September 2, 2020 at 4:24 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
– તુષાર શુક્લ
કલાપી યાદ આવી જાય –
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી
વૈશાખ ઋતુની વાત છે. આભેથી મે મહિનાની લૂની સાથોસાથ વૈશાખી વાયરા પણ ફૂંકાવા શરૂ થાય છે. આંબો કેરીઓથી લચી પડ્યો હોય એ ટાણે નાયિકા નાયક પાસે ગીતો માંગે છે, પણ ગીત કેવાં અને કેટલાં તો કે લૂમલૂમ આંબાના ગીત. આપણે ત્યાં ગુજરાતમાં કેરીના વૃક્ષને, તો મહારાષ્ટ્રમાં ફળને આંબો કહે છે. અહીં ‘લૂમલૂમ આંબાનાં ગીત’ પ્રયોગમાં મરાઠી સંસ્કાર વધુ પ્રભાવક અનુભવાય છે.
ગ્રીષ્મની બપોરે કબૂતરની જેમ નાયિકા ઓસરીમાં આડી પડે છે ત્યારે ગરમીથી બચવા લટકાવેલી ખસની ટટ્ટીઓ પરથી બપોરનો તાપ કીડીઓ હેઠી આવીને કરડે એમ ચટકે છે એ કલ્પન કેવું બળકટ છે! વૈશાખી બપોર પજવે છે તો સાંજ પણ કંઈ છોડી દેતી નથી. નાયિકા લીંબોળીઓને ઘોળટી હોય છે ત્યારે સાંજ છાકટા છોકરાની જેમ એને છેડે છે. ફૂલોના સ્થાને એનું તનબદન ડાળખીની ગંધ ફૂટવાથી તર થઈ જાય છે.
વૈશાખી વૃક્ષો પછી વારો આવે છે પક્ષીઓનો. જો કે કવિ એમાં થોડું ઋતુચક્ર ચૂકી ગયાનું જણાય છે. કોયલ કુંજઘટાઓ ભરી દે અને સાખ પડેલી કેરી પોપટ ઠોલે ત્યાં સુધી તો વાત બરાબર પણ મોરના આઠે પહોર બોલવાની આ ઋતુ નથી. મોર તો વર્ષાઋતુ આવે ત્યારે જ આઠે પહોર ગહેકે અને મોરના કંઠેથી ટેંહુકાર નીકળે, પીહો પીહો બોલ તો પપીહરા કે ચાતકના. પણ આટલી વાતને નજરઅંદાજ કરીએ તો કલ્પન કેવા મજાના છે એ જુઓ! રાત આખી બે જણ વચ્ચે રૉમાન્સ ચાલે છે. શરીર કોયલની જેમ કૂકે છે અને પોપટ પાકી કેરીને કીરકીર ઠોલે એમ નાયક રાત આખી એના તનનો આનંદ લૂંટે છે. નાયક માટે નાયિકાનું દિલ દરવાજા વગરનું મકાન બની ગયું છે, મન ફાવે ત્યારે ઘૂસી અવાય. કેવી સવલત! આખી રાતનો આ આનંદ ઓછો પડ્યો હોય એમ નાયિકાની છાતી હવે આઠે પહોર ટહુકી રહી છે. અને સળંગ રાતદિવસનો આ અનર્ગલ પ્યાર પણ ઓછો પડ્યો હોય એમ અંતે નાયિકાની ભીતર એકસામટી છએ છ ઋતુઓ ઊગી આવી છે અને એ હવે બારમાસી પ્રીત ઝંખે છે.
આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.
ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’
જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’
August 26, 2020 at 8:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.
એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.
મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.
હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?
એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !
અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
-‘જલન’ માતરી
જલનસાહેબની ગઝલ હંમેશ સોંસરવી જ હોય….દરેક શેર જિંદગીની કહાની છે. બીજો શેર જુઓ – ‘ અધૂરું કતલખાનું ‘…… અર્થાત માનવી પૂરો ગરદને માર્યો નથી જાતો પણ ટળવળતો છોડી દેવામાં આવે છે. અહીં જાલિમ કોણ છે તે અધ્યાહાર છે – ખુદાનો એ ખેલ છે કે પછી માનવસમૂહ એ કરે છે તે સમજવું આપણા પર છોડાયું છે. બુદ્ધિ આપી, કલ્પનાશક્તિ આપી, ઝંખના આપી અને ખુદાએ માણસને ચિરતૃષ્ણાના દરિયે ફંગોળી દીધો….
બરફ વચાળે નાની અમથી કાળી કાળી ચીજ, ,
દર્દભર્યા કંઈ નાદે ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ! ’વીપ!”
“બોલ તું, ક્યાં છે પપ્પા તારા, ને ક્યાં ગઈ છે મમ્મી? –
“તે બંને તો ચર્ચ ગયા ઈશ્વરની કરવા બંદગી.
“કારણ બંજરપાટ ઉપર પણ હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો સ્મિત હું શિયાળાના બર્ફમાં,
એ લોકોએ લિબાશ મૃત્યુનો મને પહેરાવ્યો,
અને મને શીખવ્યું શી રીતે ગાવા દર્દના ગીતો.
અને બસ, એથી કે હું ખુશ છું, નાચું છું, ગાઉં છું,
તેઓને લાગે છે તેમણે દર્દ નથી કંઈ આપ્યું,
અને ગયાં છે ઈશ્વર, રાજા-પાદરીને પૂજવાને
જે બેઠાં છે અમારાં દુઃખોમાંથી સ્વર્ગ રચવાને,”
– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
વિલ્યમ બ્લેકના બે સંગ્રહ ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ (૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ બંનેમાં ‘ધ ચિમની સ્વીપર’ શીર્ષકથી કવિતા સમાવિષ્ટ છે. ‘ઇનોસન્સ’માં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે ‘એક્સપિરિઅન્સ’માં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત પણ કર્યાં હતાં.
ચિમની સ્વીપરની જિંદગી વિશે થોડું જાણીએ… બ્લેકના સમયના ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાનાં-પાતળાં શરીરધારી બાળકો વરદાન ગણાતાં. માત્ર ત્રણ જ વર્ષના ફૂલ જેવાં બાળકોને આ કામે લગાડી દેવાતાં. અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર એમને ઉતારાતાં એટલે હાથ-પગનું તૂટવાથી લઈને શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર પણ સહજ હતાં. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને-ફસાઈને-ગૂંગળાઈને મૃત્યુ થવું પણ સામાન્ય ગણાતું. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયાની જાણ ન થવાના કારણે મરણને શરણ થતું. જાડાં થઈ જાય તો ચિમનીમાં ઉતરી નહીં શકે એ ડરે એમને ખોરાક પણ અપૂરતો અપાતો. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો.
*
The Chimney Sweeper (Songs of Experience)
A little black thing among the snow,
Crying “‘weep! ‘weep!” in notes of woe!
“Where are thy father and mother? Say!”–
“They are both gone up to the church to pray.
“Because I was happy upon the heath,
And smiled among the winter’s snow,
They clothed me in the clothes of death,
And taught me to sing the notes of woe.
“And because I am happy and dance and sing,
They think they have done me no injury,
And are gone to praise God and his priest and king,
Who make up a heaven of our misery.”
સરળ શબ્દોમાં સહજ ગઝલ… બધા જ શેર સુંદર થયા છે, પણ દરેકને જરા હળવા હાથે ખોલવામાં આવે તો જે સૌંદર્ય પ્રથમ દૃષ્ટિએ દેખાય છે, એ ઝળાંહળાં થતું અનુભવાય છે… છેલ્લા બે શેર તો શિરમોર…
August 20, 2020 at 1:11 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.
– સુરેશ દલાલ
ટેલિફોન દ્વારા અવાજના તાંતણે જોડાયેલ બે સ્નેહીજનોનું ચિત્ર કવિ રજૂ કરે છે. એક વ્યક્તિની તરસ અને બીજાના કમળપત્રભાવ વચ્ચે પણ બે જણ વચ્ચેનો સ્નેહ અછતો રહેતો નથી. સ્ટિવન બ્લેક હોર્ટન નામના એક કવિ જણને જોડતા આ સગપણને ‘અવર ઇલેક્ટ્રિક બ્રધરહુડ’ કહીને ઓળખાવે છે. સાચી વાત છે. ટેલિફોન એ એકબીજાને જોઈ ન શકતી (આજના સ્માર્ટફોનના વિડિયોકૉલની આ વાત નથી!) કે એકબીજાને મળી ન શકતી બે વ્યક્તિઓને અવાજની દોરીથી બાંધી આપે છે. ટેલિફોન કલમ-કાગળથી પરે અવાજની નોટબુકમાં લખાતી લાગણીની કવિતા છે. એ બે વ્યક્તિ વચ્ચે સંવેદનાનો સેતુ રચી આપે છે.
જીભના સ્થાને કાનને અવાજનો શોષ પડવાની અને કાનના સ્થાને જીભને નામ સાંભળવાની ઝંખના થવાની વાત કેવી અદભુત છે! સાચે જ, આ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિઓનું જાદુ પણ ગજબ હોય છે. નજરની સામે નિચોવાઈ રહેલા લીંબુના ટીપાં આપણા મોઢામાં પડતાં નથી, પણ એને નિચોવાતું જોઈએ એ ઘડીએ દૃષ્ટિ નામની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય સાથે કોણ જણે શી ગુસપુસ કરે છે તે આપણા મોઢામાં લાળ છૂટવી શરૂ થાય છે. પંચેન્દ્રિયોની આ અવિનાભાવી સંપૃક્તતા કવિએ ટેલિફોનની મદદથી કેવી સ-રસ રીતે આલેખી છે!
August 18, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.
-રમેશ પારેખ
આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!
કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….
હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનો ક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.
આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.
શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.
શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.
વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.
જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.
– ‘ગની’ દહીંવાળા
ગનીચાચાની ગઝલમાં જીવનનો પડઘો ન હોય તો જ નવાઈ !!! ” શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?…….” – આ એક જ શેર પર ફિદા થઇ જવાય….જયારે અહીં તો બધા જ શેર જોરદાર છે ! છેલ્લેથી બીજો શેર જુઓ !! મક્તો પણ અદભૂત…અખિલમ મધુરમ
ખંડ શિખરિણીમાં લખાયેલ આ રચના વાંચવા માટે નથી, ગાવા માટે છે. મોટા અવાજે એનું પઠન કરતાં જ લોહી ગરમ થતું અનુભવાયા વિના નહીં રહે. રચના ભલે બહુ જૂની કેમ ન હોય, આજે પણ આજના યુવાધનને એટલી જ લાગુ પડે છે. મજબૂત રાષ્ટ્ર રચનાની આવશ્યકતા કદાચ જેટલી આજે છે, એટલી આ પૂર્વે ભાગ્યે જ હતી.
રોજ જ નજરે ચડતી ઘટના કવિના ચશ્માંથી જોવામાં આવે તો કેવી નવતર દેખાય છે! પાણી અને સૂર્યની તેજસ્વિતાનો આટલા ઓછા શબ્દોમાં આટલો મજાનો પ્રયોગ ભાગ્યે જ થયો હશે..
સ્હેજ જરા અટકો જો ઝોલો, તો ખોયાને
બે હાથે ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઈ વાર મેલી જો દોરી
તને બેસવા દઉં ન લેશ હેઠો,
કંટાળી મારે મને ધબ્બા ને કાલીકાલી
વાણીથી છો ને ફોસલાવે…
અમનેય આવડે છે મરકલડાં આણતાં
ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કદંબડાળ બેસીએ કે
મંદિરમાં બની જઈએ આરસ
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઈ
હળવે હળવે તું પાસ આવે…
– હરીન્દ્ર દવે
Role-reversal કોને ન ગમે? કાનુડાને હિંચવવા આખી દુનિયા સદાની તૈયાર… પણ કવિને કોઈક વાર વિચાર આવે છે કે પોતે ફૂલના હિંડોળે સૂઈ જાય અને કાનુડો એને હિંચકે તો કેવું! પાછું અમથું સૂઈ રહેવાનું નથી… આ તો કવિ છે! એ ઈશ્વરની કસોતી કરતાંય અચકાય શાનો? ઈશ્વરને હાલરડું ગાતાં આવડે છે કે કેમ એ જાણવા એ અમથી અમથી આંખ મીંચીને કાન માંડે છે. વળી ઝોલો અટકવો ન જોઈએ એ બીજી શરત છે. હિંચકો જરાક અટક્યો નથી કે જે રીતે બાળકાનુડો યશોદાનું ઉપરાણું લેતો’તો એ જ રીતે કવિ પણ ખોયો ઝાલીને બેઠો થઈ જશે. થાકી જાય, કંટાળી જાય, ધબ્બા મારે કે કાલી-કાલી વાણીથી ફોસલાવવા કરે તોય કૃષ્ણ જેવા કૃષ્ણને પણ થાકીને બે પળેય દોરી મેલીને હેઠો બેસવા નહીં દેવાનું નક્કી જ છે. જે રીતે સ્મિતના મરકલડાં આણીને કાનાએ હોકુળને ઘેલું કર્યું હતું, એવાં મરકલડાં આણતાં કવિને પણ આવડે છે. કવિનેય ગોરસ ખાવાનાં ને કદંબડાળે બેસવાનાં ને મંદિરમાં કાનુડો ચંદન-ધૂપ લઈ પૂજવા આવે તો આરસ બનીને સ્થિર પ્રતીક્ષા કરવાના ઓરતા છે..
આવી કવિતા હોય તો સર્જનહારને પણ કવિને હિંડોળવાનું મન થઈ જાય એ નક્કી!
August 12, 2020 at 2:09 AM by તીર્થેશ · Filed under ગઝલ
तेरी हर बात मोहब्बत में गवारा करके
दिल के बाज़ार में बैठे हैँ ख़सारा करके [ख़सारा – નુકસાન ]
एक चिन्गारी नज़र आई थी बस्ती मेँ उसे
वो अलग हट गया आँधी को इशारा करके
मुन्तज़िर हूँ कि सितारों की ज़रा आँख लगे [मुन्तज़िर – રાહ જોઉં છું ]
चाँद को छत पे बुला लूँगा इशारा करके
मैं वो दरिया हूँ कि हर बूँद भंवर है जिसकी
तुमने अच्छा ही किया मुझसे किनारा करके
– राहत इन्दौरी
રાહતસાહેબ ઇન્તેકાલ ફરમાવી ગયા…..એક મજબૂત અવાજ શાંત થઈ ગયો. બે વખત મુશાયરાઓમાં માણ્યા હતા તેઓને, અને છેલ્લીવાર થોડી વાતો પણ થઈ હતી. તેઓની ખાસિયત હતી તેઓની સરળ બાની…જનસામાન્ય સમજી શકે એ જબાનમાં તેઓ કાવ્ય કરતા, છતાં વાતનું ઊંડાણ ગજબનાક રહેતું. રાહતસાહેબ માઈક સંભાળે એટલે આખા ઓડિયન્સમાં ઉત્તેજના છવાઈ જતી. સાહેબનો શાયરી પઢવાનો અંદાઝ અફલાતૂન અને વળી પ્રત્યેક શેર તીર જેવો નોકદાર ! જલસો થઈ જતો…..
પ્રસ્તુત ગઝલ પર આવતા પહેલા બીજી એક વાત તેમના વિષે – તેઓ કટ્ટર બીજેપી-વિરોધી. માત્ર મોદી-વિરોધી નહીં પણ બીજેપી-વિરોધી. આથી અમુક લોકોને તેમને માટે વાંધો-ગંભીર વાંધો. પણ રાહતસાહેબે કોઈને ગાંઠ્યા નહીં, કદી નહીં. પોતાની વાત ડંકાની ચોટે કીધી જ કીધી. ગુજરાતમાં મુશાયરાના આયોજકો થોડા ચિંતિત રહેતા !!!!
પ્રસ્તુત ગઝલનો બીજો શેર તેમણે 2002-ગોધરાકાંડ પછી કીધેલો અને બહુ જ મશહૂર થયેલો. જયારે તેમને આ શેર કહેવા માટે ધમકીઓ મળી અને અમુક સંસ્થાના આમંત્રણ રદ થયા ત્યારે તેમણે પ્રત્યુત્તરરૂપે ચોથો શેર કીધો !!! શાયર તો શાયર હોય છે, એ કોઈ બંધન સહી ન શકે…. ખુમારીથી જીવી ગયા…..
સાહેબ જ્યાં પણ જાય ત્યાં મુશાયરા ગજવતા રહે અને મા સરસ્વતીની આરાધના અક્ષુણ્ણ રહે તે જ બંદગી….
August 11, 2020 at 3:01 AM by તીર્થેશ · Filed under શેર, હરીન્દ્ર દવે
કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.
– હરીન્દ્ર દવે
ફેસબૂક ઉપર આ શેર વાંચ્યો તો ज़ौक़ યાદ આવી ગયા –
अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे
मर के भी चैन न पाया तो किधर जाएँगे
પછી પ્રશ્ન થયો – ” જોઈતું મરણ કેવું આવે ? ” શું કવિ ચોક્કસ કારણથી અથવા ચોક્કસ કાળે મૃત્યુ થાય એમ ઈચ્છે છે ? એવું તો નથી લાગતું. “જોઈતું મરણ” એટલે કદાચ એક ચોક્કસ ઘટના/વ્યક્તિ/સ્મરણ/પરિક્લ્પના/સંબંધ/નબળાઈ/અપૂર્ણતાની ભાવના થી કાયમી મુક્તિની ઝંખના હોઈ શકે…..
झील वह अछूती थी
पुरइन से ढंकी हुई
सूरज से अनबोली
चाँद से न खुली हुई
कई जन्म अमर हुए
कोरी अब सिर्फ देह
पहली ही बिजली
हमें नौका-सी बाँध गई
लहरें किन्तु भीतर थीं
रोओं तक समझे हम
तट से बंधा मन
छाया कृतियों में मग्न रहा
स्वप्न की हवाओं में
तिरती हुयी गन्ध रहा
अतल बीच
सीपी का ताला निष्कलंक रहा
जादू का महल एक
नीचे ही बन्द रहा
अनटूटा था तिलिस्म
बाँहों में समझे हम
एक दिन शुरू के लम्बे कुन्तल
खुले दर्पण में
भिन्न स्वाह लिपि देखी
प्यासे आकर्षण में
मन था अनबींधा
बिंधी देहों के बन्धन में
अंजलियां भूखी थीं
आधे दिए अर्पण में
आया जब और चाँद
झील की तलहटी में
तब मीठी आँखों के
अर्थों को समझे हम
जल तो बहुत गहरा था
कमलों तक समझे हम ।
–गिरिजा कुमार माथुर
ગિરીજાકુમાર માથુરને આપણે સૌ ‘હમ હોંગે કામયાબ’(we shall overcomeના અનુવાદ)માટે ઓળખીએ છીએ. પ્રસ્તુત રચના અનબિંધે મન કા ગીત એક અલગ જ સ્તરની છે. ટૂંકી પંક્તિઓમાં લખાયેલી આ કવિતા એક જાતનું કવિશ્રીનું કન્ફેશન છે. કાવ્ય છે તો શૃંગાર-રસનું જ પણ અનોખું છે. પ્રિયતમાના દર્શનને પોયણીના તળાવના પ્રતિકથી વ્યક્ત કર્યું છે. પહેલી નજરમાં તો એ સૌંદર્યથી કવિ અભિભૂત થઈને પ્રેમમાં બંધાઈને પ્રેમિકાને જીવનસંગીની બનાવવાનો નિર્ણય કરી લે છે પણ હજુ એના આત્માનું ઊંડાણ સમજ્યા નથી. કવિ નિખાલસતાથી કહે છે કે પ્રિયતમાના મનમાં ચાલતી ભાવનાઓની લહેરોને ઓળખવાને બદલે એ સ્થૂળ ઊર્મીઓને જ સમજી શક્યા. એક જાતનું સંકુચિત મન સ્વપ્નાઓમાં અને કલ્પનાઓમાં વિહરતું રહ્યું પણ પ્રિયતમાના અતળ મનમાં પડેલું છિપનું મોતી, એના અંતરનું સૌંદર્ય નજરે ના પડ્યું. એની અંદર એક આખું જાદુઈ વિશ્વ હતું એ એમ જ બંધ પડી રહ્યું, કવિ દેહના સૌંદર્યમાં જ ખોવાયેલા રહ્યા. દેહનું ઐક્ય સાધી લીધા પછી પણ મન તો અણ વિંધ્યું જ હતું. જ્યારે કવિને જ્ઞાન લાધ્યું ત્યારે એ સુંદર આંખોનું ઊંડાણ, એમાં છૂપાયેલા અર્થો સમજી શક્યા. એક પ્રેમી હ્રદયની નિખાલસ કબૂલાત સ્ત્રી-પુરુષોના સંબંધો વિશે ઘણું કહી જાય છે.
એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.
– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)
પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને વાંચતાં-સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. બાકી, જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે. વાણી અને ભાષાના વિકાસની જોડે જ પ્રકૃતિથી આપણાં અળગાપણાંની શરૂઆત થઈ ગઈ. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી. પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે?
There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand
August 3, 2020 at 2:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું !
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું !
કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ,
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું !
નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયનાં ભાર પર આવી ગયું હસવું !
મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ !
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું !
મને સાથે લીધો, મંઝીલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું !
જવાની છે; અચલતા છે, અડગતા છે, અટલતા છે !
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું !
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું !
ઉઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું !
જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે બોલો !
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું !
ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત !
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું !
– ‘શેખાદમ’ આબુવાલા
આ શાયરે જિંદગી ગાઈ છે, સજળ આંખે ખડખડાટ હાસ્ય વેર્યું છે. કદાચ શાસ્ત્રીય કવિઓ શેખાદમને હસી કાઢતા હશે, પણ શેખાદમને તો આવા શાસ્ત્રીય કવિઓ પર – “આવતું હશે હસવું……”
યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર
પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…
તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી
બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !
તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’
મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?
મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.
બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.
તમારી, એક વેળાની..
– ઉદયન ઠક્કર
* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા
મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.
July 30, 2020 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
– અમૃત ઘાયલ
હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…
July 28, 2020 at 3:38 AM by તીર્થેશ · Filed under ખાતિર ગઝનવી, ગઝલ
गो ज़रा सी बात पर बरसों के याराने गए
लेकिन इतना तो हुआ कुछ लोग पहचाने गए
ભલેને નાનકડી વાત પર વર્ષોની યારી તૂટી ગઈ….કમસેકમ એટલું તો થયું કે કેટલાક ચહેરા બેનકાબ થઈ ગયા…
ભાષા સરળ છે, પણ અનુભૂતિ હૃદયદ્રાવક છે.
गर्मी-ए-महफ़िल फ़क़त इक नारा-ए-मस्ताना है
और वो ख़ुश हैं कि इस महफ़िल से दीवाने गए
મહેફિલની હૂંફની વાતો માત્ર દિલ બહેલાવવા માટે છે, એ તો રાજીના રેડ છે કે આ મહેફિલથી એક પાગલ ચાલ્યો ગયો…. અહીં ‘દીવાને’ બહુવચન કદાચ છંદ સાચવવા વપરાયું લાગે છે.
मैं इसे शोहरत कहूँ या अपनी रुस्वाई कहूँ
मुझ से पहले उस गली में मेरे अफ़्साने गए
હું એને મારી ખ્યાતનામી કહું કે મારી બદનામી કહું ?- મારા પહેલા એ ગલીમાં મારી કિંવદતિ [ અહીં આ શબ્દ અફ્વાના અર્થમાં વપરાયો લાગે છે ] પહોંચી ગઈ ! અર્થાત હરીફોએ એના કાન ભંભેરવામાં કશી મણા નો’તી રાખી.
वहशतें कुछ इस तरह अपना मुक़द्दर बन गईं
हम जहाँ पहुँचे हमारे साथ वीराने गए
દીવાનગી કૈક એવી રીતે મારી તકદીર બની ગઈ કે હું જ્યાં પહોંચું ત્યાં બરબાદી મારી સાથે જ આવી….જાણે તે મારો પડછાયો ન હોય !
यूँ तो वो मेरी रग-ए-जाँ से भी थे नज़दीक-तर
आँसुओं की धुँद में लेकिन न पहचाने गए
આમ તો તેઓ મારી ધોરીનસથી પણ મારી કરીબ હતા, પણ આંસુઓના પડળ હેઠળ ઓળખાયા જ નહીં… અહીં શાયર એમ ઈશારો કરે છે કે હું લાગણીમાં અંધ હતો કે તેઓનું સાચું સ્વરૂપ જોઈ ન શક્યો.
अब भी उन यादों की ख़ुश्बू ज़ेहन में महफ़ूज़ है
बार-हा हम जिन से गुलज़ारों को महकाने गए
હજુપણ એ યાદોની મહેક દિલમાં સાબૂત છે, વારંવાર જેનાથી અમે ઉપવનોને મહેકાવવા ગયા હતા. અર્થાત અમે કેટલા મૂરખ હતા !!! જ્યાં અમારી ઉપસ્થિતિની કોઈ કદર નહોતી, કોઈ સત્કાર નહોતો, કોઈ અર્થ જ નહોતો- ત્યાં વારંવાર અપમાનિત થવા જયા જ કર્યું…
क्या क़यामत है कि ‘ख़ातिर’ कुश्ता-ए-शब थे भी हम
सुब्ह भी आई तो मुजरिम हम ही गर्दाने गए
કેવી કયામત છે કે રાત્રીના અંધારે પણ અમે જ વઢાઈ જવા પાત્ર હતા ને દિ’ ઉગ્યો ત્યારે પણ અમને જ મુજરિમ કરાર ઠેરવાયા !!! મતલબ કે સત્ય-અસત્યની તો કોઈ વાત કદી હતી જ નહીં, એ નક્કી જ હતું કે અમને સજા કરવાની છે.
– ‘ખાતિર’ ગઝનવી
એક જ મૂડની ગઝલ છે, કોઈ બહુ જોરદાર શેર નથી પરંતુ એક બહુ જ સરસ માહોલ ઊભો કરે છે. પ્રેમ અને પાગલપનને તો અનાદિકાળનો નાતો છે, પણ અહીં એક પ્રેમાળ હ્ર્દયનો ઉપહાસ થયો છે, ખીલ્લી ઊડાવાઈ છે….. ખુદા એ ગુનો માફ નથી કરતો.
મહેંદી હસનના ઘૂંટાયેલા સ્વરે ગવાયેલી આ ગઝલ એકાંતે અને અંધારે સાંભળતા એક અલગ જ વિશ્વમાં આપણને લઇ જાય છે.
‘પ્રિયે!’ જેવું સાદું સરળ “સખી!’ સંબોધન કરું,
પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;
વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં
લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું?
હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,
હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં !
વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;
હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની !
મળ્યાં ત્યારે નહોતી ખબર મળવું યોગ્ય નહિ વા,
હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,
ભળ્યાં ત્યારે માણ્યું- વિરહ પણ આલિંગન હશે!
બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!
– અરુણ વામદત્ત
આયખાની ત્રણ પચ્ચીસી વળોટી જવાની ક્ષણે કવિ પંચોતેરમા વર્ષે પત્ની સાથેના પોતાના સહજીવન તરફ એક લાંબી નજર નાંખે છે. પત્ની વિશે કવિતા કરવાની ઇચ્છા બાબતની વિમાસણ સંબોધન શું કરવાથી જ શરૂ થાય છે. ઊભયછંદી પ્રણયરસકથાને આલેખવા કવિએ કયો છંદ વાપરવો, ન વાપરવો કે છંદ ત્યાગીને કામ કરવું એ બાબતે પણ વિચાર સેવ્યો છે. પણ અપદ્યાગદ્યે સંબંધનું ગાણું ગણગણવું યોગ્ય ન જણાતાં કવિએ શિખરિણી છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંબોધનથી લઈને શું લખવું-શું ન લખવુંની અવઢવયાત્રા સાથે કાવ્ય આગળ વધે છે. પણ લખવા કરતાં વિશેષ તો અન્યોન્ય માટેની એ અનુભૂતિનું મહત્ત્વ છે, જે ત્રીસ વર્ષની વયે હતી એવીને એવી જ પંચોતેરમા વર્ષે પણ બરકરાર રહી છે. ભલે સેંકડો ઉતારચઢાવ કેમ ન આવ્યા હોય, પણ સંધ્યાકાળે આવી પહોંચીને રાત વહેલી ન પડી જાય એની જ કામના છે. સહવાસની આ સાંજ વધુ ને વધુ લંબાય એ અભ્યર્થના જ સાચી કવિતા છે. મળ્યાં હતાં એ વખતે આ મિલન યોગ્ય છે કે કેમ એ બાબત પણ બંને સાશંક હતાં પણ હવે સમજાય છે કે કોઈ એક સાથી વિદાય લેશે તો એકબીજાથી ચડીને બીજું કોઈ પાત્ર કદાચ હતું જ નહીં અને મૃત્યુના કારણે સર્જાનાર વિરહ પણ એક આલિંગન જેવો લાગનાર છે, કેમકે બીજા જન્મે બંનેને પુનર્મિલનની અમર આશા છે…
બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે
એથી લીટીઓ હોય છે કોરી હથેળીમાં
જેને જે લખતાં આવડે જાતે લખી શકે
તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે
ટોળાની હામાં હા કરે ટોળાની નામાં ના
ટોળામાં એવા લોકને બઢતી મળી શકે
શહેરી તેં શાને જિંદગી ભ્રામક ગણી લીધી
જીવવાની હોય સ્વપ્નમાં એવું બની શકે
– ભાવેશ શાહ ‘શહેરી’
શહેરમાં પેટિયું રળવા આવી ચડ્યા પછી અને શહેરની જિંદગીનો રંગ લોહીમાં ઊતરી ગયા બાદ લાખ ઇચ્છા છતાં શહેર છોડી ન શકનાર શહેરીની વેદના બે જ પંક્તિમાં કવિએ અદભુત રીતે આલેખી છે. આમ તો કવિનું તખલ્લુસ મક્તાના શેરમાં આવે પણ કવિએ અહીં બખૂબી પોતાના તખલ્લુસને મત્લા અને મક્તા-બંનેમાં વણી લીધું છે અને મત્લામાં તો એ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. હસ્તરેખાઓ વિશે આટલો મજબૂત અને પોઝિટિવ શેર પણ ઘણા લાં…બા અંતરાલ પછી વાંચવામાં આવ્યો. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય બની છે.
કદાચ કવિતા સાથે પનારો પાડતા તમામ કવિઓને મદદરૂપ થાય એમ વિચારીને એક બાબત વિશે તોય જાહેર ટકોર કરવાનું મન થાય છે. કોઈ પણ કવિ પોતાની ભાષા પરત્વે ઉદાસીનતા સેવે એ સરાહનીય નથી. આખી ગઝલમાં જોઈ શકાય છે કે કવિએ કોઈપણ પ્રકારના વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી અને ક્યાં શું આવશે એ બાબત ભાવકની ભાષાક્ષમતા પર છોડી દીધી છે. આ બાબત પર ધ્યાન આપી શકાય તો સોનામાં સુગંધ ભળે… .
લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.
ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.
સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.
July 21, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, સુરેશ દલાલ
ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.
વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?
– સુરેશ દલાલ
નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..
અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.
ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.
– દીક્ષા
આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…
એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.
છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…
*
It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.
દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો
ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?
ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?
આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?
આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો
– ગૌરાંગ ઠાકર
પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.
‘अपनी सब से दोस्ती नहीं किसी से बैर’ – આ સૂત્રનો જીવતોજાગતો દાખલો ગઈકાલે સાંજે જીવનની કિતાબમાંથી ભૂંસાઈ ગયો… આજન્મ અજાતશત્રુ અને હર કોઈના મિત્ર, સાચા અર્થમાં એકદમ સાલસ અને સરળ સ્વભાવના તબીબ-કવિમિત્ર ડૉ. દિલીપ મોદી કોરોના સાથે દોસ્તી ન કરાય એ વાત ચૂકી ગયા. સુરતમાં ઓફિસિઅલ આંકડાઓથી દસ-પંદર ગણી વધારે ફેલાયેલી મહામારીમાં પોતાના જીવની પરવાહ કર્યા વિના દર્દીઓની સારવાર આપતા-આપતા દિલીપભાઈ તથા એમના માતા બંને કોરોનાગ્રસ્ત થયા. ગયા બુધવારે એમના માતૃશ્રી કોરોના સામેની જંગ હારી ગયાં અને ગઈકાલે સાચા અર્થમાં ‘કોરોના વૉરિયર’ દિલીપભાઈએ કોરોનાના કારણે ફેફસાં ખરાબ થઈ જવાના કારણે શ્વાસની સમસ્યા (ARDS) થતાં હથિયાર હેઠાં મૂક્યાં…
ઈશ્વર સદગતના અને એમના માતૃશ્રીના આત્માને સદગતિ આપે એ જ અભ્યર્થના…
July 15, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અહમદ ફરાઝ, ગઝલ
अब और क्या किसी से मरासिम बढ़ाएँ हम
ये भी बहुत है तुझ को अगर भूल जाएँ हम
બીજા કોઈ સાથે હવે અમે શું સંબંધ ગાઢ કરીએ ? – તને ભૂલી જઈએ એ જ બહુ છે !
सहरा-ए-ज़िंदगी में कोई दूसरा न था
सुनते रहे हैं आप ही अपनी सदाएँ हम
જીવન-રણ માં અન્ય કોઈ હતું જ નહીં, જાતે જ જાતના ચિત્કારો સાંભળતા રહ્યા છીએ. – અર્થાત એવી ભયાનક એકલતા છે કે મારો અવાજ પણ મને ભડકાવી દે છે.
इस ज़िंदगी में इतनी फ़राग़त किसे नसीब
इतना न याद आ कि तुझे भूल जाएँ हम
આ જિંદગીમાં એટલી સ્વતંત્રતા [ફુરસદ, મોકળાશ ]કોને નસીબ હોય છે ? – એટલી પણ સ્મરણમાં ન રહે કે હું તને ભૂલી જાઉં…- અર્થાત , મારી પાસે એટલી સ્વતંત્રતા છે કે હું તને ભૂલી જાઉં, એટલે એવો ફાંકો ન રાખીશ કે હું તને ભૂલી નહિ જ શકું કદીપણ….[ અહીં વક્રોક્તિ છે, શાયર પોતાની પ્રેમિકાને મનમાંથી ન હટાવી શકવાની સ્થિતિને છુપાવવા માગે છે ]. બીજો અર્થ એવો પણ કરી શકાય કે તારી યાદ એક સ્થાયીભાવ બની ગઈ છે. તું મારામાં એટલી એકાકાર છે કે તારું સ્મરણ હવે conscious phenomenon રહ્યું જ નથી….એ સ્થિતિમાં તું વિસરાઈ જ ગઈ કહી શકાયને ?
तू इतनी दिल-ज़दा तो न थी ऐ शब-ए-फ़िराक़
आ तेरे रास्ते में सितारे लुटाएँ हम
તું એટલી તો ઘાયલ નહોતી હે વિરહ-રાત્રી ! આવ, તારા રસ્તામાં સિતારાઓ બિછાવી દઈએ…. અર્થાત, હવે તારી સાથે ઝાઝી દુશમની પણ રહી નથી.
वो लोग अब कहाँ हैं जो कहते थे कल ‘फ़राज़’
हे हे ख़ुदा-न-कर्दा तुझे भी रुलाएँ हम
ક્યાં ગયા એ લોકો કે જેઓ ગઈકાલે કહેતા હતા, ભગવાન ન કરે, હું તને પણ રડાવી દઈશ….અર્થાત – હું તને રડાવું એ તો સ્વપ્ને પણ કોઈ કલ્પી ન શકે, લો – આ તને પણ રડાવી દીધી. હવે કોઈ સીમા લાંઘવી બાકી નથી રહી…..
Enlightenment is like the moon reflected on the water.
The moon does not get wet, nor is the water broken.
Although its light is wide and great,
The moon is reflected even in a puddle an inch wide.
The whole moon and the entire sky
Are reflected in one dewdrop on the grass.
– Dogen
ભાષા સરળ છે તેથી અનુવાદ કરતો નથી. સરળ ભાવાર્થ એ કે હું જો થોડો પણ શુદ્ધ હોઈશ તો મારા થકી ચૈતન્ય અભિવ્યક્ત થશે, પ્રતિબિંબિત થશે…-ભલેને હું અલ્પ હોઉં,અગણ્ય હોઉં….. અશુદ્ધિની માત્રા વિપુલ હશે તો હું કશું જ પ્રતિબિંબિત નહિ કરી શકું. મારી અલ્પતા ચૈતન્યની ભવ્યતાને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરવામાં બાધારૂપ નથી.
હાલમાં આ કવિના બહુ જૂના કાવ્યસંગ્રહ ‘જીભ ઉપરનો ધ્વજ’માંથી પસાર થવાનું થયું. કવિની વય ત્રીસેકની હશે ત્યારે કવિલોક પ્રકાશને નવ્ય કવિ શ્રેણીના ભાગ રૂપે આ નાનકડો સંગ્રહ બહાર પાડ્યો હતો. કંઈ અલગ જ બાની સાથે મુલાકાત થઈ. અગાઉ વાંચવામાં ન આવ્યા હોય એવા સાવ અનૂઠા અને અરુઢ કલ્પનો અને વાંચતાવેંત ગળે ઉતરવાનો ઇનકાર કરતી ભાષા. કવિતા અર્થમાં ઓછી અને અભિવ્યક્તિમાં વધુ હોય છે એ આ ગીતોમાંથી આરપાર નીકળીએ ત્યારે સહેજે સમજાય છે… સંગ્રહમાંથી એક ગીત માણીએ…
નશીલા નયનને કરી યાદ સાંજે,
સુરાલયમાં રાતો ગુજારી શકું છું.
ઘણા ‘રાઝ’ ભૂલી ગયો છું ગુલાબો,
ન એકેય કાંટો વિસારી શકું છું.
– રાજ લખતરવી
આખી રચના સ-રસ થઈ છે પણ ભીતર નદીઓની મીઠાશ સમાવેલી હોવા છતાં આંખોમાંથી સાગરની ખારાશ સારી શકવાની વાત કરતો શેર તથા ‘કિનારો’ શબ્દ અડખેપડખે બેવાર મૂકીને અદભુત શ્લેષનો સાક્ષાત્કાર કરાવતા શેર સવિશેષ ગમી ગયા. મક્તામાં ગુલાબોના સ્થાને ગુલાબી શબ્દ પ્રયોજાયો હોત તો તખલ્લુસનો અર્થ પણ કદાચ શેરના દૂધમાં સાકરની જેમ ભળી જઈ શક્યો હોત.
સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો
હું તો અકડેઠઠ્ઠ ડાયરા વચ્ચે લહલહ થાતો
આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું ?
– રમેશ પારેખ
ગયા અઠવાડિયે એક સિનિયર કવિ સાથે વાતો થતી હતી ત્યારે મેં બળાપો કાઢ્યો કે સામાન્ય વાચક હવે કાવ્યમાં રસ નથી લેતો. તેમણે વેધક વાત કરી – ” પ્રજા કાવ્યથી દૂર નથી થઈ, કવિ પ્રજાથી દૂર થઈ ગયો છે !! ”
તેઓની વાત સાચી લાગે એવા ઘણા અનુભવો સૌને થયા હશે. આ કાવ્ય તદ્દન સરળ કાવ્ય છે પણ એમાં એક હ્ર્દયસ્પર્શી તત્વ છે, જે અદના આદમીને કાવ્યની સમીપ લાવી દે છે…..
ઠાગા ઠૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.
– રાવજી પટેલ
રાવજીને કવિતા સામે બે તકલીફો હતી. એક, એ પૂર્વજોએ બાંધેલા એના ભવ્ય મહાલયોમાંથી બહાર આવતી નથી અને બે, અર્થ જાણે એનું અવિભાજ્ય અંગ ન હોય એમ આખી દુનિયા કવિતામાંથી અર્થ શોધતી રહે છે. એક તરફ રાવજી કવિતાના પરંપરાગત ઢાંચા -ઘાટ અને શૈલી- સામે વિદ્રોહ પોકારી મૌલિકતા ઉપર ભાર મૂકે છે તો બીજી તરફ કવિતામાંથી અર્થ શોધવાની વૃત્તિનો ત્યાગ કરીને અનુભૂતિ તરફ ધ્યાન આપવા એ કહે છે. કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા.
કવિતાનો વિશદ આસ્વાદ આપ અહીં માણી શકશો: http://tahuko.com/?p=18838
પાછળથી રોવડાવ્યું, આમ, તે એને આઘેથીયે સંભળાયું છે.
હવે ફાળભરી એ એકલી
ધ્રોડશે સાત-સાત નદીઓનું રૂપ લઈને ફાળ ભરતી
જવાન માવડી
ત્યારે
કિતાબઘરો, પોથીઓના ભંડાર, બુકનુક્સ બધાંય
પલળીને લોચો થઈ જવાના, આપણાં, જોજો…
૫.
જનાવર જેવાં છે જીવતાં ને જીવલેણ
આ પાણી, સાંભળો, આવતાં જ જાય છે, આ અંધારામાં.
સરકસના તંબૂમાં સળગતી રિંગ વચ્ચેથી કુદાવેલાં આમને, યાદ છે ?
રેસકોર્સમાં પિસ્તોલના ધડાકે આમને ગોળ ગોળ દોડાવેલાં, યાદ છે ?
ડબ્બે પૂર્યાં’તાં, ઊંચી ડોકે રોતાં’તાં તોયે ખસ્સી પછી જ છોડ્યાં’તાં, યાદ છે ?
ક્વેક-ક્વેક કરતાં’તાં તોયે કોથળે પૂરી કરોડોને દાટ્યાંતાં, યાદ છે ?
જાળમાં ઝાલ્યાં’તાં, ભાલે પરોવ્યાં’તાં, પાંખ વીંધી પાડ્યાં’તાં,
યાદ છે, યાદ છે, યાદ છે ?
તે આકાશ ભરીને આવ્યાં આ જળ-જાનવરોના જંગી ટોળાં,
અંધારામાં સળગતી આંખોવાળાં,
દઝાડતાં ને ભીંજવતાં, એકસાથ.
ઢોળાવ ઢોળાવે ઢળે છે
ચઢાણે ચઢાણે ચઢી બેસે છે.
જેને યાદ આવશે તે ભૂલી શકશે,
જે જીવલેણ છે તે જિવાડશે નવેસરથી
આ ઝળહળતા અંધારામાં.
૬.
તારી સંગત વિના
પ્રલયની આ રાતે પરોઢ સુધી ચાલી પહોંચવું નામુમકીન છે.
બોલ તારો શું વિચાર છે ?
તારો ને મારો સરવાળો,
જે તારી-મારી ખોબો’ક માટી પર મંડાય છે, તે,
આ વીફરેલા અંધારાની કાળી પાટી પર વીજળીની ખડીથી પૂરવેગે
લખાયેલી
બાદબાકીઓ કરતાં
એકાદ આંકડા જેટલો મોટો હશે ?
નાના દીકરાને ઝાડની બે ડાળીઓ પર સાડલાની ઝોળી બનાવીને દૂર કરાડો પાછળ મજૂરીએ જવા નીકળતા પહેલાં મજૂરણ આંગળી પર અફીણ લગાડી એને ચટાડે છે, જેથી કરીને એ મજૂરીએથી આવે ત્યાં સુધી દીકરો ઊંઘતો રહે. ક્યાંક એ અધવચ્ચે જાગી જાય, રડવા માંડે ને દૂર મજૂરી કરતી માના કાને પડે તો એ કેવી ધસમસતી નદીની જેમ દોડી આવે! આ વાસ્તવચિત્રને કવિએ મેઘલી કાળી રાતે ગાંડા થતા વરસાદ સાથે કેવું મજાની રીતે સાંકળી લીધું છે! બે દિશાઓની ડાળી પર ગાંઠ બાંધીને જાણે અંધારી રાતે વરસાદી વાદળ ભરેલાં આકાશને અફીણ ચટાડીને સૂવડાવ્યું હતું, પણ ગટિયું બાળક અચાનક રડી ઊઠ્યું ને વરસાદ-વીજળી ત્રાટકી રહે છે… આવી આ ક્ષણના સૌંદર્ય આગળ દુનિયાભરનું જ્ઞાન પાણી ભરે છે…
કવિનો કેમેરા વરસાદી રાતના અંધારાને અલગ-અલગ મજાના એંગલથી ઝડપે છે. પાંચમા ચિત્રમાં આપણા હાથે શોષિત થતાં હજારો-લાખો મૂંગાં પ્રાણીઓને યાદ કરીને કવિ સાંબેલાધારે વીજકડાકા સાથે આવતા વરસાદને જળ-જાનવરોના જંગી ટોળાંની ઉપમા આપે છે એ કેવી વેધક લાગે છે!
છઠ્ઠા દૃશ્યમાં પ્રણયથી શરૂ થઈ પ્રકૃતિ તરફ વળેલી વાત ફરી પ્રણય તરફ વળે છે અને એક વર્તુળ સંપૂર્ણ થાય છે. પ્રલયની રાત હોવાનું અનુભવાય એટલી કાળી વરસાદી રાતે એકલા સવાર સુધી ટકી રહેવાનું કવિને અસંભવ લાગે છે. પણ કવિ માત્ર પોતાનો વિચાર જાહેર કરે છે, એને પ્રિયજન પર ઠોકી બેસાડતા નથી. એનો વિચાર અલગ હોઈ શકે એની આઝાદી એને હોય જ એવો રણકો બોલ, તારો શું વિચાર છેના પ્રશ્નમાંથી સ્પષ્ટ ઊઠે છે. અંધારાની કાળી પાટી પર વીજળીની ધોળી માટીથી બે જણના સંબંધનો જે સરવાળો થાય છે એને પ્રકૃતિના સાદૃશ્યે મૂકતાં કશું ધનમૂલક બચતું હશે કે કેમ એ સવાલ છે. પ્રિયજન એક જ વાર હા કહે તો કવિ આ સમીકરણમાં જાતને મૂકીને સવાર સુધી પહોંચવાની કોશિશ કરવા તૈયાર છે…
અંતે પાછલી ખટઘડીના અંધારામાં જાગનાર એક કવિની સ્મૃતિની વાત કરીને કવિ આદિ કવિ નરસિંહ મહેતાને સ્મરણાંજલિ આપી ગુજરાતી કવિના બે અંતિમોને પણ એક કરે છે.
૧.
જળ અને વીજળીઓથી ભરેલા મેઘ
લીલોતરીથી મઢેલી માટીની ટેકરીઓ વચ્ચેથી પસાર થાય છે
વરસતા-ત્રાટકતા
ત્યારે
લથબથ ટેકરીઓ સળગી ઊઠે છે
ને સળગતી ટેકરીઓ લથબથ ભીંજાઈ રહે છે.
તારી સંગતમાં
મને બરાબર ખબર નથી પડતી
કે હું જીવતો થઈ ઊઠું છું રોમેરોમ
કે આખરનું રજમાત્ર બચ્ચા વિનાનું મરી લઉં છું.
૨.
વરસાદના આ કપટી દિવસોમાં
વારંવાર ઝળહળી ઊઠતા ને વારંવાર ઓલવાઈ જતા
દગાબાજ જિગરી દોસ્ત જેવા આ અજવાળામાં
તર્કનું, ન્યાયનું, નીતિનું તમે કહો તે પુસ્તક
ઉકેલી આપું તંતોતંત.
આ ચાતુર્માસ પૂરા થાય ત્યાં સુધી
મને કાવ્યપોથી ઉઘાડવાનું ન કહેતા કોઈ
શરદ પૂનમ સુધી
૩.
અથવા તો, રહો,
. છેક આભને છાપરેથી કડાકાભેર ત્રાટકે છે ત્રાંબાના રંગે
ત્રબકતી આ લાંબી વીજળી
એ જાદુઈ જ્ઞાનની પળે કઈ કિતાબ ઉકેલી આપું
– વેદ, કુરાન, પવિત્ર કરાર. ગણરાજ્ય નું સંવિધાન
કે પછી મારી પોતાની આ કાવ્યપોથી ?
બોલો.
– સિતાંશુ યશશ્ચંદ્ર
‘આ અંધારામાં છ કલાક’ શીર્ષક હેઠળ કવિ છ નાનાં-નાનાં કાવ્યોનો ગુચ્છ લઈને આવ્યા છે. એમાંથી ત્રણ-ત્રણ કાવ્યો બે દિવસમાં માણીએ. વરસાદની આ રાતના અંધારામાં પ્રણય અને પુસ્તક કેન્દ્રસ્થાને છે. ગાભેણો મેઘ વીજળી સાથે મળીને ભીની ટેકરીઓને સળગાવતો અને સળગતી ટેકરીઓને ભીંજવતો પસાર થઈ રહ્યો છે, એ જોઈ કથકને પ્રિયપાત્રનો સ્નેહ યાદ આવે છે. એ પણ આવો જ ભર્યોભાદર્યો અને ફળદ્રુપ છે. એની સંગતમાં પોતે રોમેરોમ જીવી ઊઠે છે કે બધું જ ફના કરી દઈ નિર્વાણ પામે છે એ નક્કી કરવું દોહ્યલું થઈ પડ્યું છે. પ્રેમના પ્રભાવનું આવું અદભુત કાવ્ય વારંવાર ક્યાં વાંચવા મળશે?
વરસાદના આ દિવસોમાં આવજાવ કરતા અંધારા-અજવાળામાં કવિ કવિતા સિવાય બીજા કોઈપણ પુસ્તકો તંતોતંત ઉકેલી આપવા તૈયાર છે, કેમકે એમને ઉકેલવા એ ડાબા હાથની વાત છે પણ કવિતા? શરદપૂનમ સુધી ચાલનાર આ ચાતુર્માસ પોતે જ એક કવિતા છે… કવિતાનો પ્રકાશ પામવો હોય તો ક્ષણજીવી અજવાળું શા ખપનું?
પણ રહો, અંધારાના આ ત્રીજા કલાકમાં ફરી પોતાની વાત ફેરવી તોળે છે. તામ્રવર્ણો વીજ-ઝબકારો અભથી ઊતરીને ધરતી સુધી આવે એટલી નાની અમથી પળમાં એના અજવાળાંથી એ કવિને એનું પોતાનું ઘર જાણે કે બતાવી આપે છે. આ ઘર એટલે ઈંટ- સિમેન્ટનું બનેલું ઘર કે કાયાનું મકાન? કવિને વીજળીના ચમકારે મોતી પરોવી શકાવાની આ ક્ષણે આત્મજ્ઞાન સાંપડે છે કદાચ. એટલે જ એ આ પળને જાદુઈ જ્ઞાનની પળ ગણાવતાં કહે છે કે આપણે બોલીએ એ પુસ્તક આ પળમાં ઉકેલી આપવા એ સર્વસમર્થ છે. અંધારી રાતમાં આંખોને આંધળી કરી દેતી વીજળીના ક્ષણાર્ધ ઝબકારામાં આંતર્ચક્ષુ ઊઘડી જવાની આ પળે કવિતા કોઈપણ ધર્મગ્રંથ કે દેશના સંવિધાનની સમકક્ષ પ્રતીત થાય છે.
July 1, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી
માફ કરજે દોસ્ત,
તું પાસે છે છતાંય હું મારામાં સંકોચાઈ જાઉં છું.
આ ઢળતી સાંજની ગમગીનીના પડછાયાનાં વૃક્ષો
મારા રસ્તા પર ઝૂક્યાં છે.
આ વૃક્ષની નીચે
તું મંદિર થઈને મ્હોરી શકે એમ છે,-
છતાંય મારે નીકળી પડવું છે ક્યાંક એકલા
-સાવ એકલવાયા.
હોટલના ખૂણાના સૂનકારમાં
ખાલી ગ્લાસની સાથે
આજની સાંજનો સંબંધ બાંધીશ.
માફ કરજે દોસ્ત,
I’d rather be alone….
વેદનાને જ્યારે શબ્દો જડતા નથી
ત્યારે હું એને પી જાઉં છું.
મારા નશામાં
કેટલીયે મ્હેફિલો ભાંગી પડી છે-
એ હકીકત તું જ જાણે છે;
એટલે જ
બીજા પાસે બોલબોલ કરતો
તારી પાસે ખૂબ ઉદાસ થઈને બેઠો છું.
મારા એકાન્તની ઈજ્જત કરનાર, દોસ્ત !
એક તને જ કહી શકું છું:
I’d rather be alone….
સમય અને માણસ –આમ તો બંને આગળ વધ્યે રાખે છે, પણ બંનેમાં નોંધપાત્ર ફરક એ છે કે સમય કદી પાછો વળી શકતો નથી. ગામનું જૂનું ઘર ત્યાગી દઈ નાયકનો પરિવાર કદાચ શહેર સ્થળાંતરિત થઈ ચૂક્યો છે અને કોઈક કારણોસર આજે એ ગામ પરત ફરી જૂના ઘરની ઊડતી મુલાકાત લે છે એનું આ ગીત છે. થોડા દિવસો પહેલાં આ ઘરનું આંગણું પક્ષીઓના ચહચહાટથી ગૂંજતું હતું. કવિ કહેતાં નથી કે ત્યાં આજે સૂનકાર છે પણ એ સન્નાટો આપણને પહેલી પંક્તિથી જ સંભળાવા માંડે છે. જે વૃક્ષના છાંયડામાં અને ધૂળમાં મસ્તીમાં આળોટતાં બાળકોને સાફ કરી આપતો પવન, તડકાનાં ચાંદરણાં, અને ઠીબ-માળો-પંખીઓ ભેળાં મળી મજાનાં દૃશ્યચિત્રો આળેખતાં હતાં, એ જગ્યાએ હવે ખાલીખમતા ઘૂમી રહી છે. ખાલીખમતા કવિએ કૉઇન કરેલો શબ્દ છે. ચાંદનીનો પાલવ ચુડેલ જેવો ભાસે છે અને દાદાજીના હુક્કાના ધુમાડામાંથી વાર્તાના સ્થાને પ્રેત ઊઠી રહ્યાં છે. સમય આગળ વધી ગયો છે, માણસ પણ કદાચ આગળ વધી ગયો છે પણ આગળ વધતી વખતે રસ્તો પગમાં અટવાતો હોય એમ ચાલવામાં તકલીફ વર્તાય છે. બાલમુકુન્દ દવેનું ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ –ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા- તરત યાદ આવી જાય છે.