છાંયે સૂકવી ટપલે ટીપી રાખ મહીં રગદોળી,
હશે હજી સંસ્કારો ઓછા, કાય રંગમાં રોળી,
છતાંય કાચી હતી તે પાકી થવા નિંભાડે ચડી.
. ઘડૂલી કયારે શિર પર ચડી?
પછી ટકોરે તપાસી જોઈને લઈ ગઈ કોઈ પનિહારી,
ગળે દોરડું બાંધી એને ઊડેં કૂવે ઉતારી,
બડબડ કરતી બૂડી કૂપમાં જાણ્યું મુક્તિ જડી.
. ઘડૂલી કયારે શિર પર ચડી?
દીધો આંચકો, એક પલકમાં પાછી ઉપર તાણી,
અગર છાકમાં હતી છલકતી તો અધૂરી કહેવાણી,
પૂર્ણ હતી તો ચડી શિશ પર મુસીબતોથી લડી.
. ઘડૂલી કયારે શિર પર ચડી?
– પ્રભુલાલ દ્વિવેદી
માટીમાંથી બનેલો ઘડો માથા પર ચડવાની લાયકાત મેળવે એ પહેલાં એણે કઈ કઈ કસોટીઓમાંથી પસાર થવાનું રહે છે એ વાત તત્કાલીન કાવ્યબાનીમાં કરીને કવિ આપણને પણ કેટલી વીસે સો થાય નું જીવનગણિત શીખવાડે છે..
તારી કાયા મારી કેદ છે, કૃષ્ણ,
તારાથી આગળ હું જોઈ શકતી નથી.
તારી કાળાશ મને આંધળી બનાવી દે છે,
તારા પ્રેમવચન શાણી દુનિયાના કોલાહલને ઢાંકી દે છે.
– કમલા દાસ
માણસ પ્રેમમાં હોય ત્યારે અત્ર, તત્ર, સર્વત્ર પ્રેમ અને પ્રેમી જ દેખાય. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી પણ નથી. પ્રેમમાં માણસ પ્રેમીની આંખ અને પાંખ પહેરી લે છે એટલે પ્રેમી જે જુએ એ જ જોઈ શકાય છે, અને પ્રેમી ચાહે એટલું જ ઊડી શકાય છે. કમલા દાસની આ ટૂંકી ટચરક કવિતા આમ તો કૃષ્ણપ્રેમની છે, પણ એ માત્ર કૃષ્ણ પૂરતી સીમિત નથી… વાત વયષ્ટિની છે, પણ સમષ્ટિને સમાવી લે છે… જો કે કૃષ્ણ તો આમેય સૃષ્ટિપુરુષ, યુગપુરુષ છે…
Krishna
Your body is my prison, Krishna,
I cannot see beyond it.
Your darkness blinds me,
Your love words shut out the wise world’s din.
September 15, 2020 at 3:25 AM by તીર્થેશ · Filed under અલ્લામા ઇકબાલ, ગઝલ
सख़्तियाँ करता हूँ दिल पर ग़ैर से ग़ाफ़िल हूँ मैं
हाए क्या अच्छी कही ज़ालिम हूँ मैं जाहिल हूँ मैं
મારા દિલ પર હું જ કેર વર્તાવું છું, ગૈરથી હું અજાણ્યો છું. વાહ ભાઈ ! શું વાત કરી તમે !- હું જાલિમ છું…હું જાહિલ છું !! [ અર્થાત, મારા દિલ પર અત્યાચાર અન્ય કોઈ નથી કરતુ, હું પોતે જ કરું છું, અને તેથી જમાનો મને જાલિમ અને જાહિલ કહે છે ! જો કોઈ અન્ય ગુનેગાર હોતે તો બધું બરાબર હતું ! ]
मैं जभी तक था कि तेरी जल्वा-पैराई न थी
जो नुमूद-ए-हक़ से मिट जाता है वो बातिल हूँ मैं
“હું” જ્યાં સુધી હતો ત્યાં સુધી તારો સાક્ષાત્કાર શક્ય નહોતો. “હું” એ સત્યનો પ્રકાશ ફેલાતાંની સાથે જ મટી જાય એવો અજ્ઞાનરૂપી અંધકાર છે-અન્ય કશું જ નથી. આ મારો પ્રિય શેર છે. ઇસ્લામિક દર્શનની સીમા લાંઘીને શાયર બહાર આવે છે.
इल्म के दरिया से निकले ग़ोता-ज़न गौहर-ब-दस्त
वाए महरूमी ख़ज़फ़ चैन लब साहिल हूँ मैं
है मिरी ज़िल्लत ही कुछ मेरी शराफ़त की दलील
जिस की ग़फ़लत को मलक रोते हैं वो ग़ाफ़िल हूँ मैं
અહીં વક્રોક્તિ છે – મારી બેઆબરૂઈ એ જ મારી શરાફતની સાબિતી છે, જેની ગફલતો પર આખો મુલ્ક છાજિયાં લે છે હું એવો ગાફિલ છું. અર્થાત – હું જો ચબરાક-ચતુર હોતે તો હું બેઆબરૂ હોતે જ નહિ !! મારામાં ગુનો કરવાની પણ સુધ-બુધ નથી.
बज़्म-ए-हस्ती अपनी आराइश पे तू नाज़ाँ न हो
तू तो इक तस्वीर है महफ़िल की और महफ़िल हूँ मैं
અસ્તિત્વની મહેફિલ ! તારી ચમક-દમક પર તું ઘમંડ નહી કર, તું તો મહેફિલની એક તસ્વીર માત્ર છે – અને હું મહેફિલ સ્વયં છું !! [ આ ઇકબાલનો અસલ મિજાજ છે – ફરી અહીં ઇસ્લામિક દર્શન ઉપરાંતની વાત છે – ” હું છું, તો જ બધું છે ” – અહં બ્રહ્માસ્મિનો નાદ છે ]
ढूँढता फिरता हूँ मैं ‘इक़बाल’ अपने-आप को
आप ही गोया मुसाफ़िर आप ही मंज़िल हूँ मैं
હું ‘ઇકબાલ’ મારી જાતને શોધતો ફરું છું, જાણે કે હું જ મુસાફર છું અને હું જ મઁઝીલ છું [ અદ્વૈતવાદની ઝલક !! ]
– અલ્લામા ઇકબાલ
અંગતરીતે જો મારે ઉર્દુના ત્રણ મહાકવિ ગણાવવાના હોય તો ગાલિબ પછીનું નામ અલ્લામાનું આવે. ઇકબાલની રાજકીય વિચારધારાને લીધે સ્વતંત્ર ભારતમાં તેઓનું નામ રંજીશ સાથે લેવાય છે, પણ ન્યુટ્રલી જોઈએ તો ભાષાના તેઓ જેવા બળકટ કલાકાર બહુ ઓછા થયા છે. તેઓનું ફિલોસોફીનું જ્ઞાન ખરેખર તલસ્પર્શી હતું અને તેઓ જીવ્યા ત્યાં સુધી માનવજાતના ઉત્થાન માટે સતત વિચારતા રહ્યા. પ્રસ્તુત આખી ગઝલ અત્યંત મજબૂત છે…..
ચંપાની ડાળ જેવું અહીંયાં નિત લીલુંછમ
ઝૂલવા છતાં ન કૂલ ઊગ્યું
ઝંખ્યાનો કેવડો તો કૉળ્યો ના કોઈ દિ’
ના એકેય વ્રત મારું પૂગ્યું
સુસવાતા દિવસોએ કાગળના જેવી આ
જાતને ક્યાં આજ મૂકી આણી
જળથી ભીનાશ બધી અળગી થઈ જાય
અહીં ચૈતરના તાપ પડ્યા એવા
અહલ્યાની જેમ મારી ઇચ્છા તો પથ્થર
આ જીવતરના શાપ કોને કે’વા
એકલી કદંબ હેઠ બેઠેલી સૂનંમૂન
ધેનુની આંખનું હું પાણી
– મનોજ ખંડેરિયા
ધીરગંભીર ગીત…..જળથી ભીનાશ અળગી થઈ જાય !!! – વાહ !!
વાઇરસ જ્યારે આવશે,
ટેલિવિઝનના પડદા પરના બોલકણાં માથાંઓ
તમને કહેશે કે જહાજનો ત્યાગી દો.
એકલતાના દરિયામાં તમારી જાતને ડૂબાડી દો.
ઘરોને લાઇઝોલ વાઇપ્સ અને હેન્ડ સેનિટાઇઝર્સમાં ગરકાવ કરી દો.
શરીરને ફેસ માસ્ક અને હાથમોજાંથી એ રીતે ઢાંકી લો
જ્યાં સુધી એ તમારી બીજી પ્રકૃતિ ન બની જાય.
એ લોકો તમને કહેશે કે તમારા રસોડાને પેનિક રૂમમાં તબદીલ કરો,
ભોંયરાને અણુવિસ્ફોટ સમયના આશ્રયસ્થાનમાં.
સૂચના આપશે કે તમે જે કંઈ પણ એકઠું કરી શકો છો,
હાથવગું કરી લો.
તેઓ કહેશે કે દુકાનો ખાલી થઈ ગઈ છે,
અને ખ્યાલ સુદ્ધાં નથી કે તેઓ તમારા વિશે પણ વાત કરી રહ્યા છે.
તેઓ ક્વૉરન્ટીનના ધર્મસૂત્રોમાંથી ઉપદેશ આપશે.
નીતિકથાઓના બરાડા નાંખશે:
“તમારે તમારા હાથ ધોવા જોઈએ.”
“ભગવાન દુનિયાને એટલો બધો પ્રેમ કરતા હતા
કે જે લોકોને એ બચાવવા ઇચ્છતા હતા
એમનાથી જ એણે સૉશ્યલ ડિસ્ટન્સ રાખ્યું.”
આ વાત તમને અચંબિત કરી દેશે કે કઈ રીતે કોઈ નાયક
કે કોઈ સરકાર
કોઈ એવી વ્યક્તિને બચાવી શકે છે, જેને તેઓ સ્પર્શી પણ નથી શકતાં.
જ્યારે વાઇરસ આવશે,
તમે તમારા પ્રિયજનને એવી રીતે ચૂમશો જાણે કે એ છેલ્લી વાર ન હોય,
કારણ કે કદાચ એમ જ હશે.
તમે ટાઇમલાઇન પર એવી રીતે નાચશો
જાણે પગનાં પંજા તળે દાયકાઓ ચોંટી ન ગયા હોય.
ગાવ જાણે ગાયકો ગળામાં ન ફસાઈ ગયા હોય.
હસો એમ જાણે આનંદ કેવો હોય એ તમે આખરી વાર ન અનુભવતા હોવ,
કારણ કે કદાચ એમ જ હશે.
અને આજ પૂરતું આટલું બસ.
– એન્જેલો ગેટર
(અનુ.: વિવેક મનહર ટેલર)
*
કોરોના મહામારીએ આખી દુનિયાને છેલ્લા આઠેક મહિનાથી નાગચૂડમાં એવું જકડી છે કે સૌની જિંદગીમાં સ્વપ્નેય વિચાર્યા નહીં હોય એવા આમૂલ ફેરફાર આવી ગયા. પ્રસ્તુત રચના ખાસ્સી મુખર હોવા છતાંય એમાં કંઈક એવું તત્ત્વ છે, જે આપણી છે…ક ભીતર સ્પર્શ્યા વિના રહેતું નથી. પોતાની જાતને બચાવવા માટેની ગાઇડલાઇન્સને અનુસરતાં અનુસરતાં આપણે સહુ અંદરથી કદાચ સાવ જ ખાલીખમ થઈ ગયાં છીએ. આવતીકાલે આપણે ‘હોઈશું કે કેમ’ની સરાબોળ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. કાવ્યમાંથી ઊઠતો આજમાં જીવી લેવા -Carpe Diem- નો સંદેશ ચૂકવા જેવો નથી.
*
When the Virus Comes
When the virus comes,
Talking heads on television screens
will tell you to abandon ship.
To drown yourself in a sea of isolation.
Submerge homes in lysol wipes and hand sanitizer.
Engulf body in face mask and plastic glove
until it becomes second nature.
They will tell you to turn your kitchen into a panic room,
basement into fallout shelter.
Instruct you to grab everything you can,
while you still can.
They will say
the shelves at the stores are empty,
and not realize they are also talking about you.
They will preach from the gospel of quarantine.
Shout parables of
“Thou Shalt wash thine hands.”
“For God so loved the world
he socially distanced himself
from the very people he wanted to save.”
It will make you wonder how a hero
or a government
Can rescue someone they can’t even touch.
When the virus comes,
you will kiss your lover like it’s the last time,
because maybe it is.
You will dance on timelines
like decades are stuck on the balls of your feet.
Sing like a quartet is trapped in your throat.
Laugh like this is the last time you know what joy feels like,
because maybe it is.
હું ગઝલ લખતી રહું બે વાત પર,
એક તારા પર, બીજી વરસાદ પર.
હું અરીસો થઈ જરા ઊભી રહી,
પથ્થરો આવી ગયા છે જાત પર.
હું પ્રથમ આખું નગર ભેગું કરું,
ને પછી ચર્ચા કરું એકાદ પર.
મેં કહ્યું કે, માપમાં રહેજે જરા,
યાદ ત્યાં આવી ચડી વિખવાદ પર.
તું બધી ફરિયાદ લઈને આવજે,
પણ શરત છે, આવજે વરસાદ પર.
– રિન્કુ રાઠોડ ‘શર્વરી’
વરસાદ પર કંઈ કેટલાંય કાવ્યો લખાયાં હશે, લખાતાં રહેશે. આ ગઝલમાં મત્લા અને આખરી શેર- એમ બે શેર વરસાદ પર છે પણ કેવા મજાના! ગઝલ લખવાનું કારણ ક્યારેક ‘આંખના ખૂણે હજીય ભેજ છે’ હોય તો ક્યારેક ‘સ્વયંથી એક પ્રકારે અલગ થવાનું છે’ હોય છે; ક્યારેક એ ‘કોઈ લખાવે છે ને લખ્યે જાઉં છું ‘ફના’’, તો વળી ક્યારેક ‘સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે’ એમ પણ હોય. કવચિત્ ‘મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું’નો જાસો મળે ત્યારે ગઝલ લખાય છે. કવયિત્રી પણ બે વાત પર ગઝલરત રહેવાનું કબૂલે છે, એક પ્રિયજન પર ને બીજી વરસાદ પર. વરસાદની સર્વવ્યાપક અખિલાઈને પ્રિયજન સાથે સાંકળી લઈ કવયિત્રી બંનેનું સમાન ગૌરવ કરે છે. છેલ્લો શેર પણ એવો જ મજાનો છે. ફરિયાદ લઈને આવવાની મનાઈ નથી. એક-બે નહીં, બધી જ ફરિયાદ લઈને આવવાની સામા પાત્રને છૂટ છે પણ શરત માત્ર એટલી જ છે કે વરસાદ પડતો હોય ત્યારે જ આવવું, જેથી આંસુ આંખથી દડે તો ફરિયાદ કરનારને ખબર ન પડે. પોતીકી દર્દ છૂપાવીને સામાને સંપૂર્ણ અભિવ્યકત થવાની આઝાદી આપતો આ શેર પણ ચિરસ્મરણીય થવા સર્જાયો છે.
તમારી તરફ હું સતત જોઉં છું
કે મારા હૃદયની વિગત જોઉં છું
તને એમ છે કે તને જોઉં છું
હકીકતમાં હું તો મને જોઉં છું
– મનહરલાલ ચોક્સી
ગઝલના ચોકઠામાં ન મૂકી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું? ગઝલનો છંદ છે, રદીફ છે, કાફિયા છે પણ દરેક શેરમાં અલગ. મતલબ છ અલગ-અલગ મત્લા. શું કહીશું? ગઝલ? નઝમ? ગઝલનુમા નઝમ? ઊર્મિકાવ્ય? ખેર, કવિના સુપુત્ર મુકુલ ચોક્સીની બહુખ્યાત સજનવાના મૂળિયાં કદાચ અહીં નજરે ચડે છે.
વાત તો એક જ છે. પ્રેમી પ્રેમિકાને જોઈ રહ્યો છે. પણ આ તારામૈત્રકના જે છ અલગ-અલગ અંદાજ કવિએ રજૂ કર્યા છે, એ કાબિલે-તારીફ છે.
September 9, 2020 at 3:11 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
ઝાંઝવા તે આંખને રમવા અપાય કંઈ,
આવી તે હોય કંઈ મજાક ?
લીલેરા વન જાય ઓચિંતા સળગી ને
રણની ફેલાઈ જાય ધાક.
ઝાળઝાળ ફૂંકાતી લૂની તેજાબીથી
ફેફસામાં ભરવી બળતરા !
કાન લગી આવીને સૂરજ જ્યાં વાત કરે
એવા તે હોય કંઈ અખતરા ?
ખોબો એક છાંયડાને તરસો તમે ને
તો ય ચપટી મળે ના જરાક… લીલેરા…
હોઠ પર ફરકે ના ક્યાંયથી પરબ
એવા પહેરાઓ લાગે તરસના,
આયખામાં રણ એમ ઓગળતું જાય
ને રેતી વહે નસેનસમાં.
મોસમની ઓળખાણ કેવી
વૈશાખના વરસે જ્યાં ધોધમાર તાપ… લીલેરા…
– મુકેશ જોષી
વાત મૌસમના તાપની છે કે જીવનના તાપની ? વેરાની રણની છે કે અંતરમનની ? તૃષ્ણા જળની કે લાગણીની ??
September 8, 2020 at 4:18 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, શેર
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…
– કૈલાશ પંડિત
જાણે કેમ કેટલા વખતથી આ શેર મનમાં ગૂંજ્યા જ કરે છે….આ શેર સાથે બહુ જૂનો નાતો છે, ઘણીવાર આ શેરની ઝાટકણી કાઢતા અભિપ્રાય પણ વાંચ્યા છે, પણ આ શેરના તાર્કિક ગુણ-દોષ તેમજ તેમાં રહેલી મૂળ વાતની ફિલોસોફિકલ યથાર્થતાને બાજુ એ મૂકીને માત્ર શેરને જ માણીએ….મને હંમેશા આ શેર યાદ આવે તે સાથે દેવદાસ યાદ આવે – હૂબહૂ દેવદાસની મનોવૃત્તિ આલેખતો શેર છે આ ! પણ એવું બનતું નથી, લાગણી તો ખૂબ હતી પારોના હ્ર્દયે પણ તે પાછી ન આવી….ન જ આવે ! માત્ર લાગણીથી સંબંધ ક્યાં ટકે !!?? લાગણી સાથે સન્માન જોઈએ,કમિટમેન્ટ જોઈએ,લાગણીની કદર જોઈએ….સંબંધ બહુ જ નાજૂક તંતુ છે, અને અત્યંત મજબૂત તંતુ પણ છે…..ઈશ્વર બધા ગુના માફ કરતો હશે પણ કોઈ પ્રેમાળ દિલને ઠેસ પહોંચાડવાનો ગુનો કદી માફ નહીં કરતો હોય…..
૩
કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.
૪
ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.
૫
કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?
૬
રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.
– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.
પશ્ચિમના આકાશ મહીં એકવાર સૂરજ જ્યાં બૂડે,
ઓસબુંદ શણગારે સંધ્યાના સ્તનને મોતીડે;
લગભગ લગભગ ચંદ્રકિરણના અજવાળાં-શી પાંખી
કે એના સંગાથી તારલિયાની માફક ઝાંખી,
રાતની રાણી હળવે હળવે એનાં પુષ્પો નમણાં,
નૂતન રૂપે ખીલવીને ઝાકળને ધરે છે બમણાં;
ને સાધુ પેઠે કરતી અજવાળાંથી આંખમિચામણ,
નવયૌવનની નિજના કરતી રાત ઉપર એ લ્હાણ;
રાત, જે પાછી એના પ્રેમલ આલિંગનથી અંધ,
નથી જાણતી રૂપ જે છે એની મુઠ્ઠીમાં બંધ;
આમ રહે એ ખીલી જ્યાં લગ રાત રહે રૂપાળી;
પણ જે પળ દિવસ આવીને જુએ આંખ ઊઘાડી,
છટક્યે ના છટકાય એવા ત્રાટકની શરમથી મારી,
મૂર્ચ્છા પામી, ને કરમાતી, થાય ખતમ બિચારી.
-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)
ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક એ રગોમાં દોડતા રક્તની જેમ ચુપચાપ અસ્તિત્વમાં ઓગળી જાય છે. ક્યારેક, કવિતા એક-એક પાંદડી-કાંટાનો હિસાબ માંગે છે, તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણ, રંગ-છટા, અને કાંટા – તમામને સદંતર અવગણીને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર કવિતા હોય તો માત્ર સુગંધનો અહેસાસ પણ કવિતા જ છે.
When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.
September 3, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
ગરબડ ‘ને ગોટાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
માણસ ધોળા-કાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ગલી ગલીનું બચ્ચેબચ્ચું પોપટ પોપટ કહી પજવે છે
કોઇ બિચારો માળામાંથી બ્હાર નીકળવું ભૂલી ગયો છે
ઘરથી મંદિર, મંદિરથી ઘર; સર્કિટ જેવું જીવ્યા કરે છે
એ માણસ કુંડાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
રાતું – પીળું ગાતા એક ફકીરનું નિદાન થયું કે –
ગુલમ્હોર – ગરમાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
જોશી-જાદૂગરના ચરણે પરખ-પાસવર્ડ શોધે છે, એ-
ભીતર ભીડ્યા તાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
નથી જવાતું ઉપર કે ના પાછો નીચે ફરી શકે છે
વિકટ કોઇ વચગાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથના સામે પલ્લે ગઝલ મૂકી, તું
સમજણ નામે શાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
ખબરદાર, આ ચેતવણી છે : સ્હેજે ના અનુસરશો એને
સંજુ, સંજુ વાળામાંથી બહાર નીકળવું ભૂલી ગયો છે
– સંજુ વાળા
આમ તો ગઝલ માત્ર ગાવા માટે જ હોય છે, પણ અહીં બોલચાલની ભાષામાં અષ્ટકલના ચાર અવર્તનોની પસંદગીના કારણે ગઝલમાં મજાની મૌસિકી ઉમેરાઈ ગઈ છે. છંદની પ્રવાહિતા ઉપરાંત આ માટે જવાબદાર વધુ એક ગુનેગાર લગભગ બધા જ શેરમાં જોવા મળતી વર્ણસગાઈ (alliteration) છે. જુઓ, ગરબડ-ગોટાળા, ગલી ગલી, બચ્ચે-બચ્ચુ, પોપટ-પોપટ, ઘર-મંદિર-મંદિર-ઘર, ગુલમ્હોર-ગરમાળા, જોશી-જાદુગર, પરખ-પાસવાર્ડ, ભીતર-ભીડ્યા, વિકટ-વચગાળા વગેરે… આ સિવાય શબ્દયુગ્મકો પણ આ માટે નિમિત્ત બન્યા છે: ધોળા-કાળા, ગલીગલી, બચ્ચેબચ્ચુ, પોપટપોપટ, રાતુંપીળું, પદ-પ્રતિષ્ઠા, જ્ઞાન-ગરથ, સંજુ-સંજુ વગેરે…
લગભગ બધા જ શેર ધ્યાનાર્હ અને મનનીય થયા છે… કોઈ એક શેર પર આંગળી મૂકવી શક્ય બનતું નથી… બધા જ શેર ગહન-ગંભીરા છે…
September 2, 2020 at 4:24 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
પ્રેમમાં તો એવું યે થાય છે
સાવ અણધાર્યું કોઈ ગમી જાય છે.
પ્રેમમાં ના પડવાનું, ઉપડવાનું છે રે સખી
ઉડવાનું સંગાથે થાય છે.
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આકાશે આષાઢી વાદળનો વૈભવ
ને છાતીમાં અણજાણ્યો ડૂમો
ઝરમરની આંખોમાં જામે તૈયારી
તમે પાલવને એકલાં ન ચૂમો
ત્યારે અંદરથી મેઘ કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
આસપાસ બળબળતું રેતીનું રણ હો જાણે
એવું પથારીમાં લાગે
ફાટ ફાટ નસનસમાં પૂર હો તરસનાં ને
કંઠે કોઈ શોષ બની જાગે
ત્યારે અંદર વસંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
ઓરડાની એકલતા થથરાવી જાય અને
હૈયું આ સાથ કોઈ માગે
હાથ મહીં હાથ હો ને ગમતો સંગાથ હો
તો રૂંવાડે આગ કોઈ જાગે
ત્યારે અંદર હેમંત કોઈ ગાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
મોસમ બદલાય ભલે, મનડું બદલાય નહીં
પ્રીત તણી રીતો બદલાય છે
પ્રેમમાં જો હોઈએ તો પ્રેમમાં જ રહીએ,
બસ એવું એવું પ્રેમમાં તો થાય છે
જ્યારે અણધાર્યું કોઈ ગમી જાય છે.
– તુષાર શુક્લ
કલાપી યાદ આવી જાય –
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી
વૈશાખ ઋતુની વાત છે. આભેથી મે મહિનાની લૂની સાથોસાથ વૈશાખી વાયરા પણ ફૂંકાવા શરૂ થાય છે. આંબો કેરીઓથી લચી પડ્યો હોય એ ટાણે નાયિકા નાયક પાસે ગીતો માંગે છે, પણ ગીત કેવાં અને કેટલાં તો કે લૂમલૂમ આંબાના ગીત. આપણે ત્યાં ગુજરાતમાં કેરીના વૃક્ષને, તો મહારાષ્ટ્રમાં ફળને આંબો કહે છે. અહીં ‘લૂમલૂમ આંબાનાં ગીત’ પ્રયોગમાં મરાઠી સંસ્કાર વધુ પ્રભાવક અનુભવાય છે.
ગ્રીષ્મની બપોરે કબૂતરની જેમ નાયિકા ઓસરીમાં આડી પડે છે ત્યારે ગરમીથી બચવા લટકાવેલી ખસની ટટ્ટીઓ પરથી બપોરનો તાપ કીડીઓ હેઠી આવીને કરડે એમ ચટકે છે એ કલ્પન કેવું બળકટ છે! વૈશાખી બપોર પજવે છે તો સાંજ પણ કંઈ છોડી દેતી નથી. નાયિકા લીંબોળીઓને ઘોળટી હોય છે ત્યારે સાંજ છાકટા છોકરાની જેમ એને છેડે છે. ફૂલોના સ્થાને એનું તનબદન ડાળખીની ગંધ ફૂટવાથી તર થઈ જાય છે.
વૈશાખી વૃક્ષો પછી વારો આવે છે પક્ષીઓનો. જો કે કવિ એમાં થોડું ઋતુચક્ર ચૂકી ગયાનું જણાય છે. કોયલ કુંજઘટાઓ ભરી દે અને સાખ પડેલી કેરી પોપટ ઠોલે ત્યાં સુધી તો વાત બરાબર પણ મોરના આઠે પહોર બોલવાની આ ઋતુ નથી. મોર તો વર્ષાઋતુ આવે ત્યારે જ આઠે પહોર ગહેકે અને મોરના કંઠેથી ટેંહુકાર નીકળે, પીહો પીહો બોલ તો પપીહરા કે ચાતકના. પણ આટલી વાતને નજરઅંદાજ કરીએ તો કલ્પન કેવા મજાના છે એ જુઓ! રાત આખી બે જણ વચ્ચે રૉમાન્સ ચાલે છે. શરીર કોયલની જેમ કૂકે છે અને પોપટ પાકી કેરીને કીરકીર ઠોલે એમ નાયક રાત આખી એના તનનો આનંદ લૂંટે છે. નાયક માટે નાયિકાનું દિલ દરવાજા વગરનું મકાન બની ગયું છે, મન ફાવે ત્યારે ઘૂસી અવાય. કેવી સવલત! આખી રાતનો આ આનંદ ઓછો પડ્યો હોય એમ નાયિકાની છાતી હવે આઠે પહોર ટહુકી રહી છે. અને સળંગ રાતદિવસનો આ અનર્ગલ પ્યાર પણ ઓછો પડ્યો હોય એમ અંતે નાયિકાની ભીતર એકસામટી છએ છ ઋતુઓ ઊગી આવી છે અને એ હવે બારમાસી પ્રીત ઝંખે છે.
આજે આ રચના અહીં મૂકી રહ્યો છું એ કાવ્યત્ત્વના નહીં, પણ એના સ્વરૂપે જન્માવેલા ખેંચાણના પરિણામે તથા કોઈ એક વજનદાર માણસ જે-તે સમયના સમગ્ર સાહિત્યસર્જન પર કેવો (દુષ્)પ્રભાવ પાડી શકે છે, એની વાત કરવા સબબ.
ગાંધીયુગની શરૂઆત થઈ એ પૂર્વે આપણે ત્યાં ૧૮૮૫થી ૧૯૨૦ સુધીનો ગાળો પંડિતયુગ કે સાક્ષરયુગ તરીકે ઓળખાયો હતો. બ.ક. ઠાકોર આ યુગનું એક બહુ મોટું નામ. નવા છંદ રચવાનું ગજુ ભાગ્યે જ કોઈ સર્જક ધરાવતો હોય છે, પણ બળવંતરાય ઠાકોરે અગેય ગણી શકાય એવો પૃથ્વી છંદ સર્જ્યો અને સમગ્ર ગુજરાતી સાહિત્યએ એને હોંશે હોંશે સ્વીકાર્યો પણ ખરો. બ.ક.ઠાકોરે એકલા હાથે કવિતાની વિભાવના બદલી નાંખી. કવિતામાં લાગણીની સામે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું અને હૃદયની ઉપર બુદ્ધિની સર્વોપરિતા સ્થાપિત કરી. એ કહેતા કે, ‘કાવ્ય તો અર્થપ્રધાન, શબ્દોનો ઉચ્ચાર તો ગૌણ!’
જરા ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે ચૌદ પંક્તિના આ કાવ્યમાં માત્ર બે જ વાક્યો છે અને પહેલું વાક્ય તો બાર પંક્તિ જેટલું લાબું અને અટપટું. બાર-બાર પંક્તિ લાંબુ એક જ વાક્ય હોવા છતાં કવિએ છંદ સાચવવાની સાથોસાથ મહદાંશે ચુસ્ત પ્રાસયોજના સફળતાપૂર્વક નિભાવી છે, જે એમની કાર્યકુશળતાનો મજબૂત પુરાવો છે. વળી, રચના પણ ઠાકોરે શોધેલા પૃથ્વી છંદમાં જ થઈ છે. આ વ્યાયામ કરવામાં કવિતાનો ભોગ લેવાયો કે કેમ એ આપણી ચર્ચાનો વિષય નથી. કવિએ પ્રસ્તુત રચના સાથેની ટિપ્પણીમાં લખ્યું છે કે, ‘આ પ્રયોગ આપણા પ્રયોગશીલ સાક્ષરવર્ય બ. ક. ઠાકોરની સૂચનાને આભારી છે.’
August 26, 2020 at 8:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.
એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.
મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.
હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?
એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !
અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
-‘જલન’ માતરી
જલનસાહેબની ગઝલ હંમેશ સોંસરવી જ હોય….દરેક શેર જિંદગીની કહાની છે. બીજો શેર જુઓ – ‘ અધૂરું કતલખાનું ‘…… અર્થાત માનવી પૂરો ગરદને માર્યો નથી જાતો પણ ટળવળતો છોડી દેવામાં આવે છે. અહીં જાલિમ કોણ છે તે અધ્યાહાર છે – ખુદાનો એ ખેલ છે કે પછી માનવસમૂહ એ કરે છે તે સમજવું આપણા પર છોડાયું છે. બુદ્ધિ આપી, કલ્પનાશક્તિ આપી, ઝંખના આપી અને ખુદાએ માણસને ચિરતૃષ્ણાના દરિયે ફંગોળી દીધો….
બરફ વચાળે નાની અમથી કાળી કાળી ચીજ, ,
દર્દભર્યા કંઈ નાદે ચિલ્લાતી’તી “’વીપ! ’વીપ! ’વીપ!”
“બોલ તું, ક્યાં છે પપ્પા તારા, ને ક્યાં ગઈ છે મમ્મી? –
“તે બંને તો ચર્ચ ગયા ઈશ્વરની કરવા બંદગી.
“કારણ બંજરપાટ ઉપર પણ હું રહેતો’તો હર્ષમાં,
અને વેરતો હતો સ્મિત હું શિયાળાના બર્ફમાં,
એ લોકોએ લિબાશ મૃત્યુનો મને પહેરાવ્યો,
અને મને શીખવ્યું શી રીતે ગાવા દર્દના ગીતો.
અને બસ, એથી કે હું ખુશ છું, નાચું છું, ગાઉં છું,
તેઓને લાગે છે તેમણે દર્દ નથી કંઈ આપ્યું,
અને ગયાં છે ઈશ્વર, રાજા-પાદરીને પૂજવાને
જે બેઠાં છે અમારાં દુઃખોમાંથી સ્વર્ગ રચવાને,”
– વિલિયમ બ્લેક
(અનુ.: વિવેક મનહર ટેલર)
વિલ્યમ બ્લેકના બે સંગ્રહ ‘સૉંગ્સ ઑફ ઇનોસન્સ’ (૧૭૮૯)’ અને ‘સૉંગ્સ ઑફ એક્સપિરિઅન્સ(૧૭૯૪)’ બંનેમાં ‘ધ ચિમની સ્વીપર’ શીર્ષકથી કવિતા સમાવિષ્ટ છે. ‘ઇનોસન્સ’માં નિર્દોષતા છે પણ દુનિયાના ભયસ્થાનોથી એ મુક્ત નથી, જ્યારે ‘એક્સપિરિઅન્સ’માં નિર્દોષતાની નિર્મમ હત્યા કરતી દુનિયાની કાળી બાજુ આલેખાઈ છે. બંને સંગ્રહોને બ્લેકે જાતે જ ચિત્રાંકિત પણ કર્યાં હતાં.
ચિમની સ્વીપરની જિંદગી વિશે થોડું જાણીએ… બ્લેકના સમયના ઇંગ્લેન્ડમાં બાળમજૂરી સર્વમાન્ય હતી. એમાંય ઘરની સાંકડી ચિમનીની સફાઈ માટે તો નાનાં-પાતળાં શરીરધારી બાળકો વરદાન ગણાતાં. માત્ર ત્રણ જ વર્ષના ફૂલ જેવાં બાળકોને આ કામે લગાડી દેવાતાં. અંધારી રાખ અને મેંશભરેલી ચિમનીમાં કોઈપણ સાધનની મદદ વગર એમને ઉતારાતાં એટલે હાથ-પગનું તૂટવાથી લઈને શ્વાસના ગંભીર રોગો તથા ચામડીનું કેન્સર પણ સહજ હતાં. ચિમનીમાંથી પડીને કે અંદર દાઝીને-ફસાઈને-ગૂંગળાઈને મૃત્યુ થવું પણ સામાન્ય ગણાતું. ઘણીવાર તો બાળક અંદર ફસાઈ ગયાની જાણ ન થવાના કારણે મરણને શરણ થતું. જાડાં થઈ જાય તો ચિમનીમાં ઉતરી નહીં શકે એ ડરે એમને ખોરાક પણ અપૂરતો અપાતો. આ અમાનવીય કામ માટે બાળકો પૂરા પાડવામાં ચર્ચનો બહુ મોટો ફાળો રહેતો.
*
The Chimney Sweeper (Songs of Experience)
A little black thing among the snow,
Crying “‘weep! ‘weep!” in notes of woe!
“Where are thy father and mother? Say!”–
“They are both gone up to the church to pray.
“Because I was happy upon the heath,
And smiled among the winter’s snow,
They clothed me in the clothes of death,
And taught me to sing the notes of woe.
“And because I am happy and dance and sing,
They think they have done me no injury,
And are gone to praise God and his priest and king,
Who make up a heaven of our misery.”
સરળ શબ્દોમાં સહજ ગઝલ… બધા જ શેર સુંદર થયા છે, પણ દરેકને જરા હળવા હાથે ખોલવામાં આવે તો જે સૌંદર્ય પ્રથમ દૃષ્ટિએ દેખાય છે, એ ઝળાંહળાં થતું અનુભવાય છે… છેલ્લા બે શેર તો શિરમોર…
August 20, 2020 at 1:11 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
તને ફોન કરું છું
ફોન મૂકવો પડે એટલે મૂકું છું.
ફરી પાછી લાગે છે ફોનની તરસ
હું વ્યાકુળ થઈને
તને ફોન કર્યા કરું એ તને ગમતું નથી.
હું સ્વસ્થ રહીને
તને ફોન ન કરું એ પણ તને ગમતું નથી.
એક વહેરાઈ ગયેલા જીવને
તું કરવત થઈને વહેર નહીં
કાનને શોષ પડે છે તારા અવાજનો
જીભ ઝંખે છે તારા નામને
એથી જ તો હું ફોન કરું છું.
ફોન મૂકું છું.
મારી તરસનો કોઈ અંત નથી.
– સુરેશ દલાલ
ટેલિફોન દ્વારા અવાજના તાંતણે જોડાયેલ બે સ્નેહીજનોનું ચિત્ર કવિ રજૂ કરે છે. એક વ્યક્તિની તરસ અને બીજાના કમળપત્રભાવ વચ્ચે પણ બે જણ વચ્ચેનો સ્નેહ અછતો રહેતો નથી. સ્ટિવન બ્લેક હોર્ટન નામના એક કવિ જણને જોડતા આ સગપણને ‘અવર ઇલેક્ટ્રિક બ્રધરહુડ’ કહીને ઓળખાવે છે. સાચી વાત છે. ટેલિફોન એ એકબીજાને જોઈ ન શકતી (આજના સ્માર્ટફોનના વિડિયોકૉલની આ વાત નથી!) કે એકબીજાને મળી ન શકતી બે વ્યક્તિઓને અવાજની દોરીથી બાંધી આપે છે. ટેલિફોન કલમ-કાગળથી પરે અવાજની નોટબુકમાં લખાતી લાગણીની કવિતા છે. એ બે વ્યક્તિ વચ્ચે સંવેદનાનો સેતુ રચી આપે છે.
જીભના સ્થાને કાનને અવાજનો શોષ પડવાની અને કાનના સ્થાને જીભને નામ સાંભળવાની ઝંખના થવાની વાત કેવી અદભુત છે! સાચે જ, આ ઇન્દ્રિયગમ્ય અનુભૂતિઓનું જાદુ પણ ગજબ હોય છે. નજરની સામે નિચોવાઈ રહેલા લીંબુના ટીપાં આપણા મોઢામાં પડતાં નથી, પણ એને નિચોવાતું જોઈએ એ ઘડીએ દૃષ્ટિ નામની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય સાથે કોણ જણે શી ગુસપુસ કરે છે તે આપણા મોઢામાં લાળ છૂટવી શરૂ થાય છે. પંચેન્દ્રિયોની આ અવિનાભાવી સંપૃક્તતા કવિએ ટેલિફોનની મદદથી કેવી સ-રસ રીતે આલેખી છે!
August 18, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
કોની ઈચ્છાઓ તપે આકરી કે આપણા આ શબ્દોને ફૂટે નહીં જીભ ?
બાંધી ગયું છે કોણ હોવાની ડાળીએ ખાલીખમ બોલ્યાની ઠીબ ?
દ્રશ્યો જોવાનો ભાર લાગે કે ઊગે ને આથમે છે પ્હાડ હવે પાંપણે ?
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
નિશ્ચય તો તૂટીને તળિયે ડૂબ્યાને બધે ઘૂઘવતું સ્થિતિનું તાણ
આયનાના દરિયામાં શોધે છે આપણને સદીઓથી ડૂબેલું વહાણ
પોતાની કડકડતી એકલતા લઈને સૌ બેઠા છે ટોળાને તાપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે
વૃક્ષો જોયાનો થાય લીલોછમ વ્હેમ
એવો માર્યો આ ડંખ કઈ સાપણે.
-રમેશ પારેખ
આ કાવ્યની નીચે કવિનું નામ લખવાની જરૂર જ નથી – આ ર.પા. જ હોઈ શકે !!
કાવ્ય ઉપડે છે એક અબોલ મૂંઝારાથી. અકળામણ એ હદની છે કે આંખોથી દ્રશ્યો જોવા એ પણ સજા લાગે છે. બીજા ચરણમાં આ એકલતા ઘેરાય છે અને આપણી ન્યૂનતા વધુ છતી થાય છે, ઇચ્છાનુસાર કશું થતું નથી, માત્ર સ્થિતિના પવને હસ્તી ફંગોળાઈ રહી છે. અંતિમ ચરણમાં અસમર્થતા વિકરાળ રૂપે સામે આવે છે અને જીવનની નિરર્થકતા નિર્વિકલ્પ લાગે છે. આ ભાવ અનુભવાવાનું કારણ અધ્યાહાર છે….
હું તો મસ્તીમાં ન જાણે ક્યાંનો ક્યાં ચાલ્યો જતે,
ભાગ્ય સાથે લક્ષ્ય ભટકાયું, બહુ સારું થયું.
આપણી પાસે હતું જે ધન તે આંખોમાં હતું,
એ પ્રસંગોપાત વપરાયું, બહુ સારું થયું.
શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?
એ રુદન તમને ન સંભળાયું, બહુ સારું થયું.
શાપ થૈ ગૈ કંટકો માટે ચિરાયુની દુઆ,
પુષ્પથી ઝાઝું ન જીવાયું, બહુ સારું થયું.
વીતવાની જે હતી વીતી ભલે અમ પ્રેમ પર,
રૂપનું પણ પોત પરખાયું, બહુ સારું થયું.
જિંદગીભર મોતને માઠું નથી લાગ્યું ‘ગની’
છોને જીવાયું, ન જીવાયું, બહુ સારું થયું.
– ‘ગની’ દહીંવાળા
ગનીચાચાની ગઝલમાં જીવનનો પડઘો ન હોય તો જ નવાઈ !!! ” શું કહું દુનિયામાં મારે શી રીતે હસવું પડ્યું?…….” – આ એક જ શેર પર ફિદા થઇ જવાય….જયારે અહીં તો બધા જ શેર જોરદાર છે ! છેલ્લેથી બીજો શેર જુઓ !! મક્તો પણ અદભૂત…અખિલમ મધુરમ
ખંડ શિખરિણીમાં લખાયેલ આ રચના વાંચવા માટે નથી, ગાવા માટે છે. મોટા અવાજે એનું પઠન કરતાં જ લોહી ગરમ થતું અનુભવાયા વિના નહીં રહે. રચના ભલે બહુ જૂની કેમ ન હોય, આજે પણ આજના યુવાધનને એટલી જ લાગુ પડે છે. મજબૂત રાષ્ટ્ર રચનાની આવશ્યકતા કદાચ જેટલી આજે છે, એટલી આ પૂર્વે ભાગ્યે જ હતી.
રોજ જ નજરે ચડતી ઘટના કવિના ચશ્માંથી જોવામાં આવે તો કેવી નવતર દેખાય છે! પાણી અને સૂર્યની તેજસ્વિતાનો આટલા ઓછા શબ્દોમાં આટલો મજાનો પ્રયોગ ભાગ્યે જ થયો હશે..
સ્હેજ જરા અટકો જો ઝોલો, તો ખોયાને
બે હાથે ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઈ વાર મેલી જો દોરી
તને બેસવા દઉં ન લેશ હેઠો,
કંટાળી મારે મને ધબ્બા ને કાલીકાલી
વાણીથી છો ને ફોસલાવે…
અમનેય આવડે છે મરકલડાં આણતાં
ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કદંબડાળ બેસીએ કે
મંદિરમાં બની જઈએ આરસ
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઈ
હળવે હળવે તું પાસ આવે…
– હરીન્દ્ર દવે
Role-reversal કોને ન ગમે? કાનુડાને હિંચવવા આખી દુનિયા સદાની તૈયાર… પણ કવિને કોઈક વાર વિચાર આવે છે કે પોતે ફૂલના હિંડોળે સૂઈ જાય અને કાનુડો એને હિંચકે તો કેવું! પાછું અમથું સૂઈ રહેવાનું નથી… આ તો કવિ છે! એ ઈશ્વરની કસોતી કરતાંય અચકાય શાનો? ઈશ્વરને હાલરડું ગાતાં આવડે છે કે કેમ એ જાણવા એ અમથી અમથી આંખ મીંચીને કાન માંડે છે. વળી ઝોલો અટકવો ન જોઈએ એ બીજી શરત છે. હિંચકો જરાક અટક્યો નથી કે જે રીતે બાળકાનુડો યશોદાનું ઉપરાણું લેતો’તો એ જ રીતે કવિ પણ ખોયો ઝાલીને બેઠો થઈ જશે. થાકી જાય, કંટાળી જાય, ધબ્બા મારે કે કાલી-કાલી વાણીથી ફોસલાવવા કરે તોય કૃષ્ણ જેવા કૃષ્ણને પણ થાકીને બે પળેય દોરી મેલીને હેઠો બેસવા નહીં દેવાનું નક્કી જ છે. જે રીતે સ્મિતના મરકલડાં આણીને કાનાએ હોકુળને ઘેલું કર્યું હતું, એવાં મરકલડાં આણતાં કવિને પણ આવડે છે. કવિનેય ગોરસ ખાવાનાં ને કદંબડાળે બેસવાનાં ને મંદિરમાં કાનુડો ચંદન-ધૂપ લઈ પૂજવા આવે તો આરસ બનીને સ્થિર પ્રતીક્ષા કરવાના ઓરતા છે..
આવી કવિતા હોય તો સર્જનહારને પણ કવિને હિંડોળવાનું મન થઈ જાય એ નક્કી!
August 12, 2020 at 2:09 AM by તીર્થેશ · Filed under ગઝલ
तेरी हर बात मोहब्बत में गवारा करके
दिल के बाज़ार में बैठे हैँ ख़सारा करके [ख़सारा – નુકસાન ]
एक चिन्गारी नज़र आई थी बस्ती मेँ उसे
वो अलग हट गया आँधी को इशारा करके
मुन्तज़िर हूँ कि सितारों की ज़रा आँख लगे [मुन्तज़िर – રાહ જોઉં છું ]
चाँद को छत पे बुला लूँगा इशारा करके
मैं वो दरिया हूँ कि हर बूँद भंवर है जिसकी
तुमने अच्छा ही किया मुझसे किनारा करके
– राहत इन्दौरी
રાહતસાહેબ ઇન્તેકાલ ફરમાવી ગયા…..એક મજબૂત અવાજ શાંત થઈ ગયો. બે વખત મુશાયરાઓમાં માણ્યા હતા તેઓને, અને છેલ્લીવાર થોડી વાતો પણ થઈ હતી. તેઓની ખાસિયત હતી તેઓની સરળ બાની…જનસામાન્ય સમજી શકે એ જબાનમાં તેઓ કાવ્ય કરતા, છતાં વાતનું ઊંડાણ ગજબનાક રહેતું. રાહતસાહેબ માઈક સંભાળે એટલે આખા ઓડિયન્સમાં ઉત્તેજના છવાઈ જતી. સાહેબનો શાયરી પઢવાનો અંદાઝ અફલાતૂન અને વળી પ્રત્યેક શેર તીર જેવો નોકદાર ! જલસો થઈ જતો…..
પ્રસ્તુત ગઝલ પર આવતા પહેલા બીજી એક વાત તેમના વિષે – તેઓ કટ્ટર બીજેપી-વિરોધી. માત્ર મોદી-વિરોધી નહીં પણ બીજેપી-વિરોધી. આથી અમુક લોકોને તેમને માટે વાંધો-ગંભીર વાંધો. પણ રાહતસાહેબે કોઈને ગાંઠ્યા નહીં, કદી નહીં. પોતાની વાત ડંકાની ચોટે કીધી જ કીધી. ગુજરાતમાં મુશાયરાના આયોજકો થોડા ચિંતિત રહેતા !!!!
પ્રસ્તુત ગઝલનો બીજો શેર તેમણે 2002-ગોધરાકાંડ પછી કીધેલો અને બહુ જ મશહૂર થયેલો. જયારે તેમને આ શેર કહેવા માટે ધમકીઓ મળી અને અમુક સંસ્થાના આમંત્રણ રદ થયા ત્યારે તેમણે પ્રત્યુત્તરરૂપે ચોથો શેર કીધો !!! શાયર તો શાયર હોય છે, એ કોઈ બંધન સહી ન શકે…. ખુમારીથી જીવી ગયા…..
સાહેબ જ્યાં પણ જાય ત્યાં મુશાયરા ગજવતા રહે અને મા સરસ્વતીની આરાધના અક્ષુણ્ણ રહે તે જ બંદગી….
August 11, 2020 at 3:01 AM by તીર્થેશ · Filed under શેર, હરીન્દ્ર દવે
કોઈ ઉપાયે મને જોઈતું મરણ ન મળ્યું,
હતું મેં માન્યું, ફક્ત જિંદગી પરાઈ છે.
– હરીન્દ્ર દવે
ફેસબૂક ઉપર આ શેર વાંચ્યો તો ज़ौक़ યાદ આવી ગયા –
अब तो घबरा के ये कहते हैं कि मर जाएँगे
मर के भी चैन न पाया तो किधर जाएँगे
પછી પ્રશ્ન થયો – ” જોઈતું મરણ કેવું આવે ? ” શું કવિ ચોક્કસ કારણથી અથવા ચોક્કસ કાળે મૃત્યુ થાય એમ ઈચ્છે છે ? એવું તો નથી લાગતું. “જોઈતું મરણ” એટલે કદાચ એક ચોક્કસ ઘટના/વ્યક્તિ/સ્મરણ/પરિક્લ્પના/સંબંધ/નબળાઈ/અપૂર્ણતાની ભાવના થી કાયમી મુક્તિની ઝંખના હોઈ શકે…..
झील वह अछूती थी
पुरइन से ढंकी हुई
सूरज से अनबोली
चाँद से न खुली हुई
कई जन्म अमर हुए
कोरी अब सिर्फ देह
पहली ही बिजली
हमें नौका-सी बाँध गई
लहरें किन्तु भीतर थीं
रोओं तक समझे हम
तट से बंधा मन
छाया कृतियों में मग्न रहा
स्वप्न की हवाओं में
तिरती हुयी गन्ध रहा
अतल बीच
सीपी का ताला निष्कलंक रहा
जादू का महल एक
नीचे ही बन्द रहा
अनटूटा था तिलिस्म
बाँहों में समझे हम
एक दिन शुरू के लम्बे कुन्तल
खुले दर्पण में
भिन्न स्वाह लिपि देखी
प्यासे आकर्षण में
मन था अनबींधा
बिंधी देहों के बन्धन में
अंजलियां भूखी थीं
आधे दिए अर्पण में
आया जब और चाँद
झील की तलहटी में
तब मीठी आँखों के
अर्थों को समझे हम
जल तो बहुत गहरा था
कमलों तक समझे हम ।
–गिरिजा कुमार माथुर
ગિરીજાકુમાર માથુરને આપણે સૌ ‘હમ હોંગે કામયાબ’(we shall overcomeના અનુવાદ)માટે ઓળખીએ છીએ. પ્રસ્તુત રચના અનબિંધે મન કા ગીત એક અલગ જ સ્તરની છે. ટૂંકી પંક્તિઓમાં લખાયેલી આ કવિતા એક જાતનું કવિશ્રીનું કન્ફેશન છે. કાવ્ય છે તો શૃંગાર-રસનું જ પણ અનોખું છે. પ્રિયતમાના દર્શનને પોયણીના તળાવના પ્રતિકથી વ્યક્ત કર્યું છે. પહેલી નજરમાં તો એ સૌંદર્યથી કવિ અભિભૂત થઈને પ્રેમમાં બંધાઈને પ્રેમિકાને જીવનસંગીની બનાવવાનો નિર્ણય કરી લે છે પણ હજુ એના આત્માનું ઊંડાણ સમજ્યા નથી. કવિ નિખાલસતાથી કહે છે કે પ્રિયતમાના મનમાં ચાલતી ભાવનાઓની લહેરોને ઓળખવાને બદલે એ સ્થૂળ ઊર્મીઓને જ સમજી શક્યા. એક જાતનું સંકુચિત મન સ્વપ્નાઓમાં અને કલ્પનાઓમાં વિહરતું રહ્યું પણ પ્રિયતમાના અતળ મનમાં પડેલું છિપનું મોતી, એના અંતરનું સૌંદર્ય નજરે ના પડ્યું. એની અંદર એક આખું જાદુઈ વિશ્વ હતું એ એમ જ બંધ પડી રહ્યું, કવિ દેહના સૌંદર્યમાં જ ખોવાયેલા રહ્યા. દેહનું ઐક્ય સાધી લીધા પછી પણ મન તો અણ વિંધ્યું જ હતું. જ્યારે કવિને જ્ઞાન લાધ્યું ત્યારે એ સુંદર આંખોનું ઊંડાણ, એમાં છૂપાયેલા અર્થો સમજી શક્યા. એક પ્રેમી હ્રદયની નિખાલસ કબૂલાત સ્ત્રી-પુરુષોના સંબંધો વિશે ઘણું કહી જાય છે.
એક સર્વસામાન્ય ભાષા છે
જેના પર હું હથોટી મેળવી નથી શકતી, એ મારી
પહેલવહેલી હતી તોય. ગુજરાતી તો પછી આવી.
મને આ ભાષાની સંજ્ઞાઓ ખબર નથી
કે નથી આવડતી એની વાક્યરચના. હું એના
ક્રિયાપદોને જોડી નથી શકતી. પણ નદીઓ આ ભાષા બોલે છે,
હાડકાંઓ અને રિસાઇકલિંગ માટે રખાયેલી
બૉટલો, તળાવમાંના હંસો,
કાચના દરવાજાઓ, આલૂનાં ઝાડ,
એમ્બ્યૂલન્સો, હાથલારીઓ અને કિટલીઓ પણ.
એ તારાઓના સંગીતમાં છે.
પણ હું ગૂંગી જ બની રહી છું.
જો હું આ ભાષા બોલી શકતી હોત,
જો મારી પાસે એનો શબ્દભંડોળ હોત, જો હું જાણતી હોત
એની ધૂન, તો હું તમને કહી શકત
અને તમે સમજી શકત.
– જેસિકા ડિ કોનિન્ક
(અનુ.: વિવેક મનહર ટેલર)
પ્રકૃતિ આપણી પ્રથમ ભાષા હોવા છતાં આપણે એનું વ્યાકરણ ભૂલી બેઠાં છીએ. પ્રકૃતિને વાંચતાં-સાંભળતાં ન આવડતું હોય તો ઝાડ માત્ર ઝાડ છે, પર્વત માત્ર પર્વત. બાકી, જે સાંભળી શકે છે એમના માટે પૃથ્વી પાસે સંગીત છે. વાણી અને ભાષાના વિકાસની જોડે જ પ્રકૃતિથી આપણાં અળગાપણાંની શરૂઆત થઈ ગઈ. આપણી ઇન્દ્રિયો હવે પ્રકૃત્યાનુરાગી રહી નથી. લાંબો સમય થયો, આપણે પ્રકૃતિથી અળગાં થઈ ગયાં છીએ. શહેરમાં માર્ગ પહોળો કરવા જતાં વચ્ચે નડતું ઝાડ કાપતી વખતે હવે આપણને વેદના થતી નથી. ઝાડ માર્ગની વચ્ચે આવ્યું કે માર્ગ ઝાડની વચ્ચે આવ્યો એ નક્કી કરવા જેટલી સંવેદના હવે રહી નથી. પ્રકૃતિ પાસેથી આપણે જીવતાં શીખવાનું છે. પ્રકૃતિ પાસે જીવનનો ખરો પ્રકાશ છે, પણ શું આપણી પાસે એ દૃષ્ટિ છે?
There is a common language
I cannot master; though it was
my first. English came second.
I do not know the nouns of this
language or its syntax. I cannot
conjugate its verbs. But rivers speak it,
as do bones and bottles left
for recycling, the geese in the lake,
screen doors, peach trees,
ambulances, trolley cars and kettles.
It is there in the static of stars.
But I remain dumb.
If I could speak this tongue,
if I had its vocabulary, if I knew
its tune, I could tell you,
and you would understand
August 3, 2020 at 2:34 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
નયનનાં આંસુઓની ધાર પર આવી ગયું હસવું !
મને ત્યારે જ મારા પ્યાર પર આવી ગયું હસવું !
કિનારે આવીને જ્યારે અચાનક નાવ ડૂબી ગઈ,
ઉછાળા મારતા મઝધાર પર આવી ગયું હસવું !
નજરના ભેદ છે કેવા ! હસે છે કોણ કોના પર ?
મને મારા હૃદયનાં ભાર પર આવી ગયું હસવું !
મને ત્યારે ન જાણે આંસુઓ પર લાગણી થઈ ગઈ !
જગતને જ્યાં કદી રડનાર પર આવી ગયું હસવું !
મને સાથે લીધો, મંઝીલ મળી ત્યારે મૂકી દીધો;
તમારા રમ્ય આ આભાર પર આવી ગયું હસવું !
જવાની છે; અચલતા છે, અડગતા છે, અટલતા છે !
ચરણમાં કંટકો ધરનાર પર આવી ગયું હસવું !
સનાતન હોય એને કોઈ પણ મારી નથી શકતું !
ઉઠેલી જુલ્મની તલવાર પર આવી ગયું હસવું !
જવાની રૂપ સામે કેટલું ઝૂઝી શકે બોલો !
મને જીતી ગયેલી હાર પર આવી ગયું હસવું !
ભલે ઠંડો રહ્યો હું ગર્વ તો તારો થયો ખંડિત !
મને ખાલી ગયેલા વાર પર આવી ગયું હસવું !
– ‘શેખાદમ’ આબુવાલા
આ શાયરે જિંદગી ગાઈ છે, સજળ આંખે ખડખડાટ હાસ્ય વેર્યું છે. કદાચ શાસ્ત્રીય કવિઓ શેખાદમને હસી કાઢતા હશે, પણ શેખાદમને તો આવા શાસ્ત્રીય કવિઓ પર – “આવતું હશે હસવું……”
યાદ છે? હું
આલુ ખરીદતી હતી.
નાતાલમાં**
ત્યારે તમે દુકાનમાં એકાએક
આવી ચડ્યા
મારી અને તમારી એ
પહેલી જ મુલાકાત.
એ પછી તો નિત નવા
બહાનાં ગોતીને જતા –
આવતા થયેલા તમે
મારે ઘેર
પ્રેમની હતી ઉંમર
મારા રુદિયામાં ડર
ધરમ જુદો ખરો ને…
તમને ભરોસો હતો
બાપુ મોટા મનના છે
માની જશે, હોંશે હોંશે
તમે ચિઠ્ઠી લખી હતી
બાપુનો ઉત્તર મળ્યો,
‘બ્રહ્મચર્યનું શું થયું?
શાદી ? અને તેય પાછી
મુસલમાન છોકરી સાથે?
તમારાં છોકરાં કયા
ધરમનાં કહેવાશે?
શું કહ્યું તેં?
હિન્દુ થવા તૈયાર છે એ ફાતિમા?
ધરમ શું લૂગડું છે
કે ઉતારી ફેંકી દીધું?
એના માટે ઘર ત્યજો,
લગ્ન ત્યજો, પ્રાણ ત્યજો !
તું કહે છે કે હું બાને
પૂછી જોઉં? નહીં પૂછું.
એનું બાપડીનું દિલ
ભાંગી જશે.
– તારો બાપુ.’
મહાત્માનાં મન કોણ
કળી શકે?
એમને ફિકર હશે કે પોતાનું
નામ ચહેરાઈ જશે?
મૌલવીઓ મહોલ્લાઓ ગજવશે?
મહાત્માયે ડરી ગયા?
મણિલાલ, સાંભળ્યું છે
એ લોકોએ હિંદુ કન્યા
ગોતી છે તમારા માટે.
બીજું તો શું કહેવાનું
હોય મારે, મણિલાલ?
સબકો સન્મતિ દે ભગવાન.
તમારી, એક વેળાની..
– ઉદયન ઠક્કર
* ગાંધીજીના પુત્ર
** દક્ષિણ આફ્રિકા
મહાન આત્મા પણ આખરે તો મનુષ્ય જ હોય છે અને માનવસહજ ભૂલોથી પર હોતા નથી એ વાત મહાત્મા ગાંધીના સુપુત્ર મણિલાલ ગાંધીની નિષ્ફળ પ્રણયકથાનો સંદર્ભ લઈ કવિએ બખૂબી ટાંકી છે. ગાંધીજી આફ્રિકા હતા ત્યારે એમના સહયોગી યુસુફ ગુલના પરિવાર સાથે એમનો પરિવાર ખૂબ હળીમળી ગયો હતો. ગાંધીજીએ ‘સર્વધર્મ એકસમાન’નું સૂત્ર બાળકોને શીખવ્યું હોવાથી બાળપણથી જેની સાથે રમતા આવ્યા હતા એવી, યુસુફ ગુલની પુત્રી ફાતિમા સાથે મણિલાલ પ્રેમમાં પડ્યા ત્યારે એમને ગળા સુધી ભરોસો હતો કે બાપુ કદી ના નહીં કહે. ૧૯૧૫માં ગાંધીજી આફ્રિકા છોડી ભારત આવ્યા એના બે જ વર્ષમાં મણિલાલ ફરી આફ્રિકા પહોંચી ગયા, આશ્રમનો વહીવટ કરવા કે ફાતિમાથી અલગ રહેવું અશક્ય લાગતું હતું એટલે એ તો એ જ જાણે. મણિલાલે બાપુને નાના ભાઈ રામદાસ મારફતે પોતાની ઇચ્છાની જાણ કરાવી ને જવાબમાં વીજળી ત્રાટકી. બાપુ ન માત્ર આંતર્ધમીય, આંતર્જાતીય લગ્નમાં પણ માનતા નહોતા. દોસ્ત તરીકે લખું છું કહીને દોસ્તના સ્વાંગમાં ધર્મચુસ્ત બાપનો પત્ર મણિલાલને મળ્યો, જેની વિગતો કવિએ કાવ્યમાં યથાતથ ઉલ્લેખી છે. ભારતમાં પોતાની છાપ ખરડાશે એવા ભયના લીધે અને રુઢિચુસ્ત વિચારોના ગુલામ હોવાના નાતે બાપુએ ચૌદેક વર્ષ લાંબી પ્રણયકથાનો ધ્વંસ કર્યો અને તાબડતોબ હિંદુ છોકરી શોધીને મણિલાલને પરણાવી દીધો. એ અલગ વાત છે કે પછીથી બાપુ હરિલાલને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરતાં કે મુસ્લિમ ધર્મ અંગીકાર કરતાં પણ અટકાવી શક્યા નહોતા. ૧૯૩૦ પછી બાપુના ધર્મવિષયક વિચારોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું પણ ફાતિમા અને મણિલાલ કદી એક થઈ શક્યા નહીં, આ ઐતિહાસિક હકીકત સાથે બાપુની સૌથી પ્રિય પ્રાર્થનાને જોડી દઈને કવિ આપણને સ્તબ્ધ કરી મૂકે છે. અંતે તમારી, એક વેળાની… માં તમારી પછી વપરાયેલ અલ્પવિરામચિહ્નના કારણે વાક્યાર્થમાં જે દાબ આવે છે, એ વ્યાકરણના પાઠ્યપુસ્તકોમાં ખપ લાગી શકે એવું ઉદાહરણ છે.
July 30, 2020 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે.
દુઃખ શું હવે હું પાછી દુનિયાય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાપણ મને ગમે છે!
‘ઘાયલ’ મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઈને ભર્યાં છે, એ રણ મને ગમે છે.
– અમૃત ઘાયલ
હજારથી વધુ કવિના ૪૭૦૦થી વધુ કાવ્યો જે વેબસાઇટ ઉપર હાજર હોય, એ વેબસાઇટ ઉપર સો ટચના સોના જેવી આટલી વિખ્યાત ગઝલ, જેને ગાઈ-ગાઈને ગુજરાતીઓએ હૃદયસ્થ કરી નાંખી છે, એ આજદિન સુધી કયા કારણોસર મૂકવાની રહી ગઈ એમ અગર આપ અમને પૂછશો તો અમે કહીશું કે કારણ નહીં જ આપું, કારણ અમને ગમે છે…
July 28, 2020 at 3:38 AM by તીર્થેશ · Filed under ખાતિર ગઝનવી, ગઝલ
गो ज़रा सी बात पर बरसों के याराने गए
लेकिन इतना तो हुआ कुछ लोग पहचाने गए
ભલેને નાનકડી વાત પર વર્ષોની યારી તૂટી ગઈ….કમસેકમ એટલું તો થયું કે કેટલાક ચહેરા બેનકાબ થઈ ગયા…
ભાષા સરળ છે, પણ અનુભૂતિ હૃદયદ્રાવક છે.
गर्मी-ए-महफ़िल फ़क़त इक नारा-ए-मस्ताना है
और वो ख़ुश हैं कि इस महफ़िल से दीवाने गए
મહેફિલની હૂંફની વાતો માત્ર દિલ બહેલાવવા માટે છે, એ તો રાજીના રેડ છે કે આ મહેફિલથી એક પાગલ ચાલ્યો ગયો…. અહીં ‘દીવાને’ બહુવચન કદાચ છંદ સાચવવા વપરાયું લાગે છે.
मैं इसे शोहरत कहूँ या अपनी रुस्वाई कहूँ
मुझ से पहले उस गली में मेरे अफ़्साने गए
હું એને મારી ખ્યાતનામી કહું કે મારી બદનામી કહું ?- મારા પહેલા એ ગલીમાં મારી કિંવદતિ [ અહીં આ શબ્દ અફ્વાના અર્થમાં વપરાયો લાગે છે ] પહોંચી ગઈ ! અર્થાત હરીફોએ એના કાન ભંભેરવામાં કશી મણા નો’તી રાખી.
वहशतें कुछ इस तरह अपना मुक़द्दर बन गईं
हम जहाँ पहुँचे हमारे साथ वीराने गए
દીવાનગી કૈક એવી રીતે મારી તકદીર બની ગઈ કે હું જ્યાં પહોંચું ત્યાં બરબાદી મારી સાથે જ આવી….જાણે તે મારો પડછાયો ન હોય !
यूँ तो वो मेरी रग-ए-जाँ से भी थे नज़दीक-तर
आँसुओं की धुँद में लेकिन न पहचाने गए
આમ તો તેઓ મારી ધોરીનસથી પણ મારી કરીબ હતા, પણ આંસુઓના પડળ હેઠળ ઓળખાયા જ નહીં… અહીં શાયર એમ ઈશારો કરે છે કે હું લાગણીમાં અંધ હતો કે તેઓનું સાચું સ્વરૂપ જોઈ ન શક્યો.
अब भी उन यादों की ख़ुश्बू ज़ेहन में महफ़ूज़ है
बार-हा हम जिन से गुलज़ारों को महकाने गए
હજુપણ એ યાદોની મહેક દિલમાં સાબૂત છે, વારંવાર જેનાથી અમે ઉપવનોને મહેકાવવા ગયા હતા. અર્થાત અમે કેટલા મૂરખ હતા !!! જ્યાં અમારી ઉપસ્થિતિની કોઈ કદર નહોતી, કોઈ સત્કાર નહોતો, કોઈ અર્થ જ નહોતો- ત્યાં વારંવાર અપમાનિત થવા જયા જ કર્યું…
क्या क़यामत है कि ‘ख़ातिर’ कुश्ता-ए-शब थे भी हम
सुब्ह भी आई तो मुजरिम हम ही गर्दाने गए
કેવી કયામત છે કે રાત્રીના અંધારે પણ અમે જ વઢાઈ જવા પાત્ર હતા ને દિ’ ઉગ્યો ત્યારે પણ અમને જ મુજરિમ કરાર ઠેરવાયા !!! મતલબ કે સત્ય-અસત્યની તો કોઈ વાત કદી હતી જ નહીં, એ નક્કી જ હતું કે અમને સજા કરવાની છે.
– ‘ખાતિર’ ગઝનવી
એક જ મૂડની ગઝલ છે, કોઈ બહુ જોરદાર શેર નથી પરંતુ એક બહુ જ સરસ માહોલ ઊભો કરે છે. પ્રેમ અને પાગલપનને તો અનાદિકાળનો નાતો છે, પણ અહીં એક પ્રેમાળ હ્ર્દયનો ઉપહાસ થયો છે, ખીલ્લી ઊડાવાઈ છે….. ખુદા એ ગુનો માફ નથી કરતો.
મહેંદી હસનના ઘૂંટાયેલા સ્વરે ગવાયેલી આ ગઝલ એકાંતે અને અંધારે સાંભળતા એક અલગ જ વિશ્વમાં આપણને લઇ જાય છે.
‘પ્રિયે!’ જેવું સાદું સરળ “સખી!’ સંબોધન કરું,
પછી પાનાં ફીંદી અવનવું જ સંશોધન કરું;
વિચાર્યું ના શું શું પ્રથમ લખવું પ્રેમલ, છતાં
લખાવા ડોકાતું ઘણુંય – લખવું યા ન લખવું?
હતી ત્રીસે જેવી તરબતર અન્યોન્યમયતા,
હજી પંચોતેરે પણ પલળતાં ને નીતરતાં !
વહેલાં વર્ષોમાં ચઢઊતર સો સો અનુભવી;
હવે સંધ્યાકાળે – પળ પળ જજો દૂર રજની !
મળ્યાં ત્યારે નહોતી ખબર મળવું યોગ્ય નહિ વા,
હળ્યાં ત્યારે જાણ્યું અવર તવથી યોગ્યતર ના,
ભળ્યાં ત્યારે માણ્યું- વિરહ પણ આલિંગન હશે!
બીજા જન્મે થોડા વિરહ પછી બે જીવ મળશે!
– અરુણ વામદત્ત
આયખાની ત્રણ પચ્ચીસી વળોટી જવાની ક્ષણે કવિ પંચોતેરમા વર્ષે પત્ની સાથેના પોતાના સહજીવન તરફ એક લાંબી નજર નાંખે છે. પત્ની વિશે કવિતા કરવાની ઇચ્છા બાબતની વિમાસણ સંબોધન શું કરવાથી જ શરૂ થાય છે. ઊભયછંદી પ્રણયરસકથાને આલેખવા કવિએ કયો છંદ વાપરવો, ન વાપરવો કે છંદ ત્યાગીને કામ કરવું એ બાબતે પણ વિચાર સેવ્યો છે. પણ અપદ્યાગદ્યે સંબંધનું ગાણું ગણગણવું યોગ્ય ન જણાતાં કવિએ શિખરિણી છંદ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંબોધનથી લઈને શું લખવું-શું ન લખવુંની અવઢવયાત્રા સાથે કાવ્ય આગળ વધે છે. પણ લખવા કરતાં વિશેષ તો અન્યોન્ય માટેની એ અનુભૂતિનું મહત્ત્વ છે, જે ત્રીસ વર્ષની વયે હતી એવીને એવી જ પંચોતેરમા વર્ષે પણ બરકરાર રહી છે. ભલે સેંકડો ઉતારચઢાવ કેમ ન આવ્યા હોય, પણ સંધ્યાકાળે આવી પહોંચીને રાત વહેલી ન પડી જાય એની જ કામના છે. સહવાસની આ સાંજ વધુ ને વધુ લંબાય એ અભ્યર્થના જ સાચી કવિતા છે. મળ્યાં હતાં એ વખતે આ મિલન યોગ્ય છે કે કેમ એ બાબત પણ બંને સાશંક હતાં પણ હવે સમજાય છે કે કોઈ એક સાથી વિદાય લેશે તો એકબીજાથી ચડીને બીજું કોઈ પાત્ર કદાચ હતું જ નહીં અને મૃત્યુના કારણે સર્જાનાર વિરહ પણ એક આલિંગન જેવો લાગનાર છે, કેમકે બીજા જન્મે બંનેને પુનર્મિલનની અમર આશા છે…
બહુ બહુ તો શહેર છોડવા એ ટળવળી શકે
શહેરીની ક્યાં મજાલ ઉચાળા ભરી શકે
એથી લીટીઓ હોય છે કોરી હથેળીમાં
જેને જે લખતાં આવડે જાતે લખી શકે
તો તો જરાય અણગમો દુઃખ પ્રત્યે ના રહે
આવે જો એ જણાવીને સૌ જીરવી શકે
ટોળાની હામાં હા કરે ટોળાની નામાં ના
ટોળામાં એવા લોકને બઢતી મળી શકે
શહેરી તેં શાને જિંદગી ભ્રામક ગણી લીધી
જીવવાની હોય સ્વપ્નમાં એવું બની શકે
– ભાવેશ શાહ ‘શહેરી’
શહેરમાં પેટિયું રળવા આવી ચડ્યા પછી અને શહેરની જિંદગીનો રંગ લોહીમાં ઊતરી ગયા બાદ લાખ ઇચ્છા છતાં શહેર છોડી ન શકનાર શહેરીની વેદના બે જ પંક્તિમાં કવિએ અદભુત રીતે આલેખી છે. આમ તો કવિનું તખલ્લુસ મક્તાના શેરમાં આવે પણ કવિએ અહીં બખૂબી પોતાના તખલ્લુસને મત્લા અને મક્તા-બંનેમાં વણી લીધું છે અને મત્લામાં તો એ દૂધમાં સાકરની જેમ ભળી ગયું છે. હસ્તરેખાઓ વિશે આટલો મજબૂત અને પોઝિટિવ શેર પણ ઘણા લાં…બા અંતરાલ પછી વાંચવામાં આવ્યો. સરવાળે આખી ગઝલ આસ્વાદ્ય બની છે.
કદાચ કવિતા સાથે પનારો પાડતા તમામ કવિઓને મદદરૂપ થાય એમ વિચારીને એક બાબત વિશે તોય જાહેર ટકોર કરવાનું મન થાય છે. કોઈ પણ કવિ પોતાની ભાષા પરત્વે ઉદાસીનતા સેવે એ સરાહનીય નથી. આખી ગઝલમાં જોઈ શકાય છે કે કવિએ કોઈપણ પ્રકારના વિરામચિહ્નો કે અવતરણચિહ્નો પ્રયોજ્યાં નથી અને ક્યાં શું આવશે એ બાબત ભાવકની ભાષાક્ષમતા પર છોડી દીધી છે. આ બાબત પર ધ્યાન આપી શકાય તો સોનામાં સુગંધ ભળે… .
લયસ્તરોના આંગણે કવયિત્રીના બીજા કાવ્યસંગ્રહ ‘દૃશ્યો ભીનેવાન’નું સહૃદય સ્વાગત છે.
ટૂંકી બહેરમાં અહીં કેવું મજાનું કામ થયું છે! વરસાદની ઋતુ પ્રણયની ઋતુ છે. ‘લાખોં કા સાવન’ની આ મદીલી મોસમની મુખામુખ ભીતરી ઉદાસીને મૂકીને કવયિત્રીએ કેવો વેધક વિરોધાભાસ સર્જ્યો છે! શબ્દ બોલે એના કરતાં એમાંથી ઊઠતા મૌનના ગેબી નાદના પડઘા વધુ અગત્યના છે. સ્વચ્છંદ લાગણીઓની વાત કરતો મજાનો શેર તો છંદમાં ન લખતા કવિઓ દલીલ કરવા માટે વાપરી શકે એવો છે. પત્ર કોરો આવે એનાથી મોટી બીજી કઈ ફરિયાદ હોઈ શકે? પેલો મૌનનો ગેબી નાદ અહીં પુનઃ સંભળાય છે. કોઈની યાદમાં જાતને ભૂલી જવાની વાત આમ તો નવી નથી પણ સાવ સાંકડી જગ્યામાં કવયિત્રીએ જે બાહોશીથી એને સમાવી લીધી છે એ કાબિલે-દાદ છે.
સંગ્રહમાં ઘણી રચનાઓ મજાની થઈ છે, તો ઘણી બધી રચના મજાની થતાં-થતાં રહી ગઈ છે, ઘણી રચનાઓ કાચી પણ રહી ગઈ છે. કાવ્યસર્જન પછી કાવ્યસંમાર્જનની સાધનાની અનિવાર્યતા તરફ જાગૃતિ કેળવાય તો કવયિત્રી ગુજરાતી કવિતાના ધોરી માર્ગ પર પોતાના નામનો માઇલ-સ્ટોન ખોડી શકે એમ છે, પણ એ ન કેળવાય તો ખોવાઈ જવાનો અંદેશો પણ કંઈ કમ નથી.
July 21, 2020 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, સુરેશ દલાલ
ભટકી ભટકીને મારા થાક્યા છે પાય
હવે પંથ મારો ચાલે તો ચાલું ;
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું.
વેદનાનું નામ ક્યાંય હોય નહીં એમ જાણે
વેરી દઉં હોંશભેર વાત ;
જંપ નહીં જીવને આ એનો અજંપો
ને ચેનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે ; ને લ્હાય મને
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાંત હું અવાક્.
આઘે જવાના કોઈ ઓરતા નહીં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક ;
આંખડીના પાણીને રોકી રોકીને, કહો–
કેમ કરી સ્મિતને સંભાળું ?
– સુરેશ દલાલ
નકરી બેચેની…..કિંકર્તવ્યમૂઢતા પણ નથી- આ અવસ્થા માટે બેચેની સિવાય કોઈ શબ્દ બેસતો જ નથી. સમયનો આ પડાવ જ એવો છે, કાલ કદાચ કૈંક જુદી ઉગશે…..કદાચ જુદી ન યે ઉગે…..
અદભુત સૂર્યોદય હતો એ. વાદળો જાણે કોઈ આશ્ચર્ય કંડારવા માટે મથી રહ્યાં હતાં. લાલભૂરી પાંખોવાળાં પક્ષીઓ ચણની શોધમાં એક ઝાડથી બીજા ઝાડે ઊડાઊડ કરી રહ્યાં હતાં.
પૂંછડી પર કથ્થઈ ડાઘવાળો એક કાળો બિલાડો હળવાં ઘુરકિયાં કરતો, બગાસાં ખાતો, પોતાની જાતને આવનારા દિવસ માટે તૈયાર કરતો મારા પગ નજીકથી પસાર થઈ ગયો.
ઘાસમાંથી તાજી ઝાકળ અને સૌમ્ય જડીબુટ્ટીઓની સુગંધ આવતી હતી. મેં ચપ્પલ ઊતાર્યાં અને મારા પગને પ્રાતઃકાલીન ધુમ્મસની ઠંડક મહેસૂસ કરાવી.
મારાં આંગળાંઓને સૌપ્રથમ એની અનુભૂતિ થઈ અને એ કઠોર જમીનના અહેસાસ, બનાવટ અને તાપમાનને સાચા અર્થમાં સમજવા માટે મારે થોડીક ક્ષણો માટે રાહ જોવી પડી. અને આ પળભરની પ્રતીક્ષા દરમિયાન હું મારું ઇન્સ્ટાગ્રામ જોઈ લેવા માટે લલચાઈ.
ત્યાર બાદ ન મેં કંઈ અનુભવ્યું, ન સાંભળ્યું, ન જોયું.
– દીક્ષા
આમ તો આપણે સહુ એને દીક્ષા જોશીના નામે ગુજરાતી ફિલ્મોની સફળતમ અભિનેત્રી તરીકે ઓળખીએ છીએ… પણ ‘શુભ આરંભ’, ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’, ‘શરતો લાગુ’, ‘ધુનકી’, ‘લવની લવસ્ટોરીઝ’ જેવી અનેક હીટ-સુપર હીટ ફિલ્મો સિવાય એની એક અલગ જ ઓળખ છે, જે મને સવિશેષ આકર્ષે છે અને એ છે, પડદાની પાછળ શ્વેત કાગળ પર કંડારાતી સંવેદનાઓ… એની કવિતાઓ એની ખરી પિછાન છે…
એક નાના અમથા ગદ્ય કાવ્યમાં એ સોશ્યલ મિડીયાએ આપણા જીવનમાં કરેલા અતિક્રમણને કેવું સચોટ રીતે વર્ણવે છે! એક સ-રસ મજાના સૂર્યોદયની અહીં વાત છે. પહેલું તો એ જ કે આપણામાંથી મોટાભાગનાંના જીવનમાંથી સૂર્યોદય ભૂંસાઈ જ ગયો છે. શહેરની તો વાત જ નથી, પણ આપણે ક્યાંક ફરવા ગયાં હોઈએ તો ત્યાં સનસેટ પૉઇન્ટ પર તો ભીડ જોવા મળશે પણ સનરાઇઝ પૉઇન્ટ તો મોટાભાગે ખાલીખમ જ દેખાશે. અહીં નાયિકાનું પ્રકૃતિ સાથેનું એ અનુસંધાન હજી જળવાઈ રહ્યું છે એ કાવ્યારંભે સુખદ અનુભૂતિ કરાવે છે. વહેલી સવારે ઊંઘ ત્યજીને એ સૂર્યોદય માણવા બહાર ખુલ્લામાં આવી છે અને સંદર્યનું આકંઠ પાન કરે છે અને આપણને કરાવી રહી છે. એક પછી એક ઇન્દ્રિય સતેજ થઈ આ ક્ષણોમાં ઓગળી રહી છે. પ્રભાતી ઝાકળની ઠંડક અનુભવવા ચપ્પલ ઉતારીને નાયિકા ખુલ્લા પગ ભીનાં ઘાસમાં મૂકે છે અને અંગૂઠાને થયેલો સ્પર્શ જ્ઞાનતંતુઓની મદદથી મગજ સુધી પહોંચે એ વચ્ચેની ક્ષણોમાં ટેવવશ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચેક કરી લેવાનો મોહ જતો કરી શકતી નથી. આમ તો સ્પર્શ અને અનુભૂતિની વચ્ચેનું અંતર માઇક્રોસેકન્ડમાં જ પૂરું થઈ જતું હોય છે, પણ કવયિત્રી પોએટિક લાઇસન્સ વાપરીને ઇન્સ્ટાગ્રામ ચેક કરવા જેટલો સમય સ્પર્શ અને સંવેદનાની વચ્ચે ઘડી કાઢે છે.
છેલ્લું વાક્ય સૉનેટની ચોટ જેવું છે…
*
It was a spectacular sunrise. The clouds were struggling to sculpt a wonder. Blue and Red winged birds flew from one tree to another in search of breakfast.
A Black cat with a little brown spot on its tail walked past my left leg purring, yawning, preparing himself for the day.
Grass smelled of fresh dew and mild herbs. I removed my chappals and let my feet feel the coolness of morning mist.
My toes felt it first and I had to wait for a couple of seconds to really understand the feeling, texture, temperature of the rugged ground. And as I waited I was tempted to check my Instagram.
દુનિયા ઝાકળ કહે છે એને, પણ
દોસ્ત! ખીલવામાં થાય પરસેવો
ફક્ત ભીનું જ હોય તો સૂકવું
બોલ, તડકે મૂકાય પરસેવો?
ચમકે પરસેવાથી જ જીવન પણ
તો શું? પહેરી ફરાય પરસેવો?
આજનો કાલે કામ લાગે છે
તેથી ભેગા કરાય પરસેવો?
આપ થોડો તો પાડો પરસેવો
તો કવિનો કળાય પરસેવો
– ગૌરાંગ ઠાકર
પરસેવા જેવી અરુઢ રદીફ અને આવી મજાની સંઘેડાઉતાર ગઝલ! ભાઈ વાહ! માણસ નવરો બેઠો હોય અને માત્ર ગરમીના કારણે પરસેવો થાય એ વાતને પરસેવો મહેનત કરે છે કે ‘ઓન-ડ્યુટી’ છે એ રીતે જોવાનો નજરિયો જ માન જન્માવે છે. ઝાકળ ફૂલોની મહેનતનું પરિણામ છે એ કલ્પન પણ કેવું અનૂઠું! પરસેવો ભીનો છે પણ જ રીતે ભીની વસ્તુને સૂકવવા આપણે તડકે મૂકીએ છીએ એ રીતે પરસેવાને તડકે મૂકાય? કેવી મૌલિક અભિવ્યક્તિ છે! બધા જ શેર સારા છે પણ રદીફ-દોષ થયો હોવા છતાં કવિતાને પામવા માટે ભાવકે પણ પુરુષાર્થ કરવો ઈષ્ટ હોવાની વાત કરતો આખરી શેર શિરમોર થયો છે.