે દોડવા જઈએ તો ચરણ લથડિયાં ખાય છે, એટલે ઊભાં ઊભાં વિવશ થઈને દુનિયાને દોડતી જોવાની છે.
ગઝલ છે, પણ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે, જે મૃત્યુના રંગ સાથે તંતોતંત ઉચિત જણાય છે.
નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.
આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
યુદ્ધ જીતવાની ઇચ્છા હોય તો માત્ર બચાવપદ્ધતિ નહીં ચાલે, આક્રમક વલૈયો પણ અનિવાર્ય છે. આમ તો બધા જ શેર સરસ થયા છે પણ છેલ્લો શેર વાંચીએ તો કોરોનાના અતિક્રમણના કારણે સર્જાયેલ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ ચાક્ષુષ થયા વિના રહેતી નથી.
કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!
May 14, 2020 at 2:01 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.
ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં
પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!
રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!
– જયન્ત પાઠક
વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, પણ એ શ્વાસમાં ગૂંથાય છે ધીમે-ધીમે. ઊગતા સૂરજ જેવો તરોતાજો શીતળ પ્રેમ પ્રિયપાત્રના હાથમાં આપતી વખતે થોડો ડર તો હોય જ કે, ક્યાંક બપોર પહેલાં આ સૂરજ આથમી ન જાય! સામું પાત્ર પોતાના આ પ્રેમને સાચવે જ એવી કોઈ તીવ્ર અપેક્ષા અહીં નથી. અહીં તો માત્ર એટલી જ ઝંખના છે કે સાંજ સુધી આ સૂરજ એ સાચવી શકે તો સારું, ક્યાંક ભરબપોરે આંખમાં સાંજના વિષાદી ઓળા ન ઊતરી આવે! બાગમાં ફૂલો ખીલે છે, ખરે છે અને અત્તર બનાવવા માટે આગમાં પણ ઓરાય છે. નાયકે પોતાની પંચેન્દ્રિયોનું પુષ્પ, પોતાનું ફૂલ જેવું સુકોમળ જીવન નાયિકાને હાથ દીધું છે. જીવન નદી જેવું છે. નદીનું પાણી ગમે એટલું મીઠું કેમ ન હોય, વાંકાચૂકા વહેણના અંતે સાગરમાં ભળીને ખારાં થવું એ જ એનું ગંતવ્ય છે. સહજીવનની નદીમાં પણ ખારાશ તો ઉમેરાશે જ પણ અસંખ્ય ભૂલભૂલામણી અને અણધારી આફત અને કસોટીઓથી ભરેલો દરિયા સુધીનો પંથ સાથે કાપી શકાય તો સારું એટલી જ નાયકની આરત છે. પ્રેમ રેશમની દોર જેવો નાજુક છે. જરા જોર કરશો તો તૂટી જશે. મોત અણધાર્યું આવીને અધવચ્ચેથી ખેંચી જાય એ અલગ વાત છે, પણ એવું કમનસીબ ન હોય તો છેક સુધી આ નાજુક દોરી સચવાય તો સારું એવી ઝંખનાને વ્યક્ત કરતું સરળ સહજ બાનીનું આ લયબદ્ધ ગીત વાંચતાં જ સ્પર્શી જાય એવું છે.
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
રાત્રિના અંધારામાં પર્વત પર
સિમેન્ટની થેલી ઊંચકીને ચડવા જેવું છે
પર્વતની ટોચ દેખાતી નથી
કેમકે પર્વતની ટોચ છે જ નહીં
હાય આ સિસિફસિયું દુઃખ
મને ખબર નહોતી કે મારે મથવાનું છે
ઉપર જવાના રસ્તા વગર જ
ખાડાખૈય્યાવાળા ઝાડીઝાંખરામાંથી પસાર થવા માટે
કેમકે ત્યાં કોઈ રસ્તો જ નથી
ત્યાં તો છે માત્ર એક જડ શિલા
અને મહીં કૂદવા માટે એક નદી
અને છે સમય એના મધ્યયુગીન ઓરડાઓ સાથે
સમય એની દાંતાદાર ધાર સાથે
અને જડ ઓજારો
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
આપણા વડે આપણી અંદર અંધારામાં
કરાતી મજૂરી છે
જો કે ક્યારેક-ક્યારેક જ્યારે હું સૂઈ જાઉં છું
હું ફરીથી એની સાથે હોઉં છું
અને પછી હું જાગી જાઉં છું
રે સિસિફસિયું દુઃખ
તારી આ ભારીખમતા મારા શરીર સાથે
સિમેન્ટાય એ માટે હું તૈયાર નથી
ધ્યાનથી જુઓ અને તમે જોઈ શકશો કે
લગભગ દરેક જણ પોતાના ખભા પર
સિમેન્ટની થેલીઓ ઊંચકીને ચડી રહ્યા છે
એટલા માટે જ સવારે પથારીમાંથી ઊઠવું
અને દિવસમાં ચડાણ કરવું
એ હિંમતનું કામ છે
– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
બાપના ખભા પર દીકરાની નનામીના બોજથી વધુ વજનદાર બીજું કંઈ હોતું નથી. એડવર્ડ હર્શે દત્તક લીધેલ દીકરા ગેબ્રિઅલને કોઈક રહસ્યમયી બિમારી હતી, જેના કારણે માત્ર ૨૨ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી એનું અકાળે અવસાન થયું હતું. ‘ગેબ્રિઅલ: અ પોએમ’ આ દુઃખદ ઘટનાને વણી લેતી ૭૫ પાનાં અને ૭૫૦ જેટલી ત્રિપદીઓથી બનેલ દીર્ઘ શોકાંતિકા છે. આખી કવિતામાં ક્યાંય વિરામચિહ્નો વપરાયાં નથી- કદાચ કવિને અકાળે છેહ દઈ જનાર સંતાનની વાત કરતી વખતે વ્યાકરણના આરોહ-અવરોહ બિનજરૂરી જણાયા હશે.
અત્રે પ્રસ્તુત કાવ્યાંશમાં સિસિફસનો ઉલ્લેખ છે. ગ્રીક પુરાણકથાઓનું એક પાત્ર છે, જે પોતાની ચાલબાજીઓ અને મૃત્યુને બે વાર છેતરવા બદલ કુખ્યાત હતો. આખરે દેવતા ઝીઅસે એને એક મહાકાય શિલાને પર્વતની ટોચ ઉપર લઈ જવાની સજા આપી. શિલા ટોચ પર પહોંચતાવેંત ફરી ગબડી જાય અને સિસિફસ એને ફરી ધક્કો દેતો દેતો ટોચ ઉપર લઈ જાય. આ અંતહીન સજાના કારણે કોઈ માણસના ભાગે અશક્યવત્ કામ કરવાનું આવે તો એને સિસિફિયન કાર્ય કહેવાય છે.
આટલી પૂર્વભૂમિકા બાદ કવિતાનો આનંદ લઈએ.
*
Gabriel: A Poem
I did not know the work of mourning
Is like carrying a bag of cement
Up a mountain at night
The mountaintop is not in sight
Because there is no mountaintop
Poor Sisyphus grief
I did not know I would struggle
Through a ragged underbrush
Without an upward path
Because there is no path
There is only a blunt rock
With a river to fall into
And Time with its medieval chambers
Time with its jagged edges
And blunt instruments
I did not know the work of mourning
Is a labor in the dark
We carry inside ourselves
Though sometimes when I sleep
I am with him again
And then I wake
Poor Sisyphus grief
I am not ready for your heaviness
Cemented to my body
Look closely and you will see
Almost everyone carrying bags
Of cement on their shoulders
That’s why it takes courage
To get out of bed in the morning
And climb into the day
May 7, 2020 at 1:16 AM by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટાળાઈ વળીએ !
ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
“પાછા બોલો તો?”
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.
– વિપિન પરીખ
પ્રેમ ઓગળવાની એક ક્ષણનું બીજું નામ છે. ‘હોવું’ ભૂલવું એ પ્રેમની અનુભૂતિની પ્રથમ અને આવશ્યક શરત છે. બે જણ એકબીજાં સાથે મસ્તી કરતાં હોય ત્યારે ઘડીભર માટે નાયકને એવું લાગે છે કે બિલાડીનાં બે બચ્ચાં તો એકબીજાં સાથે મસ્તીએ નથી ચડ્યાં ને! પણ બીજી જ ક્ષણે અહેસાસ થાય છે, કે શરીર ઓગળી ગયાં છે, માત્ર આનંદ રહી ગયો છે. Selflessness ની આ પરાકાષ્ઠા એ જ પ્રેમ છે. નાયિકા જો કે ચરમસીમાએ પણ સુરક્ષા શોધે છે. નાયક પોતાને ક્યાંક ભૂલી ગયો તો? શરીર ઓગળી ગયાંની એક ક્ષણે જો કે આ સવાલ પૂછવામાં એને કોઈ સંકોચ નથી. એ બેધડક પૂછી લે છે કે તમે મને ભૂલી તો નહીં જાવ ને? અને નાયક મસ્તીના તોરમાં હા કહે છે. જો કે નાયિકાને પણ પોતાના પ્રેમ પર કંઈ ઓછો ભરોસો નથી… એ પણ ગેલ જ કરી રહી છે. સમય અઃઈં જ થંભી જાય એવી મનોકામના બળવત્તર બનતાં એ ડાબા હાથે સૂર્યને પૂર્વમાં ક્ષિતિજ ઉપર અટકાવી રાખે છે, જેથી દિવસ ઊગે જ નહીં. આ એક ક્ષણ ચિરંજીવી બની રહે. નાયિકા નાયકને ભૂલી જવાની વાત ફરી બોલવા પણ કહે છે અને હાથ એના મોઢા પર મૂકીને બોલતી બંધ પણ કરી દે છે. આ ક્ષણે બે જણ ગુલાબનાં ફૂલ બની જાય છે. ના… માત્ર સુવાસ… આકાર ઓગળી જવાની આ એક ક્ષણ છે. આ પ્રેમ છે…
तट पर है तरुवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है, अंबर में,
भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला!
– हरिवंशराय बच्चन
અહીં કોઈ ફરિયાદ નથી. એકલા હોવું એ શાશ્વત વાસ્તવિકતા છે. મન થી વધુ છેતરામણું કઈ જ નથી. એ સતત આ વાસ્તવિકતાને શક્ય તેટલી ભૂલાવી દેવા હરક્ષણ પ્રવૃત્ત હોય છે. J Krishnamurti તેથી જ કહેતા કે લોકો મને સાંભળવા એ રીતે આવે છે જે રીતે ફિલ્મ જોવા જાય છે. મારી વાત કોઈ જીવનમાં ઉતારવાનો નિષ્ઠાવાન પ્રયત્ન સુદ્ધા કોઈ કરતુ નથી. સ્વાભાવિક છે – કારણ કે તેઓ એ વાત સ્પષ્ટ કરી દેતા કે એકલા હોવું એ અફર સત્ય છે.
મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…
April 24, 2020 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.
કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.
ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!
એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.
જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.
– પીયૂષ ચાવડા
આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.
April 23, 2020 at 1:45 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..
ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..
નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..
– નેહા પુરોહિત
સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત. હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…
સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે
– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)
[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]
કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.