નહીં તો એ દરિયો નથી તે છતાં
ન શબ્દોનાં તાગી શક્યું કોઈ તળ
– રમેશ પારેખ
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે આપણા ચોવીસ લાખ વર્ષ એટલે બ્રહ્માની એક પળ માત્ર. કવિ પણ શબ્દબ્રહ્મનો સ્વામી છે. સર્જન કરે એ પળ કવિ બ્રહ્માની સમકક્ષ બેઠો ગણાય છે. अपारे काव्य संसारे कविरेव प्रजापतिः | કદાચ એટલે જ ર.પા.ની એક પળ પણ નાનીસૂની નથી. વહી ગયેલાં પાણી કદી પાછાં વળતાં નથી. પણ કવિ કહે છે કે જે વહી ચૂક્યાં છે એ જળ પાછાં વળે, વીતી ગયેલો સમય પાછો ફરે અને અફાટ અસીમ રણ સમેટાઈ જાય ત્યારે એમની એક પળ બનશે. આ તો એક શેરની વાત થઈ. આખી ગઝલ આ રીતે માણવા જેવી છે, કેમકે આ ર.પા.ના શબ્દો છે. એ દરિયો નથી એ છતાં એના તળનો તાગ કોઈ કાઢી શકવા સમર્થ નથી.
May 29, 2020 at 2:35 AM by વિવેક · Filed under અછાંદસ, કમલ વોરા
વા વાયો નહોતો
નળિયું ખસ્યું નહોતું
તે છતાંય કૂતરું તો ભસ્યું
એક પાછળ બીજું
બીજા ભેગાં બાર
બારમાં ભળ્યું ટોળું
ટોળું
પૂંછડાં પટપટાવતું
એક સૂરે
કંઈ ભસ્યું કંઈ ભસ્યું કંઈ ભસ્યું
અને કરડ્યું
કરડી કરડી કરડીને
ફાડી ખાધું
પીધું
રાજ કીધું
– કમલ વોરા
‘વા વાયો ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરું ભસ્યું’- આ જાણીતી પંક્તિનો પ્રયોગ કરીને કવિ આપણને પાંચ વાયકાઓ આપે છે, જેમાંની પહેલી અહીં રજૂ કરી છે.
એક આખી પ્રજાતિ એવી છે, જે પોતે કશું જ વિધાયક કામ કરતી નથી, પણ જે લોકો કરતાં હોય છે એમના કામમાં વાંક કાઢવામાં ખૂબ શૂરી છે. આ કવિતા આવા ‘ભસ-બહાદુર’ કૂતરાંઓની વાત બહુ ઓછા શબ્દોમાં પણ બહુ સચોટ રીતે કરે છે. છાણમાં તલવાર મારવામાં શૂરવીર આવા લોકો કોઈ નોંધપાત્ર (દુર્)ઘટના ન બની હોવા છતાં, પોતાનો અવાજ બુલંદ કરે છે અને એમની પૂંઠે આખી પ્રજાતિ આ કામમાં સાથે જોતરાઈ જાય છે. ઘણીવાર આવી ચંડાળટોળકી એમના દુષ્કૃત્યોનો વિરોધ કરનારાઓની હાજરી ન હોવાનો ગેરલાભ લઈને સારી વસ્તુને ચૂંથી પણ ખાય છે અને ખા-પીને રાજ કરે છે…
May 26, 2020 at 1:43 AM by તીર્થેશ · Filed under અછાંદસ, અનિલ ચાવડા
સોરી! (પ્રકૃતિકાવ્ય નહીં લખી શકવા બાબત એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)
પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં…
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
‘પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો
અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ…
વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે
મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં….
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
‘ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?
હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની…
તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
‘આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી…’
તમે કહો છો,
‘સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’
આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો…
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો…
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.
પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!
આ અનાજ જે રક્ત બનીને
ફરે છે તનના ખૂણા-ખૂણામાં
આ ખમીસ જે ઢાલ બન્યું છે
વર્ષા, ઠંડી, લૂમાં
બધું ઉધારનું, માંગ્યું-લીધું
તેલ-મીઠું શું, હીંગ-હળદ૨ પણ
બધું કરજનું
આ શરીર પણ એમનું બંધક
ખુદનું શું છે આ જીવનમાં
સઘળું લીધું ઉધાર
લોઢું સઘળું એ લોકોનું
આપણી તો બસ ધાર
– અરુણ કમલ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
આપણી પાસે હકીકતમાં આપણું પોતાનું કહી શકાય એવું કંઈ ખરું? જે શરીરને આપણે પોતાનું ગણીએ છીએ, એ પણ મા-બાપે આપ્યું છે. વાણી-ભાષા-વિચાર આ બધું સમાજ પાસેથી આપણે ઉધાર લીધું છે.
અરુણ કમલની આ છંદોબદ્ધ રચનામાંથી એક શબ્દ પણ હટાવી શકાય એમ નથી. કટાવ છંદ એમણે કટારની જેમ પ્રયોજ્યો છે. એવો કોઈ માણસ જ બચ્યો નથી, જેની આગળ આપણે આપણા હાથ ફેલાવ્યા નહીં હોય. જે અનાજ લોહી બનીને શરીર આખામાં ફરી રહ્યું છે, જે ખમીસ તમામ ઋતુઓમાં ઢાલ બનીને શરીરને રક્ષી રહ્યું છે, એ બધું જ ઉધારનું છે, માંગી-તૂસીને મેળવેલું છે. બારેમાસ એક જ ખમીસ એવો ગરીબીનો દારુણ ભાવ પણ કાવ્યમધ્યેથી ઊઠે છે. ઉધારીની હદ તો ત્યાં છે, જ્યાં કવિ તેલ-મીઠું, હિંગ-હળદળ જેવા ક્ષુલ્લક પદાર્થોને કવિતામાં સ્થાન આપે છે.
આ શરીર પણ એમનું બંધક છે, એમ કહીને કવિ કવિતાને એક અણધાર્યો વળાંક આપે છે. સામાન્ય લાગતી વાત અચાનક એક બીજા સ્તર પર જઈ પહોંચે છે. ઉધારી-કરજ-માંગ્યું-ચાહ્યું કરતાં-કરતાં કવિ અચાનક પોતાનું શરીર પણ એમનું બંધક હોવાની આલબેલ પોકારે છે. આ ‘એ’ કોણનો સવાલ કવિતાના સૂરને બદલે છે. સમાજના ઋણી હોવાની વાત કરતી હોવાનું ભાસતી કવિતા અચાનક આતતાયીઓ સામેના આક્રોશની રચના બની જાય છે. આ કવિતા દલિતોની વેદનાની કવિતા પણ હોઈ શકે અને શાહુકારોના હાથે પીસાતા મધ્યમવર્ગની પણ હોઈ શકે. કવિએ નામ ન પાડીને છેડા ખુલ્લા રાખ્યા છે.
પહેલી બે પંક્તિઓનો પ્રશ્ન કાવ્યાંતે સ્વરૂપાંતર કરીને ‘ખુદનું શું છે’ બનીને પુનરાવર્તિત થાય છે. આપણી પાસે આપણું કંઈ જ નથી. ‘લોઢું લેવું’ અર્થાત્ યુદ્ધ કરવું, લડવું અને ‘લોઢું માનવું’ અર્થાત્ સર્વોપરિતાનો સ્વીકાર કરવો -આ રુઢિપ્રયોગ હિંદી અને ગુજરાતી બંને ભાષામાં થાય છે. કવિ કહે છે, શરીરમાં જે કંઈ લોઢું છે, એ બધું એ લોકોનું છે, ઉધાર આપીને માલિકીભાવ યથાવત્ રાખનારાઓનું છે, પણ? ધાર? આ લોઢાની ધાર એ તો આપણી પોતાની છે. એ ઉધારની નથી… ખુમારી ભીતરથી આવે છે. સ્વાભિમાન કોઈના બાપની જાગીર નથી.. કેવી અદભુત વાત! આખી કવિતામાં એકમાત્ર ઉધાર અને ધારનો પ્રાસ બેસાડીને કવિએ ‘ધાર’ વધુ ધારદાર બનાવી છે.
*
धार
कौन बचा है जिसके आगे
इन हाथों को नहीं पसारा
यह अनाज जो बदल रक्त में
टहल रहा है तन के कोने-कोने
यह कमीज़ जो ढाल बनी है
बारिश सरदी लू में
सब उधार का, माँगा चाहा
नमक-तेल, हींग-हल्दी तक
सब कर्जे का
यह शरीर भी उनका बंधक
अपना क्या है इस जीवन में
सब तो लिया उधार
सारा लोहा उन लोगों का
अपनी केवल धार ।
કવિતા શરૂ થતાં જ ભાવકને બાંધી લે છે. ‘થંભ અલખનો’- જે દેખાતો નથી, નિરાકાર છે, એનો થાંભલો ખોડવાની વાત છે. થાંભલો પણ કેવો, જેના છેડા અધ્ધર આંબે છે. (અધ્ધરનો એક દૂરનો અરુઢ અર્થ અંતરિક્ષ થાય છે, પણ અહીં અંબર શબ્દ કદાચ વધુ જામ્યો હોત!) મંદિરમાં ઘણીવાર થાંભલા પર કપડાંમાં પાણીચું શ્રીફળ મૂકીને બાંધવામાં આવે છે, એ શ્રીફળને આ અલખના થાંભલા પર નાયિકાએ બાંધ્યા તો છે પણ શ્રદ્ધાની ગાંઠ વડે. કેમકે શ્રદ્ધા વિના તો બધું જ પાણી.
મંદિરના ચાર ખૂણા. માત્ર ત્રીજા ખૂણાને છોડીને ચારેયમાં અગ્નિ. પણ ધ્યાન દઈએ તો આ ત્રીજા ખૂણામાં પણ અગ્નિની અનુપસ્થિતિ નથી જ. આ ત્રીજો ખૂણો અંતરપટ ખોલીને ખૂલવાને સાદ દે છે. વિવાહમંડપમાં મૃત્યુની એટલે કે યમની આહુતિ આપતી વખતે અગ્નિ અને વરકન્યાની વચ્ચે પડદો રાખવામાં આવે છે જેથી બન્ને જણ આહુતિ જોઈ ન શકે. અંતરપટ ઊઘડે તો જ એ અગ્નિ દેખાય.
આખેઆખું નગર ઊપડે એમ મારે જવાનું,
ને રસ્તાને ખબર ન પડે એમ મારે જવાનું.
મુઠ્ઠી ખોલી સફળ સપનાં આંખમાં આંજવાનાં,
ને આંખોને અમલ ન ચડે એમ મારે જવાનું.
ધીમે ધીમે અચરજભરી રાત ઉછેરવાની,
ને મધ્યાહને કણ કણ જડે એમ મારે જવાનું.
મારી પાસે અલસગમના જિંદગી, જીવવાનું
ને ખિસ્સામાં સ્મરણ ખખડે એમ મારે જવાનું.
ઊભાં ઊભાં વિવશ નજરે દોડતાં દૃશ્ય જોઉં,
ને દોડું તો ચરણ લથડે એમ મારે જવાનું.
સંધ્યા ટાણે સતત બજતા ઘંટ જેવી ક્ષણો આ,
ને શ્વાસોને સમય કરડે એમ મારે જવાનું.
– હર્ષદ ત્રિવેદી
મૃત્યુની ગઝલ છે પણ આખી ગઝલમાં મૃત્યુ શબ્દ વપરાયો નથી. जातस्य हि ध्रुवो मृत्यु | જન્મ્યા એ દરેકે જવાનું જ છે પણ કેવી રીતે જવાનું છે એ વિશે કવિ બહુ સલૂકાઈથી વાત કરે છે. નગરમાં દરેકે સમય આવ્યે જે રીતે ઊપડવાનું છે , એ જ રીતે કથકે પણ જવાનું છે, પણ કથક રસ્તા સુદ્ધાંને ખબર ન પડે એવી સહજતાથી જવા ઇચ્છે છે. કામના સફળ જિંદગીની છે, જોયેલાં સ્વપ્નો જીવતેજીવ સાફલ્યતાનો સ્વાદ ચાખે એની છે, પણ જતી વખતે સિકંદરની માફક ખાલી હાથે, ખુલ્લી મુઠ્ઠીએ અને સફળ થયેલાં સ્વપ્નોનું ગુમાન આંખોમાં રહી ન જાય એ રીતે કથક જવા ચહે છે. જવાનું થાય ત્યારે ઘડપણના કારણે દોડવા જઈએ તો ચરણ લથડિયાં ખાય છે, એટલે ઊભાં ઊભાં વિવશ થઈને દુનિયાને દોડતી જોવાની છે.
ગઝલ છે, પણ કવિએ મંદાક્રાંતા છંદ પ્રયોજ્યો છે, જે મૃત્યુના રંગ સાથે તંતોતંત ઉચિત જણાય છે.
નાવનો તો આમ જો કે ખાસ કંઈ વાંધો નથી,
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર.
આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં,
કોરડા વીંઝે છે સૂરજ જો હવાની ખાલ પર.
– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
યુદ્ધ જીતવાની ઇચ્છા હોય તો માત્ર બચાવપદ્ધતિ નહીં ચાલે, આક્રમક વલૈયો પણ અનિવાર્ય છે. આમ તો બધા જ શેર સરસ થયા છે પણ છેલ્લો શેર વાંચીએ તો કોરોનાના અતિક્રમણના કારણે સર્જાયેલ કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ ચાક્ષુષ થયા વિના રહેતી નથી.
કેવું ટૂંકુ-ટચરક ગીત! વાંચતા જ ઇમેજિસ્ટ પોએટ્રી યાદ આવી જાય. ઓછા શબ્દો પણ વાત મજાની! પ્રેમની અદભુત વિભાવના! કશુંય પ્રાપ્ત નથી કરવું, બસ, પ્રિયજનમાં વ્યાપ્ત થવું છે… એકમેકમાં પથરાવું છે. જિંદગી ગમે એ દિશામાં કેમ ન જાય, સાથ હાથ હશે તો હાથ હેમ જ લાગશે. કંઈ કરીએ, ન કરીએ પણ વ્હેમ વિના. કેમકે શંકાની ઉધઈ તો જિંદગીના વટવૃક્ષને મૂળમાંથી ખાઈ જાય છે. પ્રેમમાં બધું જ તાજું લાગવાનું. યુનિવર્સલ ફ્રેશનેસ એ પ્રેમની સહજ અનુભૂતિ છે. પ્રેમમાં પ્રિયજનની આંખમાં આંસુ આવે તો આપણું કામ એને લૂંછી દેવાનું છે. આંસુ કેમ આવ્યાં, કોના કારણે આવ્યાં વગેરેની પળોજણમાં પડવાનું નથી. પ્રિયપાત્રને હૈયું ખોલવું હશે તો એ આપોઆપ ખોલશે, આપણે ખોદકામ કરવાની જરૂર નથી. સાવ ટૂંકી કવિતામાં પણ કવિ ‘કશું ન પૂછો’ની દ્વિરુક્તિ કરીને પ્રિયજનના મૌનને માન આપવાની વાતને અધોરેખિત કરે છે… કેમકે સાચો પ્રેમ આ જ છે!
May 14, 2020 at 2:01 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક
ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.
ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં
પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!
રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!
– જયન્ત પાઠક
વિશ્વાસ પ્રેમનો શ્વાસ છે, પણ એ શ્વાસમાં ગૂંથાય છે ધીમે-ધીમે. ઊગતા સૂરજ જેવો તરોતાજો શીતળ પ્રેમ પ્રિયપાત્રના હાથમાં આપતી વખતે થોડો ડર તો હોય જ કે, ક્યાંક બપોર પહેલાં આ સૂરજ આથમી ન જાય! સામું પાત્ર પોતાના આ પ્રેમને સાચવે જ એવી કોઈ તીવ્ર અપેક્ષા અહીં નથી. અહીં તો માત્ર એટલી જ ઝંખના છે કે સાંજ સુધી આ સૂરજ એ સાચવી શકે તો સારું, ક્યાંક ભરબપોરે આંખમાં સાંજના વિષાદી ઓળા ન ઊતરી આવે! બાગમાં ફૂલો ખીલે છે, ખરે છે અને અત્તર બનાવવા માટે આગમાં પણ ઓરાય છે. નાયકે પોતાની પંચેન્દ્રિયોનું પુષ્પ, પોતાનું ફૂલ જેવું સુકોમળ જીવન નાયિકાને હાથ દીધું છે. જીવન નદી જેવું છે. નદીનું પાણી ગમે એટલું મીઠું કેમ ન હોય, વાંકાચૂકા વહેણના અંતે સાગરમાં ભળીને ખારાં થવું એ જ એનું ગંતવ્ય છે. સહજીવનની નદીમાં પણ ખારાશ તો ઉમેરાશે જ પણ અસંખ્ય ભૂલભૂલામણી અને અણધારી આફત અને કસોટીઓથી ભરેલો દરિયા સુધીનો પંથ સાથે કાપી શકાય તો સારું એટલી જ નાયકની આરત છે. પ્રેમ રેશમની દોર જેવો નાજુક છે. જરા જોર કરશો તો તૂટી જશે. મોત અણધાર્યું આવીને અધવચ્ચેથી ખેંચી જાય એ અલગ વાત છે, પણ એવું કમનસીબ ન હોય તો છેક સુધી આ નાજુક દોરી સચવાય તો સારું એવી ઝંખનાને વ્યક્ત કરતું સરળ સહજ બાનીનું આ લયબદ્ધ ગીત વાંચતાં જ સ્પર્શી જાય એવું છે.
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
રાત્રિના અંધારામાં પર્વત પર
સિમેન્ટની થેલી ઊંચકીને ચડવા જેવું છે
પર્વતની ટોચ દેખાતી નથી
કેમકે પર્વતની ટોચ છે જ નહીં
હાય આ સિસિફસિયું દુઃખ
મને ખબર નહોતી કે મારે મથવાનું છે
ઉપર જવાના રસ્તા વગર જ
ખાડાખૈય્યાવાળા ઝાડીઝાંખરામાંથી પસાર થવા માટે
કેમકે ત્યાં કોઈ રસ્તો જ નથી
ત્યાં તો છે માત્ર એક જડ શિલા
અને મહીં કૂદવા માટે એક નદી
અને છે સમય એના મધ્યયુગીન ઓરડાઓ સાથે
સમય એની દાંતાદાર ધાર સાથે
અને જડ ઓજારો
મને ખબર નહોતી કે શોક મનાવવાનું કામ
આપણા વડે આપણી અંદર અંધારામાં
કરાતી મજૂરી છે
જો કે ક્યારેક-ક્યારેક જ્યારે હું સૂઈ જાઉં છું
હું ફરીથી એની સાથે હોઉં છું
અને પછી હું જાગી જાઉં છું
રે સિસિફસિયું દુઃખ
તારી આ ભારીખમતા મારા શરીર સાથે
સિમેન્ટાય એ માટે હું તૈયાર નથી
ધ્યાનથી જુઓ અને તમે જોઈ શકશો કે
લગભગ દરેક જણ પોતાના ખભા પર
સિમેન્ટની થેલીઓ ઊંચકીને ચડી રહ્યા છે
એટલા માટે જ સવારે પથારીમાંથી ઊઠવું
અને દિવસમાં ચડાણ કરવું
એ હિંમતનું કામ છે
– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
બાપના ખભા પર દીકરાની નનામીના બોજથી વધુ વજનદાર બીજું કંઈ હોતું નથી. એડવર્ડ હર્શે દત્તક લીધેલ દીકરા ગેબ્રિઅલને કોઈક રહસ્યમયી બિમારી હતી, જેના કારણે માત્ર ૨૨ વર્ષની વયે હૃદય બંધ પડી જવાથી એનું અકાળે અવસાન થયું હતું. ‘ગેબ્રિઅલ: અ પોએમ’ આ દુઃખદ ઘટનાને વણી લેતી ૭૫ પાનાં અને ૭૫૦ જેટલી ત્રિપદીઓથી બનેલ દીર્ઘ શોકાંતિકા છે. આખી કવિતામાં ક્યાંય વિરામચિહ્નો વપરાયાં નથી- કદાચ કવિને અકાળે છેહ દઈ જનાર સંતાનની વાત કરતી વખતે વ્યાકરણના આરોહ-અવરોહ બિનજરૂરી જણાયા હશે.
અત્રે પ્રસ્તુત કાવ્યાંશમાં સિસિફસનો ઉલ્લેખ છે. ગ્રીક પુરાણકથાઓનું એક પાત્ર છે, જે પોતાની ચાલબાજીઓ અને મૃત્યુને બે વાર છેતરવા બદલ કુખ્યાત હતો. આખરે દેવતા ઝીઅસે એને એક મહાકાય શિલાને પર્વતની ટોચ ઉપર લઈ જવાની સજા આપી. શિલા ટોચ પર પહોંચતાવેંત ફરી ગબડી જાય અને સિસિફસ એને ફરી ધક્કો દેતો દેતો ટોચ ઉપર લઈ જાય. આ અંતહીન સજાના કારણે કોઈ માણસના ભાગે અશક્યવત્ કામ કરવાનું આવે તો એને સિસિફિયન કાર્ય કહેવાય છે.
આટલી પૂર્વભૂમિકા બાદ કવિતાનો આનંદ લઈએ.
*
Gabriel: A Poem
I did not know the work of mourning
Is like carrying a bag of cement
Up a mountain at night
The mountaintop is not in sight
Because there is no mountaintop
Poor Sisyphus grief
I did not know I would struggle
Through a ragged underbrush
Without an upward path
Because there is no path
There is only a blunt rock
With a river to fall into
And Time with its medieval chambers
Time with its jagged edges
And blunt instruments
I did not know the work of mourning
Is a labor in the dark
We carry inside ourselves
Though sometimes when I sleep
I am with him again
And then I wake
Poor Sisyphus grief
I am not ready for your heaviness
Cemented to my body
Look closely and you will see
Almost everyone carrying bags
Of cement on their shoulders
That’s why it takes courage
To get out of bed in the morning
And climb into the day
May 7, 2020 at 1:16 AM by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
ક્યારેક આપણે બે એકમેક સાથે ગેલ કરતાં
બિલાડીના બચ્ચાં બની જઈએ છીએ.
ના, ત્યારે આપણે માત્ર આનંદ થઈ એકમેકને વીંટાળાઈ વળીએ !
ના, ના,
તે ક્ષણે આપણને શરીર જ ક્યાં હોય છે ?
તું હરહંમેશ મને એનો એ જ પ્રશ્ન ફરી ફરી પૂછે છે :
“તમે મને ભૂલી તો નહીં જાઓ ને?”
હું ઢોંગ કરીને કહું છું, “હા, ભૂલી જઈશ.”
અને
આપણે ખડખડાટ હસી પડીએ છીએ.
ત્યારે
તું ડાબા હાથે સૂર્યને પૂર્વ ક્ષિતિજ ઉપર રોકી રાખે છે
અને કહે છે :
(મારા મોં ઉપર હાથ મૂકી કહે છે)
“પાછા બોલો તો?”
તે ક્ષણે
આપણે બે ગુલાબનાં ફૂલ હોઈએ છીએ.
ના, તે ક્ષણે
આપણે માત્ર સુવાસ જ હોઈએ છીએ.
– વિપિન પરીખ
પ્રેમ ઓગળવાની એક ક્ષણનું બીજું નામ છે. ‘હોવું’ ભૂલવું એ પ્રેમની અનુભૂતિની પ્રથમ અને આવશ્યક શરત છે. બે જણ એકબીજાં સાથે મસ્તી કરતાં હોય ત્યારે ઘડીભર માટે નાયકને એવું લાગે છે કે બિલાડીનાં બે બચ્ચાં તો એકબીજાં સાથે મસ્તીએ નથી ચડ્યાં ને! પણ બીજી જ ક્ષણે અહેસાસ થાય છે, કે શરીર ઓગળી ગયાં છે, માત્ર આનંદ રહી ગયો છે. Selflessness ની આ પરાકાષ્ઠા એ જ પ્રેમ છે. નાયિકા જો કે ચરમસીમાએ પણ સુરક્ષા શોધે છે. નાયક પોતાને ક્યાંક ભૂલી ગયો તો? શરીર ઓગળી ગયાંની એક ક્ષણે જો કે આ સવાલ પૂછવામાં એને કોઈ સંકોચ નથી. એ બેધડક પૂછી લે છે કે તમે મને ભૂલી તો નહીં જાવ ને? અને નાયક મસ્તીના તોરમાં હા કહે છે. જો કે નાયિકાને પણ પોતાના પ્રેમ પર કંઈ ઓછો ભરોસો નથી… એ પણ ગેલ જ કરી રહી છે. સમય અઃઈં જ થંભી જાય એવી મનોકામના બળવત્તર બનતાં એ ડાબા હાથે સૂર્યને પૂર્વમાં ક્ષિતિજ ઉપર અટકાવી રાખે છે, જેથી દિવસ ઊગે જ નહીં. આ એક ક્ષણ ચિરંજીવી બની રહે. નાયિકા નાયકને ભૂલી જવાની વાત ફરી બોલવા પણ કહે છે અને હાથ એના મોઢા પર મૂકીને બોલતી બંધ પણ કરી દે છે. આ ક્ષણે બે જણ ગુલાબનાં ફૂલ બની જાય છે. ના… માત્ર સુવાસ… આકાર ઓગળી જવાની આ એક ક્ષણ છે. આ પ્રેમ છે…
तट पर है तरुवर एकाकी,
नौका है, सागर में,
अंतरिक्ष में खग एकाकी,
तारा है, अंबर में,
भू पर वन, वारिधि पर बेड़े,
नभ में उडु खग मेला,
नर नारी से भरे जगत में
कवि का हृदय अकेला!
– हरिवंशराय बच्चन
અહીં કોઈ ફરિયાદ નથી. એકલા હોવું એ શાશ્વત વાસ્તવિકતા છે. મન થી વધુ છેતરામણું કઈ જ નથી. એ સતત આ વાસ્તવિકતાને શક્ય તેટલી ભૂલાવી દેવા હરક્ષણ પ્રવૃત્ત હોય છે. J Krishnamurti તેથી જ કહેતા કે લોકો મને સાંભળવા એ રીતે આવે છે જે રીતે ફિલ્મ જોવા જાય છે. મારી વાત કોઈ જીવનમાં ઉતારવાનો નિષ્ઠાવાન પ્રયત્ન સુદ્ધા કોઈ કરતુ નથી. સ્વાભાવિક છે – કારણ કે તેઓ એ વાત સ્પષ્ટ કરી દેતા કે એકલા હોવું એ અફર સત્ય છે.
મનુષ્યની ઇચ્છાનો કોઈ અંત જ હોતો નથી. ખુલ્લી આંખે આપણે આખી જિંદગી ઊંઘવામાં જ પસાર કરીએ છીએ. એણે આપેલું આપણને કદી પૂરું પડતું નથી. આપણા હાથમાં જે આવે એ આપણને ઓછું જ પડે છે. ટાગોર યાદ આવી જાય: ‘તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.’ એણે આપેલી દૃષ્ટિથી આપણે સત જોઈ શકતાં નથી. આપણાં મંદિર પર એના નામની ધજા ફરફરતી રહે છે, માત્ર. ભીતર કંઈ જ નથી…
April 24, 2020 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, પીયૂષ ચાવડા
રોજ પજવે અવનવી રીતે, કરું હું શું ખુલાસો?
હું સમયના ગાલ પર મારી નથી શકતો તમાચો.
કોઈ મારી ભીતરે ખોદી જુઓ, લાશો પડી છે,
રોજ ઇચ્છાઓ મરે છે, ને ઊઠે રોજે જનાજો.
ફૂલ સુધી પહોંચતી નહિ, કેદ દૃષ્ટિ કંટકોમાં,
આંખ સામે છે બગીચો કેટલો સુંદર મજાનો!
એક પળમાં માલિકે ખાલી કરાવ્યું શ્વાસનું ઘર,
સાથમાં પણ લઈ શક્યો નહિ, વિસ્તરેલો મુજ લબાચો.
જન્મ તો દીધો પરંતુ ‘મોત’ પાસે રાખ્યું છે તેં,
તુંય ખેલાડી નીકળ્યો કેટલા ઊંચા ગજાનો.
– પીયૂષ ચાવડા
આમ તો બધા જ શેર ગણગણી શકાય એવા છે પણ મને કંટકોમાં કેદ થઈને રહી ગયેલી દૃષ્ટિ વધુ ગમી ગઈ. નજરની સામે મજાનો આખો બગીચો ખીલ્યો હોય પણ માણસની નજરમાં ખોડ હોય તો એને ફૂલ નહીં, કાંટા જ દેખાશે. શાળામાં અભ્યાસ કરતા હતા એ સમયે હિંદીના પાઠ્યપુસ્તકમાંના એક પાઠનું લાંબુલચ શીર્ષક –युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला, और दुर्योधन को कोई सज्जन नहीँ मिला- યાદ આવી ગયું.
April 23, 2020 at 1:45 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
આટલો તો વહાલો તું લાગ મા;
રુદિયામાં રહેવાનું, નસનસમાં પેસીને આખી ને આખી તો તાગ મા..
ઝાડવાની જેમ સાવ છાનેરો રોપાયો, કોળ્યો સમૂળ મારી જાતમાં;
દિવસે જો માપું તો વ્હેંત વ્હેંત વધતો ને વાંભવાંભ વધતો તું રાતમાં,
લ્હેરખીની સાથ તું તો તાલ દઈ નાચે, અને હેતનો હિલ્લોળ આખા બાગમાં..
આખી ને આખી તો તાગ મા..
નેહનું અદીઠ કોઈ જંતર બાજે છે, મારાં અંતરમાં સૂરનાં છે પૂર ,
કહેવું, ના કહેવુંની અવઢવમાં રાચતી હું જીવતર માણું છું ભરપૂર..
ફાગણિયો ફાગ ગાઈ, મનગમતો રાગ ગાઈ, લઈ લે આ લુચ્ચીને લાગમાં ;
આખી ને આખી તો તાગ મા..
– નેહા પુરોહિત
સહજ અભિવ્યક્તિનું પ્રભાવક પ્રણય ગીત. હળવો ઉપાલંભ આપીને નાયિકા નાયક માટેની પોતાની દિન દૂની, રાત ચૌગૂની વધતી લાગણીઓને કેવી સરસ રીતે આલેખે છે! લહેરખીની સાથે નાયક તાલ પૂરાવે એટલામાં આખા જીવનમાં હેતનો હિલ્લોળ રેલાઈ જાય એ સાચી કવિતા છે…
સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ જ કંઈ જ જાણતું નથી.
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી? લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે
– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)
[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]
કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી એક કવિતા આજે આપના માટે… આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે.
April 17, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
મેં તો આંખોને કહી દીધું સાનમાં :
નજરુંને વાળી લ્યો, પાંપણને ઢાળી દ્યો, એવું શું દીઠું છે ક્હાનમાં?
ગાયોની વાંભ પડી કાનમાં તો કાલિન્દી
ઊછળતી જોઉં છું અચંબે,
વાંસળીના સાંભળ્યા જ્યાં સૂર ત્યાં તો
ડાળીને નીચે નમાવી કદંબે,
લ્હેરખીને એવું શું સૂઝ્યું કે વાલામૂઈ અટવાતી આમ પાનેપાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં
છેટાં રહેવાનું સુખ જાણે ના એ જ
રહે નિકટ ને ઝંખે સહવાસ,
માથે ઝળૂંબતાં જ સમજાયું એટલે
ઊંચે જઈ ઊભું આકાશ,
સહેજ સાજ અડક્યાં તો ફેરવાઈ જાવાનું અમથું અમથું રે એના વાનમાં.
મેં તો આંખોને કહી દીધું સાનમાં.
– મનોહર ત્રિવેદી
કૃષ્ણ સાથે મીઠો ઝઘડો હંમેશથી કવિઓનો ચહીતો વિષય રહ્યો છે. કવિશ્રી મનોહર ત્રિવેદી જરા અલગ રીતનો ઝઘડો માંડે છે. એ કૃષ્ણ સાથે લડવાના સ્થાને પોતાની આંખોને જ ફટકારે છે કે ક્હાનમાં એવું તે શું જોઈ ગઈ છો? નજર બીજી તરફ વાળી લ્યો અને પાંપણ નીચી ઢાળી દ્યો. કાનુડાની ગાયોનો અવાજ સાંભળતાવેંત કાલિંદી નદી રમણે ચડે છે, વાંસળીના સૂર સાંભળી કદંબની ડાળેડાળ નીચી નમે છે, જાણે કાન દઈ રસપાન ન કરતી હોય! અને પવનની લહેરખી પણ વાવાનું છોડીને પાનેપાન અટવાઈ રહી છે. કવિનો કૃષ્ણપ્રેમ પણ આ જડને ચેતન બનાવતી સૃષ્ટિનો જ એક અંશ હોવા છતાં બધાથી અલગ છે. કવિ છેટાં રહીને મિલન કરતાંય મિલનઝંખનામાં જે વિશેષ આનંદ છે એ જાણી ચૂક્યા છે એટલે કહે છે કે આઘે રહેવાનું સુખ જેણે ચાખ્યું નથી એ જ નજીક રહેવાની આરત કરવાની મૂર્ખામી કરે. આકાશ આ વાત બરાબર સમજી ગયું છે. એકવાર એ માથે શું ઝળૂંબ્યું કે વાદળાંઓ કાળાં થઈ ગયાં. જાતને ગુમાવવી એ કાનજીની નજીક જવાનું સૌથી મોટું જોખમ છે. તમે જરા એની નજીક ગયાં નથી, જરા અમથો એનો સ્પર્શ પામ્યાં નથી કે એનો વાન તમારો વાન થયો નથી… એટલે થોડા આઘા, થોડા અળગા રહીને ચાહવામાં જ મજા છે…
જોસી ઉમાસંકર ને રંજન ભગત એવા
કવિઓ પાક્યા છે ઊંચા માયલા
આપડી આ માતરુ ભાસામાં, તોય શાને
લોલેલોલ આવું કરે ચાયલા
ફાધર વાલેસ મળે મારગે ને હાલચાલ પૂછે તો કહેવાનું સું?
બાવન અક્સરને સંઘરવા ગાંધીની પોતડીને ક્યાં છે ખીસું?
ઇંગરેજી ફોદા બે નાખીને ગુજરાતી
દૂધનું જમાવવાને દહીં
ઊભી બજારે લોક બેઠું ગુજરેજી
દુગ્ધાલય ખોલીને અહીં
એબીસીડીના અખરામણવાળા આ અક્કલમઠાનું કરું સું?
ઠોઠ રે નિસાળિયો ને મહેતાજી બેઉ ફાકે ભાસાને નામે ભૂસું
– હરીશ મીનાશ્રુ
ઉફરા તરી આવતા વિષયો, અરુઢ ભાષા, અસામાન્ય બાની અને અભિવ્યક્તિની મૌલિકતાના કારણે કવિશ્રી હરીશ મીનાશ્રુના ગીતો આજના આખાયે ફાલથી બિલકુલ નોખા તરી આવે છે. એમનો અવાજ એમનો પોતાનો ટ્રેડમાર્ક બની ગયો છે. પ્રસ્તુત રચનામાં ખાડે ગયેલી ગુજરાતી જોડણી, ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકોને એમણે આડે હાથે લીધા છે.
અંગ્રેજી જોડણીમાં સહેજ પણ ભૂલ ન થાય એની ચીવટાઈ રાખતી ગુજરાતી પ્રજા પોતાની ભાષાની જોડણી જ સાચવી શકી નથી. શ,ષ, સ – ત્રણેયનો એક જ ‘સ’માં ફાલુદો કરવા ઉપરાંત બોલાતી ખોટી ભાષાને ગીતનું સાધન બનાવીને કવિએ સતત હાંસી ઉડાવતા જઈને ચૂંટિયા ખણવાનું બેવડું કામ કર્યું છે. જિજ્ઞેશભાઈ, સૉરી, જિગનેસભાઈને સંબોધીને કવિ કહે છે કે જોડણીકોશને ભારી કબજીયાત થઈ છે અને એનો ઇલાજ કેમેય કરી જડતો નથી. આમ તો ભૂલવાળી ચોપડી આપણે ચલાવી લેતા નથી, ઊંઝા જોડણીવાલા સરળીકરણ માટે માથાં પટકી મરી જાય છે પણ વિદ્યાપીઠ એના જોડણીકોશને બદલવાનું કે સુધારવાનું નામ લેતી નથી. ઊંઝા જોડણીનું ઇસબગુલ ફાંકે કે વિદ્યાપીઠનો જોડણીકોશ લોકો હરડે-હીમજની જેમ ચૂસે તો કદાચ આ બંધકોશ ખૂલે. ગુજરાતી શબ્દોમાં જોડણીની પૂરતી ખોદણી કરતા કવિ પાછા સ્પૅલચૅક જેવા અંગ્રેજી શબ્દમાં માત્રાનીય ભૂલ કરતાં નથી, આ કટાક્ષ પણ નોંધવા જેવો.
ઉમાશંકર જોશી અને નિરંજન ભગત જેવા ઊંચી કક્ષાના કવિઓ પાક્યા હોવા છતાં માતૃભાષામાં આવું લોલંલોલ કેમ ચાલ્યા કરે છે એ એક કોયડો છે. વિદેશથી આવેલ ફાધર વાલેસ જેવા માણસની જોડણી નખશિખ સાચી હતી પણ ગાંધીની ગુજરાત પાસે બાવન અક્ષર સમાય એવું ખિસ્સું પણ નથી. ગુજરાતી દૂધના ઠેકાણાં નથી, પણ એમાં અંગ્રેજીની મિલાવટ કરીને ગુજરેજીનું દહીં જમાવવા આખી પ્રજા ઊભી બજારે નીકળી પડી છે. એબીસીડીઘેલા આ અક્કલમઠાઓનું શું કરવું એ વિમાસણ છે. આપણે ત્યાં નથી શિક્ષકમાં ઠેકાણાં, નથી વિદ્યાર્થીના. ગુજરાતી ભાષાના ભવિષ્ય ઉપર વેધક કટાક્ષ કરતું હળવું લાગતું આ ગીત અંતે આપણા હૃદયને ભારઝલ્લું કરી જાય છે.
ભીતર ખુશી ન હોય તો જગતમાં કશું પણ સુંદર લાગતું નથી. પણ દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત લાગે છે એ વાત કવયિત્રીએ કેવી સરસ રીતે રજૂ કરી છે! વધા જ શેર સુંદર અને અર્થગહન થયા છે.
April 10, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નીરવ પટેલ
ભૈ હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ,
તમાર બા’ર આલવા હોય
તો બે સ :
હું ન ડોશી.
ઝાઝા નથી,
બે દહાડીના મૂલ સ.
અમાર બે ઘડી વિહાંમો વૈતરાંમાંથી .
બાચી અમે તો આ હેંડ્યા હાડકાં વેણવા,
મગો મેં’તર કોથળે પાંચ આલ સ.
હાંજ પડ રોટલા ભેળા થ્યા
એટલ ભયો ભયો.
ભૈ તમન હોંપ્યાં રાજ ન પાટ
અમાર તો ભલો અમારો રઝળપાટ.
કો’ દહાડો ચઢ સ
ન ડોશી ખોટી થાય સ…
પાપમાં પડવાનું સ,
પણ બોલ્યું પાળવાનું સ.
એટલે મત તો પાકો મનુભૈન .
વા’લા નાંમેરીનું ભગવાંન ભલું કરઅ.
બોલો, આલવા સ માથાદીઠ બાર ?
બે સ :
હું ન ડોશી.
– નીરવ પટેલ
આમ તો આ અછાંદસ એક કવિતાયુગ્મમાંનું બીજું કાવ્ય છે પણ મને લાગે છે કે આ એક કાવ્ય પણ પૂરતું છે. પહેલું કાવ્ય વાંચ્યા વિના સીધું આ વાંચીએ તો શરૂમાં તો વાત શેની થઈ રહી છે એ સમજવું જરા અઘરું લાગે પણ અંત ભાગ તરફ જતાં સુધીમાં ખ્યાલ આવી જાય છે કે ચૂંટણીનો સમય છે અને ઉમેદવારો મત ઉઘરાવવા ગામમાં આવી ચડ્યા છે. આખો દિવસ તડકાતાપમાં કચરો-ભંગાર વીણી લાવે ત્યારે મગો મહેતર એક કોથળાના પાંચ રૂપિયા આપે અને ડોશો-ડોશી બંને રોટલા ભેળા થાય છે. પણ ચૂંટણી ટાણે એક ઉમેદવારે મત દીઠ દસ રૂપિયાની લાંચ આપવાની જાહેરાત કરી છે એટલે ડોશો આ તક ઝડપીને બીજા ઉમેદવાર પાસે જઈને તમારે બાર રૂપિયા આપવા હોય તો કહો. મારો અને ડોશીનો- એમ અમારા બે મત છે. અને આ પાછળનું ડોશાનું ગણિત પણ સાવ સીધું છે. રોજરોજના વૈતરામાંથી બે ઘડી છૂટકારો તો મળે! ચૂંટણી છેવાડાના આદમીને બીજું તો કંઈ આપવાની નથી, કમ સે કમ બે’ક પળ એને પોરો ખાવાની તક આપે એ ય આ લોકો માટે તો બહુ છે… નેતાને રાજપાટ આપી દઈને રઝળપાટ વહાલી કરનારી આ પ્રજા છે.
અસ્તિત્ત્વ ચીરી નાંખે એવી ધારદાર આ કવિતા એની તળપદી બાનીના કારણે વધારે ચોટદાર બની છે.
આંખ મીંચી તો બધે ઝળહળ હતું
આંખ ખોલી તો નજરનું છળ હતું
ઠારવાને આગ, ત્યાં ક્યાં જળ હતું?
લઈને દોડ્યો માટ, ત્યાં મૃગજળ હતું.
બંધ ઘરને મૌન દરવાજા હતા,
જ્યાં નજર અંદર કરી, ખળભળ હતું.
હું હતો ને ત્યાં સમુંદર પણ હતો,
ડૂબકી મારી, અતળ ત્યાં તળ હતું.
સાવ નાની વાતની અફવા હતી,
પણ બધે દિવાસળીનું બળ હતું.
– સુરેશ ‘ચંદ્ર’ રાવલ
મજાની ગઝલ પણ મત્લા તો શિરમોર થયો છે. વાત નવી નથી પણ કહેવાની ઢબ અદભુત છે. એકદમ સરળ ભાષા પણ વાત હૃદયના ઊંડાણ સુધી ઊતરી જાય એવી. નજરે ચડે છે એ સંસાર તો કેવળ આભસ છે, છળ છે. ચર્મચક્ષુ બંધ થાય તો જ ભીતરનું ઝળાંહળાં તેજ નજરે ચડે. એ પછીના બધા શેર પણ એવા જ આસ્વાદ્ય થયા છે.
April 7, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ચકમકતી ધાર તો ઘસાઈ ગઈ ને
સાવ બુઠ્ઠી થયેલી અણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું
ઝાંખપનાં વાદળાંઓ આંખે ઘેરાયાં ને
કાનના પડદે બાકોરાં
મનગમતા, મિઠ્ઠા ને ગળચટ્ટા દિવસોના
સ્વાદ હવે લાગતા ખોરા
કરચલીમાં રોજરોજ વહેંચાતો જાઉં ને
લોકોની આંખમાં કણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું
જેટલા શ્વાસ લઉં એનાથી બમણા
હું શ્વસતો રહું છું નિ:શ્વાસો
ફાટેલી વેદનાને સાંધવા ને સાંધવામાં
ફાટી ગયો છે મારો વાંસો
રોજ થોડીથોડી કપાતી આ પાંખ ને
તૂટતી આ પાંખનો ધણી છું
હવે હુંય અસ્તાચળ ભણી છું
– મુકેશ જોષી
અહીં વાત ઉંમરની નથી, માનવીના સ્વ ની – self ની – છે. ઈચ્છા-અનિચ્છાએ સતત કરવા પડતા સમાધાનોની છે, ક્ષણેક્ષણે વાગતા ઘા ની છે, પોતે અહીં misfit છે એ લાગણીની છે…..
ज़मीन है न बोलती न आसमान बोलता,
जहान देखकर मुझे नहीं जबान खोलता,
नहीं जगह कहीं जहाँ न अजनबी गिना गया,
कहाँ-कहाँ न फिर चुका दिमाग-दिल टटोलता,
कहाँ मनुष्य है कि जो उमीद छोड़कर जिया,
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
तिमिर-समुद्र कर सकी न पार नेत्र की तरी,
विनष्ट स्वप्न से लदी, विषाद याद से भरी,
न कूल भूमि का मिला, न कोर भोर की मिली,
न कट सकी, न घट सकी विरह-घिरी विभावरी, [विभावरी – તારાઓભરી રાત્રી]
कहाँ मनुष्य है जिसे कमी खली न प्यार की,
इसीलिए खड़ा रहा कि तुम मुझे दुलार लो!
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
उजाड़ से लगा चुका उमीद मैं बहार की,
निदाघ से उमीद की बसंत के बयार की, [निदाघ – તીવ્ર ગરમી, बयार – શીતળ પવન]
मरुस्थली मरीचिका सुधामयी मुझे लगी,
अंगार से लगा चुका उमीद मै तुषार की,
कहाँ मनुष्य है जिसे न भूल शूल-सी गड़ी
इसीलिए खड़ा रहा कि भूल तुम सुधार लो!
इसीलिए खड़ा रहा कि तुम मुझे पुकार लो!
पुकार कर दुलार लो, दुलार कर सुधार लो!
– हरिवंशराय बच्चन
અનાયાસે ફેસબુક પર કોઈ દીકરીને આ કાવ્યનો સુંદર પાઠ કરતી સાંભળી… સરસ કવિતા વાંચવા મળી ગઈ.
બચ્ચનજીની રસાળ લયબદ્ધ પ્રવાહી ભાષા તો મનોરમ્ય હોય જ છે, પણ કાવ્ય મર્મસ્પર્શી છે….
માણસ આશા ત્યાગતો નથી. આશા માણસને સંઘરતી નથી. સંબંધ જેટલો મજબૂત, તેટલું જ દારૂણ તે તૂટવાનું દુઃખ… સંવેદનશીલ હૃદયનું ગંતવ્ય જ છે ઘાયલ થવું…..
કીડી વિશે આવું મજાનું ગીત આપણે ભાગ્યે જ માણ્યું હશે. કીડીના મૂળભૂત ગુણધર્મોને લયબદ્ધ કરીને કવિ મજાની કવિતા સિદ્ધ કરે છે અને કીડીના બહાને આપણને આંગળી પણ ચીંધે છે…
April 2, 2020 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મોના લિયા
દરરોજ તું વહેલો આવે તેની રાહ જોઉં છું.
લિફ્ટનો અવાજ આવે કે સહેજ બારણું ખખડે
પણ બીજું કોઈ હોય.
તને રિંગ કરવા મોબાઇલ ઉપાડું પણ
ડ્રાઇવિંગનો વિચાર આવે ને માંડી વાળું
તું આવે, તારી સાથે આવે આખું દફતર
બૅગમાંથી ખાલી ટિફિન ને કાગળથી ભરેલી ફાઇલો
લેપટોપમાં ઇમેલનો ઢગલો
વૉટ્સઅપમાં અનરીડ મેસેજનો વધતો આંક
મેં આ બધાંની રાહ જોઈ નહોતી
તો પણ કેમ આવી જતાં હશે? વણબોલાવ્યા મે’માનની જેમ?
મહેમાન તો બેચાર દિવસમાં જતાં રહે…
પણ આ બધાં તો… જવાનું નામ નથી લેતાં
આપણી વચ્ચે રહે છે પરિવારના સભ્યોની જેમ,
દરરોજ તારા આવવાની રાહ જોઉં છું
પણ તું આવતો નથી.
– મોના લિયા
કેવી સટીક રચના! કાપો તો લોહી ન નીકળે એવી ધારદાર અભિવ્યક્તિ! પોતાની ઑફિસ અને પોતાનો અંગત સંસાર ઘરમાં લઈ આવતો પુરુષ હકીકતમાં ઘરમાં આવે છે ખરો? કે સ્ત્રી એ આવે એની અંતહીન પ્રતીક્ષામાં જ રત રહે છે?
રે ગિરનારી બાવા,
મારી અરજી વાંચી દેજે થોડું ધ્યાન
હવે ના સહેવાતા તોફાન
સાધવા અઘરા શરસંધાન
કરી લઉં દૂર દેશ પ્રસ્થાન
અને તું…
અને તું ઇહલોક પરલોક વચાળે
આંસુડાં ને પોક વચાળે
સૂના ચાચર ચોક વચાળે
કાળ પથ્થરે માથું ફોડી ખુદને ખાજે રાવ
કે મારી જોગણ પાછી આવ…
કે મારી જોગણ પાછી આવ.
-પારુલ ખખ્ખર
૨૦-૨૦ના આ જમાનામાં આપણને આવા લાંબા ગીતની આદત રહી નથી પણ થોડો સમય અને ધીરજ ફાળવીને નજર નાંખીએ તો સરવાળે પસ્તાવું નહીં પડે એવું ફળદ્રુપ ગીત. રાજકોટ-અમરેલીનું ફરજંદ ગિરનારને કેન્દ્રસ્થ રાખી આવું ગીત લખે તો જૂનાગઢના કવિઓએને જરૂર મીઠી ઈર્ષ્યા થવાની. ચાર બંધના ગીતમાં નાયિકા અડધે સુધી નાથ અને અડધેથી જાતની વાતને સામસામે ગોઠવીને બંનેના જીવનનો વિરોધાભાસ જે રીતે ધારદાર બનાવે છે એ આ ગીતનો પ્રાણ છે. દરેક અંતરાના અંતે કાળની વાત આવે છે, જો કે કાળસળી અને કાળનદીમાં એ વાત જેટલી સહજતાથી આવી છે, એટલી કાળકાચલી અને કાળપથ્થરમાં આવી હોત તો વધુ મજા આવત.
નાથ સંસાર ત્યજીને ગિરનાર પર્ બાવો બની અડિંગો જમાવી બેટઃઓ છે અને નાયિકા હાથ જોડીને, પગે પડીને એને પાછો આવવા મનાવી રહી છે. જોગીની આંખમાંથી સંબંધની ભીનાશ સૂકાઈને તગતગતા તેજમાં ફેરવાઈ ગઈ છે. નાયિકા રંગોભર્યા વૈવિધ્યસભર સંસારમાં અટૂલી પડી જઈ, પ્રતીક્ષાની પળો પર જીવી રહી છે. છેવટે, નાયિકા યોગ્ય ચીમકી આપતાં કહે છે કે તારા વિના આ જીવન જીવી શકાય એમ નથી રહ્યું. ન કરે નારાયણ ને હું મૃત્યુ પામું તો તું બે લોક વચ્ચે ત્રિશંકુની જેમ લટકી જશે, કાળના પથ્થર પર માથું ફોડીને રડતો-પોકારતો રહી જશે કે મારી જોગણ, પાછી આવ.. પણ એ વખતે જોગણ તો…
કવયિત્રીએ ચુસ્તપ્રાસ-સાંકળી અને મજબૂત લયના સહારે આખા ગીતને બહુ સજ્જતાથી બાંધ્યું છે.