ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
ભગવતીકુમાર શર્મા

અમર ઈતિહાસે – દેશળજી પરમાર

ભમો ઝંઝાવાતો,
ખમો વજ્રાઘાતો, હૃદય પળ ના દુર્બળ કરો;
તમારાં માર્ગોમાં અધિક બળિયું પૌરુષ ભરો;
નખશિખ નિરાશા પરહરો.

યુવાનો સત્કર્મે
પ્રજાના આદર્શે પ્રગતિભર ઉદ્ધાર સજશે,
પ્રયાણોના પંથે વિશદ પુનરુત્થાન ભજશે;
શિવ સ્વરૂપ સૃષ્ટિ સરજશે.

ઊગેલાં સ્વપ્નોનું,
અધૂરા યત્નોનું જતન કરવા જાગ્રત રહો,
નવા સંસ્કારોનું મધુર ગરવું ઓજસ વહો;
પરમ પ્રભુ-આદેશ ઊચરો.

મહા હેતુ માટે,
મહા સિદ્ધિ માટે અડગ દિલથી અંત મથવું,
ગ્રહીને સંજોગો જગ સકળને શોધી વળવું;
અખૂટ ઊલટે લક્ષ્ય રળવું.

ઊંડા આંતર્નાદે,
ઊંચા આશાવાદે યુવકજન હો ! રાષ્ટ્ર રચવું,
પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું;
અમર ઈતિહાસે ભળી જવું.

– દેશળજી પરમાર

ખંડ શિખરિણીમાં લખાયેલ આ રચના વાંચવા માટે નથી, ગાવા માટે છે. મોટા અવાજે એનું પઠન કરતાં જ લોહી ગરમ થતું અનુભવાયા વિના નહીં રહે. રચના ભલે બહુ જૂની કેમ ન હોય, આજે પણ આજના યુવાધનને એટલી જ લાગુ પડે છે. મજબૂત રાષ્ટ્ર રચનાની આવશ્યકતા કદાચ જેટલી આજે છે, એટલી આ પૂર્વે ભાગ્યે જ હતી.

2 Comments »

  1. Lata Hirani said,

    August 15, 2020 @ 6:29 AM

    સરસ રચના. તમારી શોધખોળને સલામ

  2. pragnajuvyas said,

    August 15, 2020 @ 10:29 AM

    કવિશ્રી દેશળજી પરમારની સ રસ રચના
    ઊંચા આશાવાદે યુવકજન હો ! રાષ્ટ્ર રચવું,
    પુરાતા પાયાના ચણતર મહીં પથ્થર થવું;
    અમર ઈતિહાસે ભળી જવું.
    વાહ
    જયહિંદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment